દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ બાદ સરકારે અન્ય 150 ટ્રેનો તેમજ 50 રેલ્વે સ્ટેશનોનાં ખાનગીકરણની તૈયારી કરી છે.
આ અંગે સમગ્ર માળખું તૈયાર થઈ ચૂક્યું છે. રેલ્વે મંત્રાલયે નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત સાથે વાતચીતના આધારે આ ફેંસલો લીધો છે. કાંતે રેલ્વે બોર્ડના અધ્યક્ષ વી. કે. યાદવને પત્ર લખીને 150 ટ્રેનો તેમજ 50 રેલ્વે મથકો ખાનગી હાથોમાં સોંપવાની વાત કરી છે.
ટ્રેનો અને રેલ્વે સ્ટેશનોમાં ખાનગીકરણની પ્રક્રિયા માટે સચિવસ્તરનું એક સત્તાધારી જૂથ રચાશે, જેમાં નીતિ આયોગના સીઈઓ, રેલ્વે બોર્ડના અધ્યક્ષ, આર્થિક બાબતોના સચિવ, શહેરી વિકાસ મંત્રાલયના સચિવ સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત ચોથી ઓક્ટોબરથી તેજસ એક્સપ્રેસ ટ્રેન નિયમિત દોડતી થઈ ગઈ છે. જે લખનૌથી દિલ્હી વચ્ચે દોડે છે.
મહારાષ્ટ્ર સરકારે ડ્યૂટી ફ્રી શોપ્સ પર પણ GST ઠોકી બેસાડ્યો હતો, બોમ્બે હાઇકોર્ટે કાઢી નાંખ્યો
મહારાષ્ટ્ર સરકારે ગત જાન્યુઆરી 2019માં મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલી ડ્યુટી ફ્રી શોપ્સ પર જીએસટી લગાડવાનું જાહેરનામું બહાર પાડીને તેની વસૂલાત શરૂ કરતા મુંબઇ એરપોર્ટ પરથી ડ્યુટી ફ્રી શોપ્સ પરનું વેચાણ ઘટી ગયું હતું એથી વિશેષ વિશ્વભરમાં એકમાત્ર મુંબઇ એરપોર્ટ એવું હતું કે જ્યાં ગ્રાહકોએ બિનજરૂરી રીતે જીએસટી ચૂકવવો પડી રહ્યો હતો. મહારાષ્ટ્ર સરકારના આ નોટિફિકેશન સામે ડ્યુટી ફ્રી શોપ્સ હોલ્ડરોએ બોમ્બે હાઇકોર્ટમાં રીટ પિટીશન દાખલ કરી હતી. જેના અંતિમ ચૂકાદામાં ગઇ તા.7મી ઓક્ટોબર 2019ના રોજ બોમ્બે હાઇકોર્ટે મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની ડ્યુટી ફ્રી શોપ્સ પર જીએસટી લાગૂ કરતું નોટિફિકેશન રદ કરીને ડ્યુટી ફ્રી દુકાનોને જીએસટીમાંથી મુક્તિ આપી હતી. હવે મુંબઇથી આવન-જાવન કરતા મુસાફરોએ મુંબઇ એરપોર્ટ પરથી ખરીદી કરતા જીએસટી નહીં ચૂકવવો પડે.
બોમ્બે હાઇકોર્ટે ચૂકાદા સાથે ટાંક્યું હતું કે ડ્યુટી ફ્રી શોપ્સની વ્યાખ્યા કહે છે કે તેના પર કોઇ ટેક્સનું ભારણ ન હોઇ શકે, મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવન-જાવન કરતા મુસાફરો દ્વારા કરાતી ખરીદી પર જો આ પ્રકારનો ટેક્સ લાગૂ કરવામાં આવે તો એ બિનજરૂરી બની રહે છે. ચીજવસ્તુઓના ભાવ ઉંચા કરવા બરાબર ગણાતો ટેક્સ વિશ્વના અન્ય કોઇ એરપોર્ટની ડ્યુટી ફ્રી દુકાનો પર નથી. બોમ્બે હાઇકોર્ટના જસ્ટીસ શ્રી રણજિત મોરે અને શ્રી ભારતી ડાંગરેએ જીએસટી અંગેના મહારાષ્ટ્ર સરકારના નોટિફિકેશનને રદ કરતો હુકમ કર્યો હતો.
હાઇકોર્ટે ચુકાદા સાથે આ ટાક્યું હતું.
“In our opinion, this will also negate the intent and purpose of Article 286,” ruled the bench. The article, under the Constitution, places restrictions on imposition of tax by states on sale or purchase of goods that take place “outside the state” or “in the course of import of goods into, or export of the goods out of, the territory of India.”
લિથિયમ-આયન બેટરી તૈયાર કરીને સ્માર્ટફૉન્સ, લેપટોપ અને ઇલેક્ટ્રિક વાહનોની બેટરીના ઉત્પાદનમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ અમેરિકાના ૯૭ વર્ષીય વિજ્ઞાની જૉન ગુડઇનફ, બ્રિટનના સ્ટેન્લી વિટીંગહેમ અને જાપાનના અકિરા યોશીનોને રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક આપવાની જાહેરાત કરાઇ હતી.
નોબેલ પુરસ્કાર આપતી સંસ્થા રોયલ સ્વિડિશ એકેડેમી ઑફ સાયન્સીસે જણાવ્યું હતું કે આ ત્રણ વિજ્ઞાનીની વચ્ચે પુરસ્કારના ૯૦ લાખ સ્વિડિશ ક્રોનોર (અંદાજે ૯,૧૪,૦૦૦ અમેરિકી ડૉલર અથવા ૮,૩૩,૦૦૦ યુરો) વહેંચી દેવાશે. જ્યુરીએ જણાવ્યું હતું કે વજનમાં હલકી, ફરી ચાર્જ કરી શકાતી, શક્તિશાળી બેટરીઓ હવે મોબાઇલ ફૉન્સ, લેપટોપ્સ, ઇલેક્ટ્રિક વાહનો વગેરેમાં વપરાય છે અને તેની મદદથી સૌરઊર્જા તેમ જ પવનઊર્જાનો પણ સંગ્રહ કરી શકાય છે.
આ શોધને લીધે પ્રદૂષણ પેદા કરતા ઈંધણનો વિકલ્પ મળ્યો છે. તેણે જણાવ્યું હતું કે લિથિયમ બેટરીઓ ૧૯૯૧માં વેચાણ માટે બજારમાં આવી ત્યારથી આપણા જીવનમાં ક્રાંતિ આવી છે. લિથિયમ ઘણી હલકી ધાતુ હોવાથી પાણી પર તરે છે. ૧૯૭૦ના દાયકામાં ખનિજ તેલની કટોકટી ઊભી થઇ હતી ત્યારે ઊર્જાના વૈકલ્પિક સ્રોત તરીકે અમેરિકાના વિજ્ઞાની જૉન ગુડઇનફે લિથિયમ બેટરી તૈયાર કરી હતી.
ભારતીય હવાઈ દળના માનદ્ ગ્રુપ કૅપ્ટનની પદવી મેળવનાર સૌપ્રથમ રમતવીર સચિન તેન્ડુલકરે મંગળવારે ઉત્તર પ્રદેશમાં હિન્ડન હવાઈ મથક ખાતે હવાઈ દળના ૮૭મા વાર્ષિક દિનમાં ભાગ લીધો હતો. આ બૅટિંગ-લેજન્ડની પત્ની અંજલિ તેમ જ હવાઈ દળ, લશ્કરી દળ અને નૌકા દળના વડાઓ પણ પરેડ સહિતના આ પ્રસંગે ઉપસ્થિત હતાં.
