CIA ALERT

ગુજરાત Archives - Page 25 of 158 - CIA Live

May 8, 2022
lpg_cylinder.jpg
1min767

સરકારી ઓઈલ કંપનીઓએ માત્ર છ સપ્તાહમાં બીજી વખત ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર રૂ. ૫૦નો વધારો કર્યો છે, જેને પગલે દેશના મોટાભાગના શહેરોમાં ૧૪.૨ કિલોના સબસિડી વગરના સિલિન્ડરની કિંમત રૂ. ૧,૦૦૦ને પાર થઈ ગઈ છે. ગુજરાતમાં પણ દોઢ મહિનામાં એલપીજી સિલિન્ડરનો ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થતાં કિંમત રૂ. ૧,૦૦૦ને પાર થયો છે. અગાઉ, ૧૯ કિલોના કોમર્શીયલ સિલિન્ડરના ભાવમાં રૂ. ૧૦૨.૫નો વધારો થતા કિંમત રૂ. ૨૩૫૫ને પાર થઈ હતી.

સરકારે ઘરેલુ રાંધણગેસ પરની સબસિડી પરોક્ષ રીતે ખતમ કરતા એલપીજીના ભાવ રૂ. ૧,૦૦૦ને પાર થઈ ગયા છે. એલપીજીના ભાવમાં વધારો  શનિવારથી અમલી કરાયો છે. આ વધારાના પગલે ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં ૧૪.૨ કિલોના ઘરેલુ રાંધણ ગેસનો ભાવ રૂ. ૧,૦૦૦ને પાર થઈ ગયો છે. નવેમ્બર-૨૦૨૦માં કોરોના કાળ વખતે રાંધણગેસ બાટલાનો ભાવ રૂ.૬૦૦ હતો, જે જૂન-૨૦૨૧માં વધીને રૂ.૮૧૪ થયો હતો. પેટ્રોલ, ડીઝલ, એલપીજી સહિતની પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સામાન્ય રીતે દરેક મહિનાની પહેલી અને ૧૫મી તારીખે ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. જોકે, માર્ચ ૨૦૨૨માં ૨૨મી તારીખે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની સાથે ઘરેલુ એલપીજીના ભાવમાં પણ રૂ.૫૦નો વધારો કરાયો હતો. ત્યાર પછી એપ્રિલમાં એલપીજીમાં કોઈ વધારો કરાયો નહોતો. હવે આજે તા.૭ મેની મધ્યરાત્રિથી ૫૦નો વધારો ઝીંકી દેવાયો છે. આમ, માત્ર દોઢ વર્ષના સમયમાં રાંધણગેસ રૂ.૬૦૦થી વધીને રૂ.૧૦૦૫ ઉપર થઈ ગયો છે. એટલે કે આ સમયમાં એલપીજીના ભાવમાં ૨૦૦ ટકાનો ભાવ વધારો થયો છે.

May 8, 2022
gujarat-high-court.jpg
1min715

ઘરના ઘરનું સપનું જોતા લોકો માટે જમીન ખરીદી મામલે ગુજરાત હાઈકોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ખરીદનારે જમીનની કિંમત પર નહીં, માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી ચૂકવવાનો થાય છે. અત્યાર સુધી બિલ્ડરો જમીન ખરીદનાર પાસેથી જીએસટી ઉઘરાવીને સરકારમાં જમા કરતા હતા. પરંતુ આ મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ આ બાબત સ્પષ્ટ થઇ ગઇ છે.

સરકાર દ્વારા જમીનની કિંમત 33 ટકા કેવી રીતે નક્કી કરવામાં આવી તે મુદ્દાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને લઇને હાઇકોર્ટે’ જણાવ્યું હતું કે, જમીનની કિંમત પર નહીં પણ બાંધકામ ખર્ચ પર જ જીએસટી લાગશે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા જીએસટીમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં.”
હાઇકોર્ટે જણાવ્યું છે કે જમીનની કિંમત અલગ દર્શાવવામાં આવી હોય તો માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી વસુલી શકાશે.’ છેલ્લા કેટલાક સમયથી જમીન વેચાણ પર જીએસટી લાગું પડે કે નહીં તેને લઇને ગેરસમજ પ્રવર્તી હતી. જીએસટીના ડરથી બિલ્ડરો પણ જમીન ખરીદનાર વ્યક્તિ પાસેથી 12 ટકા અને 5 ટકાના દરે જીએસટી ઉઘરાવીને સરકારમાં જમાં કરાવતા હતા.’

કેન્દ્ર પોતાની યોજનામાં 33 ટકા જમીન કિંમત બાદ કરીને બાકીની રકમ પર જીએસટી વસૂલશે તેવો પરિપત્ર જાહેર કર્યો હતો. તેને હાઇકોર્ટમાં પડકારાયો હતો.’

May 4, 2022
ITI-Logo.png
1min808

વિદ્યાર્થીએ જુદી જુદી ITIમાં પ્રવેશ માટે નહી જવુ પડે : ૫૬૦થી વધુ સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સંસ્થાઓની ૧.૫૭ લાખ જેટલી બેઠકો હવે ઓનલાઈન જ ફાળવાશે

ધો.૧૦ પછીના આઈટીઆઈ અભ્યાસક્રમો ચલાવતી ગુજરાતની તમામ આઈટીઆઈ (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) માટે આ વર્ષથી હવે ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીની જેમ કોમન ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.હાલ સરકારના રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રવેશ પ્રક્રિયા શરૃ કરી દેવાઈ છે.આ વર્ષથી વિદ્યાર્થીએ હવે જુદી જુદી આઈટીઆઈમાં રૃબરૃ પ્રવેશ માટે જવુ નહી પડે.

ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ વિભાગ હેઠળ આવેલી રાજ્યની ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઈન્સ્ટિયુટ (આઈટીઆઈ)માં  ધો.૧૦ પછીના રાષ્ટ્રીય કક્ષાના (એનસીવીટી) અને રાજ્ય કક્ષાના (જીએસવીટી) ૧૪૦થી વધુ વિવિધ રોજગારલક્ષી કોર્સીસ ચલાવવામા આવે છે.ગત વર્ષે આઈટીઆઈમાં પ્રવેશ માટે માત્ર ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવામા આવી હતી.એટલે કે વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કર્યા બાદ જે આઈટીઆઈમાં પ્રવેશ લેવો હોય ત્યાં રૃબરૃ જવુ પડતુ અને દરેક સંસ્થા માટે અલગ અલગ ૫૦-૫૦ રૃપિયાના ફોર્મ ભરવા પડતા હતા.પરંતુ આ વર્ષે હવે રાજ્ય સરકારના રોજગાર તાલીમ વિભાગ દ્વારા સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન અને સેન્ટ્રલાઈઝડ કરવાનો નિર્ણય લેવાયો છે.વિભાગ દ્વારા હાલ ધો.૧૦ના વિદ્યાર્થીઓ માટે એડમિશન પોર્ટલ શરૃ કરીને રજિસ્ટ્રેશન પણ શરૃ કરી દેવાયુ છે અને પ્રવેશ માહિતી પુસ્તિકા પણ જાહેર કરી દેવાઈ છે.આ અંગે રોજગાર અને તાલીમ વિભાગના અગ્રસચિવ અંજુ શર્માએ જણાવ્યુ કે ઓનલાઈન કોમન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયાથી વિદ્યાર્થીને હવે જુદી જુદી આઈટીઆઈમાં ધક્કા ખાવા નહી પડે.એક જ ઓનલાઈન પ્રવેશ ફોર્મથી તમામ આઈટીઆઈમાં પ્રવેશ માટેની તક મળશે.હાલ રાજ્યમાં સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની ૫૮૫ જેટલી આઈટીઆઈ આવેલી છે.જેની ૧.૫૭ લાખ જેટલી બેઠકો હવે કોમન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયાથી ભરાશે.

અત્યાર સુધી આઈટીઆઈની માંડ એક લાખ જેટલી બેઠકો ભરાતી હતી પરંતુ હવે આ કોમન ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાથી બેઠકો વધુ ભરાશે અને વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતા રહેશે. રજિસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીનો ધો.૧૦ના પરિણામના ડેટા પણ ઓનલાઈન જ ઓટોમેટિક સબમીટ થઈ જશે. આઈટીઆઈ અને કોર્સની પસંદગી માટે મોક રાઉન્ડ પણ કરાશે.ત્યારબાદ વિવિધ ઓનલાઈન એડમિશન રાઉન્ડ થશે.જેમાં વિદ્યાર્થીની પસંદગી અને મેરિટ મુજબ ઓનલાઈન બેઠક ફાળવાશે.

