(10/4/22) આજે ગુજરાતમાં LRDની પરીક્ષા
રાજ્યમાં ભરતી પરીક્ષાઓ અને હવે બોર્ડની પરીક્ષાના પણ પેપર ફૂટવાની ઉપરાછાપરી ઘટનાઓ વચ્ચે આજે તા.10મી એપ્રિલ રવિવારે ગુજરાતભરમાં આવેલા કેન્દ્રો પરથી એલઆરડી (લોક રક્ષક દળ) ભરતીની લેખિત પરીક્ષા યોજવામાં આવી છે. અગાઉની જેમ આ પરીક્ષા દરમિયાન કોઇ વિવાદ સર્જાય નહીં એ માંટે તેમજ કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.
વનરક્ષકની પરીક્ષામાં ઉમેદવારે ટોઇલેટમાં જઇને પેપર લીક કર્યું હોવાનો કિસ્સો સામે આવતા એલઆરડીની પરીક્ષામાં કોઇપણ ઉમેદવારને પેશાબ કે પાણી પીવા માટે પણ ક્લાસરૂમની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. દરેક ક્લાસરૂમમાં પાણીની વ્યવસ્થા કરાશે. એલઆરડીની લેખિત પરીક્ષા 7 જિલ્લાના 954 કેન્દ્રો પરથી લેવામાં આવશે. 2.95 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે જોકે, તે પૈૈકી 1875 ઉમેદવારો દ્વારા કૉલલેટર ડાઉનલોડ કરાયા નથી જેમને ભરતી બોર્ડ દ્વારા મેસેજ પણ કરાયા છે.
એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે, ‘કોઇપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાશે નહીં. પરીક્ષા કેન્દ્રો પર પહોંચનાર તમામ વિદ્યાર્થીઓનું બાયોમેટ્રીક વેરીફિકેશન કરાશે અને તેની વિડીયોગ્રાફી પણ કરાશે. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે પણ ખાસ તકેદારી રખાઇ છે. એક જ વિસ્તારના વિદ્યાર્થીઓને અલગ- અલગ જિલ્લામાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેથી એક કેન્દ્ર પર જાણીતા ઉમેદવારો ભેગા થઇને ચોરી કરી શકે નહીં. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો ઉપરાંત ફરજ પરના સ્ટાફને પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ક્લાસરૂમનું સીસીટીવીથી મોનિટરીંગ થશે. તમામ કેન્દ્રો પર ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે પીઆઇ કે પીએસઆઇ કક્ષાના અધિકારીને મૂકાશે.’
એલઆરડીની લેખિત પરીક્ષામાં ક્લાસરૂમમાં ઉમેદવારોની હાજરીમાં જ ઓએમઆર શીટના કવરનું સીલ ખોલાશે. આ પદ્ધતિ જીપીએસસીમાં છે પરંતુ તમામ ભરતીમાં સૌપ્રથમ એલઆરડીમાં એવી પણ પદ્ધતિ દાખલ કરાઇ છે કે પેપર પૂરૂ થયા બાદ ઉમેદવારોને ક્લાસમાં બેસાડી રખાશે અને સુપરવાઇઝર દ્વારા તમામ ઓએમઆર શીટ ફરી કવરમાં મૂકી તેમની સામે જ સીલ કરાશે. આ માટે બે ઉમેદવારની સહી પણ લેવામાં આવશે.
એલઆરડીની પરીક્ષા બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન યોજાશે પરંતુ તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું હોવાથી અને ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી તમામ ઉમેદવારોને સવારે 9.30 કલાકે પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાની સૂચના આપવામાં આવી છે. 11 વાગ્યા બાદ ઉમેદવારોને કેન્દ્ર પર પ્રવેશ નહીં મળે.
તમામ કેન્દ્રોના ક્લાસરૂમમાં સીસીટીવીની સુવિધા રખાઇ છે પરંતુ જ્યાં પરીક્ષાનું સાહિત્ય આવે અને જ્યાંથી વહેંચણી થાય તે સ્કૂલના પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા ડીઇઓથી લઇને સુપરવાઇઝર અને પીઆઇ- પીએસઆઇને પણ ભરતી બોર્ડ દ્વારા તાલીમ અપાઇ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now