ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા રવિવારે મળી હતી, જેમાં ‘કાયઝાલા’ એપ્લિકેશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો. ઉપરાંત, બૂથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરી માટે પણ શિક્ષકોએ પોતાના મોબાઈલ ફોનમાં એપ ડાઉનલોડ ન કરવી તેવું એલાન અપાયું હતું.

હાલમાં જે શિક્ષકોએ ‘કાયઝાલા’ એપ ડાઉનલોડ કરી છે તે તથા BLO માટેની એપ પણ અનઈન્સ્ટોલ કરવા માટે સૂચના અપાઈ છે. છેલ્લા કેટલાક સમયથી એપને લઈને ચાલતા વિવાદમાં રવિવારની બેઠક બાદ પૂર્ણવિરામ મૂકાયું છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકોની હાજરી સહિતની બાબતો માટે કાયઝાલા એપ પાંચ સપ્ટેમ્બરથી અમલમાં મૂકવાની જાહેરાત બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. જેમાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સાથે સંકળાયેલા અઢી લાખ જેટલા શિક્ષકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ એપને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. જેના પગલે શિક્ષક સંઘે રવિવારે સંકલન સભા યોજવાનું નક્કી કર્યું હતું અને તેમાં આ અંગે નિર્ણય લેવાશે તેવી જાહેરાત કરી હતી.















