CIA ALERT

ગુજરાત Archives - Page 32 of 158 - CIA Live

October 23, 2021
Gujarat-Police.jpg
1min357

રાજ્ય સરકારે એલઆરડી અને પીએસઆઈની ભરતી માટે શારીરિક કસોટીમાંથી મેરિટ પદ્ધતિ હટાવવાનો નિર્ણય કર્યો છે. હવે શારીરિક કસોટી પાસ કરનાર તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.

રાજ્ય સરકારના આ નિર્ણય અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પોલીસના સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં રાજ્યમાં વધુમાં વધુ શિક્ષિત યુવાનોને લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહે તે હેતુથી પરીક્ષામાં જરૂરી સુધારાઓ કરવા અંગે રાજ્ય સરકાર દ્વાર મહત્વનો નિર્ણય કરવામાં આવેલ છે.

તમામ ઉમેદવારોની માગણી અને લાગણીને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારોના વ્યાપક હિતમાં હકારાત્મક વિચારણા કરીને સબ ઈન્સ્પેક્ટર સંવર્ગોમાં 15 ગણા અને લોક રક્ષક સંવર્ગોમાં 8 ગણા મેરિટ મેરિટોરિયસ ઉમેદવારોને આગામી તબક્કાની લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેની પ્રવર્તમાન જોગવાઈઓને રદ કરીને શારીરિક કસોટીમાં પાસ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ભાગ લેવા સંદર્ભે પરીક્ષા નિયમોમાં જરૂરી સુધારો કરવામાં આવેલ છે.

એડિશનલ ડીજીપી હસમુખ પટેલે ટ્વીટ કરીને નવા નિયમો અંગે માહિતી આપી હતી. તેઓએ પોસ્ટ કરતાં લખ્યું હતું કે, લોકરક્ષક ભરતી નિયમોમાં ફેરફાર: શારીરિક કસોટી પાસ કરનાર એટલે કે 25 મિનિટમાં પાંચ કિલોમીટર દોડનાર પુરુષ તથા 9.5 મિનિટમાં 1600 મીટર દોડનાર મહિલા તથા ઉંચાઇ- વજન- છાતીના ધોરણમાં પાસ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષાની તક આપવામાં આવશે. લોકરક્ષક ભરતીમાં ઉમેદવારે દોડવામાં લીધેલા સમયને આધારે તેમને માર્ક્સ મળશે અને તે મેરીટમાં ધ્યાને લેવામાં આવશે.

રાજ્યમાં કોરોના વાયરસની મહામારીના કારણે પેન્ડિંગ રહેલી પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સારી બને તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27,847 જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો હતો.

આ ભરતી અંગે અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજ્યમાં બિન-હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પ્લાટૂન કમાન્ડર), ઈન્ટેલિજન્સ ઓફિસર, બિન-હથિયારી અસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ (માનદ)ની મળીને અંદાજીત 27,847 જગ્યાઓ માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

October 20, 2021
cia_edu-1280x925.jpg
1min825

રાજ્યના શાળાકીય શિક્ષણ ક્ષેત્રમાં સંકળાયેલા તમામ સરકારી, ખાનગી કર્મચારીઓ, વ્યવસાયિકોને આગામી તા.25મી ઓક્ટોબર 2021ના રોજ ખાદીના વસ્ત્ર પરિધાન કરીને ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન અભિયાનમાં સંમેલિત થવા માટે રાજ્યના નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામકે એક પરિપત્ર દ્વારા અપીલ કરી છે. 25મી ઓક્ટોબરે એક દિવસ પૂરતું જો શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકો જો ખાદી પરિધાન કરશે તો તેનાથી સ્વરોજગારી પણ વધશે અને આત્મનિર્ભર અભિયાનને પણ વેગ મળશે.

