CIA ALERT

ગુજરાત Archives - Page 31 of 157 - CIA Live

October 17, 2021
rte-1280x719.jpg
1min483

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી દીઠ ફીની રકમમાં સરકાર દ્વારા 9 વર્ષે વધારો કરાયો છે. અત્યાર સુધી વિદ્યાર્થી દીઠ મહત્તમ રૂ. 10 હજાર ચૂકવવામાં આવતા હતા, જેના બદલે હવે સ્કૂલોને વિદ્યાર્થી દીઠ મહત્તમ રૂ. 13 હજાર ચૂકવાશે. આમ, 2012 પછી RTEની ફીમાં પ્રથમ વખત વધારો કરાયો છે. આ વધારો ખૂબ જ મામૂલી હોવાનું જણાવી સંચાલકો આગામી દિવસોમાં રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

હવે સ્કૂલની ફી રૂ. 13 હજાર કરતા ઓછી હશે તો જેટલી ફી હશે તેટલી ફી ચૂકવાશે, પરંતુ જો સ્કૂલની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા વધારે નક્કી કરેલી હશે તો મહત્તમ રૂ. 13 હજાર જ ફી ચૂકવાશે. 2012 બાદ 9 વર્ષે સરકાર દ્વારા રૂ. 3 હજારનો વધારો કરવામાં આવતા સંચાલકોએ આ વધારા સામે નારાજગી વ્યક્ત કરી છે.

RTEનો અમલ રાજ્યમાં 2012થી કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા RTE હેઠળ ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ફી ચૂકવવામાં આવતી હોય છે. 2012માં રાજ્યમાં RTEનો અમલ કરવામાં આવ્યો ત્યારબાદ ફીનું માળખું નક્કી કરાયું હતું. જે મુજબ સરકાર દ્વારા મહત્તમ રૂ. 10 હજાર ફી નક્કી કરવામાં આવી હતી. જેથી કોઈ સ્કૂલની ફી રૂ. 10 હજાર કરતા ઓછી હોય તો સ્કૂલની જેટલી ફી હોય તેટલી ફી સ્કૂલને ચૂકવવામાં આવશે, પરંતુ જો સ્કૂલની ફી રૂ. 10 હજાર કરતા વધુ હોય તો મહત્તમ રૂ. 10 હજાર જ ફી ચૂકવાતી હતી.

2012માં કાયદોનો અમલ કરવામાં આવ્યો ત્યારે ફીનું ધોરણ નક્કી કરાયું હતું. જોકે, ત્યારબાદ ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોઈ સંચાલકો દ્વારા અવારનવાર આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ફી વધારા માટે રજૂઆતના પગલે સરકાર દ્વારા હવે તેમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેથી હવે RTEમાં પ્રવેશ મેળનારા વિદ્યાર્થી દીઠ મહત્તમ ફી રૂ. 10 હજારથી વધારીને રૂ. 13 હજાર કરવામાં આવી છે. આમ, સ્કૂલોને હવે મહત્તમ રૂ. 13 હજાર સુધીની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.

October 17, 2021
ferti.jpg
1min444

ખરીફ પાકોને વરસાદથી પહોંચેલાં નુકસાનનું વળતર તો મળે ત્યારે પણ અત્યારે તો ખેડૂતો ઉપર ખાતરના ભાવવધારાનો બોજ લદાઈ ગયો છે. દેશની ટોચની ખાતર ઉત્પાદક સહકારી સંસ્થા ઇફકોએ એનપીકે ખાતરના ભાવમાં વધારો કરી દીધો છે. આ ખાતરનો ભાવ ગુણીએ રૂ. 265 સુધી વધારાતા ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઈ ગઈ છે. ચારેકોરથી વિરોધ વંટોળ ઉઠયો છે.

ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે, ઇફકોએ એનપીકેનો ભાવ રૂ. 1700 કર્યો છે, કારણ કે ગયા વર્ષે સસ્તાંમાં વેંચીને સંસ્થાએ રૂ. 400 કરોડની ખોટ કરી હતી. જોકે હવે સંસ્થાએ આંતરરાષ્ટ્રીય બજારને પગલે રૂ. 1700 સુધીનો ભાવવધારો કરવો પડયો છે. છતાં સરકારે એનપીકેમાં રૂ. 1470થી વધારે ભાવ નહીં લેવા આદેશ કર્યો છે એટલે ઇફકો એનપીકે રૂ. 1450માં આપશે.

અગાઉ ઇફકો એનપીકે રૂ. 1185માં વેચતી હતી તેના રૂ. 1440 કરાયા છે જ્યારે એનપીકે 12-32-16માં રૂ. 1450 કરાયા છે. મહાધનનો ભાવ રૂ. 10-26-26માં રૂ.1295 હતો તે વધારીને રૂ. 1750 કરાયો છે. મહાધન 12-32-16નો ભાવ રૂ. 1300 હતો તે વધારીને રૂ. 1800 કરાયો છે. સલ્ફેટ રૂ. 656થી વધારીને રૂ. 775 કરાયો છે. પોટાશમાં રૂ. 975 વાળો ભાવ રૂ. 1040 કરાયો છે.

સંઘાણીના કહેવા પ્રમાણે સરકાર દ્વારા 1 લાખ કરોડની ખાતર સબસીડી આપવામાં આવતી હતી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવમાં સખત વધારો થઈ રહ્યો છે એટલે ફરીથી ભાવવધારો કરવાની નોબત આવી છે. અલબત્ત, સરકારે વધુ રૂ. 25 હજાર કરોડની સબસિડી રકમ જાહેર કરી છે.

એનપીકેના ભાવ સરકારે નિયંત્રિત કરતા સરવાળે ખેડૂતોને રૂ. 1700 નહીં પણ એનપીકેના ભાવ ઓછાં ચૂકવવા પડશે. અલબત્ત, ભાવવધારો તો પાછલા બારણે આવી જ ગયો છે. આ મુદ્દે ખેડૂતોમાં રોષ પ્રગટયો છે. ખેડૂતો કહે છે, વરસાદથી નુકસાન ગયું છે. સરકારી સર્વે થયો નથી અને માલ બગડયો છે’ તેનું કોઈ વળતર નથી. મોંઘા બિયારણ અને મોંઘા ડીઝલ વચ્ચે હવે ખાતરના ભાવ પણ વધી જતા ખેડૂતો મુશ્કલીમાં મુકાયા છે. સરકારે સબસિડી આપીને વધેલા ભાવમાં રાહત આપવી જોઇએ તેવી માગણી ઉઠી છે.

October 16, 2021
girlion.jpg
1min465

દેશની શાન સમાન ગીર જંગલમાં વનરાજોનું વેકેશન પૂર્ણ થતા આવતીકાલથી 16થી સાસણમાં સિંહ દર્શનનો પ્રારંભ થનાર છે. આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે, ઓનલાઇન પરમીટ મેળવનાર પ્રવાસીઓ સાસણ પહોંચ્યા છે.

ચોમાસુ અને નવરાજોના મેટીંગ પીરીયડને કારણે ચાર માસ સાસણ જંગલમાં સિંહ દર્શન બંધ રહે છે, તે આજે પૂર્ણ થતા આવતીકાલ તા.16થી સિંહ દર્શનનો પ્રારંભ થશે, જીપ્સી, ગાઇડ અને વનતંત્ર આ માટે સજ્જ થયું છે. કોરોના મહામારીને કારણે લાંબો સમય ગીર જંગલના સાસણમાં સિંહ દર્શન બંધ રહ્યા હતા અને સંક્રમણ ઘટતા શરૂ થયા બાદ ચોમાસું આવી જતા વનરાજોનું વેકેશન શરૂ થતા સિંહ દર્શન બંધ રહ્યા બાદ આવતી કાલથી શરૂ થઇ રહ્યું છે અને  આગામી સપ્તાહ સુધીનું રજિસ્ટ્રેશન હોવાનું વનસૂત્રો જણાવી રહ્યા છે.

October 16, 2021
dakor.jpg
1min439

ગુજરાતભરમાં રસીકરણ ૧૦૦ ટકા પૂર્ણ કરવા માટે જિલ્લાઓમા અલગ અલગ કિમિયા અજમાવવા માં આવી રહ્યા છે ત્યારે ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ઓછા રસીકરણની સમસ્યાને નાથવા માટે પાલિકાના ચીફ ઓફિસરે એક પત્ર જારી કર્યો હતો. આ કામગીરી કરવા માટે તેમણે પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી. અત્યાર સુધી ડાકોર શહેરમાં ૬૫ ટકા જેટલું રસીકરણ થયું છે.

ઇન્સ્પેક્ટરને સંબોધીને લખેલા પત્ર તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ડાકોર મંદિરમાં દર્શન કરવા આવતા ડાકોર ગામના નાગરિકોએ વૅક્સિન મુકાવી હોય તો તેઓનું વૅક્સિનેશન સર્ટિફીકેટ ચકાસ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવાનો રહેશે. 

વધુમાં જણાવ્યું હતુ કે ૧૩મી ઓક્ટોબરના રોજ ઠાસરા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલી મીટિંગમાં ડાકોરવાસીઓના વૅક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. ચીફ ઓફિસરે આ મીટિંગનો હવાલો આપી સ્થાનિક લોકોના મંદિર પ્રવેશ પહેલા તેમનું વેક્સિનેશન છે કે નહીં ચેક કરવાનો ઉલ્લેખ કર્યો છે. અમદાવાદ શહેરમાં પણ જે લોકોએ વેક્સીન ન લીધી હોય તેઓને બી.આર.ટી.એસ.માં બેસવા દેતા નથી.  મંદિર બહાર વેક્સિનેશન સેન્ટર ઊભું કરાયું છે, જે વ્યક્તિને પોતાની ઈચ્છાથી વેક્સિન લેવી હોય તે વેક્સિન લઈ શકે છે.

October 15, 2021
government_gujarat_gandhinagar.jpg
1min495

ગુજરાત રાજ્ય સરકારે આગામી નવેમ્બર માસના પહેલા જ સપ્તાહમાં આવતા દિવાળી પર્વ નિમિત્તે સરકારી કર્મચારીઓને ભેટ આપી ખુશખબર આપી છે.

ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા પગાર મળી જાય એ માટે કાર્યવાહી હાથ ધરતા રાજ્ય સરકાર દ્વારા ઠરાવ કર્યો છે.

આ ઠરાવમાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર 4-11-2021ના રોજ હોઈ, કર્મચારીઓ અને પેન્શનરો આનંદ અને ઉત્સાહપુર્વક આ તહેવાર ઉજવી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઓક્ટોબર 2021 માસના પગાર ભથ્થા તથા પેન્શનની ચૂકવણી વહેલી કરવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, ઓક્ટોબર 2021 માસના રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ/પેન્શનરોના પગાર ભથ્થા/પેન્શનની ચૂકવણી તા. 13-10-1993ના ઠરાવમાં જણાવ્યા પ્રમાણે મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોને બદલે, વંચાણમાં લીધેલ તારીખ 20-4-1993ના ઠરાવમાં છૂટછાટ મુકીને 25-10-2021 તથા 26-10-2021 દરમિયાન તબક્કાવાર કરવાનું ઠરાવવામાં આવે છે.

કોન્ટ્રાક્ટ બેઝ એટલે કે કરાર આધારિત કર્મચારીઓના પગાર પણ સરકાર વહેલો કરશે. ઠરાવમાં જણાવ્યા અનુસાર શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ તથા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીઓને પણ લાગુ પડશે.

October 5, 2021
bjp_logo.png
1min522

પાટનગરના 11 વોર્ડની 44 બેઠકોમાંથી ભાજપ 41 બેઠકો પર જીત, કોંગ્રેસને રોકડી 2 અને આપને ફક્ત 1થી સંતોષ માનવો પડ્યો

ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં ગત રવિવારે યોજાયેલા મતદાન બાદ આજરોજ તા.5મી ઓક્ટોબર 2021ના રોજ યોજાયેલા મતગણતરીના અંતે ભાજપાએ ગાંધીનગરમાં પ્રચંડ અને અભૂતપૂર્વ બહુમતિ પ્રાપ્ત કરી લીધી છે. પાટનગરના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપ 41 બેઠકો પર જીત મેળવી ચૂક્યું છે, જ્યારે કોંગ્રેસ 02 અને આમ આદમી પાર્ટી 01 બેઠક પર વિજયપ્રાપ્ત કરી શક્યા છે.

ગાંધીનગર ખાતે અભતૂપર્વ વિજય મેળવ્યા બાદ સી.આર. પાટીલે પોતાની પ્રથમ પ્રતિક્રીયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રીજા પાર્ટીને કોઇ અવકાશ નથી. ગુજરાતના મતદારો ભાજપ સાથે રહ્યા છે અને રહેશે.

એ પૂર્વે બપોરે 12.30 કલાકની સ્થિતિએ ગાંધીનગરમાં વોર્ડ નં. 1, 4, 5, 7, 8, 9 અને 10માં ભાજપની પેનલનો વિજય નિશ્ચિત બન્યો છે. હાલ ભાજપ 34થી વધુ બેઠકો પર આગળ છે. અત્યારસુધી આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં માત્ર એક જ બેઠક જીતી શકી છે. રિપોર્ટ્સ અનુસાર, વોર્ડ નં.6માં પક્ષના ઉમેદવાર તુષાર પરીખની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસે વોર્ડ નં.3માં એક બેઠક પર જીત મેળવી છે તેમજ વોર્ડ નં.2માં તેના બે ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.

ગાંધીનગરમાં આ વખતે નો રિપિટ થિયરી લાગુ કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના સિટિંગ કોર્પોરેટરોનાં પત્તા કપાયાં હતાં. જોકે, આ વખતે પાટનગરમાં કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટીએ તોડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણકે, આપના આગમનથી ભાજપને ખાસ ફરક પડ્યો હોય તેવું જણાતું નથી, પરંતુ કોંગ્રેસને તેનાથી મોટો ફટકો પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. પ્રારંભિક અંદાજો અનુસાર, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ તોડ્યા છે. જોકે, સુરત મ્યુ. કોર્પોરેશનમાં આશ્ચર્યજનક દેખાવ કરનારી આમ આદમી પાર્ટી ગાંધીનગરની ચૂંટણીમાં ખાસ ઝળકી શકી નથી.

રાજ્યમાં હાલમાં જ સત્તા પરિવર્તન થયું છે. પૂર્વ સીએમ વિજય રુપાણી અને તેમના તમામ મંત્રીઓની એક્ઝિટ બાદ નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને ગુજરાતના શાસનની ધૂરા સોંપવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલના સત્તામાં આવ્યા બાદ પહેલીવાર રાજ્યમાં ચૂંટણી થઈ રહી છે. જેમાં ભાજપનો દેખાવ કેવો રહે છે તે તેમના માટે પણ ખાસ્સું મહત્વનું છે. ઉલ્લેખનીય છે કે, નવી સરકારમાં નો રિપિટ થિયરી લાગુ કરાયા બાદ ગાંધીનગરમાં પણ તેનું અનુકરણ કરાયું છે, જેનો સ્પષ્ટ ફાયદો પક્ષને થતો દેખાઈ રહ્યો છે.

October 2, 2021
Saurastra.png
1min404
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલિયા વિસ્તારની આ તસવીરમાં જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં મોટા ભાગે આવી જ હાલત જોવા મળી રહી છે

ગુજરાતમાં પડી રહેલા વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં લીલા દુકાળ જેવી સ્થિતિ ઊભી થવા પામી છે. જૂનાગઢ, જામનગર, ભાવનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદે વિનાશ વેર્યો છે ત્યારે ભારે વરસાદથી તેમ જ નદી-નાળાં છલકાતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે અને કપાસ, મગફળી, તલ, સોયાબીન સહિતનો ઊભો પાક ધોવાયો છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. પહેલાં તો વરસાદ ખેંચાયો હતો અને હવે જતાં-જતાં વરસાદ જાણે કે વિનાશ વેરતો હોય તેમ ધોધમાર વરસાદ પડતાં કંઈ કેટલાય વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિમાં આવી ગયા છે. વિસાવદર, માળિયા હાટીના, તાલાલા, વેરાવળ, ખંભાળિયા, ઉમરાળા, સાવરકુંડલા, લીલિયા, કોડીનાર, સુત્રાપાડા, ઉના, માંગરોળ સહિતના પંથકોનાં ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. કેટલાક પાક લણવા પર આવ્યા હતા ત્યારે આકાશી આફત આવી અને વરસાદે રસાતાળ કરી દેતાં ખેડૂતો માટે જાણે કે આભ તૂટી પડ્યું હોય એવી સ્થિતિ સરજાઈ છે.

સાવરકુંડલાના વિધાનસભ્ય પ્રતાપ દુધાતે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. નદીકિનારાનાં ગામોને વધારે નુકસાન થયું છે. કપાસ, તલ, મગફળીનો પાક તૈયાર હતો એ ફેલ ગયો છે. અમારા વિસ્તારનાં ૧૧૭ ગામો છે ત્યાં વરસાદ અને પૂરના કારણે ખેતરોમાં નુકસાન થયું છે. સરકારે સાવરકુંડલા અને લીલિયા તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતોને થયેલી નુકસાનીનો સર્વે કરાવી આર્થિક પૅકેજ જાહેર કરવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી  માગણી કરી છે.’

September 25, 2021
Garba-Nights.jpg
1min426

આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે. તે બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વચ્ચે યોજાયેલી બેઠકમાં માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. લગ્ન પ્રસંગોમાં પણ અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓ માટે છૂટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય  તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર-ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે. તે બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વચ્ચે યોજાયેલી બેઠકમાં માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. લગ્ન પ્રસંગોમાં પણ અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી, તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓ માટે છૂટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય  તે હિતાવહ રહેશે. આવા આયોજનોમાં લાઉડ સ્પીકર-ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.

પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં નહીં આવે

રાજ્ય સરકારે ૪૦૦ વ્યક્તિની મર્યાદામાં શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો કરવાની છૂટ આપી છે. અર્થાત્ હવે આગામી નવરાત્રિની ઉજવણી નિયમોને આધિન ધામધૂમથી કરી શકાશે. સરકારે હાલના રાતના ૧૧થી સવારના ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફ્યૂમાં એક કલાકનો ઘટાડો કર્યો છે. જે હવે રાતના ૧૨થી સવારના ૬ વાગ્યા સુધી રહેશે. જોકે, રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં નહીં આપવાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત સરકારે અંતિમક્રિયા માટે પણ વ્યક્તિઓની ઉપસ્થિતિની સંખ્યામાં વધારો મંજૂર કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી હતી. જેમાં હાલના કોરનાના સંક્રમણની કેસોની સ્થિતિ સહિતના અન્ય મુદ્દાને ધ્યાનમાં લઈને આ નિર્ણયો લીધા છે. અમદાવાદ સહિત વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર જેવા આઠ મહાનગરોમાં હાલ રાત્રિ કરફયુ અમલમાં છે ત્યાં હવે રપમીના શનિવારથી રાત્રિના ૧ર વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં રહેશે એટલે કે, હાલના જે રાતના ૧૧થી સાવરના ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં છે. તેમાં એક કલાકનો ઘટાડો કરાયો છે. જે ૧૦મી ઓક્ટોબર, ર૦ર૧ના સવારના ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે.  

અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની ૪૦ વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના ૧૦ વાગ્યા સુધી અગાઉ ક્ષમતાના ૬૦% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના ૭પ% સાથે ચાલુ રાખી શકાશે. રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં, તે પણ હવે રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે.

September 21, 2021
rain_forecast.png
1min498

આઈએમડી ગુજરાતના હેડ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, પૂર્વ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર પર પર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે. ‘અનુકૂળ સ્થિતિ હજી પણ રાજ્યને વરસાદ આપશે. બુધવાર બાદથી ક્યારેક ભારે વરસાદની શક્યતાની સાથે છુટોછવાયો વરસાદ પણ પડી શકે છે’, તેમ તેમણે કહ્યું હતું.

21/9/21, મંગળવારે પંચમહાલ, મહીસાગર, નવસારી અને વલસાડના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, તેવો ઉલ્લેખ આઈએમડીએ કર્યો હતો. શુક્રવારે ડાંગ, નવસારી અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, તેમ આગાહીમાં ઉમેરવામાં આવ્યું હતું.

dt.20/9/21 સોમવારે, રાતે 8 વાગ્યા સુધીમાં છોટા ઉદેપુરમાં 2.83 ઈંચ, બોડેલીમાં 2.51 ઈંચ, પાવી જેતપુરમાં 1.96 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે મહેસાણાના ઉંઝામાં 1.92 ઈંચ, ખેડાના માતરમાં 1.81 ઈંચ અને મહેસાણાના વિસનગરમાં 1.69 ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદે રાજ્યના જળાશયો અને ખેતીને નવું જીવન આપ્યું છે, જે સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં અછતનો સામનો કરી રહ્યા હતા.

September 21, 2021
dams.jpg
1min412

ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસથી શરૂ થયેલા વરસાદને પગલે હવે અછતની  સ્થિતિ નિવારાઇ છે. રવિવાર dt. 19/9/21 અને સોમવારે 20/9/21 પણ રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે.  

રાજ્યના જળાશયો છલકાઈ ગયાં છે. ગુજરાતમાં વરસાદ પછી ૨૦૬ ડેમો પૈકી ૭૧ ડેમોમાં ૯૦ ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યમાં આવા ૭૧ ડેમો ઉપર હાઈ એલર્ટ સિગ્નલ અપાયું છે. જ્યારે ૨૦ ડેમોમાં ૯૦ ટકા પાણીનો સંગ્રહ થતાં એલર્ટ અને ૮ ડેમો એવા છે જ્યાં ૮૦ ટકા પાણીનો સંગ્રહ થતાં વોર્નિંગનું સિગ્નલ અપાયું છે. સોમવારે સવારે પૂરા થતા  છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫ તાલુકાઓમાં વરસાદ થયો હતો . તેમજ દિવસ દરમિયાન પણ અનેક ઠેકાણે હળવાથી ભારે વરસાદ ચાલુ રહ્યો હતો.

વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, ખેડા, બનાસકાંઠા. વડોદરા, આણંદ અને અમદાવાદમાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ૧૯મી સપ્ટેમ્બરની સ્થિતિએ ૫૧ ડેમો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ ડેમોમાં ૬૬.૪૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં અત્યારે ૭૭.૦૪ ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩માંથી ત્રણ ડેમ સંપૂર્ણ છલકાયા છે. ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં પાણીની ખાસ આવક થઈ નથી. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૨૯.૨૦ ટકા અને કચ્છના ૨૦ ડેમમાં ૨૬.૪૬ ટકા પાણીનો સંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમોમાં ૫૬.૯૩ ટકા ઉપરાંત સરદાર સરોવર ડેમમાં ૫૪.૯૨ ટકા પાણીનો સંગ્રહ થયો છે.