આવકવેરા વિભાગે સોમવારે ઇ-એસેસમેન્ટ સ્કીમ લોન્ચ કરી હતી જેમાં કરદાતા અને તેના એસેસિંગ ઑફિસર વચ્ચે કોઇ કડી રહેશે નહીં. રેવેન્યુ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ નેશનલ ઇ-એસેસમેન્ટ સેન્ટર (એનઇએસઇ) લોન્ચ કર્યું હતું અને શરૂઆતમાં નવી સ્કીમ હેઠળ ૫૮,૩૨૨ કેસની પસંદગી કરવામાં આવી હતી.
આ યોજનાના અમલ માટે આઇટી વિભાગના ૨,૬૮૬ અધિકારીઓને નિમવામાં આવ્યા છે. એસેસમેન્ટ વર્ષ ૨૦૧૮-૧૯ માટે ઇ-નોટિસો મોકલી આપવામાં આવી છે. કરદાતાઓને તેમના નોંધાયેલા ઇ-ફાઇલિંગ એકાઉન્ટ અને ઇમેઇલ ચેક કરવાની સૂચના આપવામાં આવી છે અને ૧૫ દિવસમાં જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. પાંડેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, સ્ક્રુટિની માટે જેમનો પણ કેસ પસંદ કરવામાં આવ્યો હોય તેઓ બધા ડૉક્યુમેન્ટ્સ ઓનલાઇન ફાઇલ કરી શકશે જે તે કેસના એસેસમેન્ટ અધિકારી પણ ડ્રો કરીને પસંદ કરવામાં આવશે. આમાં એસેસમેન્ટ અધિકારી અને કરદાતા વચ્ચે કોઇ સંપર્ક ન હોવાથી ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ કહેવામાં આવે છે અને નાણાં પ્રધાન સીતારામને જુલાઇમાં પોતાના બજેટ પ્રવચનમાં આ અંગેની જાહેરાત કરી હતી.તેમણે તે વખતે કહ્યું હતું કે વર્તમાન પ્રણાલિમાં કરદાતા અને આવકવેરા અધિકારી વચ્ચે સંપર્ક થતો હોવાથી કેટલીક અનિચ્છનીય પ્રવૃત્તિ થવાની સંભાવના છે. આવી પ્રવૃત્તિ નિવારવા ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ તબક્કાવાર દાખલ કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના લિવિંગ સટિર્ફિકેટમાં નામ, અટક અને જન્મ તારીખમાં ધો.૧૨ સુધી ફેરફાર કરી શકાશે તેવી જાહેરાત રાજ્ય શિક્ષણ વિભાગે કરી હતી. તેમજ આ સત્તા જે તે જિલ્લાના ડીઇઓને આપવામાં આવી હતી. અગાઉ ધો.૧૦ પહેલા જ આ પ્રકારનો ફેરફાર કરી શકાતો હતો.
શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યા અનુસાર શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં ફેરફાર કરવા અંગેની પ્રવિધિમાં જણાવ્યું હતું કે, વિનિમય ૧૨(ક)(૬)ની જોગવાઈ આ મુજબ વિદ્યાર્થીએ શાળા છોડી દીધા પછી શાળા રેકર્ડમાંની નોંધોમાં ફેરફાર કરી શકાશે નહિ. વિનિમય ૧૨(ક)(૬)ની જોગવાઈ ધ્યાને લેતા વિદ્યાર્થી ખરેખર શાળામાં હાલ ધો.૯થી ૧૨ પૈકી કોઈપણ ધોરણમાં અભ્યાસ ચાલુ હોય તેવા કિસ્સામાં શાળા છોડ્યાના પ્રમાણપત્રમાંની નોંધોમાં ફેરફાર કરવાની સત્તા જિલ્લા શિક્ષણાધિકારીને રહેશે.
નવેમ્બરથી ટેકાના ભાવથી મગફળીની ખરીદી માટે સરકારે નોંધણીનું કામકાજ શરું કર્યું હતુ. પરંતુ ખાટલે મોટી ખોટ હોય એમ પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ થયો હતો. કેટલાક સેન્ટરોમાં સર્વર સાવ ધીમા હતા. ક્યાંક પૂરતી જાણકારીના અભાવે ખેડૂતો હેરાન થયા હતા. જનરેટ થયેલા ઓટીપી ખેડૂતોના મોબાઇલમાં જતા હતા અને મોબાઇલ ખેડૂતો ઘેર મૂકી આવતા પણ પરેશાની થઇ હતી.
ગુજરાતભરમાં આશરે 19થી 20 હજાર જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી.
રાજકોટના જૂના યાર્ડમાં રાતથી જ ખેડૂતો આવી પડયા હતા. સવારે 10 વાગ્યે નોંધણી માટે સર્વર ડાઉન થઇ જતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. જોકે અર્ધી કલાકમાં પૂર્વવત થઇ જતા નોંધણી આરંભાઇ હતી. જિલ્લાના 11 યાર્ડોમાં 815 નોંઘણી થઇ હતી. ગ્રામસેવકોનો ઉમેરતા કુલ આંકડો 4000 નજીક પહોંચ્યો હતો.
પુરવઠા નિગમના અધિકારીએ કહ્યું કે, ખેડૂતો ઉમટી પડતા લોડ વધી ગયો હતો અને કામકાજ ખોરવાયું હતુ. જોકે એ પછી પૂર્વવત થયુ હતુ. બાદમાં ઓટીપીને લઇને સમસ્યા થઇ હતી. નોંધણીમા ઓટીપી બનતા હતા તે મોબાઇલમાં જતા હતા અને ઘણા ખેડૂતોના મોબાઇલ ઘેર હતા એટલે સર્વર ઠપ થઇ જતા હતા. જોકે જે ખેડૂતોની સમસ્યા થઇ તેમને ટોકન આપી દેવાયા હતા.
ગુજરાતમાં કુલ 124 જેટલા કેન્દ્રો પર થનારી ખરીદી માટે નોંધણી શરું થતા આરંભે નોંધણી શરું થઇ હતી. સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોએ સમસ્યા ભોગવી હતી. જૂનાગઢના કેન્દ્રમાં ખેડૂતોને અપૂરતી જાણકારી હોવાને લીધે હજારો ખેડૂતો એકત્ર થઇ ગયા હતા. જોકે યાર્ડના સત્તાવાળાઓએ દોડી જઇને ગ્રામ સેવકોને ત્યાં પણ નોંધણી થતી હોવાનું સમજાવતા મામલો થાળે પડયો હતો. સરકારે ગ્રામસેવકનો પ્રચાર ન કરતા અસંખ્ય ખેડૂતોને ધરમધક્કો થયો હતો.’ જામકંડોરણામાં શાંતિપૂર્વક નોંધણી શરું થઇ હતી.
જામનગરના હાપા માર્કાટિંગ યાર્ડમાં પણ 200 જેટલા ખેડૂતો પોતાની મગફળી વેચાય તે માટે રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા હતા પરંતુ નોંધણી થઇ નહીં અને અંતે પુરવઠા અધિકારી અને ખેડૂતો વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ ગઇ હતી.
ખેડૂતોએ કહ્યું’ કે, નોંધણી વખતે દરેક કેન્દ્રો ઉપર પાંચ પાંચ ટીમ રાખવાની વાત થઇ હતી પણ કોઇ ટીમ દેખાતી ન હતી.એ કારણે નોંધણી વિના ખેડૂતોને પરત ફરવું પડયું હતુ.
ગ્રામપંચાયત ઉપરથી પણ રજીસ્ટ્રેશન વ્યવસ્થા કરવાની જાહેરાત તો થઇ હતી પરંતુ પહેલા દિવસે કશં’ થયું ન હતુ. હવે સરકારે વ્યવસ્થા સઘન બનાવવી પડશે.
સરકાર દ્વારા તાલીમાર્થી (ટ્રેઇની-એપ્રેન્ટિસશિપ) નિયમ -1992માં સુધારાઓનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ દેશમાં કુશળ શ્રમબળ વધારવા અને પ્રશિક્ષુઓની તાલીમવૃત્તિ (સ્ટાઇપેન્ડ)માં વધારો કરવાનો છે.
ટ્રેઇની નિયમ 2019 અંતર્ગત કોઈપણ એકમમાં તાલીમાર્થીની ભરતીની સીમા વધારીને કુલ શ્રમબળના 1પ ટકા જેટલી કરવામાં આવશે. આ ઉપરાંત તેમને ચૂકવાતું સ્ટાઇપેન્ડ પણ વધારીને માસિક 9 હજાર રૂપિયા કરવામાં આવશે.
આ ઉપરાંત ફરજિયાત પ્રતિબદ્ધતા હેઠળ ટ્રેઇનીની સેવા લેવા માટે કોઈપણ સંસ્થાના કદની મર્યાદા પણ 40થી ઘટાડીને 30 કરવામાં આવી છે.
કૌશલ્ય વિકાસ મંત્રી મહેન્દ્રનાથ પાંડે દ્વારા આજે એક કાર્યક્રમના ઉપક્રમે કહેવામાં આવ્યું હતું કે, કાયદામાં નોંધપાત્ર સુધારાઓ કરવામાં આવ્યા છે અને તેનાથી સ્ટાઇપેન્ડની રકમ બમણા જેટલી વધી જશે. આ ઉપરાંત ટ્રેઇનીની સંખ્યા પણ વધીને 2.6 લાખ જેટલી થવાનો અંદાજ છે.
વી મુંબઈથી ગેટવે ઓફ ઈન્ડિયાની વચ્ચે સ્પીડ-બોટ ઓપરેટ કરવાની પરવાનગી આપવાની યોજના મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડ (એમએમબી) બનાવી રહ્યું છે. બોર્ડે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (એમબીપીટી)ને આ માટે બર્થિગ સ્પેસ (બોટ લાંગરવા માટેની જગ્યા) પૂરી પાડવા માટે પત્ર લખ્યો છે. ‘ગેટવે ઓફ ઈન્ડિયા પર બર્થિંગ સ્પેસ પૂરી પાડવા માટે અમે એમબીપીટીને પત્ર લખ્યો છે. તેમની પ્રતિક્રિયા બાદ અમે સ્પીડ બોટ સર્વિસ શરૂ કરી શકીશું. ગેટવે ઓફ ઈન્ડિયા, નેરુળ અને ેલાપુર વચ્ચે રોજિંદી સેવા શરૂ કરવામાં ખાનગી ઓપરેટરોએ રસ દેખાડ્યો છે’, એમ એમએમબીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. અપોલો બંદર અને પૂર્વ જળસીમા પર નિયંત્રણ ધરાવનાર એમબીપીટી તરફથી જરૂરી મંજૂરીઓ મળી જાય તો એક મહિનામાં આ સેવા શરૂ કરી શકાશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
‘એમબીપીટી તરફથી પરવાનગી મળ્યા બાદ વધુ ઓપરેટરો પણ આ યોજનામાં જોડાશે. સ્પીડ-બોટ સેવા શરૂ થયા બાદ નવી મુંબઈ અને દક્ષિણ મુંબઈ વચ્ચે પ્રવાસ કરવાનું સરળ થઇ જશે તથા પ્રવાસ સમયમાં અડધા કલાકથી ૪૦ મિનિટનો ઘટાડો થશે. પ્રવાસીઓ માટે ફેરી વાર્ફના બદલે ગેટવે ઓફ ઈન્ડિયા જ યોગ્ય જગ્યા રહેશે, કારણ કે ફેરી વાર્ફમાં લાસ્ટ-માઇલ કનેક્ટિવિટીની સમસ્યા સર્જાશે, એમ તેમણે જણાવ્યું હતું.
એમએમબી દ્વારા ઘણા સમયથી વિલંબિત પડેલા રેડિયો ક્લબ ખાતે જેટ્ટીના પ્રસ્તાવની પણ સમીક્ષા કરવામાં આવી હતી. એમએમબીના અધિકારીએ જણાવ્યું હતું કે જેટ્ટી માટે એમબીપીટી સાથે કરાર કરવાની જરૂર છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.