
નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળામાં દેશની સોનાની આયાત ગત સાસના સમાનગાળાના ૮.૪૫ અબજ ડૉલર સામે ૩૫.૫ ટકાથી વધીને ૧૧.૪૫ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાથી ચાલુ ખાતાની ખાધ પણ દબાણ હેઠળ રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
સમીક્ષા હેઠળના સમયગાળામાં ચાલુ ખાતાની ખાધ અર્થાત્ નિકાસ અને આયાત વચ્ચેનો તફાવત જીડીપીના ૨.૧ ટકા અથવા તો ૫૭.૨ અબજ ડૉલરના સ્તરે રહી હતી. જે ગત સાલના સમાનગાળામાં જીડીપીના ૧.૮ ટકા અથવા તો ૪૮.૭ અબજ ડૉલરના સ્તરે રહી હતી. સોનાની આયાતમાં વધારો થતાં આ સમય દરમિયાન દેશની વેપારી ખાધ ગત સાલના સમાનગાળાના ૪૪.૯૪ અબજ ડૉલર સામે વધીને ૪૫.૯૬ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ગત જાન્યુઆરીથી જૂન સુધીમાં એકમાત્ર ફેબ્રુઆરી મહિનામાં સોનાની આયાતમાં અંદાજે ૧૧ ટકાનો ઘટાડો થયો હતો, આ સિવાય આયાતમાં દ્વિઅંકી સંખ્યામાં જ વૃદ્ધિ જોવા મળી છે. દેશમાં જ્વેલરી ઉદ્યોગની માગ સંતોષવા માટે વર્ષે અંદાજે ૮૦૦થી ૯૦૦ ટન સોનાની આયાત થાય છે. સોનાની આયાતની વેપારી ખાધ તેમ જ ચાલુ ખાતાની ખાધ પર નકારાત્મક અસર પડતી હોવાથી સરકારે આયાત નિયંત્રણમાં રાખવા માટે આ વર્ષનાં અંદાજપત્રમાં સોના પરની આયાત જકાત જે ૧૦ ટકા હતી તે વધારીને ૧૨.૫૦ ટકા કરી હતી. ઉદ્યોગનાં નિષ્ણાતોના મતાનુસાર ઊંચી આયાત જકાતને કારણે આ ક્ષેત્રનાં વેપારીઓ તેનાં ઉત્પાદનના એકમો પાડોશી દેશોમાં ખસેડે તેવી શક્યતા પ્રબળ બની છે. જોકે, જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે પણ આયાત જકાતમાં થયેલા વધારા સામે નારાજગી વ્યક્ત કરી છે. ગત નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં દેશની સોનાની આયાત મૂલ્યની દૃષ્ટિએ ત્રણ ટકા ઘટીને ૩.૨૮ અબજ ડૉલરની સપાટીએ રહી હતી.




















