વાપી, ધરમપુર, ડભોઇ, કરજણ, સાવરકુંડલા, ખંભાત અને તળાજામાં અધિક જિલ્લા ન્યાયાધીશની કોર્ટ આજથી કાર્યાન્વિત કરવાની ઘોષણા
રાજ્ય સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં વલસાડ જિલ્લાના વાપી તથા ધરમપુર તાલુકામાં, વડોદરા જિલ્લાના ડભોઈ અને કરજણ તાલુકામાં, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં, આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં તથા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં એમ કુલ સાત અધિક જિલ્લા ન્યાયાધીશની કોર્ટ શરૂ કરવાની મંજૂરી આપી છે.
આ માટે જુદા જુદા સંવર્ગની જગ્યાઓના મહેકમની મંજૂરી પણ આપવામાં આવી છે. રાજ્ય કાયદાપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના લોકોને સસ્તો, ઝડપી અને ઘરઆંગણે ન્યાય મળે તે માટે રાજ્ય સરકારે વધુ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના સાત તાલુકાઓમાં અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટો આગામી આજરોજ તા.૩૧ જાન્યુઆરી-૨૦૨૦થી કાર્યરત થશે એવી જાહેરાત કરવામાં આવી છે.
સિવિલ જજો તથા સિનિયર સિવિલ જજોના કોર્ટના ચુકાદાઓ સામે અપીલ તેમ જ રિવિઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને મુખ્ય જિલ્લા મથક સુધી જવું પડતું હતું. જેના કારણે તેના કીમતી સમય અને નાણાનો વ્યય થતો હતો. જ્યારે હવે તાલુકા કક્ષાએ જ અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટની રચના થવાના પરિણામે છેવાડાના નાગરિકોને ઘરઆંગણે જ સસ્તો અને ઝડપી ન્યાય મળી રહેશે.
આ ઉપરાંત જિલ્લા અદાલતનું વિકેન્દ્રીકરણ થવાના પરિણામે કેસોનો ઝડપી નિકાલ થઈ શકશે. જે ગુનાઓની ગંભીરતા વધુ છે તેવા ગુનાઓના આરોપીઓને યોગ્ય નશ્યત-સજા થાય તે હેતુથી આ નવીન કોર્ટો શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ગુનાનો ભોગ બનનાર પક્ષકારોને જિલ્લા મથક સુધી ધકકા ખાઈ અને આર્થિક તેમ જ સમયનો ભોગ આપવો ન પડે તે ઉદ્દેશથી સમાજના છેવાડાના નાગરિકના હિતને ધ્યાને રાખીને વર્તમાન સરકારે સંવેદનશીલ વલણ અપનાવીને વધુમાં વધુ અધિક જિલ્લા ન્યાયાધીશોની નામદાર હાઈ કોર્ટના પરામર્શમાં તાલુકા કક્ષાએ સ્થાપના કરવામાં આવી છે.
ગુજરાતમાં વાહન ચાલકોને શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત કરવાના નિર્ણય સામે થયેલી અરજીના મામલે ગુજરાત હાઇ કોર્ટે સરકારને નોટિસ આપી છે. જ્યારે સરકારે ગુજરાતમાં વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું મરરાયાત નથી કરાયું, ફરજિયાત જ છે, પાછળ બેસનારે પણ હેક્ષમમેટ પહેરવું ફરજિયાત છે.
હાઇ કોર્ટે ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો હતો. રાજ્યમાં વાહનચાલકો માટે કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે હેલ્મેટ ફરજિયાત કર્યા બાદ તેની સામે વ્યાપક વિરોધ અને લોકોને પડતી હાલાકીના પગલે રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં શહેરી વિસ્તારોમાં હેલ્મેટને મરરાયાત કરતો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ એક નાગરિક દ્વારા ગુજરાત હાઇ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, સરકારે કેન્દ્ર સરકારના કાયદામાં ફેરફાર કરીને હેલ્મેટની મરજિયાત બનાવી છે. જે થઇ શકે નહીં.
