શિક્ષણમંત્રીએ આજે તા.25મી ઓગસ્ટ 2021ના રોજ જાહેરાત કરી છે કે આગામી ગુરુવાર તા.2 સપ્ટેમ્બરથી રાજ્યભરની શાળામાં ધોરણ 6થી 8ના વર્ગો પણ શરુ થઈ જશે. હાલ 9થી 12ના વર્ગો ચાલુ જ છે, જેમાં 50 ટકા જેટલી હાજરી જોવા મળી રહી છે.
આજે થયેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, શાળામાં હાજર રહેનારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માસ્ક ફરજિયાત રહેશે, તેમજ 50 ટકા હાજરી સાથે ક્લાસ ચલાવાશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ જાળવવાનું રહેશે. ધોરણ છથી આઠમાં 32 લાખ જેટલા વિદ્યાર્થીઓ આગામી ગુરુવારથી સ્કૂલે આવવાનું શરુ કરશે. જોકે, શાળાએ આવવું વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી, અને ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ રહેશે.
સ્કૂલે જવું ફરજિયાત નહીં, ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ રહેશે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત
રાજ્યમાં લોકો જન્માષ્ટમી અને ગણેશોત્સવના તહેવારોની ઉજવણી કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. જન્માષ્ટમી તારીખ 30 ઓગસ્ટ સોમવારે રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તે માટે જે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે મહાનગરોમાં 30 ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કર્ફ્યૂ રાત્રિના 1 વાગ્યાથી અમલી કરાશે.
રાજ્યના 8 મહાનગરોમાં ગણેશોત્સવ દરમિયાન રાત્રે 11 વાગ્યા સુધી લોકો દર્શન કરી શકે તે માટે આ દિવસો એટલે કે તારીખ 9મી સપ્ટેમ્બરથી તારીખ 19મી સપ્ટેમ્બર દરમિયાન આ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રે 12 વાગ્યાથી કરાશે.
ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગી આપવામાં આવશે નહીં. મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહીં. સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં 2 ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનું પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની જ છૂટ આપવામાં આવી છે અન્ય કોઇ જ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં.
ગણેશ સ્થાપન અને વિસર્જન માટે વધુમાં વધુ 15 લોકોની મર્યાદામાં એક વાહન દ્વારા સ્થાપન-વિર્સજનની મંજૂરી આપવામાં આવશે. રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે 200 લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ અપાશે.
ગુજરાતમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી હસ્તકની એન્જિનયરિંગ કોલેજો તેમજ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા હાથ ધરાયેલી એન્જિનયરિંગની પ્રવેશ પ્રક્રિયાનું સમયપત્રક બદલાયું છે.
નવા સમયપત્રક મુજબ હવે મોક રાઉન્ડમાં ચોઇશ ફિલિંગ તા.1લી સપ્ટેમ્બરથી શરૂ થશે અને તા.5મી સપ્ટેમ્બર સુધી ચોઇશ ફિલિંગ પ્રક્રિયા કરી શકાશે. મોકરાઉન્ડનું પરીણામ 8મી સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે.
પહેલા એક્ચ્યુઅલ રાઉન્ડ માટેનું ચોઇશ ફિલિંગ તા.9મી સપ્ટેમ્બરથી 14મી સપ્ટેમ્બર સુધી કરી શકાશે. પહેલા વાસ્તવિક રાઉન્ડનું પરીણામ એટલે કે પ્રવેશ યાદી તા.17મી સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
તા.21મી સપ્ટેમ્બર 2021થી કોલેજોમાં અભ્યાસ શરૂ કરવામાં આવશે.
2021માં કોરોના પેન્ડેમિકના કારણે સમગ્ર દેશમાં તમામ બોર્ડસની ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી હતી અને જુદી જુદી ફોર્મ્યુલાઓ ઘડીને ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવાયા છે. આ જોઇને ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસના ગુજરાત બોર્ડના રિપીટર્સ વિદ્યાર્થીઓએ (2020ની પરીક્ષામાં નાપાસ થયેલા) પણ માગણી કરી હતી કે તેમને પણ ધો.12માં માસ પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવે.
ગુજરાત સરકાર અને ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12ના રિપીટર્સ વિદ્યાર્થીઓની માસ પ્રમોશન આપીને પાસ જાહેર કરવાની માગણી નહીં સ્વીકારવામાં આવતા આ વિદ્યાર્થીઓ પોતાને માસ પ્રમોશન મળે એ માટે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી લડત આપી હતી. ગુજરાત હાઇકોર્ટે પરીક્ષાના પાંચ દિવસ અગાઉ સૂચના આપી હતી કે રિપીટર્સ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં મળે તેમણે પરીક્ષા આપીને પાસ થવું પડશે.
2020માં નાપાસ થયેલા ધો.12 કોમર્સના વિદ્યાર્થીઓની જુલાઇ 2021માં ગુજરાત બોર્ડે પરીક્ષા લીધી હતી
1,14,193 વિદ્યાર્થીઓએ આખા ગુજરાતમાંથી પરીક્ષા આપી હતી જેમાંથી ફક્ત 31,785 વિદ્યાર્થીઓ જ પાસ થયા. ટકાવારી પરીણામ 27.85 છે.
એ પછી જુલાઇ 2021માં ગુજરાત બોર્ડે ધો.12 કોમર્સના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી હતી, જેનું આજે જાહેર થયેલું પરીણામ ફક્ત 27 ટકા જેટલું જ આવ્યું છે.
આ રહ્યું ધો.12 સામાન્ય પ્રવાહ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું પરીણામ
ભાવનગરના હવાઇ ઉડ્ડયન ક્ષેત્રનું નવું સોનેરી સોપાન બની રહેશે
ભાવનગરથી આજરોજ તા.20મી ઓગસ્ટથી દિલ્હી, સુરત અને મુંબઈની સ્પાઈસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત થવા જઈ રહી છે. આજરોજ તા.20મી ઓગસ્ટથી દિલ્હી (Delhi) અને મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થશે ત્યારબાદ તા. 21 ઓગસ્ટના રોજ સુરત માટેની પણ વિમાની સેવાની શરૂઆત કરવામાં આવશે.
આજે શુક્રવાર તા.20મી ઓગસ્ટ 2021ની બપોરે ભાવનગર એરપોર્ટ ખાતેથી સ્પાઈસ જેટની ફલાઈટને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય મંત્રી ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા વર્ચ્યુઅલી ફલેગ ઓફ કરી આ નવી ફલાઈટ સેવાનો શુભારંભ કરાવશે. આ અવસરે સાંસદ આર.સી પાટીલ, ભારતીબેન શિયાળ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
થોડું ભાવનગર વિશે
ભાવનગર (Bhavnagar) ગુજરાતનું વિકસતું અને મોટું શહેર છે. ભાવનગર (Bhavnagar) વ્યાપાર ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર હોવા સાથે ઘણાં બધાં મધ્યમ અને નાના ઉદ્યોગો ધરાવતું કેન્દ્ર છે. વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતો જહાજ ભાગવાનો વાડો ભાવનગર (Bhavnagar) ના અલંગમાં આવેલો છે. ભારત સરકારની નવી સ્ક્રેપ પોલિસી અંતર્ગત પણ અલંગમાં જુના વાહનો ભંગાવવા માટે આવવાના છે. તો જૈનોનું પવિત્ર તિર્થસ્થાન પાલીતાણા સહિત અનેક પવિત્ર મંદિરો ભાવનગર (Bhavnagar) માં આવેલા છે. કાળિયાર માટેનો જ પ્રખ્યાત અભયારણ્ય એવું વેળાવદર પણ ભાવનગરમાં આવેલું છે.
અનેક ગતિવિધિ સાથે સંકળાયેલા ભાવનગર (Bhavnagar) ને નવી એર કનેક્ટિવિટી મળતાં ભાવનગરવાસીઓને આંતરરાજ્ય સાથે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેનો નવો દ્વાર ખુલશે.
તા.18મી ઓગસ્ટે રાજકોટ પ્રાંત અધિકારીએ જિલ્લામાં ત્રણ જગ્યાએ દરોડા પાડીને લાખોનું બાયોડીઝલ જપ્ત કર્યુ હતુ.
સૌરાષ્ટ્રમા વેચાતા ગેરકાયદેસર ડીઝલના કૌભાંડમાં અનેક બાબતો સામે આવે છે. તેમાય કચ્છના બંદરે ઉતરતા વ્હાઇટ ડીઝલનો કાળો કારોબાર સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલુ છે. કચ્છમા ઉતરતું આ ગેરકાયદેસર ડીઝલ જીએસટી સહિત રૂ.70માં લીટર પડે છે. કાયદેસર ડીઝલ 98/99′ રૂપિયા લીટર વેચાય છે.
એક અંદાજ મુજબ રાજકોટ સુરેન્દ્રનગર અને રાજકોટ મોરબી તેમજ જામનગરમાં ખીજડીયા બાયપાસ ઉપરથી છાનેખુણે અથવા અધિકારીઓની દેખરેખમાં મોડસ ઓપરેન્ડીથી આવું ડીઝલ સપ્લાય કરવામાં આવે છે. જેનાથી સરકારની આવકને નુકશાન પહોચાડવામાં આવી રહ્યું છે.
રાત્રે આંટાફેરા કરતી પોલીસની ટીમ આવા ગેરકાયદેસર પંપોમાંથી અમુક સીલ કરે છે અમુક ‘સ્વહિત’માં છાને ખૂણે ચાલવા દે છે. અમુક તો સીલ કરેલા પણ ખુલી જાય છે અથવા એ સીલવાળી પાર્ટી બાજુમાં નવો કાળો કારોબાર શરૂ કરી દે છે.
રાજ્ય સરકારના આદેશ બાદ પણ રાજકોટમાં બાયોડીઝલના એકાદ છૂટપૂટ દરોડો બાદ કરતા કોઈ મોટું રેકેટ કે આવા સમાંતર પમ્પો પકડાયા નથી. કદાચિત પોલીસને આ સંદર્ભે સમય ન મળતો હોય પણ અન્ય વિભાગો જીએસટી, પુરવઠા તેમજ જીપીસીબીના હાથ કેમ નથી પહોચી શકતા તે પણ એક સવાલ છે.
બાયોડીઝલના કારણે કરોડોની ટેકસ ચોરી થાય છે. બાયોડીઝલ બનાવવા માટે વપરાતા કેમિકલો, મિશ્રણ પણ કોઈપણ ટેકસ ભર્યા વિના ઠલવાય છે. જો બાયોડીઝલ પરના આવા કેમિકલ અને બાયોડીઝલનો ટેકસ ગણવામાં આવે તો કરોડોની આવક સરકારને થાય છે. બાયોડીઝલ બધં થાય તો ડાયરેકટ પેટ્રોલ, ડીઝલની ટેકસની કરોડોની આવક સરકારને મળી શકે એ માટે સંભવત: જીએસટીને પણ આવા પમ્પો પર કાર્યવાહીની સૂચના છે. જ્યારે બાયોડીઝલમાં વપરાતા નબળી ગુણવત્તાના પ્રવાહીઓના કારણે હવાઈ પ્રદૂષણ વાહનોના ધૂમાડાથી થાય છે. આવા પ્રવાહી સ્ટોક કરવા, પરવાના, ચાકિંગ સહિતની તેમજ પ્રદૂષણ ઘટાડવાની મુખ્ય જવાબદારી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (જીપીસીબી)ની છે. તેથી બાયોડીઝલના ગોડાઉનો, ફેકટરીઓ, પમ્પો પર કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.
આ વર્ષે કોરોના પેન્ડેમિકને કારણે ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયામાં ભારે ધસારો થશે તેવી અટકળોથી વિપરીત ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન કરવા માટેની મુદત બબ્બે વખત લંબાવ્યા પછી પણ કોઇ જ ધસારો જોવા મળ્યો નથી. ઉલ્ટાનું પરિસ્થિત ગયા વર્ષ કરતા પણ નબળી જોવા મળી રહી છે.
ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદ્ત ત્રીજીવાર લંબાવીને તા.23 ઓગસ્ટ કરવામાં આવી
ગુજરાતમાં આવેલી ધો.10 પછીની ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોની કુલ 64,000 સીટોની સામે માત્ર 36,000 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવતા શનિવાર તા.14મી ઓગસ્ટે પૂર્ણ થઇ રહેલી મુદતની પૂર્વ સંધ્યાએ જ રજિસ્ટ્રેશન પ્રક્રિયા લંબાવીને તા.23મી ઓગસ્ટ કરી દેવામાં આવી છે.
આ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું માસ પ્રમોશન થયું હોવાને કારણે ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે હશે તેવી આશંકા હતી. આ આશંકાને કારણે ડિપ્લોમા કોર્સના પ્રવેશની પ્રક્રિયા વહેલી શરુ કરી દેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એડમિશન કમિટીએ અત્યાર સુધી બે વાર રજિસ્ટ્રેશનની ડેડલાઈન વધારી છે, પરંતુ અત્યાર સુધી માત્ર 36,000 જ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
વર્તમાન નિયમો અનુસાર, જે વિદ્યાર્થીઓએ 10મા ધોરણમાં ગ્રેસિંગ સાથે પરીક્ષા પાસ કરી હશે તેઓ એડમિશનના અમુક રાઉન્ડ સમાપ્ત થઈ જાય અને જો સીટો ખાલી હોય તો જ એડમિશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. ગ્રેસ માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે, માટે કોલેજોએ સરકારને વિનંતી કરી છે કે આ પ્રકારના વિદ્યાર્થીઓને પણ એડમિશનના પ્રથમ રાઉન્ડમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવે. કોલેજોની માંગ પર હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ આજરોજ તા.12મી ઓગસ્ટે વીર નર્મદ યુનિવર્સિટીની માહિતીથી ભરપૂર વ્હોટસએપ ચેટબોટ સિસ્ટમ વિદ્યાર્થીઓને સમર્પિત કરી હતી. વિદ્યાર્થીઓ પોતાના મનગમતા વ્હોટ્સ એપના માધ્યમથી યુનિવર્સિટીની તમામ સેવાઓ અને માહિતી એક્સેસ કરી શકશે. શરત એ જ છે કે તેમણે યુનિવર્સિટીમાં પ્રવેશ સમયે જે મોબાઇલ નંબર રજિસ્ટર્ડ કરાવ્યો હશે તે નંબરથી જ ચેટબોટમાં લોગઇન થવું પડશે.
વિદ્યાર્થીઓને મોબાઇલ પર હોલ ટિકીટ, પરીણામ, સર્ટિફિકેટ જેવી તેમની તમામ માહિતીઓ ઉપલબ્ધ બનશે
સમગ્ર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓ અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ મળીને કુલ 17500 સ્ક્વેર કિલોમીટરનો વિશાળ વિસ્તાર ધરાવતી અને સવા કરોડ જેટલી વસતિને ઉચ્ચ શિક્ષણની સેવાઓ પ્રદાન કરતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેવાઓને વધુ શુલભ બનાવતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આજરોજ તા.12મ ઓગસ્ટે પોતાની વ્હોટ્સએપ ચેટબોટ સિસ્ટમ લોંચ કરી છે. વિદ્યાર્થીઓની જરૂરીયાત મુજબની વીર નર્મદ યુનિવર્સિટીની દરેક સામાન્ય માહિતીનું એકત્રીકરણ કરીને ચેટબોટ સુવિધા વિકસાવવામાં આવી છે.
વિદ્યાર્થીઓ અત્યંત સરળતાથી પોતાની જરૂરીયાત મુજબની માહિતી એક્સેસ કરી શકે તે હેતુથી ચેટબોટનું નિર્માણ કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના જ નહીં વિશ્વના કોઇપણ ખૂણેથી કોઇપણ વ્યક્તિને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સામાન્ય જાણકારી-માહિતી ચેટબોટ થકી સરળતાથી એક્સેસ કરી શકશે. ગુજરાતમાં આ પ્રકારની અત્યાધુનિક ચેટબોટ સુવિધા વિકસાવનાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પહેલી સ્ટેટ યુનિવર્સિટી છે.
આજે અબાલવૃદ્ધો માટે વ્હોટ્સએપ મેસેજિંગ શુલભ, સરળ અને સર્વસ્વીકૃત માધ્યમ બન્યું છે, વીર નર્મદ યુનિવર્સિટીએ પણ પોતાના વિદ્યાર્થીઓ, ફ્યુચર સ્ટુડન્ટસથી લઇને કોઇપણ સામાન્ય વ્યક્તિને વીર નર્મદ યુનિવર્સિટી અંગેની કોઇપણ માહિતી વીર નર્મદ યુનિવર્સિટી ચેટબોટ નંબરથી મળી શકે તે પ્રકારની માળખાગત સુવિધા વિકસાવવામાં આવી છે.
વીર નર્મદ યુનિવર્સિટી ચેટબોટ સિસ્ટમ એક્સેસ કરવા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ કે અન્ય કોઇપણ નાગરીકોએ 0261- 238 8888 નંબર પોતાના મોબાઇલમાં સેવ કરવાનો રહેશે. નંબર સેવ કર્યા પછી વ્હોટ્સએપ મેસેજિંગ સર્વિસ થકી ફક્ત એક સંદેશો એ નંબર પર સેન્ડ કરવાથી ચેટબોટની સેવાઓ એક્ટીવ થઇ જશે અને ચેટબોટ ચોવીસ કલાક વીર નર્મદ યુનિવર્સિટીની માહિતી પૂરી પાડશે.
હાલમાં વીર નર્મદ યુનિવર્સિટી અંગેની માહિતી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટ અંગેની માહિતી, પ્રવેશ પ્રક્રિયા અંગેની માહિતી, પરીક્ષા સમયપત્રક અંગેની માહિતી, પરીક્ષા પરીણામ અંગેની માહિતી, હોલટિકીટની પ્રાપ્તિ અંગેની માહિતી, એફિલિયેટેડ કોલેજો અંગેની માહિતી તેમજ સંપર્ક અંગેની માહિતી સિસ્ટમમાં ફીડ કરવામાં આવી છે અને તબક્કાવાર વીર નર્મદ યુનિવર્સિટીને સ્પર્શતી તમામ બાબતો ચેટબોટ પરથી મળવાનું શરૂ થશે.
ખાસ નોંધવું ઘટે કે વીર નર્મદ યુનિવર્સિટીની ચેટબોટ સેવાઓ ફક્ત સાર્વજનિક માહિતી જ ઉપલબ્ધ કરાવશે. વિદ્યાર્થીઓને પોતાની પર્સનલ માહિતી જેમકે હોલટિકીટ, પરીણામ, સર્ટિફિકેટ વગેરે તેમણે પ્રવેશ વખતે આપેલા યુનિવર્સિટીમાં રજિસ્ટર્ડ મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ થકી વિદ્યાર્થીઓ ખુદ જ એક્સેસ કરી શકશે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે 10/8/21 ટવીટરના મધ્યમે જાહેરાત કરી છે કે ગુજરાતના અંકલેશ્વરમાં ભારતબાયોટેકની કોવેક્સિનની ઉત્પાદન સુવિધાને સરકારની મંજૂરી આપી છે.
Govt of India approves vaccine manufacturing facility for production of @BharatBiotech's #Covaxin in Ankleshwar, Gujarat.
Following PM @NarendraModi ji's vision of #SabkoVaccineMuftVaccine, this will increase vaccine availability & accelerate the world’s largest vaccine drive.
માંડવિયાએ 6 ઓગસ્ટના રોજ રાજ્યસભાને માહિતી આપી હતી કે ભારત બાયોટેક અને ત્રણ જાહેર ક્ષેત્રની કંપનીઓ હાફકીન બાયોફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડ, ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડ (IIL) અને ભારત ઇમ્યુનોલોજિકલ બાયોલોજિકલ કોર્પોરેશન લિમિટેડ હાલ કોવેક્સિનનું ઉત્પાદન કરી રહી છે અને ઉત્પાદન વધારવા માટે સુવિધા વધારવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccinesમાં કોવેક્સિનના ઉત્પાદનને મંજૂરી આપવામાં આવી છે. અંકલેશ્વરમાં ટૂંક સમયમાં કોરોનાની રસી બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આ સુવિધામાં વાર્ષિક 20 કરોડ ડોઝનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. ભારત બાયોટેક કેન્દ્ર સરકારને પોતાની રસીના 50 કરોડ ડોઝ આપવા માટે પ્રતિબદ્ધ છે. હાલમાં ભારત બાયોટેકની રસીનું ઉત્પાદન હૈદરાબાદ, બેંગલુરૂ, પુણે અને અંકલેશ્વર થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેકે ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિન માટે ઉત્પાદન ક્ષમતાઓને વધારવાની જાહેરાત કરી છે. ભારત બાયોટેક તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપની પોતાના ગુજરાત પ્લાન્ટમાં ૧ વર્ષમાં કોવેક્સિનના 20 કરોડ ડોઝ બનાવશે.
અગાઉ નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે પોલે 3 ઓગસ્ટના રોજ પત્રકારોને જણાવ્યું હતું કે IILએ ગુજરાતના અંકલેશ્વર ખાતે વધારાની સુવિધા શરૂ કરી છે જ્યાં રસીના 60 લાખ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે.
રવિવાર તા.8મી ઓગસ્ટની મધરાતે ત્રણેક વાગ્યાના અરસામાં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનાં બાઢડા ગામ નજીકથી પૂરપાટ સ્પીડે માતેલા સાંઢની જેમ પસાર થતા ટ્રક ચાલકે રોડની બાજુમાં ઝૂંપડા બાંધીને સૂતા પરિવારને કચડી નાંખતા 9 લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં હજુ 4 લોકો જીવન મરણ વચ્ચે જંગ ખેલી રહ્યા છે. 12 ને નાની મોટી ઇજા થઇ છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા મામલતદાર સહિતનાં અધિકારીઓ તથા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
સાવરકુંડલાથી મહુવા તરફ અત્યંત પૂરપાટ ગતિએ જઇ રહેલી ટ્રકના ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટ્રક સાઈડ ડિવાઇડર કુદાવી પાસે આવેલા 10 ફુટનાં ખાડામાં ઝૂંપડાઓ તરફ ધસી ગયો હતો. જેમાં રસ્તાની સાઇડમાં ઝૂંપડા બાંધી ઊંઘી રહેલા લોકો માથે ટ્રક ચડી જતા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે. આ ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
સાવરકુંડલા પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. ટ્રક ક્યાંથી આવતો હતો અને કેવી રીતે બેલેન્સ ગુમાવી દીધું? વગેરે સહિતની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં થયેલા અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યુ છે. મુખ્યમંત્રીએ પોતાના ટ્વીટમાં કહ્યુ- કલેકટર અમરેલીને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલવાનો આદેશ કર્યો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.