Khadi,Khadi Clothing,Indian Khadi,Cotton Khadi,Khadi Garments,Khadi Clothes, Khadi Products - Fibre2Fashion

એક પરિપત્રમાં નાયબ શિક્ષણ નિયામકે દરેક જિલ્લા શિક્ષણાધિકારીઓને જણાવ્યું છે કે ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશનના મંત્રને ચરિતાર્થ કરવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ કાર્યક્રમથી રાજ્યના વણાટ ક્ષેત્રે કાર્યરત જરૂરીયાતમંદ લોકોને રોજગારી મળી રહે, આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય અને ખાદી ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય તેવા ઉમદા હેતુથી ખાદી ખરીદવા તથા ખાદી પહેરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિભાગ હસ્તકના ખાતાના વડાની કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ અને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ ટેકનિકલ શિક્ષણ સાથે સંકળાયેલા અને કાર્યરત તમામ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા હોદ્દેદારો, આચાર્યો, અધ્યાપકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને બિન શૈક્ષણિક સ્ટાફને વ્યક્તિગત તથા સામૂહિક રીતે ખાદી ખરીદવા તથા ખાદી પહેરવા માટેના અભિયાનમાં સ્વેચ્છાએ બહોળી સંખ્યામાં સહભાગી થવા તથા આગામી તા.25મી ઓક્ટોબરના રોજ સામૂહિક રીતે ખાદીના વસ્ત્રો પહેરવા માટે સૌને પ્રેરિત કરવા અપીલ કરવામાં આવે છે.

October 19, 2021
CIA-1280x937.jpg
1min732

ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રા અટકાવી દેવાઈ છે. આ યાત્રા પર નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ અધવચ્ચે અટવાઇ ગયા હોવાના અહેવાલ છે. તા.18મી ઓક્ટોબરને સોમવારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાતા પ્રવાસીઓને સલામાત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

હેલ્પલાઈન નંબર 079-23251900

ચારધામની યાત્રા માટે ઉત્તરાખંડ ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે હોટેલો, ગેસ્ટ હાઉસોમાં સપડાયા છે. ત્યાં સપડાયેલા ગુજરાતીઓના ખબર અંતર અહીં ગુજરાતમાં વસતા તેમના સગાસબંધીઓ, સ્નેહીઓ વગેરેને મળી શકે એ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક હેલ્પલાઈન નંબર 079-23251900 જાહેર કર્યો છે. આ નંબર પર ઉત્તરાખંડમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ વિગતો આપી તેમજ મેળવી શકશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ અને સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંગ ધામી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ત્યારબાદ ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યમંત્રી ની સૂચનાને પગલે રાજ્ય સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

October 17, 2021
cia_edu-1280x925.jpg
1min778

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષય સાથે 2021માં પાસ જાહેર થયેલા દેશના 13 લાખ જેટલા વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીની દિશા નક્કી કરવાનું છે એ નીટના પરીણામ અંગેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. ગુજરાતમાં તો નીટ 2021ના સ્કોરથી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી એમ ચારેય તબીબી અને પેરામેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ફક્ત નીટનો જ સ્કોર મેરીટ તરીકે ગણવામાં આવે છે. ગુજરાતના અંદાજે 75 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ, શિક્ષકો, સ્કુલો નીટ અન્ડર ગ્રેજ્યુએટની પરીક્ષાનું પરીણામ ક્યારે જાહેર થશે એ માટે દિવસમાં 10થી 15 વખત એનટીએની વેબસાઇટ ફંફોસતા જોવા મળી રહ્યા છે.

બાયોલોજી વિષય સાથે જે વિદ્યાર્થીઓ છેલ્લા અઢી વર્ષથી જેના માટે સખત મહેનત કરી છે એ મેડીકલ, પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ અન્ડર ગ્રેજ્યુએટ 2021ની પરીક્ષાનું પરીણામ હવે ગમે તે ઘડીએ તા.17 કે 18મી ઓક્ટોબરે જાહેર થાય તેવી સંભાવનાઓ છે.

અગાઉ કેટલાક મિડીયામાં તા.16મી ઓક્ટોબરે પરીણામ જાહેર થશે એવી અટકળો સેવાય રહી હતી.

નીટ યુજીના પરીણામ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી કોઇ જ સત્તાવાર આગોતરી જાણકારી કે નોટિફિકેશન જાહેર થયું ન હોઇ, નિષ્ણાંતોના મત મુજબ હવે તા.17મી કે 18મી ઓક્ટોબરે ગમે તે ઘડીએ નીટની ઓફિશ્યલ વેબસાઇટ પર નીટ યુજી 2021નું પરીણામ જાહેર થઇ શકે છે. વિદ્યાર્થીઓને સતત નીટ એનટીએ વેબસાઇટ જોતા રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

જનરલી એવું બનતું હોય છે કે આન્સરકી સામે વાંધો ઉઠાવવાની મુદત પૂર્ણ થયાના એક કે બે દિવસમાં પરીણામ જાહેર થાય છે. નીટ યુજી માટેની આન્સર કી સામેના વાંધા ઉઠાવવાની સમય મર્યાદા તા.14મી ઓક્ટોબરના રોજ પૂર્ણ થઇ ચૂકી છે. હવે નિષ્ણાંતો જણાવે છે કે ગમે તે ઘડીએ નીટ યુજીનું પરીણામ નીટની ઓફિશ્યલ વેબસાઇટ પર જાહેર થઇ શકે છે.

ગુજરાતમાં મેડીકલ પેરામેડીકલ કોલેજોનું વર્તમાન સ્ટેટસ

ગુજરાતની મેડીકલ કોલેજોનું 2020નું કટ ઓફ

October 17, 2021
rte-1280x719.jpg
1min502

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી દીઠ ફીની રકમમાં સરકાર દ્વારા 9 વર્ષે વધારો કરાયો છે. અત્યાર સુધી વિદ્યાર્થી દીઠ મહત્તમ રૂ. 10 હજાર ચૂકવવામાં આવતા હતા, જેના બદલે હવે સ્કૂલોને વિદ્યાર્થી દીઠ મહત્તમ રૂ. 13 હજાર ચૂકવાશે. આમ, 2012 પછી RTEની ફીમાં પ્રથમ વખત વધારો કરાયો છે. આ વધારો ખૂબ જ મામૂલી હોવાનું જણાવી સંચાલકો આગામી દિવસોમાં રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

હવે સ્કૂલની ફી રૂ. 13 હજાર કરતા ઓછી હશે તો જેટલી ફી હશે તેટલી ફી ચૂકવાશે, પરંતુ જો સ્કૂલની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા વધારે નક્કી કરેલી હશે તો મહત્તમ રૂ. 13 હજાર જ ફી ચૂકવાશે. 2012 બાદ 9 વર્ષે સરકાર દ્વારા રૂ. 3 હજારનો વધારો કરવામાં આવતા સંચાલકોએ આ વધારા સામે નારાજગી વ્યક્ત કરી છે.

RTEનો અમલ રાજ્યમાં 2012થી કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા RTE હેઠળ ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ફી ચૂકવવામાં આવતી હોય છે. 2012માં રાજ્યમાં RTEનો અમલ કરવામાં આવ્યો ત્યારબાદ ફીનું માળખું નક્કી કરાયું હતું. જે મુજબ સરકાર દ્વારા મહત્તમ રૂ. 10 હજાર ફી નક્કી કરવામાં આવી હતી. જેથી કોઈ સ્કૂલની ફી રૂ. 10 હજાર કરતા ઓછી હોય તો સ્કૂલની જેટલી ફી હોય તેટલી ફી સ્કૂલને ચૂકવવામાં આવશે, પરંતુ જો સ્કૂલની ફી રૂ. 10 હજાર કરતા વધુ હોય તો મહત્તમ રૂ. 10 હજાર જ ફી ચૂકવાતી હતી.

2012માં કાયદોનો અમલ કરવામાં આવ્યો ત્યારે ફીનું ધોરણ નક્કી કરાયું હતું. જોકે, ત્યારબાદ ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોઈ સંચાલકો દ્વારા અવારનવાર આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ફી વધારા માટે રજૂઆતના પગલે સરકાર દ્વારા હવે તેમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેથી હવે RTEમાં પ્રવેશ મેળનારા વિદ્યાર્થી દીઠ મહત્તમ ફી રૂ. 10 હજારથી વધારીને રૂ. 13 હજાર કરવામાં આવી છે. આમ, સ્કૂલોને હવે મહત્તમ રૂ. 13 હજાર સુધીની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.