27 January 2020 થયેલી સુનાવણીમાં સરકાર તરફે એવી રૂઆત કરવામાં આવી હતી કે, સરકારે આવો કોઇ પરિપત્ર કે આદેશ જાહેર કર્યો નથી. તેમ જ રાજ્યમાં હેલ્મેટનો ફરજિયાત જ છે. જોકે હાઇ કોર્ટે આ અંગે સરકારને સોગંદમાનુ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે તેમ જ નોટિસ કાઢી કાઢી હતી. સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ ૨૦૧૯ના વિરુદ્ધમાં ગુજરાત સરકાર દ્વારા જનતાને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સેકશન ૧૨૯ મુજબ હેલ્મેટ ફરજિયાત છે, પરંતુ રાજ્ય સરકારે કાયદાને હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને લોકો સુધી પહોંચાડાયો હતો. કોઈપણ રાજ્ય તરફથી કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદો બદલી શકાય નહીં. જો કોઈ રાજય સરકારે પાર્લામેન્ટ દ્વારા બનાવવામાં આવેલા કાયદામાં ફેરફાર કરવું હોય તો ભારતના બંધારણના અનુચ્છેદ ૨૫૪ (૨) મુજબ રાજ્ય વિધાન સભામાં પસાર થયેલા કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવાનો હોય છે. જેમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ નોટિફિકેશન બહાર પાડીને કાયદો અમલમાં મુકાય છે. પણ સરકારે આ પ્રકારની કોઈપણ કાર્યવાહી કર્યા વગર જ રાજકીય હેતુ માટે પ્રેસનોટ આપીને શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજિયાત કરી દીધું હતું.
JEE Main કોચિંગવાળાઓની ભ્રામક જાહેરાતોથી વાલી વિદ્યાર્થીઓ ચેતે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જ્યારથી દેશમાં એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ જેઇઇ મેઇન પરીક્ષા લેવાનું શરૂ કર્યું છે ત્યારથી તેમણે પરીણામ માર્ક (સ્કોર)ની જગ્યાએ પર્સન્ટાઇલ રેન્કથી આપવાનો નિયમ બનાવ્યો છે. તાજેતરમાં જ એન.ટી.એ. દ્વારા જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020નું પરીણામ જાહેર કરવામાં આવ્યું. પરીણામ જાહેર થયા બાદ જેઇઇ મેઇન્સનું કોચિંગ આપતા પ્રાઇવેટ ટ્યુશનિયા સંચાલકો અને કેટલીક સ્કુલો દ્વારા 80થી વધુ પર્સન્ટાઇલ ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓના ફોટા સાથે એવી તે જાહેરાતો કરવામાં આવી કે જાણે મોટો મીર માર્યો હોય.
વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજી લેવું જોઇએ
વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજી લેવું જોઇએ કે જેઇઇ મેઇન્સમાં કેટલા પર્સન્ટાઇલે નેશનલ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મળી શકે છે. હકીકત જોવા જઇએ તો ઓપન કેટેગરીમાં 92થી ઓછા પર્સન્ટાઇલ રેન્ક પર સારી ગણાતી નેશનલ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મળી શકતો નથી. સૌથી વધુ સ્પર્ધા ઓપન કેટેગરી, ઓપન ઇડબલ્યુએસ કેટેગી, ઓબીસી વગેરેમાંથી એન.આઇ.ટી.માં પ્રવેશ મેળવવા માટે હાયર મેરીટની આવશ્યકતા છે.
હાલમાં જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020ના પરીણામાં 80થી વધુ પી.આર. ધરાવતા વિદ્યાર્થીઓએ જાણે મોટી સિદ્ધી હાંસલ કરી લીધી હોય તે રીતે જાહેરાતો કરવામાં આવી રહી છે એ સાવ ભ્રામક છે. હાલમાં ધો.10માં અભ્યાસ કરતા અને ધો.11-12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવવાનું આયોજન ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આકર્ષવા માટે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો કરવામાં આવી રહી છે.
જેઇઇ મેઇન્સમાં ઓપન કેટેગરીમાં 92 પર્સન્ટાઇલ જેટલો હાયર સ્કોર પણ કેમ બિનઉપયોગી થઇ પડે છે એ ગણતરી અહીં નિમ્નદર્શિત ચાર્ટ પરથી સમજીએ.
Percentile Score
Total Students/Rank
99 to 100
1 to 11500
95 to 99
11500 to 57000
90 to 95
57000 to 115000
IIT, NIT, IIIT ની બધુ મળીને 42000 બેઠકો છે, તેની સામે 95 પર્સન્ટાઇલ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા જ 1.15 લાખ છે
ઉપરોક્ત ડેટા ચકાસીએ તો ખ્યાલ આવશે કે 99થી 100 પર્સન્ટાઇલ વચ્ચે 11,500 સ્ટુડન્ટ છે. જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020 પરીક્ષા કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 11,500 વિદ્યાર્થીઓએ 99થી 100 પર્સન્ટાઇળ મેળવ્યા છે. 99થી 95 પર્સન્ટાઇલ વચ્ચે કુલ 57000 વિદ્યાર્થીઓ (રેન્કસ) સમાવિષ્ટ થઇ જાય છે. આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. અને ત્રિપલ આઇ.ટી. કોલેજોની આખા દેશમાં કુલ બેઠકો ફક્ત 42000 જેટલી છે. આ 42000 સીટમાં ઓપન કેટેગરી સમેત તમામ અનામત વર્ગની બેઠકો સામેલ છે. હવે તેની સરખામણીમાં ઉપરના ચાર્ટ અનુસાર પર્સન્ટાઇલ અને તેની સામે વિદ્યાર્થીની સંખ્યાને સરખાવી જુઓ 95 પર્સન્ટાઇલ સુધીના વિદ્યાર્થીઓની સંખ્યામાં જ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. ત્રિપલ આઇ.ટી. ની બધી સંસ્થાઓની બેઠકો ભરાઇ જશે.
આમ દેશી હિસાબ લગાડીએ તો પણ જેઇઇ મેઇન્સમાં ઓપન કેટેગરીમાં 92 પર્સન્ટાઇલ અને તેના પ્રપોર્સનેટમાં અન્ય અનામત વર્ગના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આટલા પર્સન્ટાઇલ પર્યાપ્ત નથી.
JEE MAIN ફક્ત 30 હજાર અને એડવાન્સ્ડ ફક્ત 12 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી શકે
હાલમાં ધો.12 મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા કે ભવિષ્યમાં મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ એ વાતને યોગ્ય રીતે સમજવાની જરૂર છે કે જેઇઇ મેઇન્સ અને એડવાન્સ આખા દેશના ફક્ત 42 હજાર જેટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાવી શકે. જેની સામે ગુજરાતમાંથી જ જેઇઇ મેઇન્સ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ 20 હજારથી વધુની છે. આવી સ્થિતિમાં જેઇઇ મેઇન્સનો સૌથી મજબૂત વિકલ્પ ગુજકેટની પરીક્ષા છે. ગુજકેટ પર પણ ધ્યાન આપવું જોઇએ જેથી કરીને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં સરળતાથી પ્રવેશ મળી શકે છે.
સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે ૨૭ અને ૨૮ જાન્યુઆરીના સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉકટર જયંત સરકારે જણાવ્યું છે કે ૨૭ જાન્યુઆરીના રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. તો ૨૮ જાન્યુઆરીના વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાજ્યમાં ઠંડીથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી હતી અને શનિવારે લઘુતમ તાપમાન શુક્રવારની સરખામણીએ ૩ ડિગ્રી ઊંચું નોંધાયું છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. તો બીજી તરફ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાદળો ગુજરાત ઉપર આવી રહ્યાં છે અને વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.
જોકે હવામાન વિભાગે જણાવ્યું કે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થશે અને તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો વધારો થશે. મહત્ત્વપૂર્ણ છે કે ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે. જેના કારણે વારંવાર સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ, તાપમાનમાં અચાનક વધારો-ઘટાડો થઈ જવો. તેના કારણે સીઝન પાકને નુકસાન થાય છે અને પાકને નુકસાન થતાં સીધી અસર માર્કેટમાં જોવા મળશે.
આપણે સૌ ભારતીયો આજે તા.26મી જાન્યુઆરી 2020ના રોજ આપણા દેશનો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યા છીએ. દરેક નાગરીકના મનમાં આજે દેશ પ્રેમની કોઇકને કોઇક લાગણી વ્યક્ત થઇ રહી છે.
ભારતના 71મા પ્રજાસત્તાક સમારોહની મુખ્ય સરકારી ઉજવણી નવી દિલ્હીમાં ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે. આ વરસે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે. રાજપથ પર આજે સવારે 90 મિનિટની પરેડમાં ડીઆરડીઓ દ્વારા વિકસાવાયેલા એન્ટી સેટેલાઈટ વેપન્ટ (એસેટ)- મિશન શક્તિ મુખ્ય આકર્ષણ રહ્યા હતા. વાયુસેનાના ચિનૂક અને અપાચે હેલિકોપ્ટર પણ પ્રથમ વખત પરેડાં સામેલ કરાયા હતા, લોકમાં એમણે પણ ભારે આકર્ષણ જણાવ્યું હતું.
પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રથમ વખત એવું બન્યું કે વડાપ્રધાન અમર જવાન જ્યોતિ ઉપર નહીં ગયા અને ઈન્ડિયા ગેટ પાસે આવેલા નેશનલ વોર મેમોરિયલ ગયા હતા. પરંપરા મુજબ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધ્વજારોહણ કર્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રગાન દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવી હતી.
શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ના ૧૭.૫૩ લાખ વિદ્યાર્થીઓની ફોટાવાળી રસીદ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર મુકાશે. શાળાઓએ ઈન્ડેક્ષ નંબરના આધારે વેબસાઇટ ઉપરથી રસીદ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપવાની રહેશે. બોર્ડની પરીક્ષા ૫ માર્ચથી શરૂ થશે. શિક્ષણ બોર્ડે ટેકનોલોજીની મદદથી પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરાવ્યા બાદ પરીક્ષા રસીદ પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન મળી રહે તેવી વ્યવસ્થા ચાલુ વર્ષેથી કરશે.
વિદ્યાર્થીઓની પરીક્ષાની રસીદ ખોવાઈ જતા નવી રસીદ માટે બોર્ડમાં અરજી કરવી પડે છે આથી વિદ્યાર્થીઓથી રસીદ ખોવાઈ જાય તો પણ શાળાને જાણ કરીને બીજી કોપી બોર્ડની વેબસાઇટ ઉપરથી કાઢી શકે તે માટે પરીક્ષાની રસીદ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મૂકવાનો નિર્ણય શિક્ષણ બોર્ડે લીધો હોવાનું શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.
શિક્ષણ બોર્ડના સચિવ ડી. એસ. પટેલે જણાવ્યું હતું કે, ધો. ૧૦ના ૧૦.૮૦ લાખ, ધો. ૧૨ સા.પ્ર.ના ૫.૩૦ લાખ અને ધો. ૧૨ સાયન્સના ૧.૪૩ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનો ફોટાવાળી રસીદ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. વેબસાઇટ ઉપર પરીક્ષાની રસીદ મૂકી દીધા બાદ શાળાઓને જાણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની પરીક્ષાની રસીદ શાળાઓએ ડાઉનલોડ કર્યા બાદ તેમાં વિદ્યાર્થીના કે તેના પિતાના નામ તેમ જ અટક કે વિષયોમાં કોઇ જ પ્રકારની ભૂલ હોય તો તાકીદે શિક્ષણ બોર્ડની કચેરીને જાણ કરવા શાળાઓના સંચાલકોને શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે.
પદ્મભૂષણ માટે આર્કિટેક્ટ બાળકૃષ્ણ દોશીને સન્માનિત કરાશે.
ડૉ. ગુરદીપ સિંહને મૅડિસિન માટે અને ગફુરભાઇ એમ. બિલખિયાને વ્યાપાર અને ઉદ્યોગ માટે આ સન્માન પ્રાપ્ત થયું છે.
સાહિત્ય અને શિક્ષણ માટે એચ. એમ. દેસાઇને, વિજ્ઞાન અને ઇજનેરી માટે સુધીર જૈન, કળા માટે યઝદી નશીરવાન કરંજિયા, સાહિત્ય અને શિક્ષણ માટે નારાયણ જે. જોશી કારાયાલ, એસ. પી. કોઠારી અને શાહબુદ્દીન રાઠોડને તેમ જ કલા માટે સરિતા જોશીને પદ્મશ્રી માટે પસંદ કરાયા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્રના પ્રોફેશર ડૉ. હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં એક યુવતીને પીએચડી કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીર સુખની માગ કરવામાં આવી હતી. તેમ જ પ્રોફેસર દારૂના નશામાં ધૂત થઈ બિભત્સ વાતો કરતો સાંભળવા મળે છે.
આ ઘટના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર ઝાલા હાજર ન રહેતા ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર ઝાલાની ચેમ્બર સીલ કરવામાં આવી હતી. આ ઘટનામાં કુલપતિએ પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ પહેલા પ્રોફેસર ઝાલા યુનિવર્સિટીમાંથી બબ્બે વખત દારૂ પીતા ઝડપાયા હતા. છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
અગાઉ ડૉ. કનુભાઇ મવાણી કુલપતિ હતા ત્યારે ઝાલાના કબાટમાંથી દારૂ મળ્યો હતો ત્યારે ગુનો નોંધી સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ કનુભાઇનો કાર્યકાળ પૂરો થતા ફરી તેને ફરજ પર લઇ લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતીય સતામણી નિવારણ કમિટીની બેઠક મળી હતી જેમાં કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, બેઠકમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી ઓડિયોક્લિપ સાંભળવવામાં આવી છે. કમિટી દ્વારા હરેશ ઝાલાને રૂબરૂમાં બોલાવીને તેનું નિવેદન નોંધવામાં આવશે.
ઓડિયો ક્લિપમાં જે યુવતીનો અવાજ છે તે યુવતીએ હજુ સુધી યુનિવર્સિટીને લેખિત કે મૌખિક ફરિયાદ કરી નથી. અગાઉ યુનિવર્સિટીમાં જાતીય સતામણીના કિસ્સામાં બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલને ડિસમીસ કરવામાં આવ્યા હતા. જ્યારે અર્થશાસ્ત્ર ભવનના એક પ્રોફેસર આવા જ પ્રકરણને કારણે તાજેતરમાં એફએસએલ વોઇસ ટેસ્ટીંગ માટે તે હાજર ન રહ્યા. જો કે આ મુદ્દે કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, પ્રોફેસર જોશી સામે પણ હાજર ન રહ્યા તે મુદ્દે કાર્યવાહી થશે.
ચેમ્બર ઓફ કોમર્સના 12માં ઉદ્યોગ Expoનું આયોજન 24થી 27 જાન્યુઆરી દરમિયાન
ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ ‘ઉદ્યોગ પ્રદર્શન’ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ કે, દક્ષિણ ગુજરાતના વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવી સંસ્થા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વર્ષોથી વિવિધ પ્રદર્શનોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. ચેમ્બરના ફલેગશીપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે. જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની ૧રમી આવૃત્તિ તરીકે ‘ઉદ્યોગ– ર૦ર૦’નું ભવ્ય આયોજન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આગામી તા. ર૪ જાન્યુઆરીથી ર૭ જાન્યુઆરી ર૦ર૦ દરમિયાન કરવામાં આવ્યુ છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, એમએસએમઇના હબ તરીકે ઓળખાતા દક્ષિણ ગુજરાતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવાની દિશામાં પણ ચેમ્બર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે. આ અંગે વિદેશી હુંડીયામણને પ્રોત્સાહન આપવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને ચેમ્બર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ માનનીય ટેક્ષ્ટાઇલ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની સાથે પણ સુરતમાં ટેક્ષ્ટાઇલ મશીનરીના ઉત્પાદન માટે કઈ રીતે આગળ વધી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પણ ચેમ્બર દ્વારા આ દિશામાં પ્રયાસ કરવામાં આવી રહયો છે.
