ગુજરાત Archives - Page 32 of 158 - CIA Live

October 16, 2021
girlion.jpg
1min476

દેશની શાન સમાન ગીર જંગલમાં વનરાજોનું વેકેશન પૂર્ણ થતા આવતીકાલથી 16થી સાસણમાં સિંહ દર્શનનો પ્રારંભ થનાર છે. આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે, ઓનલાઇન પરમીટ મેળવનાર પ્રવાસીઓ સાસણ પહોંચ્યા છે.

ચોમાસુ અને નવરાજોના મેટીંગ પીરીયડને કારણે ચાર માસ સાસણ જંગલમાં સિંહ દર્શન બંધ રહે છે, તે આજે પૂર્ણ થતા આવતીકાલ તા.16થી સિંહ દર્શનનો પ્રારંભ થશે, જીપ્સી, ગાઇડ અને વનતંત્ર આ માટે સજ્જ થયું છે. કોરોના મહામારીને કારણે લાંબો સમય ગીર જંગલના સાસણમાં સિંહ દર્શન બંધ રહ્યા હતા અને સંક્રમણ ઘટતા શરૂ થયા બાદ ચોમાસું આવી જતા વનરાજોનું વેકેશન શરૂ થતા સિંહ દર્શન બંધ રહ્યા બાદ આવતી કાલથી શરૂ થઇ રહ્યું છે અને  આગામી સપ્તાહ સુધીનું રજિસ્ટ્રેશન હોવાનું વનસૂત્રો જણાવી રહ્યા છે.

October 16, 2021
dakor.jpg
1min448

ગુજરાતભરમાં રસીકરણ ૧૦૦ ટકા પૂર્ણ કરવા માટે જિલ્લાઓમા અલગ અલગ કિમિયા અજમાવવા માં આવી રહ્યા છે ત્યારે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ઓછા રસીકરણની સમસ્યાને નાથવા માટે પાલિકાના ચીફ ઓફિસરે એક પત્ર જારી કર્યો હતો. આ કામગીરી કરવા માટે તેમણે પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી. અત્યાર સુધી ડાકોર શહેરમાં ૬૫ ટકા જેટલું રસીકરણ થયું છે.

ઇન્સ્પેક્ટરને સંબોધીને લખેલા પત્ર તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ડાકોર મંદિરમાં દર્શન કરવા આવતા ડાકોર ગામના નાગરિકોએ વૅક્સિન મુકાવી હોય તો તેઓનું વૅક્સિનેશન સર્ટિફીકેટ ચકાસ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવાનો રહેશે. 

વધુમાં જણાવ્યું હતુ કે ૧૩મી ઓક્ટોબરના રોજ ઠાસરા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલી મીટિંગમાં ડાકોરવાસીઓના વૅક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. ચીફ ઓફિસરે આ મીટિંગનો હવાલો આપી સ્થાનિક લોકોના મંદિર પ્રવેશ પહેલા તેમનું વેક્સિનેશન છે કે નહીં ચેક કરવાનો ઉલ્લેખ કર્યો છે. અમદાવાદ શહેરમાં પણ જે લોકોએ વેક્સીન ન લીધી હોય તેઓને બી.આર.ટી.એસ.માં બેસવા દેતા નથી.  મંદિર બહાર વેક્સિનેશન સેન્ટર ઊભું કરાયું છે, જે વ્યક્તિને પોતાની ઈચ્છાથી વેક્સિન લેવી હોય તે વેક્સિન લઈ શકે છે.

October 15, 2021
government_gujarat_gandhinagar.jpg
1min501

ગુજરાત રાજ્ય સરકારે આગામી નવેમ્બર માસના પહેલા જ સપ્તાહમાં આવતા દિવાળી પર્વ નિમિત્તે સરકારી કર્મચારીઓને ભેટ આપી ખુશખબર આપી છે.

ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા પગાર મળી જાય એ માટે કાર્યવાહી હાથ ધરતા રાજ્ય સરકાર દ્વારા ઠરાવ કર્યો છે.

