CIA ALERT

ગુજરાત Archives - Page 118 of 158 - CIA Live

June 27, 2019
dron.jpg
1min11880

શહેરમાં અષાઢી બીજને દિવસે એટલે કે, આગામી તા. 4થી જુલાઈએ નીકળનારી 142મી રથયાત્રાને હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે શહેર પોલીસ પણ રથયાત્રાના માહોલમાં આવી પ્રિ-એકશન પ્લાન પોલીસે ઘડી કાઢ્યો હતો.

રથયાત્રાના રૂટ પર પોલીસે કોમ્બિંગ, પેટ્રોલિંગની સાથે સંવેદનશીલ વિસ્તાર ગણાતા એવા દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમજ શહેરના રૂટપર ફલેગ માર્ચ યોજી આખરી ઓપ આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અગાઉથી જ પોલીસ એકશનમાં આવી જતી હોય છે. જૂના પોલીસ અધિકારીઓ કે જેમણે રથયાત્રાનો બંદોબસ્ત કર્યો હોય તેવા અધિકારીઓનું લિસ્ટ પણ તૈયાર કરી દેવાતું હોય છે. અને સાથે થોડા દિવસો પહેલા જ કોમ્બિંગ, પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે.

પોલીસે દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ અને કોમ્બિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે આ વખતે પોલીસ સુરક્ષા માટે સૌથી વધુ ડ્રોનનો ઉપયોગ કરશે. શહેરના દરિયાપુર, શાહપુર અને દિલ્લી દરવાજા તે સંવેદનશીલ વિસ્તારમાંના એક ગણાય છે. જેને લઇને પહેલા તો આ વિસ્તારમાં 100થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ કેમેરા હાઇ રિઝોલ્યુશનવાળા મુવેબલ સીસીટીવી કેમેરા છે. આ તમામ કેમેરાનું મોનિટરીંગ ત્રણ જગ્યાએ થશે.

June 27, 2019
sandesara.jpg
1min8300

નાઈજિરિયામાં ઓઈલરિગ, જહાજ, જેટ વિમાન અને લંડનમાં ફ્લેટ સહિતની 9778 કરોડ રૂપિયા મૂલ્યની સંપત્તિ પર ઈડી દ્વારા ગુજરાતની કંપની સ્ટર્લિંગ બાયોટેક સામેના મનિલોન્ડરિંગ કેસના સંબંધમાં ટાંચ મૂકવામાં આવી હતી.

ઈડી દ્વારા આ પ્રકારની સંપત્તિ પર ટાંચ મૂકવાનો સૌથી મોટો ઓર્ડર છે, જેનું કુલ મૂલ્ય 9778 કરોડ રૂપિયા છે. મોટા ભાગની સંપત્તિ વિદેશમાં છે. ઈડીએ એક નિવેદનમાં કહ્યું કે નાઈજિરિયામાં ચાર ઓઈલરિગ, ઓએમએમ 143 નામનું ઓઈલફિલ્ડ, પનામામાં નોંધાયેલા ચાર જહાજ તુલજાભવાની, વરિન્ડા, ભાવ્યા અને બ્રહ્માણિટેક, અમેરિકામાં નોંધાયેલું ગલ્ફસ્ટ્રીમ જેટ અને લંડનમાં એક ફ્લેટ વિગેરે પર ટાંચ મૂકવામાં આવી છે. પ્રિવેન્શન ઓફ મનિલોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ઈડીએ ટાંચ મૂકવા અંગેનો પ્રોવિઝનલ ઓર્ડર બહાર પાડ્યો હતો. કંપનીની વિદેશમાંની સંપત્તિ સહિત 9778 કરોડ રૂપિયા મૂલ્યની સંપત્તિ ટાંચમાં મૂકવામાં આવી છે. આંધ્ર બૅંક સહિત બૅંકોના એક જૂથ પાસેથી કંપનીએ 5000 કરોડ રૂપિયાથી વધુની લોન મેળવી હતી અને તે લોન એનપીએ (નોન પર્ફોર્મિંગ એસેટ) બની હતી એટલે કે ચૂકવવામાં આવી ન હતી. આ રકમ 8100 કરોડ રૂપિયા જેટલી થઈ છે. સીબીઆઈની એફઆઈઆર અને ચાર્જશીટના આધાર પર ઈડીએ કથિત બૅંક ફ્રોડ કૌભાંડના સંબંધમાં ક્રિમિનલ કેસ કર્યો હતો. વડોદરાના સાંડેસરા ભાઈઓ કંપનીના પ્રમોટર છે.

સાંડેસરાઓ સામે કેટલાક હાઈપ્રોફાઈલ રાજકારણીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવા અંગે પણ ઈડી અને સીબીઆઈએ તપાસ હાથ ધરી છે. સાંડેસરાભાઈઓએ નાઈજિરિયામાં આશ્રય લીધો છે અને ભારત તેમના પ્રત્યર્પણ માટે પ્રયત્ન કરી રહ્યું છે.

June 25, 2019
mobile_driving.jpg
1min5040

ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હવેથી ચેતી જજો. હાલ મહેસાણામાં એક એવી ઘટના સામે આવી હતી જેને સાંભળીને નવાઇ લાગશે. મહેસાણામાં બે વ્યક્તિઓ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોવાથી તેમના લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા હતા. આ સાથે 30 લોકોને લાયસન્સ રદ કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી. આ ઘટના બાદ એવું કહેવામાં આવ્યું છે કે જે લોકોને નોટિસ પાઠવવામાં આવી છે તે લોકો યોગ્ય ખુલાસો ન કરે તો કાયમી ધોરણે તેમનું લાયસન્સ રદ કરાશે.

driving and mobile phone માટે છબી પરિણામ

મહેસાણા આરટીઓ દ્વારા કાયદાનો ભંગ કરનાર સામે લાલ આંખ કરવામાં આવી છે. અકસ્માતમાં 14 લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે અન્ય 4 લોકોને વારંવાર મેમો મળતા તેમને પણ નોટિસ પાઠવવામાં આવી હતી. હવેથી ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનાર સામે તંત્રનો લોખંડી પ્રહાર સહન કરવા તૈયાર રહેવું પડશે. જેના ભાગરૂપે મહેસાણામાં બે લોકો ચાલુ વાહને ફોન પર વાત કરતા તેમના લાયસન્સ કાયમી ધોરણે રદ કરાયા હતા અને સાથે એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ યોગ્ય ખુલાસો કરે તો જ નવા લાયસન્સ બનશે.

મહેસાણા આરટીઓએ 30 લોકોને લાયસન્સ રદ કેમ ન કરવું તે મુજબની નોટિસ અપાઈ હતી. નોટિસમાં યોગ્ય ખુલાસો ન કરે તો લાઇસન્સ આજીવન રદ કરી દેવા પણ તંત્રએ તૈયારીઓ બતાવી હતી.

June 25, 2019
rain3-1.jpg
1min6780

સમગ્ર ગુજરાત સમેત પશ્ચિમ ભારતમાં છેલ્લા 24 કલાકમાં મૂશળધાર વરસાદે વાતાવરણને આલ્હાદ્ક બનાવી દીધું છે. ખાસ કરીને સુરતમાં સુરતીઓ તા.25મી જુનને સવારથી જ મૂશળધાર વરસાદનો આનંદ માણી રહ્યા છે.

મંગળવારે સવારે સુરતીઓ જાણે હિલ સ્ટેશનનો માહોલ અનુભવી રહ્યા હતા. શોખીન સુરતીઓએ પોતાની પરંપરા જાળવતા પહેલા વરસાદે ભજીયા પાર્ટીનો આનંદ લીધો હતો.

ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસાનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે રવિવારની રાતથી શરૂ થયેલા વરસાદે સોમવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાતમાં પણ સરેરાશ અડધા ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. મધરાત્રે અમદાવાદમાં પવન સાથે વરસાદ થતા અનેક ઠેકાણે ઝાડ તૂટી પડ્યા હતા. જ્યારે સોમવારે સવારથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ કર્યા હતા.

રાજકોટ જિલ્લાના આટકોટમાં 1 કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે અમરેલી શહેર અને જિલ્લામાં સોમવારની સાંજથી ધોધમાર વરસાદ શરૂ થતા નદી-નાળામાં ભરાયાં હતા. આ ઉપરાંત કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગોંડલ પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી સેતુબંધ ડેમ ઓવરફ્લો થયો હતો. એક યુવાન ચંપલ લેવા સેતુબંધ ડેમમાં પડ્યો હતો. ગોંડલ નગરપાલિકાના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા યુવાનની શોધખોળ ચાલુ કરાઇ હતી.

દરમિયાન સોમવારે સવારે પૂરાં થતા છેલ્લાં ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં 24 કલાકમાં સૌથી વધુ 75 મી.મી. એટલે કે 3 ઇંચ રસાદ વરસ્યો છે.

રાજ્યના 19 જિલ્લાઓના 66 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનના રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર મળીને કુલ 9 જિલ્લાઓ અને કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બિલકુલ વરસાદ વરસ્યો નથી. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં અને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સામાન્ય મીછાંટણા થયા હોવાનું જાણવા મળ્યું છે.

June 25, 2019
vidaadhar.jpg
1min13070

બૅંક ખાતા ખોલવા અને મોબાઈ ફોન કનેકશન મેળવવા ઓળખના પુરાવા તરીકે ‘આધાર’નો ઉપયોગ કરવાનો વિકલ્પ આપતું વિધેયક સોમવારે લોકસભામાં દાખલ કરવામાં આવ્યું હતું. સૂચિત વિધેયક પછી આધાર એકટ 2016માં બદલાવ કરવામાં આવશે અને માર્ચમાં બહાર પાડવામાં આવેલો વટહુકમનું સ્થાન લેશે. ધારાધોરણોનો ભંગ કરવા બદલ કડક પગલાની સૂચિત વિધેયકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સૂચિત વિધેયકનો આરએસપીના સાંસદ એન. કે. પ્રેમચંદ્રને વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આધાર પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. પ્રેમચંદ્રને દાવો કર્યો હતો કે ખાનગી કંપનીઓ ગુપ્ત ડૅટા મેળવી લેશે અને ગુપ્તતાનો હક સહિતના મૂળભૂત અધિકારોનો ભંગ થશે.

કેન્દ્રીય આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે આરએસપીના સાંસદની રજૂઆતના પ્રતિભાવમાં કહ્યું હતું કે, આધાર કાયદો રાષ્ટ્રહિતમાં છે અને વ્યક્તિની ગુપ્તતાનો ભંગ કરતો નથી. તેમણે કહ્યું કે, 60 કરોડથી વધુ લોકોએ મોબાઈલ સિમ કાર્ડ આધાર દ્વારા મેળવ્યા છે અને હવે તે ફરજિયાત પણ નથી. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર સુચિત આધાર વિધેયક છે.

વાસ્તવિક આધાર નંબર છુપાવવો હોય તો વૈકલ્પિક ‘વર્ચ્યુઅલ આઇડેન્ટિ નંબર’ પણ ઉપયોગ થઈ શકે તેવી જોગવાઈ સૂચિત વિધેયકમાં કરવામાં આવી છે.

આધાર કાયદાની જોગવાઈઓનો ભંગ કરવા બદલ 1 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે તેવી જોગવાઈ સૂચિત વિધેયકમાં કરવામાં આવી છે.

કોઈ વ્યક્તિની ઓળખનો બિનઅધિકૃત ઉપયોગ કરનારાઓને ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે છે. સેન્ટ્રલ આઇડેન્ટિટીઝ ડૅટા રિપોઝિટરીમાં રહેલો ડૅટા બિનઅધિકૃત રીતે મેળવવાનો પ્રયત્ન કરનારાને અને ડૅટામાં છેડછાડ કરનારાઓને હાલમાં ત્રણ વર્ષની સજાની રાખવામાં આવી છે તે વધારીને દસ વર્ષ કરવાની જોગવાઈ સૂચિત ખરડામાં રાખવામાં આવી છે.

June 24, 2019
gseb.png
1min7420

ધો-10માં 249 વિદ્યાર્થીઓના માર્ક સુધર્યા

જયેશ બ્રહ્મભટ્ટ

બોર્ડના પરીણામો સામે અસંતોષ વધી રહ્યો છે, એવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી કે બોર્ડના પરીણામો ભરોસાપાત્ર રહ્યા નથી. આ બાબતની પ્રતીતિ કરાવતી અનેક ઘટનાઓ બની છે, જેમકે બોર્ડની ઉત્તરવહીઓ તપાસતા પરીક્ષકોએ લગભગ 45 હજારથી વધુ ભૂલો કરી હતી, પરીક્ષકોની આ ભૂલો વિદ્યાર્થીઓની કારકિર્દી અને કેટલાક કિસ્સામાં તો જીવન-મરણના પ્રશ્નો ઉભા કરી દેતી હોય છે. એવા પણ રિપોર્ટ મળ્યા છે કે બોર્ડની ઉત્તરવહીઓના રિચેકિંગમાં કુલ 106 વિદ્યાર્થીઓનું ઓવરઓલ પરીણામ પાસ જાહેર થયું છે, જેમને અગાઉના પરીણામમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા. આ 106 વિદ્યાર્થીઓની જીંદગીનું એક મહામૂલું વર્ષ બગડતા બચી ગયું છે. આવી બાબતો સૂચક છે કે હવે બોર્ડના પરીણામો પર વિદ્યાર્થીઓ અને વાલીઓ શંકા કરે છે એ સેંકડો કેસોમાં વ્યાજબી અને સાચી પણ ઠરે છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે માર્ચ 2019ની પરીક્ષાના પરીણામો જાહેર કરવા સાથે એવી પણ જાહેરાત કરી હતી કે જે વિદ્યાર્થીઓને પોતાના પરીણામો પ્રત્યે અસંતોષ હોય તેઓ તેમની સપ્લીમેન્ટરીનું રિચેકિંગ કરાવી શકે છે.

ગુજરાત બોર્ડની ગુણચકાસણી માટે અરજીઓની ચકાસણી બાદ ધો-10માં અગાઉ નાપાસ જાહેર કરાયેલા 49 વિદ્યાર્થી અને ધો-12માં અગાઉ નાપાસ જાહેર થયેલા 57 વિદ્યાર્થીને પાસ જાહેર કરાયા છે.

બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ગુણ ચકાસણીના પરિણામમાં ધો-10માં 12205 જેટલા વિદ્યાર્થીઓના પરિણામમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી. જ્યારે 49 વિદ્યાર્થી એવા છે કે જેઓ અગાઉ નાપાસ જાહેર કરાયા હતા પરંતુ ગુણ ચકાસણી બાદ તેઓ પાસ જાહેર થયા છે. ઉપરાંત 8 વિદ્યાર્થી એવા છે કે તેઓ બે કરતા વધુ વિષયમાં નાપાસ હતા પરંતુ ગુણ ચકાસણી બાદ એક અથવા બે વિષયમાં નાપાસ થયા હોઈ તેઓ જૂલાઈમાં લેવાનારી પૂરક પરીક્ષા આપી શકશે. જ્યારે 249 વિદ્યાર્થી એવા છે કે જેમના ગુણ સુધર્યા છે પરંતુ તેનાથી પરિણામ પર કોઈ અસર થતી નથી.

જ્યારે 3 વિદ્યાર્થી અગાઉ બે વિષયમાં નાપાસ હતા તેના બદલે પરિણામ બાદ એક વિષયમાં નાપાસ થયા છે. જ્યારે 8 વિદ્યાર્થીઓ અમુક વિષયમાં પાસ થયા છે પરંતુ તેઓ પૂરક પરીક્ષા માટે લાયક બન્યા નથી.  ઉપરાંત ધો-12 સામાન્ય પ્રવાહમાં 57 વિદ્યાર્થી નાપાસ હતા પરંતુ ગુણ ચકાસણી બાદ પાસ જાહેર કરાયા છે. ધો-12 સામાન્ય પ્રવાહમાં 148 વિદ્યાર્થીના પરિણામમાં સુધારો થયો છે પરંતુ 57 પાસ થયા છે, જ્યારે બાકીના વિદ્યાર્થીઓના માર્ક સુધર્યા છે પરંતુ તેનાથી પરિણામ પર કોઈ અસર થતી નથી.

 

June 23, 2019
rain.jpeg
1min4580

બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર :

satellite

તોફાની વાયુ વાવાઝોડાના કારણે વરસાદ ખેંચાઈ જવાની ભીતી હતી પણ દેશના દક્ષિણ અને મધ્યભાગમાં સારો વરસાદ શરુ થઈ ગયો છે. બે દિવસ અગાઉ મધ્યપ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં સારો વરસાદ નોંધાયો છે. હવે ચોમાસું ધીમે-ધીમે ગુજરાત તરફ પહોંચી રહ્યું છે. આવતીકાલથી ગુજરાતમાં પણ ઠેરઠેર વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રસરથી વરસાદી વાદળો ગુજરાત તરફ આવી રહ્યા છે.

હવામાન વિભાગે માછીમારોને પણ સાવચેત રહેવા સૂચન કર્યું છે. ગુજરાતના દરિયા કિનારે આગામી 5 દિવસ સુધી કોઈ પ્રકારનો ખતરો ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે પણ આ સાથે દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રમાં સાવધાની સાખવાની સલાહ આપવામાં આવી છે. આ દરિયામાં 25 અને 26 તારીખ દરમિયાન ખતરાની નિશાની ગણાવાઈ છે, અને આ સમય દરમિયાન દર્શાવેલા વિસ્તારમાં માછીમારોને ના જવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.

June 21, 2019
paramedical.jpg
1min12740

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતમાં હાલ નીટ 2019 થકી જે કોર્સમાં પ્રવેશ મળે છે એ મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી એમ પાંચ અભ્યાસક્રમોમાં રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

હવે નીટ વગર ફક્ત ધો.12 પીસીબીના આધારે જે અભ્યાસક્રમોમાં પ્રવેશ મળે છે એવા ફિઝિયોથેરાપી સમેતના 8 પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ કાર્યવાહી અલગથી હાથ ધરાશે અને તે અંગે ઓનલાઇન રજિસ્ટ્રેશન માટેની પીન નંબર તા.24મી જુનથી એક્સીસ બેંકની નિર્ધારિત શાખાઓ પરથી મળવાના શરૂ થશે.

આ આઠ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા તા.24મી જુન 2019થી શરૂ થશે.

  • ફીઝીયોથેરાપી – Bachelor of Physiotherapy (BPT)
  • બી.એસ.સી. નર્સિંગ – Bachelor of Science In Nursing (B.Sc. Nursing)
  • ઓર્થોટીકસ અને પ્રોસ્થેટીક્સ – Bachelor of Orthotics and Prosthetics (BOP)
  • ઓપટોમેટ્રી – Bachelor of Optometry (BO)
  • ઓક્યુપેશનલ થેરાપી – Bachelor of Occupational Therapy (BOT)
  • ઓડીઓલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી- Bachelor of Audiology and Speech Language Pathology (BASLP)
  • જી.એન.એમ.- General Nursing and Midwifery (GNM) (Diploma Course)
  • એ.એન.એમ.- Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course)
Advertisement Pin 19-20
June 20, 2019
sanjiv_bhatt-1280x869.jpg
1min7260