May 3, 2022
cia_edu-1280x925.jpg
1min1492

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો.12 સાયન્સનું પરીણામ ચાલુ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં જાહેર થઇ શકે તેવી શક્યતાઓ ગુજરાત બોર્ડના ઉચ્ચ અધિકારીએ વ્યક્ત કરી છે. ગુજરાત બોર્ડની ધો.12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીઓની ચકાસણીનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે, હવે રિઝલ્ટ શીટ તૈયાર થશે અને એ પછી પરીણામની ડેટા એન્ટ્રીનું કામ હાથ ધરાશે.

ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયા બાદ જૂન ના બીજા સપ્તાહમાં ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામો જાહેર થઇ શકે છે. બોર્ડનું પરિણામ જાહેર કરવા માટે પરીક્ષાઓ પછી એપ્રિલ મહિનાની 11 તારીખથી ધોરણ-10ની અને 13 એપ્રિલથી ધોરણ-12 સાયન્સ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરુ કરવામાં આવી હતી.આ કામગીરીમાં 61 હજાર શિક્ષકો રોકાયા હતા. જેમાં સૌ પ્રથમ ધોરણ-12 સાયન્સની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. એ પછી અને ધોરણ-10ની અને હવે સામાન્ય પ્રવાહની લગભગ 10 ટકા જેટલી કામગીરી બાકી છે. આ કામગીરી પણ ચાલુ અઠવાડિયા દરમિયાન પૂર્ણ થઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે.

ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયા પછી પણ નીટ-જેઇઇ બાકી હોવાથી અડધી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા તો બાકી જ રહેશે

ધો.12 સાયન્સ પછી ઇજનેરીની આઇઆઇટી, એનઆઇટી, ત્રીપલ આઇટી જેવી કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી જેઇઇ મેઇન્સ અને જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા છેક ઓગસ્ટ મહિના સુધી લેવાશે અને તે પછી જ પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. એવી જ રીતે ધો.12 બાયોલોજી ધરાવતા વિદ્યાર્થીઓ માટે નીટ પરીક્ષા છેક 17 જુલાઇએ લેવાશે અને એ પછી ઓગસ્ટમાં તેનું પરીણામ જાહેર થશે ત્યાર પછી જ મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીકમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.

આ અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ જશે

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. કેમકે એસીપીસી દ્વારા મેરીટ બનાવવા માટે ધો.12 સાયન્સ અને ગુજકેટનો સ્કોર જરૂરી છે, આ બન્ને રિઝલ્ટ આવી ચૂક્યા હોઇ, એસીપીસી દ્વારા ઇજનેરી, ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રજિસ્ટ્રેશન શરૂ કરી દેવાશે.

એવી જ રીતે ધો.12 બાયોલોજી ધરાવતા વિદ્યાર્થીઓ માટે નોન નીટ, નીટના સ્કોર વગર જ્યાં પ્રવેશ મળી શકે છે તેવા ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, નર્સિંગ વગેરે કોર્સ ઉપરાંત સ્થાનિક યુનિવર્સિટીઓના બી.એસસી. અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી ધો.12ના પરીણામની સાથે જ શરૂ થઇ જશે.

May 3, 2022
Promotion.jpg
1min739

રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ સોમવારે Dt.2/5/22, તેમના સત્તાવાર હેન્ડલ પરથી એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સરકારે 21 સપ્ટેમ્બર 2019ના રોજના ઠરાવને અમલમાં નહીં મૂકવાનો નિર્ણય લીધો છે જે શાળાઓને ધોરણ 5 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓને નાપાસ કરવાની મંજૂરી આપે છે. જે અનુસાર 2022-23 શૈક્ષણિક વર્ષ માટે લેવામાં આવેલી પરીક્ષાઓ રોગચાળાની પરિસ્થિતિને કારણે ધોરણ 1થી ધોરણ 8 સુધીના કોઈપણ વિદ્યાર્થીઓને નાપાસ કરશે નહીં.

– વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને વર્ષ 2022-23માં લેવાયેલી વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગબઢતી આપવા અંગેના 21 સપ્ટેમ્બર 2019ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ પૂરતો મુલતવી રાખવામાં આવશે.
– આ નિર્ણયને કારણે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી આપવામાં આવશે.
– પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્વિતિય (વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી પરીક્ષાના પરિણામની અસર વિદ્યાર્થીઓની વર્ગબઢતી પર લાગુ કરવાની રહેશે નહીં.

April 25, 2022
heatwave.jpg
1min703

પાછલા સપ્તાહે વાદળછાયા વાતાવરણ અને વરસાદની આગાહીની વચ્ચે થોડા દિવસ ગરમીમાંથી રાહત મળી હતી હવે ફરીથી હવામાન વિભાગે આગામી 8 દિવસ કાળઝાળ ગરમી માટે ગુજરાતીઓ તૈયાર રહે તેવી આગાહી કરી છે. મંગળવારથી ગરમીનો પારો ઉંચકાવા જઈ રહ્યો છે. 26 એપ્રિલ, મંગળવારથી 8 દિવસ રાજ્યભરમાં 44 ડિગ્રીથી વધુ ગરમી નોંધાશે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, 25 એપ્રિલથી 2 મે સુધી રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી મુજબ, પાકિસ્તાનમાં સર્જાનારા એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનથી ગરમી વધશે. 29, 30 એપ્રિલે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જઈ શકે છે. તો રાજ્યના કેટલાક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

દરમિયાનમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં હિટવેવની આગાહી છે ત્યારે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગિર સોમનાથ, કચ્છ, રાજકોટ, અમરેલી, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તથા ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

શનિવારે અમદાવાદ સહિત 4 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી અને 5 શહેરોમાં 41 ડિગ્રી પાર કરી ગયો હતો. શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1.1 ડિગ્રી વધીને 41.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1.5 ડિગ્રી વધીને 26.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં અમદાવાદમાં ક્રમશ ગરમીમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન ખાતાના આંકડાઓ પરથી જણાય છે કે છેલ્લાં 10 વર્ષમાં પહેલીવાર રાજ્યમાં ગરમીનો પારો 15 માર્ચ પહેલાં 40 ડિગ્રીએ પહોંચ્યો હતો. અગાઉ સૌથી વધુ 42.8 ડિગ્રી મહત્તમ તાપમાન 28 માર્ચ-2017ના રોજ નોંધાયું હતું. ગત વર્ષે 29 માર્ચના 41.7 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
જૂનાગઢમાં હિટવેવ તાપમાન 42.7 ડિગ્રી
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ઉનાળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગગનમાંથી અગનવર્ષા શરૂ થઇ  છે. પરિણામે બપોરના સમયે સ્વૈચ્છિક કફર્યુ જેવી સ્થિતિ સર્જાય છે. જૂનાગઢમાં આજે મહતમ તાપમાન 42.7 ડિગ્રી ન્યુનતમ 26.9 ડિગ્રી, ભેજ 30 અને 14 ટકા, પવન 6 કિ.મી. નોંધાયો છે.

April 22, 2022
earthquake-zone-map-of-gujarat-1.jpg
1min538

તળાજાની એક સ્કુલમાં ધોરણ 7ના બે પેપરની ચોરી થતાં આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હોવાનું જાણીને શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભારે આશ્ચર્ય વ્યાપ્યું હતું. પહેલી વખત પ્રાથમિક વિભાગનું પ્રશ્નપત્ર ચોરી થતાં સુરત સહિત ગુજરાતમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. 

છેલ્લા ઘણાં વખતથી ગુજરાતમાં પરીક્ષાના પેપર ફૂટવાની મોસમ ચાલી રહી છે. અત્યાર સુધીમાં પરીક્ષાલક્ષી કે કોલેજની પરીક્ષાના પેપર ફૂટતા હતા પરંતુ પહેલી વાર પ્રાથમિક શિક્ષણના ધોરણ 7ના બે પેપરની ચોરી થઈ છે. જેના કારણે આજે અને આવતીકાલે ધોરણ 7ની જે પરીક્ષા હતી તેને રદ્દ કરવામાં આવી છે. તળાજા નેસવડ શાળામાંથી પ્રશ્નપત્ર ચોરી થયાં હોવાની ફરિયાદ મોડી રાત્રે પોલીસ મથકે કરવામાં આવી હતી. 

