
મધ્યસ્થતા કોઈ સ્પષ્ટ ઉકેલ લાવવામાં વિફળ રહ્યા બાદ આખરે આજથી સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનાં વિવાદની સુનાવણી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આજે સૌપ્રથમ નિર્મોહી અખાડાનાં વકીલે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે, 100 વર્ષોથી આ વિવાદિત ભૂમિ ઉપર તેનો કબજો રહેલો છે. આ કેસ હવેથી અઠવાડિયામાં ત્રણ દિવસ- મંગળવાર, બુધવાર અને ગુરુવારે સાંભળવામાં આવશે તેવું અદાલતે ઠરાવ્યું છે. દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વિચારક એન.ગોવિંદાચાર્યે આયોધ્યા કેસની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવાની માગણી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જેને અદાલતે ખારિજ કરી નાખી છે.
અયોધ્યા વિવાદ ઉકેલવા માટે મધ્યસ્થતા સમિતિને આપવામાં આવેલાં નિશ્ચિત સમયમાં તે કોઈ નિરાકરણ લાવી શકી નહોતી. જેને પગલે સર્વોચ્ચ અદાલતે આજથી આ મામલાની રોજિંદી સુનાવણી શરૂ કરી દીધી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સદસ્યોની બનેલી બંધારણીય ખંડપીઠ આ મામલો સાંભળે છે. આ બંધારણીય ખંડપીઠમાં જસ્ટિસ એસ.એ.બોબડે, ડી.વાય. ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ.એ.નઝીર સામેલ છે.
નિર્મોહી અખાડાનાં ધારાશાત્રી સુશીલ કુમાર જૈને આજે પોતાનો પક્ષ રજૂ કરતાં દલીલ આપી હતી કે, આ જમીન ઉપર તેનો સેંકડો વર્ષોથી હક હતો. તેમણે નક્શો દેખાડતા જણાવ્યું હતું કે તેમનો દાવો વિવાદિત પરિસરનાં આંતરિક ભાગનો છે. આ જમીન ઉપર અખાડાનો જ કબજો હતો પણ પછી અન્યોએ બળપૂર્વક તેમાં અતિક્રમણ કર્યુ હતું. અખાડાની માગ માત્ર પરિસરનાં આંતરિક ભાગની છે. જેમાં સીતા રસોઈ અને ભંડાર ગૃહ સામેલ છે. ડિસેમ્બર 1992 બાદ ઉપદ્રવીઓએ નિર્મોહી અખાડાનું મંદિર પણ ધ્વસ્ત કરી દીધું હતું. જૂના ફેંસલાઓનો હવાલો આપતાં કહેવામાં આવ્યું હતું કે, તે મુજબ એવા સ્થાનને મસ્જિદ ગણાવી શકાય નહીં જ્યાં નમાઝ પઢાતી ન હોય. આ દરમિયાન સુન્ની વક્ફ બોર્ડનાં વકીલ રાજીવ ધવને હસ્તક્ષેપ કરતાં અદાલતે તેમને ઠપકો આપતાં કહ્યું હતું કે, તેનો પક્ષ પણ સમય આવ્યે સાંભળવામાં આવશે.
