આ ઠરાવમાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર 4-11-2021ના રોજ હોઈ, કર્મચારીઓ અને પેન્શનરો આનંદ અને ઉત્સાહપુર્વક આ તહેવાર ઉજવી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઓક્ટોબર 2021 માસના પગાર ભથ્થા તથા પેન્શનની ચૂકવણી વહેલી કરવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, ઓક્ટોબર 2021 માસના રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ/પેન્શનરોના પગાર ભથ્થા/પેન્શનની ચૂકવણી તા. 13-10-1993ના ઠરાવમાં જણાવ્યા પ્રમાણે મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોને બદલે, વંચાણમાં લીધેલ તારીખ 20-4-1993ના ઠરાવમાં છૂટછાટ મુકીને 25-10-2021 તથા 26-10-2021 દરમિયાન તબક્કાવાર કરવાનું ઠરાવવામાં આવે છે.

કોન્ટ્રાક્ટ બેઝ એટલે કે કરાર આધારિત કર્મચારીઓના પગાર પણ સરકાર વહેલો કરશે. ઠરાવમાં જણાવ્યા અનુસાર શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ તથા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીઓને પણ લાગુ પડશે.

October 5, 2021
bjp_logo.png
1min527

પાટનગરના 11 વોર્ડની 44 બેઠકોમાંથી ભાજપ 41 બેઠકો પર જીત, કોંગ્રેસને રોકડી 2 અને આપને ફક્ત 1થી સંતોષ માનવો પડ્યો

ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં ગત રવિવારે યોજાયેલા મતદાન બાદ આજરોજ તા.5મી ઓક્ટોબર 2021ના રોજ યોજાયેલા મતગણતરીના અંતે ભાજપાએ ગાંધીનગરમાં પ્રચંડ અને અભૂતપૂર્વ બહુમતિ પ્રાપ્ત કરી લીધી છે. પાટનગરના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપ 41 બેઠકો પર જીત મેળવી ચૂક્યું છે, જ્યારે કોંગ્રેસ 02 અને આમ આદમી પાર્ટી 01 બેઠક પર વિજયપ્રાપ્ત કરી શક્યા છે.

ગાંધીનગર ખાતે અભતૂપર્વ વિજય મેળવ્યા બાદ સી.આર. પાટીલે પોતાની પ્રથમ પ્રતિક્રીયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રીજા પાર્ટીને કોઇ અવકાશ નથી. ગુજરાતના મતદારો ભાજપ સાથે રહ્યા છે અને રહેશે.

એ પૂર્વે બપોરે 12.30 કલાકની સ્થિતિએ ગાંધીનગરમાં વોર્ડ નં. 1, 4, 5, 7, 8, 9 અને 10માં ભાજપની પેનલનો વિજય નિશ્ચિત બન્યો છે. હાલ ભાજપ 34થી વધુ બેઠકો પર આગળ છે. અત્યારસુધી આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં માત્ર એક જ બેઠક જીતી શકી છે. રિપોર્ટ્સ અનુસાર, વોર્ડ નં.6માં પક્ષના ઉમેદવાર તુષાર પરીખની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસે વોર્ડ નં.3માં એક બેઠક પર જીત મેળવી છે તેમજ વોર્ડ નં.2માં તેના બે ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.

ગાંધીનગરમાં આ વખતે નો રિપિટ થિયરી લાગુ કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના સિટિંગ કોર્પોરેટરોનાં પત્તા કપાયાં હતાં. જોકે, આ વખતે પાટનગરમાં કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટીએ તોડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણકે, આપના આગમનથી ભાજપને ખાસ ફરક પડ્યો હોય તેવું જણાતું નથી, પરંતુ કોંગ્રેસને તેનાથી મોટો ફટકો પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. પ્રારંભિક અંદાજો અનુસાર, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ તોડ્યા છે. જોકે, સુરત મ્યુ. કોર્પોરેશનમાં આશ્ચર્યજનક દેખાવ કરનારી આમ આદમી પાર્ટી ગાંધીનગરની ચૂંટણીમાં ખાસ ઝળકી શકી નથી.

રાજ્યમાં હાલમાં જ સત્તા પરિવર્તન થયું છે. પૂર્વ સીએમ વિજય રુપાણી અને તેમના તમામ મંત્રીઓની એક્ઝિટ બાદ નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને ગુજરાતના શાસનની ધૂરા સોંપવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલના સત્તામાં આવ્યા બાદ પહેલીવાર રાજ્યમાં ચૂંટણી થઈ રહી છે. જેમાં ભાજપનો દેખાવ કેવો રહે છે તે તેમના માટે પણ ખાસ્સું મહત્વનું છે. ઉલ્લેખનીય છે કે, નવી સરકારમાં નો રિપિટ થિયરી લાગુ કરાયા બાદ ગાંધીનગરમાં પણ તેનું અનુકરણ કરાયું છે, જેનો સ્પષ્ટ ફાયદો પક્ષને થતો દેખાઈ રહ્યો છે.

October 2, 2021
Saurastra.png
1min421
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલિયા વિસ્તારની આ તસવીરમાં જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં મોટા ભાગે આવી જ હાલત જોવા મળી રહી છે

ગુજરાતમાં પડી રહેલા વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં લીલા દુકાળ જેવી સ્થિતિ ઊભી થવા પામી છે. જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદે વિનાશ વેર્યો છે ત્યારે ભારે વરસાદથી તેમ જ નદી-નાળાં છલકાતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે અને કપાસ, મગફળી, તલ, સોયાબીન સહિતનો ઊભો પાક ધોવાયો છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. પહેલાં તો વરસાદ ખેંચાયો હતો અને હવે જતાં-જતાં વરસાદ જાણે કે વિનાશ વેરતો હોય તેમ ધોધમાર વરસાદ પડતાં કંઈ કેટલાય વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિમાં આવી ગયા છે. વિસાવદર, માળિયા હાટીના, તાલાલા, વેરાવળ, ખંભાળિયા, ઉમરાળા, સાવરકુંડલા, લીલિયા, કોડીનાર, સુત્રાપાડા, ઉના, માંગરોળ સહિતના પંથકોનાં ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. કેટલાક પાક લણવા પર આવ્યા હતા ત્યારે આકાશી આફત આવી અને વરસાદે રસાતાળ કરી દેતાં ખેડૂતો માટે જાણે કે આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ સરજાઈ છે.

સાવરકુંડલાના વિધાનસભ્ય પ્રતાપ દુધાતે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. નદીકિનારાનાં ગામોને વધારે નુકસાન થયું છે. કપાસ, તલ, મગફળીનો પાક તૈયાર હતો એ ફેલ ગયો છે. અમારા વિસ્તારનાં ૧૧૭ ગામો છે ત્યાં વરસાદ અને પૂરના કારણે ખેતરોમાં નુકસાન થયું છે. સરકારે સાવરકુંડલા અને લીલિયા તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોને થયેલી નુકસાનીનો સર્વે કરાવી આર્થિક પૅકેજ જાહેર કરવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી  માગણી કરી છે.’

September 25, 2021
Garba-Nights.jpg
1min431

આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે. તે બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વચ્ચે યોજાયેલી બેઠકમાં માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. લગ્ન પ્રસંગોમાં પણ અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓ માટે છૂટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય  તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર-ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે. તે બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વચ્ચે યોજાયેલી બેઠકમાં માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. લગ્ન પ્રસંગોમાં પણ અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓ માટે છૂટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય  તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર-ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.

પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં નહીં આવે

રાજ્ય સરકારે ૪૦૦ વ્યક્તિની મર્યાદામાં શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો કરવાની છૂટ આપી છે. અર્થાત્ હવે આગામી નવરાત્રિની ઉજવણી નિયમોને આધિન ધામધૂમથી કરી શકાશે. સરકારે હાલના રાતના ૧૧થી સવારના ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફ્યૂમાં એક કલાકનો ઘટાડો કર્યો છે. જે હવે રાતના ૧૨થી સવારના ૬ વાગ્યા સુધી રહેશે. જોકે, રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં નહીં આપવાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત સરકારે અંતિમક્રિયા માટે પણ વ્યક્તિઓની ઉપસ્થિતિની સંખ્યામાં વધારો મંજૂર કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી હતી. જેમાં હાલના કોરનાના સંક્રમણની કેસોની સ્થિતિ સહિતના અન્ય મુદ્દાને ધ્યાનમાં લઈને આ નિર્ણયો લીધા છે. અમદાવાદ સહિત વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર જેવા આઠ મહાનગરોમાં હાલ રાત્રિ કરફયુ અમલમાં છે ત્યાં હવે રપમીના શનિવારથી રાત્રિના ૧ર વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં રહેશે એટલે કે, હાલના જે રાતના ૧૧થી સાવરના ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં છે. તેમાં એક કલાકનો ઘટાડો કરાયો છે. જે ૧૦મી ઓક્ટોબર, ર૦ર૧ના સવારના ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે.  

અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની ૪૦ વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના ૧૦ વાગ્યા સુધી અગાઉ ક્ષમતાના ૬૦% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના ૭પ% સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં, તે પણ હવે રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે.

September 21, 2021
rain_forecast.png
1min505

આઈએમડી ગુજરાતના હેડ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, પૂર્વ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર પર પર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે. ‘અનુકૂળ સ્થિતિ હજી પણ રાજ્યને વરસાદ આપશે. બુધવાર બાદથી ક્યારેક ભારે વરસાદની શક્યતાની સાથે છુટોછવાયો વરસાદ પણ પડી શકે છે’, તેમ તેમણે કહ્યું હતું.

21/9/21, મંગળવારે પંચમહાલ, મહીસાગર, નવસારી અને વલસાડના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, તેવો ઉલ્લેખ આઈએમડીએ કર્યો હતો. શુક્રવારે ડાંગ, નવસારી અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, તેમ આગાહીમાં ઉમેરવામાં આવ્યું હતું.

dt.20/9/21 સોમવારે, રાતે 8 વાગ્યા સુધીમાં છોટા ઉદેપુરમાં 2.83 ઈંચ, બોડેલીમાં 2.51 ઈંચ, પાવી જેતપુરમાં 1.96 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે મહેસાણાના ઉંઝામાં 1.92 ઈંચ, ખેડાના માતરમાં 1.81 ઈંચ અને મહેસાણાના વિસનગરમાં 1.69 ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદે રાજ્યના જળાશયો અને ખેતીને નવું જીવન આપ્યું છે, જે સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં અછતનો સામનો કરી રહ્યા હતા.

September 21, 2021
dams.jpg
1min420

ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસથી શરૂ થયેલા વરસાદને પગલે હવે અછતની  સ્થિતિ નિવારાઇ છે. રવિવાર dt. 19/9/21 અને સોમવારે 20/9/21 પણ રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે.  

રાજ્યના જળાશયો છલકાઈ ગયાં છે. ગુજરાતમાં વરસાદ પછી ૨૦૬ ડેમો પૈકી ૭૧ ડેમોમાં ૯૦ ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યમાં આવા ૭૧ ડેમો ઉપર હાઈ એલર્ટ સિગ્નલ અપાયું છે. જ્યારે ૨૦ ડેમોમાં ૯૦ ટકા પાણીનો સંગ્રહ થતાં એલર્ટ અને ૮ ડેમો એવા છે જ્યાં ૮૦ ટકા પાણીનો સંગ્રહ થતાં વોર્નિંગનું સિગ્નલ અપાયું છે. સોમવારે સવારે પૂરા થતા  છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫ તાલુકાઓમાં વરસાદ થયો હતો . તેમજ દિવસ દરમિયાન પણ અનેક ઠેકાણે હળવાથી ભારે વરસાદ ચાલુ રહ્યો હતો.

વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, ખેડા, બનાસકાંઠા. વડોદરા, આણંદ અને અમદાવાદમાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ૧૯મી સપ્ટેમ્બરની સ્થિતિએ ૫૧ ડેમો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ ડેમોમાં ૬૬.૪૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં અત્યારે ૭૭.૦૪ ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩માંથી ત્રણ ડેમ સંપૂર્ણ છલકાયા છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં પાણીની ખાસ આવક થઈ નથી. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૨૯.૨૦ ટકા અને કચ્છના ૨૦ ડેમમાં ૨૬.૪૬ ટકા પાણીનો સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૫૬.૯૩ ટકા ઉપરાંત સરદાર સરોવર ડેમમાં ૫૪.૯૨ ટકા પાણીનો સંગ્રહ થયો છે.

September 17, 2021
bhupen.jpg
3min481
Gujarat CM Bhupendra Patel's new cabinet sworn in, 'No Repetition' from  Rupani cabinet, 24 ministers take oath - The Economic Times Video | ET Now

ગુજરાતમાં નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં તેમના સહિત કુલ 25 મંત્રીઓનો સમાવેશ થાય છે, જેમાંથી 10ને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે, પાંચ રાજ્યકક્ષાના પરંતુ સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી છે અને દસ રાજ્યકક્ષાના મંત્રી છે.

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કયા મંત્રી કેટલું ભણેલા છે તેની વિગતો ગુજરાત વિધાનસભાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે એ મુજબ 10 મંત્રીઓ ગ્રેજ્યુએટ છે જ્યારે 10 મંત્રીઓ દસમા સુધી પણ માંડ ભણ્યા છે. કયા મંત્રી કેટલું ભણેલા છે, અને કઈ વિધાનસભા બેઠકનું નેતૃત્વ કરે છે તેની માહિતી નીચે અનુસાર છે:

કેબિનેટ મંત્રીઓ

1. રાજેન્દ્ર ત્રિવેદી
શૈક્ષણિક લાયકાત: બીએસસી, એલએલબી
વિધાનસભા બેઠક: રાવપુરા, વડોદરા

2. જીતુ વાઘાણી
શૈક્ષણિક લાયકાત: બી.કોમ., એલએલ.બી., એલ.ડી.સી.
વિધાનસભા બેઠક: ભાવનગર પશ્ચિમ

3. ઋષિકેશ પટેલ
શૈક્ષણિક લાયકાત: અંડર ગ્રેજ્યુએટ, સિવિલ એન્‍જિનિયરિંગ (ડિપ્લોમા)
વિધાનસભા બેઠક: વિસનગર

4. પૂર્ણેશ મોદી
શૈક્ષણિક લાયકાત: બી.કોમ., એલએલ.બી.
વિધાનસભા બેઠક: સુરત પશ્ચિમ

5. રાઘવજી પટેલ
શૈક્ષણિક લાયકાત: બી.એ., એલ.એલ.બી.
વિધાનસભા બેઠક: જામનગર ગ્રામ્ય

6. કનુ દેસાઈ
શૈક્ષણિક લાયકાત: બી.એ., એલ.એલ.બી.
વિધાનસભા બેઠક: જામનગર (ગ્રામ્ય)

7. કિરીટસિંહ રાણા
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: લીંબડી, સુરેન્દ્રનગર

8. નરેશ પટેલ
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: ગણદેવી, નવસારી

9. પ્રદીપ પરમાર
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: અસારવા, અમદાવાદ શહેર

10. અર્જુનસિંહ ચૌહાણ
શૈક્ષણિક લાયકાત: બી.કોમ, ડીસીએમ
વિધાનસભા બેઠક: મહેમદાવાદ, ખેડા

રાજ્યકક્ષા, સ્વતંત્ર હવાલો

11.હર્ષ સંઘવી
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: મજૂરા, સુરત

12. જગદીશ પંચાલ
શૈક્ષણિક લાયકાત: એસ.વાય. બી.એ., એમ.બી.એ. ઈન માર્કેટિંગ (સર્ટિફિકેટ કોર્સ).
વિધાનસભા બેઠક: નિકોલ, અમદાવાદ શહેર

