વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે વિવાદોમાં ઘેરાઈ છે. તાજેતરમાં જ ધ બંગાળ ફાઈલ્સ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ફિલ્મ 1946ના બંગાળના દંગાઓ દરમિયાન મહત્વની ભૂમિક ભજવનાર બંગાળી નેતા ગોપાલ મુખર્જી પર આધારિત છે. ગોપાલ મુખર્જીના પૌત્ર શાંતનુ મુખર્જીએ ફિલ્મના ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રી વિરુદ્ધ FIR નોંધાવી છે, જેમાં તેમના દાદાના ખોટા ચિત્રણો બતાવવાનો આરોપ લગાવ્યો છે.
‘ધ બંગાળ ફાઈલ્સ’નું ટ્રેલર રિલીઝ થતા જ વિવાદ શરૂ થયો હતો. ટ્રેલરમાં ગોપાલ મુખર્જીને ‘એક થા કસાઈ ગોપાલ પાઠા’ તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેનો શાંતનુ મુખર્જીએ વિરોધ કર્યો છે. શાંતનુનો દાવો છે કે તેમના દાદા કસાઈ નહોતા, પરંતુ એક પહેલવાન અને અનુશીલન સમિતિના અગ્રણી સભ્ય હતા, જેમણે 1946ના મુસ્લિમ લીગના દંગાઓને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શાંતનુએ ફિલ્મ દર્શાવેલા તેના દાદ ચિત્રને અપમાનજનક અને પરિવારની લાગણીઓને ઠેસ પહોંચાડનારું ગણાવ્યું છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે શાંતનુ મુખર્જીએ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને કાનૂની નોટિસ મોકલી, જેમાં ગોપાલ મુખર્જીના ખોટા ચિત્રણ માટે માફી માગવાની માગ કરી છે. તેણે જણાવ્યું કે ફિલ્મમાં ‘કસાઈ’ અને ‘પાઠા’ જેવા શબ્દોનો ઉપયોગ અપમાનજનક છે અને તેનાથી પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન થયુ છે. શાંતનુએ કહ્યું, “વિવેકે આ અંગે પૂરતું સંશોધન કર્યું નથી અને અમારો સંપર્ક પણ નથી કર્યો. અમે આનો વિરોધ ચાલુ રાખીશું.” તેણે એમ પણ ઉમેર્યું કે ગોપાલ મુખર્જી સ્વાતંત્ર્ય સેનાની હતા અને નેતાજી સુભાષચંદ્ર બોઝની વિચારધારાથી પ્રેરિત હતા, જેણે અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે કામ કર્યું હતુ.
‘ધ બંગાળ ફાઈલ્સ’ ભારત-પાકિસ્તાનના બંટવારા દરમિયાન 1946ના બંગાળના હિંદુ-મુસ્લિમ દંગાઓના બેગ્રાઉન્ડ પર આધારિત છે. ટ્રેલરમાં ગાંધીજી અને જિન્નાહ વચ્ચે બંગાળના ભાગલાને લઈને ચાલેલા સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે, જેમાં જિન્નાહ બંગાળનો એક ભાગ ઈચ્છતા હતા, જ્યારે ગાંધીજી તેનો વિરોધ કરતા હતા. આ ફિલ્મ 5 સપ્ટેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, પરંતુ વિવાદને કારણે તેની રિલીઝ પહેલાં જ ચર્ચાઓ ગરમ થઈ ગઈ છે.
આ વિવાદે ફિલ્મની રિલીઝ પહેલા જ તેની ટીમ માટે મુશ્કેલીઓ ઊભી કરી છે. શાંતનુ મુખર્જીની FIR અને કાનૂની નોટિસથી ફિલ્મના ડિરેક્ટર પર દબાણ વધ્યુ છે. ગોપાલ મુખર્જીના ચરિત્રનું ખોટું ચિત્રણ ફિલ્મની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉભા કરી રહ્યું છે. આ ઘટનાએ ઐતિહાસિક વ્યક્તિઓના ચિત્રણમાં સંશોધનના મહત્વને ફરી એકવાર રેખાંકિત કર્યું છે. ફિલ્મની રિલીઝ સાથે આ વિવાદ કેવી રીતે આગળ વધે છે, તે જોવું રહ્યું.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે એનડીએ દ્વારા ઉમેદવારના નામની 17/8/25 સત્તાવાર રીતે જાહેરાત કરી છે. NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)એ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.
પાટનગર ખાતે મળેલી સંસદીય બોર્ડની બેઠકમાં સીપી રાધાકૃષ્ણનના નામને મંજૂરી આપી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનનું નામ એનડીએએ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં સીપી રાધાકૃષ્ણનના નામને મંજૂરી આપી દેવામાં આવી હતી. આ નામ માટે સમિતિના તમામ સભ્યો સંમત થયા હતા. નવી દિલ્હીમાં આજે સાંજે 6 વાગ્યે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે આ બેઠક યોજાઈ હતી, જેમાં વડા પ્રધાન મોદીએ પણ હાજર રહ્યાં હતા.
આ પદ માટે અનેક નામોની ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ અત્યારે સીપી રાધાકૃષ્ણનના નામ પર મહોર લગાવી દેવામાં આવી છે. જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપના સંસદીય બોર્ડની બેઠકમાં ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવારનું નામ નક્કી કરવા માટે બોલાવવામાં આવી હતી.
કોણ છે સીપી રાધાકૃષ્ણન?
સીપી રાધાકૃષ્ણનનું પૂરૂ નામ ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન (CP Radhakrishnan) છે. તેમનો જન્મ 20 ઓક્ટોબર 1957ના રોજ તમિલનાડુના તિરુપુરમાં થયો હતો. વીઓ ચિદમ્બરમ કોલેજ (કોઈમ્બતુરથી)માંથી બીબીએની ડિગ્રી લીધી છે. સીપી રાધાકૃષ્ણન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રહ્યા છે અને હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે.
હવે તેમનું નામ ઉપરાષ્ટ્રપતિ પદ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. રાધાકૃષ્ણની પોતાની રાજકીય કારકિર્દી આરએસએસ અને જનસંઘથી થઈ હતી. કોઈબ્તુરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તમિલનાડુ ભાજપના પ્રમુખપદે રહીને 93 દિવસની રથયાત્રા કાઢી હતી, જેનો મૂળ ઉદ્દેશ આતંકવાદ વિરુદ્ધ લોકોમાં જાગૃકતાનો હતો.
સીપી રાધાકૃષ્ણનની રાજકીય કારકિર્દી
સીપી રાધાકૃષ્ણનની 31મી જુલાઈ 2024થી મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. આ પહેલા તેઓ 18મી ફેબ્રુઆરી 2023થી 30મી જુલાઈ 2024 સુધી ઝારખંડના રાજ્યપાલ રહ્યાં હતાં. માર્ચથી જુલાઈ 2024 સુધી તેલંગાણામાં વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો.
એટલું જ નહીં પરંતુ માર્ચથી ઓગસ્ટ 2024 સુધી પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો હતો. ઇસ 1998માં અને 1999માં સીપી રાધાકૃષ્ણન કોઈમ્બતુર લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટાઈને સાંસદ બન્યા હતાં. એટલું જ નહીં પરંતુ 2003થી 2006 સુધી સીપી રાધાકૃષ્ણન તમિલનાડુના ભાજપ પ્રમુખ પણ રહેલા છે.
બૅન્કમાં ચેક જમા કરાવ્યા પછી સ્કૅન કરવાની, રજૂ કરવાની અને પાસ કરવાની તમામ પ્રક્રિયા એ જ દિવસે કલાકોમાં પૂરી થઈ જશે
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ જાહેરાત કરી છે કે ચોથી ઑક્ટોબરથી ચેક-ક્લિયરિંગની પ્રોસેસ વધુ ઝડપી બનશે. બૅન્કમાં ચેક જમા કરાવ્યાના કલાકોમાં ક્લિયર કરી આપવામાં આવશે. અત્યારે ચેક ક્લિયર કરવા માટે બે દિવસ સુધીનો સમય લાગે છે.
બૅન્કમાં ચેક જમા કરાવ્યા પછી સ્કૅન કરવાની, રજૂ કરવાની અને પાસ કરવાની તમામ પ્રક્રિયા એ જ દિવસે કલાકોમાં પૂરી થઈ જશે. આ પ્રક્રિયા બૅન્ક ચાલુ હશે એ કલાકો દરમ્યાન સતત ચાલુ રહશે. ચેક પાસ કરવાની અત્યારની પ્રક્રિયામાં ચેકનું બૅચ-ક્લિયરિંગ થાય છે એટલે કે ચેક જથ્થામાં પાસ કરવામાં આવે છે. એના સ્થાને RBIએ સર્ક્યુલર જાહેર કરીને તમામ બૅન્કોને એવું જણાવ્યું છે કે ચેક પાસ કરવા માટે બૅચ-ક્લિયરિંગને બદલે એ પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવે. સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી ચેક પ્રોસેસ કરીને ક્લિયરિંગ હાઉસમાં મોકલી આપવામાં આવશે. આ પરિવર્તનને બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પહેલો તબક્કો ૪ ઑક્ટોબરથી અને બીજો તબક્કો ૩ જાન્યુઆરી ૨૦૨૬થી શરૂ થશે.
