આજે Dated 18/11/21 વહેલી સવારે રાજ્યના ઘણાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદ શહેર અને જિલ્લાના વાતવરણમાં પલટો જોવા મળ્યો. ત્યારે સાણંદમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે. શહેરના બાપુનગર, નિકોલ, નરોડા સહિતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. ગાંધીનગરના કલોલમાં કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છુટો-છવાયો વરસાદ પડ્યો છે.
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. બીજી તરફ મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. જિલ્લામાં વહેલી સવારે માવઠું થયું અને કમોસમી વરસાદ વરસ્યો હતો.
માવઠાની અસર બનાસકાંઠામાં પણ જોવા મળી છે. તો બીજી બાજુ અરવલ્લીમાં પણ માવઠાની અસર જોવા મળી છે. અરવલ્લીના શામળાજી પંથકમાં કમોસમી વરસાદ વરસતા કારતકી પૂનમના મેળાને લઈને ભક્તોને હાલાકી નડી છે. અરવલ્લીના ભીલોડાના લીલછા, મલાસા અને મુનાઈ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં આગામી 3થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં આગામી 3થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. જો કે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. જેની અસર હેઠળ અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ભરૂચના આમોદમાં કાંકરિયા ગામે કેટલાક લોકોએ લાલચ આવી ધર્મપરિવર્તન કરાવતા હતા. મળતા અહેવાલો મુજબ આમોદના કાકરિયા ગામના 37 પરિવારના 100 લોકોને મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવાયુ હતું. આરોપીઓ ગામના ગરીબ લોકોને લોભ લાલચ આપી ધર્માંતરણ કરાવતા હોવાનું સામે આવ્યું છે .પોલીસ ધર્માંતરણ કરાવતા 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.મામલાની તપાસ કરતા પોલીસે હાલ 4 શખ્સોની ધરપકડ કરી છે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા DSP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ધર્માંતરણના સંવેદનશીલ અને ગંભીર મુદ્દે જણાવ્યું છે કે, ફક્ત ધર્માંતરણ જ હતું કે વિદેશથી ફંડ મોકલી દેશ વિરોધી અન્ય પ્રવૃત્તિ થઈ રહી હતી તેની પણ તપાસ થશે. આમોદના કાંકરિયા સિવાય આસપાસના ગામોમાં પણ ધર્માંતરણ થયું છે કે નહીં તેની તપાસ પણ થશે.
આમોદ પોલીસ મથકે ગેરકાયદે રીતે હિન્દુ સમાજના ગરીબ વસાવા લોકોને ઘર, મકાન, રાશન, ધંધો-રોજગાર, શિક્ષણ, લગ્ન કરાવી આપવાની લાલચે મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા અંગેની નોંધાયેલી ફરિયાદમાં DYSP એમ.પી. ભોજાણીએ તપાસ હાથ ધરી છે. આ માટે 3 અલગ અલગ ટીમો બનાવાઈ છે. ધર્માંતરણમાં સામેલ 9 પૈકીના 4 આરોપીઓ ઐયુબ બરકત પટેલ, ઇબ્રાહિમ પુના પટેલ, અબ્દુલ અઝીઝ પટેલ તેમજ યુસુફ જીવન પટેલની ધરપકડ કરી તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. હજી સુધી આરોપીઓએ કોઈ ફોડ પાડ્યો નથી.
ગુજરાત રાજ્ય પણ ધીમે ધીમે ડ્રગ્સનું હબ બની રહ્યુ હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં ફરી એક વાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATSએ મોરબી જિલ્લાના માળિયા-મિયાણામાંથી 120 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ અંગે હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જાણકારી આપી છે.
દ્વારકામાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ એનસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ દરમિયાન ગુજરાત ATSએ મોરબી જિલ્લાના માળિયા-મિયાણામાંથી 120 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો સપ્લાય થતો હોવાના ઘટસ્ફોટ બાદ હવે પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે.
આ પહેલાં 21 હજાર કરોડનું ડ્રગ્સ કચ્છના મુંદ્રા બંદરે ઝડપાયું હતું. ત્યાર બાદ દ્વારકામાં 17 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. દ્વારકામાં 35દ કરડોનું ડ્રગ્સ ઝડપાયું હતું. અને હવે મોરબીમાં 120 કિલો ડ્રગ્સ મળી આવતાં ચકચાર મચી છે. આ મામલે વધુ તપાસ થઈ રહી છે.
ગાંધીનગર જિલ્લાના કલોલની ખાત્રજ ખાતે દવા બનાવતી તુત્સન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ કંપનીના દૂષિત પાણીના રિસાઈકલિંગ માટેની ઈટીપી ટેન્કની સફાઈ માટે ઉતારેલા એક મજૂરને બચાવવા માટે એક પછી એક ચાર લોકો અંદર ઊતર્યા હતા. ત્યારે પાંચેય મજૂરોને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયરબ્રિગેડના જવાનોએ તરત ઘટનાસ્થળે દોડી જઈ પાંચેય મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
કલોલની ખાત્રજ જીઆઈડીસી પ્લોટ નંબર -10 બ્લોક નંબર 58માં દવા બનાવતી તુત્સન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે. કંપનીમાંથી નીકળતા દૂષિત પાણીને રિસાઈકલિંગ કરવા માટે અત્રે ETP પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. અહીં દૂષિત પાણીને પ્રોસેસ કરીને ફરી વખત ઉપયોગમાં લેવામાં આવે છે.
દિવાળીના તહેવાર નિમિત્તે પ્લાન્ટનો ઓપરેટર રજા પર ગયો હતો. જ્યારે દિવસ દરમિયાન સુશીલ ગુપ્તા અને રાત્રે રામસિંહ પાંડે સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ત્યારે આજે પ્લાન્ટના હોજને સાફ કરવા માટે વિનયકુમાર નામનો મજૂર સીડી મૂકીને અંદર ઊતર્યો હતો. આ દરમિયાન અચાનક તેણે બૂમાબૂમ કરતાં સુનીલ ગુપ્તા તેને બચાવવા માટે હોજમાં ઊતર્યો હતો. તેણે પણ બચાવો બચાવોની બૂમો પાડતાં એક પછી એક દેવેન્દ્રકુમાર દિનેશભાઈ, રાજન કુમાર પપ્પુભાઈ અને અનિશકુમાર પપ્પુભાઈ પણ ચીસો સાંભળીને હોજમાં ઊતર્યા હતા. દરમિયાન થોડીવારમાં પાંચેય જણાની બૂમો શાંત થઈ ગઈ હતી.
બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયરબ્રિગેડની ટીમ તરત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એક પછી એક પાંચેય લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે કંપનીના માલિક સહિતનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો હતો.
જો તમે સરદાર અને તેમના જીવન વિશે જાણવા માંગતા હોવ તો તમારે તેમના જીવન પર લખાયેલ કેટલાક ઉત્તમ ગુજરાતી પુસ્તકો અચૂક વાંચવા જોઈએ, જેની યાદી નીચે આપેલી છે.
આપણે આજે જે વિશાળ ભારતને જોઈને ગર્વ અનુભવીએ છીએ તેની કલ્પના પણ સરદાર વલ્લભભાઈ પટેલ વિના શક્ય નથી. આ સરદાર પટેલની મજબૂત ઇચ્છાશક્તિ અને નેતૃત્વ કૌશલ્યનું પરિણામ છે, જેણે દેશના નાના રજવાડાઓ અને રાજવીઓને ભારતમાં એક કર્યા હતા. આજે રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે લોખંડી પુરુષ અને આધુનિક ભારતના શિલ્પકાર સરદાર પટેલની જન્મજયંતિ ૧૪૬મી જન્મ જયંતી છે.
