CIA ALERT

ગુજરાત Archives - Page 25 of 157 - CIA Live

April 18, 2022
modi.jpeg
1min400

Date 18/04/2022, સોમવારથી ફરી એકવાર વડા પ્રધાન PM Modi ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. નરેન્દ્ર  મોદી તા. ૧૮, ૧૯ અને ૨૦મી એપ્રિલે ગુજરાત પ્રવાસે છે. સોમવારે સાંજે  અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને સાંજે ૬ વાગ્યે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ ક્ટ્રોલ સેન્ટરની મુલાકાત સાથે તેમના ત્રણ દિવસના કાર્યક્રમનો પ્રારંભ થશે.

નરેન્દ્ર મોદી ગુજરાતમાં અલગ અલગ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં બનેલા બનાસ ડેરીના પ્લાન્ટનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમમાં પહેલી વખત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહેશે જેમને વડા પ્રધાન સંબોધન કરશે. આ સિવાય દાહોદમાં એક હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ૨૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી ૭૫૦ પથારીની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સાથે  મોદી નવી મેડિકલ કોલેજના સંકુલ તથા ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા રહેણાંક આવાસનું પણ લોકાર્પણ કરશે. આ સિવાય હોસ્પિટલમાં બનેલા નવા ઓક્સિજન પ્લાન્ટને ખુલ્લો મુકશે. આ ઉપરાંત ગાંધીનગરમાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં વધુ સુદ્રઢ બનાવી શકાય તે હેતુથી આ કંટ્રોલ સેન્ટર તૈયાર કરાયું છે.

મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસને લઈ રાજ્ય સરકારે ખાસ તૈયારીઓ કરી છે. વડા પ્રધાનના રૂટ અને કાર્યક્રમના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ૧૯મીએ દિયોદરમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને વડા પ્રધાન સીધા જામનગર જશે જ્યાં ડબલ્યુએચઓના સહયોગથી બનનાર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના ડિજી સહિત અધિકારીઓ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન પણ હાજર રહેશે. જામનગરથી ગાંધીનગર પરત ફરી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. ૨૦મી એપ્રિલે સવારે મહાત્મા મંદિરમાં પીએમ મોદી હાજરી આપશે. બપોર બાદ દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધન કરશે. દાહોદ અને પંચમહાલના વિવિધ પ્રોજેકટના ખાતમુહૂર્ત કરશે.

April 17, 2022
crpatil.jpg
1min484

માધવપુરના મેળામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તેમના પ્રવચનમાં કૃષ્ણ -સુભદ્રા વિષે શરતચૂકથી વારંવાર ભાઇ-બહેનને બદલે પતિ-પત્ની ગણાવી ભાંગરો વાટયો હતો. આ પ્રવચનના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા તેથી અંતે સી.આર.પાટીલે માફી માગી છે અને દ્વારકા આવીને દ્વારકાધીશના દર્શન કરીને પણ રૂબરૂ પણ માફી માગશે તેમ કબૂલ્યું છે.’

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે માધવપુરના મેળામાં પ્રવચન દરમિયાન વારંવાર એવો ઉલ્લેખ કર્યો હતો કે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ અહીં માધવપુર આવીને લગ્ન કર્યા હતા. તેમના પ્રવચનમાં વારંવાર આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવતા કોઇએ તેનું ધ્યાન દોરીને કૃષ્ણના લગ્ન સુભદ્રા સાથે નહીં પરંતુ રૂક્ષ્મણી સાથે થયાં હતાં તેમ જણાવતા તે સમયે પાટીલે પ્રવચનમાં પોતાની ભૂલ સુધારી હતી પણ કોઇ માફી માંગી ન હતી પરતું ત્યારબાદ પાટીલના આ નિવેદન બદલ ચારે બાજુથી રોષ ભભૂકી ઉઠયો હતો. રાજકીય રીતે પણ તેના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા અને પોરબંદરમાં યુવક કોંગ્રેસે પાટીલના પોસ્ટરને સુદામા ચોકમાં પીપળાના વૃક્ષમાં ઉંધુ લટકાવ્યું હતું અને તે રીતે પણ વિરોધ થયો હતો.

જિલ્લા કોંગ્રેસના પ્રમુખે તો તેમની માનસિક સ્થિતિ સારી નહીં હોવાનું જણાવીને સારવાર કરાવવાની શીખામણ પણ આપી હતી. તે ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાએ પણ ટ્વીટ કરીને પાટીલને માફી માગવા જણાવ્યું હતું. ગુજરાતના અલગ-અલગ શહેરોના આહિર સમાજના યુવાનો, આગેવાનો વગેરેએ સી.આર.પાટીલને ફોન કરીને માફી માગવા માટે કહ્યું હતું.

દરમિયાનમાં સી.આર.પાટીલે એક વીડિયો શેર કર્યો છે જેમાં પોતે માફી માંગતા હોય તેવું જણાવ્યું છે જેમાં તેઓ બોલે છે કે ‘હું એક કાર્યક્રમમાં શરતચૂકથી ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજી વિષે બોલ્યો હતો. તેથી યુવાનોએ અને આગેવાનોએ મને ફોન કરીને આ બાબતમાં માફી માગવાનું કહ્યું હતું એટલું જ નહીં પરંતુ કોઇએ દ્વારકા આવીને પણ માફી માંગવા જણાવ્યું હતું. વક્તવ્ય દરમિયાન મેં કોઇ ધર્મની ટીકા ટીપ્પણી કરી નથી. જે યુવાનોએ મને ફોન કર્યો તેને પણ હકારાત્મક જવાબ આપ્યો હતો. ફક્ત નામ લેવામાં મારાથી શરતચૂક થઇ હતી. ભૂલ એ ભૂલ છે તેથી કોઇપણ જાતની દલીલ વગર એ ભૂલને સ્વીકારીને હું માફી માંગુ છું. મારા વક્તવ્યને કારણે કોઇની લાગણી દુભાઇ હોય તો તેમની માફી માગુ છું અને જરૂર પડયે હું દ્વારકા પણ આવીશ અને માફી માંગીશ’ એમ ઉમેર્યું હતું.

April 15, 2022
hardik1-1280x720.jpg
1min591

ગુજરાતમાં આ વર્ષના અંતમાં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં મોટી ઉથલ-પાથલની સંભાવના દેખાઈ રહી છે. પાટીદાર સમાજના મોટા નેતા અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાની જ પાર્ટી પર નિશાનો સાધ્યો છે. તેમણે કોંગ્રેસ પર નજરઅંદાજ કરવાનો આરોપ લગાવતા પાટીદાર સમાજના અપમાનનો આરોપ લગાવ્યો છે. ” ‘
માત્ર 26 વર્ષની ઉંમરમાં કોંગ્રેસના સૌથી યુવા અધ્યક્ષ બનેલા હાર્દિક પટેલે બુધવારે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસમાં નિર્ણય શક્તિનો અભાવ છે. કેન્દ્ર અને રાજ્યમાં નેતા વધારે હોવાના કારણે નિર્ણય થઈ શકતો નથી. પાટીદાર નેતા નરેશ પટેલને કોંગ્રેસમાં સામેલ કરવામાં થઈ રહેલા વિલંબ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓના મોટા ભાગે મીડિયામાં નિવેદન આવે છે તેના કારણે આખા પાટીદાર સમાજનું અપમાન થઈ રહ્યું છે. એ પાટીદાર સમાજ સહન નહીં કરે બે મહિના થઈ ચૂક્યા છે પરંતુ અત્યાર સુધી નરેશ પટેલને પાર્ટીમાં સામેલ કરવાનો નિર્ણય થઈ શક્યો નથી અને સ્થાનિક નેતૃત્વએ તેના પર તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ.’