13. બ્રિજેશ મેરજા
શૈક્ષણિક લાયકાત: પોસ્ટ ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠક: મોરબી

14. જીતુ ચૌધરી
શૈક્ષણિક લાયકાત: અંડર મેટ્રિક
વિધાનસભા બેઠક: કપરાડા, વલસાડ

15. મનીષા વકીલ
શૈક્ષણિક લાયકાત: એમ.એ., બી.એડ. (અંગ્રેજી સાહિત્ય)
વિધાનસભા બેઠક: વડોદરા શહેર

રાજ્યકક્ષાના મંત્રીઓ

16. મુકેશ પટેલ
શૈક્ષણિક લાયકાત: એચ.એસ.સી., ડ્રાફ્ટ્સમેન સિવિલ
વિધાનસભા બેઠક: ઓલપાડ, સુરત

17. નિમિષા સુથાર
શૈક્ષણિક લાયકાત: અંડર ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠક: મોરવા હડફ, પંચમહાલ

18. અરવિંદ રૈયાણી
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: રાજકોટ પૂર્વ

19. કુબેર ડિંડોર
એમ.એ., પીએચ.ડી
વિધાનસભા બેઠક: સંતરામપુર, મહિસાગર

20. કિર્તીસિંહ વાઘેલા
શૈક્ષણિક લાયકાત: અંડર ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠક: કાંકરેજ, બનાસકાંઠા

21. ગજેન્દ્રસિંહ પરમાર
શૈક્ષણિક લાયકાત: ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠક: પ્રાતિંજ, સાબરકાંઠા

22. રાઘવજી મકવાણા
શૈક્ષણિક લાયકાત: અંડર ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠક: મહુવા, ભાવનગર

23. વિનોદ મોરડિયા
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: કતારગામ, સુરત

24. દેવા માલમ
શૈક્ષણિક લાયકાત: અંડર મેટ્રિક
વિધાનસભા બેઠક: કેશોદ, જૂનાગઢ

September 17, 2021
Free-vaccinee-1280x720.jpg
1min391

૧૭મી સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં કોવિડ-૧૯ રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાહેરાત  આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કરી છે. તેમણે જણાવ્યુ કે, આ મેગા ડ્રાઇવ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ડ્રાઇવ દરમ્યાન ૭,૫૦૦ જેટલા ગામડાઓમાં ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે. આ મેગા ડ્રાઇવ દરમ્યાન ૩૫ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવાનું આયોજન છે. 

તેમણે જણાવ્યું કે, રાજ્યના શ્રમિક-કામદાર તથા ગરીબ પરિવારોને આરોગ્ય રક્ષણ પુરુ પાડવાના ઉદ્દેશ સાથે તેમના રહેણાંક વિસ્તાર પાસે આરોગ્ય સુવિધા ઉભી કરવા આવતી કાલથી જ નિષ્ણાંત તબીબી ટીમ સાથે દિનદયાલ ઔષધાલય ઉભા કરવામાં આવશે.

અગ્રવાલે કહ્યું કે, રસીકરણની મેગા ડ્રાઇવને સફળ બનાવવા તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસીપલ કમિશ્નર સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મેગા ડ્રાઇવ અંગે તૈયારીની સમીક્ષા કરી દેવામાં આવી છે. આ મેગા ડ્રાઇવમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ડોઝ માટે બાકી લાભાર્થી અને બીજા ડોઝ માટે ડ્યુ લાભાર્થીને રસીકરણ સેવા આપવામાં આવનાર છે. 


સાથે જ તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં અને રાજ્યમાં ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કોવિડ-૧૯ રસીકરણ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. તા. ૧૫ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કુલ ૫.૩૩ કરોડ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દસ લાખ વસ્તીએ ૮,૩૪,૭૮૭ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે છે. રાજ્યમાં કુલ ૫,૯૦૬ ગામડાઓ, ૧૦૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૪ શહેરી આરોગ્ય કેન્દ્ર તથા ૧૭ તાલુકાઓમાં તમામ ૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપી ૧૦૦ ટકા રસીકરણ કરવામાં આવ્યુ છે.