CIA ALERT

ગુજરાત Archives - Page 21 of 158 - CIA Live

October 8, 2022
rainingujarat-1.jpg
2min482

સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો છે. આજે રાજ્યના ૭૩ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ડાંગ જિલ્લાના સુબિરમાં બે કલાકમાં સૌથી વધુ ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી ચાર દિવસ વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં આજે ડાંગના સુબિરમાં સાંજે ૪ થી ૬ એમ બે કલાકમાં જ બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય આજે જ્યાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં ખેડાના માતર, સુરતના ઉમરપાડા, આણંદના તારાપુર-પેટલાદ, ખેડાના મહેમદાવાદ-કઠલાલ-મહુધા, નર્મદાના ગરૃડેશ્વર, સાબરકાંઠાના પ્રાંતિજ, ગાંધીનગરના માણસા, પંચમહાલના કલોલ, અરવલ્લીના મેઘરજ, નર્મદાના નાંદોદ, વડોદરાના દેસરનો મુખ્યત્વે સમાવેશ થાય છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ ત્રણ દિવસ વરસાદી માહોલ રહી શકે છે. જેમાં વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે જ્યારે  રાજ્યમાં અન્યત્ર હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.

ચોમાસું વિદાય લેવાની ઘડીઓ ગણાઇ રહી હતી ત્યાં જ વરસાદ પડવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. કૃષિ નિષ્ણાતોના મતે કાપણીની અવસ્થામાં હોય તેવા તમામ પાકને આ વરસાદથી ભારે નુકસાનનો સામનો કરવો પડશે. જે પાકને નુકસાન થઇ શકે તેમાં કપાસ, મગફળી, ડાંગર, મકાઇ, બાજરી, તલ, સોયાબિનનો સમાવેશ થાય છે. હજુ વરસાદ પડે અને ખેતરમાં પાણી ભરાયેલા રહે તો પાક કોહવાઇ જાય તેવી પણ ભીતિ સેવાઇ રહી છે. વરસાદથી કપાસ કાળું પડવું-રૃ ખરી પડવું, અન્ય પાકમાં ઉત્પાદન ઘટ-ગુણવત્તા ઘટની સમસ્યા નડે તેવી સંભાવના છે.

દરમિયાન આજે અમદાવાદમાં ૩૨ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અમદાવાદમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને અનેક વિસ્તારમાં સાંજે વરસાદ પડયો હતો.

ગુજરાતમાં શુક્રવારે ક્યાં વધારે વરસાદ?

તાલુકો જિલ્લો  વરસાદ

સુબિર  ડાંગ    ૩.૦૦

માતર  ખેડા    ૨.૨૫

ઉમરપાડા      સુરત   ૨.૦૦

મહેમદાવાદ    ખેડા    ૧.૭૫

કઠલાલ ખેડા    ૧.૫૦

ગરૃડેશ્વર        નર્મદા  ૧.૫૦

પ્રાંતિજ સાબરકાંઠા      ૧.૨૫

માણસા ગાંધીનગર      ૧.૨૫

કલોલ  પંચમહાલ      ૧.૨૫

October 3, 2022
Gujarat-map.jpg
1min518

ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ ગયો છે ત્યારે આગામી 15′ અથવા 16 ઓક્ટોબરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તેવી શક્યતાને પગલે દેશના ગૃહ મંત્રી અમિત શાહ તાત્કાલિક ધોરણે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. ત્યાર બાદ તેમણે ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે ચૂંટણીલક્ષી બેઠકનો શરૂઆત કરી હતી. આ બેઠકમાં પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી સહિત ભાજપના તમામ હોદ્દેદારો સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાત પ્રદેશ ભાજપે 182 બેઠકની ચાર ભાગમાં વહેચી દીધી છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપે 182 બેઠકનો ચાર વિભાગ એટલે કે એ, બી, સી અને ડીમાં વહેંચી દીધી છે. જેમાં એમાં 100 ટકા જીતી શકાય તેવી બેઠકો, બીમાં 75 ટકા જીતી શકાય તેવી બેઠકો, સીમાં 50 ટકા જેટલી જીતી શકાય તેવી બેઠકો તેમજ ડીમાં જેમાં ભાજપ ક્યારે જીતી શક્યું નથી તેવી બેઠકોનું વિશ્લેષણ કરવામાં આવ્યુ હતું.’

ભાજપનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આગામી 13 અને 14 ઓક્ટોબરના રોજ રાજ્યમાં ગરીબકલ્યાણ મેળા રાખવામાં આવ્યા છે. ત્યાર પછી 18થી 22 ઓક્ટોબરના ગુજરાતમાં ડિફેન્સ એક્સ્પો થવાનો છે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે રાખવામાં આવ્યું છે.