October 17, 2021
ferti.jpg
1min461

ખરીફ પાકોને વરસાદથી પહોંચેલાં નુકસાનનું વળતર તો મળે ત્યારે પણ અત્યારે તો ખેડૂતો ઉપર ખાતરના ભાવવધારાનો બોજ લદાઈ ગયો છે. દેશની ટોચની ખાતર ઉત્પાદક સહકારી સંસ્થા ઇફકોએ એનપીકે ખાતરના ભાવમાં વધારો કરી દીધો છે. આ ખાતરનો ભાવ ગુણીએ રૂ. 265 સુધી વધારાતા ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઈ ગઈ છે. ચારેકોરથી વિરોધ વંટોળ ઉઠયો છે.

ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે, ઇફકોએ એનપીકેનો ભાવ રૂ. 1700 કર્યો છે, કારણ કે ગયા વર્ષે સસ્તાંમાં વેંચીને સંસ્થાએ રૂ. 400 કરોડની ખોટ કરી હતી. જોકે હવે સંસ્થાએ આંતરરાષ્ટ્રીય બજારને પગલે રૂ. 1700 સુધીનો ભાવવધારો કરવો પડયો છે. છતાં સરકારે એનપીકેમાં રૂ. 1470થી વધારે ભાવ નહીં લેવા આદેશ કર્યો છે એટલે ઇફકો એનપીકે રૂ. 1450માં આપશે.

અગાઉ ઇફકો એનપીકે રૂ. 1185માં વેચતી હતી તેના રૂ. 1440 કરાયા છે જ્યારે એનપીકે 12-32-16માં રૂ. 1450 કરાયા છે. મહાધનનો ભાવ રૂ. 10-26-26માં રૂ.1295 હતો તે વધારીને રૂ. 1750 કરાયો છે. મહાધન 12-32-16નો ભાવ રૂ. 1300 હતો તે વધારીને રૂ. 1800 કરાયો છે. સલ્ફેટ રૂ. 656થી વધારીને રૂ. 775 કરાયો છે. પોટાશમાં રૂ. 975 વાળો ભાવ રૂ. 1040 કરાયો છે.

સંઘાણીના કહેવા પ્રમાણે સરકાર દ્વારા 1 લાખ કરોડની ખાતર સબસીડી આપવામાં આવતી હતી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવમાં સખત વધારો થઈ રહ્યો છે એટલે ફરીથી ભાવવધારો કરવાની નોબત આવી છે. અલબત્ત, સરકારે વધુ રૂ. 25 હજાર કરોડની સબસિડી રકમ જાહેર કરી છે.

એનપીકેના ભાવ સરકારે નિયંત્રિત કરતા સરવાળે ખેડૂતોને રૂ. 1700 નહીં પણ એનપીકેના ભાવ ઓછાં ચૂકવવા પડશે. અલબત્ત, ભાવવધારો તો પાછલા બારણે આવી જ ગયો છે. આ મુદ્દે ખેડૂતોમાં રોષ પ્રગટયો છે. ખેડૂતો કહે છે, વરસાદથી નુકસાન ગયું છે. સરકારી સર્વે થયો નથી અને માલ બગડયો છે’ તેનું કોઈ વળતર નથી. મોંઘા બિયારણ અને મોંઘા ડીઝલ વચ્ચે હવે ખાતરના ભાવ પણ વધી જતા ખેડૂતો મુશ્કલીમાં મુકાયા છે. સરકારે સબસિડી આપીને વધેલા ભાવમાં રાહત આપવી જોઇએ તેવી માગણી ઉઠી છે.

October 16, 2021
girlion.jpg
1min487

દેશની શાન સમાન ગીર જંગલમાં વનરાજોનું વેકેશન પૂર્ણ થતા આવતીકાલથી 16થી સાસણમાં સિંહ દર્શનનો પ્રારંભ થનાર છે. આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે, ઓનલાઇન પરમીટ મેળવનાર પ્રવાસીઓ સાસણ પહોંચ્યા છે.

ચોમાસુ અને નવરાજોના મેટીંગ પીરીયડને કારણે ચાર માસ સાસણ જંગલમાં સિંહ દર્શન બંધ રહે છે, તે આજે પૂર્ણ થતા આવતીકાલ તા.16થી સિંહ દર્શનનો પ્રારંભ થશે, જીપ્સી, ગાઇડ અને વનતંત્ર આ માટે સજ્જ થયું છે. કોરોના મહામારીને કારણે લાંબો સમય ગીર જંગલના સાસણમાં સિંહ દર્શન બંધ રહ્યા હતા અને સંક્રમણ ઘટતા શરૂ થયા બાદ ચોમાસું આવી જતા વનરાજોનું વેકેશન શરૂ થતા સિંહ દર્શન બંધ રહ્યા બાદ આવતી કાલથી શરૂ થઇ રહ્યું છે અને  આગામી સપ્તાહ સુધીનું રજિસ્ટ્રેશન હોવાનું વનસૂત્રો જણાવી રહ્યા છે.

October 16, 2021
dakor.jpg
1min459

ગુજરાતભરમાં રસીકરણ ૧૦૦ ટકા પૂર્ણ કરવા માટે જિલ્લાઓમા અલગ અલગ કિમિયા અજમાવવા માં આવી રહ્યા છે ત્યારે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ઓછા રસીકરણની સમસ્યાને નાથવા માટે પાલિકાના ચીફ ઓફિસરે એક પત્ર જારી કર્યો હતો. આ કામગીરી કરવા માટે તેમણે પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી. અત્યાર સુધી ડાકોર શહેરમાં ૬૫ ટકા જેટલું રસીકરણ થયું છે.

ઇન્સ્પેક્ટરને સંબોધીને લખેલા પત્ર તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ડાકોર મંદિરમાં દર્શન કરવા આવતા ડાકોર ગામના નાગરિકોએ વૅક્સિન મુકાવી હોય તો તેઓનું વૅક્સિનેશન સર્ટિફીકેટ ચકાસ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવાનો રહેશે. 

વધુમાં જણાવ્યું હતુ કે ૧૩મી ઓક્ટોબરના રોજ ઠાસરા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલી મીટિંગમાં ડાકોરવાસીઓના વૅક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. ચીફ ઓફિસરે આ મીટિંગનો હવાલો આપી સ્થાનિક લોકોના મંદિર પ્રવેશ પહેલા તેમનું વેક્સિનેશન છે કે નહીં ચેક કરવાનો ઉલ્લેખ કર્યો છે. અમદાવાદ શહેરમાં પણ જે લોકોએ વેક્સીન ન લીધી હોય તેઓને બી.આર.ટી.એસ.માં બેસવા દેતા નથી.  મંદિર બહાર વેક્સિનેશન સેન્ટર ઊભું કરાયું છે, જે વ્યક્તિને પોતાની ઈચ્છાથી વેક્સિન લેવી હોય તે વેક્સિન લઈ શકે છે.

October 15, 2021
government_gujarat_gandhinagar.jpg
1min510

ગુજરાત રાજ્ય સરકારે આગામી નવેમ્બર માસના પહેલા જ સપ્તાહમાં આવતા દિવાળી પર્વ નિમિત્તે સરકારી કર્મચારીઓને ભેટ આપી ખુશખબર આપી છે.

ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા પગાર મળી જાય એ માટે કાર્યવાહી હાથ ધરતા રાજ્ય સરકાર દ્વારા ઠરાવ કર્યો છે.

આ ઠરાવમાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર 4-11-2021ના રોજ હોઈ, કર્મચારીઓ અને પેન્શનરો આનંદ અને ઉત્સાહપુર્વક આ તહેવાર ઉજવી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઓક્ટોબર 2021 માસના પગાર ભથ્થા તથા પેન્શનની ચૂકવણી વહેલી કરવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, ઓક્ટોબર 2021 માસના રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ/પેન્શનરોના પગાર ભથ્થા/પેન્શનની ચૂકવણી તા. 13-10-1993ના ઠરાવમાં જણાવ્યા પ્રમાણે મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોને બદલે, વંચાણમાં લીધેલ તારીખ 20-4-1993ના ઠરાવમાં છૂટછાટ મુકીને 25-10-2021 તથા 26-10-2021 દરમિયાન તબક્કાવાર કરવાનું ઠરાવવામાં આવે છે.

કોન્ટ્રાક્ટ બેઝ એટલે કે કરાર આધારિત કર્મચારીઓના પગાર પણ સરકાર વહેલો કરશે. ઠરાવમાં જણાવ્યા અનુસાર શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ તથા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીઓને પણ લાગુ પડશે.

October 5, 2021
bjp_logo.png
1min539

પાટનગરના 11 વોર્ડની 44 બેઠકોમાંથી ભાજપ 41 બેઠકો પર જીત, કોંગ્રેસને રોકડી 2 અને આપને ફક્ત 1થી સંતોષ માનવો પડ્યો

ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં ગત રવિવારે યોજાયેલા મતદાન બાદ આજરોજ તા.5મી ઓક્ટોબર 2021ના રોજ યોજાયેલા મતગણતરીના અંતે ભાજપાએ ગાંધીનગરમાં પ્રચંડ અને અભૂતપૂર્વ બહુમતિ પ્રાપ્ત કરી લીધી છે. પાટનગરના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપ 41 બેઠકો પર જીત મેળવી ચૂક્યું છે, જ્યારે કોંગ્રેસ 02 અને આમ આદમી પાર્ટી 01 બેઠક પર વિજયપ્રાપ્ત કરી શક્યા છે.

ગાંધીનગર ખાતે અભતૂપર્વ વિજય મેળવ્યા બાદ સી.આર. પાટીલે પોતાની પ્રથમ પ્રતિક્રીયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રીજા પાર્ટીને કોઇ અવકાશ નથી. ગુજરાતના મતદારો ભાજપ સાથે રહ્યા છે અને રહેશે.

એ પૂર્વે બપોરે 12.30 કલાકની સ્થિતિએ ગાંધીનગરમાં વોર્ડ નં. 1, 4, 5, 7, 8, 9 અને 10માં ભાજપની પેનલનો વિજય નિશ્ચિત બન્યો છે. હાલ ભાજપ 34થી વધુ બેઠકો પર આગળ છે. અત્યારસુધી આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં માત્ર એક જ બેઠક જીતી શકી છે. રિપોર્ટ્સ અનુસાર, વોર્ડ નં.6માં પક્ષના ઉમેદવાર તુષાર પરીખની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસે વોર્ડ નં.3માં એક બેઠક પર જીત મેળવી છે તેમજ વોર્ડ નં.2માં તેના બે ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.

ગાંધીનગરમાં આ વખતે નો રિપિટ થિયરી લાગુ કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના સિટિંગ કોર્પોરેટરોનાં પત્તા કપાયાં હતાં. જોકે, આ વખતે પાટનગરમાં કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટીએ તોડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણકે, આપના આગમનથી ભાજપને ખાસ ફરક પડ્યો હોય તેવું જણાતું નથી, પરંતુ કોંગ્રેસને તેનાથી મોટો ફટકો પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. પ્રારંભિક અંદાજો અનુસાર, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ તોડ્યા છે. જોકે, સુરત મ્યુ. કોર્પોરેશનમાં આશ્ચર્યજનક દેખાવ કરનારી આમ આદમી પાર્ટી ગાંધીનગરની ચૂંટણીમાં ખાસ ઝળકી શકી નથી.

રાજ્યમાં હાલમાં જ સત્તા પરિવર્તન થયું છે. પૂર્વ સીએમ વિજય રુપાણી અને તેમના તમામ મંત્રીઓની એક્ઝિટ બાદ નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને ગુજરાતના શાસનની ધૂરા સોંપવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલના સત્તામાં આવ્યા બાદ પહેલીવાર રાજ્યમાં ચૂંટણી થઈ રહી છે. જેમાં ભાજપનો દેખાવ કેવો રહે છે તે તેમના માટે પણ ખાસ્સું મહત્વનું છે. ઉલ્લેખનીય છે કે, નવી સરકારમાં નો રિપિટ થિયરી લાગુ કરાયા બાદ ગાંધીનગરમાં પણ તેનું અનુકરણ કરાયું છે, જેનો સ્પષ્ટ ફાયદો પક્ષને થતો દેખાઈ રહ્યો છે.