આ બાબતે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સાહિત્યકાર અને ‘મહામાનવ સરદાર’ના લેખક દિનકર જોશી સાથે વાતચીત કરી હતી. સરદાર પટેલના જીવન મૂલ્યો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે “સ્વને ઓગળી સામાજિક પ્રવૃત્તિ કરવી અને કામને મહત્ત્વ આપવાનો ગુણ છે, તે દરેકે ખાસ શીખવા જેવો છે.” તેમણે ઉમેર્યું કે “સરદાર પટેલની અદ્ભુત કામગીરી વિશે જાણવું હોય તો તેમના વિશે અચૂક વાંચવું જોઈએ. ઉપરાંત સરદાર પટેલ અને તેમના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ વિશેની વાર્તા પણ વાંચવા જેવી છે.”
આ દિવસે જો તમે સરદાર અને તેમના જીવન વિશે જાણવા માંગતા હોવ તો તમારે તેમના જીવન પર લખાયેલ કેટલાક ઉત્તમ ગુજરાતી પુસ્તકો અચૂક વાંચવા જોઈએ, જેની યાદી નીચે આપેલી છે.
૧. મહામાનવ સરદાર
સરદાર પટેલ વિશેની અજાણ સત્ય હકીકતો અને ઘટનાઓને સાર્થક કરતું આ અજોડ પુસ્તક ગુજરાતી ભાષામાં જાણીતા સાહિત્યકાર દિનકર જોશીએ લખ્યું છે. વર્ષ ૧૯૪૦થી ૧૯૫૦ના સમયની ઘણી નાની-મોટી રાજકીય વાતો કે જે કોઈક ખૂણે ખોવાય ગઈ છે. તેનું સચોટ વર્ણન આ પુસ્તકમાં છે. સાથોસાથ સરદાર સરદાર પટેલની વિચારધારનું સ્પષ્ટ દર્શન આ પુસ્તક કરાવે છે. આ પુસ્તકનો ગુજરાતીમાંથી હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે.
અખંડ ભારતના મહાશિલ્પી સરદાર વલ્લભાઈ પટેલનું જીવનચરિત્ર આ પુસ્તકમાં યશવંત દોશીએ લખ્યું છે. સરદારનું વિગતવાર જીવનચરિત્ર રસપ્રદ રીતે આ પુસ્તકના બે ભાગ દ્વારા લેખકે રજૂ કર્યું છે. આ પુસ્તકમાં તેમના જન્મથી લઈને મૃત્યુ સુધીની કથા વિગતે આલેખવામાં આવી છે.
૩. સરદાર પટેલ – એક સમર્પિત જીવન
રાજમોહન ગાંધીના પુસ્તક ‘પટેલ – અ લાઈફ’નો ગુજરાતી અનુવાદ ‘સરદાર પટેલ – એક સમર્પિત જીવન’ નગીનદાસ સંઘવીએ કર્યો છે. સરદાર સહિત આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના અન્ય નેતાઓની કામગીરીની પણ માહિતી છે. સ્વતંત્રતા પહેલાના ભારતમાં બિરલા અને સારાભાઈની ભૂમિકાની પણ આ પુસ્તકમાં રસપ્રદ છણાવટ છે. ઉપરાંત ગાંધી, નહેરુ અને સરદારના પણ અનેક પ્રસંગ આ પુસ્તકમાં છે. પુસ્તક હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.
૪. સરદાર એટલે સરદાર
ગુણવંત શાહે લખેલા આ પુસ્તકમાં સરદારના જીવનનાં સાતથી આઠ વર્ષની ક્રર્મક્રિયા ઉપર વિગતવાર પ્રસંગો છે. એમાંના રાજકારણને લગતા પસંગોને સારી રીતે બિરદાવવામાં પણ આવ્યા છે. આ પુસ્તક લેખક દ્વારા કરવામાં આવેલા વિવિધ લેખો અને ભાષણોનો સંગ્રહ છે જે સાચા સંદર્ભ સાથે સરદાર સાથે બનેલી ઘટનાઓનું સચોટ વર્ણન કરે છે.
૫. હિંદના સરદાર
ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વિશે આ પુસ્તકમાં ઘણી ન જાણીતી વાર્તાઓ છે, જેને કારણે બ્રિટિશ રાજનો અંત આવ્યો હતો. આ પુસ્તકમાં સરદાર વલ્લભભાઈ પટેલને લઈને ભારતીયોમાં ઉદભવેલા અનેક વિવાદો અને શંકાઓને પણ સ્પષ્ટ કરવામાં આવી છે. ભારતની સ્વતંત્રતા અને એકીકરણમાં સરદારના યોગદાન વિશે આ પુસ્તકમાં સંપૂર્ણ માહિતી છે.
ગુજરાતના કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર નજીક એક ગામમાં એક મંદિરમાં પ્રવેશવાની બાબતે દલિત પરિવારના છ લોકોને 20 જેટલા લોકોએ ઢોર માર માર્યો હોવાની ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. પોલીસે શુક્રવારે આ ઘટના અંગે માહિતી આપી હતી. પોલીસ નાયબ અધિક્ષક કિશોરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કથિત બનાવ મંગળવાર (26/10/21)ના ભચાઉ સ્ટેશનની હદના નેરગામમાં બન્યો હતો, પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.
પોલીસ નયાબ અધિક્ષકના જણાવ્યા મુજબ આ બાબતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ગોવિંદ વાઘેલા અને તેના પિતા જગભાઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બન્નેએ દાવો કર્યો છે કે લગભગ 20 જેટલા લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આરોપીઓને પકડવા માટે આઠ જુદી જુદી ટીમની રચના કરવામાં આવી હોવાનું પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
કાના આહીર, રાજેશ મહારાજ, કેસરા રબાઈ, પાબા રબારી અને કાના કોળી સહિત 20 જેટલા શખ્સોના ટોળા વિરુદ્ધ હત્યાના પ્રયાસ, લૂંટ, મારપીટ અને એસસી/એસટી કાયદા સંલગ્ન કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
એફઆઈઆર મુજબ ફરિયાદી ગોવિંદ વાઘેલા અને તેનો પરિવાર 20 ઓક્ટોબરના નેરગામના રામ મંદિરમાં પૂજા કરવા ગયો હતો જેનાથી આરોપીઓએ તેમને અપમાનજનક શબ્દો કહી મારપીટ કરી હતી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી તેઓ દર્શન કરવા ગયા હતા. 26 ઓક્ટોબરના ગોવિંદ તેની દુકાને હતો ત્યારે કેટલાક લોકોએ તેના ખેતરમાં ઢોર છોડી દીધા હતા અને ઉભા પાકને નષ્ટ કર્યો હતો.
જ્યારે ફરિયાદી અને તેના કાકા ગણેશ વાઘેલા ખેતરમાં પહોંચ્યા ત્યારે આરોપીઓએ તેમના પર પાઈપ, લાકડીઓ તેમજ ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ એક મોબાઈલ ફોન પણ ચોરી લીધો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઉપરાંત ફરિયાદીની રિક્ષાને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
આરોપીઓએ ફરિયાદીની માતા, મોટાબહેન, પિતા જગભાઈ અને અન્ય બે સંબંધીઓ ઉપર પણ હુમલો કર્યો હતો. હુમલામાં છ લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે છે. તા.29મી ઓક્ટોબર 2021ની બપોરે તેઓએ ભાવનગર જિલ્લાના તલગાજરડામાં ધાર્મિક ગુરુ મોરારિ બાપુની મુલાકાત કરી હતી. આ સમયે રાષ્ટ્રપતિના પત્ની પણ તેમની સાથે અહીં આવ્યા હતા. તલગાજરડામાં આવેલ હનુમંત હાઈસ્કૂલ પાસે બનેલ હેલિપેડમાં રાષ્ટ્રપતિના સ્વાગત લેવા માટે મોરારિ બાપુ ત્યાં પહોંચ્યા હતા. જે બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચિત્રકુટ ધામ પહોંચ્યા હતા, અને હનુમાન મંદિરમાં શીશ ઝુકાવી મોરારિ બાપુ સાથે વાતચીત કરી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે તેમના પત્ની સવિતા કોવિંદ અને દીકરી સ્વાતિ પણ ઉપસ્થિત રહ્યા હતા. તલગાજરડા પહોંચતાં જ રાષ્ટ્રપતિએ ગ્રામજનો સાથે વાતચીત કરી હતી, આ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. જે બાદ પ્રથમ પરિવાર દ્વારા પ્રસાદ લેવામાં આવ્યો હતો અને મોરારિ બાપુ સાથે થોડો સમય વ્યતિત કર્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગર જવા માટે રવાના થયા હતા.
મોરારિ બાપુ 14 વર્ષની ઉંમરથી જ કથાનું વર્ણન કરવાનું શરૂ કરી દીધું હતું, અને તેઓ રામકથાથી વિશ્વભરમાં જાણીતા છે. તેઓનો જન્મ દરિયાકાંઠે આવેલા તલગાજરડાના સાધુ પરિવારમાં થયો હતો. તેઓને તેમના દાદા ત્રિભુવન દાસજી પાસેથી વિદ્યા પ્રાપ્ત થઈ હતી, મોરારિ બાપુ તેમને પોતાના સદગુરુ પણ માને છે.
2019માં 2 ઓક્ટોબર ગાંધી જયંતી અગાઉ માનસ હરિજન કથા દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મોરારિ બાપુને રાષ્ટ્રપતિ ભવન આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં રામાયણના દ્રશ્યોની પેઈન્ટિંગ્સ જોઈને મોરારિ બાપુએ ભારે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
હાલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. ગત રોજ અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સાંજના સમયે ગુજરાત હાઈકોર્ટના જજો સાથે તેમણે સંવાદ કર્યો હતો. ભાવનગર મુલાકાત સમયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ, તેમજ મંત્રી જીતુ વાઘાણી કે જેઓ ભાવનગર પશ્ચિમથી ધારાસભ્ય છે, તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના સનદી અધિકારી જયપ્રકાશ શિવહરેએ આજે બપોરે એવી જાણકારી સાર્વજનિક કરી હતી કે ગુજરાતમાં કોવીડ વિરોધી વેક્સીનના આજદિન સુધીમાં કુલ 7 કરોડ ડોઝ અપાઇ ચૂક્યા છે. ગુજરાતની વસતિ હાલમાં 6 કરોડ માનવામાં આવે છે, સો એ સો ટકા ગુજરાતીઓને વેક્સીન અપાઇ નથી પરંતુ, 7 કરોડમાં સિંગલ અને ડબલ ડોઝ એમ બન્ને લેનારાઓનો સમાવેશ થાય છે.
આગામી દિવસોમાં દિવાળીના તહેવારોમાં દાયકાઓથી ચાલી આવતી પરંપરા અનુસાર ફટાકડા ફોડવામાં આવશે. પરંતુ, એ પહેલા સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ફટાકડા અંગે આપેલા આદેશ અનુસાર ગુજરાત સરકારે આજે જારી કરેલા એક નોટિફિકેશનને વાંચી લેવું જરૂરી છે.
ગુજરાત સરકારના આદેશમાં કહેવાયું છે કે ગ્રીન અને માન્યતાપ્રાપ્ત અને ઓછો ઘોંઘાટ કરે તેવા જ ફટાકડા ફોડી શકાશે. આ સિવાય તમામ પ્રકારના ફટાકડા પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ફટાકડા રાત્રે 8થી રાત્રે 10 દરમિયાન જ ફોડી શકાશે.
ગુજરાત સરકારનું ફટાકડા અંગેનું ઓક્ટોબર 2021નું જાહેરનામુ નીચે મુજબ છે.
