છેલ્લા એક વર્ષમાં ૧ કિલો ગેસમાં ૩૦ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો થઇ જતા રિક્ષા ચાલકો સહિત તમામ સીએનજી ગેસ વાહન ધરાવતા લોકો પર આર્થિક બોજ વધી ગયો છે. ગેસ સસ્તો પડે છે તેવી માનસિકતાથી સીએનજી વાહનો ખરીદનાર લોકો હાલ પસ્તાઇ રહ્યા છે.
સામાન્ય અને મધ્યવર્ગીય પરિવારો કે જેઓ પેટ્રોલની તુલનામાં સીએનજી ગેસ સસ્તો પડતો હોવાથી સીએનજી વાહન ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ધંધા-રોજગાર માટે પણ સીએનજી રિક્ષા સહિતના વાહનો વસાવી રહ્યા છે. એક વર્ષ પહેલા જે વાહનચાલકો ૫૬.૩૦ રૂપિયે કિલો ગેસ ભરાવતા હતા તે હાલમાં ૮૭.૩૮ રૂપિયે કિલો ગેસ ભરાવવા મજબૂર બન્યા છે !
ભારતમાં કેન્દ્રનું સત્તાબિંદુ હાંસલ કરવા માટે ગુજરાતનો રસ્તો જ અપનાવવો પડે છે તેવી માન્યતાને પગલે હવે ગુજરાતના રાજકરણમાં પગ જમાવવા માંગતી આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી પૂર્વે એક મોટો દાવ ખેલવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પાંચ મહિના પૂર્વે જ આપ અમુક બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.
ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.
ગુજરાત લઠ્ઠાકાંડમાં મોતનો બિનસત્તાવાર આંકડો 75થી વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હવે આ મામલે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યુ છે. ગૃહ વિભાગે SP કક્ષાના 2 અધિકારીઓની બદલી કરી છે તથા PSI સહિત 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બોટાદ SP કરન રાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસપી વીરેંદ્રસિંહ યાદવની બદલી કરવામાં આવી છે. બોટાદના DYSP એસ.કે.ત્રિવેદીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ધોળકાના DYSP એન.વી.પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બરવાળાના PSI ભગીરથ સિંહ વાળા અને કરાયારાણપુરના PSI શૈલેન્દ્ર સિંહ રાણાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ધોળકા તથા બોટાદમાં DYSP એન.વી.પટેલ (ધોળકા) તથા DYSP એસ.કે.ત્રિવેદી (બોટાદ)ની ફરજ દરમિયાન આ વિસ્તારમાં ઝેરી કામિકલ યુક્ત દારૂનું મોટા પાયે બોટાદના બરવાળા, રાણપુર તાલુકો તથા અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વેચાણ થતાં ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીવાના કારણે આશરે 42 (સત્તાવાર આંકડો) (બિનસત્તાવાર આંક 75) થી વધુ વ્યક્તિઓના મોત થયા છે. ગુજરાતમાં દારૂબંધીની નીતિ અમલમાં છે તેમ છતાં તેમના કાર્યવિસ્તારમાં મોટા પાયે ઝેરી કેમિકલ યુક્ત દારૂની હેરાફેરી રોકવામાં તેમજ તેનું વેચાણ અને સેવનને રોકવામાં નિષ્ફળ રહ્યા છે જે તેમની ફરજમાં ગંભીર નિષ્કાળજી તેમજ નિષ્ઠાનો અભાવ દર્શાવે છે તેથી બંને DYSP એન.વી.પટેલ (ધોળકા) તથા એસ.કે.ત્રિવેદી (બોટાદ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ સસ્પેન્ડ કરાયેલ DYSP એસ.કે.ત્રિવેદી અને એન.વી.પટેલ ફરજ મોકૂફી દરમિયાન ગુજરાત રાજ્ય સેવા નિયમો 1971ના નિયમ-15ની જોગવાઈ પ્રમાણે તેઓ કોઈ સ્થળે નોકરી સ્વીકારી શકશે નહીં કે ધંધો રોજગાર કરી શકશે નહીં. અને જો તેઓ ધંધો કે, રોજગાર કરતા પકડાશે તો તેઓની આવી વર્તણૂક નિયમો પ્રમાણે ગેરવર્તણૂક ગણાશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તથા તેઓ નિર્વાહભથ્થા અંગે દાવો કરી શકશે નહીં.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અંતે સ્કૂલો શરૃ થયાના દોઢ મહિને ૨૦૨૨-૨૩નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરી દેવાયુ છે. જે મુજબ ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા ૧૪મી માર્ચથી શરૃ થશે.જ્યારે ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાઓ ૧૦ એપ્રિલથી શરૃ થશે.પ્રથમ સત્ર ૧૯ ઓક્ટોબર સુધીનું રહેશે અને ૧૦ નવે.થી બીજુ સત્ર શરૃ થશે. જ્યારે ૧લી મેથી ઉનાળુ વેકેશન શરૃ થશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર મુજબ આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ નિયત સમય કરતા એક સપ્તાહ મોડી છે. ૧૪મી માર્ચથી બોર્ડ પરીક્ષાઓ શરૃ થશે. બોર્ડની સૂચના મુજબ ૨૦૨૨-૨૩ માટે ધો.૯થી૧૨ના અબ્યાસક્રમમાં કોઈ ઘટાડો નહીં થાય. ૯થી૧૨ની પ્રથમ પરીક્ષા માટે જુનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે અને ધો.૧૦ તથા ૧૨ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.ધો.૯ અને ૧૧ની દ્રિતિય પરીક્ષા માટે જુનથી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે. જેમાં જુનથી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી ૩૦ ટકા અભ્યાસક્રમ અને ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના અભ્યાસક્રમમાંથી ૭૦ ટકા અભ્યાસક્રમ રહેશે.
ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા તેમજ ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.આ તમામ પરીક્ષાઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી અમલમાં આવેલ પરીક્ષા પદ્ધતિ જ યથાવત રહેશે. કોઈ ફેરફાર થઈ શકશે નહીં. બોર્ડના એકેડેમિક કેલેન્ડ મુજબ પ્રથમ સત્રમાં જુનના ૧૬ ,જુલાઈના ૨૬, ઓગસ્ટના ૨૧, સપ્ટે.ના ૨૬ , ઓક્ટો.ના ૧૫ દિવસ સહિત કુલ ૧૦૪ દિવસ શિક્ષણકાર્યના રહેશે અને બીજા સત્રમાં નવે.માં ૧૮,ડિસે.માં ૨૭, જાન્યુ.આમાં ૨૪, ફેબુ્ર.માં ૨૩, માર્ચમાં ૨૩ અને એપ્રિલમાં ૨૧ દિવસ સહિત કુલ ૧૩૭ દિવસ શિક્ષણ કાર્યના રહેશે. બંને સત્રના મળી કુલ ૨૪૧ દિવસ શિક્ષણના રહેશે.૭ સ્થાનિક રજાઓ રહેશે. પ્રથમ સત્ર ૧૩ જુનથી ૧૯ ઓક્ટો સુધી અને દિવાળી વેકેશન ૨૦ ઓક્ટો.થી ૯ નવે. સુધીનું રહેશે. દ્રિતિય સત્ર ૧૦ નવે.થી ૩૦ એપ્રિલ સુધીનું રહેશે. ઉનાળુ વેકેશન ૧લી મેથી ૪ જુન સુધીનું રહેશે.
તા.25 જુલાઇ 2022ને સોમવારે સાંજે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ધીરે ધીરે કરીને મોતનો આંકડો બુધવારે સવાર સુધીમાં 41 પર પહોંચી ગયો છે. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 41 લોકોનાં મોત થયા છે. જ્યારે 117 લોકો સારવાર હેઠળ છે. જેમાં 80 લોકો ભાવનગરમાં સારવાર હેઠળ છે અને 37 લોકો અમદાવાદમાં સારવાર હેઠળ છે. ગોડાઉનના એક કર્મચારીથી લઈને બુટલેગર સુધી પહોંચેલા કેમિકલે ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. પોલીસે અત્યાર સુધીમા આ કેસમાં કુલ 14 આરોપીની ધરપકડ કરી છે. બોટાદમાં ઝેરી દારૂકાંડથીગુજરાત હચમચી ઉઠ્યું છે. અને ઝેરી દારૂકાંડની ઘટના બાદ રાજ્યભરમાં પોલીસ દોડતી થઈ ગઈ છે.
ઝેરી દારૂકાંડ કહો કે, કેમિકલ કાંડ પણ અત્યાર સુધીમાં 41 લોકો મોતને ભેટ્યા છે. જો વિગતે વાત કરીએ તો રોજિદ ગામમાં 10 ,દેવગાણા ગામમાં 5,ચંદરવા, અણિયાળી, આકરુ અને રાણપરી ગામે 3-3 લોકોના મોત થયા છે. બીજીતરફ ઊંચડી, કુદડા વહીયા અને પોલારપુરમાં 2-2 લોકોનાં મોત થયા છે.જ્યારે સુંદરિયાણા, ભીમનાથ, ખરડ અને વેજળકામાં 1-1નું મોત થયું છે. જ્યારે 117 લોકો હાલ સારવાર હેઠળ છે.
આ ઘટનાના મૂળમાં ઉતરતા પોલીસે શોધી કાઢ્યું છે કે અમદાવાદના અસલાલી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારની આમોસ કેમિકલ ફેક્ટરીનો જયેશ મુખ્ય સૂત્રધાર છે. જયેશ AMOSમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહ્યો હતો પરંતુ તેણે આ ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ ચોરી કરીને બહાર વેચ્યું હતુ. જયેશ ઉર્ફે રાજુએ આ 600 લિટર ચોરી કરેલ મિથાઈલ આલ્કોહોલ સંજયને વેચ્યું હતુ. સંજયે આ કેમિકલ વેચવા માટે તેના પિતરાઈ ભાઈ પિન્ટુ ઉર્ફે ફાંટોનો સંપર્ક કર્યો હતો જે મૂળ બોટાદનો રહેવાસી છે.
જયેશે 600માંથી 200 લિટર મિથાઈલ કેમિકલ સંજયને વેચ્યું હતુ અને વધુ 200 લિટર અન્ય એક વ્યકતિને વેચ્યું હતુ જ્યારે 200 લિટર હજી તેની પાસે જ હતુ. પોલીસે અત્યાર સુધી કુલ 460 લિટર કેમિકલ કબ્જે કર્યું હતુ.
બરવાળાના તાલુકાના 10 અને ધંધુકા તાલુકાના નવ લોકોના શંકાસ્પદ મરણઃ ૨૫થી વધુ લોકોને સારવાર માટે દાખલ કરાયાઃ મૃત્યુઆંક વધવાની સંભાવના
અમદાવાદ
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને બોટાદ જિલ્લાના બરવાળામાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે સવારથી ઝેરી દારૂ પીવાના કારણે 26 જેટલા લોકોના મરણ થતા ખળભળાટ મચી ગયો હતો. જ્યારે ૨૫ થી વધુ લોકોને સારવાર માટે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. બરવાળાના નભોઇમાં આવેલા દેશી દારૂના અડ્ડા પરથી દારૂ પીનારાઓને અસર થતા તબિયત લથડી હતી. કુલ મૃત્યુ પામનારાઓમાં 17 મરણ બરવાળાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અને ધંધુકાના ગ્રામ્ય વિસ્તારના નવ લોકોનો સમાવેશ થાય છે. બીજી તરફ આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મેેડીકલની ટીમને વિવિધ વિસ્તારોમાં મોકલી આપવામાં આવી છે. આ સાથે ગૃહવિભાગે તાકીદની બેઠક બોલાવીને સમગ્ર મામલે તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે.બોટાદ જિલ્લાના બરવાળાના રોજીદ, નભોઇ અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને ધંધુકાના આકરૂ, ઉચડી અને મોસડી તેમજ આસપાસના વિસ્તારમાં એકાએક રવિવારે રાતના સમયે ૨૫ થી વધુ લોકોની તબિયત લથડવા લાવી હતી અને ઉલ્ટી કરીને બેભાન થવા લાગ્યા હતા. જેથી તાત્કાલિક તેમના ધંધુકા અને બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સોમવાર બપોર સુધીમાં કુલ 26 લોકોના મરણ થયા હતા. જેમાં બોટાદના બરવાળાના રોજીદ ગામના એક અને અન્ય ેબે વ્યક્તિના મરણ થયા છે. અમદાવાદના ધંધુકાના આકરૂ, ઉંચડી અને અણિયારી અને અન્ય ગામમાં કુલ 17 લોકોના મરણ થયા હતા. જેમાં એક વ્યક્તિનું મરણ કાર્ડીઆક એટેકના કારણે થયુ હોવાનું તબીબી તપાસમાં ખુલ્યું હતુ. જ્યારે બરવાાળામાં અન્ય નવ ના મરણ ઝેરી પ્રવાહી પીવાના કારણે થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. જેમાં રોજીદના 6,ચંદરવાના ૨ અને દેવગનાના ૨ લોકોનો સમાવેશ થાય છે. આ અંગે અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંગ યાદવે જણાવ્યું હતું કે પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં મૃતકો અને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયેલી વ્યક્તિઓ બરવાળા તાલુકાના નભોઇમાં દેશી દારૂના અડ્ડાથી દારૂ પીને આવ્યા હતા. જેમાં તેમને દારૂ મેળવવામા ંઆવેલા કોઇ ઝેરી કેમીકલની અસર થઇ હોવાની શક્યતા છે. હાલ ધંધુકામાં બે વ્યક્તિના મરણ થયા તેમના પોસ્ટમોર્ટમ કરાવીને રિપોર્ટને આધારે મૃત્યુ સાચુ કારણ જાણી શકાશે. તો ધંધુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ ચાર લોકોને વધુ સારવાર માટે અમદાવાદ અસારવા સિવિલ લઇ જવાયા છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ દારૂમાં વપરાયેલા કેમીકલ અંગે જાણી શકાશે.
તો બીજી તરફ૨૫ જેટલા લોકોને બોટાદની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાંથી મોટાભાગના લોકોની તબિયત લથડતા વધુ સારવાર માટે ભાવનગર મોકલાયા હતા. આ સાથે ભાવનગર રેંજ આઇજી અશોક યાદવ, બોટાદ એસપી તેમજ અન્ય અધિકારીઓ રોજીદ ગામ ખાતે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી છે.
બરવાળા તાલુકાના નભોઇ ગામમાં ખુબ મોટા પ્રમાણમાં દેશી દારૂ તૈયાર કરવામાં આવે છે. જે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના બુટલેગરોને મોકલવામાં આવે છે. આ દારૂ તૈયાર કરવાની અનેક ભઠ્ઠીઓ આવેલી ચે. જેથી કોણે ઝેરી દારૂ બનાવ્યો હતો તે અંગે ચોક્કસ વિગતો હજુ સુધી મળી શકી નથી. જો કે હાલ સમગ્ર વિસ્તારના બુટલેદરો ભુગર્ભમાં ઉતરી જતા પોલીસ લઠ્ઠાકાંંડની કડી મેળવવા માટે વિવિધ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે.
અરવિંદ કેજરીવાલે સુરત ખાતેથી મોટી જાહેરાત કરી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત પ્રવાસે છે. સુરત પહોંચેલા અરવિંદ કેજરીવાલે ગુજરાત માટે મોટી જાહેરાત કરી છે. અરવિંદ કરેજરીવાલે વીજળીના ભાવ ઘટાડવાની ગેરંટી આપી છે. કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાતમાં સરકાર બન્યાના 3 મહિનામાં ફ્રી વીજળી આપીશું. દરેક પરિવારને 300 યુનિટ ફ્રી વીજળી મળશે. તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં લોકોને ખોટા ખોટા બિલો આપવામાં આવે છે.
કેજરીવાલે કહ્યું કે, અમારી સરકાર બનતા જ 31 મહિના પહેલાના તમામ ડોમેસ્ટિક બિલ માફ કરાશે અને એવી વ્યવસ્થા કરીશું કે ખોટા બિલ નહીં આવે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, લોકો માટે હાલમાં મોંઘવારી સૌથી મોટી સમસ્યા છે. તેમણે આગળ કહ્યું કે, અમે જે બોલીએ છીએ તે કરીને બતાવીએ છીએ. અમે ખોટા વચનો નથી આપતા. કેજરીવાલે દાવો કર્યો કે, આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબની જેમ ભારે બહુમતી સાથે ગુજરાતમાં સરકાર બનાવશે.
સુરતમાં આવેલા કેજરીવાલે મોટા ઉપાડે ગુજરાતની જનતાને 300 યુનિટ સુધી વીજળી વિના મુલ્યે આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આ પત્રકાર પરિષદમાં વીજળીના ભાવ અને દારુ અંગે કેજરીવાલના ડબલ સ્ટાન્ડર્ડ બહાર આવ્યા હતા.
આ ઉપરાંત તમને પ્રશ્ન પૂછ્યો હતો કે સરકારની આવક વધારવા માટે દિલ્હીમાં જે રીતે શરાબના ઠેકાના કોન્ટ્રાક્ટ અપાયા છે તો ગુજરાતમાં કેવી રીતે આવક વધારાશે ? દિલ્હીના શરાબ ઠેકા અંગે તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો. પરંતુ ગુજરાતમાં હાલ જે દારું બંધી છે તેમાં ગેરકાયદેસર દારુ આવે છે અને તેને કડકાઈથી બંધ કરાવીને ગુજરાતમાં દારૂબંધી નો અમલ કડકાઈથી કરાવીશું તેમ કહ્યું હતું.
હોટલમાં સુરતના અલગ-અલગ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી છે. કેજરીવાલે સુરતના કેટલાક ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી હતી.
આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે ગુજરાતની જનતા ભાજપ થી ડરી રહી છે ભાજપે તેમને ડરાવી રાખી છે અને જનતાને વિકલ્પ મળતો નથી તેથી ભાજપ જનતાને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. પરંતુ આ ચૂંટણીમાં જનતાને આપ નો વિકલ્પ મળ્યો છે તેથી જનતા ગુજરાતમાં પરિવતન માગે છે.
આમ બે રાજ્યમાં વીજળી અને દારૂના પ્રશ્ન અંગે કેજરીવાલે જુદા જુદા જવાબ આપી તેમના ડબલ સ્ટાન્ડર્ડ જોવા મળ્યા હતા.
દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. અહીં તેઓ સરકાર બનાવવા માટે કમરતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે હવે આજે કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આપના હોદ્દેદારો તથી સંગઠનો સાથે બેઠક યોજશે.
અરવિંદ કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સતત ગુજરાત ઉપર નજર રાખીને બેઠા છે. કોંગ્રેસની ગુજરાતમાં નબળી સ્થિતિને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પોતાના તરફેણમાં પરિણામ લાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે.
સુરતમાં અરવિંદ કેજરીવાલના પ્રવાસને લઈને આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ સુરત મહાનગર પાલિકા દ્વારા કાઢી લેવામાં આવ્યા હતા. સુરતના અઠવાગેટ સહિત અનેક વિસ્તારમાં મંજૂરી વગર લગાડવામાં આવેલા બેનર અને હોર્ડિંગસ કાઢી લેવામાં આવ્યા હતા.
બાંધકામ અંગે ગુજરાત સરકારે વખતો વખત બહાર પાડેલા નિયમોથી ગુજરાતભરના તબીબોમાં નારાજગી ફેલાયેલી છે. બાંધકામના કેટલાક નીતિ નિયમોને કારણે હોસ્પિટલથી લઇને આઇસીયુ સુધીની કામગીરી તબીબો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગુજરાત સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે આગામી તા.22મી જુલાઇ 2022ને શુક્રવારના રોજ સવારે 8 કલાકથી તા.23મી જુલાઇને શનિવારે સવારે 8 વાગ્યા સુધી સુરત શહેર સહિત સમગ્ર ગુજરાતભરના તબીબો 24 કલાકની સંપૂર્ણ હડતાળ પાડશે.
ઇન્ડીયન મેડિકલ એસોસીએશનની સુરત બ્રાન્ચની સત્તાવાર અખબારી યાદીમાં કહેવાયું છે કે ગુજરાતના તમામ પ્રાઇવેટ ડોક્ટર્સ આ હડતાળમાં જોડાશે. ગુજરાતમાં પહેલી વખત પ્રાઇવેટ હોસ્પિટલોમાં તા.22મીએ તબીબોની હડતાળના દિવસે ઓપીડી, આઉટ ડોર પેશન્ટ માટે તબીબી સેવા સુવિધા તેમજ ઓપરેશન થિયેટરની કામગીરી પણ બંધ રહેશે.
ઇમરજન્સીમાં તબીબી સેવા સુવિધા જળવાય રહે તે માટે સરકારી તેમજ ટ્રસ્ટની હોસ્પિટલોમાં તબીબી સારવાર ઉપલબ્ધ બની શકશે.
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની ટીમ દ્વારા ગાંધીનગરના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના રિજનલ ઓફિસર દિગ્વિજય મિશ્રા અને ચીફ જનરલ મેનેજર (ટેકનિકલ)ની 10 લાખ રૂપિયા લાંચ લેવાના કેસમાં Dated 15/7/22 ધરપકડ કરવામાં આવી છે. CBIના ઓફિસરે જણાવ્યું હતું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પ્રોજેક્ટ માટે મિશ્રા દ્વારા GHV Indiaના પ્રતિનિધિ પાસેથી લાંચ લેવામાં આવી હતી. આ ઉપરાંત સીબીઆઈની ટીમને દિગ્વિજય મિશ્રાના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન 20 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા.
CBIએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, 109 કિમી લાંબાા અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પ્રોજેક્ટ માટે કંપનીની ભલામણ કરી હોવાની ફરિયાદ મળ્યા બાદ દિગ્વિજય મિશ્રા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત CBIની ટીમ દ્વારા લાંચ કેસમાં સંડોવાયેલાં GHV India Private લિમિટેડના પ્રતિનિધિ TP સિંહની પણ મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે.
CBI દ્વારા પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, દિગ્વિજય મિશ્રા, GHV Indiaના MD જાહિદ વિજાપુરા, તેમના પ્રતિનિધિ સિંહ, શિવપાલસિંહ ચૌધરી, અમદાવાદના ન્યૂ ઈન્ડિયા કોન્ટ્રાક્ટર્સ એન્ડ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડના MD, તેમના પ્રતિનિધિ અંકુર મલ્હોત્રા, RB સિંહ, ગાંધીનગરમાં MKC ઈન્ફ્રાસ્ટ્રક્ચર જનરલ મેનેજર ઉપરાંત અજાણ્યા સરકારી અધિકારીઓ અને પ્રાઈવેટ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
CBIએ વધુમાં જણાવ્યું હતું કે, એવો આરોપ હતો કે, મિશ્રા અને અન્યો તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતાં NHAIના પ્રોજેક્ટ્સમાં કામ કરી રહેલી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે ગેરકાયદે પ્રવૃતિઓમાં જોડાયેલાં હતા, જેમ કે આ કંપનીઓને પૂર્ણતાનું સર્ટિફિકેટ આપવામાં, બિલની પ્રક્રિયામાં વગેરે જેવી કામગીરીમાં તરફેણ કરવામાં આવતી હતી.
લાંચની લીધી હોવાની પુષ્ટિ થતાં જ CBIની ટીમે મિશ્રાના ઘરે રેડ પાડી હતી અને મિશ્રાની ધરપકડ કરી હતી, જેમની પર આરોપ છે કે, તેઓએ કંપનીના પ્રતિનિધિ TP સિંહ પાસેથી લાંચ લીધી હતી. સિંહને પણ કસ્ટડી હેઠળ લઈ લેવામાં આવ્યા છે. મિશ્રાની ધરપકડ કર્યાં બાદ સીબીઆઈ દ્વારા ગાંધીનગર, અમદાવાદ, પુને, દિલ્હી અને ચંદીગઢ સહિત 14 સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સીબીઆઈ ઓફિસરે જણાવ્યું કે, ગાંધીનગર સ્થિત મિશ્રાના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન સીબીઆઈની ટીમે લાંચના 10 લાખ રૂપિયા સહિત 20.50 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યાં હતા.
સીબીઆઈ ઓફિસરે જણાવ્યું કે, કંપનીના ચાલુ પ્રોજેક્ટ જેવા કે, પેકેજ-1 (અમદાવાદ-ધોલેરા 0 કિમી-22 કિમી), પેકેજ-2 (અમદાવાદ-ધોલેરા 22 કિમી-48.52 કિમી) અને RE વોલ (reinforced earth wallનો ઉપયોગ માટીને બાજુથી ટકાવી રાખવી, જેથી તેને કેરેજવેની બંને બાજુએ વિવિધ સ્તરે જાળવી શકાય), પેકેજ 3 કન્સ્ટ્રક્શન (અમદાવાદ-ધોલેરા 48.52 કિમી-71.06 કિમી) માટે EOT (Extension of Time) (વધારેનો સમય આપવો) જેવી ભલામણો માટે કંપનીના ઓફિસર અને પ્રતિનિધિઓ મિશ્રાના સંપર્કમાં હતા.
CBIના સૂત્રોએ જણાવ્યું હતું કે, GHVના પ્રતિનિધિઓ લાંચ આપવા માટે ગાંધીનગર સ્થિત મિશ્રાના ઘરે ગયા હતા. આ ઉપરાંત સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, મિશ્રાને લાંચની રકમ ચૂકવવા માટે GHVના પ્રતિનિધિઓ દ્વારા અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ પાસેથી પૈસા એકત્ર કરવામાં આવી રહ્યા હતા.
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે તેમજ 15 જુલાઇએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં વાંસદા, કપરાડા અને ધરમપુરમાં મેઘતાંડવની સ્થિતિ છે. બીજી તરફ, આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ધરમપુરમાં બે કલાકમાં 3 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના કપરાડામાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે. આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી આંકડા પ્રમાણે, રાજ્યનાં કુલ 164 તાલુકમાં વરસાદ વરસ્યો છે. આ સાથે વલસાડ કપરાડામાં 11 ઇંચ, ડાંગના સુબીરમાં 9.44 ઇંચ, પારડીમાં 9 ઇંચ, ધરમપુરમાં 8.52 ઇંચ, નવસારીમાં ખેરગામમાં 7.56, વડોદરાના ડભોઇમાં 8 ઇંચ, વાસંદામાં 6.88, વલસાડમાં વાપી 6.88 ઇંચ, નર્મદાના નાંદોદમાં 7 ઇંચ, ડાંગના આહવામાં 6.08 ઇંચ, ડાંગ વઘઇમાં 5.56 ઇંચ, કરજણમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.
સમગ્ર ભારતમાં સૌથી બિઝી હાઇવે ગણાતા અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે પર ચીખલીથી વલસાડ વચ્ચે અનેક ઠેકાણે પાણી ભરાઇ જવાને કારણે આજે તા.14મી જુલાઇએ સવારે નવસારીના કલેક્ટરે જાહેરાત કરવી પડી હતી કે ટ્રાફિકની અવરજવર જોખમી હોવાથી અમદાવાદ મુંબઇ વચ્ચેનો નેશનલ હાઇવે બંધ કરવો પડ્યો છે. નવસારી કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે હાઇવે અચોક્કસ મુદત માટે બંધ છે, આથી લોકોએ આ માર્ગ પરનો પ્રવાસ ટાળવો જોઇએ.
દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાવાને કારણે નવસારી જિલ્લા કલેકટરે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈ વે અવરજવર માટે બંધ કર્યો છે. નવસારીમાં 12,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી છે. 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વોલમાર્ક લો પ્રેશર હોવાથી રાજ્યમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે.
નવસારી કલેક્ટરે તા.14મી જુલાઇએ કરેલું ટ્વીટ
આજરોજ સતત વરસાદના કારણે ચીખલી-વલસાડ હાઈવે (અમદાવાદ-મુંબઇ હાઇવે) પર પાણી ભરાયેલ હોવાથી રસ્તો અવરજવર માટે બંધ થયેલ છે જેથી લોકોને પોતાનો પ્રવાસ ટાળવા કલેક્ટર નવસારીની નમ્ર અપીલ છે…@CMOGuj@pkumarias@InfoGujarat
— Collector & DM Navsari (@CollectorNav) July 14, 2022
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.