CIA ALERT

ગુજરાત Archives - Page 108 of 158 - CIA Live

September 13, 2019
narmada_dam.jpg
1min5940

સરદાર સરોવર ડેમની સપાટી 137.31 મીટર પર પહોંચી છે. ડેમની સર્વોચ્ચ સપાટી 138.68થી હવે માત્ર 1.37 મીટરનું જ અંતર બાકી રહ્યું છે. આગામી સમયમાં સરદાર સરોવર ડેમ 138.68 મીટર સુધી પહોંચશે અને ત્યાં સુધી પહોંચવામાં દોઢેક મીટર બાકી છે. નર્મદા ડેમમાં નિયમો પ્રમાણે પાણીની આવક ચાલુ છે. દરરોજ નિયત ધારા ધોરણ મુજબ ડેમની જળ સપાટી વધારવાની હોય છે અને તેને ધ્યાનમાં રાખીને ડેમમાં પાણી ભરાઇ રહ્યું છે.

હાલમાં ડેમમાંથી 7,39,830 પ્રતિ સેકન્ડ ક્યુબિક પાણી છોડાઈ રહ્યું છે. પરિણામે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 31 ફૂટ પર પહોંચી છે. જ્યારે તેની ભયજનક સપાટી 24ની છે. સાવચેતીના કારણોસર નર્મદાના કાંઠાના વિસ્તારમાંથી 3900 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ડેમ હાલમાં 92.9 ટકા જેટલો ભરાઈ ગયો છે.

20 ગામોને 3 દિવસ માટે એલર્ટ કરાયાં

નર્મદા જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાને કારણે જિલ્લાના 20 જેટલા ગામોને 3 દિવસથી એલર્ટ કરાયાં છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આગામી સમયમાં વધુ પાણી છોડવામાં આવે તો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાંઓ સાથે પૂર્વ તૈયારી કરી લીધી છે.

September 11, 2019
CIA_Live_Logo_New2.jpg
2min5680

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સમગ્ર ભારતમાં ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સિટી તરીકે ખ્યાતિ પ્રાપ્ત સુરતમાં હાલ જબરદસ્ત મંદીનો માહોલ છે અને સૌથી તીવ્ર મંદી હાલ રિયલ એસ્ટેટ એટલે કે બાંધકામ ક્ષેત્રમાં પ્રવર્તી રહી છે અને આ મંદી બેકાબૂ છે. અગ્રણી બિલ્ડરો તો ત્યાં સુધી કહે છે કે આ એક અનકન્ટ્રોલ્ડ માહોલ છે, કોઇ પેકેજ મંદી દૂર કરી શકે નહીં ફક્તને ફક્ત માનસિકતા, વિચારધારા બદલાશે તો જ સુરતનો બાંધકામ ઉદ્યોગ ફરી મંદીમાંથી બહાર આવશે અને તેને બહાર આવતા પણ સહેજેય બે-ત્રણ વર્ષ નીકળી જશે. રિયલ એસ્ટેટ ઉદ્યોગની કઠિણાઇ જ એ છે કે તેમાં રિયલ વપરાશકર્તા ઓછા છે અને જે છે તેમની પાસે બિલ્ડરોને આપવાના બ્લેકના રૂપિયા નથી, વ્હાઇટના તો બેંકો ધિરાણ આપે જ છે.

તા.10મી સપ્ટેમ્બરે ક્રેડાઇના જક્ષય શાહ સુરત આવ્યા હતા. બિલ્ડરોએ કઇ રીતે ધંધો કરવો જોઇએ એ વિષય પર તેમણે કેટલાક નિવેદનો કર્યા. એક નિવેદન એ કર્યું કે ડાયરી પ્રથા બિલ્ડરોએ બંધ કરવી જોઇએ. ડાયરી પ્રથા એટલે બ્લેક મનીના હિસાબો.

એવું નથી કે ઘર, મકાન, ફ્લેટ ખરીદનારાઓ હવે માર્કેટમાં રહ્યા નથી. પરંતુ, અવાસ્તવિક ભાવોને કારણે ઉપરોક્ત પેન્સિલ ડ્રોઇંગની જેમ લોકો રાહ જોઇ રહ્યા છે કે ક્યારે ફ્લેટ, દુકાનો, મકાનોના ભાવો ઉતરે અને તેઓ લઇ શકે.

સુરતના અનેક બિલ્ડરો સાથે સી.આઇ.એ. લાઇવ એ વાત કરી પછી જે નિષ્કર્ષ મળ્યો તે અહીં રજૂ કરીએ છીએ.