1990ના જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા જામનગર સેસન્સ કોર્ટે ફટકારી છે. સનદી અધિકારીઓના વર્ગમાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. આ જ કેસમાં જામનગરની સેશન્સ કોર્ટે આ કેસના આરોપી સંજીવ ભટ્ટની સાથે પ્રવીણસિંહ ઝાલાને પણ આજીવન કેદની સજા ફટકારી છે.

સમગ્ર કેસની વિગત એવી છે કે 1990માં થયેલા રમખાણ દરમિયાન સૌરાષ્ટ્રના જામજોધપુર પોલીસે 132 લોકોને માર માર્યો હતો, જેમાં પ્રભુદાસ વિઠ્ઠલાણી નમના શખ્સનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું.

જામજોધપુરમાં લઘુમતી કોમની મિલકતોને આગચંપી કરાઈ હતી. તે વખતે સંજીવ ભટ્ટે મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરી હતી, અને તેમને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. ફરિયાદ મુજબ સંજીવ ભટ્ટે અટકાયતીઓને ફટકારવાનો ઓર્ડર આપ્યો હતો, જેમાં કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

મૃતક પ્રભુદાસ વિઠ્ઠલાણીના પરિવારજનોએ આ મામલે તત્કાલિન એએસપી સંજીવ ભટ્ટ તેમજ છ અન્યો સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વિવાદ વકરતા તત્કાલિક ચીમનભાઈ પટેલની સરકારે કેસને સીઆઈડી ક્રાઈમને ટ્રાન્સફર કર્યો હતો. સંજીવ ભટ્ટ સામે પણ ખાતાકીય કાર્યવાહીનો આદેશ અપાયો હતો. 1996માં સીઆઈડીએ તપાસ પૂર્ણ કરી સંજીવ ભટ્ટ સામે ચાર્જશીટ ફાઈલ કરવા પરવાનગી માગી હતી, જેનો સરકારે ઈનકાર કર્યો હતો.

 

June 20, 2019
oil.jpg
1min5530

ચોમાસાની અને તહેવારોની સિઝન નજીક આવી છે, તેમ ખાવાના તેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. બે દિવસમાં સિંગતેલના ભાવમાં ૪૦ રૂપિયાનો વધારો નોંધાયો હતો. ૪૦ રૂપિયાના વધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ ૧૮૧૦ રૂપિયાએ પહોંચ્યો હતો. સિંગતેલના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો હતો.

બે દિવસમાં એક ડબ્બે રૂપિયા ૪૦નો વધારો જોવા મળ્યો હતો. આ માટે વાવેતરના દાણાની માગમાં વધારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. માગમાં વધારો થવાની સાથે દાણાંના ભાવમાં પણ વધારો થયો હતો. તો બીજી તરફ, કપાસિયા તેલમાં પણ ૧૦ રૂપિયાનો ભાવવધારો નોંધાયો હતો. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૧૨૭૦ રૂપિયે પહોંચ્યો હતો.

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, જેથી માર્કેટમાં અને ઘરોમાં તળેલી વાનગીઓની ડિમાન્ડ વધુ રહેશે. સાથે જ ભજિયાનું વેચાણ ચોમાસામાં વધી જાય છે. તો બીજી તરફ, હવે શ્રાવણ મહિનો નજીક હોઈ વિવિધ તહેવારો શરૂ થશે. જેને કારણે તળેલી વાનગીઓ અને ફરસાણની ડિમાન્ડ વધુ રહેશે ત્યારે વધી રહેલી આ મોંઘવારીમાં તેલના વધતા ભાવ ગૃહિણીનું બજેટ તથા ગરીબોના તહેવારોને પર પણ અસર કરી શકે છે.