કમલમમાં અમિત શાહની અધ્યક્ષતામાં શરૂ થયેલા બેઠકોના દૌરમાં સરકાર અને સંગઠનના સમન્વય, બૂથ સ્તરની કામગીરી પર ભાર મૂકવા, વર્તમાન પરિસ્થિતિની અંદર જે પણ જે આંતરિક વિરોધ છે તેને ખાળવા મુદ્દે નબળી બેઠકો ઉપર કયા સંયોજકો કે વિસ્તારકો મોકલવાની તે અંગે તેમજ’ ટીમ વર્કથી કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

October 2, 2022
tulsitanti.jpeg
1min486

દેશમાં સૌથી પહેલા પવન ઊર્જા માટે ચક્કી લાવી તે શરૂ કરનાર સુઝલોન એનર્જી લિમિટેડના ચેરમેન તુલસી તંતીનું શનિવારે સાંજે અવસાન થયું છે. 

આજથી 27 વર્ષ પહેલાં પોતાના ટેકસ્ટાઈલ પ્રોજેક્ટમાં વીજળીનો ખર્ચ સ્થિર થઈ જાય તેના માટે તેમણે પવન ચક્કી શરૂ કરી હતી. 

તેમણે સ્થાપેલી સુઝલોન એનર્જી દેશની સૌથી મોટી વિન્ડ એનર્જી કંપની છે. આ 27 વર્ષમાં કંપનીએ દેશ અને દુનિયાના 17 દેશોમાં 19 ગીગવોટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ઊભા કર્યા છે.

શનિવારે તુલસી ભાઈ અમદાવાદ આવ્યા હતા અને અહીં તેમણે કંપનીના રૂ. 1,200 કરોડના રાઇટ્સ ઇસ્યુ માટે રોડ શો કર્યા હતા તેમજ પત્રકારો સાથે વાતચીત કરી હતી. 

કેન્દ્ર સરકારના રીન્યુએબ્લ એનર્જી ટાસ્ક ફોર્સના તેઓ અધ્યક્ષ હતા અને સરકારને આ ડિશમાં કામગીરી કરવા માટે સતત માર્ગદર્શન આપતા હતા.

મૂળ રાજકોટના તુલસીભાઇએ વ્યવસાય માટે અમદાવાદ પસંદ કર્યું હતું અને છેલ્લે 2004માં પુના સ્થાયી થયા હતા. તેમના પુત્ર અને પુત્રી અમેરિકામાં સ્થાયી થયા છે.

September 30, 2022
mbbs_student_mysy.jpg
1min1042

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં રૂ.બે લાખ અને કન્યા કેળવણી યોજનામાં રૂ.ચાર લાખ મળીને કુલ રૂ.૬ લાખની સહાય મળી

રાજ્યના તેજસ્વી, જરૂરિયાતમંદ અને યોગ્યતાપ્રાપ્ત વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને મુખ્યમંત્રા કન્યા કેળવણી નિધિ યોજના તેમની શૈક્ષણિક કારર્કિદી અને ભાવિ વિકાસના સંદર્ભમાં ખૂબ જ નિર્ણાયક અને ઉપયોગી સાબિત થઈ રહી છે, ત્યારે સુરતની તેજસ્વી વિદ્યાર્થિની બરીરા ખત્રીને પોતાના સ્વપ્ન સમાન MBBSના ઉચ્ચ અભ્યાસ માટે MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધી યોજના સાર્થક નિવડી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા લાભાર્થી બરીરાએ જણાવ્યું કે, MYSY અંતર્ગત રૂ. બે લાખની સહાય ઉપરાંત મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત વધારાની રૂ. ચાર લાખની સહાય મળી છે. અને એમ.બી.બી.એસમાં અભ્યાસ દરમ્યાન બંન્ને યોજનાના લાભ થતી કુલ રૂ.૨૭ લાખની શિષ્યવૃતિની સહાય સરકારશ્રી તરફથી મળશે.