ધોરણ7ના બે પ્રશ્ન પત્રની ચોરી થયાની ફરિયાદ લખાવાયાં બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેને પગલે આજે શુક્રવાર અને શનિવારના રોજની ધોરણ 7ની પરીક્ષા રદ્દ કરવાનો પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે. મોડી રાત્રે આ પરિપત્ર જાહેર થતાં સમિતિની સ્કૂલમાં વહેલી સવારે જાણ થઈ હતી. 

હાલ પરીક્ષા ચાલી રહી હોવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા ખંડમાં આવી ગયાં હતા. ત્યારે ખબર પડી હતી કે આજે અને આવતીકાલે ધોરણ 7ની પરીક્ષા લેવામાં આવશે નહીં. વર્ગ ખંડમાં પહોંચ્યા બાદ પરીક્ષા રદ્દ થઈ હોવાની જાણ થતાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જેના પગલે સ્કુલમાં વિદ્યાર્થીઓની હાજરી પુરી અને મધ્યાહ્ન ભોજનનો લાભ આપવામાં આવ્યો હતો. 

સુરતમાં 7 માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે તેમાંથી ગુજરાતી માધ્યમના 25થી 30  હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓની પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવી રહી છે. આજે અને આવતીકાલે ધોરણ 7ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. હવે સોમવારથી રાબેતા મુજબ પરીક્ષા લેવામાં આવશે. પહેલી વાર પ્રાથમિક  વિભાગ નું પ્રશ્નપત્ર ફુટ્યું હોવાથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

April 20, 2022
rajkot_police.jpg
1min616

રાજકોટ ક્રાઇમબ્રાંચના ચાર પોલીસ કર્મચારી દ્વારા સાયલા પાસેથી દારૂ ભરેલા ટ્રક સાથે ચાલકનું અપહરણ કર્યાના મામલે સાયલા પોલીસે ચાર પોલીસમેન તથા બુટલેગરો સહિત 11 ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ એહમદ દ્વારા ક્રાઇમ બ્રાંચની મહિલા ફોજદાર સહિત પાંચ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો.

આ ચર્ચાસ્પદ બનાવ અંગેની વિગત એવી છે કે, રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા અને અગાઉ રૂ.9પ લાખના તોડકાંડ મામલે વિવાદમાં આવેલા દેવા ધરજિયાને મળેલી બાતમીના આધારે ક્રિપાલસિંહ જાડેજા, સુભાષ ઘોઘારી, ઉપેન્દ્રસિંહ ઝાલા સહિતના કાર લઈને દારૂ ભરેલો ટ્રક ઝડપી લેવા માટેથી સાયલા પહોંચ્યા હતા અને સાયલા પાસેથી 394 પેટી દારૂ ભરેલા ટ્રક સાથે ચાલકને ઉપાડી લઈ રાજકોટ આવવા રવાના થયા હતા અને રાજકોટ-મોરબી બાયપાસ પાસેથી પહોંચ્યા હતા ત્યારે સ્ટેટ વિજિલન્સ સેલના સ્ટાફે દારૂ ભરેલી ટ્રકને આંતરી હતી અને ક્રાઇમ બ્રાંચના સ્ટાફે રોફ જમાવવા જતા સ્ટેટ વિજિલન્સનો સ્ટાફ હોવાની જાણ થતા હોશકોશ ઉડી ગયા હતા અને ક્રાઇમ બ્રાંચના એસીપી ડી. વી. બસિયા અને પીઆઇ જે. વી. ધોળાને જાણ કરવામાં આવી હતી અને સાયલા પાસેથી દારૂ ભરેલો ટ્રક ઉઠાવી લીધાની વાત કરતા સમગ્ર મામલો સ્ટેટ વિજિલન્સના વડા નિર્લિપ્ત રાય પાસે પહોંચ્યો હતો અને તમામને સાયલા પોલીસ મથકે લઈ જઈને ગુનો નોંધવાનો આદેશ કરવામાં આવતા પોલીબેડામાં સન્નાટો વ્યાપી ગયો હતો.

સાયલા પોલીસે રાજસ્થાનના બાડમેરના ટ્રકચાલક જગદીશ ઉમેદરામ બેનીવાલની ફરિયાદ પરથી રાજકોટ ક્રાઇમ બ્રાંચના દેવા જાદવ ધરજિયા, સુભાષ સોડા ઘોઘારી, ઉપેન્દ્રસિંહ જયવીરસિંહ ઝાલા અને ક્રિપાલસિંહ નરપતસિંહ જાડેજા, ટ્રકમાલિક રાજસ્થાનના બાબુલાલ જાટ, દારૂનો જથ્થો સપ્લાય કરનાર શૂટર નામનો શખસ, સાયલા પાસે પાણીની બોટલ લઈને ટ્રકમાં બેઠેલો શખસ, રાજકોટનો બુટલેગર સૌરભ ઉર્ફે લાલો ચંદારાણા, છાસિયા ગામનો ભાણો તથા તપાસમાં ખૂલે તે સહિતના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

જો કે આ પ્રકરણમાં સાથે રહેલી રાજકોટ ક્રાઇમ બ્રાંચની મહિલા ફોજદાર ભાવના કડછાને પણ સાયલા પોલીસ મથકે લઈ જવામાં આવેલ બાદમાં તેની ભૂમિકા સંદર્ભે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. સાયલા પોલીસે રાજકોટ ક્રાઇમ બ્રાંચના ચાર પોલીસ કર્મચારીની ધરપકડ કરી હતી તેમજ ચારેય પોલીસ કર્મચારીઓના મોબાઇલ અને કાર કબજે કર્યા હતા. પોલીસે ચારેયના મોબાઇલની કોલડીટેઇલ તેમજ વોટ્સએપ કોલ સહિતની માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર દારૂના કાંડના અંકોડા મેળવવા માટેથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે 394 પેટી દારૂ-ટ્રક અને મોબાઇલ સહિત રૂ.36 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દરમિયાન દારૂ કાંડ મામલે ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ એહમદે ક્રાઇમ બ્રાંચની મહિલા ફોજદાર ભાવના જે.કડછા, ક્રિપાલસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા, દેવા ધરજિયા, સુભાષ ઘોઘારીને સસ્પેન્ડ કરી દેતો હુકમ કર્યો હતો તેમજ મહિલા ફોજદાર ભાવના કડછાની ભૂમિકા સંદર્ભે પણ રાબેતા મુજબ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા જણાવાઈ રહ્યંy છે. સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે ચારેય પોલીસ કર્મચારીના મોબાઇલ કબજે કર્યા હોય તેની કોલ ડિટેઇલ-વોટ્સએપ કોલ સંદર્ભેની માહિતીના આધારે આગામી દીવસોમાં ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ કે કર્મચારીઓને રેલો આવે તેવા પણ નિર્દેશો સાંપડી રહ્યા છે.

April 18, 2022
modi.jpeg
1min405

Date 18/04/2022, સોમવારથી ફરી એકવાર વડા પ્રધાન PM Modi ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. નરેન્દ્ર  મોદી તા. ૧૮, ૧૯ અને ૨૦મી એપ્રિલે ગુજરાત પ્રવાસે છે. સોમવારે સાંજે  અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને સાંજે ૬ વાગ્યે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ ક્ટ્રોલ સેન્ટરની મુલાકાત સાથે તેમના ત્રણ દિવસના કાર્યક્રમનો પ્રારંભ થશે.

નરેન્દ્ર મોદી ગુજરાતમાં અલગ અલગ વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં બનેલા બનાસ ડેરીના પ્લાન્ટનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમમાં પહેલી વખત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહેશે જેમને વડા પ્રધાન સંબોધન કરશે. આ સિવાય દાહોદમાં એક હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ૨૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી ૭૫૦ પથારીની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની સાથે  મોદી નવી મેડિકલ કોલેજના સંકુલ તથા ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા રહેણાંક આવાસનું પણ લોકાર્પણ કરશે. આ સિવાય હોસ્પિટલમાં બનેલા નવા ઓક્સિજન પ્લાન્ટને ખુલ્લો મુકશે. આ ઉપરાંત ગાંધીનગરમાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં વધુ સુદ્રઢ બનાવી શકાય તે હેતુથી આ કંટ્રોલ સેન્ટર તૈયાર કરાયું છે.

મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસને લઈ રાજ્ય સરકારે ખાસ તૈયારીઓ કરી છે. વડા પ્રધાનના રૂટ અને કાર્યક્રમના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ૧૯મીએ દિયોદરમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને વડા પ્રધાન સીધા જામનગર જશે જ્યાં ડબલ્યુએચઓના સહયોગથી બનનાર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના ડિજી સહિત અધિકારીઓ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન પણ હાજર રહેશે. જામનગરથી ગાંધીનગર પરત ફરી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. ૨૦મી એપ્રિલે સવારે મહાત્મા મંદિરમાં પીએમ મોદી હાજરી આપશે. બપોર બાદ દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધન કરશે. દાહોદ અને પંચમહાલના વિવિધ પ્રોજેકટના ખાતમુહૂર્ત કરશે.

April 17, 2022
crpatil.jpg
1min489

માધવપુરના મેળામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તેમના પ્રવચનમાં કૃષ્ણ -સુભદ્રા વિષે શરતચૂકથી વારંવાર ભાઇ-બહેનને બદલે પતિ-પત્ની ગણાવી ભાંગરો વાટયો હતો. આ પ્રવચનના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા તેથી અંતે સી.આર.પાટીલે માફી માગી છે અને દ્વારકા આવીને દ્વારકાધીશના દર્શન કરીને પણ રૂબરૂ પણ માફી માગશે તેમ કબૂલ્યું છે.’

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે માધવપુરના મેળામાં પ્રવચન દરમિયાન વારંવાર એવો ઉલ્લેખ કર્યો હતો કે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ અહીં માધવપુર આવીને લગ્ન કર્યા હતા. તેમના પ્રવચનમાં વારંવાર આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવતા કોઇએ તેનું ધ્યાન દોરીને કૃષ્ણના લગ્ન સુભદ્રા સાથે નહીં પરંતુ રૂક્ષ્મણી સાથે થયાં હતાં તેમ જણાવતા તે સમયે પાટીલે પ્રવચનમાં પોતાની ભૂલ સુધારી હતી પણ કોઇ માફી માંગી ન હતી પરતું ત્યારબાદ પાટીલના આ નિવેદન બદલ ચારે બાજુથી રોષ ભભૂકી ઉઠયો હતો. રાજકીય રીતે પણ તેના ઉગ્ર પ્રત્યાઘાત પડયા હતા અને પોરબંદરમાં યુવક કોંગ્રેસે પાટીલના પોસ્ટરને સુદામા ચોકમાં પીપળાના વૃક્ષમાં ઉંધુ લટકાવ્યું હતું અને તે રીતે પણ વિરોધ થયો હતો.

જિલ્લા કોંગ્રેસના પ્રમુખે તો તેમની માનસિક સ્થિતિ સારી નહીં હોવાનું જણાવીને સારવાર કરાવવાની શીખામણ પણ આપી હતી. તે ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાએ પણ ટ્વીટ કરીને પાટીલને માફી માગવા જણાવ્યું હતું. ગુજરાતના અલગ-અલગ શહેરોના આહિર સમાજના યુવાનો, આગેવાનો વગેરેએ સી.આર.પાટીલને ફોન કરીને માફી માગવા માટે કહ્યું હતું.

દરમિયાનમાં સી.આર.પાટીલે એક વીડિયો શેર કર્યો છે જેમાં પોતે માફી માંગતા હોય તેવું જણાવ્યું છે જેમાં તેઓ બોલે છે કે ‘હું એક કાર્યક્રમમાં શરતચૂકથી ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજી વિષે બોલ્યો હતો. તેથી યુવાનોએ અને આગેવાનોએ મને ફોન કરીને આ બાબતમાં માફી માગવાનું કહ્યું હતું એટલું જ નહીં પરંતુ કોઇએ દ્વારકા આવીને પણ માફી માંગવા જણાવ્યું હતું. વક્તવ્ય દરમિયાન મેં કોઇ ધર્મની ટીકા ટીપ્પણી કરી નથી. જે યુવાનોએ મને ફોન કર્યો તેને પણ હકારાત્મક જવાબ આપ્યો હતો. ફક્ત નામ લેવામાં મારાથી શરતચૂક થઇ હતી. ભૂલ એ ભૂલ છે તેથી કોઇપણ જાતની દલીલ વગર એ ભૂલને સ્વીકારીને હું માફી માંગુ છું. મારા વક્તવ્યને કારણે કોઇની લાગણી દુભાઇ હોય તો તેમની માફી માગુ છું અને જરૂર પડયે હું દ્વારકા પણ આવીશ અને માફી માંગીશ’ એમ ઉમેર્યું હતું.