એક અહેવાલ હાર્દિક પટેલે કોંગ્રેસમાં નજરઅંદાજ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે મને પ્રદેશ પાર્ટી કમિટીની બેઠકમાં આમંત્રિત કરવામાં આવતો નથી. કોઈ પણ નિર્ણય લેવા પહેલા તેઓ મારી પાસ સલાહ લેતા નથી પછી આ પદનો અર્થ શું છે? ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષનો અર્થ લગ્ન બાદ વરરાજાની નસબંદી ”’ કરાવવા બરાબર છે.
હાર્દિક પટેલ દાવો કરે છે કે વર્ષ 2015ની સ્થાનિક ચૂંટણી અને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજના આંદોલનથી કોંગ્રેસને ચૂંટણીમાં મોટો ફાયદો થયો. ત્યારબાદ શું થયું? કોંગ્રેસમાં ઘણા લોકો માને છે કે પાર્ટી વર્ષ 2019 બાદ હાર્દિક પટેલનો સારી રીતે ઉપયોગ ન કરી શકી. તેનું કદાચ કારણ એ છે કે પાર્ટીમાં કેટલાક લોકો વિચારી રહ્યા છે કે આગામી 5-10 વર્ષમાં હું તેમની પ્રગતિમાં બાધા બની શકું છું અને એટલે જ કોંગ્રેસના નેતાઓ ઇચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં.
દરમિયાન હાર્દિક પટેલના નરેશ પટેલના નિવેદન પર રઘુ શર્માની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ હાર્દિકને કહ્યુ કે, બધાએ શિસ્તમાં રહેવું જોઈએ. શું હાર્દિકે નરેશ પટેલને પૂછીને નિવેદન આપ્યું હતું? દરેક પાર્ટી અને વ્યક્તિની સમસ્યા હોય જ છે કે, જો તમને ફરિયાદ હોય તો અમને જાણ કરો. જાહેરમાં નિવેદનો કરવાથી ક્યારેય સમસ્યાનું સમાધાન ન થાય.

હાર્દિક પટેલની નારાજગી બાબતે જ્યારે ગુજરાત કોંગ્રસ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું હતું કે હાર્દિક પટેલ સાથે વાત કરીને જાણકારી મેળવીશ કે તેમની નારાજગીનું કારણ શું છે. નરેશ પટેલને સામેલ કરવા માટે પાર્ટી તૈયાર છે. તેમની સાથે કેટલીક વાતચીત પણ થઈ ચૂકી છે પરંતુ આ નિર્ણય તેમણે જ કરવો પડશે કે તેઓ કોંગ્રેસમાં સામેલ થશે કે નહીં અને કોંગ્રેસ તેમનું અને તેમના સમુદાયનું અપમાન કઈ રીતે કરી શકે છે.

April 11, 2022
fire.jpg
1min766

રવિવાર તા.10મી એપ્રિલની મધરાતે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી ઓમ ઓર્ગેનિક નામની કંપનીમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં પાંચ કામદારોના મોત થયા હોવાનું વિગતોએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.

દહેજની આ ફેક્ટરીમાં મોડી રાત્રે બનેલા આ દુર્ઘટનામાં રાસાયણીક પ્રક્રિયા દરમિયાન મોટો ધડાકો થયો હતો અને તે પછી વિકરાળ આગ લાગી હતી. આ અકસ્માત લગભગ રાત્રે 2 વાગ્યાની આસપાસ બન્યો હતો જેમાં મોટો ધડાકો થતા કામદારો ડરી ગયા હતા જોકે, પાંચ કામદારો પ્લાન્ટમાંથી ભાગવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઘટનામાં ધડાકો એટલો મોટો હતો કે પ્લાન્ટનો મોટો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. ઘટના બાદ તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરીની સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પાંચ કામદારોના મૃતદેહ ઘટના સ્થળ પરથી બહાર કાઢવામાં આવ્યા છે જોકે, હજુ એક કામદાર આ ઘટનામાં ગુમ થયો હોવાનું માલુમ પડતા તેની તપાસ કરવામાં આવી રહી છે.

April 10, 2022
lrd.jpg
1min709

રાજ્યમાં ભરતી પરીક્ષાઓ અને હવે બોર્ડની પરીક્ષાના પણ પેપર ફૂટવાની ઉપરાછાપરી ઘટનાઓ વચ્ચે આજે તા.10મી એપ્રિલ રવિવારે ગુજરાતભરમાં આવેલા કેન્દ્રો પરથી એલઆરડી (લોક રક્ષક દળ) ભરતીની લેખિત પરીક્ષા યોજવામાં આવી છે. અગાઉની જેમ આ પરીક્ષા દરમિયાન કોઇ વિવાદ સર્જાય નહીં એ માંટે તેમજ કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.