વધુમાં બરીરાએ કહ્યું કે, તબીબી અભ્યાસમાં પહેલેથી જ રસ હોવાથી મહેનત કરી ધો.૧૨ સાયન્સમાં ૯૨ ટકા પ્રાપ્ત કર્યા હતા. ડોક્ટર બની સમાજની સેવા કરવાનું મારૂ અને પરિવારનું સપનું હતું, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી ડોક્ટર બનીશ કે નહી તેના  પર પ્રશ્નાર્થ હતો. ત્યારે જ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા-સ્વાવલંબન યોજનામાં મલ્ટી ઉપયોગી સહાયની જાણકારી મળી એટલે હિંમત આવી અને સુરત મ્યુનિસિપલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (સ્મીમેર)માં MBBSમાં એડમિશન લીધું. આ યોજના થકી વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં મને કુલ રૂ.૧૨ લાખની શિષ્યવૃતિ સહાય મળી છે.

 હાલ હું એમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરૂ છું. મારી તબીબી ક્ષેત્રની કારકિર્દી પાછળ રાજ્ય સરકારની યોજનાઓ મદદરૂપ બની છે. MYSY યોજના થકી મારૂ ડોક્ટર બનવાનું સપનું હવે હું પુરૂ કરી શકીશ. આ યોજના ન હોત તો મારા માટે ડોક્ટર બનવાનો વિચાર કરવો પણ પોસાય તેમ ન હતો. મારો પરિવાર સરકારનું ઋણ ક્યારેય ચૂકવી નહી શકે. હવે ડોક્ટર બન્યા પછી સરકારની સાથે રહીને સમાજના જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર-સેવા કરીશ એમ બરીરાએ ઉમેર્યું હતું.

રાજ્ય અને કેન્દ્ર સરકારની આ પ્રકારની કલ્યાણકારી યોજનાએ રાજ્યના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કર્યું છે એવો સ્પષ્ટ મત બરીરાએ વ્યક્ત કર્યો હતો.

September 30, 2022
vande-bharat.jpeg
2min499

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેમણે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવાની સાથે ગુજરાતને વધુ એક હાઈસ્પિડ ટ્રેનની ભેટ આપી છે.

ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાને ગાંધીનગર-મુંબઈ રૂટ માટેની વંદે ભારત ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને આ સુવિધાઓ મળશે

– GSM અથવા GPRS

– ટચ-ફ્રી સ્લાઈડિંગ ડોર

– સીસીટીવી કેમેરા

– પેસેન્જર ઈન્ફોર્મેશન સેન્ટર

– વેક્યૂમ બાયોટોયલેટ્સ

– સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ

– 180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર

– વાઈફાઈની સુવિધા

– દિવ્યાંગો માટે વિશેષ ટોયલેટ્સ

KAVACH ટેક્નિકથી સજ્જ પ્રથમ વંદે ભારત ટ્રેન

ગુજરાતમાં શરૂ થયેલી આ વંદે ભારત ટ્રેનમાં પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઈઝન અવોઈડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાશે. આ ટેક્નિકને ભારતમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.

આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઈન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઈડ કેમેરા, તમામ કોચમાં ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઈલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો વાપરવામાં આવ્યા છે.

વડાપ્રધાન બપોરે 11:30 કલાકે કાલુપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલના પહેલા ફેઝને લીલી ઝંડી આપશે. સાથે જ તેઓ કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોમાં સવારી કરશે. બપોરે 12:00 કલાકે તેઓ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેર સભાને સંબોધશે અને સાંજે 5:45 કલાકે અંબાજી પહોંચશે.

અંબાજીમાં તેઓ 7,200 કરોડથી પણ વધુના કામોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. બાદમાં સાંજે 7:00 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરીને સાંજે 7:45 કલાકે ગબ્બર ઉપર મહાઆરતીમાં હાજરી આપશે.

September 26, 2022
amba.png
1min611

આસ્થા-સાધના-તપ-જપ-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો આજે 26 સપ્ટેમ્બર 2022થી પ્રારંભ થયો છે. આજથી નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લિન્ન થશે જ્યારે ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. કોરોનાને પગલે છેલ્લા બે વર્ષથી રાસ-ગરબાનું ભવ્ય આયોજન થઇ શક્યું નહોતું. પરંતુ હવે આ વર્ષે કોઇ  નિયંત્રણ વિના રાસ-ગરબાને મંજૂરી આપવામાં આવતા ખેલૈયાઓનો ઉત્સાહ જબરદસ્ત છે.

નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર દૈવશક્તિના વિજય માટે નવદુર્ગા, અંબિકા, જગદંબા, ભગવતી ચંડીકા જેવા અનેક નામોથી પૂજીએ છે તે દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર.નવરાત્રિના પ્રારંભ સાથે આવતીકાલથી શક્તિપીઠ અંબાજી, ચોટીલા, હરસિદ્ધિ માતા, અમદાવાદમાં ભદ્રકાળી સહિતના માતાજીનાં મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટશે. જ્યોતિષીઓના મતે ઘટ સ્થાપન, અખંડ દીપ સ્થાપન, જ્વારારોપણ માટે આજે સવારે ૬ઃ૩૦ થી ૮ઃ૦૧ દરમિયાન અમૃત, સવારે ૯ઃ૩૧થી ૧૧ઃ૦૧ શુભ જ્યારે બપોરે ૧૨ઃ૦૭થી ૧૨ઃ૫૫ અભિજીત મુહૂર્તમાં પૂજન અર્ચન હર્ષોલ્લાસભેર થયા હતા..

નવરાત્રિના પ્રારંભે માતાજીના પૂજનમાં અનોખું મહત્વ ધરાવતું મહાન અને શુભ ફળ દેનારું ‘અંબિકા વીસા યંત્ર’ નું શુભ મુહૂર્તમાં સ્થાપન કરી નવરાત્રિ વખતે પૂજન કરવામાં આવે તો માં અંબિકાની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. જેના ફળસ્વરૃપે રોગ, શત્રુઓનો નાશ થાય છે. જેની સાથે ધન, ધાન્ય સંતતી, સમૃદ્ધિ, આયુષ્ય, આરોગ્યની વૃદ્ધિ થાય છે. નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરોમાં પણ વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે. અમદાવાદ પ્રાચિન ભદ્રકાળી મંદિરમાં નવરાત્રિના નવેય દિવસ દરમિયયાન માતાજીને અલગ શણગાર થશે. શક્તિપીઠ અંબાજીમાં આવતીકાલે સવારે ૯ થી ૧૦ઃ૩૦ દરમિયાન ઘટ સ્થાપન કરાશે. આ વખતે મહાઅષ્ટમી ૩ ઓક્ટોબર સોમવારના છે.

આ ઉપરાંત ચાચર ચોકમાં દરરોજ સાંજે ગરબા પણ યોજાશે. આમ, આજથી નવ દિવસ માતાજીની આરાધનાનો માહોલ જ જોવા મળશે. નવરાત્રિમાં અનેક સ્થાનેએ બેઠા ગરબાના પણ આયોજન કરવામાં આવે છે. નવરાત્રિના નવેય નોરતા દરમિયાન અનેક ભક્તો ઉપવાસ પણ કરતા હોય છે.

September 24, 2022
talati.png
1min609

નર્મદા જિલ્લા (Narmada District)ની નરખડી ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલને સુરત એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે. તેમણે ખેતરમાં વીજ કનેક્શન માટે જમીન માલિક પાસે આ લાંચ માગી હતી. લાંચના રૂપિયા લેવા માટે તેમણે એક નવી જ મોડસ ઓપરન્ડી અપનાવી હતી. મહિલા તલાટીએ એસીબીથી બચવા માટે લાંચના રૂપિયા આંગડિયા મારફતે ગાંધીનગર (Gandhinagar)માં અન્ય એક વ્યક્તિને ત્યાં મંગાવી હતી.

i

નરખડી ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલે ખેતરમાં વીજ મીટર કનેક્શન અને ઘર નંબર મેળવવા માટે જમીન માલિક પાસે એક લાખ રૂપિયા માગ્યા હતા. તલાટીએ આ રૂપિયા હાથોહાથ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને આંગડિયા મારફતે ગાંધીનગરમાં રહેતા મહેશ આહજોલિયા નામની વ્યક્તિને મોકલી આપવા જણાવ્યું હતું. જોકે, જમીન માલિકે સુરત એસીબીનો સંપર્ક કરી તલાટી લાંચ માગતા હોવા અંગે ફરિયાદ કરી હતી. તે પછી એસીબીએ છટકું ગોઠવી તલાટી અને તેમના સાથીદાર મહેશને ઝડપી લીધા હતા.

જેમની પાસે લાંચ માગવામાં આવી હતી તેમના ખેતરમાં બિયારણ, ખાતર વગેરે સામાન તેમજ મજૂરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવવામાં આવી છે. જેમાં વીજ મીટરની જરૂરિયાત હોવાથી તેમણે નરખડી ગ્રામ પંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજૂરી મેળવવા અરજી કરી હતી. પરંતુ, અરજી પર કાર્યવાહી આગળ વધતી ન હતી. ફરિયાદ મુજબ, ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલ દ્વારા વીજ કનેક્શનની કાર્યવાહી આગળ વધારવા માટે રૂપિયા એક લાખની લાંચ માગી હતી.