‘ઉદ્યોગ–ર૦ર૦’ પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારોહ શુક્રવારે, તા. ર૪/૦૧/ર૦ર૦ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના આરોગ્ય અને પરીવાર કલ્યાણ, તબીબી શિક્ષણના રાજય કક્ષાના માનનીય મંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી (કુમાર) પધારશે અને તેમના વરદ હસ્તે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. માનનીય સાંસદ શ્રી સી.આર. પાટીલ અને શ્રીમતી દર્શનાબેન જરદોશ તથા રાજયના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર ડો. રાહુલ બી. ગુપ્તા (આઇએએસ) અને યસ બેંક મુંબઇના સિનિયર પ્રેસિડેન્ટ શ્રી અરૂણ ટીકૂ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
‘ઉદ્યોગ પ્રદર્શન’ જાહેર જનતા માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી ખુલ્લુ રહેશે
ચેમ્બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્યુ હતુ કે, ચેમ્બરે આ મહિનામાં જ ‘સિટમે’ પ્રદર્શનનું આયોજન કર્યુ હતુ. જેમાં કવોલિટી ફેબ્રિકસના ઉત્પાદન માટે પ્રદર્શિત કરવામાં આવેલી એમ્બ્રોઇડરી મશીનરીની ભારે ડિમાન્ડ જોવા મળી હતી. સામાન્યપણે સુરતમાં લૂમ્સના ચારથી પાંચ મોટા ઉત્પાદકો છે. ટીએફઓના પાંચ મોટા અને સાત જેટલા નાના ઉત્પાદકો છે. જયારે ટેક્ષ્ચ્યુરાઇઝીંગના પાંચ, સ્પીલિટીંગ મશીનના પાંચ અને યાર્ન ડાઈંગ મશીનના પાંચ ઉત્પાદકો છે. આથી નાના મશીનરી ઉત્પાદન ક્ષેત્રને બહોળું કરવા માટે ‘ઉદ્યોગ પ્રદર્શન’ ખૂબ જ મહત્વનું બની રહેશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ટેક્ષ્ટાઇલ મશીનરીનાં ઉત્પાદકોને અત્યાધુનિક ટેકનોલોજીવાળી મશીનરીનું ઉત્પાદન લેવા માટે કઈ મુશ્કેલી નડી રહી છે તે પણ પ્રદર્શનમાં ભાગ લેનારા ઉદ્યોગ સાહસિકો સાથેના સંવાદના માધ્યમથી જાણી શકાશે.
‘ઉદ્યોગ ર૦ર૦’ પ્રદર્શનના ચેરમેન શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યુ હતુ કે, સરસાણા સ્થિત એકઝીબીશન સેન્ટરમાં કુલ ૧,રપ,૦૦૦ સ્કવેર ફૂટ વિસ્તારમાં ઉદ્યોગ પ્રદર્શન યોજાયુ છે. જેમાં ટેક્ષ્ટાઈલ મશીનરી, ટેક્ષ્ટાઈલ એન્સીલરી, એન્જીનિયરીંગ મશીનરી એન્ડ મશીન ટૂલ્સ, ઈલેકટ્રીકલ – ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, ગવર્નમેન્ટ પીએસયુ અને કોર્પોરેટ પેવેલિયન (જેડા, ધોલેરા, ટૂરીઝમ, જીઆઇડીસી, ટોરેન્ટ) અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડકટ્સ અને સર્વિસીઝ પ્રદર્શિત કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, વાપી, ઉમરગામ, મુંબઇ, દિલ્હી, ગુરૂગ્રામ, પાણીપત, નોઇડા અને કોઇમ્બતુરના કુલ ર૦૦ જેટલા સાહસિકોએ પ્રદર્શનમાં ભાગ લીધો છે.
ઉદ્યોગ પ્રદર્શન દરમિયાન ચેમ્બર, સુરત ટેક્ષ્ટાઇલ કલબ અને એનઆઇએફટીના સંયુકત ઉપક્રમે શુક્રવારે,
તા. ર૪/૦૧/ર૦ર૦ના રોજ સાંજે ૭:૦૦ કલાકે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સુરતમાં બનતા વિવિધ ફેબ્રિકસનું મોડેલ્સ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત રવિવારે, તા. ર૬/૦૧/ર૦ર૦ના રોજ સાંજે ૭:૦૦ કલાકે લોકડાયરાનું પણ આયોજન કરાયુ છે. જેમાં જાણીતી ગાયિકા સુશ્રી કિંજલ દવે અને ગાયક શ્રી ઘનશ્યામ કળથીયા દ્વારા રમઝટ બોલાવવામાં આવશે.
ચેમ્બરના આ આયોજનમાં રાજય સરકારના ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન બ્યુરો, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ઇ–ગવર્નન્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનો સહકાર પ્રાપ્ત થયો છે. ગોલ્ડ સ્પોન્સર તરીકે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ., સિલ્વર સ્પોન્સર તરીકે કલર ટેક્ષ, એમએસએમઇ બેન્કીંગ પાર્ટનર તરીકે યસ બેંક જોડાયુ છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા, વેડરોડ આર્ટસિલ્ક સ્મોલ સ્કેલ કો–ઓપરેટીવ ફેડરેશન લિ., માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલફેર એસોસિએશન, સુરત ટેક્ષ્ટાઇલ કલબ, સચીન ઈન્ડસ્ટ્રીયલ કો–ઓપરેટીવ સોસાયટી અને પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી લિ. ચેમ્બરની સાથે એસોસિએટ્સ તરીકે જોડાયા છે.
આજકાલ બોર્ડના વિદ્યાર્થીઓ હોય કે કોલેજીયન ડગલેને પગલે તેમને ઇન્સ્પિરેશન જોઇએ છે, નાની નાની વાતમાં સહારો જોઇએ છે, મા-બાપ પણ એવા છે કે કોઇ તકલીફ પડવા દેતા નથી અને મોટે ભાગે કમ્ફર્ટ ઝોનમાં ઉછરેલા દિકરા-દિકરીઓ સરવાળે કશું કરી શકતા નથી. અહીં એવા યુવાઓની વાત કરવી છે કે જેમનું જીવન કઠણાઈઓથી ભરેલું હતું આમ છતાં તેમણે તેમના જીવનની કઠણાઇઓને ક્યારેય હાવી થવા દીધી નહીં બલ્કે કઠણાઇઓને જ સીડી બનાવીને સિદ્ધીના એવા શિખર સર કર્યા કે જેને જોઇને દુનિયા દંગ રહી ગઇ છે અને આજીવન દંગ રહેશે.
અહીં વાત કરી રહ્યો છું ચાર્ટર્ડ અકાઉન્ટન્સી સર્ટિફિકેશનના આજે તા.16મી જાન્યુઆરી 2020ના રોજ જાહેર થયેલા ફાઇનલ્સના પરીણામોની. સૂરતમાંથી અનેક વિદ્યાર્થીઓ પાસ થઇને તેમના નામની આગળ સી.એ. આવતીકાલથી લગાડી દેશે. પરંતુ, અહીં એવા રિયલ હીરોઝની વાત કરી રહ્યો છું જેમનું જીવન કઠણાઇઓથી ભરેલું છે અને તેમણે જે સિદ્ધીં હાંસલ કરી છે એ કોઇ નાની સૂની નથી પણ એકલે હાથે પહાડ ખોદવા સમાન છે.
ગણેશ પાટીલના પિતા 2011માં પરીવારને છોડી જતા રહ્યા, આ વાતને જિજ્ઞેશે હાવી થવા દીધી નહીં
ઉધનાની સનગ્રેસ સ્કુલમાં ભણેલો ગણેશ પાટીલ કે જેના પિતા 2001માં પરિવારને ત્યજીને ચાલ્યા ગયા હતા, એ ગણેશ પાટીલ આજે 2020માં સી.એ બની ગયો છે.
ઉધનાની સનગ્રેસ સ્કુલમાંથી ધો.12 કોમર્સ ગુજરાતી મિડીયમમાં પાસ કરનાર ગણેશ પાટીલ મૂળ મહારાષ્ટ્રના ધૂલિયાના અમલનેરના પરિવારમાંથી આવે છે. ગણેશ પાટીલના પિતા 2001માં તેમના પરિવારને છોડીને જતા રહ્યા હતા. ગણેશ પાટીલની માતા અલકાબેન પાટીલ ઘરે સિલાઇ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. ધો.12 પાસ કર્યા પછી ગણેશ પાટીલને એક મિત્રએ કહ્યું કે સી.એ. કોચિંગમાં જોડાઇ જા. ગણેશ પાસે એટલી ફી ન હતી કે તે પ્રાઇવેટ કોચિંગ ક્લાસની ફી ભરી શકે. આમ છતાં ગણેશ પાટીલ ઘોડદોડ રોડ પર સી.એ. કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ ચલાવતા રવિ છાવછરીયા પાસે ગયા. પોતાની આર્થિક સ્થિતિ અંગે નિખાલસતાથી વાત કરી.
રવિ છાવછરીયાએ ગણેશ પાટીલને બિલકુલ ફ્રી ઓફ ચાર્જ કોચિંગની વ્યવસ્થા તો કરી આપી પણ સાથે જ તેને પાર્ટ ટાઇમ નોકરી પણ આપી.