શ્રાવણ વદ આઠમ-શનિવારે છે ત્યારે ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ગુજરાતભરમાં આસ્થા અને ઉલ્લાસપૂર્વક ઉજવાશે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે શુક્રવારથી જ દ્વારકા, ડાકોર, શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યા હતા. રાત્રે 12 વાગ્યે ભગવાન કૃષ્ણના જન્મનો શંખનાદ થતાં જ મંદિરો ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા-પાલખી જય કનૈયાલાલ કી’ ના જયઘોષ સાથે ગૂંજી ઉઠ્યા હતા.
કનૈયો, કાનુડો, કાનજી, નંદલાલ, અચ્યુત, મુરલીધર, મોહન, શ્યામ, જગન્નાથ, માધવ, દ્વારકાધીશ, કેશવ, રણછોડ, લાલજી જેવા અનેક નામથી ભક્ત જેને ભક્તિભાવથી-વ્હાલથી સંબોધે છે તેવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ અનેરો થનગનાટ છે. મહાભારતના અનુશાસન પર્વમાં ઋષિ દુર્વાસા પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણને આશીર્વાદ આપતા કહે છે કે, ‘જ્યાં સુધી મનુષ્યનો અન્નનો ભાવ રહેશે ત્યાં સુધી માનવજાતને તારા પ્રત્યે પણ ભાવ રહેશે જ.’
શુક્રવારે સ્વતંત્રતા દિવસ, શનિવારે જન્માષ્ટમી અને ત્યારબાદ રવિવાર એમ ત્રણ દિવસની રજા હોવાથી સોમનાથ, અંબાજી, ચોટીલા, પાવાગઢમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડેલા. સોમનાથ, દ્વારકામાં નાની ધર્મશાળાથી માંડીને મોટી હોટેલોમાં તમામ રૂમ બૂક થઇ ગયા હતા.
કૃષ્ણ જન્મ વખતે દહીં હાંડીનું પણ અનેરું મહત્ત્વ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં શનિવારે મટકી ફોડનું પણ આયોજન કરવામાં આવશે. અમદાવાદના ઈસ્કોન મંદિરમાં દર વર્ષની જેમ આ વખતે વિધિવત્ રીતે જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવાશે. ભગવાનના ગર્ભગૃહને દેશ-વિદેશના વિવિધ ફૂલોથી શણગારાશે. થાઇલેન્ડથી પાંચ અલગ-અલગ કલરના ઓર્ચિડ ફૂલ 3 વિવિધ પ્રકારના સાઉથ આફ્રિકાથી એન્થોરિયમ ફૂલ, કાર્નેશન, ડચ રોઝ, જિપ્સી, સેવંતી, રજનીગંધા, ડેઝી થઈને 900 કિલો ફૂલોનો ઉપયોગ કરાશે. આ ફૂલ દ્વારા ભગવાનના ગર્ભગૃહમાં મોર, શંખ, કમળ, ધનુષ વગેરે તૈયાર કરાશે. આ ઉપરાંત ભગવાનને 600થી વધુ વાનગી ધરાવાશે.જન્માષ્ટમીના બીજા દિવસે નંદ મહોત્સવના 10 હજાર લોકોના ભંડારા-પ્રસાદનું આયોજન કરાયું છે.
આજે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવાશે
Janmashtami 2025: શ્રાવણ વદ આઠમ-શનિવારે છે ત્યારે ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ગુજરાતભરમાં આસ્થા અને ઉલ્લાસપૂર્વક ઉજવાશે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે શુક્રવારથી જ દ્વારકા, ડાકોર, શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યા હતા. રાત્રે 12 વાગ્યે ભગવાન કૃષ્ણના જન્મનો શંખનાદ થતાં જ મંદિરો ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હાથી ઘોડા-પાલખી જય કનૈયાલાલ કી’ ના જયઘોષ સાથે ગૂંજી ઉઠ્યા હતા.
કનૈયો, કાનુડો, કાનજી, નંદલાલ, અચ્યુત, મુરલીધર, મોહન, શ્યામ, જગન્નાથ, માધવ, દ્વારકાધીશ, કેશવ, રણછોડ, લાલજી જેવા અનેક નામથી ભક્ત જેને ભક્તિભાવથી-વ્હાલથી સંબોધે છે તેવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ અનેરો થનગનાટ છે. મહાભારતના અનુશાસન પર્વમાં ઋષિ દુર્વાસા પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણને આશીર્વાદ આપતા કહે છે કે, ‘જ્યાં સુધી મનુષ્યનો અન્નનો ભાવ રહેશે ત્યાં સુધી માનવજાતને તારા પ્રત્યે પણ ભાવ રહેશે જ.’
શુક્રવારે સ્વતંત્રતા દિવસ, શનિવારે જન્માષ્ટમી અને ત્યારબાદ રવિવાર એમ ત્રણ દિવસની રજા હોવાથી સોમનાથ, અંબાજી, ચોટીલા, પાવાગઢમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડેલા. સોમનાથ, દ્વારકામાં નાની ધર્મશાળાથી માંડીને મોટી હોટેલોમાં તમામ રૂમ બૂક થઇ ગયા હતા.
કૃષ્ણ જન્મ વખતે દહીં હાંડીનું પણ અનેરું મહત્ત્વ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં શનિવારે મટકી ફોડનું પણ આયોજન કરવામાં આવશે. અમદાવાદના ઈસ્કોન મંદિરમાં દર વર્ષની જેમ આ વખતે વિધિવત્ રીતે જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવાશે. ભગવાનના ગર્ભગૃહને દેશ-વિદેશના વિવિધ ફૂલોથી શણગારાશે. થાઇલેન્ડથી પાંચ અલગ-અલગ કલરના ઓર્ચિડ ફૂલ 3 વિવિધ પ્રકારના સાઉથ આફ્રિકાથી એન્થોરિયમ ફૂલ, કાર્નેશન, ડચ રોઝ, જિપ્સી, સેવંતી, રજનીગંધા, ડેઝી થઈને 900 કિલો ફૂલોનો ઉપયોગ કરાશે. આ ફૂલ દ્વારા ભગવાનના ગર્ભગૃહમાં મોર, શંખ, કમળ, ધનુષ વગેરે તૈયાર કરાશે. આ ઉપરાંત ભગવાનને 600થી વધુ વાનગી ધરાવાશે.જન્માષ્ટમીના બીજા દિવસે નંદ મહોત્સવના 10 હજાર લોકોના ભંડારા-પ્રસાદનું આયોજન કરાયું છે.
આઇસીઆઇસીઆઇ બેંક ગ્રાહકોના પ્રતિભાવ અને ચોતરફની આકરી ટીકા તથા વ્યાપક વિરોધના થોડા દિવસો પછી તેના ગ્રાહકો માટે લઘુત્તમ બેલેન્સની આવશ્યકતાઓમાં ફેરફાર જાહેર કર્યો છે.
મુંબઇ સમાચારે આ અંગેનો વિગતવાર અહેવાલ પ્રકાશિત કરવા સાથે મુંબઇ સમાચારની યુટ્યુબ ચેનલ પર ગ્રાહકોની નારાજગી અને વિરોધ દર્શાવતા સમાચાર વિશ્લેષણ પ્રસારિત કર્યું હતું.
ગ્રાહકોની અપેક્ષાઓ અને પસંદગીઓને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરવા માટે આઇસીઆઇસીઆઇ બૅન્કે લઘુત્તમ માસિક સરેરાશ બેલેન્સ ૫૦,૦૦૦ રૂપિયાથી ઘટાડીને ૧૫,૦૦૦ રૂપિયા નક્કી કર્યું છે.
બેંક બુધવારે બહાર પાડેલા નોટિફિકેશન અનુસાર સાઇઠ વર્ષથી ઓછી ઉંમરના પેન્શનરો અને પસંદગીની ૧,૨૦૦ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ લઘુત્તમ માસિક સરેરાશ બેલેન્સ જાળવવાની જરૂર નહીં રહેશે.
હવે નવાં ફોરફાર અનુસાર, મેટ્રો અને શહેરી સ્થળો માટે લઘુત્તમ બેલેન્સની આવશ્યકતા ૧૫,૦૦૦ રૂપિયા, અર્ધ-શહેરી સ્થળો માટે ૭,૫૦૦ રૂપિયા અને ગ્રામીણ સ્થળો માટે ૨,૫૦૦ રૂપિયા રહેશે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભારતના ચૂંટણી પંચ અને ભાજપ પર ચૂંટણી દરમિયાન ગેરરીતીના ગંભીર આરોપો લગાવ્યા છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના ડેટાને આધારે પ્રેઝન્ટેશન રજુ કરીને લોકસભા ચૂંટણી 2024માં “વોટ ચોરી”ના આરોપ લગાવ્યા હતાં. આ મામલે કાર્યવાહીની માંગ સાથે 25 વિપક્ષી દળોના 300 થી વધુ સાંસદો આજે સંસદ ભવનથી ચૂંટણી પંચ (ECI) ના હેડ ક્વાટર સુધી કૂચ કરશે, આ દરમિયાન બિહારમાં મતદાર યાદીમાં સુધારણાની પ્રક્રિયા અંગે પણ વિરોધ નોંધાવવામાં આવશે.
ચૂંટણી પંચનું કાર્યાલય સંસદ ભવનથી માત્ર 2 કિમીના અંતરે છે, દિલ્હી પોલીસ સાંસદોની કૂચને મંજૂરી આપી નથી. એવા પણ અહેવાલ છે પોલીસ મંજુરી સત્તરવાર અરજી પણ નથી કરવામાં આવી.
સાંસદો આજે સવારે સવારે 11.30 વાગ્યે સંસદના મકર દ્વારથી કુચ શરૂ કરશે, જેમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, TMC, DMK, AAP, ડાબેરી પક્ષો, RJD, NCP (SP), શિવસેના (UBT) અને નેશનલ કોન્ફરન્સ સહિત અન્ય વિપક્ષના દળોના સાંસદો જોડાશે.
વિપક્ષી દળોના ગઠબંધન INDIA બ્લોક દ્વારા આ માર્ચ કાઢવામાં આવી રહી છે. થોડા દિવસો અગાઉ AAPએ ગઠબંધનમાંથી બહાર નીકળવાની જહેરાત કરી હતી. છતાં AAP કોઈ પણ બેનર વિના જોડાય આ માર્ચમાં જોડાય તેવી શક્યતા છે.
કુચ દરમિયાન બિહાર મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અને કથિત “વોટ ચોરી” અંગે અંગ્રેજી, હિન્દી, તમિલ, બંગાળી અને મરાઠી ભાષામાં લખેલા પોસ્ટરો અને બેનરો બતાવવામાં આવશે અને નારા લગાવવામાં આવશે.
રવિવારે, કોંગ્રેસે નાગરિકો માટે વેબ પોર્ટલ શરૂ કર્યું હતું, જેની મદદથી ડિજિટલ મતદાર યાદીઓ બહાર પાડવા ચૂંટણી પંચને અપીલ કરી શકાય છે.
શ્રાવણ સુદ પૂનમ (નવમી ઓગસ્ટ, 2025)ના દિવસે એટલે કે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવાશે. આ વર્ષે પૂનમ તિથિ બપોરે 1: 24 વાગ્યા સુધી છે અને આ દિવસે રાખડી બાંધવા માટે કોઈ પણ પ્રકારનું ‘વિષ્ટિ બાધ્ય’ નથી, જે એક શુભ સંકેત છે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાના વચનને વ્યક્ત કરવા માટે આ દિવસ ખૂબ જ શુભ છે.
જ્યોતિષીઓના જણાવ્યાનુસાર, શનિવારે (નવમી ઓગસ્ટ) રાખડી બાંધવા માટેના અનેક શુભ મુહૂર્ત છે, જેથી દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ આ પર્વની ઉજવણી કરી શકે છે.
રક્ષાબંધનના દિવસે શુભ મુહૂર્ત
સવારનો સમય: 07:50થી 09:20 બપોરનો સમય: 12:50થી 05:40 સાંજનો સમય: 07:20થી 08:40 રાત્રિનો સમય: 10:05 થી 02:05 (મધ્યરાત્રિ પછી પણ)
આ સમય દરમિયાન બહેનો પોતાના ભાઈના કાંડા પર પ્રેમ અને રક્ષાનું પ્રતીક એવી રાખડી બાંધી શકે છે. ભાઈ પણ બહેનની રક્ષાનું વચન આપીને આ પવિત્ર સંબંધને વધુ મજબૂત બનાવશે. આ શુભ મુહૂર્તોનો લાભ લઈને દરેક ભાઈ-બહેન આ તહેવારને આનંદ અને ઉત્સાહથી ઉજવી શકે છે.
રક્ષાબંધન એટલે ફક્ત ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક જ નહીં, પરંતુ રક્ષા, વિશ્વાસ અને આશીર્વાદનું એક પ્રાચીન પર્વ. ગ્રંથો અને વિદ્વાનો દ્વારા મળતી માહિતી દર્શાવે છે કે આ તહેવારનું મૂળ ખૂબ ઊંડું છે. જ્યોતિષાચાર્ય ડો. હેમિલ પી. લાઠિયાના જણાવ્યા મુજબ, રક્ષાબંધન માત્ર બહેન દ્વારા ભાઈને જ નહીં, પરંતુ પત્ની, સખી કે પુરોહિત દ્વારા રાજાને પણ બાંધવામાં આવતું હતું. આ પર્વ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ ઘટનાઓ અને લોકવાયકાઓ જોઈએ.
દેવો અને દાનવો વચ્ચેના યુદ્ધમાં જ્યારે દેવોની સ્થિતિ નબળી પડી રહી હતી, ત્યારે દેવરાજ ઇન્દ્રએ દેવગુરુ બૃહસ્પતિ પાસે મદદ માંગી. ગુરુએ શ્રાવણ સુદ પૂનમના દિવસે એક રક્ષા સૂત્ર તૈયાર કરી આપ્યું. આ દિવસે, ઇન્દ્રની પત્ની શચીએ આ રક્ષા સૂત્ર ઇન્દ્રના કાંડા પર બાંધ્યું. આ રક્ષા સૂત્રના પ્રભાવથી યુદ્ધમાં દેવોની સ્થિતિ સુધરી અને તેઓ વિજયી થયા.
ત્રેતાયુગમાં પણ આ પરંપરા ચાલુ રહી. તે સમયે રાજાના પુરોહિત રાજાને રક્ષા સૂત્ર બાંધતા અને પ્રજા પણ પોતાના ગુરુ પાસે આશીર્વાદ રૂપે રક્ષા બંધાવતી હતી. દ્વાપરયુગમાં એક પ્રસંગ ખૂબ પ્રખ્યાત છે. એકવાર ભગવાન શ્રીકૃષ્ણને હાથમાં ઈજા થઈ હતી. ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો પાલવ ફાડીને તેમના હાથ પર બાંધ્યો હતો. આ બંધનનો બદલો ચૂકવવા માટે શ્રીકૃષ્ણે ચીરહરણ સમયે દ્રૌપદીની રક્ષા કરી હતી.
ઇતિહાસ અને કળિયુગની પરંપરા:
ઇતિહાસમાં પણ એક પ્રસંગ નોંધાયેલો છે. મેવાડની રાણીએ પોતાના રાજ્ય પર થયેલા આક્રમણ સમયે મુઘલ બાદશાહ હુમાયુ પાસે મદદ માંગી અને રક્ષા સૂત્ર મોકલીને તેમને ભાઈ બનાવ્યા હતા. હુમાયુએ પણ બહેનની રક્ષા કરવા માટે સૈન્ય મોકલી મદદ કરી હતી.
આધુનિક કળિયુગમાં આ પ્રથા ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને વિશ્વાસના પ્રતીક તરીકે ઓળખાય છે. બહેન પોતાના ભાઈની રક્ષા માટે રક્ષા સૂત્ર બાંધે છે અને ભાઈ આજીવન પોતાની બહેનની રક્ષા, સુખ અને સુવિધાનું ધ્યાન રાખવાની જવાબદારી નિભાવે છે. આમ, રક્ષાબંધન એ માત્ર એક દોરો નથી, પરંતુ સ્નેહ, શક્તિ અને સુરક્ષાના વચનનું પ્રતીક છે.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપવા માટે ‘ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-2019’ અંતર્ગત વર્ષ 2023 માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી હતી. આ નીતિ હેઠળ ગુજરાતી ફિલ્મોના કલાકારો અને કસબીઓને વિવિધ શ્રેણીઓમાં રોકડ પુરસ્કાર અને પારિતોષિકો એનાયત કરવામાં આવે છે.
46 કેટેગરીમાંથી 40 કેટેગરીમાં વિજેતાઓની પસંદગી
વર્ષ 2023 દરમિયાન સિનેમાગૃહોમાં પ્રદર્શિત થયેલી ફિલ્મો માટે કુલ 46 કેટેગરીમાંથી 40 કેટેગરીમાં વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર આગામી સમયમાં એક ભવ્ય સમારોહનું આયોજન કરી આ વિજેતા કલાકાર-કસબીઓને સન્માનિત કરશે અને રોકડ પુરસ્કાર તથા ટ્રોફી એનાયત કરશે. આ પારિતોષિકોનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને વધુ ગુણવત્તાયુક્ત ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેથી ગુજરાતી સિનેમાનો વ્યાપ વધે અને તેને રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે. આ સન્માન સમારોહમાં કલાકારો, દિગ્દર્શકો અને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે.
કઈ ફિલ્મને મળ્યું શ્રેષ્ઠ ફિલ્મનું સન્માન?
2023 માટેના ગુજરાતી ચલચિત્ર પારિતોષિકોમાં શ્રેષ્ઠ ચલચિત્ર માટેનો અવોર્ડ ફિલ્મ ‘કર્મ’ માટે નિર્માતા ચિન્મય પુરોહિત, નીરજ નાઈક અને સુબ્રમણ્યમ ઐયરને જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ દ્વિતીય શ્રેષ્ઠ ચલચિત્રનો એવોર્ડ ફિલ્મ ‘માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ’ માટે નિર્માતા અને દિગ્દર્શક જશવંત ગાંગાણીને જાહેર કરવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર માટેનો અવોર્ડ ફિલ્મ ‘શુભયાત્રા’ માટે નિર્માતા અને દિગ્દર્શક મનીષ સૈનીને જાહેર કરવામાં આવ્યો હતો.
કોને શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રીનું સન્માન
શ્રેષ્ઠ દિગ્દર્શનનો અવોર્ડ ફિલ્મ ‘સંબંધોમાં ખાલી જગ્યા’ માટે જયેશ ત્રિવેદીને, શ્રેષ્ઠ અભિનેતાનો અવોર્ડ ફિલ્મ ‘કર્મ’ માટે ચેતનકુમાર ધાનાનીને, શ્રેષ્ઠ અભિનેત્રીનો અવોર્ડ ફિલ્મ ‘કર્મ’ માટે બ્રિન્દા ત્રિવેદીને, શ્રેષ્ઠ બાળ કલાકાર માટેનો એવોર્ડ ફિલ્મ ‘માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ’ માટે વિશાલ ઠકકર, શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકનો એવોર્ડ ગીત ‘આવજો આવજો’ માટે ઉમેશ બારોટ તેમ જ શ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકાનો અવોર્ડ ગીત ‘હું અને તું’ માટે મધુબંતી બાગચીને જાહેર કરવામાં આવ્યો હતો.
શ્રેષ્ઠ બાળ ચલચિત્રનો અવોર્ડ ‘નિક્કી’ ફિલ્મ માટે જાહેર
મહિલા સશક્તિકરણ અંગેનું શ્રેષ્ઠ ચલચિત્ર માટેનો અવોર્ડ ફિલ્મ ‘નિક્કી’ માટે નિર્માતા અને દિગ્દર્શક રૂપાંગ આચાર્ય, તે ઉપરાંત શ્રેષ્ઠ બાળ ચલચિત્રનો એવોર્ડ પણ રૂપાંગ આચાર્યને ‘નિક્કી’ ફિલ્મ માટે જાહેર કરવામાં આવ્યો હતો. દ્વિતીય શ્રેષ્ઠ બાળ ચલચિત્રનો એવોર્ડ ફિલ્મ ‘મસ્તીની પાઠશાળા’ માટે નિર્માતા વિપુલ શાહ તેમજ દિગ્દર્શક સુનીલ વાઘેલાને જાહેર કરવામાં આવ્યો હતો.
અમેરિકાએ ગઈકાલે ભારત માટે ટેરિફમાં વધુ 25 ટકાનો વધારો ઝીંક્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પ આગળ ઝૂકવાનો ઈનકાર કર્યો છે. વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિતમાં મોટું નિવેદન આપ્યું છે કે, અમારા માટે ખેડૂતોના હિતોની રક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરે.
નવી દિલ્હી ખાતે એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતાં PM મોદીએ કહ્યું કે, સરકાર ખેડૂતોની આવક વધારવા અને ખેતી પર ખર્ચ ઘટાડવા પર કામ કરી રહી છે. અમે ખેડૂતોના હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરીએ. તેના માટે મોટી કિંમત ચૂકવવી પડે તો પણ તૈયાર છીએ. ભારત તેના માટે તૈયાર છે. દેશમાં સોયાબીન, સરસવ, મગફળીનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે વધ્યું છે.
ટ્રમ્પે 7/8/25 ભારત પર ટેરિફમાં વધુ 25 ટકાનો વધારો કર્યો હતો. આ સાથે અમેરિકા હવે ભારત પાસેથી કુલ 50 ટકા રેસિપ્રોકલ ટેરિફ વસૂલશે. ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ ગણાવતાં તેમજ રશિયા સાથે વેપાર સંબંધો ચાલુ રાખવા બદલ આ પગલું લીધુ હોવાનું જણાવ્યું છે. બીજી બાજુ બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર મંત્રણામાં નડતર રૂપ અમેરિકાની માગ સામે ભારતને ઝૂકવા દબાણ કરવાનો પ્રયાસ પણ માનવામાં આવી રહ્યો છે. અમેરિકાએ પોતાના કૃષિ-ડેરી બજાર માટે તકો ખુલ્લી મુકવા માગ કરી છે. જો કે, કૃષિ અને ડેરી ક્ષેત્રે ટોચનું માર્કેટ ધરાવતુ ભારત આ માગ સ્વીકારવા તૈયાર નથી.
વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે, અમે ખેડૂતોની આવક વધારવા, ખેતી ખર્ચ ઘટાડવા તેમજ આવકના નવો સ્રોત ઉભા કરવાના લક્ષ્યાંક પર કામ કરી રહ્યા છીએ. અમારી સરકારે ખેડૂતોની તાકાતને દેશની પ્રગતિનો આધાર માન્યો છે. આથી છેલ્લા કેટલાક વર્ષોમાં જે નીતિઓ ઘડવામાં આવી છે, તે માત્ર મદદ પૂરતી નહીં, પરંતુ ખેડૂતોની આવકમાં વધારો કરવાનો પ્રયાસ પણ હતો. પીએમ સન્માન નીધિથી મળતી સહાયતા નાના ખેડૂતોને આત્મબળ આપે છે. પીએમ ફસલ બીમા યોજનાએ ખેડૂતોને જોખમો સામે રક્ષણ પૂરુ પાડ્યું છે. સિંચાઈ સંબંધિત સમસ્યાઓ પીએમ કૃષિ સિંચાઈ યોજનાના માધ્યમથી દૂર થાય. નાના ખેડૂતોની સંગઠિત શક્તિ વધી છે. કો-ઓપરેટિવ અને સેલ્ફ હેલ્પ ગ્રૂપને આર્થિક મદદ પ્રદાન કરવામાં આવી છે. પીએમ કિસાન સંપદા યોજનાએ નવા ફૂડ પ્રોસેસિંગ યુનિટ અને સંગ્રહને વેગ આપ્યો છે.
भारत किसी भी कीमत पर अपने किसान, पशुपालक और मछुआरा भाई-बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। pic.twitter.com/8nyKgliTwv
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની આજે પૂર્ણ થયેલી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીને ધ્યાનમાં લેતાં રેપો રેટ 5.5 ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.
આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, વર્તમાન મેક્રોઈકોનોમિક સ્થિતિ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતાં રેપો રેટ 5.5 ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. ક્રેડિટ બજારો અને વ્યાપક અર્થતંત્રે રેટ કટ માટે વધુ રાહ જોવી પડશે. ગવર્નરે ઉમેર્યું કે મધ્યમ ગાળામાં, બદલાતી વિશ્વ વ્યવસ્થા વચ્ચે ભારતીય અર્થતંત્ર તેની વારસાગત શક્તિ, મજબૂત મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત ઉજ્જવળ સંભાવનાઓ ધરાવે છે.
નિષ્ણાતોના મતે, છેલ્લી ત્રણ એમપીસી બેઠકમાં રેપો રેટ ઘટાડ્યા બાદ આરબીઆઈએ આ વખતે રેપો રેટ જાળવી રાખતાં લોનધારકો અને ડિપોઝિટર્સને રાહત આપી છે. તેમજ તહેવારોની શરૂ થઈ રહેલી સીઝનમાં વપરાશમાં વૃદ્ધિ થવાની સાથે આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે. ઉલ્લેખનીય છે, ફેબ્રુઆરી જૂન દરમિયાન આરબીઆઈએ રેપો રેટમાં 100 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો.
આરબીઆઈએ નાણાકીય વર્ષ 26 માટે GDP ગ્રોથ અંદાજ 6.5 ટકા જાળવી રાખ્યો હતો. CPI ફુગાવો અગાઉના અંદાજિત 3.7 ટકાથી ઘટાડી 3.1 ટકા કરવામાં આવ્યો હતો. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે એમપીસી પેનલે નોંધ્યું છે કે નજીકના ગાળામાં ફુગાવાનો અંદાજ અપેક્ષા કરતા વધુ રાહત આપનારો બન્યો છે અને આ વર્ષે ખાદ્ય ચીજોમાં મોંઘવારી ઘટતાં સરેરાશ CPI ફુગાવો લક્ષ્ય કરતાં નોંધપાત્ર રીતે નીચો રહેવાની અપેક્ષા છે. જો કે, CPI ફુગાવો Q4થી 4 ટકાના લક્ષ્યથી વધવાની શક્યતા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.