CIA ALERT

ગુજરાત Archives - Page 93 of 158 - CIA Live

February 11, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5940

એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારોના જીએસટી સ્ટાફ દ્વારા વેપારીઓ અને પ્રેક્ટીશ્નરો પર જીએસટી રિટર્ન ફાઇલિંગના મુદ્દે યેનકેન પ્રકારે દબાણ કરવામાં આવી રહ્યા છે, કાયદાની બીક બતાવવામાં આવી રહી છે તો બીજી તરફ જીએસટી પોર્ટલના એટલા ધાંધીયા છે કે પ્રમાણિકતાથી રિટર્ન ફાઇલ કરવા ઇચ્છતા વેપારીઓ, ટેક્સ કન્સલ્ટન્ટસ રીટર્ન ફાઇલ કરી શક્તા નથી. જીએસટી પોર્ટલનું ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું નબળું છે કે વારેઘડીયએ ખોટકાઇ રહ્યું છે. જીએસટી પોર્ટલના ધાંધીયા સામે તા.12મી ફેબ્રુઆરીને બુધવારે ગુજરાતના ટેક્સ પ્રેક્ટીશ્નર્સ રાજ્યવ્યાપી હડતાળ પાડશે.

GST અમલી બન્યો છે ત્યારથી જ પોર્ટલ ક્ષતિરહિત બનાવવા માટે રજૂઆતો થઇ રહી છે તેમ છતાં ડિપાર્ટમેન્ટ દ્વારા કોઇ જ સુધારો નહીં કરતાં વિવિધ ટેક્સ પ્રેક્ટિશનર્સ સંગઠનોની બનેલી એક્શન કમિટીએ આગામી તા. ૧૨મી ફેબ્રુઆરીએ હડતાળ પાડી કામકાજથી અળગા રહેવાની જાહેરાત કરી છે.

GST કમિશનર તથા તમામ જિલ્લા કલેક્ટરને આ બાબતે સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે તેમ સેલ્સ ટેક્સ બાર એસો.ના ઉર્વિશ પટેલે જણાવ્યું હતું. 

ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસો., ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ, ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ વેસ્ટ ઝોન, નેશનલ એક્શન કમિટી, ઇનકમ ટેક્સ બાર એસો., ટેક્સ એડવોકેટસ એસો. તથા ગુજરાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસો. અમદાવાદના હોદ્દાદારોએ સાથે મળીને આ મુદ્દે તા. ૧૨મીએ હડતાળ પાડવાની જાહેરાત કરી છે.

તેમની માંગણી છે કે જ્યાં સુધી પોર્ટલ ક્ષતિ રહિત ન બને ત્યાં સુધી ડિપાર્ટમેન્ટ કોઇ જ વેપારી પાસેથી દંડ ઉઘરાવે નહીં. જો હડતાળથી કોઇ પરિણામ નહીં આવે તો આગામી ૧૮મી તારીખે મૌન રેલી અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે. 

February 10, 2020
Fake-currency-india.jpg
1min5830

જિલ્લાના નડિયાદ શહેરના પશ્ર્ચિમ વિસ્તારમાં એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા રૂ. ૫૦૦ ના દરની ડુપ્લિકેટ નોટ છાપતાં ત્રણ લોકોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ. ૧૭,૬૬,૫૦૦ ની કિંમતની બનાવટી નોટો કબજે કરી હતી. આ શખસોએ ઉત્તરાયણ દરમિયાન બેજ દિવસમાં ૧૭ લાખથી વધુની ૩૫૩૩ બનાવટી નોટો છાપી હતી.

આરોપીઓએ નોટ છાપવાનો પ્લાન બનાવ્યા બાદ, ઘરમાં નોટ કેવી રીતે છાપવી તેનું જ્ઞાન વેબસાઈડ પરથી મેળવ્યું હતું. ચલણી નોટ પ્રિન્ટ થયા બાદ તેને કાપવા માટે આરોપીઓ કાચ અને કટરનો ઉપયોગ કરતાં હતા. ફૂટપટ્ટીની મદદથી નોટ કાપીને તેની થપ્પી તૈયાર કરતા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ખેડા જિલ્લાના નડિયાદના પશ્ર્ચિમ વિસ્તારમાં પવનચક્કી રોડ ઉપર આવેલા એક મકાન પર પોલીસે છાપો મારીને ત્યાં બનાવટી ચલણી નોટ છાપતાં રાજુ પરમાર અને શૈલેન્દ્રસિંહ પરમારને ઝડપી પાડ્યા હતા. પોલીસે મકાનમાં એક થેલામાંથી રૂ. ૫૦૦ના દરની કુલ ૧૯૭૦ બનાવટી નોટો કિંમત રૂ. ૯,૭૦,૦૦૦ ની જપ્ત કરી હતી. પૂછપરછમાં તેમણે બાકીની નોટ બાપાજીનગર ખાતે રહેતા વાસુદેવભાઇ ભીમાણીના ઘરે મૂકી દીધી હોવાની કબૂલાત કરતાં, પોલીસે વાસુદેવભાઇના ઘરે તપાસ કરીને ત્યાંથી કુલ ૧૫૯૩ બનાવટી ચલણી નોટ કિંમત રૂ. ૭,૯૬,૫૦૦ની કબજે લીધી હતી. આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી હતી કે, વાસુદેવભાઇ ભીમાણી સાથે તેમને પૈસાની લેતી-દેતી બાબતે તકરાર ચાલતી હોવાથી તેમને ફસાવવા માટે કિંમત રૂ. ૭,૯૬,૫૦૦ ની ૧૫૯૩ બનાવટી નોટો તેમના વરંડામાં મૂકી હતી.

February 8, 2020
1min5590

ગુજરાતમાં બહારના રાજ્યમાંથી દૂધના ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખસને રૂ. ૧૫ લાખના દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. રાજસ્થાનના ભાટીપ ગામના વરધારામ બીસનોઇ દૂધના ટેન્કરમાં ચોરખાનું બનાવી ૧૫ લાખનો દારૂ છૂપાવી રાજકોટ આવી રહ્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે નવા ૧૫૦ ફૂટ રીંગરોડ પર આવેલા કટારીયા ચોકડીથી વાવડી તરફ જતા રોડ પરથી વિદેશી દારૂની ૫૮૩૨ બોટલ, જેની કિંમત ૧૫ લાખ, એક મોબાઇલ સહિત કુલ ૩૦,૭૪,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

February 7, 2020
coronavirus.jpg
1min5460

સમગ્ર વિશ્વને ભરડામાં લઇ રહેલા કોરોના વાઇરસની ભારતમાં ચકાસણી માટે હાલમાં કોરોના વાઇરસના ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી મોકલવામાં આવે છે. પણ હવે અમદાવાદના બી. જે. મેડિકલ કૉલેજમાં જ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અમદાવાદ બી. જે. મેડિકલ કોલેજમાં કોરોના વાઇરસને લઈ ટેસ્ટિંગ લેબ પણ ઊભી કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે ભારતના તમામ ઍરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓના સ્ક્રીનિંગ માટે શું વ્યવસ્થા કરી છે તેની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ મોકલી હતી. અમદાવાદમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે ઍરપોર્ટ પર તબીબી સુવિધા ચકાસી સંતોષ વ્યક્ત કર્યો હતો.

કોરોના વાઇરસનો ટેસ્ટ કરી શકાય તે માટે ટૂંક સમયમાં અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજમાં બ્લડ સેમ્પલના ટેસ્ટિંગની સુવિધા ઊભી કરાશે. ટેસ્ટ માટે જરૂરી કીટ ઉપલ્બ્ધ કરવામાં આવશે, જેના કારણે હવે પછી કોરોના વાઇરસના ટેસ્ટ માટે બ્લડનું સેમ્પલ પુણે મોકલવાની જરૂર નહીં પડે.

February 5, 2020
gujarateducation.jpg
1min6720

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે સેન્ટ્રલ બોર્ડની શાળાઓની માફક શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ તાકીદે શાળાઓ શરૂ કરી દેવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ચાલુવર્ષ ૨૦૨૦-૨૧થી નવું શૈક્ષણિક વર્ષ તા.૨૦મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે. જ્યારે ઉનાળુ વેકેશન તા.૪થી મેથી લઇને તા.૭મી જૂન સુધી યથાવત રાખવામાં આવશે. એટલે કે હવે એપ્રિલ માસના પ્રથમ સપ્તાહથી જ નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરી દેવામાં આવશે. 

બોર્ડ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે ચાલુ વર્ષ અને હવે પછીના તમામ શૈક્ષણિક વર્ષોમાં એપ્રિલના પ્રથમ સપ્તાહથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાનુ રહેશે. મે માસના પ્રથમ સપ્તાહથી લઇને જૂન માસના પ્રથમ સપ્તાહના અંત સુધી એટલે કે પાંચ સપ્તાહનુ વેકેશન યથાવત રાખવાનુ રહેશે. આ પ્રમાણેના દિવસોને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓને વ્યવસ્થા કરવા સૂચના આપી દેવામાં આવી છે. પરીક્ષા પૂરી થયા બાદ એપ્રિલમાં શરૂ થનારુ શૈક્ષણિક સત્ર પછીના વર્ષમાં માર્ચ માસ સુધી રહે તે પ્રમાણે કામગીરી કરવાની રહેશે.

February 5, 2020
trains.jpg
1min6280

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવા પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈથી ગુજરાત જતી અને આવતી ટ્રેનોમાં થોડા સમય માટે વધારાના એસી કોચ, ચૅરકાર અને સ્લીપર કોચ જોડવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલવે દ્વારા જુદી જુદી ૩૬ જેટલી જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપથી વધારાના કોચ જોડવામાં આવ્યા છે, જેમાં બાંદરા ટર્મિનસ, દાદર અને મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ભાવનગર એક્સપ્રેસ, પાલિતાણા સુપરફાસ્ટ, ભુજ સયાજીનગરી એક્સપ્રેસ, જામનગર એક્સપ્રેસ, ભુજ કચ્છ એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેનમાં વધારાના કોચની સુવિધા ઊભી કરાઈ છે.

બાંદરા ટર્મિનસ – પાલિતાણા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ ઉમેરવામાં આવશે. આ સુવિધા તા.૭ ફેબ્રુઆરીથી તા.૨૮ ફેબ્રુઆરી સુધી અને પાલિતાણાથી આ સુવિધા તા. ૮ ફેબ્રુઆરીથી તા.૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.

દાદર–ભુજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી થ્રી ટિયર કોચ ઉમેરવામાં આવ્યો છે. આ વધારાના કોચની સુવિધા દાદરથી શરૂ થઈ છે જે તા.૧ માર્ચ સુધી તથા ભુજથી મુંબઈ આવતા તા. ૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.

બાંદરા ટર્મિનસ–ભુજ કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી થ્રી ટિયર કોચ ઉમેવામાં આવ્યો છે. બાંદરાથી તેની શરૂઆત થઈ છે અને તા.૧ માર્ચ સુધી તથા ભુજથી બાંદરા આવતા આ સુવિધા તા. ૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.

બાંદરા ટર્મિનસ–ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ રહેશે. આ વધારાના કોચની સુવિધા બાંદરાથી તા. ૪ ફેબ્રુઆરીથી તા. ૩ માર્ચ સુધી રહેશે. જ્યારે ભાવનગરથી બાંદરા માટે આ સુવિધા શરૂ કરી છે જે તા. ૨૯ ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે.

બાંદરા ટર્મિનસથી જામનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ ઉમેરવામાં આવ્યો છે. જેની સુવિધા તા. ૧ માર્ચ સુધી મળશે. જામનગરથી બાંદરા જવા માટે ગઈ કાલથી આ સુવિધા શરૂ થઈ છે જે તા.૨ માર્ચ સુધી મળશે.

બાંદરા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી ટુ ટિયર અને એક એસી થ્રી ટિયર કોચ ઉમેરવામાં આવશે. જેની સુવિધા શરૂ થઈ છે અને તે તા.૨૮ ફેબ્રુઆરી સુધી મળશે. જ્યારે ભુજથી બાંદરા આવતા આ સુવિધા ગઈ કાલથી શરૂ કરી છે અને તા. ૨૯ ફેબ્રુઆરી સુધી વધારાનો કોચ મુસાફરોને ઉપલબ્ધ રહેશે.

મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી ચૅરકાર કોચ ગઈ કાલથી ઉમેરવામાં આવ્યો છે. જે તા.૨૯ ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે. વડોદરાથી મુંબઈ આવતા આ સુવિધા તા.૨૯ ફેબ્રુઆરી સુધી મળશે.

February 1, 2020
DICGC.jpg
1min5350

PMC બેંકના સંકટને જોતા ડિપોઝિટ કવરને વધારે કરવાથી બેંક ખાતા ધારકોને મોટી રાહત મળી છે. આ મામલે નાણામંત્રીએ ઉમ્મીદ કરતા વધારે આપ્યું. હવે બેંકમાં તમારી સુરક્ષિત રકમ 1 લાખથી વધીને 5 લાખ રૂપિયા હશે.

અત્યાર સુધી DICGC એક્ટ 1961 અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની જમા રકમ પર ઈન્શ્યોરન્સ કવર છે અને જો બેંક ડૂબી જાય તો આ લિમિટથી આગળની જમા રકમ પાછી મળવાની ગેરેન્ટી નથી. આ વળતર નક્કી કરાયું તેને 25 વર્ષથી વધારે સમય થઈ ચૂક્યો છે.

બજેટમાં સરકારે તમારા બેંકની ડિપોઝિટને લઈને મોટી જાહેરાત કરી છે. બેંકમાં જમા રકમ પર તમને હવે 5 લાખ રૂપિયા સુધીની ગેરેન્ટી મળશે. એટલે કે બેંકમાં તમારા 5 લાખ રૂપિયા બિલકુલ સેફ રહેશે. બેંકોમાં પૈસા જમા કરાવનારા લોકો માટે ઈન્શ્યોરન્સ કવર 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવાયું છે. જો બેંક ડૂબશે તો તમારી 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ તમને પાછી મળી જશે.

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક (PMC) સાથે જોડાયેલા મામલામાં સરકાર અને RBIને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં PMC બેંકનું કામકાજ બંધ થઈ ગયું. જેનાથી હજારો ગ્રાહકોના પૈસા ફસાઈ ગયા હતા.

ડિપોઝિટ કવર વધારવાનો મુદ્દો ફાઈનાન્શિયલ રિઝોલ્યૂશન એન્ડ ડિપોઝિટ ઈન્શ્યોરન્સ બિલ સમક્ષ ઉઠ્યો હતો, જે પાછલી સરકારે 2017માં રજૂ કર્યો હતો. જોકે આગામી વર્ષે બિલ સંસદમાંથી પાછું લઈ લેવાયું. ક્રોસ કન્ટ્રી ડિપોઝિટ ઈન્શ્યોરન્સ કવરેજ લિમિટના ડેટાથી માલુમ પડે છે કે ભારતમાં ડિપોઝિટ ઈન્શ્યોરન્સ કવરેજ 1508 ડોલર છે, જ્યારે અમેરિકામાં આ 250,000 ડોલર્સ અને બ્રિટનમાં 111,143 ડોલર છે.

બજેટમાં ડિપોઝિટ ઈન્શ્યોરન્સ વધારવાની જાહેરાત બાદ બેંકબાજાર ડોટ કોમના સીઈઓ આદિલ શેટ્ટીએ તેનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું, આ ડિપોઝિટર સેન્ટીમેન્ટને બૂસ્ટ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ જાહેરાતથી ખાસ કરીને સીનિયર સીટિઝન્સને ફાયદો મળશે, જે ઘડપણમાં ડિપોઝિટના વ્યાજ પર નિર્ભર રહે છે.

February 1, 2020
banking_strike.jpg
1min4690

વેતન સુધારણાની માગ સાથે આજથી શરૂ થયેલી બે દિવસીય બેન્ક હડતાલમાં દેશભરમાં કરોડો રૂપિયાનાં વ્યવહારો ખોરવાયા હતાં.

મુંબઈ, ચેન્નઈ અને દિલ્હીની ક્લિયરિંગ ગ્રીડમાં કુલ મળીને 23000 કરોડ રૂપિયાનાં 31 લાખ ચેક તા.31મી જાન્યુઆરી 2020ના રોજની હડતાલનાં કારણે ક્લિયર થઈ શક્યા નહોતાં.’

ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસો.(એઆઈબીઈએ)નાં મહામંત્રી સી.એચ.વેંકટચલમનાં જણાવ્યા પ્રમાણે દેશભરમાંથી મળી રહેલા અહેવાલ અનુસાર તામિળનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણ, પશ્ચિમબંગાળ, યુપી, એમપી, પંજાબ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, કેરળ અને બિહાર જેવા મુખ્ય રાજ્યો સહિતનાં દેશમાં બેન્કની કામગીરી વ્યાપકપણ ખોરવાઈ છે.

નવ બેન્ક કર્મચારી સંગઠનનાં મહામંડળ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (યુએફબીયુ) દ્વારા આજે સંસદમાં આર્થિક સર્વે અને આજરોજ તા.1લી ફેબ્રુઆરી 2020ને શનિવારે ભારતીય સંસદમાં બજેટ રજૂ થવાનું છે ત્યારે આ હડતાલ કમનસીબ બાબત છે.

વેતનવૃદ્ધિ મુદ્દે સરકાર સાથે વાટાઘાટમાં માગણીઓનો કોઈ ઉકેલ નહીં આવતાં આ હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. હજી આજે શનિવાર તા.1લી ફેબ્રુઆરીએ પણ બેન્કો બંધ રહેશે અને પછી રવિવાર હોવાથી બેન્ક રજા રહેશે. આમ હવે આજથી એટીએમનાં વ્યવહારોમાં પણ હડતાલની વિપરિત અસરો વર્તાવા લાગે તેવી આશંકા છે.

February 1, 2020
neet-pg-2019.jpg
1min5200

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (એનબીઈ) દ્વારા પાચમી જાન્યુઆરીએ પીજી મેડિકલ નીટ ૨૦૨૦ પરીક્ષા લેવામા આવી હતી. જેમાં ગુજરાતમાંથી પીજી નીટ આપનારા ૭૦૯૭ વિદ્યાર્થીઓમાંથી ૪૩૨૪ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ક્વોલિફાય થયા છે. પરિણામ Date 30 Januarty 2020 ગુરુવારે સાંજે જાહેર કર્યુ છે.

ગુજરાતમાં આશરે ૨૧૦૦ જેટલી પીજી મેડિકલની બેઠકો છે. આ બેઠકો પર રાજ્યની એમબીબીએસ કોલેજોમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા ઈચ્છુક છે. એનબીઈએ પાચમી જાન્યુઆરીએ નીટની પરીક્ષા લીધી હતી જેમાં દેશભરમાંથી ૧,૬૦,૮૮૮ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતા. અને ૮૯,૫૪૯ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ક્વોલિફાય થયા છે.

February 1, 2020
onion.jpg
1min5290

દેશમાં ડુંગળીના ભાવ ભડકે બળતા હતા ત્યારે ભારત સરકારે આયાત કરેલી હજારો ટન ડુંગળી મુંબઇ બંદરે ખડકાઇ છે. હવે આ ડુંગળીના નિકાલ માટેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ડુંગળીનો મોટો જથ્થો ઠલવાય તેવી તૈયારી થઈ રહી છે.

મુંબઈ બંદરે ગુજરાત માટેની ડુંગળીનો જથ્થો લાંબા સમયથી આવી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રએ તે જથ્થો ઉપાડીને ગુજરાતમાં લઈ જવાની તાકીદ કરતા તે અંગેનો વહીવટી સળવળાટ શરૂ થયો છે. રાજ્યના અધિકારીઓ એક-બે દિવસમાં ડુંગળીની ચકાસણી કરવા મુંબઈ બંદરે જશે. જો ડુંગળી યોગ્ય સ્થિતિમાં હશે તો તુર્ત જ ગુજરાતમાં લાવવાની કાર્યવાહી થશે. જો કે, બગડેલી કે નબળી પડી ગયેલી ડુંગળી રાજ્ય સરકાર સંભાળવા માંગતી નથી. નાફેડ તરફથી રૂ. ૧૦ની કિલો લેખે ૨૦૦૦ મેટ્રિક ટન ડુંગળી ગુજરાત માટે તુર્કીથી મંગાવવામાં આવી છે.