વનરક્ષકની પરીક્ષામાં ઉમેદવારે ટોઇલેટમાં જઇને પેપર લીક કર્યું હોવાનો કિસ્સો સામે આવતા એલઆરડીની પરીક્ષામાં કોઇપણ ઉમેદવારને પેશાબ કે પાણી પીવા માટે પણ ક્લાસરૂમની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. દરેક ક્લાસરૂમમાં પાણીની વ્યવસ્થા કરાશે. એલઆરડીની લેખિત પરીક્ષા 7 જિલ્લાના 954 કેન્દ્રો પરથી લેવામાં આવશે. 2.95 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે જોકે, તે પૈૈકી 1875 ઉમેદવારો દ્વારા કૉલલેટર ડાઉનલોડ કરાયા નથી જેમને ભરતી બોર્ડ દ્વારા મેસેજ પણ કરાયા છે.

એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે, ‘કોઇપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાશે નહીં. પરીક્ષા કેન્દ્રો પર પહોંચનાર તમામ વિદ્યાર્થીઓનું બાયોમેટ્રીક વેરીફિકેશન કરાશે અને તેની વિડીયોગ્રાફી પણ કરાશે.​​​​​​​ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે પણ ખાસ તકેદારી રખાઇ છે. એક જ વિસ્તારના વિદ્યાર્થીઓને અલગ- અલગ જિલ્લામાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેથી એક કેન્દ્ર પર જાણીતા ઉમેદવારો ભેગા થઇને ચોરી કરી શકે નહીં. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો ઉપરાંત ફરજ પરના સ્ટાફને પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ક્લાસરૂમનું સીસીટીવીથી મોનિટરીંગ થશે. તમામ કેન્દ્રો પર ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે પીઆઇ કે પીએસઆઇ કક્ષાના અધિકારીને મૂકાશે.’

એલઆરડીની લેખિત પરીક્ષામાં ક્લાસરૂમમાં ઉમેદવારોની હાજરીમાં જ ઓએમઆર શીટના કવરનું સીલ ખોલાશે. આ પદ્ધતિ જીપીએસસીમાં છે પરંતુ તમામ ભરતીમાં સૌપ્રથમ એલઆરડીમાં એવી પણ પદ્ધતિ દાખલ કરાઇ છે કે પેપર પૂરૂ થયા બાદ ઉમેદવારોને ક્લાસમાં બેસાડી રખાશે અને સુપરવાઇઝર દ્વારા તમામ ઓએમઆર શીટ ફરી કવરમાં મૂકી તેમની સામે જ સીલ કરાશે. આ માટે બે ઉમેદવારની સહી પણ લેવામાં આવશે.

એલઆરડીની પરીક્ષા બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન યોજાશે પરંતુ તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું હોવાથી અને ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી તમામ ઉમેદવારોને સવારે 9.30 કલાકે પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાની સૂચના આપવામાં આવી છે. 11 વાગ્યા બાદ ઉમેદવારોને કેન્દ્ર પર પ્રવેશ નહીં મળે.

તમામ કેન્દ્રોના ક્લાસરૂમમાં સીસીટીવીની સુવિધા રખાઇ છે પરંતુ જ્યાં પરીક્ષાનું સાહિત્ય આવે અને જ્યાંથી વહેંચણી થાય તે સ્કૂલના પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા ડીઇઓથી લઇને સુપરવાઇઝર અને પીઆઇ- પીએસઆઇને પણ ભરતી બોર્ડ દ્વારા તાલીમ અપાઇ છે.

April 9, 2022
ambaji_temple-1280x720.jpg
1min602

51 Shaktipeeth Parikrama Mahotsav: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ થતાં જ રાજ્ય અને દેશભરમાંથી હજારો ભક્તજનો પરિવાર સમેત ઉમટી પડ્યા હતા.

આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો હશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સીએમ પટેલે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સાંસ્કૃતિક વિલેજનું ઉદઘાટન, અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટનું લોન્ચિંગ તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવેલી મોબાઈલ એપનું પણ લોન્ચિંગ કર્યું હતું.

સાંસ્કૃતિક વિલેજનું ઉદ્ઘાટન કરી ગબ્બર પર્વત ખાતે લાઈટ અને સાઉન્ડ શૉ ખુલ્લો મુક્યો હતો. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે 13.35 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શૉથી ગબ્બર પર્વત ઝગમગી ઉઠ્યો હતો. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, અંબાજી ગબ્બર ખાતે નવનિર્મિત ભારતનો મોટો ‘લાઇટ એન્ડ સાઉન્ડ શૉ’ અંબાજી તીર્થ ધામનું અનેરું આકર્ષણ બનશે.

ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે આ મહોત્સવ પવિત્ર યાત્રાધામના વિકાસ વધુ વેગવંતુ બનાવશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

March 31, 2022
cia_edu-1280x925.jpg
1min709

કેટલાક અણસમજુ લોકોએ નેશનલ એજ્યુકેશન પોલિસીનું સાવ જ ખોટું અર્થઘટન કરીને એવી વાતો ફેલાવી કે આગામી શૈક્ષણિક વર્ષ 22-23થી ધો.10 બોર્ડની પરીક્ષાઓ નીકળી જશે. વાલીઓએ પણ ધડમાથા વગરની આ વાત મોટા પાયે માની લીધી અને એ પ્રમાણે પોતાના સંતાનોને પણ માહિતી આપીને ખુશ કરી દીધા. પરંતુ, મળતી માહિતી મુજબ આવી કોઇ જ વાત નથી. હવે તો ગુજરાત બોર્ડે પણ સ્પષ્ટતા કરી દીધી છે કે નેશનલ એજ્યુકેશન પોલિસીને કારણે ધો.10ની પરીક્ષા રદ થાય કે થશે તેવી કોઇ જ શક્યતા નથી અને ધો.10ની પરીક્ષાઓ બોર્ડ દ્વારા જ લેવામાં આવશે.

બોર્ડે જણાવ્યું છે કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે. વર્તમાન મૂલ્યાંકલન પ્રણાલીની નુકસાનકારક અસરોના નિર્મૂલન માટે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવા માટે બોર્ડની પરીક્ષાઓની માળખાની પુનઃરચના કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના વ્યક્તિગત હિતોના આધારે ઘણા વિષયમાંથી બોર્ડની પરીક્ષાના વિષયો પસંદ કરી શકશે. બોર્ડની પરીક્ષાઓ સરળ બનાવવામાં આવશે.

ગુજરાત બોર્ડે ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં કરેલી સ્પષ્ટતા આ મુજબ છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHEB- ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા આ અંગે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જે પ્રમાણે, ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે. આ પરીક્ષાઓના માળખાની પુનઃરચના કરવામાં આવશે.

દેશમાં આગામી દિવસોમાં નવી એજ્યુકેશન પોલિસી લાગુ થવાની છે. ત્યારે આ નવી વ્યવસ્થામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા કાઢી નાખવામાં આવશે તે મુદ્દો ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો હતો. ધોરણ 8 અને ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ બોર્ડની પરીક્ષા લેવાશે કે કેમ તે અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. વાલીઓમાં ગેરસમજ ન ઉભી થાય તે માટે જ શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરી દીધી છે.

March 28, 2022
cia_edu-1280x925.jpg
1min859

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજે તા.28મી માર્ચને સોમવાર સવારના સેશનમાં ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે શરૂ થઇ અને તંત્રવાહકોએ રાહતનો શ્વાસ લીધો. બે વર્ષ પછી શક્ય બનેલી ઓફલાઇન પરીક્ષાનો માહોલ અને બે વર્ષ પહેલાનો માહોલ સાવ જ અલગ હતો.

આજે સવારના સેશનમાં બે પરીક્ષા કેન્દ્ર પર જવાનું થયું. મોટા ભાગના પરીક્ષાર્થીઓના મનમાં એક જ સવાલ મૂઝવતો હતો અને એ કોવીડ રિલેટેડ હતો. કોવીડ-19 કેટલી હદે મન પર છવાઇ ગયો છે તેની પ્રતીતી પણ પરીક્ષાર્થીઓના એક જ કોમન સવાલ પરથી થઇ.

લગભગ સાતેક પરીક્ષાર્થીઓએ પૂછ્યું કે પરીક્ષા ખંડમાં પરીક્ષા ચાલતી હોય ત્યારે માસ્ક પહેરી રાખવાનો કે કાઢી નાંખે તો ચાલે, આ સવાલનો જવાબ વિદ્યાર્થીઓ જયારથી ટાઇમટેબલ જાહેર થયું ત્યારથી પૂછી રહ્યા છે પણ કોઇ તંત્રવાહકોએ ક્લીયરકટ જવાબ આપ્યો નહીં.

ન તો જિલ્લા કક્ષાની પરીક્ષા સમિતિએ ના તો ગુજરાત બોર્ડે સ્પષ્ટતા કરી કે પરીક્ષા દરમિયાન માસ્ક પહેરી રાખવું કે કાઢી નાંખે તો ચાલશે.

પરીક્ષા સમય દરમિયાન માસ્ક પહેરવું કે ન પહેરવું એ અંગે સ્પષ્ટતા કરવાથી બચ્યા તંત્રવાહકો

એક તો બે વર્ષ બાદ બોર્ડની ઓફલાઇન પરીક્ષા યોજાઇ રહી છે, ધો.8ની પરીક્ષા આપનાર વિદ્યાર્થી સીધો જ આ વર્ષે ધો.10ની ઓફલાઇન પરીક્ષા આપી રહ્યો છે અને પરીક્ષા ખંડમાં ત્રણ કલાકની પરીક્ષા દરમિયાન માસ્ક પહેરવો કે નહીં તે અંગે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ હોય કેમકે ઘરે પરીક્ષા પ્રેક્ટીસ માસ્ક વગર જ કરી હતી અને હવે જ્યારે માસ્ક પહેરીને ત્રણ કલાક પેપર લખવાનું આવ્યું હોઇ, વિદ્યાર્થીઓને મુશ્કેલી સર્જાય એ માનવાને કારણ છે. પરંતુ, તંત્રવાહકોએ ન તો ભારપૂર્વક કીધું કે માસ્ક પહેરી રાખવું પડશે ન તો તેમાં રાહત આપતી કોઇ જાહેરાત કરી.

વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ પહોંચ્યા પરીક્ષા સ્થળો પર

આજે સવારે ધો.10ની પરીક્ષાઓ શરૂ થવાના દોઢેક કલાક પહેલાથી જ પરીક્ષાર્થીઓનું સ્કુલ બિલ્ડીંગો પર આવવાનું શરૂ થઇ ગયું હતું. પરીક્ષાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ આવતા અમૂક સ્કુલો કે જે મેઇન રોડ પર આવેલી છે ત્યાં ટ્રાફિક, પાર્કિંગ અને ભીડના પ્રશ્નો સર્જાયા હતા. જે સ્કુલોમાં પ્લેગ્રાઉન્ડ છે ત્યાં ટ્રાફિક કે ભીડભાડ કે પાર્કિંગની કોઇ સમસ્યા જોવા મળી ન હતી. વાલીઓને સ્કુલના દરવાજાના બહાર જ અટકાવી દેવાયા હતા. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે સ્કુલ બિલ્ડીંગમાં પ્રવેશી ચૂક્યા બાદ પણ વાલીઓ જે તે સ્કુલોની બહાર ઉભા રહ્યા હોઇ, ટ્રાફિક અને પાર્કિગના પ્રશ્નો સર્જાયા હતા.

પરીક્ષા સંબંધિત કોઇપણ ઘટના કે બાબત અમને જણાવવા માંગતા હોવ તો 98253 44944 પર સંપર્ક કરવો.

March 24, 2022
kovind.jpg
1min426

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ  બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે ગુરુવાર, તા.24મી માર્ સવારે ૧૦ વાગ્યે ભારતીય વાયુસેનાના વિમાનમાં રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન  ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર કિરીટ પરમારે સ્વાગત કર્યું હતું. ત્યાંથી તેઓ ગાંધીનગર ખાતે રાજભવન જવા રવાના થયા છે. તેઓ ૧૧ વાગ્યે વિધાનસભામાં બજેટસત્રની બેઠકમાં વિધાનસભ્યોને સંબોધન કરશે. આજે તા.24મી માર્ચ 2022ની રાત રાજભવનમાં રોકાયા બાદ આવતી કાલે તા.25મી માર્ચે સવારે જામનગર જવા રવાના થશે.

આવતી કાલે રાષ્ટ્રપતિ INS વાલસુરામાં આયોજિત નૌસેનાના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં નૌસેનાના ૧૫૦ જવાનો ગાર્ડ ઑફ ઑનર આપશે. આ પ્રસંગે ચીફ ઑફ નેવલ સ્ટાફ એડમિરલ હરિકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

March 21, 2022
patidar.jpg
1min410

2015માં રાજ્યમાં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે અમદાવાદમાં પોલીસ દ્વારા નોંંધવામાં આવેલા 10 કેસ પરત ખેંચી લેવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં નોંધાયેલા 2 કેસ ઉપરાંત, નરોડા, રામોલ, બાપુનગર, સાબરમતી, નવરંગપુરા, શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 1-1 કેસ અને ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલો એક કેસ પરત ખેંચી લેવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે. 

હાર્દિક પટેલ સામે નોંધાયેલા બે કેસ પણ પરત ખેંચવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિકે એક મહિના પહેલા ચેતવણી આપી હતી કે જો 23મી માર્ચ સુધીમાં સરકારે પાટીદારો સામેના કેસ પરત ના ખેંચ્યા તો આખા રાજ્યમાં આંદોલન શરુ કરવામાં આવશે.

હાર્દિક પટેલ સામે રાજદ્રોહ ઉપરાંત, જાહેરનામાનો ભંગ કરવા સહિતના કેસો નોંધાયેલા છે. વિસનગરમાં MLAની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં નીચલી કોર્ટ તેમને સજા પણ ફટકારી ચૂકી છે, અને હાલ હાઈકોર્ટમાં આ મામલો પેન્ડિંગ છે. અમદાવાદના જે 10 કેસ પરત ખેંચવાની જાહેરાત કરાઈ છે, તેમાં આરોપીઓની સંખ્યા કેટલી છે તેની ચોક્કસ વિગતો બહાર નથી આવી શકી. આ કેસમાંથી સાત અમદાવાદની સેશન્સ કોર્ટમાં જ્યારે ત્રણ મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહ્યા હતા. રામોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક સામે નોંધાયેલા કેસને પાછો ખેંચવાનો હુકમ 15 એપ્રિલના રોજ કરવામાં આવશે.

પાટીદાર આંદોલન દરમિયાન અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં વ્યાપક ભાંગફોડ તેમજ આગજનીની ઘટનાઓ બની હતી. વસ્ત્રાલમાં ટોળું તોફાની બનતાં પોલીસે ફાયરિંગ પણ કર્યું હતું, જેમાં પિતા-પુત્રના મોત નીપજતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઉપરાંત, બાપુનગરમાં પણ થયેલી ધમાલ બાદ શ્વેતાંગ પટેલ નામના એક યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. રાજ્યના અલગ-અલગ હિસ્સામાં બનેલી ઘટનાઓમાં કુલ 14 પાટીદાર યુવકોના મોત થયા હતા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસતા કેન્દ્રિય દળોને પણ બોલાવવા પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે મોટી રેલીનું આયોજન કર્યું હતું, જેમાં લાખો પાટીદારો ઉમટી પડ્યા હતા. હાર્દિક પટેલે તે વખતે GMDC ગ્રાઉન્ડમાં જ ધરણા યોજવાની જાહેરાત કરતાં પોલીસે ટોળાંને વિખેરવા માટે જોરદાર લાઠીચાર્જ કર્યો હતો, અને હાર્દિકની અટકાયત કરી હતી. તે વખતે સમગ્ર રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. રાજ્યમાં શાંતિ બહાલ કરવા માટે ખુદ પીએમ મોદીએ તે વખતે અપીલ કરી હતી. પાટીદાર આંદોલનને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયેલા તત્કાલિન સીએમ આનંદીબેન પટેલે થોડા સમયમાં જ પોતાની ખુરશી પણ ગુમાવવી પડી હતી, અને 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પર્ફોમન્સ સૌથી ખરાબ રહ્યું હતું.