ડેવલપમેન્ટ Archives - Page 105 of 142 - CIA Live

September 23, 2019
roro.jpg
1min14540

24 સપ્ટેમ્બરથી ભાવનગર બાય રોડ જ જવું પડશે

ભાવનગરના ઘોઘાથી ભરૂચના દહેજ વચ્ચે દરીયામાં દોડતી રો રો ફેરી સર્વિસ તા.24મીથી અચોક્કસ મુદત માટે બંધ થઇ રહ્યાની જાહેરાત બુકિંગ સાઇટ પર લાલ અક્ષરમાં લખીને કરવામાં આવી છે. તસ્વીરમાં જોઇ શકાય છે.

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભાવનગરના ઘોઘા થી દક્ષિણ ગુજરાતના ભરૂચ નજીક દહેજ વચ્ચે દરીયામાં દોડતી રો રો ફેરી આવતીકાલ તા.24મી સપ્ટેમ્બર 2019ના રોજથી અચોક્કસ મુદત માટે બંધ કરી દેવાની જાહેરાત રો રો ફેરી સર્વિસની બુકિંગ સાઇટ પર ફ્લેશ કરવામાં આવી છે. કોઇપણ જાતના કારણ આપ્યા વગર કંપનીએ દહેજથી ઘોઘા વચ્ચેની ફેરી સર્વિસ બંધ કરવાનો નિર્ણય કરતા સમગ્ર ગુજરાતમાં જે જે વ્યક્તિને આ સમાચાર મળી રહ્યા છે તેમને નવાઇ લાગી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં આ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું.

કેટલાક ટેકનિકલ કારણોસર રો રો ફેરીને ચલાવવામાં મુશ્કેલીઓ પડતી હતી. જેમકે ભરૂચ નજીક દહેજના દરિયાકાંઠે જરુરી ઉંડાઈ ન મળતી હોવાના કારણે રો રો ફેરી માં એકાદ બે વખત મોટી નુકસાની થયાની માહિતી મળી છે. એક વખત ઘોઘા બંદર નજીક એવી પણ ઘટના બની હતી કે રો રો ફેરીમાં પાણી વધારે ઉંડું ન હોવાથી કૂલિંગ પાઈપ વાટે એન્જિનમાં દરિયાની રેતી તેમજ પ્લાસ્ટિક જેવો કચરો ઘૂસી જતાં રો રો ફેરી ખોટકાઈ ગઈ હતી.

એવી પણ વાતો ઉપસ્થિત થઇ છે કે મુસાફરોનો રિસ્પોન્સ પણ મળતો ન હતો.

September 22, 2019
windy.jpg
1min8980

ગુજરાતના વેરાવળથી પશ્ચિમ-દક્ષિણ તરફ 170 કિલોમીટરના અંતર અરબી સમુદ્રમાં હવાનું ડીપ ડિપ્રેશન સર્જાયું છે અને એ 24 કલાકમાં ચક્રવાતમાં તબદીલ થઇ શકે તેવી આગાહી ભારતના હવામાન વિભાગે કરી છે. 72 કલાક દરમિયાન આ સંભવિત ચક્રવાત અખાતી વિસ્તારમાં ઓમાન તરફ ફંટાય જાય તેવી આગાહી હાલ તુરત તા.22મી સપ્ટેમ્બર 2019ને રવિવારે બપોરે 2 વાગ્યે કરવામાં આવી છે.

ભારતના હવામાન વિભાગે રવિવાર, તા.22મી સપ્ટેમ્બર 2019ની બપોરે 12 વાગ્યે આગાહી કરતા વધુમાં જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં આ ડીપ્રેશન ડીપ ડીપ્રેશનમાં તબદીલ થઈ જશે અને ચક્રવાતમાં પરિવર્તિત થશે. જો કે 72 કલાકમાં ચક્રવાત ઓમાનના દરિયાકાંઠા તરફ ફંટાવાની સંભાવના રહેલી છે.

આ સંભવિત ચક્રવાતને કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગના મતે ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના રહેલી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનથી દરિયામાં 45-55 કિમી અને મહત્તમ 65 કિમી સુધી પવન ફૂંકાઈ શકે છે જેને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે.  

September 22, 2019
mumbai.jpg
1min5870

છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટના પેસેન્જર લૉન્જ ખાતેની બાર અને શોપમાં પ્રવાસીઓ દિવસે અને રાત્રે ગમે ત્યારે દારૂની ખરીદી અથવા દારૂ પી શકે છે. ઍરપોર્ટની અંદર ૨૪ કલાક દારૂની દુકાનો અને બારને ચાલુ રાખવાની રાજ્ય સરકારની યોજના છે. અગાઉ સવારે ૧૧થી મોડી રાત્રે દોઢ વાગ્યા સુધીનો સમય દારૂની દુકાનો અને બાર માટે હતો. હવે આ સમયનો પ્રતિબંધ હટાવી દીધો છે. તાજેતરમાં જ આ અંગેનું જાહેરનામું રાજ્ય સરકારે જારી કર્યું છે. જોકે, આ માટેનો અંતિમ આદેશ હજુ મળ્યો નથી.

એકસાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા અનુસાર ઍરપોર્ટ પરિસરની અંદર આવેલી દારૂની દુકાનો અને બારને ૨૪ કલાક ચાલુ રાખવાની મંજૂરી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ ખાતે પણ આવી છૂટ આપવામાં આવી છે.

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં દરરોજ મોટા પ્રમાણમાં વિદેશી પર્યટકો, પ્રતિનિધિઓ અને રોકાણકારો આવે છે.

September 21, 2019
trai.jpg
1min6300

ટૂંક સમયમાં તમારો 10 આંકડાનો મોબાઇલ નંબર 11 આંકડાનો થઇ જશે

ટ્રાઇ (ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિ.) એ દેશમાં વધતી જતી મોબાઇલ યુઝર્સની સંખ્યા અને મોબાઇલ નંબરોની વધુ માગને ધ્યાને લેતા વિકલ્પો ચકાસવા માંડ્યા છે કે ભારતમાં મોબાઇલ નંબરોની વધતી માગને પહોંચી વળવા માટે લાંબાગાળાનો કયો શ્રેષ્ઠ વિકલ્પ અપનાવી શકાય. ટ્રાઇના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં હાલમાં 10 આંકડાના મોબાઇલ નંબરની સ્કીમ ચાલી રહી છે. જે રીતે મોબાઇલ કનેકશન્સની માગ ઉઠી છે એ જોતા હવે 10 આંકડાની સ્કીમ્સમાં લિમિટેડ નંબરો બાકી રહ્યા છે જે ભવિષ્યની માગને પહોંચી વળે તેમ નથી. આથી ટ્રાઇ દ્વારા 10ને બદલે 11 આંકડાનો મોબાઇલ નંબરવાળી યોજના અમલમાં મૂકવા બાબતે વિચારણા શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મોબાઇલ નંબર 10માંથી 11 આંકડાનો થશે ત્યારે વર્તમાન ગ્રાહકોના નંબરમાં ફક્ત એક નવો આંક ઉમેરાશે બાકીના 10 આંકડા યથાવત રહેશે.

અગાઉ ભારતમાં ટ્રાઇ દ્વારા આ પ્રકારે નંબરીંગ સ્કીમ બદલવાની કાર્યવાહી બે વખત હાથ ધરવામાં આવી હતી. 1993માં સમગ્ર દેશમાં નંબરો બદલાયા હતા અને એ પછી 2003માં નંબરિંગ સ્કીમ્સ ભારતમાં બદલવામાં આવી હતી. એ સમયે ભારતમાં મોબાઇલ યુઝર્સની સંખ્યા કરતા ડોમેસ્ટીક, લેન્ડલાઇન ફોન્સની સંખ્યા વધુ હતી. આજે પરિસ્થિતિ ઉલ્ટી છે.

હાલમાં 9, 8 અને 7થી શરૂ થતી મોબાઇલ નંબરોની સ્કીમ્સ હેઠળ કુલ 2.1 બિલિયન (210 કરોડ) મોબાઇલ જોડાણો (નંબર) આપી શકવાની કેપેસિટી છે.

જાણકારોનું કહેવું છે કે એવું નથી કે ભારતમાં મોબાઇલ ફોન યુઝર્સ અને કનેકશન્સની વધેલી સંખ્યાને કારણે મોબાઇલ ફોનના નંબરો 10 આંકડાથી વધીને 11 આંકડાના થશે પણ સાથેસાથે લેન્ડલાઇન ફોન્સ કે જે 2, 3, 5 અને 6 થી શરૂ થાય છે એની પણ હાલની સંખ્યા 7થી વધીને 10 આંકડા સુધી પહોંચે તેમ છે.

September 20, 2019
onion.jpg
1min15560

સુરતમાં કાંદાનો હોલસેલ ભાવ કીલોના રૂ.50ને આંબી ગયો, રીટેલમાં રૂ.65 સુધી વસૂલાયા

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ટૂંક સમયમાં ખાણીપીણીની લારીઓ પરથી ખાસ કરીને પાઉભાજી, ઇંડા, નોનવેજ વગેરેની લારીઓ પર સલાડ કે કચુંબરમાં ટામેટા અને કોબીજ મળશે, ડુંગળી (કાંદા) અદ્રશ્ય થઇ જાય તેવા એંધાણ મળી રહ્યા છે. સુરતમાં આજે કાંદાના પ્રતિ કિલોના ભાવ રૂ.65 જેટલા આંબી ગયા છે. સૌથી મોંઘા કાંદા સિટીલાઇટ, ડુમસ રોડ પર રિટેઇલ શાકભાજીવાળાઓએ વસૂલ્યા હતા.

એ સિવાય અડાજણ, રાંદેર, વરાછા વિસ્તારમાં કાંદાનો ભાવ પ્રતિ કિલોએ રૂ.55થી રૂ.60 જેટલા થઇ જતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાય જવા પામ્યું છે. કાંદાના ભાવ એવું નથી કે રાતોરાત ઉંચકાયા છે. છેલ્લા 10-12 દિવસમાં નિયમિત રીતે બે-ત્રણ રૂપિયા વધ્યા છે અને એવું કહેવાય છે કે સુરતમાં કાંદાના ભાવ રૂ.80 પ્રતિ કિલો સુધી પહોંચી જાય તો નવાઇ નહીં.

કાંદાનો શોર્ટ સપ્લાય, સુરતમાં કાંદાની 30થી 35 ટ્રક ઠલવાતી હતી એ હવે 15-20 થઇ ગઇ

સુરતમાં સામાન્ય દિવસોમાં કાંદાની 25થી 30 ટ્રકો ઠલવાતી હતી, રજા કે તહેવારોના આગલા દિવસે 35 ટ્રકો સુધી કાંદો સુરતમાં ઠલવાતો હતો પરંતુ, હાલમાં કાંદાનો શોર્ટ સપ્લાય છે અને એ.પી.એમ.સી.માં 15-20 ટ્રક કાંદા જ હાલ દૈનિક ધોરણે ઠલવાય રહ્યાનું એપીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું.

સી.આઇ.એ. લાઇવની ટીમે કાંદાના ભાવ અંગે થોડી જાંચ-પડતાલ કરી તો જાણવા મળ્યું કે સુરતમાં મોટા ભાગે મહારાષ્ટ્રના નાસિક મંડીમાંથી કાંદો ઠલવાય છે અને ત્યાં કાંદાની શોર્ટેજ છે અને એના કારણે સમગ્ર ગુજરાતના બજારોમાં કાંદાના ભાવ ઉંચકાવા પામ્યા છે. જે વિસ્તારોમાં કાંદાની મબલખ પાક પાકતો હતો ત્યાં જ વરસાદી પાણીનો ભરાવો થયો છે અને તેના કારણે મોટી મુશ્કેલી પડી રહી છે.

એક એવું પણ કારણ જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્રથી આવતા નવા કાંદાની ફસલ નવરાત્રીથી શરૂ થતી હોય છે અને એ ખેતરમાંથી સુરત કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પહોંચતા વધુ 15 દિવસ જેટલો સમય માગી લે છે.

મહારાષ્ટ્રના લાસલગાંવ એપીએમસી દેશનું સૌથી મોટું જથ્થાબંધ બજાર છે. આ માર્કેટમાં ગુરુવાર તા.19મી સપ્ટેમ્બર 2019ના રોજ એક ક્વિન્ટલ ડુંગળીના ભાવ 1,000 રૂપિયાને આંબી ગયા હતા. તા.19મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રમાં બોલાયેલો ડુંગળીનો ભાવ 4 વર્ષની સર્વોચ્ચ સપાટીએ નોંધાયો હતો.તા.19મી સપ્ટેમ્બરે સ્થાનિક બજાર બંધ રહ્યા ત્યારે કાંદાની હરાજીની સરેરાશ કિંમત પ્રતિ ક્વિન્ટલ 4,500 રૂપિયાને આંબી ગઇ હતી.

2015માં 16 સપ્ટેમ્બરે જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવ સરેરાશ 4,300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પહોંચ્યા હતા. 22 ઓગસ્ટ 2015ના રોજ પ્રતિ ક્વિન્ટલ ડુંગળીની કિંમત 5,700 રૂપિયા હતી, જેને ઓલ-ટાઈમ હાઈ કિંમત કહી શકાય.

બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં ડુંગળીની અછત જોવા મળી રહી છે જેના કારણે દક્ષિણી રાજ્યોમાં ડુંગણીનો સપ્લાય અને માગ બન્ને વધ્યા છે.

September 20, 2019
bullet-1280x720.jpg
1min9990

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને ગુજરાત હાઈ કોર્ટે લીલીઝંડી આપી દીધી છે. હાઈ કોર્ટે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ચાર ગણું વળતર આપવાની માગ લગભગ ફગાવી દીધી છે. જો કે, આ મામલે જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડ પીઠે વળતરનો મુદ્દો ખુલ્લો રાખ્યો છે. હાઈ કોર્ટે આંતરરાજ્ય પ્રોજેકટ હોવા છતાં કેન્દ્ર સરકારને ઑથૉરિટી ગણાવી છે.

આ ચુકાદાને ખેડૂતો હવે સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

અરજદાર ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, હાઈ કોર્ટમાં ૧૦૦૦થી વધુ ખેડૂતોએ પિટિશન કરી હતી. ખેડૂતોની રજૂઆત હતી કે જમીન અમારી જીવાદોરી છે, તમે અમારા જીવનનું સંપાદન કરી રહ્યા છો તો વર્તમાન બજારના ભાવ મુજબ અમને ચાર ગણું વળતર આપો.

ખેડૂતો સુપ્રીમ કોર્ટથી લઈને કોર્ટની બહાર પણ લડી લેશે. જંત્રી મુજબના ભાવથી ખેડૂતોને નુકસાન થાય છે. આજે જમીનના ભાવો વધ્યા છે. ખેડૂતો આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં જશે. ખેડૂતોની માગણી હતી કે, હાલ માર્કેટમાં ચાલી રહેલા જે તે વિસ્તારની જમીનના ભાવ પ્રમાણે હોવી જોઈએ. તેમ જ વળતરની રકમ કેન્દ્ર સરકારના જમીન સંપાદન કાયદા મુજબ ચૂકવવામાં આવે ગુજરાત રાજ્ય સરકારના જમીન સંપાદન કાયદા મુજબ નહીં. ટ્રેનના રૂટ માટે ગુજરાતના ૫૩૦૦થી વધુ પ્લોટની જમીન સંપાદિત કરવામાં આવશે, જેમાં ૨૬૦૦ જેટલા પ્લોટ એટલે કે અડધી જમીન સંપાદિત થઈ ગઈ છે. બાકીની જમીન માટે કામગીરી ચાલુ છે.

September 19, 2019
rahjnath-tejas-bhanu.jpg
1min4900

દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે તા.19મી સપ્ટેમ્બર 2019ના રોજ ભારતમાં જ બનેલા, મેક ઇન ઇન્ડિયા યુદ્ધ વિમાન તેજસને ઉડાડીને ઇતિહાસ સર્જ્યો છે.

ઇન્ડિયન એરફોર્સના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજનાથ સિંહ તેજસમાં ઉડાન ભરનાર સૌપ્રથમ રક્ષા મંત્રી બન્યા છે.

તેજસનું વજન પ્રમાણમાં ઘણું ઓછું છે અને હવામાં ઝડપથી ઉડાન ભરવામાં સક્ષમ છે. આવા યુદ્ધ વિમાન ખૂબજ સફળ ગણાય છે. ભારતનું તેજસ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (એસલીએ) એક એવું વિમાન છે, તે પોતાની શ્રેણીમાં પાકિસ્તાન અને ચીનના યુદ્ધ વિમાનોને પણ ટક્કર આપી રહ્યું છે.


September 19, 2019
keral.jpg
1min13840

સરકારના પ્રોત્સાહનને કારણે સસ્તુ ભોજન બનાવવા અને વેચવાનું કાર્ય સફળતાપૂર્વક કર્યા બાદ હવે કેરળના કેદીઓ પેટ્રોલપંપનું સંચાલન કરવાની તૈયારી કરી રહ્યા છે. તમિળનાડુ અને પંજાબ પાસેથી પ્રેરણા મેળવીને જેલ પ્રશાસન કેરળની ત્રણ સેન્ટ્રલ જેલના પરિસરમાં ચોક્કસ પસંદ કરાયેલા કેદીઓ દ્વારા પેટ્રોલપંપ ચલાવવાની તૈયારી થઇ રહી છે. જેલ પ્રશાસને પસંદ કરેલા સ્થળે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી) પેટ્રોલપંપ શરૂ કરશે. દરેક પેટ્રોલપંપ માટે સજા પામેલા કેદીઓમાંથી પંદર કેદીની પસંદગી કરવામાં આવશે. એમને તાલીમ આપવામાં આવશે અને તેઓ આ પેટ્રોલપંપ પર શિફ્ટ પ્રમાણે જે ડ્યૂટી કરશે એ માટે જેલ પ્રશાસનના નિયમ પ્રમાણે એમને પગાર આપવામાં આવશે.

September 18, 2019
crowd.jpg
2min19930

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મંદીના માહોલની વાત આવે છે ને લોકોમાં એટલી એટલી તો હકારાત્મકતા જોવા મળે છે કે દિવાલી આવતાં જ બધું સમૂસુતરૂં પાર ઉતરી જશે. પણ ઇકોનોમિક ટાઇમ્સનો રિપોર્ટ કંઇક અલગ જ કહે છે. ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટમાં એવું સમજાવાયું છે કે કેમ આ વખતની દિવાળી છેલ્લા 10 વર્ષમાં સૌથી ખરાબ, ખરાબ એટલે નાણાભીડના સેન્સમાં. આ વખતે મંદીના માહોલમાં સામાન્ય વર્ગથી મિડલ ક્લાસ આડેધડ મની સ્પેન્ડિંગ કે શોપિંગ નહીં કરે અને કંપનીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે જેન્યુઇન સેલ ઓફર્સ આપવી પડશે.

2008-09માં દિવાળીના સમયગાળા દરમિયાન જે માર્કેટ પેરામીટર્સ નોંધાયા હતા એ જ પ્રકારના માર્કેટ પેરામિટર્સ છેલ્લા બે ક્વાર્ટરથી ભારતીય બજારોમાં જોવા મળી રહ્યા છે. ઓછી ઘરાકી, લોકોની ખરીદશક્તિમાં તીવ્ર ઘટાડો વગેરેને કારણે રિટેઇલ માર્કેટ, એફ.એમ.સી.જી., ઓટો સેક્ટર, હોમ એપ્લાયન્સીઝ, રિયલ એસ્ટેટ, જ્વેલરી માર્કેટ, સોના ચાંદીના ભાવ વગેરેમાં પ્રવર્તમાન મંદીના પેરામીટર્સ 2008 સાથે સરખાવીએ તો લગભગ સમાંતર જોવા મળી રહ્યા છે.

એક્સપર્ટસ તો ત્યાં સુધી કહે છે કે જે રીતે ગુજરાત, ભારતમાં શ્રાવણ માસ, ચોમાસામાં ઓફ સિઝન સેલની પેટર્ન છે અને દિવાળીમાં ફ્રેશ માલ વેચાય છે, પણ આ વખતે દિવાળીમાં ફ્રેશ માલ પર પણ કંપનીઓ ગ્રાહકોને સેલ ઓફર આપશે. હોમ એપ્લાયન્સીસથી લઇને ઓટો સેક્ટરમાં વેચાણ માટે ગ્રાહકોને ઇઝી અવેલેબલ અને ઓછા ઇએમઆઇવાળી યોજનાઓની ભરમાર મળશે. ટૂંકમાં દિવાળીનું માર્કેટ સર કરવા માટે કંપનીઓએ મોટી મસક્કત કરવી પડશે.

નીચેની લિંક પર ક્લીક કરો અને વાંચો ઇકોનોમિક ટાઇમ્સનો રિપોર્ટ

https://economictimes.indiatimes.com/news/et-explains/why-this-diwali-is-the-most-crucial-in-10-years/articleshow/71159766.cms?from=mdr

ઇકોનોમિક ટાઇમ્સે રિપોર્ટના અંતમાં જણાવ્યું છે કે દિવાળીના તહેવારોમાં વેચાણ વધારવા માટે ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીઓ અનેક ઓફરો આપશે અને પછી પણ જો માર્કેટ નહીં સુધરે તો એ પછીના ત્રણ-ચાર ક્વાર્ટરમાં મંદીનો માહોલ વધુ વિકટ બનશે.

દિવાળીના તહેવારમાં સૌથી વધુ જરૂરીયાત પરિવારોને રૂપિયાની હોય છે. ઘરની ખરીદીથી લઇને વસ્ત્રો, વાહનો, સોનું ચાંદી, હોમ એપ્લાયન્સીઝ, મોજશોખની ચીજવસ્તુઓ અને હરવા-ફરવા આ બધા માટે રૂપિયાની જરૂરીયાત દિવાળીમાં સામાન્ય દિવસો કરતા ચાર ગણી વધી જાય છે. પરતું આ વખતે દિવાળીમાં ભારે નાણાભીડ રહેશે અને નોકરીયાત વર્ગ કે જે હાલમાં સૌથી સલામત, ફિક્સ આવક ધરાવતો વર્ગ છે એ પણ સાચવીને રૂપિયા વાપરશે.

લોકોની ઘટેલી ખરીદ શક્તિ દિવાળી પર મોટી ભૂમિકા ભજવશે

ઇલેક્ટ્રોનિકથી લઇને હોમ એપ્લાયન્સીઝ, ગારમેન્ટથી લઇને ફૂટવેર સુધીના બજારોમાં છેલ્લા બે વર્ષમાં સેલ્સ ઘટીને 10 વર્ષના તળીયે આવી ગયા છે. લોકોની આવક સ્થિર થઇ છે તેની સામે મોંઘવારી ત્રણ ઘણી વધી જવા પામી છે. આવા અનેક ફેક્ટર દિવાળી સેલિબ્રેશનને નડશે.

સુરતની વાત કરીએ તો સુરતના બે મુખ્ય ઉદ્યોગ કે જેના પર લાખો પરિવારો નિર્ભર રહે છે. હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ બન્ને ઉદ્યોગો હાલ જબરદસ્ત મંદીમાંથી પસાર થઇ રહ્યા છે. બાકી રહે છે રિયલ એસ્ટેટ સેક્ટર. રિયલ એસ્ટેટ સેક્ટરની હાલત તો ટેક્સટાઇલ અને ડાયમંડ કરતા પણ ખરાબ થવા પામી છે. આવી સ્થિતિમાં સુરતમાં કામ કરતા લોકોને બોનસ કે દિવાળી ફેસ્ટીવલ એલાઉન્સ તો દૂર પણ ટાઇમે પગાર મળે કે કેમ તેની અનિશ્ચિતતાઓ જોવાય રહી છે.

સોના-ચાંદી અને શેરબજારની આવકવાળાની હાલત સૌથી કફોડી

ભડકે બળી રહેલા સોનાના ભાવોને કારણે લોકો પોતાના ઘરમાં પડેલું સોનું વેચી રહ્યા છે પરંતુ, નવી ખરીદી સાવ બંધ થઇ જવા પામી છે. દિવાળીના તહેવારોમાં સામાન્ય રીતે મધ્યમર્ગીયથી ધનિક પરિવારો ધનતેરશ, ગુરુપુષ્ય નક્ષત્ર વગેરેમાં ટોકન સોનું ચાંદી કે લગ્નપ્રસંગ માટેની ખરીદી કરતા હોય છે, પરંતુ આ વખતે એક તોલાના રૂ.40 હજારને આંબી ગયેલા ભાવોને પગલે દિવાળીમાં આ માર્કેટમાં તેજીની જગ્યાએ મંદી જોવા મળશે એવું માર્કેટ એક્સપર્ટસ માની રહ્યા છે. બીજી તરફ, શેરબજાર છેલ્લા બે મહિનાથી નીલ રિટર્નની વાત તો દૂર પરંતુ, મૂડીધોવાણ કરે એ રીતે વર્તી રહ્યા છે. સુરતમાં શેરબજારની આવક પર નભતા કે શેરબજારને વધારાના આવકના સ્ત્રોત તરીકે અપનાવનારા પરિવારોની સંખ્યા મોટી છે. અહીંની મંદી દિવાળીને પૂરેપૂરી રીતે અસર કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવાળીને અસરકર્તા આ સેક્ટરમાં ભારે મંદી

  • એફ.એમ.સી.જી. (રિટેઇલ માર્કેટના વેચાણ, ટર્નઓવર ઘટ્યા)
  • કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ વેચાણ, ટર્નઓવરમાં જંગી ઘટાડો
  • હોમ એપ્લાયન્સીઝમાં પણ ભારે ધોવાણ
  • મોબાઇલ ફોન, સ્માર્ટ ફોન્સ, ફીચર ફોન્સના વેચાણ 50 ટકા નીચે ઉતરી ગયા
  • ઓટો સેક્ટરમાં વૈશ્વિક મંદીનો માહોલ

સરકારના પેકેજથી સામાન્ય લોકોને ફાયદો મળતા દિવસો નીકળી જાય છે અને ફાયદો ઘટીને આંશિક બની જાય છે

એમાં કોઇ શંકાને સ્થાન નથી કે ભારતીય બજારોમાં હાલ મંદીના માહોલને કેન્દ્ર સરકાર ગંભીરતાથી લઇ રહી છે અને અનેક પેકેજીસ જાહેર કરવામાં આવી રહ્યા છે પરંતુ, દિવાળીને લાગે વળગે છે ત્યાં સુધી ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોને આનાથી સીધો કોઇ ફાયદો નથી. ફાયદો મળતા મહિના અને વર્ષો નીકળી જાય છે અને સામાન્ય માણસને સરકારી પેકેજનો ફાયદો પહોંચે ત્યાં સુધી આંશિક બની જાય છે.

September 18, 2019
epf.jpg
1min6260

મોંઘવારી અને આર્થિક મોરચે સતત નિરાશાજનક ઘટનાક્રમ વચ્ચે કર્મચારીઓ માટે આર્થિક ખુશખબર આવ્યા છે. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઈપીએફઓ)ના છ કરોડથી વધુ સભ્ય માટે નાણાકીય વર્ષ 2018-19 માટે પીએફ પર 8.65 ટકા વ્યાજદર મળશે. સરકારે’ તહેવારો અગાઉ જ પીએફ પર વ્યાજદર વૃદ્ધિને મંજૂરી આપી હતી. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે આજે આ બાબતની જાહેરાત કરી હતી.

ઈપીએફઓ માટે નિર્ણય લેનારી ટોચની શાખા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે ગત નાણાકીય વર્ષ માટે આ વર્ષે ફેબ્રુઆરીમાં 8.65 ટકા વ્યાજદરને મંજૂરી આપી હતી. આ પછી આ પ્રસ્તાવને મંજૂરી માટે નાણા મંત્રાલય પાસે મૂકવામાં આવ્યો હતો.

સંતોષ ગંગવારે અહીં એક કાર્યક્રમ બાદ મીડિયાને જણાવ્યું હતું કે તહેવારો પહેલાં ઈપીએફઓના 6 કરોડથી વધુ સદસ્યોને 2018-19 માટે જમા રકમ પર 8.65 ટકા વ્યાજ પ્રાપ્ત થશે. વર્તમાનમાં ઈપીએફઓ ખાતામાં દાવાઓનો ઉકેલ 8.55 ટકાના વ્યાજદર પર કરવામાં આવી રહ્યો છે. આ જ દર 2017-18 દરમ્યાન પણ લાગુ હતા.

ઈપીએફ વ્યાજદરોની જાહેરાતમાં વિલંબ અંગે મંત્રીએ જણાવ્યું કે નાણા મંત્રી (નિર્મલા સીતારામન) હાલના દિવસોમાં વ્યસ્ત હતા. તેમની પાસે ફાઈલ (ઈપીએફ વ્યાજદરના પ્રસ્તાવ) પડી હતી. તેઓ આની સાથે અસંમત ન હતા. અમારા દ્વારા મંજૂર થયેલો 8.65 ટકાનો વ્યાજદર ઈપીએફ ખાતાધારકોને 2018-19 માટે ચૂકવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 2017-18માં આપવામાં આવેલું વ્યાજ એ પાંચ વર્ષમાં સૌથી ઓછું હતું. 2016-17માં વ્યાજદર 8.65 ટકા, 2015-16માં 8.8 ટકા હતા. 2013-14 અને 2014-15માં કર્મચારીઓને 8.75 ટકા વ્યાજ મળ્યું હતું. 2012-13માં 8.5 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું.