જેની શાળાઓ આખા ભારત દેશ ઉપરાંત વિદેશોમાં પણ પથરાયેલી છે એ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE દ્વારા આજરોજ તા.3 ઓગસ્ટ 2021ના રોજ ધો.10નું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. કોરોના પેન્ડેમિકને કારણે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE સમેત કોઇપણ રાજ્ય બોર્ડ દ્વારા ફિઝિકલ ઓફલાઇન પરીક્ષાઓ થઈ શકી નથી તેવા સંજોગોમાં આંતરીક મૂલ્યાંકન અને અગાઉના વર્ષોના પરીણામોને આધારે સીબીએસઇએ આજે ઔપચારિક પરીણામ જાહેર કર્યું છે.
સુરતની જાણિતી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE એફિલિયેટેડ સ્કુલના સંચાલકે જણાવ્યું કે આજના પરીણામનું મહત્વ દસ્તાવેજી રીતે છે, વિદ્યાર્થીઓને માર્કશીટ આજે નહીં પણ ભવિષ્યમાં જરૂર પડશે એટલે પરીણામ તો જરૂરી હતું પછી ભલે એ ઔપચારિક જ બનીને ભલે ને રહી ગયું હોય. તેમણે કહ્યું કે ધો.11 સાયન્સ, કોમર્સ અને હ્યુમેનિટીઝમાં 25 ટકા જેટલો સિલેબસ પૂરો થઇ ચૂક્યો છે અને કોચિંગ ક્લાસીસોએ તો 40 ટકા સુધી ભણાવી દીધું છે ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE પરીણામોની શૈક્ષણિક મહત્વતા રહી નથી.
ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીનું રજિસ્ટ્રેશન 14 ઓગસ્ટ સુધી લંબાવાયું
ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ કાર્યવાહી ગુજરાતમાં એક મહિના અગાઉ શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ, દેશના સૌથી મોટા બોર્ડ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSEનું ધો.10નું પરીણામ અત્યંત વિલંબથી એટલે કે તા.3 ઓગસ્ટે જાહેર થતાં ગુજરાતમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સ http://www.acpdc.co.in ની પ્રવેશ કાર્યવાહી તા.14મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.
















