CIA ALERT

ગુજરાત Archives - Page 53 of 158 - CIA Live

November 9, 2020
carlos-g-valls.jpeg
1min1085

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ફાધર કાર્લોસ જી. વાલેસને સવાયા ગુજરાતી તરીકે સંબોધવા પડે. કેમકે તેઓ જન્મે અને નખશીખ સ્પેનિશ (સ્પેન દેશના) પણ કર્મે અસ્સલ ગુજરાતી, કેમકે ગુજરાતમાં રહ્યા, કર્મભૂમિ ગુજરાતી બનાવી, ગુજરાતી ભાષામાં 75 જેટલા પુસ્તકો લખ્યા અને ક્યારેય બેસ્ટ સેલરનો દાવો કર્યો નહીં આ છતાં આજેય એ પુસ્તકોની લોકપ્રિયતાનો ગ્રાફ ક્યારેય નીચે નથી જોવાયો, એવા સવાયા ગુજરાતી ફાધર વાલેસનું આજે તા.9મી નવેમ્બર 2020ના રોજ તેમના મૂળ વતન સ્પેન ખાતે નિધન થયાના સમાચારે ગુજરાતી સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી દીધી છે.

મૂળ સ્પેનના ફાધર કાર્લોસ જી. વાલેસે ગુજરાતીમાં 75 પુસ્તકો લખ્યા છે અને બેસ્ટ સેલરનો એકેય દાવો કર્યો ન હોવા છતાં આજેય એ પુસ્તકો લોકપ્રિય

ફાધર વાલેસે ગુજરાતમાં 1958થી અમદાવાદની સેંટ ઝેવિયર્સ સ્કુલમાં ગણિત વિષયના શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી હતી એ પછી તેમણે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં અનેક પુસ્તકોનું પ્રદાન કર્યું.

ગુજરાતી સાહિત્યમાં ફાધર વાલેસે કરેલા પ્રદાન માટે તેમને કુમાર ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રકથી પણ નવાજવામાં આવ્યા હતા.

તેઓ નિવૃત્તિ બાદ વતન સ્પેન પરત ફર્યા હતા. કાર્લોસ જી વાલેસને ગુજરાતની પ્રજાએ પણ ભરપૂર પ્રેમ આપ્યો હતો. સ્પેનિશ હોવા છતાં તેઓ ગુજરાતી શીખ્યા હતા, અને સવાયા ગુજરાતી બની રહ્યા હતા.

November 6, 2020
CIA_Live_Logo_New2.jpg
1min7710

આગામી તા.8મી નવેમ્બર 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે અને ભાજપવાળાઓ જેના નામે શ્રેય ખાટી રહ્યા છે એ હજીરા ઘોઘા વચ્ચે રો પેક્સ ફેરી સર્વિસ આજે તા.6 નવેમ્બર 2020ના રોજ ટ્રાયલ રન વખતે જ દરિયામાં ટેકનિકલ ખામીને કારણે ખોટકાઇ રહ્યું છે.

દહેજ ઘોઘા ખાતે ગણતરીના મહિના સર્વિસ ચાલ્યા બાદ એ અચોક્કસ મુદત માટે બંધ થઈ ચૂકી છે, હવે હજીરા ઘોઘા વચ્ચે રૉ પેક્સ ફેરી સેવા શરૂ થાય એ પહેલા ટ્રાયલ રન વખતે જ બંધ થતાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. રૉ પેક્સ સર્વિસ માટે જે જહાજ આપવામાં આવ્યું છે તેની આવરદા અને તેની ક્ષમતા બન્ને અંગે નિષ્ણાંતો સવાલો ઉઠાવી રહ્યા છે.

8/11/2020 થી શરૂ થનારી રૉ પેક્સ ફેરી સર્વિસનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું હતું

https://www.dgseaconnect.com/ વેબસાઇટ પર હજીરા અને ઘોઘા વચ્ચેની આ દરીયાઇ સેવા ભલે તા.8મી નવેમ્બરથી શરૂ થવાની હોય પરંતુ, તેનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. હવે આ સર્વિસ તા.8મીથી શરૂ થાય છે કે કેમ તે અંગે શંકાઓ પ્રવર્તી રહી છે.

