CIA ALERT

ઇન્ડીયા Archives - Page 14 of 215 - CIA Live

August 30, 2025
image-44.png
1min204

ભારતીય ક્રિકેટના વહીવટમાં સર્વોચ્ચ સ્તરે મોટો ફેરફાર થયો છે જેમાં રોજર બિન્ની (ROGER BINNY)એ બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ)નું પ્રમુખપદ છોડી દીધું છે અને ઉપ-પ્રમુખ રાજીવ શુક્લા (RAJIV SHUKLA) તેમના સ્થાને કાર્યવાહક પ્રમુખ (PRESIDENT) બની ગયા છે.

1983માં ભારતને વન-ડે વર્લ્ડ કપની ઐતિહાસિક ટ્રોફી અપાવનાર કપિલ દેવની ટીમના મહત્વના ખેલાડી રોજર બિન્નીએ ઑક્ટોબર 2022માં સૌરવ ગાંગુલીના સ્થાને બીસીસીઆઈ (BCCI)નું પ્રમુખપદ સંભાળ્યું હતું.

19મી જુલાઈએ રોજર બિન્ની 70 વર્ષના થયા અને બીસીસીઆઈના બંધારણ મુજબ કોઈ પણ હોદ્દેદાર 70 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તેઓ બોર્ડમાં કોઈપણ પ્રકારના હોદ્દા પર રહી ન શકે એ નિયમને બિન્ની અનુસર્યા હોવાનું મનાય છે. દરમ્યાન, ટીમ ઇન્ડિયા માટે બીસીસીઆઈ નવા મુખ્ય સ્પોન્સરની શોધમાં પણ છે.

65 વર્ષના રાજીવ શુક્લા 2020ના વર્ષથી બીસીસીઆઈના ઉપ-પ્રમુખપદે છે. અગાઉ તેઓ આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલમાં હતા. તેઓ આગામી વાર્ષિક સભા સુધી ક્રિકેટ બોર્ડનો રોજબરોજનો કારભાર સંભાળશે.

બીસીસીઆઈની ઍન્યુઅલ જનરલ મીટિંગ (એજીએમ) સપ્ટેમ્બરમાં યોજાવાની સંભાવના છે અને એ મીટિંગમાં તમામ રાજ્યોના ક્રિકેટ અસોસિયેશનોના મત જાણ્યા પછી નવા ફુલ-ટાઈમ પ્રમુખ નક્કી કરવામાં આવશે.

અગાઉ પીટીઆઈના એક અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું હતું કે બીસીસીઆઈ હવે નવા રાષ્ટ્રીય ખેલફૂદ ખરડા હેઠળ આવી ગયું હોવાથી એના એક નિયમ મુજબ કોઈપણ સ્પોર્ટ્સ ફેડરેશનના હોદ્દેદાર 75 વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે.

જોકે બીસીસીઆઈના વર્તમાન બંધારણમાં હોદ્દા પર રહેવા 70 વર્ષની વયમર્યાદા છે અને કહેવાય છે કે રોજર બિન્નીએ આ નિયમને અનુસરીને હોદ્દો છોડી દીધો છે. બીસીસીઆઈ કેન્દ્ર સરકારના નવા ખરડાનો હજી ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યું છે.

રોજર બિન્નીએ 1983ના વર્લ્ડ કપમાં કુલ ૧૮ વિકેટ લીધી હતી અને એ ટૂર્નામેન્ટના તમામ બોલર્સમાં તેમની 18 વિકેટ હાઈએસ્ટ હતી.

2000ની સાલમાં બિન્નીના કોચિંગમાં ભારતની અન્ડર-19 ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ત્યારે મોહમ્મદ કૈફ ટીમનો કેપ્ટન હતો અને એ ટીમમાં યુવરાજ સિંહ પણ હતો. બિન્ની પછીથી સિલેકટર પણ બન્યા હતા.

August 29, 2025
image-42.png
1min129

મોહન ભાગવતે સ્પષ્ટપણે કહ્યું કે મેં ક્યારેય કહ્યું નથી કે હું 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈશ કે કોઈ બીજાએ નિવૃત્તિ લેવી જોઈએ. સંઘના વડાએ કહ્યું કે જ્યાં સુધી કોઈ કામ કરી શકે છે, તેણે કામ કરવું જોઈએ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દિલ્હીમાં ત્રણ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. સંઘના વડા મોહન ભાગવતે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને સંબોધન કર્યું હતું. કાર્યક્રમના ત્રીજા દિવસે એટલે કે 28 ઓગસ્ટના રોજ મોહન ભાગવતે પત્રકાર પરિષદમાં ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેમને 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવા અંગે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

મોહન ભાગવતે સ્પષ્ટપણે કહ્યું કે મેં ક્યારેય કહ્યું નથી કે હું 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈશ કે કોઈ બીજાએ નિવૃત્તિ લેવી જોઈએ. સંઘના વડાએ કહ્યું કે જ્યાં સુધી કોઈ કામ કરી શકે છે, તેણે કામ કરવું જોઈએ.

મોહન ભાગવતે કહ્યું, “મેં ક્યારેય કહ્યું નથી કે હું નિવૃત્ત થઈશ કે કોઈએ નિવૃત્તિ લેવી જોઈએ. સંઘમાં અમને કામ આપવામાં આવે છે, ભલે અમે ઇચ્છીએ કે ન ઇચ્છીએ. જો હું 80 વર્ષનો હોઉં અને સંઘ કહે કે જાઓ અને શાખા ચલાવો, તો મારે તે કરવું પડશે. સંઘ જે કહે તે અમે કરીએ છીએ. આ કોઈના નિવૃત્તિ માટે નથી. અમે નિવૃત્તિ લેવા અથવા સંઘ ઇચ્છે ત્યાં સુધી કામ કરવા તૈયાર છીએ.”

થોડા સમય પહેલા મોહન ભાગવતે નિવૃત્તિ અંગે ટિપ્પણી કરી હતી. આ પછી અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થશે. મોહન ભાગવતે ગુરુવારે કહ્યું હતું કે પરિવારના વ્યક્તિને RSS વડા બનવા પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ તે વ્યક્તિએ પોતાનો સંપૂર્ણ સમય સંગઠનને સમર્પિત કરવો જોઈએ.

August 29, 2025
image-41-1280x768.png
1min234

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જાપાન પહોંચી ગયા છે. ટોક્યોના હાનેડા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને 28 ઓગસ્ટે જાપાન અને ચીનના પ્રવાસ માટે રવાના થયા હતા. જાપાન માટે રવાના થતા પહેલા, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રવાસ ભારતના હિતોને આગળ વધારવામાં મદદ કરશે. તે પ્રાદેશિક, વૈશ્વિક શાંતિ અને પરસ્પર સહયોગને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ થશે.

મુલાકાતના પહેલા તબક્કામાં, વડાપ્રધાન મોદી 29 અને 30 ઓગસ્ટે જાપાનમાં રહેશે. ત્યારબાદ, તેમણે ચીન જશે, જ્યાં તેઓ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. મુલાકાત માટે રવાના થતા પહેલા વડાપ્રધાને કહ્યું હતું કે, તેઓ તિયાનજિનમાં યોજાનારી શિખર સંમેલન દરમિયાન ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવા માટે ઉત્સુક છે.

જાપાનમાં, વડાપ્રધાન મોદી તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા સાથે શિખર સંમેલન કરશે. જાપાન મુલાકાત અંગે, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ સમય દરમિયાન ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને આગલા સ્તર પર લઈ જવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેણે છેલ્લા 11 વર્ષમાં સતત નોંધપાત્ર પ્રગતિ કરી છે. જાપાન મુલાકાતનો હેતુ પરસ્પર સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો, આર્થિક અને રોકાણ સંબંધોનો વ્યાપ વધારવાનો અને AI તેમજ સેમિકન્ડક્ટર જેવી નવી ટેક્નોલોજીમાં ભાગીદારીને આગળ વધારવાનો રહેશે. આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચે સભ્યતા અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની તક બનશે.

બીજા તબક્કામાં, વડાપ્રધાન મોદી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે ચીનના તિયાનજિનની મુલાકાત લેશે. ત્યાં તેઓ SCO સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત SCO દેશો સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે જેથી સામાન્ય પડકારોનો ઉકેલ શોધી શકાય અને પ્રાદેશિક સહયોગ વધુ ગાઢ બને. જાપાનની મુલાકાત પછી, હું ચીનના પ્રમુખ શી જિનપિંગના આમંત્રણ પર તિયાનજિનમાં યોજાનારી SCO સમિટમાં હાજરી આપીશ. ભારત SCOનું સક્રિય અને રચનાત્મક સભ્ય છે અને તેના કાર્યકાળ દરમિયાન, ભારતે ઇનોવેટિવ, હેલ્થ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન જેવા ક્ષેત્રોમાં નવી પહેલ કરી છે.

August 23, 2025
cheque-bounce.png
1min153

મોટા મોટા ટ્રાન્ઝેક્શન માટે આજે પણ લોકો ચેકથી જ લેવડ-દેવડ કરવાનું પસંદ કરે છે, કારણ કે તે એક વિશ્વસનીય માધ્યમ છે. ઘણી વખત આપણામાંથી અનેક લોકો સાથે એવું બન્યું હશે કે એકાઉન્ટમાં બેલેન્સ ના હોવાને કારણે ચેક બાઉન્સ થયો હોય. આવી સ્થિતિમાં થોડું આર્થિક નુકસાન થાય છે અને એની સાથે ચેક આપનારની શાખ પર પણ તેની અસર જોવા મળે છે. પરંતુ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આને વધુ સુરક્ષિત બનાવવા માટે કેટલાક મહત્ત્વના નિયમ લાગુ કર્યા છે, જે જાણી લેવા તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે.

ચેક બાઉન્સિંગના પરિણામો

કોઈ પણ ઔપચારિક વ્યવહાર દરમિયાન ચેકનો ઉપયોગ આજે પણ મહત્ત્વનો માનવામાં આવે છે. જ્યારે ચેક પાસ નથી થતો ત્યારે આખી પ્રક્રિયા થંભી જાય છે અને માહોલ થોડો ગરમાઈ જાય છે. પહેલાંના સમયમાં તો બેંક દ્વારા તેની જાણ પણ મોડેથી થતી હતી, જેને કારણે મુશ્કેલીઓ વધી જતી હતી. પણ હવે એવું નથી.

24 કલાકની અંદર એલર્ટ આપવું જરૂરી

આરબીઆઈના નવા નિયમ અનુસાર જો હવે કોઈ ચેક બાઉન્સ થાય છે તો બેંકને 24 કલાકની અંદર જ એસએમએસ કે ઈમેલના માધ્યમથી ગ્રાહકને તેની જાણ કરવી ફરજિયાત છે. આને કારણે કસ્ટમર તરત જ ગ્રાહકની સ્થિતિને સમજીને યોગ્ય કાર્યવાહી કરી શકશે અને નુકસાન ખૂબ જ ઓછું થશે.

24 કલાકની અંદર કસ્ટમરને એલર્ટ આપવા સિવાય આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ખોટો ચેક આપે છે તો તેના પર પહેલાંથી વધારે સખત કાર્યવાહી કરવામાં આવશે. પહેલાં આ માટે વધુમાં વધુ એક વર્ષની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી હતી અને હવે તેને વધારીને 2 વર્ષ કરી દેવામાં આવી છે. આ સાથે સાથે ભારે દંડ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

જો કોઈ ખાતાધારક વારંવાર ચેક બાઉન્સ કરે છે તો બેંક તેની ચેકબુકની સુવિધા જ બંધ કરવામાં આવશે. આવા લોકો માત્ર ડિજિટલ કે ઓનલાઈન જ પેમેન્ટ કરી શકશે. આ નિયમ ઈમાનદાર ગ્રાહકોની સુરક્ષા અને લેવડ-દેવડને વધારવા માટે લાગુ કરવામાં આવ્યો છે.

August 23, 2025
image-38-1280x640.png
1min153

ભારત સરકારે ચાઈનીઝ શોર્ટ વીડિયો શેયરિંગ પ્લટેફોર્મ ટિકટોકને અનબ્લોક કર્યું હોવાના સમાચાર વહેતા થયાં હતાં. પરંતુ વાસ્તવમાં ભારત સરકારે આવો કોઈ નિર્ણય લીધો છે, આ માત્ર અફવાઓ છે. જેથી અફવાઓથી દૂર રહેવા માટે સલાહ આપવામાં આવી છે. દરેક ભારતીય નાગરિકોને કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા માટે ભારત સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી છે. ગત રાત્રે જ આ સમાચાર વહેતા થયા હતા કે, હવે ભારતમાં ટિકટોક ફરી શરૂ થવાનું છે. જો કે, હવે તે અફવા હતી તેવું સરકારે સ્પષ્ટીકરણ કર્યું છે.

ભારતે ચીનની કઈ એપ્સ પર પ્રતિબંધ લાદ્યો હતો?

ભારત સરકારે 2020માં આ ટિકટોક પર પ્રતિબંધ લાદ્યો હતો. આ વખતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન
ઘાટીમાં ઘર્ષણ થયું હતું. જેથી આ વખતે ભારત સરકારે દેશની સુરક્ષાને ધ્યાને રાખીને ચાઈનીઝ એપ જેવી કે ટિકટોક, Wechat અને Helo સહિત અનેક સોશિયલ એપ્સ ભારતમાં પ્રતિબંધિત કરી દીધી હતી. જો કે, અત્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધાર આવતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેથી આ અફવા શરૂ થઈ હતી કે, ભારતે તે એપ્સ પરથી પ્રતિબંધ હટાવી દીધો છે.

શું ભારત અને ચીનના સંબંધોમાં સુધાર આવ્યો છે?

સમાચાર એવા પણ મળી રહ્યાં છે કે, ભારત અને ચીન વચ્ચે અત્યારે વિઝા સેવાઓ પણ ફરૂ શરૂ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પ્રવાસીઓ, વ્યવસાયો, વેપારીઓ અને મીડિયા અને અન્ય લોકોની મુસાફરી પર જે પ્રતિબંધ હતો તેને હટાવી દેવામાં આવશે! હમણાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યી 3 દિવસની ભારત મુલાકાતે આવ્યાં હતાં. જેમાં ભારતમાં સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી. આ સાથે સાથે પીએમ મોદી પણ બે દિવસ માટે ચીનના પ્રવાસે જવાના છે. આ દરમિયાન નરેન્દ્ર મોદી તિયાનજિનમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ભાગ લેવા માટે જવાના છે. જેથી ભારત અને ચીનના સંબંધોમાં સુધાર આવી શકે છે.

August 21, 2025
image-32.png
2min137

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને રજૂ કર્યો હતો અને વિપક્ષે તેના પર હોબાળો મચાવ્યો હતો. હોબાળા બાદ, આ બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું.

20 ઓગસ્ટ, બુધવારના રોજ લોકસભામાં બંધારણનો 130મો સુધારો બિલ રજૂ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને રજૂ કર્યો હતો અને વિપક્ષે તેના પર હોબાળો મચાવ્યો હતો. હોબાળા બાદ, આ બિલ સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું. બંધારણ (130મો સુધારો) બિલ, 2025માં ગંભીર ગુનાના આરોપસર વડા પ્રધાન, મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને પદ પરથી દૂર કરવાની જોગવાઈ છે.

બંધારણ (130મો સુધારો) બિલ, 2025 શું છે?

ખરેખર, આ બિલમાં જણાવાયું છે કે કોઈપણ મંત્રી જે કોઈપણ ગંભીર ગુના માટે 30 દિવસથી જેલમાં છે તેને પોતાનું પદ ગુમાવવું પડશે. બિલ મુજબ, “જે મંત્રી ત્રણ દિવસથી જેલમાં છે અને પાંચ વર્ષ કે તેથી વધુ કેદની સજાપાત્ર આરોપસર ધરપકડ કરવામાં આવી છે, તેણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડશે.

મુખ્યમંત્રીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્વારા સંબંધિત મંત્રીને 31મા દિવસ સુધીમાં પદ પરથી દૂર કરવામાં આવશે. જો આવા મંત્રીને દૂર કરવા માટે મુખ્યમંત્રીની સલાહ 31મા દિવસ સુધીમાં રાષ્ટ્રપતિને આપવામાં નહીં આવે, તો તે બીજા દિવસથી મંત્રી રહેશે નહીં.” આ બિલ બંધારણના અનુચ્છેદ 75 માં સુધારો કરશે, જે મુખ્યત્વે પ્રધાનમંત્રી સહિત મંત્રી પરિષદની નિમણૂક અને જવાબદારીઓ સાથે સંબંધિત છે.

ગૃહમંત્રી અમિત શાહે બિલ રજૂ કર્યું ત્યારે સંસદમાં શું થયું?

વિરોધ પક્ષ દ્વારા બિલનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે 2010 માં સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં ગૃહમંત્રીની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે, અમિત શાહે જવાબ આપ્યો હતો કે તેમણે ધરપકડ પહેલાં ગુજરાતના ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

વિપક્ષ આ બિલનો વિરોધ કેમ કરી રહ્યું છે?

વિપક્ષનું કહેવું છે કે બિલના ઉદ્દેશ્યો અને કારણો અનુસાર, ગંભીર ગુનાહિત આરોપોનો સામનો કરી રહેલા મંત્રીની ધરપકડ અને અટકાયત કરવાથી બંધારણીય નૈતિકતાના સિદ્ધાંતો અને સુશાસનના સિદ્ધાંતોને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, લોકો દ્વારા તેમાં મૂકવામાં આવેલ બંધારણીય વિશ્વાસ ઓછો થઈ શકે છે.

જોકે, કેટલાક વિપક્ષી નેતાઓ માને છે કે બિલની જોગવાઈઓનો ઉપયોગ વિપક્ષી નેતાઓને પસંદગીયુક્ત રીતે નિશાન બનાવવા અને રાજ્યોમાં તેમની સરકારોને અસ્થિર કરવા માટે થઈ શકે છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષો લાંબા સમયથી દાવો કરી રહ્યા છે કે સીબીઆઈ અને ઇડી જેવી કેન્દ્રીય એજન્સીઓ (જે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર હેઠળ આવે છે) તેમના નેતાઓને અન્યાયી રીતે નિશાન બનાવે છે.

આ ઉપરાંત, બિલ હેઠળ, મંત્રીઓને ધરપકડના આધારે જ પદ પરથી દૂર કરીને સજા કરી શકાય છે, દોષિત ઠેરવ્યા પછી નહીં. વિવિધ ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવેલા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની જોગવાઈઓ પહેલાથી જ અસ્તિત્વમાં છે.

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે તેઓ આ બિલનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તે સત્તાના વિભાજનના સિદ્ધાંતની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે તે કાર્યકારી એજન્સીઓને ન્યાયાધીશ અને જલ્લાદ બનાવે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે આ બિલ ‘સુપર-ઇમરજન્સી’ લાવી શકે છે.

તેમણે કહ્યું, “હું ભારત સરકાર દ્વારા આજે રજૂ કરવામાં આવનાર 130મા બંધારણીય સુધારા બિલની નિંદા કરું છું. હું તેને એક સુપર ઇમરજન્સી કરતાં વધુ પગલા તરીકે નિંદા કરું છું. આ એક એવું પગલું છે જે ભારતના લોકશાહી યુગનો કાયમ માટે અંત લાવશે. આ કઠોર પગલું ભારતમાં લોકશાહી અને સંઘવાદ માટે મૃત્યુઘંટ છે.”

આ પણ વાંચોઃ- કોંગ્રેસ સાંસદે કર્યો અમિત શાહની ધરપકડનો ઉલ્લેખ તો ગૃહમંત્રીએ કહ્યું – નિર્દોષ સાબિત થવા સુધી કોઇ પદ લીધું ન હતું

સંયુક્ત સમિતિ શું છે?

સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ની રચના સંસદ દ્વારા કોઈ વિષય અથવા બિલની વિગતવાર તપાસ જેવા ચોક્કસ હેતુ માટે કરવામાં આવે છે. તેમાં બંને ગૃહોના સભ્યો હોય છે, અને તેનો કાર્યકાળ પૂરો થયા પછી અથવા તેનું કાર્ય પૂર્ણ થયા પછી તેને વિસર્જન કરવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, બંધારણ (130મો સુધારો) બિલ, 2025, લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા પસંદ કરવા માટે 31 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યો છે. અમિત શાહે વિનંતી કરી કે સમિતિ સંસદના આગામી સત્રના પહેલા દિવસ પહેલા તેનો અહેવાલ રજૂ કરે.

August 20, 2025
image-30-1280x430.png
1min149
  • જૂન જુલાઈ માસ દરમિયાન મુખ્ય પ્લેટફોર્મ પર ૨૧ IPO થકી રૂ. ૩૩,૮૧૩ કરોડ એકત્ર ઉભા કરાયા

માર્ચથી મે સુધીના સુસ્ત સમયગાળા પછી, નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ)ના પ્રારંભિક જાહેર ઓફરમાં (આઈપીઓ) ઝડપી ઉછાળો આવ્યો છે. જૂનથી, ૬૮ એસએમઈએ રૂ. ૩,૧૩૧ કરોડ એકત્ર કર્યા છે. નિષ્ણાતો તેને મુખ્ય પ્લેટફોર્મના આઈપીઓમાં જોવાયેલ ધમધમાટ તરફ નિર્દેશ કરે છે.

જૂન અને જુલાઈમાં, મુખ્ય પ્લેટફોર્મ પર ૨૧ આઈપીઓ લિસ્ટ થયા હતા અને રૂ. ૩૩,૮૧૩ કરોડ એકત્ર કર્યા હતા જેનાથી વિવિધ ક્ષેત્રોમાં રોકાણકારોનો ઉત્સાહ વધ્યો હતો.

જ્યારે પણ મુખ્ય પ્લેટફોર્મ પર પ્રવૃત્તિઓ વધે છે, ત્યારે એસએમઈ ક્ષેત્ર પણ તે જ માર્ગને અનુસરે છે. ઉપલબ્ધ લિક્વિડિટીને કારણે મુખ્ય પ્લેટફોર્મના આઈપીઓ પર નજીવો ફાયદો પણ રોકાણકારોને આકર્ષે છે, જોકે, જોખમી એસએમઈ આઈપીઓમાં વધતી જતી રુચિને કારણે પ્રવેશ માપદંડો વધુ કડક બન્યા છે.

લઘુત્તમ અરજી રકમ રૂ. ૧ લાખથી બમણી થઈને રૂ. ૨ લાખ થઈ ગઈ છે. એપ્રિલ ૨૦૨૫માં, એનએસઈએ એસએમઈને મુખ્ય પ્લેટફોર્મ પર જવા માટે તેના પાત્રતા માપદંડોમાં સુધારો કર્યો. કંપનીઓએ હવે છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા બે વર્ષમાં ઓપરેટિંગ નફો દર્શાવવો પડશે, છેલ્લા વર્ષમાં રૂ. ૧૦૦ કરોડથી વધુની આવક નોંધાવવી પડશે અને અરજી સમયે ૨૦ ટકાથી વધુનો પ્રમોટર હિસ્સો રાખવો પડશે.

કેટલાક બજાર નિરીક્ષકો માને છે કે મોટા કદ અને કડક માપદંડો ફક્ત રોકાણકારોના જોખમને આંશિક રીતે સંબોધિત કરે છે. આ ક્ષેત્રમાં લિસ્ટેડ કંપનીઓ માટે કડક ડિસ્ક્લોઝર ધોરણોની જરૂર છે.

August 20, 2025
image-29.png
1min156

બિહારની ૧૪ વર્ષની આરાધ્યા સિંહ નામની ટીનેજરે સનાતન ધર્મની ભાવનાને સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશથી કુલ ૨૩૪ ભાષામાં હનુમાન ચાલીસાનો અનુવાદ કર્યો છે. આરાધ્યાએ મૈથિલી, ભોજપુરી, સંસ્કૃત, અંગ્રેજી, કોરિયન, જૅપનીઝ, લૅટિન સહિત અનેક વિદેશી ભાષાઓમાં હનુમાન ચાલીસાનું ટ્રાન્સલેશન કર્યું છે. તેને બધી જ ભાષા આવડે છે એવું નથી, પરંતુ તેણે ગૂગલ ટ્રાન્સલેટર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આ કામ કર્યું છે. ગયા વર્ષે છઠપૂજા પર્વમાં તેણે હનુમાન ચાલીસાના અનુવાદનું કામ હાથ ધરેલું. દરેક ભાષા અને એના શબ્દોના ભાવાર્થને સમજીને સાવધાનીપૂર્વક આ કામ કરતાં તેને ૬ મહિનાનો સમય લાગ્યો હતો. આરાધ્યાનું કહેવું છે કે વિદેશોમાં રહેતા યુવાનો પણ સનાતન ધર્મ સાથે જોડાય અને ધર્મભાવના બીજી ભાષાના લોકો સુધી પહોંચાડવા માટે તેણે આ કામ કર્યું છે. આરાધ્યાની મા રાની દેવીનું કહેવું છે કે માત્ર અનુવાદ જ નહીં, હનુમાન ચાલીસાની લઢણમાં તે દરેક ભાષાની ચાલીસા ગાઈ પણ સંભળાવે છે. તેને નાનપણથી જ ધર્મ અને અધ્યાત્મમાં બહુ રુચિ છે. 

August 20, 2025
image-26.png
1min203

NCERT ના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પહેલું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ સાગા ઓફ વેલર’ ધોરણ ત્રણ થી આઠમાં શીખવવામાં આવશે. બીજું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ મિશન ઓફ ઓનર એન્ડ બ્રેવરી’ ધોરણ 9 થી 12માં શીખવવામાં આવશે.

એનસીઈઆરટી એ ઓપરેશન સિંદૂર પર એક ખાસ મોડ્યુલ બહાર પાડ્યું છે. હવે તેને NCERT ના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે. તે ધોરણ ત્રણ થી 12 સુધીના પુસ્તકોમાં શીખવવામાં આવશે. આ મોડ્યુલમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર ફક્ત લશ્કરી કાર્યવાહી નહોતી. પરંતુ તે શાંતિ લાવવા માટે લેવામાં આવેલું એક પગલું પણ હતું. આ સાથે આ ઓપરેશન પોતાના જીવ ગુમાવનારા લોકોના સન્માનને પરત કરવાનો પ્રયાસ પણ હતો. ઓપરેશન સિંદૂરના લગભગ ત્રણ મહિના પછી તેને અભ્યાસક્રમમાં પૂરક સામગ્રી તરીકે સમાવવામાં આવ્યું છે.

ભારતીય સેનાની કાર્યવાહીની વિગતો

આ મોડ્યુલમાં જણાવાયું છે કે આમ તો પાકિસ્તાન પહેલગામ હુમલામાં સીધી સંડોવણીનો ઇનકાર કરે છે. પરંતુ તે પાકિસ્તાની લશ્કરી અને રાજકીય નેતૃત્વના સીધા આદેશ પર કરવામાં આવ્યું હતું. આ મોડ્યુલમાં જણાવાયું છે કે પાકિસ્તાન પહેલગામ હુમલામાં સીધી સંડોવણીનો ઇનકાર કરે છે. પરંતુ તે પાકિસ્તાની લશ્કરી અને રાજકીય નેતૃત્વના સીધા આદેશ પર કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂરની વિગતો પણ એક મોડ્યુલમાં આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ભારતે પાકિસ્તાન અને PoK માં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે મિસાઇલો ચલાવી હતી. આ ઉપરાંત હવાઈ હુમલા પણ કરવામાં આવ્યા હતા.

આતંકવાદી ઠેકાણાઓનો નાશ

આગળ લખેલું છે કે ભારતીય સેના દ્વારા આ નવ આતંકવાદી ઠેકાણાઓમાંથી સાતનો નાશ કરવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાએ મુરીદકે અને બહાવલપુરમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ બધા લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. NCERT ના અભ્યાસક્રમમાં ભારત સરકારનું વલણ મજબૂત રીતે રજૂ કરવામાં આવ્યું છે કે આ સમય દરમિયાન કોઈ પણ નાગરિકને નુકસાન થયું નથી. એવું કહેવાય છે કે દરેક લક્ષ્યને બે વાર તપાસવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન ફક્ત આતંકવાદીઓ પર જ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનથી દર્શાવવામાં આવ્યું છે કે ભારત કોઈપણ કિંમતે આતંકવાદીઓના માસ્ટરને છોડશે નહીં.

વિદ્યાર્થીઓને સેનાની તાકાત વિશે જણાવવામાં આવશે

NCERT ના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પહેલું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ સાગા ઓફ વેલર’ ધોરણ ત્રણ થી આઠમાં શીખવવામાં આવશે. બીજું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ મિશન ઓફ ઓનર એન્ડ બ્રેવરી’ ધોરણ 9 થી 12માં શીખવવામાં આવશે. શાળાના અભ્યાસક્રમમાં આ મોડ્યુલનો સમાવેશ કરવાનો હેતુ વિદ્યાર્થીઓને ભારતીય સેનાની તાકાતથી વાકેફ કરવાનો છે.