ગુજરાતભરમાં પોલીસ સંવર્ગના વિવિધ સ્તરના કર્મચારીઓને પગાર અને ભથ્થાંને સમાવતાં ગ્રેડ પેના મુદ્દે Dt.29/10/21 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાએ એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. આઇજીપી (વહીવટ) બ્રિજેશ ઝાના વડપણ હેઠળની કમિટી કર્મચારીઓના સંવર્ગ, પરિવારજનોની જે કોઇ પણ રજૂઆતો હશે એ સાંભળીને હાલની વિસંગતતાઓ સંદર્ભે અભ્યાસ કરી બે માસમાં પોતાનો રિપોર્ટ સુપરત કરશે. આ રિપોર્ટના આધારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર નિર્ણય કરશે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચોવીસ કલાક કાર્યરત રહેતા ડિસિપ્લિન્ડ ફોર્સ એવા પોલીસદળના હથિયારી, બિન હથિયારી, ફિલ્ડ અને પોલીસ સ્ટેશન, એસઆરપી જેવા સંવર્ગના વિવિધ કર્મચારીઓના પગાર અને ભથ્થાંમાં લાંબા સમયથી વિસંગતતાને લઇને અવારનવાર રજૂઆતો થતી રહી છે. પરંતુ અલગ અલગ રીતે થતી રજૂઆતોનું પરિણામ આવતું ન હતું. બીજી તરફ લાંબા સમયથી અસહ્ય મોંઘવારી અને ભાવ વધારાને પગલે પોલીસ કર્મચારીઓ પોતાના પરિવારની માગને સંતોષી શકતા ન હોવા પોતાની લાગણીઓને સોશીયલ મીડિયા મારફતે વહેતી મુકી હતી. આ લાગણીઓનો પડઘો પાડવા પોલીસ કર્મીઓના પરિવારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ભેગા થઇ ગયા હતા. એમના સમર્થનમાં અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરો, નગરોમાં પણ પરિવારના સભ્યો સાથે સાદા ડ્રેસમાં પોલીસ કર્મચારીઓ પણ દેખાવોમાં જોડાતા મામલો વધારે પેચિદો બની ગયો હતો.
જોકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પહેલા જ દિવસથી પોલીસ ગ્રેડ પેના મામલે સરકારનું વલણ હકારાત્મક છે એમ જાહેર કરવા સાથે આંદોલન કરતાં પરિવારના પ્રતિનિધિમંડળ સાથે બે દિવસ પૂર્વે અને આજે પણ બેઠક યોજી હતી. સંઘવીએ સમગ્ર રજૂઆતને ગંભીરતાથી લઇ તેનો યોગ્ય ઉકેલ લાવી પોલીસ તંત્રમાં ગ્રેડ પેના મામલે પ્રવર્તતો અસંતોષ દૂર કરવા કમિટી રચવા સૂચના આપી હતી. આ સૂચનાને પગલે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આજે પોલીસ પરિવાર પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજ્યા પછી કમિટીની રચના જાહેર કરી હતી. આ સાથે હવે આંદોલન પણ પૂરું થયાનું દેખાવો કરતાં પરિવારજનોએ જાહેર કર્યું હતું.
પોલીસ વડાએ ચીમકી પણ ઉચ્ચારી છે કે, પોલીસ કર્મચારીઓ અને પરિવારજનોની માગણીઓને લઇ કમિટી બનાવવામાં આવી છે ત્યારે હવે એમના પ્રશ્નોને લઇ ચાલતા દેખાવો, ધરણાં આંદોલન પૂરું થાય છે. હવે કોઇ તત્વો દ્વારા આ મુદ્દાને લઇ પોલીસ કર્મચારીઓમાં અસંતોષ ફેલાવવા કે આંદોલન કરવાની કે પછી સોશિયલ મીડિયામાં વિરોધ કરવાની બાબત ધ્યાને આવશે તો તેવા લોકો સામે ‘ધી પોલીસ (એન્સાઇન્ટમેન્ટ ટુ ડિસઅફેક્શન) એક્ટ, ૧૯૯૨’ અને ‘ધી પોલીસ ફોર્સિસ (રિસ્ટ્રિક્શન ઓફ રાઇટ્સ) એક્ટ, ૧૯૬૬’ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે. જો કોઇ પોલીસ કર્મચારી પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરશે તો એની સામે પણ ખાતાકીય કાર્યવાહી કરાશે.
અમદાવાદ શહેર ઉપરાંત બનાસકાંઠા, જામનગરમાં પોલીસ કર્મચારીઓએ આંદોલનાત્મક, દેખાવો જેવી પ્રવૃત્તિ કરતાં ગૃહ વિભાગે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને અમુક પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એમ, પણ તેમણે જાહેર કર્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.