November 2, 2020
voting.jpg
1min5450

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક (અબડાસા, લીંબડી, ધારી, મોરબી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા)માંથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ આવતીકાલે 3/11/2020 આ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આજે મતદાનના દિવસ માટેની રણનીતિને આખરી ઓપ અપાશે. જે તે મત-વિસ્તારના જાતિ-જ્ઞાતિના મહત્વના આગેવાનો સાથે બંધબારણે બેઠકો અને મોટાભાગના મતદારોને પોતાની તરફેણ મતદાન મથક સુધી લઈ જવાની રણનીતિ અમલમાં મુકાશે. મતદાનમાં ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ કરાશે, અને 10 નવેમ્બરે મત ગણતરી અને પરિણામ જાહેર થશે.

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે, ત્યારે છેલ્લી ઘડીના પ્રચારમાં બંને પક્ષોએ એડીચોટીનો જોર લગાવ્યો હતો. ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે રવિવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ ગયો. આજે ઉમેદવારો અને રાજકીય પક્ષો જાહેરમાં સભા કરીને ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. જોકે, ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે, અને 3/11/20 ના 8 બેઠકો પર મતદાન યોજાશે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.

October 31, 2020
SOU.png
1min9470

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ દેશભરમાં અનેક વિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ભારતનો સૌથી મોટો કાર્યક્રમ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ તા.31મી ઓક્ટોબરને શનિવારે સવારે ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 145ની જન્મજયંતી નિમિત્તે કેવડિયા ખાતે આવેલી સરદાર પટેલની 182 મીટર ઊંચી વિરાટ પ્રતીમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સરદાર પટેલની જન્મજયંતીની 2014થી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

October 30, 2020
Civil-Bribe.jpg
1min7020

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ચાલી રહેલા ભ્રષ્ટ વહિવટને ઉજાગર કરતી બનેલી ઘટનામાં ગઇ તા.29મી ઓક્ટોબર 2020ને ગુરુવારે અમદાવાદમાં બે સરકારી તબીબો રૂ.8 લાખની લાંચના કેસમાં આબાદ ઝડપાઇ ગયા છે.

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના બે ડોક્ટરો હોસ્પિટલના કેટરિંગ કોન્ટ્રાક્ટરનું બિલ ક્લીયર કરાવી આપવાના બદલામાં રૂપિયા માગ્યા હતા. કેટરિંગ કોન્ટ્રાક્ટરના બાકી રહેલા 1 કરોડ પેમેન્ટને છૂટું કરાવી આપનાના બદલામાં લાંચ માગી હતી.

Sola Civil in-charge RMO, administrative officer caught taking Rs 8L bribe

સોલા હોસ્પિટલના ઈન્ચાર્જ આરએમઓ ઉપેન્દ્ર પટેલ બીજા આરએમઓ ડૉ.શૈલેષ પટેલ એસીબીના સકંજામાં આવી ગયા છે. બન્ને આરોપીને એસીબીએ ડિટેઈન કર્યા છે. સિવિલના બે મોટા ડોક્ટર ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

કોન્ટ્રાક્ટર દ્વારા કેન્ટિન ફેસિલિટી બાબતે રજૂ કરેલ 1.18 કરોડ રૂપિયાના બીલ મંજૂર કરવા માટે પ્રથમ 30% લેખે લાંચની માંગણી કરેલ રકઝકના અંતે 16% લેખે 16 લાખ રૂપિયાની લાંચની માંગણી કરેલી હતી. જેમાં ફરીયાદી પાસેથી અગાઉ બે તબક્કે રૂપિયા 10 લાખ લઈ લીધેલ તથા બાકીના 6 લાખ રૂપિયા અને સાથે ફરીયાદીના ભાઇની કેન્ટિનનું ટેન્ડર ત્રણ વર્ષ માટે મંજૂર કરવા બીજા 2 લાખ રૂપિયાની લાંચ માંગેલ એમ મળી કુલ 8 લાખ રૂપિયા લાંચની માંગણી કરી હતી.

October 30, 2020
corona-gujarat.jpg
1min5070

રાજ્યમાં કોરોનાના સંક્રમણના આઠ મહિના પછી ચેપગ્રસ્ત દર્દીઓના સાજા થવાનો દર ઉત્તરોત્તર વધીને આજે ૯૦ ટકાને પાર થયો છે. જોકે, કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધુ ૯૮૭ કેસનો ઉમેરો થયો છે જ્યારે સારવાર હેઠળના ચાર દર્દીઓના મૃત્યુ થયા છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૧,૭૧,૦૪૦ સુધી પહોંચી છે એમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૦૮૩ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ સાજા થનારની સંખ્યા ૧,૫૪,૦૭૮ થઇ છે એટલે કે ૯૦.૦૮ ટકા દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થઇ રહ્યા છે. અલબત્ત, મૃત્યુ આંક ૩૭૦૮ સુધી પહોંચ્યો છે જે ૨.૧ ટકા જેટલો થવા જાય છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે કેસ સુરતમાંથી ૨૨૩ કેસ નોંધાયા છે એમાં મહાનગરમાંથી ૧૬૨ કેસ આવ્યા છે જ્યારે ગ્રામ્ય અને શહેરના એક એક દર્દીના કોરોનાથી મૃત્યુ થયાનું જાહેર કરાયું છે. અમદાવાદ શહેરમાંથી ગુરુવાર સાંજ સુધીમાં નવા ૧૫૯ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યના ૧૨ કેસ છે. શહેરમાંથી એક દર્દીનું મૃત્યુ થયું છે. એક સપ્તાહમાં વધઘટ પછી વડોદરમાં એકાએક કેસ વધીને ૭૯ સુધી પહોંચ્યા છે જ્યારે ગ્રામ્યના નવા ૩૮ કેસ ઉમેરાયા છે. રાજકોટમાં રફતાર ધીમી પડી હોય તેમ નવા ૫૭ કેસ અને ગ્રામ્યના ૩૯ કેસ નવા નોંધાયા છે. જામનગર શહેરમાંથી ૧૮ કેસ અને ગ્રામ્યના ૧૦ મળી ૨૮ કેસ નોંધાયા છે. બીજી તરફ ગાંધીનગરમાંથી કુલ ૩૪ કેસ નોંધાયા છે એમાં શહેરના ૧૭ કેસ સાથે એક દર્દીના મૃત્યુનો સમાવેશ થાય છે.

ભાવનગર જિલ્લામાંથી કુલ ૧૮ કેસ અને જૂનાગઢમાંથી કુલ ૨૩ કેસ ઉમેરાયા છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઇએ તો મહેસાણા જિલ્લામાંથી નવા ૩૩ કેસ, બનાસકાંઠા જિલ્લામાંથી ૨૮, નર્મદા ૨૭, કચ્છ અને પાટણમાંથી ૨૧-૨૧ કેસ ઉમેરાયા છે. જ્યારે સાબરકાંઠામાંથી ૨૦, સુરેન્દ્રનગરમાંથી ૧૮ કેસ નોંધાયા છે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાંથી ૧૫-૧૫ કેસ, પંચમહાલમાંથી ૧૩ કેસ નવા નોંધાયા છે. 

ખેડા અને મોરબી જિલ્લામાંથી ૧૨-૧૨ કેસ, અરવલ્લીમાંથી ૧૧, આણંદ ૯, ભરૂચ ૭, દેવભૂમિ દ્વારકા અને છોટાઉદેપુરમાંથી ૪-૪ કેસ, દાહોદ, તાપી, નવસારીમાંથી ૩-૩ કેસ, બોટાદ, મહીસાગર અને પોરબંદરમાંથી ૨-૨ કેસ નવા ઉમેરાયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં પોઝિટિવ કેસ શોધવા માટે નવા ૫૨,૯૮૯ ટેસ્ટ કરાયા હતા એનો કુલ આંક ૫૯,૫૦,૬૧૬ સુધી પહોંચ્યો છે જ્યારે હાલ એક્ટિવ કેસ ૧૩,૨૫૪ છે એમાંથી ૬૧ દર્દી વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૧૩૧૯૩ સ્ટેબલ છે.

October 29, 2020
neetresults-1280x1168.jpg
1min15930

ગુજરાતમાં આવેલી મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી પીન નંબર રૂ.200 ઓનલાઇન પેમેન્ટ થકી મેળવવાનો રહેશે.

ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી પીન નંબર મેડીકલ એડમિશન કમિટીની વેબસાઇટ પરથી મેળવી શકાશે.

http://medadmgujarat.org/

October 29, 2020
kesubhai.jpg
1min5760

ગુજરાતના માજી મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના ખેડૂત નેતા, ભાજપાના વરિષ્ઠ નેતા તેમજ ગુજરાતમાં ભાજપના પહેલા સીએમ બનવાનું શ્રેય જેના ફાળે છે એ કેશુભાઈ પટેલે આજે તા.29મી ઓક્ટોબર 2020ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. 92 વર્ષની વયે તેમનું નિધન થતાં ભાજપ સમેત સમગ્ર સૌરાષ્ટ્રમાં શોક પ્રસરી ગયો છે. તબિયત નાદુરસ્ત થતાં શ્રી કેશુબાપાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમના અવસાનની હોસ્પિટલ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે.

PM Modi

કેશુબાપાના પુત્ર ભરત પટેલના જણાવ્યા અનુસાર, કોરોનામાંથી રિવકર થયા બાદ કેશુભાઈનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું. તેમને ઓક્સિજન લેવામાં તકલીફ પડી રહી હતી. જેથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

CM વિજય રૂપાણીએ કેશુભાઈ પટેલના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરતા તેમને ગુજરાતમાં જનસંઘથી લઈને ભાજપ સુધી વટવૃક્ષ ઉભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વકર્તા ગણાવ્યા હતા.

રુપાણીએ જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું, એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપને અપ્રતિમ લોક ચાહના અપાવી. તેમના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે.

કેશુબાપા જનસંઘના વખતથી ભાજપ સાથે જોડાયેલા હતા. ગુજરાતમાં તેઓ ભાજપના પહેલા મુખ્યમંત્રી પણ હતા. જોકે, 14 માર્ચે સીએમ બનેલા કેશુભાઈને સરકાર સામે બળવો થતાં 21 ઓક્ટોબર 1995માં રાજીનામું આપવું પડ્યું હતું.

1998માં કેશુભાઈ ફરી પૂર્ણ બહુમતી સાથે સીએમ બન્યા હતા. જોકે, આ વખતે પણ તેઓ પોતાની ટર્મ પૂરી નહોતા કરી શક્યા. 26 જાન્યુઆરી 2001ના રોજ રાજ્યમાં આવેલા ગોઝારા ભૂકંપમાં સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉભા થતાં આખરે તેમને 6 ઓક્ટોબર 2001ના રોજ રાજીનામું આપવું પડ્યું હતું.

October 28, 2020
CIA_Live_Logo_New2.jpg
1min8610

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રાજ્યના શિક્ષણ વિભાગથી ખાસ્સા નારાજ ગુજરાતના ખાનગી સ્કુલોના સંચાલકોની સ્થિતિ પડ્યા પર પાટું જેવી થાય તેમ છે. આમેય રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ સામે શાળા સંચાલકો મૂંગા મોઢે 25 ટકા બેઠકો પર બાળકોને સમાવી રહ્યા છે, હવે એ બાળકોના અભ્યાસની વાર્ષિક રૂ.10 હજાર ફીમાં પણ ચાલુ વર્ષે સરકારના નિયમ મુજબ 25 ટકા રાહત શાળાઓએ સરકારને આપવી પડે તેવી સ્થિતિ સર્જાવા તરફ છે.

સુરેન્દ્રનગરની જિલ્લા શિક્ષણ સમિતિએ તાજેતરમાં જારી કરેલા એક પરિપત્રમાં આ મતલબનો એક મુદ્દો ઉપસ્થિત કર્યો છે જેમાં ચાલુ વર્ષે કોવીડ-19ની સ્થિતિમાં શાળાઓ પ્રત્યક્ષ રીતે બંધ હોઇ, વાલીઓની માગણી અનુસાર ગુજરાત સરકારે શાળાઓને 25 ટકા ફી માફી આપવા જણાવ્યું છે. વાલીઓને ભલે સરકારની 25 ટકા ફી માફી નથી જોઇતી પરંતુ, સરકાર એટલે કે સુરેન્દ્રનગરની જિલ્લા શિક્ષણ સમિતિના પરિપત્ર અનુસાર ત્યાંની સ્કુલોએ આર.ટી.ઇ.માં પ્રવેશાર્થી બાળકોની ચૂકવવાની થતી રૂ.10 હજારની વાર્ષિક ફીમાં 25 ટકા રાહત આપીને માગણું તૈયાર કરવું પડે એમ છે. આમ, આ રેલો જે સમગ્ર ગુજરાતમાં વિસ્તરશે તો શાળા સંચાલકોની સ્થિતિ વધુ કફોડી બને તેમ છે.

સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિએ પરિપત્ર કર્યો છે. જેમાં આરટીઈ સંદર્ભની તમામ માહિતી ખાનગી શાળાઓ પાસેથી માગવામાં આવી છે. આ પરિપત્રમાં એક મુદ્દામાં જણાવ્યું છે કે ‘ગત વર્ષે ફી નિયમન સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવેલી ફીના વાર્ષિક 75 ટકા લેખે બે સત્રમાં ચૂકવવાની થતી હોય તે મજુબ શાળા ફી અંગેની માહિતી તૈયાર કરવાની રહેશે’.આ મુદ્દાનું અર્થઘટન સરકારે આરટીઈ હેઠળ ખાનગી શાળાને ચુકવવાની થતી ટયુશન ફીમાં 25 ટકા રાહત લીધી હોવાનું થઈ રહ્યું છે.

અગ્રણી શાળા સંચાલકો કહે છે સરકારની ક્લેરિટી જરૂરી

સુરતના અગ્રણી પ્રાઇવેટ સ્કુલના ટ્રસ્ટી કહે છે કે આ મુદ્દો હજુ સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિ ખાતે ઉપસ્થિત થયો છે. પરંતુ, આ મુદ્દો ઘણો સંવેદનશીલ છે અને રાજ્ય સરકારે આ વિષયમાં સ્પષ્ટતા કરવી જોઇએ. આમેય શાળા સંચાલકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ ચૂકી છે ત્યારે જો સરકાર તરફથી 25 ટકા ફી કાપી લેવામાં આવશે તો વધુ ફટકો શાળા સંચાલકોએ સહન કરવો પડશે.

ખાનગી શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ કહ્યું કે..

મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરાએ આ અંગે મિડીયા કર્મીઓને જણાવ્યું હતું કે આ પરિપત્ર મુજબ સરકારને પણ વાલીઓની જેમ રપ ટકા રાહત જોઈએ છે. અમને દર વર્ષે આરટીઈના વિદ્યાર્થીની ટોકન દરે માત્ર 10 હજાર રૂપિયા ફી ચુકવવામાં આવે છે. તેમાં પણ આ વર્ષે 25 ટકા ફી કાપીને આપવાનો પરિપત્ર થયો છે. જે અમને ખુબ અન્યાયકર્તા છે. આ મામલે ન્યાય નહીં મળે તો કોર્ટમાં જવાની તૈયારી મહામંડળે દર્શાવી છે.

October 27, 2020
naresh_kanodia.jpg
1min5730

પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મોના વિતેલા જમાનાના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાના ગંભીર ઇન્ફેકશનની સારવાર દરમિયાન આજરોજ તા.27મી ઓક્ટોબર 2020ની સવારે નિધન થયું છે. 77 વર્ષીય નરેશ કનોડીયા અમદાવાદની યુએન મહેતા કોલેજમાં સારવાર હેઠળ હતા.

નરેશ કનોડીયાના મોટા ભાઇ મહેશ કનોડિયાનું અવસાન બે દિવસ પહેલા જ  થયું હતું.

ઢોલીવુડના સ્ટાર નરેશ કનોડિયાને કોરોના થતાં તેમને યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા હોવાના સમાચાર આવ્યા હતા. સ્વર્ગસ્થ અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તેમને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા જ તેમના મોતની અફવા પણ ઉડી હતી, જેના પર તેમના પુત્રએ ખુલાસો કર્યો હતો.

ગંભીર હાલતમાં રહેલા નરેશ કનોડિયાની રિકવરી માટે તેમના ચાહકો પ્રાર્થના કરી રહ્યા હતા. જોકે, આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દેશ-વિદેશમાં અનેક શો કરી ચૂકેલી મહેશ-નરેશની જોડી બે દિવસ પહેલા જ ખંડિત થઈ હતી. મોટાભાઈના અવસાન વખતે પણ નરેશ કનોડિયા હોસ્પિટલમાં હોવાથી હાજરી નહોતા આપી શક્યા.

100થી પણ વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા નરેશ કનોડિયાએ રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. તેઓ કરજણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી પણ જીત્યા હતા. તેમના દીકરા હિતુ કનોડિયા હાલ ઈડરના ધારાસભ્ય છે. તેમના મોટાભાઈ મહેશ કનોડિયા પણ પાટણ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા