CIA ALERT

ગુજરાત Archives - Page 26 of 158 - CIA Live

May 3, 2022
Promotion.jpg
1min752

રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ સોમવારે Dt.2/5/22, તેમના સત્તાવાર હેન્ડલ પરથી એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સરકારે 21 સપ્ટેમ્બર 2019ના રોજના ઠરાવને અમલમાં નહીં મૂકવાનો નિર્ણય લીધો છે જે શાળાઓને ધોરણ 5 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓને નાપાસ કરવાની મંજૂરી આપે છે. જે અનુસાર 2022-23 શૈક્ષણિક વર્ષ માટે લેવામાં આવેલી પરીક્ષાઓ રોગચાળાની પરિસ્થિતિને કારણે ધોરણ 1થી ધોરણ 8 સુધીના કોઈપણ વિદ્યાર્થીઓને નાપાસ કરશે નહીં.

– વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને વર્ષ 2022-23માં લેવાયેલી વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગબઢતી આપવા અંગેના 21 સપ્ટેમ્બર 2019ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ પૂરતો મુલતવી રાખવામાં આવશે.
– આ નિર્ણયને કારણે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી આપવામાં આવશે.
– પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્વિતિય (વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી પરીક્ષાના પરિણામની અસર વિદ્યાર્થીઓની વર્ગબઢતી પર લાગુ કરવાની રહેશે નહીં.

April 25, 2022
heatwave.jpg
1min722

પાછલા સપ્તાહે વાદળછાયા વાતાવરણ અને વરસાદની આગાહીની વચ્ચે થોડા દિવસ ગરમીમાંથી રાહત મળી હતી હવે ફરીથી હવામાન વિભાગે આગામી 8 દિવસ કાળઝાળ ગરમી માટે ગુજરાતીઓ તૈયાર રહે તેવી આગાહી કરી છે. મંગળવારથી ગરમીનો પારો ઉંચકાવા જઈ રહ્યો છે. 26 એપ્રિલ, મંગળવારથી 8 દિવસ રાજ્યભરમાં 44 ડિગ્રીથી વધુ ગરમી નોંધાશે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, 25 એપ્રિલથી 2 મે સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી મુજબ, પાકિસ્તાનમાં સર્જાનારા એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનથી ગરમી વધશે. 29, 30 એપ્રિલે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જઈ શકે છે. તો રાજ્યના કેટલાક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

દરમિયાનમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં હિટવેવની આગાહી છે ત્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગિર સોમનાથ, કચ્છ, રાજકોટ, અમરેલી, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તથા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

શનિવારે અમદાવાદ સહિત 4 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી અને 5 શહેરોમાં 41 ડિગ્રી પાર કરી ગયો હતો. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1.1 ડિગ્રી વધીને 41.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1.5 ડિગ્રી વધીને 26.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં અમદાવાદમાં ક્રમશ ગરમીમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન ખાતાના આંકડાઓ પરથી જણાય છે કે છેલ્લાં 10 વર્ષમાં પહેલીવાર રાજ્યમાં ગરમીનો પારો 15 માર્ચ પહેલાં 40 ડિગ્રીએ પહોંચ્યો હતો. અગાઉ સૌથી વધુ 42.8 ડિગ્રી મહત્તમ તાપમાન 28 માર્ચ-2017ના રોજ નોંધાયું હતું. ગત વર્ષે 29 માર્ચના 41.7 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
જૂનાગઢમાં હિટવેવ તાપમાન 42.7 ડિગ્રી
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઉનાળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગગનમાંથી અગનવર્ષા શરૂ થઇ  છે. પરિણામે બપોરના સમયે સ્વૈચ્છિક કફર્યુ જેવી સ્થિતિ સર્જાય છે. જૂનાગઢમાં આજે મહતમ તાપમાન 42.7 ડિગ્રી ન્યુનતમ 26.9 ડિગ્રી, ભેજ 30 અને 14 ટકા, પવન 6 કિ.મી. નોંધાયો છે.

April 22, 2022
earthquake-zone-map-of-gujarat-1.jpg
1min553

તળાજાની એક સ્કુલમાં ધોરણ 7ના બે પેપરની ચોરી થતાં આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હોવાનું જાણીને શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભારે આશ્ચર્ય વ્યાપ્યું હતું. પહેલી વખત પ્રાથમિક વિભાગનું પ્રશ્નપત્ર ચોરી થતાં સુરત સહિત ગુજરાતમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. 

છેલ્લા ઘણાં વખતથી ગુજરાતમાં પરીક્ષાના પેપર ફૂટવાની મોસમ ચાલી રહી છે. અત્યાર સુધીમાં પરીક્ષાલક્ષી કે કોલેજની પરીક્ષાના પેપર ફૂટતા હતા પરંતુ પહેલી વાર પ્રાથમિક શિક્ષણના ધોરણ 7ના બે પેપરની ચોરી થઈ છે. જેના કારણે આજે અને આવતીકાલે ધોરણ 7ની જે પરીક્ષા હતી તેને રદ્દ કરવામાં આવી છે. તળાજા નેસવડ શાળામાંથી પ્રશ્નપત્ર ચોરી થયાં હોવાની ફરિયાદ મોડી રાત્રે પોલીસ મથકે કરવામાં આવી હતી. 

ધોરણ7ના બે પ્રશ્ન પત્રની ચોરી થયાની ફરિયાદ લખાવાયાં બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેને પગલે આજે શુક્રવાર અને શનિવારના રોજની ધોરણ 7ની પરીક્ષા રદ્દ કરવાનો પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે. મોડી રાત્રે આ પરિપત્ર જાહેર થતાં સમિતિની સ્કૂલમાં વહેલી સવારે જાણ થઈ હતી. 

હાલ પરીક્ષા ચાલી રહી હોવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા ખંડમાં આવી ગયાં હતા. ત્યારે ખબર પડી હતી કે આજે અને આવતીકાલે ધોરણ 7ની પરીક્ષા લેવામાં આવશે નહીં. વર્ગ ખંડમાં પહોંચ્યા બાદ પરીક્ષા રદ્દ થઈ હોવાની જાણ થતાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જેના પગલે સ્કુલમાં વિદ્યાર્થીઓની હાજરી પુરી અને મધ્યાહ્ન ભોજનનો લાભ આપવામાં આવ્યો હતો. 

સુરતમાં 7 માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે તેમાંથી ગુજરાતી માધ્યમના 25થી 30  હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓની પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવી રહી છે. આજે અને આવતીકાલે ધોરણ 7ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. હવે સોમવારથી રાબેતા મુજબ પરીક્ષા લેવામાં આવશે. પહેલી વાર પ્રાથમિક  વિભાગ નું પ્રશ્નપત્ર ફુટ્યું હોવાથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

April 20, 2022
rajkot_police.jpg
1min629

રાજકોટ ક્રાઇમબ્રાંચના ચાર પોલીસ કર્મચારી દ્વારા સાયલા પાસેથી દારૂ ભરેલા ટ્રક સાથે ચાલકનું અપહરણ કર્યાના મામલે સાયલા પોલીસે ચાર પોલીસમેન તથા બુટલેગરો સહિત 11 ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ એહમદ દ્વારા ક્રાઇમ બ્રાંચની મહિલા ફોજદાર સહિત પાંચ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો.

આ ચર્ચાસ્પદ બનાવ અંગેની વિગત એવી છે કે, રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા અને અગાઉ રૂ.9પ લાખના તોડકાંડ મામલે વિવાદમાં આવેલા દેવા ધરજિયાને મળેલી બાતમીના આધારે ક્રિપાલસિંહ જાડેજા, સુભાષ ઘોઘારી, ઉપેન્દ્રસિંહ ઝાલા સહિતના કાર લઈને દારૂ ભરેલો ટ્રક ઝડપી લેવા માટેથી સાયલા પહોંચ્યા હતા અને સાયલા પાસેથી 394 પેટી દારૂ ભરેલા ટ્રક સાથે ચાલકને ઉપાડી લઈ રાજકોટ આવવા રવાના થયા હતા અને રાજકોટ-મોરબી બાયપાસ પાસેથી પહોંચ્યા હતા ત્યારે સ્ટેટ વિજિલન્સ સેલના સ્ટાફે દારૂ ભરેલી ટ્રકને આંતરી હતી અને ક્રાઇમ બ્રાંચના સ્ટાફે રોફ જમાવવા જતા સ્ટેટ વિજિલન્સનો સ્ટાફ હોવાની જાણ થતા હોશકોશ ઉડી ગયા હતા અને ક્રાઇમ બ્રાંચના એસીપી ડી. વી. બસિયા અને પીઆઇ જે. વી. ધોળાને જાણ કરવામાં આવી હતી અને સાયલા પાસેથી દારૂ ભરેલો ટ્રક ઉઠાવી લીધાની વાત કરતા સમગ્ર મામલો સ્ટેટ વિજિલન્સના વડા નિર્લિપ્ત રાય પાસે પહોંચ્યો હતો અને તમામને સાયલા પોલીસ મથકે લઈ જઈને ગુનો નોંધવાનો આદેશ કરવામાં આવતા પોલીબેડામાં સન્નાટો વ્યાપી ગયો હતો.

સાયલા પોલીસે રાજસ્થાનના બાડમેરના ટ્રકચાલક જગદીશ ઉમેદરામ બેનીવાલની ફરિયાદ પરથી રાજકોટ ક્રાઇમ બ્રાંચના દેવા જાદવ ધરજિયા, સુભાષ સોડા ઘોઘારી, ઉપેન્દ્રસિંહ જયવીરસિંહ ઝાલા અને ક્રિપાલસિંહ નરપતસિંહ જાડેજા, ટ્રકમાલિક રાજસ્થાનના બાબુલાલ જાટ, દારૂનો જથ્થો સપ્લાય કરનાર શૂટર નામનો શખસ, સાયલા પાસે પાણીની બોટલ લઈને ટ્રકમાં બેઠેલો શખસ, રાજકોટનો બુટલેગર સૌરભ ઉર્ફે લાલો ચંદારાણા, છાસિયા ગામનો ભાણો તથા તપાસમાં ખૂલે તે સહિતના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

જો કે આ પ્રકરણમાં સાથે રહેલી રાજકોટ ક્રાઇમ બ્રાંચની મહિલા ફોજદાર ભાવના કડછાને પણ સાયલા પોલીસ મથકે લઈ જવામાં આવેલ બાદમાં તેની ભૂમિકા સંદર્ભે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. સાયલા પોલીસે રાજકોટ ક્રાઇમ બ્રાંચના ચાર પોલીસ કર્મચારીની ધરપકડ કરી હતી તેમજ ચારેય પોલીસ કર્મચારીઓના મોબાઇલ અને કાર કબજે કર્યા હતા. પોલીસે ચારેયના મોબાઇલની કોલડીટેઇલ તેમજ વોટ્સએપ કોલ સહિતની માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર દારૂના કાંડના અંકોડા મેળવવા માટેથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે 394 પેટી દારૂ-ટ્રક અને મોબાઇલ સહિત રૂ.36 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દરમિયાન દારૂ કાંડ મામલે ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ એહમદે ક્રાઇમ બ્રાંચની મહિલા ફોજદાર ભાવના જે.કડછા, ક્રિપાલસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા, દેવા ધરજિયા, સુભાષ ઘોઘારીને સસ્પેન્ડ કરી દેતો હુકમ કર્યો હતો તેમજ મહિલા ફોજદાર ભાવના કડછાની ભૂમિકા સંદર્ભે પણ રાબેતા મુજબ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા જણાવાઈ રહ્યંy છે. સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે ચારેય પોલીસ કર્મચારીના મોબાઇલ કબજે કર્યા હોય તેની કોલ ડિટેઇલ-વોટ્સએપ કોલ સંદર્ભેની માહિતીના આધારે આગામી દીવસોમાં ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ કે કર્મચારીઓને રેલો આવે તેવા પણ નિર્દેશો સાંપડી રહ્યા છે.

April 18, 2022
modi.jpeg
1min421

Date 18/04/2022, સોમવારથી ફરી એકવાર વડા પ્રધાન PM Modi ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. નરેન્દ્ર  મોદી તા. ૧૮, ૧૯ અને ૨૦મી એપ્રિલે ગુજરાત પ્રવાસે છે. સોમવારે સાંજે  અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને સાંજે ૬ વાગ્યે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ ક્ટ્રોલ સેન્ટરની મુલાકાત સાથે તેમના ત્રણ દિવસના કાર્યક્રમનો પ્રારંભ થશે.

નરેન્દ્ર મોદી ગુજરાતમાં અલગ અલગ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં બનેલા બનાસ ડેરીના પ્લાન્ટનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમમાં પહેલી વખત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહેશે જેમને વડા પ્રધાન સંબોધન કરશે. આ સિવાય દાહોદમાં એક હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ૨૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી ૭૫૦ પથારીની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સાથે  મોદી નવી મેડિકલ કોલેજના સંકુલ તથા ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા રહેણાંક આવાસનું પણ લોકાર્પણ કરશે. આ સિવાય હોસ્પિટલમાં બનેલા નવા ઓક્સિજન પ્લાન્ટને ખુલ્લો મુકશે. આ ઉપરાંત ગાંધીનગરમાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં વધુ સુદ્રઢ બનાવી શકાય તે હેતુથી આ કંટ્રોલ સેન્ટર તૈયાર કરાયું છે.

મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસને લઈ રાજ્ય સરકારે ખાસ તૈયારીઓ કરી છે. વડા પ્રધાનના રૂટ અને કાર્યક્રમના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ૧૯મીએ દિયોદરમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને વડા પ્રધાન સીધા જામનગર જશે જ્યાં ડબલ્યુએચઓના સહયોગથી બનનાર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના ડિજી સહિત અધિકારીઓ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન પણ હાજર રહેશે. જામનગરથી ગાંધીનગર પરત ફરી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. ૨૦મી એપ્રિલે સવારે મહાત્મા મંદિરમાં પીએમ મોદી હાજરી આપશે. બપોર બાદ દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધન કરશે. દાહોદ અને પંચમહાલના વિવિધ પ્રોજેકટના ખાતમુહૂર્ત કરશે.

April 17, 2022
crpatil.jpg
1min508

માધવપુરના મેળામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તેમના પ્રવચનમાં કૃષ્ણ -સુભદ્રા વિષે શરતચૂકથી વારંવાર ભાઇ-બહેનને બદલે પતિ-પત્ની ગણાવી ભાંગરો વાટયો હતો. આ પ્રવચનના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા તેથી અંતે સી.આર.પાટીલે માફી માગી છે અને દ્વારકા આવીને દ્વારકાધીશના દર્શન કરીને પણ રૂબરૂ પણ માફી માગશે તેમ કબૂલ્યું છે.’

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે માધવપુરના મેળામાં પ્રવચન દરમિયાન વારંવાર એવો ઉલ્લેખ કર્યો હતો કે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ અહીં માધવપુર આવીને લગ્ન કર્યા હતા. તેમના પ્રવચનમાં વારંવાર આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવતા કોઇએ તેનું ધ્યાન દોરીને કૃષ્ણના લગ્ન સુભદ્રા સાથે નહીં પરંતુ રૂક્ષ્મણી સાથે થયાં હતાં તેમ જણાવતા તે સમયે પાટીલે પ્રવચનમાં પોતાની ભૂલ સુધારી હતી પણ કોઇ માફી માંગી ન હતી પરતું ત્યારબાદ પાટીલના આ નિવેદન બદલ ચારે બાજુથી રોષ ભભૂકી ઉઠયો હતો. રાજકીય રીતે પણ તેના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા અને પોરબંદરમાં યુવક કોંગ્રેસે પાટીલના પોસ્ટરને સુદામા ચોકમાં પીપળાના વૃક્ષમાં ઉંધુ લટકાવ્યું હતું અને તે રીતે પણ વિરોધ થયો હતો.

જિલ્લા કોંગ્રેસના પ્રમુખે તો તેમની માનસિક સ્થિતિ સારી નહીં હોવાનું જણાવીને સારવાર કરાવવાની શીખામણ પણ આપી હતી. તે ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાએ પણ ટ્વીટ કરીને પાટીલને માફી માગવા જણાવ્યું હતું. ગુજરાતના અલગ-અલગ શહેરોના આહિર સમાજના યુવાનો, આગેવાનો વગેરેએ સી.આર.પાટીલને ફોન કરીને માફી માગવા માટે કહ્યું હતું.

દરમિયાનમાં સી.આર.પાટીલે એક વીડિયો શેર કર્યો છે જેમાં પોતે માફી માંગતા હોય તેવું જણાવ્યું છે જેમાં તેઓ બોલે છે કે ‘હું એક કાર્યક્રમમાં શરતચૂકથી ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજી વિષે બોલ્યો હતો. તેથી યુવાનોએ અને આગેવાનોએ મને ફોન કરીને આ બાબતમાં માફી માગવાનું કહ્યું હતું એટલું જ નહીં પરંતુ કોઇએ દ્વારકા આવીને પણ માફી માંગવા જણાવ્યું હતું. વક્તવ્ય દરમિયાન મેં કોઇ ધર્મની ટીકા ટીપ્પણી કરી નથી. જે યુવાનોએ મને ફોન કર્યો તેને પણ હકારાત્મક જવાબ આપ્યો હતો. ફક્ત નામ લેવામાં મારાથી શરતચૂક થઇ હતી. ભૂલ એ ભૂલ છે તેથી કોઇપણ જાતની દલીલ વગર એ ભૂલને સ્વીકારીને હું માફી માંગુ છું. મારા વક્તવ્યને કારણે કોઇની લાગણી દુભાઇ હોય તો તેમની માફી માગુ છું અને જરૂર પડયે હું દ્વારકા પણ આવીશ અને માફી માંગીશ’ એમ ઉમેર્યું હતું.

April 15, 2022
hardik1-1280x720.jpg
1min646

ગુજરાતમાં આ વર્ષના અંતમાં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં મોટી ઉથલ-પાથલની સંભાવના દેખાઈ રહી છે. પાટીદાર સમાજના મોટા નેતા અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાની જ પાર્ટી પર નિશાનો સાધ્યો છે. તેમણે કોંગ્રેસ પર નજરઅંદાજ કરવાનો આરોપ લગાવતા પાટીદાર સમાજના અપમાનનો આરોપ લગાવ્યો છે. ” ‘
માત્ર 26 વર્ષની ઉંમરમાં કોંગ્રેસના સૌથી યુવા અધ્યક્ષ બનેલા હાર્દિક પટેલે બુધવારે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ છે. કેન્દ્ર અને રાજ્યમાં નેતા વધારે હોવાના કારણે નિર્ણય થઈ શકતો નથી. પાટીદાર નેતા નરેશ પટેલને કોંગ્રેસમાં સામેલ કરવામાં થઈ રહેલા વિલંબ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓના મોટા ભાગે મીડિયામાં નિવેદન આવે છે તેના કારણે આખા પાટીદાર સમાજનું અપમાન થઈ રહ્યું છે. એ પાટીદાર સમાજ સહન નહીં કરે બે મહિના થઈ ચૂક્યા છે પરંતુ અત્યાર સુધી નરેશ પટેલને પાર્ટીમાં સામેલ કરવાનો નિર્ણય થઈ શક્યો નથી અને સ્થાનિક નેતૃત્વએ તેના પર તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ.’

એક અહેવાલ હાર્દિક પટેલે કોંગ્રેસમાં નજરઅંદાજ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે મને પ્રદેશ પાર્ટી કમિટીની બેઠકમાં આમંત્રિત કરવામાં આવતો નથી. કોઈ પણ નિર્ણય લેવા પહેલા તેઓ મારી પાસ સલાહ લેતા નથી પછી આ પદનો અર્થ શું છે? ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષનો અર્થ લગ્ન બાદ વરરાજાની નસબંદી ”’ કરાવવા બરાબર છે.
હાર્દિક પટેલ દાવો કરે છે કે વર્ષ 2015ની સ્થાનિક ચૂંટણી અને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજના આંદોલનથી કોંગ્રેસને ચૂંટણીમાં મોટો ફાયદો થયો. ત્યારબાદ શું થયું? કોંગ્રેસમાં ઘણા લોકો માને છે કે પાર્ટી વર્ષ 2019 બાદ હાર્દિક પટેલનો સારી રીતે ઉપયોગ ન કરી શકી. તેનું કદાચ કારણ એ છે કે પાર્ટીમાં કેટલાક લોકો વિચારી રહ્યા છે કે આગામી 5-10 વર્ષમાં હું તેમની પ્રગતિમાં બાધા બની શકું છું અને એટલે જ કોંગ્રેસના નેતાઓ ઇચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં.
દરમિયાન હાર્દિક પટેલના નરેશ પટેલના નિવેદન પર રઘુ શર્માની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ હાર્દિકને કહ્યુ કે, બધાએ શિસ્તમાં રહેવું જોઈએ. શું હાર્દિકે નરેશ પટેલને પૂછીને નિવેદન આપ્યું હતું? દરેક પાર્ટી અને વ્યક્તિની સમસ્યા હોય જ છે કે, જો તમને ફરિયાદ હોય તો અમને જાણ કરો. જાહેરમાં નિવેદનો કરવાથી ક્યારેય સમસ્યાનું સમાધાન ન થાય.

હાર્દિક પટેલની નારાજગી બાબતે જ્યારે ગુજરાત કોંગ્રસ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું હતું કે હાર્દિક પટેલ સાથે વાત કરીને જાણકારી મેળવીશ કે તેમની નારાજગીનું કારણ શું છે. નરેશ પટેલને સામેલ કરવા માટે પાર્ટી તૈયાર છે. તેમની સાથે કેટલીક વાતચીત પણ થઈ ચૂકી છે પરંતુ આ નિર્ણય તેમણે જ કરવો પડશે કે તેઓ કોંગ્રેસમાં સામેલ થશે કે નહીં અને કોંગ્રેસ તેમનું અને તેમના સમુદાયનું અપમાન કઈ રીતે કરી શકે છે.

April 11, 2022
fire.jpg
1min800

રવિવાર તા.10મી એપ્રિલની મધરાતે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી ઓમ ઓર્ગેનિક નામની કંપનીમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં પાંચ કામદારોના મોત થયા હોવાનું વિગતોએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.

દહેજની આ ફેક્ટરીમાં મોડી રાત્રે બનેલા આ દુર્ઘટનામાં રાસાયણીક પ્રક્રિયા દરમિયાન મોટો ધડાકો થયો હતો અને તે પછી વિકરાળ આગ લાગી હતી. આ અકસ્માત લગભગ રાત્રે 2 વાગ્યાની આસપાસ બન્યો હતો જેમાં મોટો ધડાકો થતા કામદારો ડરી ગયા હતા જોકે, પાંચ કામદારો પ્લાન્ટમાંથી ભાગવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઘટનામાં ધડાકો એટલો મોટો હતો કે પ્લાન્ટનો મોટો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. ઘટના બાદ તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરીની સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પાંચ કામદારોના મૃતદેહ ઘટના સ્થળ પરથી બહાર કાઢવામાં આવ્યા છે જોકે, હજુ એક કામદાર આ ઘટનામાં ગુમ થયો હોવાનું માલુમ પડતા તેની તપાસ કરવામાં આવી રહી છે.

April 10, 2022
lrd.jpg
1min732

રાજ્યમાં ભરતી પરીક્ષાઓ અને હવે બોર્ડની પરીક્ષાના પણ પેપર ફૂટવાની ઉપરાછાપરી ઘટનાઓ વચ્ચે આજે તા.10મી એપ્રિલ રવિવારે ગુજરાતભરમાં આવેલા કેન્દ્રો પરથી એલઆરડી (લોક રક્ષક દળ) ભરતીની લેખિત પરીક્ષા યોજવામાં આવી છે. અગાઉની જેમ આ પરીક્ષા દરમિયાન કોઇ વિવાદ સર્જાય નહીં એ માંટે તેમજ કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.

વનરક્ષકની પરીક્ષામાં ઉમેદવારે ટોઇલેટમાં જઇને પેપર લીક કર્યું હોવાનો કિસ્સો સામે આવતા એલઆરડીની પરીક્ષામાં કોઇપણ ઉમેદવારને પેશાબ કે પાણી પીવા માટે પણ ક્લાસરૂમની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. દરેક ક્લાસરૂમમાં પાણીની વ્યવસ્થા કરાશે. એલઆરડીની લેખિત પરીક્ષા 7 જિલ્લાના 954 કેન્દ્રો પરથી લેવામાં આવશે. 2.95 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે જોકે, તે પૈૈકી 1875 ઉમેદવારો દ્વારા કૉલલેટર ડાઉનલોડ કરાયા નથી જેમને ભરતી બોર્ડ દ્વારા મેસેજ પણ કરાયા છે.

એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે, ‘કોઇપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાશે નહીં. પરીક્ષા કેન્દ્રો પર પહોંચનાર તમામ વિદ્યાર્થીઓનું બાયોમેટ્રીક વેરીફિકેશન કરાશે અને તેની વિડીયોગ્રાફી પણ કરાશે.​​​​​​​ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે પણ ખાસ તકેદારી રખાઇ છે. એક જ વિસ્તારના વિદ્યાર્થીઓને અલગ- અલગ જિલ્લામાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેથી એક કેન્દ્ર પર જાણીતા ઉમેદવારો ભેગા થઇને ચોરી કરી શકે નહીં. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો ઉપરાંત ફરજ પરના સ્ટાફને પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ક્લાસરૂમનું સીસીટીવીથી મોનિટરીંગ થશે. તમામ કેન્દ્રો પર ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે પીઆઇ કે પીએસઆઇ કક્ષાના અધિકારીને મૂકાશે.’

એલઆરડીની લેખિત પરીક્ષામાં ક્લાસરૂમમાં ઉમેદવારોની હાજરીમાં જ ઓએમઆર શીટના કવરનું સીલ ખોલાશે. આ પદ્ધતિ જીપીએસસીમાં છે પરંતુ તમામ ભરતીમાં સૌપ્રથમ એલઆરડીમાં એવી પણ પદ્ધતિ દાખલ કરાઇ છે કે પેપર પૂરૂ થયા બાદ ઉમેદવારોને ક્લાસમાં બેસાડી રખાશે અને સુપરવાઇઝર દ્વારા તમામ ઓએમઆર શીટ ફરી કવરમાં મૂકી તેમની સામે જ સીલ કરાશે. આ માટે બે ઉમેદવારની સહી પણ લેવામાં આવશે.

એલઆરડીની પરીક્ષા બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન યોજાશે પરંતુ તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું હોવાથી અને ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી તમામ ઉમેદવારોને સવારે 9.30 કલાકે પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાની સૂચના આપવામાં આવી છે. 11 વાગ્યા બાદ ઉમેદવારોને કેન્દ્ર પર પ્રવેશ નહીં મળે.

તમામ કેન્દ્રોના ક્લાસરૂમમાં સીસીટીવીની સુવિધા રખાઇ છે પરંતુ જ્યાં પરીક્ષાનું સાહિત્ય આવે અને જ્યાંથી વહેંચણી થાય તે સ્કૂલના પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા ડીઇઓથી લઇને સુપરવાઇઝર અને પીઆઇ- પીએસઆઇને પણ ભરતી બોર્ડ દ્વારા તાલીમ અપાઇ છે.

April 9, 2022
ambaji_temple-1280x720.jpg
1min654

51 Shaktipeeth Parikrama Mahotsav: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થતાં જ રાજ્ય અને દેશભરમાંથી હજારો ભક્તજનો પરિવાર સમેત ઉમટી પડ્યા હતા.

આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો હશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સીએમ પટેલે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સાંસ્કૃતિક વિલેજનું ઉદઘાટન, અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટનું લોન્ચિંગ તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવેલી મોબાઈલ એપનું પણ લોન્ચિંગ કર્યું હતું.

સાંસ્કૃતિક વિલેજનું ઉદ્ઘાટન કરી ગબ્બર પર્વત ખાતે લાઈટ અને સાઉન્ડ શૉ ખુલ્લો મુક્યો હતો. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે 13.35 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શૉથી ગબ્બર પર્વત ઝગમગી ઉઠ્યો હતો. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અંબાજી ગબ્બર ખાતે નવનિર્મિત ભારતનો મોટો ‘લાઇટ એન્ડ સાઉન્ડ શૉ’ અંબાજી તીર્થ ધામનું અનેરું આકર્ષણ બનશે.

ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે આ મહોત્સવ પવિત્ર યાત્રાધામના વિકાસ વધુ વેગવંતુ બનાવશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.