ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે સેન્ટ્રલ બોર્ડની શાળાઓની માફક શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ તાકીદે શાળાઓ શરૂ કરી દેવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ચાલુવર્ષ ૨૦૨૦-૨૧થી નવું શૈક્ષણિક વર્ષ તા.૨૦મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે. જ્યારે ઉનાળુ વેકેશન તા.૪થી મેથી લઇને તા.૭મી જૂન સુધી યથાવત રાખવામાં આવશે. એટલે કે હવે એપ્રિલ માસના પ્રથમ સપ્તાહથી જ નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરી દેવામાં આવશે.
બોર્ડ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે ચાલુ વર્ષ અને હવે પછીના તમામ શૈક્ષણિક વર્ષોમાં એપ્રિલના પ્રથમ સપ્તાહથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાનુ રહેશે. મે માસના પ્રથમ સપ્તાહથી લઇને જૂન માસના પ્રથમ સપ્તાહના અંત સુધી એટલે કે પાંચ સપ્તાહનુ વેકેશન યથાવત રાખવાનુ રહેશે. આ પ્રમાણેના દિવસોને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓને વ્યવસ્થા કરવા સૂચના આપી દેવામાં આવી છે. પરીક્ષા પૂરી થયા બાદ એપ્રિલમાં શરૂ થનારુ શૈક્ષણિક સત્ર પછીના વર્ષમાં માર્ચ માસ સુધી રહે તે પ્રમાણે કામગીરી કરવાની રહેશે.
હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવા પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈથી ગુજરાત જતી અને આવતી ટ્રેનોમાં થોડા સમય માટે વધારાના એસી કોચ, ચૅરકાર અને સ્લીપર કોચ જોડવામાં આવ્યા છે.
પશ્ચિમ રેલવે દ્વારા જુદી જુદી ૩૬ જેટલી જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપથી વધારાના કોચ જોડવામાં આવ્યા છે, જેમાં બાંદરા ટર્મિનસ, દાદર અને મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ભાવનગર એક્સપ્રેસ, પાલિતાણા સુપરફાસ્ટ, ભુજ સયાજીનગરી એક્સપ્રેસ, જામનગર એક્સપ્રેસ, ભુજ કચ્છ એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેનમાં વધારાના કોચની સુવિધા ઊભી કરાઈ છે.
બાંદરા ટર્મિનસ – પાલિતાણા સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ ઉમેરવામાં આવશે. આ સુવિધા તા.૭ ફેબ્રુઆરીથી તા.૨૮ ફેબ્રુઆરી સુધી અને પાલિતાણાથી આ સુવિધા તા. ૮ ફેબ્રુઆરીથી તા.૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.
દાદર–ભુજ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી થ્રી ટિયર કોચ ઉમેરવામાં આવ્યો છે. આ વધારાના કોચની સુવિધા દાદરથી શરૂ થઈ છે જે તા.૧ માર્ચ સુધી તથા ભુજથી મુંબઈ આવતા તા. ૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.
બાંદરા ટર્મિનસ–ભુજ કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી થ્રી ટિયર કોચ ઉમેવામાં આવ્યો છે. બાંદરાથી તેની શરૂઆત થઈ છે અને તા.૧ માર્ચ સુધી તથા ભુજથી બાંદરા આવતા આ સુવિધા તા. ૨૯ ફેબ્રુઆરી સુધી રહેશે.
બાંદરા ટર્મિનસ–ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ રહેશે. આ વધારાના કોચની સુવિધા બાંદરાથી તા. ૪ ફેબ્રુઆરીથી તા. ૩ માર્ચ સુધી રહેશે. જ્યારે ભાવનગરથી બાંદરા માટે આ સુવિધા શરૂ કરી છે જે તા. ૨૯ ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે.
બાંદરા ટર્મિનસથી જામનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો સ્લીપિંગ કોચ ઉમેરવામાં આવ્યો છે. જેની સુવિધા તા. ૧ માર્ચ સુધી મળશે. જામનગરથી બાંદરા જવા માટે ગઈ કાલથી આ સુવિધા શરૂ થઈ છે જે તા.૨ માર્ચ સુધી મળશે.
બાંદરા ટર્મિનસ–ભુજ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી ટુ ટિયર અને એક એસી થ્રી ટિયર કોચ ઉમેરવામાં આવશે. જેની સુવિધા શરૂ થઈ છે અને તે તા.૨૮ ફેબ્રુઆરી સુધી મળશે. જ્યારે ભુજથી બાંદરા આવતા આ સુવિધા ગઈ કાલથી શરૂ કરી છે અને તા. ૨૯ ફેબ્રુઆરી સુધી વધારાનો કોચ મુસાફરોને ઉપલબ્ધ રહેશે.
મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો એસી ચૅરકાર કોચ ગઈ કાલથી ઉમેરવામાં આવ્યો છે. જે તા.૨૯ ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ રહેશે. વડોદરાથી મુંબઈ આવતા આ સુવિધા તા.૨૯ ફેબ્રુઆરી સુધી મળશે.
PMC બેંકના સંકટને જોતા ડિપોઝિટ કવરને વધારે કરવાથી બેંક ખાતા ધારકોને
મોટી રાહત મળી છે. આ મામલે નાણામંત્રીએ ઉમ્મીદ કરતા વધારે આપ્યું. હવે બેંકમાં
તમારી સુરક્ષિત રકમ 1 લાખથી વધીને 5 લાખ રૂપિયા હશે.
અત્યાર સુધી DICGC એક્ટ 1961 અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની જમા રકમ પર ઈન્શ્યોરન્સ કવર છે અને
જો બેંક ડૂબી જાય તો આ લિમિટથી આગળની જમા રકમ પાછી મળવાની ગેરેન્ટી નથી. આ વળતર
નક્કી કરાયું તેને 25 વર્ષથી વધારે સમય થઈ ચૂક્યો છે.
બજેટમાં સરકારે તમારા બેંકની ડિપોઝિટને
લઈને મોટી જાહેરાત કરી છે. બેંકમાં જમા રકમ પર તમને હવે 5 લાખ રૂપિયા સુધીની ગેરેન્ટી મળશે. એટલે કે બેંકમાં તમારા 5 લાખ રૂપિયા બિલકુલ સેફ રહેશે. બેંકોમાં પૈસા જમા કરાવનારા લોકો
માટે ઈન્શ્યોરન્સ કવર 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવાયું છે. જો બેંક
ડૂબશે તો તમારી 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ તમને પાછી મળી જશે.
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક (PMC) સાથે જોડાયેલા મામલામાં સરકાર અને RBIને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં PMC બેંકનું કામકાજ બંધ થઈ ગયું. જેનાથી હજારો ગ્રાહકોના પૈસા ફસાઈ ગયા
હતા.
ડિપોઝિટ કવર વધારવાનો મુદ્દો ફાઈનાન્શિયલ
રિઝોલ્યૂશન એન્ડ ડિપોઝિટ ઈન્શ્યોરન્સ બિલ સમક્ષ ઉઠ્યો હતો, જે પાછલી સરકારે 2017માં રજૂ કર્યો હતો. જોકે આગામી વર્ષે બિલ
સંસદમાંથી પાછું લઈ લેવાયું. ક્રોસ કન્ટ્રી ડિપોઝિટ ઈન્શ્યોરન્સ કવરેજ લિમિટના
ડેટાથી માલુમ પડે છે કે ભારતમાં ડિપોઝિટ ઈન્શ્યોરન્સ કવરેજ 1508 ડોલર છે, જ્યારે અમેરિકામાં આ 250,000
ડોલર્સ અને
બ્રિટનમાં 111,143 ડોલર છે.
બજેટમાં ડિપોઝિટ ઈન્શ્યોરન્સ વધારવાની
જાહેરાત બાદ બેંકબાજાર ડોટ કોમના સીઈઓ આદિલ શેટ્ટીએ તેનું સ્વાગત કર્યું. તેમણે
કહ્યું, આ ડિપોઝિટર સેન્ટીમેન્ટને બૂસ્ટ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું
છે. આ જાહેરાતથી ખાસ કરીને સીનિયર સીટિઝન્સને ફાયદો મળશે, જે ઘડપણમાં ડિપોઝિટના વ્યાજ પર નિર્ભર રહે છે.
વેતન સુધારણાની માગ સાથે આજથી શરૂ થયેલી બે દિવસીય બેન્ક હડતાલમાં દેશભરમાં કરોડો રૂપિયાનાં વ્યવહારો ખોરવાયા હતાં.
મુંબઈ, ચેન્નઈ અને દિલ્હીની ક્લિયરિંગ ગ્રીડમાં કુલ મળીને 23000 કરોડ રૂપિયાનાં 31 લાખ ચેક તા.31મી જાન્યુઆરી 2020ના રોજની હડતાલનાં કારણે ક્લિયર થઈ શક્યા નહોતાં.’
ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસો.(એઆઈબીઈએ)નાં મહામંત્રી સી.એચ.વેંકટચલમનાં જણાવ્યા પ્રમાણે દેશભરમાંથી મળી રહેલા અહેવાલ અનુસાર તામિળનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણ, પશ્ચિમબંગાળ, યુપી, એમપી, પંજાબ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, કેરળ અને બિહાર જેવા મુખ્ય રાજ્યો સહિતનાં દેશમાં બેન્કની કામગીરી વ્યાપકપણ ખોરવાઈ છે.
નવ બેન્ક કર્મચારી સંગઠનનાં મહામંડળ યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (યુએફબીયુ) દ્વારા આજે સંસદમાં આર્થિક સર્વે અને આજરોજ તા.1લી ફેબ્રુઆરી 2020ને શનિવારે ભારતીય સંસદમાં બજેટ રજૂ થવાનું છે ત્યારે આ હડતાલ કમનસીબ બાબત છે.
વેતનવૃદ્ધિ મુદ્દે સરકાર સાથે વાટાઘાટમાં માગણીઓનો કોઈ ઉકેલ નહીં આવતાં આ હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. હજી આજે શનિવાર તા.1લી ફેબ્રુઆરીએ પણ બેન્કો બંધ રહેશે અને પછી રવિવાર હોવાથી બેન્ક રજા રહેશે. આમ હવે આજથી એટીએમનાં વ્યવહારોમાં પણ હડતાલની વિપરિત અસરો વર્તાવા લાગે તેવી આશંકા છે.
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (એનબીઈ) દ્વારા પાચમી જાન્યુઆરીએ પીજી મેડિકલ નીટ ૨૦૨૦ પરીક્ષા લેવામા આવી હતી. જેમાં ગુજરાતમાંથી પીજી નીટ આપનારા ૭૦૯૭ વિદ્યાર્થીઓમાંથી ૪૩૨૪ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ક્વોલિફાય થયા છે. પરિણામ Date 30 Januarty 2020 ગુરુવારે સાંજે જાહેર કર્યુ છે.
ગુજરાતમાં આશરે ૨૧૦૦ જેટલી પીજી મેડિકલની બેઠકો છે. આ બેઠકો પર રાજ્યની એમબીબીએસ કોલેજોમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા ઈચ્છુક છે. એનબીઈએ પાચમી જાન્યુઆરીએ નીટની પરીક્ષા લીધી હતી જેમાં દેશભરમાંથી ૧,૬૦,૮૮૮ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતા. અને ૮૯,૫૪૯ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ક્વોલિફાય થયા છે.
દેશમાં ડુંગળીના ભાવ ભડકે બળતા હતા ત્યારે ભારત સરકારે આયાત કરેલી હજારો ટન ડુંગળી મુંબઇ બંદરે ખડકાઇ છે. હવે આ ડુંગળીના નિકાલ માટેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ડુંગળીનો મોટો જથ્થો ઠલવાય તેવી તૈયારી થઈ રહી છે.
મુંબઈ બંદરે ગુજરાત માટેની ડુંગળીનો જથ્થો લાંબા સમયથી આવી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રએ તે જથ્થો ઉપાડીને ગુજરાતમાં લઈ જવાની તાકીદ કરતા તે અંગેનો વહીવટી સળવળાટ શરૂ થયો છે. રાજ્યના અધિકારીઓ એક-બે દિવસમાં ડુંગળીની ચકાસણી કરવા મુંબઈ બંદરે જશે. જો ડુંગળી યોગ્ય સ્થિતિમાં હશે તો તુર્ત જ ગુજરાતમાં લાવવાની કાર્યવાહી થશે. જો કે, બગડેલી કે નબળી પડી ગયેલી ડુંગળી રાજ્ય સરકાર સંભાળવા માંગતી નથી. નાફેડ તરફથી રૂ. ૧૦ની કિલો લેખે ૨૦૦૦ મેટ્રિક ટન ડુંગળી ગુજરાત માટે તુર્કીથી મંગાવવામાં આવી છે.
વાપી, ધરમપુર, ડભોઇ, કરજણ, સાવરકુંડલા, ખંભાત અને તળાજામાં અધિક જિલ્લા ન્યાયાધીશની કોર્ટ આજથી કાર્યાન્વિત કરવાની ઘોષણા
રાજ્ય સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં વલસાડ જિલ્લાના વાપી તથા ધરમપુર તાલુકામાં, વડોદરા જિલ્લાના ડભોઈ અને કરજણ તાલુકામાં, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં, આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં તથા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં એમ કુલ સાત અધિક જિલ્લા ન્યાયાધીશની કોર્ટ શરૂ કરવાની મંજૂરી આપી છે.
આ માટે જુદા જુદા સંવર્ગની જગ્યાઓના મહેકમની મંજૂરી પણ આપવામાં આવી છે. રાજ્ય કાયદાપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના લોકોને સસ્તો, ઝડપી અને ઘરઆંગણે ન્યાય મળે તે માટે રાજ્ય સરકારે વધુ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના સાત તાલુકાઓમાં અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટો આગામી આજરોજ તા.૩૧ જાન્યુઆરી-૨૦૨૦થી કાર્યરત થશે એવી જાહેરાત કરવામાં આવી છે.
સિવિલ જજો તથા સિનિયર સિવિલ જજોના કોર્ટના ચુકાદાઓ સામે અપીલ તેમ જ રિવિઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને મુખ્ય જિલ્લા મથક સુધી જવું પડતું હતું. જેના કારણે તેના કીમતી સમય અને નાણાનો વ્યય થતો હતો. જ્યારે હવે તાલુકા કક્ષાએ જ અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટની રચના થવાના પરિણામે છેવાડાના નાગરિકોને ઘરઆંગણે જ સસ્તો અને ઝડપી ન્યાય મળી રહેશે.
આ ઉપરાંત જિલ્લા અદાલતનું વિકેન્દ્રીકરણ થવાના પરિણામે કેસોનો ઝડપી નિકાલ થઈ શકશે. જે ગુનાઓની ગંભીરતા વધુ છે તેવા ગુનાઓના આરોપીઓને યોગ્ય નશ્યત-સજા થાય તે હેતુથી આ નવીન કોર્ટો શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ગુનાનો ભોગ બનનાર પક્ષકારોને જિલ્લા મથક સુધી ધકકા ખાઈ અને આર્થિક તેમ જ સમયનો ભોગ આપવો ન પડે તે ઉદ્દેશથી સમાજના છેવાડાના નાગરિકના હિતને ધ્યાને રાખીને વર્તમાન સરકારે સંવેદનશીલ વલણ અપનાવીને વધુમાં વધુ અધિક જિલ્લા ન્યાયાધીશોની નામદાર હાઈ કોર્ટના પરામર્શમાં તાલુકા કક્ષાએ સ્થાપના કરવામાં આવી છે.
ગુજરાતમાં વાહન ચાલકોને શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત કરવાના નિર્ણય સામે થયેલી અરજીના મામલે ગુજરાત હાઇ કોર્ટે સરકારને નોટિસ આપી છે. જ્યારે સરકારે ગુજરાતમાં વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું મરરાયાત નથી કરાયું, ફરજિયાત જ છે, પાછળ બેસનારે પણ હેક્ષમમેટ પહેરવું ફરજિયાત છે.
હાઇ કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો હતો. રાજ્યમાં વાહનચાલકો માટે કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે હેલ્મેટ ફરજિયાત કર્યા બાદ તેની સામે વ્યાપક વિરોધ અને લોકોને પડતી હાલાકીના પગલે રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શહેરી વિસ્તારોમાં હેલ્મેટને મરરાયાત કરતો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ એક નાગરિક દ્વારા ગુજરાત હાઇ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, સરકારે કેન્દ્ર સરકારના કાયદામાં ફેરફાર કરીને હેલ્મેટની મરજિયાત બનાવી છે. જે થઇ શકે નહીં.
27 January 2020 થયેલી સુનાવણીમાં સરકાર તરફે એવી રૂઆત કરવામાં આવી હતી કે, સરકારે આવો કોઇ પરિપત્ર કે આદેશ જાહેર કર્યો નથી. તેમ જ રાજ્યમાં હેલ્મેટનો ફરજિયાત જ છે. જોકે હાઇ કોર્ટે આ અંગે સરકારને સોગંદમાનુ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે તેમ જ નોટિસ કાઢી કાઢી હતી. સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ ૨૦૧૯ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેકશન ૧૨૯ મુજબ હેલ્મેટ ફરજિયાત છે, પરંતુ રાજ્ય સરકારે કાયદાને હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને લોકો સુધી પહોંચાડાયો હતો. કોઈપણ રાજ્ય તરફથી કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદો બદલી શકાય નહીં. જો કોઈ રાજય સરકારે પાર્લામેન્ટ દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં ફેરફાર કરવું હોય તો ભારતના બંધારણના અનુચ્છેદ ૨૫૪ (૨) મુજબ રાજ્ય વિધાન સભામાં પસાર થયેલા કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવાનો હોય છે. જેમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ નોટિફિકેશન બહાર પાડીને કાયદો અમલમાં મુકાય છે. પણ સરકારે આ પ્રકારની કોઈપણ કાર્યવાહી કર્યા વગર જ રાજકીય હેતુ માટે પ્રેસનોટ આપીને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજિયાત કરી દીધું હતું.
JEE Main કોચિંગવાળાઓની ભ્રામક જાહેરાતોથી વાલી વિદ્યાર્થીઓ ચેતે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જ્યારથી દેશમાં એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ જેઇઇ મેઇન પરીક્ષા લેવાનું શરૂ કર્યું છે ત્યારથી તેમણે પરીણામ માર્ક (સ્કોર)ની જગ્યાએ પર્સન્ટાઇલ રેન્કથી આપવાનો નિયમ બનાવ્યો છે. તાજેતરમાં જ એન.ટી.એ. દ્વારા જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020નું પરીણામ જાહેર કરવામાં આવ્યું. પરીણામ જાહેર થયા બાદ જેઇઇ મેઇન્સનું કોચિંગ આપતા પ્રાઇવેટ ટ્યુશનિયા સંચાલકો અને કેટલીક સ્કુલો દ્વારા 80થી વધુ પર્સન્ટાઇલ ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓના ફોટા સાથે એવી તે જાહેરાતો કરવામાં આવી કે જાણે મોટો મીર માર્યો હોય.
વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજી લેવું જોઇએ
વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજી લેવું જોઇએ કે જેઇઇ મેઇન્સમાં કેટલા પર્સન્ટાઇલે નેશનલ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મળી શકે છે. હકીકત જોવા જઇએ તો ઓપન કેટેગરીમાં 92થી ઓછા પર્સન્ટાઇલ રેન્ક પર સારી ગણાતી નેશનલ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મળી શકતો નથી. સૌથી વધુ સ્પર્ધા ઓપન કેટેગરી, ઓપન ઇડબલ્યુએસ કેટેગી, ઓબીસી વગેરેમાંથી એન.આઇ.ટી.માં પ્રવેશ મેળવવા માટે હાયર મેરીટની આવશ્યકતા છે.
હાલમાં જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020ના પરીણામાં 80થી વધુ પી.આર. ધરાવતા વિદ્યાર્થીઓએ જાણે મોટી સિદ્ધી હાંસલ કરી લીધી હોય તે રીતે જાહેરાતો કરવામાં આવી રહી છે એ સાવ ભ્રામક છે. હાલમાં ધો.10માં અભ્યાસ કરતા અને ધો.11-12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવવાનું આયોજન ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આકર્ષવા માટે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો કરવામાં આવી રહી છે.
જેઇઇ મેઇન્સમાં ઓપન કેટેગરીમાં 92 પર્સન્ટાઇલ જેટલો હાયર સ્કોર પણ કેમ બિનઉપયોગી થઇ પડે છે એ ગણતરી અહીં નિમ્નદર્શિત ચાર્ટ પરથી સમજીએ.
Percentile Score
Total Students/Rank
99 to 100
1 to 11500
95 to 99
11500 to 57000
90 to 95
57000 to 115000
IIT, NIT, IIIT ની બધુ મળીને 42000 બેઠકો છે, તેની સામે 95 પર્સન્ટાઇલ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા જ 1.15 લાખ છે
ઉપરોક્ત ડેટા ચકાસીએ તો ખ્યાલ આવશે કે 99થી 100 પર્સન્ટાઇલ વચ્ચે 11,500 સ્ટુડન્ટ છે. જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020 પરીક્ષા કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 11,500 વિદ્યાર્થીઓએ 99થી 100 પર્સન્ટાઇળ મેળવ્યા છે. 99થી 95 પર્સન્ટાઇલ વચ્ચે કુલ 57000 વિદ્યાર્થીઓ (રેન્કસ) સમાવિષ્ટ થઇ જાય છે. આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. અને ત્રિપલ આઇ.ટી. કોલેજોની આખા દેશમાં કુલ બેઠકો ફક્ત 42000 જેટલી છે. આ 42000 સીટમાં ઓપન કેટેગરી સમેત તમામ અનામત વર્ગની બેઠકો સામેલ છે. હવે તેની સરખામણીમાં ઉપરના ચાર્ટ અનુસાર પર્સન્ટાઇલ અને તેની સામે વિદ્યાર્થીની સંખ્યાને સરખાવી જુઓ 95 પર્સન્ટાઇલ સુધીના વિદ્યાર્થીઓની સંખ્યામાં જ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. ત્રિપલ આઇ.ટી. ની બધી સંસ્થાઓની બેઠકો ભરાઇ જશે.
આમ દેશી હિસાબ લગાડીએ તો પણ જેઇઇ મેઇન્સમાં ઓપન કેટેગરીમાં 92 પર્સન્ટાઇલ અને તેના પ્રપોર્સનેટમાં અન્ય અનામત વર્ગના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આટલા પર્સન્ટાઇલ પર્યાપ્ત નથી.
JEE MAIN ફક્ત 30 હજાર અને એડવાન્સ્ડ ફક્ત 12 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી શકે
હાલમાં ધો.12 મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા કે ભવિષ્યમાં મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ એ વાતને યોગ્ય રીતે સમજવાની જરૂર છે કે જેઇઇ મેઇન્સ અને એડવાન્સ આખા દેશના ફક્ત 42 હજાર જેટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાવી શકે. જેની સામે ગુજરાતમાંથી જ જેઇઇ મેઇન્સ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ 20 હજારથી વધુની છે. આવી સ્થિતિમાં જેઇઇ મેઇન્સનો સૌથી મજબૂત વિકલ્પ ગુજકેટની પરીક્ષા છે. ગુજકેટ પર પણ ધ્યાન આપવું જોઇએ જેથી કરીને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં સરળતાથી પ્રવેશ મળી શકે છે.
સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે ૨૭ અને ૨૮ જાન્યુઆરીના સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉકટર જયંત સરકારે જણાવ્યું છે કે ૨૭ જાન્યુઆરીના રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. તો ૨૮ જાન્યુઆરીના વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાજ્યમાં ઠંડીથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી હતી અને શનિવારે લઘુતમ તાપમાન શુક્રવારની સરખામણીએ ૩ ડિગ્રી ઊંચું નોંધાયું છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. તો બીજી તરફ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાદળો ગુજરાત ઉપર આવી રહ્યાં છે અને વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.
જોકે હવામાન વિભાગે જણાવ્યું કે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થશે અને તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો વધારો થશે. મહત્ત્વપૂર્ણ છે કે ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે. જેના કારણે વારંવાર સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ, તાપમાનમાં અચાનક વધારો-ઘટાડો થઈ જવો. તેના કારણે સીઝન પાકને નુકસાન થાય છે અને પાકને નુકસાન થતાં સીધી અસર માર્કેટમાં જોવા મળશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.