ગણેશ પાટીલે કહ્યું કે પિતા અમને છોડી ગયા એ વાતનું ઝનૂન એટલું હતું કે કંઇક કરી જ દેખાડવું છે. 2012માં સી.એ. કોચિંગમાં જોડાયા બાદ કોઇ વ્હીકલ ન હતું. રોજ 24 કિ.મી. સાઇકલ પર ડીંડોલી પોતાના ઘરેથી નીકળીને ઘોડદોડ રોડ પર રવિ છાવછરીયાને ત્યાં કોચિંગમાં આવે, ત્યાં કોચિંગ લે અને પછી ત્યાં જ પાર્ટ ટાઇમ નોકરી કરતો ગણેશ બે વખત સી.એ.ની પરીક્ષામાં નાપાસ પણ થયો. પણ હાર માને એ બીજા ગણેશ પાટીલ નહીં. એણે પ્રયત્નો છોડ્યા નહીં અને આજે 2020માં ગણેશ પાટીલના નામની આગળ સી.એ. જેવો મહત્વની ડિગ્રી જોડાઇ ચૂકી છે.
રીક્ષા ચાલક ધર્મેશભાઇ રાણાનો દિકરો મોનિશ રાણાએ જીવનની કઠિણાઇને જ પોતાની શક્તિ બનાવીને સી.એ. ડિગ્રી મેળવી લીધી
ઉધના રોડ પર રહેતા અને રીક્ષા ચલાવતા ધર્મેશભાઇના પુત્ર મોનિશ રાણા કે જેણે ઉધનાની આર.એન. નાયક સ્કુલમાંથી ધો.12 પાસ કર્યું. પિતા રીક્ષા ચાલક હોવાથી પરીવારમાં આર્થિક સંકડામણ અનુભવવા છતાં મોનિશ રાણાએ નક્કી કર્યું કે એ સી.એ. બનીને દેખાડશે. મોનિશ રાણા ભલે વીસ વર્ષના હોય પરંતુ, તેમનામાં મેચ્યોરિટી 45 વર્ષના નિવડેલા બિઝનેસમેનને પણ શરમાવે તેવી જોવા મળી. મોનિશ રાણાએ કહ્યું કે પિતા અને પરિવારની તકલીફોને લીધે ક્યારેય નાસીપાસ ન થયો ઉલ્ટાનું કંઇક કરી દેખાડવાની ઉત્કંઠા તીવ્ર બની અને સી.એ. કોચિંગ રવિ છાવછરીયા પાસે લીધું. એસ.પી.બી. ઇંગ્લિશ મિડીયમમાંથી બી.કોમ. ડિસ્ટીંકશન સાથે પાસ કરનાર મોનિશ રાણા આજે સી.એ. બની ગયો છે અને એને કોઇ નાનમ નથી લાગતી કે તેના પિતા રીક્ષા ચલાવે છે.
લીલાબા સ્કુલની ધો.12માં ગુજરાત ફર્સ્ટ બોનીશા મોદીએ હાંસલ કર્યો સી.એ.માં આખા દેશમાં 39મો રેન્ક
2015માં સૂરતની લીલાબા કન્યાશાળા આખા રાજ્યમાં ફેમસ થઇ ગઇ હતી. ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં લીલાબા કન્યાશાળાની વિદ્યાર્થિની બોનિશા મોદીએ એટલા માર્કસ મેળવ્યા કે એટલા ગુજરાતના 7 લાખ વિદ્યાર્થીઓમાંથી અન્ય કોઇ મેળવી શક્યું નહી. બોનીશા મોદી સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ હતી. આ સિદ્ધિનું સહેજ પણ અભિમાન કર્યા વગર બોનીશા મોદીએ નક્કી કર્યું કે એ સી.એ. બનીને દેખાડશે અને આજે સી.એ.ના પરીણામમાં બોનીશા મોદીએ સમગ્ર દેશમાં 39મો રેન્ક હાંસલ કરીને સૂરતનું નામ રોશન કર્યું છે.
લીલાબા કન્યાશાળા કોઇ હાઇફાઇ સ્કુલ નથી. ગરીબ અને મધ્યવર્ગીય પરિવારોની દિકરીઓને ધો.12 કોમર્સ સુધીનું શિક્ષણ આપતી આ સંસ્થાના સુકાની એવા આચાર્યા શ્રીમતી બિનીતાબેન ત્રિવેદી અને સ્કુલ મેનેજમેન્ટ એટલી નિષ્ઠાપૂર્વક કામ કરે છે કે તેમનું પરીણામ બોનીશા મોદી જેવી દિકરીઓની ઝળહળતી કારકિર્દીના સ્વરૂપમાં પ્રત્યક્ષ પણે અનુભવી શકાય છે.
દર વર્ષની જેમ રવિ છાવછરીયાના કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ્સના સૌથી વધુ ટોપર્સ
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.