તલાટીએ લાંચની આ રકમ આંગડિયા મારફતે ગાંધીનગરમાં મહેશ આહજોલિયા નામની વ્યક્તિને પહોંચાડવા કહ્યું હતું. જમીન માલિકે કરેલી ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને તેમાં આંગડિયા મારફતે લાંચની રકમ સ્વીકારનારા મહેશ આહજોલિયાને રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં લાંચ લેવા મામલે તલાટી નીતા પટેલની પણ એસીબીએ ધરપકડ કરી હતી.

September 24, 2022
weather-forecast.jpg
1min543

હવામાન વિભાગે ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત ૧૭ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરીને યલો એલર્ટ જારી કર્યો છે.

હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગણા, ઓડિશા, બિહાર, પશ્વિમ બંગાળ સહિત ૧૭ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી હતી. કેટલાક રાજ્યોમાં યેલ્લો એલર્ટ પણ જારી કર્યો છે. 

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા દેશના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર અને મધ્યપ્રદેશમાં સર્વાધિક વરસાદ થાય એવી શક્યતા છે. 

September 17, 2022
govt-guj.jpeg
1min496

ગુજરાત સરકારે 16/9/22, શુક્રવારના રોજ આંદોલન પર ઉતરેલા સરકારી કર્મચારીઓની કેટલીક માગણીઓ સ્વીકારી હતી અને રાજ્યના 9 લાખ સરકારી કર્મચારીઓને લાભ થાય તેવા નિર્ણયો જાહેર કર્યા હતા. આમ સરકાર અને આંદોલનકારી સરકારી કર્મચારીઓ વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ આજે 17/9/22 શનિવારે સવારે ફરી એક વખત સરકારી કર્મચારીઓના સરકાર સાથેના સમાધાનમાં ભંગાણ જોવા મળ્યું છે. માસ સીએલ પર ઉતરેલા હજારો કર્મચારીઓએ જૂની પેન્શન યોજના મામલે ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે રેલી યોજી છે. 

September 15, 2022
vipul-chaudhari.jpeg
1min546

– વિપુલ ચૌધરી યુવાન વયથી જ રાજકારણમાં સક્રિય છે અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી રહી ચુક્યા છે

અમદાવાદ, તા. 15 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરી, મહેસાણાના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. બુધવારે મોડી રાતે વિપુલ ચૌધરીની ગાંધીનગર ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. આ કારણે અર્બુદા સેનામાં ભારે રોષ વ્યાપ્યો છે. 

વિપુલ ચૌધરીની સાથે જ તેમના પર્સનલ CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ બંનેની ધરપકડ કરવામાં આવશે. 

વિપુલ ચૌધરીની મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના (સીઆર નંબર 5/2022)ના સંદર્ભમાં અટકાયત કરવામાં આવી છે. તેમની કલમો 406, 409, 420, 465, 467 હેઠળ અને IPCના 468, 471, 120(B) તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની 12, 13(1), 13(2) કલમો અંતર્ગત અટકાયત કરવામાં આવી છે. આ અટકાયતને વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન હતા તે સમયે થયેલી નાણાકીય ગેરરીતિઓ સાથે સંબંધ છે. ખાનગી ગાડીમાં અને સાદા કપડામાં પહોંચેલી પોલીસે ગાંધીનગરથી વિપુલ ચૌધરીની અટકાયત કરી હતી.

320 કરોડની ઉચાપાતના કેસમાં અટકાયત

જાણવા મળ્યા મુજબ દૂધસાગર ડેરીમાં જે ઉચાપાત થઈ તેની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસમાં રૂપિયા 320 કરોડ જેટલી મોટી રકમની ઉચાપાત થઈ હોવાનું ખુલ્યું હતું. આ અંગેનો રિપોર્ટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગૃહવિભાગની સાથે પોલીસ ભવનને પણ મોકલવામાં આવ્યો હતો.

દૂધસાગર ડેરીમાં આશરે 320 કરોડના બોગસ વ્યવહારો મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CA સામે ફરિયાદ થઈ હતી. આક્ષેપ હતો કે, વિપુલ ચૌધરીએ 17 બોગસ કંપનીઓ બનાવીને 320 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. નાણાંકીય ગેરરીતિનો મામલે હોવાથી તેમની તથા તેમના CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે.

ત્યાર બાદ વિપુલ ચૌધરી અને તેમના CA સામે પગલાં ભરીને આખરે તેમની અટકાયત કરવામાં આવી છે. અટકાયત બાદ વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષ પરીખને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા છે અને તેમની ધરપકડ કરીને ઉચાપાત અંગે વધુ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.