ડેવલપમેન્ટ Archives - Page 106 of 142 - CIA Live

September 18, 2019
mamta_vs_modi.jpg
1min5400

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બુધવારે યોજાનારી બેઠકને મમતા બેનરજીએ સૌજન્ય મુલાકાત ગણાવી છે. પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે, રાજ્યને ફંડ અને અન્ય પ્રશ્ર્ને વડા પ્રધાન સાથે ચર્ચા થશે.પશ્ર્ચિમ બંગાળનું નામ બદલવા વિશે પણ ચર્ચા થશે. નવી દિલ્હીની મુલાકાત રૂટીન કામના ભાગરૂપ છે.સ્ટેટ સેક્રેટરીએટના સૂત્રોએ જણાવ્યું હતું કે, સીએમ અને પીએમ બુધવારે ૪.૩૦ વાગ્યે મળશે. રાજ્યની બહાર મમતા ભાગ્યે જ જાય છે. નવી દિલ્હી દેશની રાજધાની છે. રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને સંસદ દિલ્હીમાં છે તેથી ત્યાં જવું જરૂરી બને છે.

જાહેર ક્ષેત્રની બૅન્કોના મર્જર, એર ઈન્ડિયા, બીએસએનએલ અને રેલવેના પ્રશ્ર્નો પણ છે, તેની પણ ચર્ચા થશે. પશ્ર્ચિમ બંગાળના નામમાં ફેરફારમાં દરખાસ્ત કેન્દ્રને અગાઉ મોકલાવી હતી તે વિશે ચર્ચા થશે. જો કે, નામમાં ફેરફાર માટે બંધારણીય સુધારો જરૂરી છે જે સંસદમાં થઈ શકે છે.મંગળવારે મમતા બેનરજીએ વડા પ્રધાન મોદીને વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. બુધવારે સૌજન્ય મુલાકાત છે. બંનેના સંબંધોમાં કડવાશ દૂર થવાની શક્યતા છે.

September 17, 2019
earthquake-zone-map-of-gujarat-1.jpg
1min4970

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૧૨૧.૬૩ ટકા વરસ્યો છે. પરિણામે રાજ્યના ૨૦૪ જળાશયોમાંથી ૮૭ જળાશયો છલકાયા છે. સોમવારે સવાર સુધીમાં ૭૦ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે, જ્યારે ૧૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવરમાં હાલમાં ૩,૩૩,૨૮૩.૯૦ એમસીએફટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહશક્તિના ૯૯.૭૬ ટકા છે. સત્તાવાર રીતે જાણવા મળ્યા અનુસાર સરદાર સરોવર જળાશયમાં ૫,૭૯,૮૪૭ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જ્યારે ૪,૬૮,૯૭૨ ક્યુસેક પાણીની જાવક છે.

વણાકબોરી જળાશયમાં ૧,૮૫,૮૩૧ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ૧,૮૫,૮૩૧ ક્યુસેક પાણીની જાવક છે. કડાણા જળાશયમાં ૧,૫૫,૭૦૦ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ૧,૩૧,૬૧૨ ક્યુસેક પાણીની જાવક છે. ઉકાઇ જળાશયમાં ૯૨,૬૧૭ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ૨૧,૫૭૨ ક્યુસેક પાણીની જાવક છે અને દમણગંગા જળાશયમાં ૧૩,૩૪૯ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ૬,૨૦૧ ક્યુસેક પાણીની જાવક છે.

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૫૬.૮૭ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૬.૫૦ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૯.૯૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૫.૯૪ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૮૪.૩૪ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૮૫.૬૯ ટકા એટલે ૪,૭૭,૦૬૧.૫ એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

September 14, 2019
amul-milk-500x500.jpg
1min8970

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકાર, સુરત મહાનગરપાલિકાનું તંત્ર સુરતમાં 2જી ઓક્ટોબર 2019થી સંપૂર્ણપણે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા માટે કમર કસી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાએ તો શામ, દામ, દંડ, ભેદ જે રીતે થાય એ રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવાના ચક્રો ગતિમાન કરી દીધા છે. હકીકત એ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદનકર્તાઓ સામે ગુજરાત સરકાર કે સુરત મહાનગરપાલિકા એક હરફ ઉચ્ચારતી નથી, તેમનુ પ્રોડકશન બેધડક ચાલે છે અને તેઓ માલ સપ્લાય બિન્ધાસ્ત કરે છે, પાલિકા કે સરકાર આ ચેઇનને હાથ અડાડ્યા વગર ગ્રાસરૂટ લેવલે ફેરીયાઓ, દુકાનદારો અને વપરાશકર્તાઓ પર ઢોંસ જમાવીને પ્લાસ્ટિક બેન કરવા નીકળી પડી છે.

આવી સુરતમાં 35 લાખ દૂધની કોથળીઓનું વેચાણ રોજેરોજ થાય છે, આવી સિંગલ યુઝ પ્લાસ્ટિકની કોથળીઓનો હાલ તુરત કોઇ વિકલ્પ નથી. પ્લાસ્ટિક બેન સુરતમાં ત્યારે જ સંભવ છે જ્યારે કોઇ વ્યાજબી વિકલ્પ મળી રહે.

સુરતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન પર પ્રતિબંધ અશક્ય એટલા માટે છે કેમકે ખુદ સુરત મહાનગરપાલિકાના સત્તાવાર આંકડાઓ કહે છે કે સુરતીઓ રોજ દોઢથી બે કરોડ પ્લાસ્ટિકના ઝભલા થેલીનો ઉપયોગ કરે છે, આ પ્લાસ્ટિક સિંગલ યુઝ છે, એવી જ રીતે સુરતમાં સુમુલડેરીની દુધની 35 લાખ કોથળીઓથી સુરતના ઘરેઘરમાં દૂધ પહોંચે છે, આ પ્રકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકની મોટી ડિમાન્ડ અને વપરાશ બન્ને સુરતમાં જોવા મળે છે. સુરત મહાનગરપાલિકા તંત્ર પાસે કે સરકાર પ્લાસ્ટિકની અવેજીમાં શું વાપરવું તેનો અસરકારક વિકલ્પ આપ્યા વગર પ્લાસ્ટિક બેન કરવા નીકળી પડી છે.

શું કહે છે સુમુલના સૂત્રો

સુમુલ ડેરીના સત્તાવાર સૂત્રોએ સી.આઇ.એ. સાથે વાતચીતમાં જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાએ અમને વખતોવખત પ્લાસ્ટિકની કોથળીની જગ્યાએ દૂધ અન્ય ઇકો ફ્રેન્ડલી પેકેજિંગમાં સપ્લાય કરવા કહ્યું છે અને અમે એ વિકલ્પો ચકાસી જોયા છે, ચકાસી રહ્યા છીએ અને ચકાસતા રહીશું. પરંતુ, હજુ સુધી કોઇ બેસ્ટ અલ્ટરનેટીવ મળી શકતો નથી. પેપર પેકમાં જો રોજની 35 લાખ દૂધની કોથળી જેટલું દૂધ સપ્લાય કરવા જઇએ તો દૂધની કોસ્ટ સીધી ડબલ થઇ જશે. જો કાચની બોટલોમાં સપ્લાય કરીશું તો ટ્રાન્સપોર્ટેશન ત્રણ ગણું વધી જાય અને વધુ વાહનો ચાલશે તો ખર્ચ અને પ્રદૂષણ વધુ થશે. સુમુલડેરી સતત પ્લાસ્ટિકની કોથળીના અલ્ટરનેટિવ શોધી રહી છે.

સુમુલની દૂધની કોથળી 55 માઇક્રોનની

સુમુલડેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે સુમુલ ડેરીની હાલની મા જે દૂધની કોથળીનો વપરાશ કરે છે એ દૂધની કોથળી 55 માઇક્રોનથી વધુની છે એટલે એ આમેય હાનિકર્તા નથી.

સુરતમાં સુમુલ સિવાય સિંગલ યુઝ પ્લાસ્ટિકના અનેક મોટા સ્ત્રોત

સુરતમાં રોજ લગભગ દોઢથી બે કરોડ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝભલાઓનો વપરાશ થાય છે.

એવું નથી કે સુરતમાં સુમુલડેરીની દૂધની કોથળીઓ જ સિંગલ યુઝ પ્લાસ્ટિકના મોટા સ્ત્રોત છે, હકીકતમાં સુરતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ખાસ કરીને ઝભલાઓના મુખ્યસ્ત્રોત સુમુલ ડેરી કરતા પણ વધુ છે. સુરતના શાકભાજી માર્કેટમાં સૌથી વધુ પ્લાસ્ટિકના ઝભલા વેચાય છે, એ પછી છૂટક કરીયાણા વિક્રેતાઓથી લઇને નાના છુટક વેપારીઓ સૌથી વધુ પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કરી રહ્યા છે. શાકભાજી બાદ ફ્રુટ્સની લારીવાળાઓ, છુટક ફ્રુટ્સ વિક્રેતાઓ મોટા પાયે પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રકારે સુરતમાં રોજેરોજ લગભગ દોઢથી બે કરોડના સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ કરી રહ્યા છે.

September 14, 2019
river_narmada.jpg
1min7510

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સંગ્રહ ક્ષમતા સુધી ભરાવા જઇ રહ્યો છે ત્યારે આગામી ૧૭ સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમના સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડનાર વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સવારે ૧૦.૦૦ કલાકે કેવડીયા તથા સમગ્ર ગુજરાતમાં નર્મદા નીર વધામણા-મહાઆરતી કાર્યક્રમો યોજાશે એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. ૧૭મી સપ્ટેેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવીને નર્મદા માતાની મહાઆરતીના કાર્યક્રમાં ભાગહ લે તેવી પૂરી શક્યતા છે.

ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં બોલતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, આગામી ૧૭ સપ્ટેમ્બરે ગુજરાત સરકાર દ્વારા સવારે ૧૦.૦૦ કલાકે સમગ્ર ગુજરાતમાં દરેક જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલ વિવિધ જળાશયો-નદી-ચેકડેમ ખાતે એક મહાઉત્સવ જેવો માહોલ ઊભો કરી મા નર્મદાના વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં પવિત્ર મંત્રોચ્ચાર કરી મા નર્મદાની આરતી કરવામાં આવશે, વિવિધ વર્ગ-સમાજના નાગરિકોની ઉપસ્થિતિમાં ઢોલ-નગારા-ત્રાંસા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

શુક્રવારે ભાજપા પ્રદેશ કાર્યાલય, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપાના વરીષ્ઠ નેતા સુરેન્દ્રકાકા, સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહતિ પ્રદેશ હોદ્દેદારો, મોરચાના પ્રદેશ પ્રમુખો, જીલ્લા પ્રભારીઓ તથા જીલ્લા/મહાનગરના પ્રમુખ/મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

September 13, 2019
narmada_dam.jpg
1min5890

સરદાર સરોવર ડેમની સપાટી 137.31 મીટર પર પહોંચી છે. ડેમની સર્વોચ્ચ સપાટી 138.68થી હવે માત્ર 1.37 મીટરનું જ અંતર બાકી રહ્યું છે. આગામી સમયમાં સરદાર સરોવર ડેમ 138.68 મીટર સુધી પહોંચશે અને ત્યાં સુધી પહોંચવામાં દોઢેક મીટર બાકી છે. નર્મદા ડેમમાં નિયમો પ્રમાણે પાણીની આવક ચાલુ છે. દરરોજ નિયત ધારા ધોરણ મુજબ ડેમની જળ સપાટી વધારવાની હોય છે અને તેને ધ્યાનમાં રાખીને ડેમમાં પાણી ભરાઇ રહ્યું છે.

હાલમાં ડેમમાંથી 7,39,830 પ્રતિ સેકન્ડ ક્યુબિક પાણી છોડાઈ રહ્યું છે. પરિણામે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 31 ફૂટ પર પહોંચી છે. જ્યારે તેની ભયજનક સપાટી 24ની છે. સાવચેતીના કારણોસર નર્મદાના કાંઠાના વિસ્તારમાંથી 3900 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ડેમ હાલમાં 92.9 ટકા જેટલો ભરાઈ ગયો છે.

20 ગામોને 3 દિવસ માટે એલર્ટ કરાયાં

નર્મદા જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાને કારણે જિલ્લાના 20 જેટલા ગામોને 3 દિવસથી એલર્ટ કરાયાં છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આગામી સમયમાં વધુ પાણી છોડવામાં આવે તો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાંઓ સાથે પૂર્વ તૈયારી કરી લીધી છે.

September 11, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5030

પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અંતર્ગત રાજ્યના ૨.૪૨ કરોડ રેશનિંગ કાર્ડનું કોમ્પ્યુટરાઇઝેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

નેશનલ ફૂડ સેફટી ઍક્ટ અંતર્ગત આશરે ૪૩.૫ લાખ તેમ જ ૩૫.૯૪ લાખ ખેડૂતોના રેશનિંગ કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. રાશનની દુકાનમાંથી નબળા વર્ગના દરેક લોકોને સૌથી ઓછા દરે અનાજ મળી રહે તે માટે સરકારે રેશનિંગ કાર્ડ સાથે આધાર જોડવામાં આવ્યું હતું.

૧.૨૯ કરોડ પરિવારો બાયોમેટ્રિક પદ્ધતિથી રેશનિંગની દુકાનમાં આધાર સહિત રાશનકાર્ડનો વપરાશ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ૧૦ લાખ અનધિકૃત તેમ જ બે રેશનિંગ કાર્ડ ધરાવતા લોકોની શોધ મુહિમ ચાલુ હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. . છેલ્લાં બે વર્ષમાં પીઓએસ પદ્ધતિથી અન્ય ધાન્ય વિતરણ કરવામાં આવી રહ્યું હોવાથી ૧૦ ટકાની બચત થઇ છે, તેમ જ મુંબઇ-થાણે ક્ષેત્રમાં કેરોસિન વિતરણમાં ૩૦ ટકા ઘટાડો થયો હોવાનું પણ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

September 10, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9770

ગુજરાતમાં ટ્રાફિક ભંગના ગુનામાં કેન્દ્ર સરકારે નિયત કરેલી દંડની રકમમાં રાજ્ય સરકારે કેટલોક સુધારો કરીને આજે તા.10મી સપ્ટેમ્બર 2019ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા નિયમો અને દંડની રકમ જાહેર કરી છે. જે નીચે મુજબ છે. આ નિયમોનો અમલ તા.16મી સપ્ટેમ્બર 2019થી કરાવવામાં આવશે.

September 10, 2019
rainingujarat.jpg
2min8200

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જૂન મહિનો અડધો વીતી ગયો હતો ત્યારે રાજ્યભરમાંથી એવી બૂમો ઉઠી હતી કે આ વખતે દુકાળજનક સ્થિતિ સર્જાશે અને બે જ મહિનાના સમયગાળામાં વરસાદે એવો દેકારો મચાવ્યો કે અગાઉના વર્ષોના વરસાદના તમામ આંકડાઓ ધોઇ નાંખ્યા. રાજ્યના 22 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે. હજુ કહેવાય છે કે નવરાત્રી સુધી વરસાદ ઝીકાવાનો છે. વિચારી રાખજો શું પરિસ્થિતિ થશે. અહીં ગુજરાતના તાલુકવાર કુલ વરસાદના આંકડા પ્રસ્તુત છે, આ પણ આપને માટે જાણવું જરૂરી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યના ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં –

Gujarat : ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ

  • ભરૂચમાં ૧૪૬.૧૯ ટકા,
  • છોટા ઉદેપુરમાં ૧૪૨.૭૨ ટકા,
  • કચ્છમાં ૧૪૦.૯૯ ટકા,
  • જામનગરમાં ૧૩૭.૪૭ ટકા,
  • બોટાદમાં ૧૩૫.૩૩ ટકા,
  • મોરબીમાં ૧૩૨.૧૫ ટકા,
  • નર્મદામાં ૧૨૪.૫૭ ટકા,
  • વલસાડમાં ૧૨૦.૨૦ ટકા,
  • સુરતમાં ૧૧૯.૯૨ ટકા,
  • સુરેન્દ્રનગરમાં ૧૧૭.૮૨ ટકા,
  • પંચમહાલમાં ૧૧૫.૭૮ ટકા,
  • રાજકોટમાં ૧૧૦.૨૩ ટકા,
  • નવસારીમાં ૧૧૦.૧૮ ટકા,
  • ભાવનગરમાં ૧૦૭.૬૧ ટકા,
  • જૂનાગઢમાં ૧૦૬.૭૯ ટકા,
  • આણંદમાં ૧૦૬.૪૯ ટકા,
  • તાપીમાં ૧૦૬.૪૫ ટકા,
  • વડોદરામાં ૧૦૩.૩૪ ટકા,
  • દેવભૂમિદ્વારકામાં ૧૦૨.૧૭ ટકા અને
  • ખેડામાં ૧૦૧.૩૫ ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યના ૨૧ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના ૧૫૬ તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યું છે.

જળાશયોનું લેટેસ્ટ વોટર લેવલ

રાજ્યના ૨૦૪ જળાશયોમાં પાણીનો સંગ્રહ ૮૧.૫૪ ટકા થયો છે. રાજ્યના ૭૨ જળાશયો છલકાયા છે. ૬૨ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૩ જળાશયો ૫૦ થી ૭૦ ટકા ભરાયા છે. સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહ ૩૦૪૮૮૮.૫૨ એમ.સી.એફ.ટી. છે. જે કુલ સંગ્રહશક્તિના ૯૧.૨૬ ટકા છે. રાજ્યના ૮ જળાશયોમાં ૧૦,૦૦૦ ક્યુસેકથી વધુ પાણીની આવક થઇ રહી છે.

  • સરદાર સરોવરમાં ૩,૮૮,૫૯૨ ક્યુસેક આવક છે, જેની સામે ૩,૨૮,૭૩૧ કયુસેક જાવક છે.
  • ઉકાઇમાં ૫૫,૭૨૬ ક્યુસેક આવક છે, જેની સામે ૫૪,૫૨૬ કયુસેક જાવક છે.
  • વણાકબોરીમાં ૪૮,૪૩૮ ક્યુસેક આવક છે, જેની સામે ૪૬,૫૩૮ કયુસેક જાવક છે.
  • કડાણામાં ૪૭,૭૧૨ ક્યુસેક આવક છે, જેની સામે ૫૭,૫૮૬ કયુસેક જાવક છે.
  • દમણગંગામાં ૨૦,૨૩૫ ક્યુસેક આવક છે, જેની સામે ૯,૧૦૭ કયુસેક જાવક છે.
  • આજી-૪માં ૧૧,૧૯૨ ક્યુસેક આવક છે, જેની સામે ૧૧,૧૯૨ કયુસેક જાવક છે.
  • હીરણ-રમાં ૧૦,૩૫૧ ક્યુસેક આવક છે જેની સામે ૧૦,૩૫૧.૪ કયુસેક જાવક છે. જ્યારે
  • ઉંડ-૧માં ૧૦,૨૬૮ ક્યુસેક આવક છે, જેની સામે ૧૦,૨૬૮ કયુસેક જાવક છે.

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૮.૬૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૫.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૭.૧૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૫.૩૭ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૭૫ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે, તેમ જળસંપત્તિ વિભાગની યાદીમાં જણાવ્યું છે.

September 9, 2019
saurashtra.png
1min6300

રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના પાંચ જિલ્લાના 79 ડેમો પૈકી 51 ડેમોમાં નવા નીરની આવક થતા ઓવરફલો થયા હતા.

જામનગરના ઉંડ-1ના 14 પાટીયા, ઉંડ-2ના 17 પાટીયા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના રાવલ ડેમ, શિંગોડા, હિરણ-2, મચ્છુન્દ્રી ડેમ નવા નીર છલકાયા હતા.

કમલેશ્વર, હિરણ-1 90% સપાટી સુધી ભરાઈ ગયા છે. જૂનાગઢ સિંચાઈ વર્તુળ હેઠળના 6 ડેમોના પાટીયા ખોલતા નદીઓમાં ઘોડાપુર સર્જાવાના કારણે કુતિયાણા ગામના હેઠવાસના ગ્રામજનોને સચેત કરાયા છે.

ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની કૃપા વધુ એક વખત થતા જિલ્લામાં પાણીનો પુરતો જથ્થો સંગ્રહિત થયો છે.

સાર્વત્રીક વરસાદના પગલે જિલ્લાના પાંચ ડેમમાંથી ચાર ડેમ ઓવરફલો અને કમલેશ્વર ડેમ, હિરણ-1 ડેમ 90% ભરાઈ જતા ઓવરફલો થવાની શકયતાના પગલે હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે.

કોડીનારના જીવાદોરી સમાન શિંગોડા ડેમમાં નવા નીરની આવકના પગલે ઓવરફલો થતા શિગોડા નદીમાં ઘોડાપુર સર્જાયું હતું. શિગોડા ડેમના ત્રણ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. ઉના-ગીરગઢમાં આવેલા આવેલા રાવલ ડેમમાં 10 ફૂટ નવા નીરની આવક થતાં ઓવરફલોના પગલે છ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા. જો કે પાણીની આવક ઘટતા રાવલના દરવાજા બંધ કરી ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા.

ધામળેજના બરડા બંધારા ડેમ ઓવરફલો થતાં સોમતી નદીમાં ઘોડાપુર સર્જાયું હતું.

હિરણ-2, મછુન્દ્રી ડેમ સતત ચોથા દિવસે ઓવરફલો થતાં પાંચ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા હતા. હિરણ-1, કમલેશ્વર ડેમ 90 થી 95 % નવા પાણીથી ભરાય જતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી.

જૂનાગઢ જિલ્લા સિંચાઈ વિભાગ હેઠળના ડેમો જળાશયોમાં રવિવારે 2 થી 6 ઈંચ વરસાદ બાદ નવા નીરની આવક થતાં સિંચાઈ વિભાગ દ્વારા પાણીનું લેવલ જાળવવા માટે હિરણ-1માં 4 દરવાજા, રાવલમાં 6 દરવાજા, સાબલીમાં 2, મધુવંતીમાં 2 દરવાજા ખોલ્યા હતા જે અવિરત ઓવરફલોના પગલે હિરણ-2માં ત્રણ, શિંગોડાના ત્રણ, રાવલના ત્રણ, ઓઝત-2ના 2, સાવલીનો 1, વૃજમીનો-1, રાણા ખીરસરાનો-1 દરવાજો ખોલતા નદીઓમાં ઘોડાપુર સર્જાયા હતા.

માણાવદર પંથકના બાંટવા ખારા ડેમ, રસાલા ડેમ, સણોસરા ડેમમાં નવા નીરના પગલે ભારે પ્રવાહ સાથે ઓવરફલો થઈ રહ્યો છે. બાંટવા ખારો ડેમ ઓવરફલો પગલે કુતિયાણા તાલુકાના તરખાઈ, ધરસણ, ગઢવાણા, રેવદ્રાના હેઠવાસના ગામ લોકોને નદીના પટમાં કુતિયાણા તંત્રએ જવાની મનાઈ ફરમાવી હતી.

પોરબંદરના રાણાવાવમાં બરડા ડુંગરમાં મધ્યે આવેલા ફોદળા ડેમમાં 27 ફૂટ પાણી, ખંભાળા ડેમમાં 18 ફૂટ નવા નીરની આવક થઈ હતી.

રાજકોટ સિંચાઈ વર્તુળ યોજના હેઠળના ડેમમાં મોરબીનો મચ્છુ-1, મચ્છુ-2, મચ્છુ-3, ડેમી-1, ડેમી-2, ડેમી-3 ડેમ ઓવરફલો થયા હતા. જ્યારે જામનગર જિલ્લાનો ફુલઝર-1, આજી-4, પન્ના, ફોફળ ડેમ, રંગમતી, રૂપારેર, સરસોઈ, ઉંડ-1-2-3, દ્વારકા જિલ્લાનો વર્તુ-1, વેરાડી-1, ત્રિવેણી ઠાંગા, વાછપરી, વેરી, ઉમીયા સાગર ડેમ ઓવરફલો થયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાનો ભોગાવો-1-2, લીંબણી, ફાડદંગ બેટી, સોનમળી સહિત આજી-1-2-3, ભાદર-2, શાપરાવાડી-2, ધોળીધજા ડેમ, કોણકી ડેમ, કોબા ડેમ, ગોંડલી, કંકાવટી, કરમાળ, લાલપરી મળી કુલ 79 ડેમોમાંથી 51 ડેમો નવા નીરથી સતત ઓવરફલો થઈ રહ્યાં છે.

September 9, 2019
narmada_dam.jpg
1min6050

કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ ચોમાસાની મોસમમાં આઠ સપ્ટેમ્બર રવિવારના રોજ નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર ૧૩૬.૧૭ મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હતી. નર્મદા ડેમના ૧૨ દરવાજા ખોલાવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા ડેમે ૧૩૬.૧૭ મીટરની સપાટી પાર કરી હતી. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં ૪,૪૦,૨૮૯ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૩,૨૦,૮૧૯ ક્યુસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો. નવમી ઓગષ્ટ ૨૦૧૯ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે છ યુનિટ સતત વીજ ઉત્પાદન કરી રહ્યા છે અને આઠ સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ સુધી ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૭૫૦૪ મેગાવોટ વીજ ઉત્પાદન કરવામાં આવ્યુ હતુ. નર્મદા નિગમના ચીફ ઈજેનરે જણાવ્યું હતું કે હાલ ડેમની ૧૩૬.૧૭ મીટર સપાટી જે આટલા વર્ષોમાં ઐતિહાસિક સપાટી છે અને ૧૩૮.૬૮ મીટર જે ડેમની મહત્તમ સંપત્તિ છે જ્યાં સુધી ડેમ ભરવામાં આવશે ત્યારે આવનારા સમયમાં ગુજરાતને ચોક્કસ ફાયદો થશે.