બુકિંગ પહેલા 10, 20 લાખ રૂપિયા આપીને મોટો નફો કમાઇ લેવાની વૃતિએ ઇન્વેસ્ટરોને તો ભેરવ્યા, બિલ્ડરો પણ આસમાન સે ટપકા ખજૂર પે અટકા સ્થિતિમાં લાવી દીધા

હાલમાં રિયલ એસ્ટેટમાં પ્રવર્તમાન મંદી માટે જવાબદાર જો કોઇ પરિબળ હોય તો એ ઇન્વેસ્ટર્સ છે. એવા રોકાણકારો કે જેઓ પોતાના ધંધામાંથી સરપ્લસ મની લઇને અગર તો એવા ઇન્વેસ્ટર્સ કે જે ફ્લેટ, દુકાન, ઓફિસ, રો હાઉસ વગેરેમાં 10, 20 લાખ રૂપિયા બુકિંગ અગાઉથી રોકીને ટૂંકા ગાળામાં નફો રળી લેવાની વૃતિ ધરાવતા હોય એવા લોકોએ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીનું સેન્ટીમેન્ટ એટલું ખરડી નાંખ્યું કે આજે ચાર ચાર બંગડીઓવાળી ગાડી લઇને ફરતા બિલ્ડરોએ ગ્રાહકોથી મોઢા છુપાવતા ફરવું પડી રહ્યું છે.

રિયલ એસ્ટેટમાં રિયલ રહેવાવાળા, રિયલ વપરાશકર્તા જ ગાયબ

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાંથી રિયલ વપરાશકર્તાઓ જ ગાયબ થઇ ગયા અને એટલે જ ક્રેડાઇના ગુજરાત ચેરમેને કહેવું પડ્યું કે બાંધકામ ઉદ્યોગમાંથી બ્લેકના રૂપિયાનું ચલણ દૂર કરો, શક્ય એટલા વ્હાઇટના રૂપિયાથી ધંધો કરશો તો રિયલ યુઝર્સ, રિયલ વપરાશકર્તા, રિયલ રહેવાવાળા ફ્લેટ, દુકાન, ઓફિસ ખરીદશે કેમકે તેમને જેટલા વ્હાઇટના પેપર મળશે તેટલી લોન વધુ મળશે.

બ્લેકના રૂપિયા આપી આપીને ઇન્વેસ્ટરે મંદીમાં તો બિલ્ડરો કરતા પણ વધારે કમાઇ લીધું હતું હવે બાંધકામ ઉદ્યોગમાં તેમની જે હાલત હતી કે નહીં ઘરના (પોતાના ધંધાના) નહીં ઘાટના (બાંધકામ ઉદ્યોગના) ન રહ્યા, એમની હાલત નફો રળી લેવાની, કટકી કરી લેવાની હતી, એ વધુ લાલચે ભેરવાયા પરંતુ, બિલ્ડરોએ પણ તેમના દોરવાયા દોરવાઇને પ્રોજેક્ટો કર્યા આજે એ હાલત છે કે બાંધકામ ઉદ્યોગ બેકાબુ મંદીના દૌરમાં સપડાયો છે. બાંધકામ ઉદ્યોગમાં તેજીના સમયે ઇન્વેસ્ટરોએ જે ઘીકેળા કર્યા આજે બધું જ ઘસડાઇને પાછું ચાલ્યું જાય તેવી સ્થિતિ છે.

પ્રોજેક્ટમાં 10, 20 ટકા રૂપિયા રોકીને ટૂંકાગાળામાં નફો કમાઇ લેવાની વૃતિ વાળા ઇન્વેસ્ટરોએ હવે પ્રોજેક્ટસમાં પાર્ટ પેમેન્ટ કર્યા પછી બિલ્ડરો, ડેવલપર્સને રૂપિયા આપવાનું બંધ કરી દેતા બિલ્ડરોના પ્રોજેક્ટ પણ ઘોંચમાં પડ્યા છે. જેમ આંખ, નાક, કાન જડેલા હોય એ રીતે ઇન્વેસ્ટરો સાથે સંકળાયેલા બિલ્ડરો ગ્રાહકોને જે રીતે પેમેન્ટ માટે દમ મારતા હોય તે રીતે ઇન્વેસ્ટરોને મારી શક્તા નથી અને તેને કારણે બિલ્ડરોના પ્રોજેક્ટ ઠપ થવા માંડ્યા છે.

ઇન્વેસ્ટરોએ જ બ્લેકના રૂપિયાનું ચલણ વધારીને બાંધકામ ઉદ્યોગને અત્યાર સુધી બ્લેક એન્ડ વ્હાઇટમાં રાખ્યો, હવે ઇન્વેસ્ટરોની બિલ્ડરોના ખભે બંદૂક મૂકીને કમાઇ લેવાની વૃતિ બંધ થશે. પહેલા ઇન્વેસ્ટરોના રૂપિયાથી જ ધંધો શરૂ કરતા બિલ્ડરો હવે મંદીના સમયમાં ઇન્વેસ્ટરોને કશું કહી શકતા નથી.

ઇન્વેસ્ટરો પાસેથી બ્લેકના રૂપિયા મળતા હોઇ, બિલ્ડરોએ અત્યાર સુધી 25 ટકા વ્હાઇટ 75 ટકા બ્લેકથી ધંધો કર્યો હતો આજે 40 ટકા વ્હાઇટ 60 ટકા બ્લેક અને છેલ્લે 50 ટકા વ્હાઇટ 50 ટકા બ્લેક સુધી પહોંચ્યા છે.

કોણ કોણ આવે છે ઇન્વેસ્ટર્સમાં

  • એન.આર.આઇ.
  • ડાયમંડ ઉદ્યોગપતિઓ
  • ડોક્ટરો
  • ખેડૂતો
  • ફાઇનાન્સરો
  • બિન નિવાસી ગુજરાતીઓ ખાસ કરીને મુંબઇ નિવાસીઓ
  • રાજકારણીઓ
  • મેનેજમેન્ટ લેવલના પ્રાઇવેટ કંપનીના અધિકારીઓ
  • સરકારી અધિકારીઓ
  • જમીન, મકાન, ઓફિસ લેવેચ કરતા દલાલો

ઉપરોક્ત ઉપરાંત એવા લોકો જેમની પાસે સરપ્લસ રૂપિયા ઘરમાં કે અન્યત્ર રોકાણમાં હતા એ લોકોએ તેજીના સમયમાં રૂપિયા રિયલ એસ્ટેટમાં નાંખ્યા અને કમાયા પણ ખરા, પણ હવે તેમણે જે ટેવ પાડી હતી એ ટેવ બિલ્ડરોને નડી રહી છે.

કેટલાક દલાલો રૂપિયા શું કમાયા પોતે જ ઇન્વેસ્ટર બની ગયા હતા હવે ભેખડે ભેરવાયા

સુરતના રિયલ એસ્ટેટમાં જ્યારે તેજી હતી ત્યારે કેટલાક ગણ્યા ગાંઠ્યા (બધા નહીં) દલાલો હજારોપતિમાંથી કરોડોપતિ બની ગયા હતા. એવા દલાલોએ પોતાની પાસે ઉભી થયેલી મૂડીને તેજીના સમયમાં ફ્લેટ, મકાન, દુકાનમાં રોકવા માંડી હતી, એ ટ્રેન્ડ એવો ચાલ્યો કે દલાલી કરનારા મોટાભાગના પોતે જ ઇન્વેસ્ટર બનવા માંડ્યા. એવા દલાલો ભેગા થઇને 10, 20 ટકા રોકીને એવી લાલચે ઇન્વેસ્ટ કરતા કે બે-પાંચ મહિનામાં વધુ ભાવ મળે એટલે ફટકારી મારીશું, એ બે-પાંચ મહિના હવે વર્ષોમાં કન્વર્ટ થવા માંડ્યા છે અને દલાલોએ ઉભી કરેલી મહામૂલી કેપિટલ પણ બાંધકામ ઉદ્યોગમાં ચટણી થઇને ભેરવાય ગઇ છે.

જેટલા વ્હાઇટના રૂપિયા લેવાશે એટલા રિયલ યુઝર વધુ મળશે

બિલ્ડર એસોસીએશનના પ્રમુખ જક્ષય શાહ કહે છે કે પૂરેપૂરા વ્હાઇટથી ધંધો કરવાવાળાની મિલકતો પણ વેચાઇ રહી છે, સુરતના બિલ્ડરોએ ડાયરી પ્રથા એટલે કે બ્લેક મનીનું માર્જિન દૂર કરવું જ પડશે. જો બ્લેક મનીનું માર્જિન દૂર કરવામાં આવશે તો આપોઆપ ઇન્વેસ્ટરોનો એકડો નીકળી જવાનો છે એમાં બે મત નથી. રિયલ એસ્ટેટના ધંધામાં ઓફિસ, દુકાન, મકાન, ફ્લેટ, રો હાઉસ લેવા માટે રિયલ યુઝર્સ, ખરો વપરાશકર્તા ત્યારે જ ખરીદવા માટે આવશે કે જ્યારે તેને વ્હાઇટની અમાઉન્ટ વધુ ચૂકવવાની થશે. જેટલી વ્હાઇટની અમાઉન્ટ વધુ તેટલી લોન વધુ મળશે એટલે રિયલ એસ્ટેટમાં રિયલ વપરાશકર્તાને આકર્ષવા માટે બિલ્ડરોએ ડાયરી પ્રથા બંધ કરવી જ પડશે.

સુરતે તેજી પણ વધુ જોઇ એટલે મંદી પણ વધુ આકરી જોઇ રહ્યું છે

બાંધકામ ઉદ્યોગમાં એવું નથી કે બધે જ મંદી છે. સુરતની સરખામણીમાં વડોદરા કે અમદાવાદ કે મુંબઇ, બેંગ્લોર જેવા શહેરોમાં સુરત જેટલી અસહ્ય પરિસ્થિતિ નથી. સુરતે, સુરતના બિલ્ડરોએ તેજીમાં પણ મબલખ કમાણી રળી એટલે મંદીમાં પણ વધુ માર ખાઇ રહ્યા છે. સુરત સિવાયના શહેરોમાં બિલ્ડરો હવે ધંધો વ્હાઇટની અમાઉન્ટ પર કરવાનું શરૂ કરી દીધું છે. સુરતમાં પણ ઘણાં બિલ્ડરોએ સમયવર્તે સાવધાન રૂએ વ્હાઇટમાં રૂપિયા લેવાનું શરૂ કર્યું છે.

Note : અહીં અમે રેરા, મ્યુનિ. કોર્પોરેશન, ટાઉન પ્લાનિંગ, જીએસટી વગેરેની ચર્ચા જ કરી નથી, એના પ્રશ્નો તો બિલ્ડરોને કનડી રહ્યા છે જ

September 11, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5100

પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અંતર્ગત રાજ્યના ૨.૪૨ કરોડ રેશનિંગ કાર્ડનું કોમ્પ્યુટરાઇઝેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

નેશનલ ફૂડ સેફટી ઍક્ટ અંતર્ગત આશરે ૪૩.૫ લાખ તેમ જ ૩૫.૯૪ લાખ ખેડૂતોના રેશનિંગ કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. રાશનની દુકાનમાંથી નબળા વર્ગના દરેક લોકોને સૌથી ઓછા દરે અનાજ મળી રહે તે માટે સરકારે રેશનિંગ કાર્ડ સાથે આધાર જોડવામાં આવ્યું હતું.

૧.૨૯ કરોડ પરિવારો બાયોમેટ્રિક પદ્ધતિથી રેશનિંગની દુકાનમાં આધાર સહિત રાશનકાર્ડનો વપરાશ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ૧૦ લાખ અનધિકૃત તેમ જ બે રેશનિંગ કાર્ડ ધરાવતા લોકોની શોધ મુહિમ ચાલુ હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. . છેલ્લાં બે વર્ષમાં પીઓએસ પદ્ધતિથી અન્ય ધાન્ય વિતરણ કરવામાં આવી રહ્યું હોવાથી ૧૦ ટકાની બચત થઇ છે, તેમ જ મુંબઇ-થાણે ક્ષેત્રમાં કેરોસિન વિતરણમાં ૩૦ ટકા ઘટાડો થયો હોવાનું પણ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

September 10, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9810

ગુજરાતમાં ટ્રાફિક ભંગના ગુનામાં કેન્દ્ર સરકારે નિયત કરેલી દંડની રકમમાં રાજ્ય સરકારે કેટલોક સુધારો કરીને આજે તા.10મી સપ્ટેમ્બર 2019ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા નિયમો અને દંડની રકમ જાહેર કરી છે. જે નીચે મુજબ છે. આ નિયમોનો અમલ તા.16મી સપ્ટેમ્બર 2019થી કરાવવામાં આવશે.

September 10, 2019
rainingujarat.jpg
2min8270

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જૂન મહિનો અડધો વીતી ગયો હતો ત્યારે રાજ્યભરમાંથી એવી બૂમો ઉઠી હતી કે આ વખતે દુકાળજનક સ્થિતિ સર્જાશે અને બે જ મહિનાના સમયગાળામાં વરસાદે એવો દેકારો મચાવ્યો કે અગાઉના વર્ષોના વરસાદના તમામ આંકડાઓ ધોઇ નાંખ્યા. રાજ્યના 22 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે. હજુ કહેવાય છે કે નવરાત્રી સુધી વરસાદ ઝીકાવાનો છે. વિચારી રાખજો શું પરિસ્થિતિ થશે. અહીં ગુજરાતના તાલુકવાર કુલ વરસાદના આંકડા પ્રસ્તુત છે, આ પણ આપને માટે જાણવું જરૂરી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યના ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં –

Gujarat : ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ

  • ભરૂચમાં ૧૪૬.૧૯ ટકા,
  • છોટા ઉદેપુરમાં ૧૪૨.૭૨ ટકા,
  • કચ્છમાં ૧૪૦.૯૯ ટકા,
  • જામનગરમાં ૧૩૭.૪૭ ટકા,
  • બોટાદમાં ૧૩૫.૩૩ ટકા,
  • મોરબીમાં ૧૩૨.૧૫ ટકા,
  • નર્મદામાં ૧૨૪.૫૭ ટકા,
  • વલસાડમાં ૧૨૦.૨૦ ટકા,
  • સુરતમાં ૧૧૯.૯૨ ટકા,
  • સુરેન્દ્રનગરમાં ૧૧૭.૮૨ ટકા,
  • પંચમહાલમાં ૧૧૫.૭૮ ટકા,
  • રાજકોટમાં ૧૧૦.૨૩ ટકા,
  • નવસારીમાં ૧૧૦.૧૮ ટકા,
  • ભાવનગરમાં ૧૦૭.૬૧ ટકા,
  • જૂનાગઢમાં ૧૦૬.૭૯ ટકા,
  • આણંદમાં ૧૦૬.૪૯ ટકા,
  • તાપીમાં ૧૦૬.૪૫ ટકા,
  • વડોદરામાં ૧૦૩.૩૪ ટકા,
  • દેવભૂમિદ્વારકામાં ૧૦૨.૧૭ ટકા અને
  • ખેડામાં ૧૦૧.૩૫ ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યના ૨૧ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના ૧૫૬ તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યું છે.

જળાશયોનું લેટેસ્ટ વોટર લેવલ

રાજ્યના ૨૦૪ જળાશયોમાં પાણીનો સંગ્રહ ૮૧.૫૪ ટકા થયો છે. રાજ્યના ૭૨ જળાશયો છલકાયા છે. ૬૨ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૩ જળાશયો ૫૦ થી ૭૦ ટકા ભરાયા છે. સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહ ૩૦૪૮૮૮.૫૨ એમ.સી.એફ.ટી. છે. જે કુલ સંગ્રહશક્તિના ૯૧.૨૬ ટકા છે. રાજ્યના ૮ જળાશયોમાં ૧૦,૦૦૦ ક્યુસેકથી વધુ પાણીની આવક થઇ રહી છે.

  • સરદાર સરોવરમાં ૩,૮૮,૫૯૨ ક્યુસેક આવક છે, જેની સામે ૩,૨૮,૭૩૧ કયુસેક જાવક છે.
  • ઉકાઇમાં ૫૫,૭૨૬ ક્યુસેક આવક છે, જેની સામે ૫૪,૫૨૬ કયુસેક જાવક છે.
  • વણાકબોરીમાં ૪૮,૪૩૮ ક્યુસેક આવક છે, જેની સામે ૪૬,૫૩૮ કયુસેક જાવક છે.
  • કડાણામાં ૪૭,૭૧૨ ક્યુસેક આવક છે, જેની સામે ૫૭,૫૮૬ કયુસેક જાવક છે.
  • દમણગંગામાં ૨૦,૨૩૫ ક્યુસેક આવક છે, જેની સામે ૯,૧૦૭ કયુસેક જાવક છે.
  • આજી-૪માં ૧૧,૧૯૨ ક્યુસેક આવક છે, જેની સામે ૧૧,૧૯૨ કયુસેક જાવક છે.
  • હીરણ-રમાં ૧૦,૩૫૧ ક્યુસેક આવક છે જેની સામે ૧૦,૩૫૧.૪ કયુસેક જાવક છે. જ્યારે
  • ઉંડ-૧માં ૧૦,૨૬૮ ક્યુસેક આવક છે, જેની સામે ૧૦,૨૬૮ કયુસેક જાવક છે.

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૮.૬૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૫.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૭.૧૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૫.૩૭ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૭૫ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે, તેમ જળસંપત્તિ વિભાગની યાદીમાં જણાવ્યું છે.

September 9, 2019
saurashtra.png
1min6480

રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના પાંચ જિલ્લાના 79 ડેમો પૈકી 51 ડેમોમાં નવા નીરની આવક થતા ઓવરફલો થયા હતા.

જામનગરના ઉંડ-1ના 14 પાટીયા, ઉંડ-2ના 17 પાટીયા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના રાવલ ડેમ, શિંગોડા, હિરણ-2, મચ્છુન્દ્રી ડેમ નવા નીર છલકાયા હતા.

કમલેશ્વર, હિરણ-1 90% સપાટી સુધી ભરાઈ ગયા છે. જૂનાગઢ સિંચાઈ વર્તુળ હેઠળના 6 ડેમોના પાટીયા ખોલતા નદીઓમાં ઘોડાપુર સર્જાવાના કારણે કુતિયાણા ગામના હેઠવાસના ગ્રામજનોને સચેત કરાયા છે.

ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની કૃપા વધુ એક વખત થતા જિલ્લામાં પાણીનો પુરતો જથ્થો સંગ્રહિત થયો છે.

સાર્વત્રીક વરસાદના પગલે જિલ્લાના પાંચ ડેમમાંથી ચાર ડેમ ઓવરફલો અને કમલેશ્વર ડેમ, હિરણ-1 ડેમ 90% ભરાઈ જતા ઓવરફલો થવાની શકયતાના પગલે હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે.

કોડીનારના જીવાદોરી સમાન શિંગોડા ડેમમાં નવા નીરની આવકના પગલે ઓવરફલો થતા શિગોડા નદીમાં ઘોડાપુર સર્જાયું હતું. શિગોડા ડેમના ત્રણ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. ઉના-ગીરગઢમાં આવેલા આવેલા રાવલ ડેમમાં 10 ફૂટ નવા નીરની આવક થતાં ઓવરફલોના પગલે છ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા. જો કે પાણીની આવક ઘટતા રાવલના દરવાજા બંધ કરી ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા.

ધામળેજના બરડા બંધારા ડેમ ઓવરફલો થતાં સોમતી નદીમાં ઘોડાપુર સર્જાયું હતું.

હિરણ-2, મછુન્દ્રી ડેમ સતત ચોથા દિવસે ઓવરફલો થતાં પાંચ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા. હિરણ-1, કમલેશ્વર ડેમ 90 થી 95 % નવા પાણીથી ભરાય જતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી.

જૂનાગઢ જિલ્લા સિંચાઈ વિભાગ હેઠળના ડેમો જળાશયોમાં રવિવારે 2 થી 6 ઈંચ વરસાદ બાદ નવા નીરની આવક થતાં સિંચાઈ વિભાગ દ્વારા પાણીનું લેવલ જાળવવા માટે હિરણ-1માં 4 દરવાજા, રાવલમાં 6 દરવાજા, સાબલીમાં 2, મધુવંતીમાં 2 દરવાજા ખોલ્યા હતા જે અવિરત ઓવરફલોના પગલે હિરણ-2માં ત્રણ, શિંગોડાના ત્રણ, રાવલના ત્રણ, ઓઝત-2ના 2, સાવલીનો 1, વૃજમીનો-1, રાણા ખીરસરાનો-1 દરવાજો ખોલતા નદીઓમાં ઘોડાપુર સર્જાયા હતા.

માણાવદર પંથકના બાંટવા ખારા ડેમ, રસાલા ડેમ, સણોસરા ડેમમાં નવા નીરના પગલે ભારે પ્રવાહ સાથે ઓવરફલો થઈ રહ્યો છે. બાંટવા ખારો ડેમ ઓવરફલો પગલે કુતિયાણા તાલુકાના તરખાઈ, ધરસણ, ગઢવાણા, રેવદ્રાના હેઠવાસના ગામ લોકોને નદીના પટમાં કુતિયાણા તંત્રએ જવાની મનાઈ ફરમાવી હતી.

પોરબંદરના રાણાવાવમાં બરડા ડુંગરમાં મધ્યે આવેલા ફોદળા ડેમમાં 27 ફૂટ પાણી, ખંભાળા ડેમમાં 18 ફૂટ નવા નીરની આવક થઈ હતી.

રાજકોટ સિંચાઈ વર્તુળ યોજના હેઠળના ડેમમાં મોરબીનો મચ્છુ-1, મચ્છુ-2, મચ્છુ-3, ડેમી-1, ડેમી-2, ડેમી-3 ડેમ ઓવરફલો થયા હતા. જ્યારે જામનગર જિલ્લાનો ફુલઝર-1, આજી-4, પન્ના, ફોફળ ડેમ, રંગમતી, રૂપારેર, સરસોઈ, ઉંડ-1-2-3, દ્વારકા જિલ્લાનો વર્તુ-1, વેરાડી-1, ત્રિવેણી ઠાંગા, વાછપરી, વેરી, ઉમીયા સાગર ડેમ ઓવરફલો થયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાનો ભોગાવો-1-2, લીંબણી, ફાડદંગ બેટી, સોનમળી સહિત આજી-1-2-3, ભાદર-2, શાપરાવાડી-2, ધોળીધજા ડેમ, કોણકી ડેમ, કોબા ડેમ, ગોંડલી, કંકાવટી, કરમાળ, લાલપરી મળી કુલ 79 ડેમોમાંથી 51 ડેમો નવા નીરથી સતત ઓવરફલો થઈ રહ્યાં છે.

September 9, 2019
rajkot_police.jpg
1min7960

ગુજરાતભરમાં ખોવાયેલા મોબાઇલ શોધી આપવામાં અવ્વલ રાજકોટ પોલીસના સાઇબર સેલે છેલ્લા ત્રણ વર્ષ અને આઠ મહિનામાં આશરે છ કરોડથી વધુ કિંમતના છ હજાર જેટલા ફોન શોધીને મૂળ માલિકને પરત આપ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ આજના ટેકનોલોજીના યુગમાં ખોવાયેલા મોબાઈલ શોધવું મુશ્કેલ રહ્યું નથી. ગુજરાતભરમાં દર મહિને હજારો મોબાઈલ ખોવાતા હશે અને તેઓ પોલીસમાં ફરિયાદ પણ કરતા હોય છે ત્યારે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં આશરે છ કરોડથી વધુના મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકને પરત આપ્યા હતા. જેમાં રાજકોટ સાઈબર સેલે વર્ષ ૨૦૧૬માં કુલ એક કરોડ ૬૬ લાખ ૫૫ હજારની કિંમતનાં, વર્ષ ૨૦૧૭માં કુલ એક કરોડ ૪૭ લાખ ૯૪ હજારની કિંમતનાં, વર્ષ ૨૦૧૮માં કુલ બે કરોડ ૭૫ લાખ ૨૪ હજારની કિંમતનાં અને સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં કુલ એક કરોડ ૧૨ લાખ ૭૯ હજારની કિંમતનાં મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યા હતા. જોકે કોઈનો મોબાઇલ ખોવાય તો તેનું બિલ હોવુ જરૂરી છે. તેના આઇએમઈઆઈ નંબર પરથી તેને ટ્રેક કરવામાં આવે છે. ખોવાયેલો મોબાઇલ કોઈ ચાલુ કરી પોતાનું સિમકાર્ડ નાંખે એટલે લોકેશન ટ્રેસ થઈ જાય છે.

September 9, 2019
narmada_dam.jpg
1min6150

કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ ચોમાસાની મોસમમાં આઠ સપ્ટેમ્બર રવિવારના રોજ નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર ૧૩૬.૧૭ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હતી. નર્મદા ડેમના ૧૨ દરવાજા ખોલાવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા ડેમે ૧૩૬.૧૭ મીટરની સપાટી પાર કરી હતી. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં ૪,૪૦,૨૮૯ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૩,૨૦,૮૧૯ ક્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો. નવમી ઓગષ્ટ ૨૦૧૯ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે છ યુનિટ સતત વીજ ઉત્પાદન કરી રહ્યા છે અને આઠ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ સુધી ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૭૫૦૪ મેગાવોટ વીજ ઉત્પાદન કરવામાં આવ્યુ હતુ. નર્મદા નિગમના ચીફ ઈજેનરે જણાવ્યું હતું કે હાલ ડેમની ૧૩૬.૧૭ મીટર સપાટી જે આટલા વર્ષોમાં ઐતિહાસિક સપાટી છે અને ૧૩૮.૬૮ મીટર જે ડેમની મહત્તમ સંપત્તિ છે જ્યાં સુધી ડેમ ભરવામાં આવશે ત્યારે આવનારા સમયમાં ગુજરાતને ચોક્કસ ફાયદો થશે.

September 4, 2019
ukai.jpg
1min8050

મધ્યપ્રદેશમાં આવેલા ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદના પાણીના થઇ રહેલા આવરાને પગલે ઉકાઇ ડેમની ઉપરવાસમાં સ્થિત હથનૂર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમની સપાટી ૩૩૯.૫૧ ફૂટ પર પહોંચી ગઈ છે.

આજરોજ તા.4 સપ્ટેમ્બર 2019ના રોજ ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૪૦ ફુટ છે અને ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૨૪૫ ફૂટ છે. જેથી હાલ તંત્ર દ્વારા વરસાદ અને પાણીની આવક પર નજર રાખવામાં આવી છે.

ઉકાઈ ડેમમાં ૫૩૮૩૬ ક્યૂસેક પાણીની આવક થઈ કરી છે અને પાણીની આવક જેટલો જ ચાર દરવાજા ખોલી આઉટ ફ્લો રાખવામાં આવ્યો હતો. ઉકાઇ ડેમનું રૂલ લેવલ અને સપાટી મેન્ટેઇન રાખવા માટેની મથામણ શરૂ કરી દેવામાં આવી હતી. હાલનું રૂલ લેવલ ૩૪૦ ફૂટથી સપાટી એકદમ નજીક હોવાની સાથે જ ડેમ ૯૦ ટકા ભરાઇ ગયો છે. શુક્રવારથી જ સપાટી ૩૪૦ ફૂટની નજીક ૩૩૯.૭૨ ફૂટની આજુબાજુ નોંધાઇ હતી. ડેમ એલર્ટ લેવલ પર હોવાથી પાણી છોડી દેવું પડે તેમ હતું. 

September 4, 2019
laddu-1280x960.jpg
1min14790

લાડુ આરોગવાની સ્પર્ધા ગુજરાતી સંસ્કૃતિ અને ઇતિહાસમાં અભિન્ન અંગ ગણાય. લુપ્ત થતી જતી આ પરંપરાને જીવંત રાખવા માટે જામનગર સ્થિત સંસ્કૃત પાઠશાળાએ લાડુ આરોગવાની સ્પર્ધા યોજી હતી. જેમાં 58 વર્ષના એક બ્રાહ્મણએ 100 ગ્રામના એક એવા 13 લાડુ (1 કિલો 300 ગ્રામ) અને સાથે બીજા એટલા જ વજનની દાળ પી ને સ્પર્ધા જીતી લીધી હતી.

નવીનભાઇ દવે નામના એક બ્રાહ્મણે સ્પર્ધા જીતવા માટે 3250 કેલેરી લાડુમાંથી અને 750 કેલેરી દાળમાંથી મળીને કુલ 4000 કેલેરી એક જ ઝાટકે પેટમાં ઉતારી દીધી હતી. આટલી કેલેરીની વાત સાંભળીને ડાયેટીંગ કરતા લોકો કે ડાયેટીશ્યન્સ પણ અચંબામાં પડી જાય. 100 ગ્રામના એક લાડુમાં 250 કૈલેરી અને દાળની એક વાટકીમાં 100 કૈલેરી મળીને કુલ 4000 કૈલેરી ધરાવતો ખોરાક જામનગરના નવીન દવે એક ઝાટકે આરોગી ગયા અને તેમને હજમ પણ થઇ ગયો હતો.

જામનગર સંસ્કૃત પાઠશાળાએ ગણેશ ચતુર્થીના ઉપલક્ષમાં યોજેલી લાડુ આરોગવાની સ્પર્ધામાં 100 ગ્રામના વજનનો એક લાડુ અને સાથે દાળ પીરસવામાં આવી હતી.

જામનગર શહેરમાં ગણેશચોથના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા સંસ્કૃત પાઠશાળામાં યોજવામાં આવી હતી.

ત્રણ વિભાગમાં વહેંચાયેલી લાડુ ખાઉ સ્પર્ધામાં ચુરમાના લાડુ સાથે દાળ પીરસવામાં આવી હતી.

લાડુ ખાઉ સ્પર્ધામાં જામનગર, મોરબી, ખંભાળિયા, જામજોધપુર, જામકંડોરણા, ધ્રોલ, નડીયાદ, પાટણ શહેરોમાંથી સ્પર્ધકો આવ્યાં હતાં.

કુલ ૧૯ ભાઇઓ, ૫ બહેનો તથા ૫ બાળકો મળીને કુલ ૩૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

સ્પર્ધામાં ભાઇઓના વિભાગમાં ૫૮ વર્ષના જામકંડોરણાના નવીન દવેએ ૧૦૦ ગ્રામનો એક એવા ૧૩ લાડુ આરોગી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

૧૨ લાડુ આરોગી નાનજી મકવાણા દ્વિતીય સ્થાને રહ્યા હતા.

બહેનોના વિભાગમાં મિતલ રૂપાપરા ૬ લાડુ આરોગી પ્રથમ, ક્રિષ્ના ચોક્સી ૫ લાડવા સાથે દ્વિતીય સ્થાને રહ્યા હતાં.

બાળકોમાં કેવીન વાઢેર ૫ લાડવા સાથે પ્રથમ, આદિત્ય આણદાની ૪ લાડવા સાથે દ્વિતીય રહ્યા હતા. વિજેતાઓને સંસ્થા દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતાં.