લિથિયમ-આયન બેટરી તૈયાર કરીને સ્માર્ટફૉન્સ, લેપટોપ અને ઇલેક્ટ્રિક વાહનોની બેટરીના ઉત્પાદનમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ અમેરિકાના ૯૭ વર્ષીય વિજ્ઞાની જૉન ગુડઇનફ, બ્રિટનના સ્ટેન્લી વિટીંગહેમ અને જાપાનના અકિરા યોશીનોને રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક આપવાની જાહેરાત કરાઇ હતી.
નોબેલ પુરસ્કાર આપતી સંસ્થા રોયલ સ્વિડિશ એકેડેમી ઑફ સાયન્સીસે જણાવ્યું હતું કે આ ત્રણ વિજ્ઞાનીની વચ્ચે પુરસ્કારના ૯૦ લાખ સ્વિડિશ ક્રોનોર (અંદાજે ૯,૧૪,૦૦૦ અમેરિકી ડૉલર અથવા ૮,૩૩,૦૦૦ યુરો) વહેંચી દેવાશે. જ્યુરીએ જણાવ્યું હતું કે વજનમાં હલકી, ફરી ચાર્જ કરી શકાતી, શક્તિશાળી બેટરીઓ હવે મોબાઇલ ફૉન્સ, લેપટોપ્સ, ઇલેક્ટ્રિક વાહનો વગેરેમાં વપરાય છે અને તેની મદદથી સૌરઊર્જા તેમ જ પવનઊર્જાનો પણ સંગ્રહ કરી શકાય છે.
આ શોધને લીધે પ્રદૂષણ પેદા કરતા ઈંધણનો વિકલ્પ મળ્યો છે. તેણે જણાવ્યું હતું કે લિથિયમ બેટરીઓ ૧૯૯૧માં વેચાણ માટે બજારમાં આવી ત્યારથી આપણા જીવનમાં ક્રાંતિ આવી છે. લિથિયમ ઘણી હલકી ધાતુ હોવાથી પાણી પર તરે છે. ૧૯૭૦ના દાયકામાં ખનિજ તેલની કટોકટી ઊભી થઇ હતી ત્યારે ઊર્જાના વૈકલ્પિક સ્રોત તરીકે અમેરિકાના વિજ્ઞાની જૉન ગુડઇનફે લિથિયમ બેટરી તૈયાર કરી હતી.
ભારતીય હવાઈ દળના માનદ્ ગ્રુપ કૅપ્ટનની પદવી મેળવનાર સૌપ્રથમ રમતવીર સચિન તેન્ડુલકરે મંગળવારે ઉત્તર પ્રદેશમાં હિન્ડન હવાઈ મથક ખાતે હવાઈ દળના ૮૭મા વાર્ષિક દિનમાં ભાગ લીધો હતો. આ બૅટિંગ-લેજન્ડની પત્ની અંજલિ તેમ જ હવાઈ દળ, લશ્કરી દળ અને નૌકા દળના વડાઓ પણ પરેડ સહિતના આ પ્રસંગે ઉપસ્થિત હતાં.
આવકવેરા વિભાગે સોમવારે ઇ-એસેસમેન્ટ સ્કીમ લોન્ચ કરી હતી જેમાં કરદાતા અને તેના એસેસિંગ ઑફિસર વચ્ચે કોઇ કડી રહેશે નહીં. રેવેન્યુ સેક્રેટરી અજય ભૂષણ પાંડેએ નેશનલ ઇ-એસેસમેન્ટ સેન્ટર (એનઇએસઇ) લોન્ચ કર્યું હતું અને શરૂઆતમાં નવી સ્કીમ હેઠળ ૫૮,૩૨૨ કેસની પસંદગી કરવામાં આવી હતી.
આ યોજનાના અમલ માટે આઇટી વિભાગના ૨,૬૮૬ અધિકારીઓને નિમવામાં આવ્યા છે. એસેસમેન્ટ વર્ષ ૨૦૧૮-૧૯ માટે ઇ-નોટિસો મોકલી આપવામાં આવી છે. કરદાતાઓને તેમના નોંધાયેલા ઇ-ફાઇલિંગ એકાઉન્ટ અને ઇમેઇલ ચેક કરવાની સૂચના આપવામાં આવી છે અને ૧૫ દિવસમાં જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. પાંડેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, સ્ક્રુટિની માટે જેમનો પણ કેસ પસંદ કરવામાં આવ્યો હોય તેઓ બધા ડૉક્યુમેન્ટ્સ ઓનલાઇન ફાઇલ કરી શકશે જે તે કેસના એસેસમેન્ટ અધિકારી પણ ડ્રો કરીને પસંદ કરવામાં આવશે. આમાં એસેસમેન્ટ અધિકારી અને કરદાતા વચ્ચે કોઇ સંપર્ક ન હોવાથી ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ કહેવામાં આવે છે અને નાણાં પ્રધાન સીતારામને જુલાઇમાં પોતાના બજેટ પ્રવચનમાં આ અંગેની જાહેરાત કરી હતી.તેમણે તે વખતે કહ્યું હતું કે વર્તમાન પ્રણાલિમાં કરદાતા અને આવકવેરા અધિકારી વચ્ચે સંપર્ક થતો હોવાથી કેટલીક અનિચ્છનીય પ્રવૃત્તિ થવાની સંભાવના છે. આવી પ્રવૃત્તિ નિવારવા ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ તબક્કાવાર દાખલ કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના લિવિંગ સટિર્ફિકેટમાં નામ, અટક અને જન્મ તારીખમાં ધો.૧૨ સુધી ફેરફાર કરી શકાશે તેવી જાહેરાત રાજ્ય શિક્ષણ વિભાગે કરી હતી. તેમજ આ સત્તા જે તે જિલ્લાના ડીઇઓને આપવામાં આવી હતી. અગાઉ ધો.૧૦ પહેલા જ આ પ્રકારનો ફેરફાર કરી શકાતો હતો.
શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યા અનુસાર શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં ફેરફાર કરવા અંગેની પ્રવિધિમાં જણાવ્યું હતું કે, વિનિમય ૧૨(ક)(૬)ની જોગવાઈ આ મુજબ વિદ્યાર્થીએ શાળા છોડી દીધા પછી શાળા રેકર્ડમાંની નોંધોમાં ફેરફાર કરી શકાશે નહિ. વિનિમય ૧૨(ક)(૬)ની જોગવાઈ ધ્યાને લેતા વિદ્યાર્થી ખરેખર શાળામાં હાલ ધો.૯થી ૧૨ પૈકી કોઈપણ ધોરણમાં અભ્યાસ ચાલુ હોય તેવા કિસ્સામાં શાળા છોડ્યાના પ્રમાણપત્રમાંની નોંધોમાં ફેરફાર કરવાની સત્તા જિલ્લા શિક્ષણાધિકારીને રહેશે.
નવેમ્બરથી ટેકાના ભાવથી મગફળીની ખરીદી માટે સરકારે નોંધણીનું કામકાજ શરું કર્યું હતુ. પરંતુ ખાટલે મોટી ખોટ હોય એમ પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ થયો હતો. કેટલાક સેન્ટરોમાં સર્વર સાવ ધીમા હતા. ક્યાંક પૂરતી જાણકારીના અભાવે ખેડૂતો હેરાન થયા હતા. જનરેટ થયેલા ઓટીપી ખેડૂતોના મોબાઇલમાં જતા હતા અને મોબાઇલ ખેડૂતો ઘેર મૂકી આવતા પણ પરેશાની થઇ હતી.
ગુજરાતભરમાં આશરે 19થી 20 હજાર જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી.
રાજકોટના જૂના યાર્ડમાં રાતથી જ ખેડૂતો આવી પડયા હતા. સવારે 10 વાગ્યે નોંધણી માટે સર્વર ડાઉન થઇ જતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. જોકે અર્ધી કલાકમાં પૂર્વવત થઇ જતા નોંધણી આરંભાઇ હતી. જિલ્લાના 11 યાર્ડોમાં 815 નોંઘણી થઇ હતી. ગ્રામસેવકોનો ઉમેરતા કુલ આંકડો 4000 નજીક પહોંચ્યો હતો.
પુરવઠા નિગમના અધિકારીએ કહ્યું કે, ખેડૂતો ઉમટી પડતા લોડ વધી ગયો હતો અને કામકાજ ખોરવાયું હતુ. જોકે એ પછી પૂર્વવત થયુ હતુ. બાદમાં ઓટીપીને લઇને સમસ્યા થઇ હતી. નોંધણીમા ઓટીપી બનતા હતા તે મોબાઇલમાં જતા હતા અને ઘણા ખેડૂતોના મોબાઇલ ઘેર હતા એટલે સર્વર ઠપ થઇ જતા હતા. જોકે જે ખેડૂતોની સમસ્યા થઇ તેમને ટોકન આપી દેવાયા હતા.
ગુજરાતમાં કુલ 124 જેટલા કેન્દ્રો પર થનારી ખરીદી માટે નોંધણી શરું થતા આરંભે નોંધણી શરું થઇ હતી. સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોએ સમસ્યા ભોગવી હતી. જૂનાગઢના કેન્દ્રમાં ખેડૂતોને અપૂરતી જાણકારી હોવાને લીધે હજારો ખેડૂતો એકત્ર થઇ ગયા હતા. જોકે યાર્ડના સત્તાવાળાઓએ દોડી જઇને ગ્રામ સેવકોને ત્યાં પણ નોંધણી થતી હોવાનું સમજાવતા મામલો થાળે પડયો હતો. સરકારે ગ્રામસેવકનો પ્રચાર ન કરતા અસંખ્ય ખેડૂતોને ધરમધક્કો થયો હતો.’ જામકંડોરણામાં શાંતિપૂર્વક નોંધણી શરું થઇ હતી.
જામનગરના હાપા માર્કાટિંગ યાર્ડમાં પણ 200 જેટલા ખેડૂતો પોતાની મગફળી વેચાય તે માટે રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા હતા પરંતુ નોંધણી થઇ નહીં અને અંતે પુરવઠા અધિકારી અને ખેડૂતો વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ ગઇ હતી.
ખેડૂતોએ કહ્યું’ કે, નોંધણી વખતે દરેક કેન્દ્રો ઉપર પાંચ પાંચ ટીમ રાખવાની વાત થઇ હતી પણ કોઇ ટીમ દેખાતી ન હતી.એ કારણે નોંધણી વિના ખેડૂતોને પરત ફરવું પડયું હતુ.
ગ્રામપંચાયત ઉપરથી પણ રજીસ્ટ્રેશન વ્યવસ્થા કરવાની જાહેરાત તો થઇ હતી પરંતુ પહેલા દિવસે કશં’ થયું ન હતુ. હવે સરકારે વ્યવસ્થા સઘન બનાવવી પડશે.
સરકાર દ્વારા તાલીમાર્થી (ટ્રેઇની-એપ્રેન્ટિસશિપ) નિયમ -1992માં સુધારાઓનું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ દેશમાં કુશળ શ્રમબળ વધારવા અને પ્રશિક્ષુઓની તાલીમવૃત્તિ (સ્ટાઇપેન્ડ)માં વધારો કરવાનો છે.
ટ્રેઇની નિયમ 2019 અંતર્ગત કોઈપણ એકમમાં તાલીમાર્થીની ભરતીની સીમા વધારીને કુલ શ્રમબળના 1પ ટકા જેટલી કરવામાં આવશે. આ ઉપરાંત તેમને ચૂકવાતું સ્ટાઇપેન્ડ પણ વધારીને માસિક 9 હજાર રૂપિયા કરવામાં આવશે.
આ ઉપરાંત ફરજિયાત પ્રતિબદ્ધતા હેઠળ ટ્રેઇનીની સેવા લેવા માટે કોઈપણ સંસ્થાના કદની મર્યાદા પણ 40થી ઘટાડીને 30 કરવામાં આવી છે.
કૌશલ્ય વિકાસ મંત્રી મહેન્દ્રનાથ પાંડે દ્વારા આજે એક કાર્યક્રમના ઉપક્રમે કહેવામાં આવ્યું હતું કે, કાયદામાં નોંધપાત્ર સુધારાઓ કરવામાં આવ્યા છે અને તેનાથી સ્ટાઇપેન્ડની રકમ બમણા જેટલી વધી જશે. આ ઉપરાંત ટ્રેઇનીની સંખ્યા પણ વધીને 2.6 લાખ જેટલી થવાનો અંદાજ છે.
વી મુંબઈથી ગેટવે ઓફ ઈન્ડિયાની વચ્ચે સ્પીડ-બોટ ઓપરેટ કરવાની પરવાનગી આપવાની યોજના મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડ (એમએમબી) બનાવી રહ્યું છે. બોર્ડે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (એમબીપીટી)ને આ માટે બર્થિગ સ્પેસ (બોટ લાંગરવા માટેની જગ્યા) પૂરી પાડવા માટે પત્ર લખ્યો છે. ‘ગેટવે ઓફ ઈન્ડિયા પર બર્થિંગ સ્પેસ પૂરી પાડવા માટે અમે એમબીપીટીને પત્ર લખ્યો છે. તેમની પ્રતિક્રિયા બાદ અમે સ્પીડ બોટ સર્વિસ શરૂ કરી શકીશું. ગેટવે ઓફ ઈન્ડિયા, નેરુળ અને ેલાપુર વચ્ચે રોજિંદી સેવા શરૂ કરવામાં ખાનગી ઓપરેટરોએ રસ દેખાડ્યો છે’, એમ એમએમબીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. અપોલો બંદર અને પૂર્વ જળસીમા પર નિયંત્રણ ધરાવનાર એમબીપીટી તરફથી જરૂરી મંજૂરીઓ મળી જાય તો એક મહિનામાં આ સેવા શરૂ કરી શકાશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
‘એમબીપીટી તરફથી પરવાનગી મળ્યા બાદ વધુ ઓપરેટરો પણ આ યોજનામાં જોડાશે. સ્પીડ-બોટ સેવા શરૂ થયા બાદ નવી મુંબઈ અને દક્ષિણ મુંબઈ વચ્ચે પ્રવાસ કરવાનું સરળ થઇ જશે તથા પ્રવાસ સમયમાં અડધા કલાકથી ૪૦ મિનિટનો ઘટાડો થશે. પ્રવાસીઓ માટે ફેરી વાર્ફના બદલે ગેટવે ઓફ ઈન્ડિયા જ યોગ્ય જગ્યા રહેશે, કારણ કે ફેરી વાર્ફમાં લાસ્ટ-માઇલ કનેક્ટિવિટીની સમસ્યા સર્જાશે, એમ તેમણે જણાવ્યું હતું.
એમએમબી દ્વારા ઘણા સમયથી વિલંબિત પડેલા રેડિયો ક્લબ ખાતે જેટ્ટીના પ્રસ્તાવની પણ સમીક્ષા કરવામાં આવી હતી. એમએમબીના અધિકારીએ જણાવ્યું હતું કે જેટ્ટી માટે એમબીપીટી સાથે કરાર કરવાની જરૂર છે.
ગુટખા તથા તમાકુની બનાવટો નીચા ભાવે ખરીદી અત્યંત ઊંચા ભાવે એસઈઝેડને વેચી ખોટાં બિલો ઊભાં કરીને સમગ્ર ગેરરીતિ આચરાતી હતી. આવા 400 કરોડના વ્યવહાર એસઈઝેડમાંથી અને કુલ્લે 1000 કરોડનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.
કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રમાં કાર્યરત કેટલાક ઉદ્યોગગૃહ મારફતે ચાલી રહેલા ઈનપુટ ટેકસ ક્રેડિટ મેળવવાના વ્યાપક ષડયંત્રનો ડાયરેકટોરેટ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સે પર્દાફાશ કરતાં કરચોર તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
ડીજીજીઆઈના એડિશનલ ડાયરેકટર જનરલ વિવેકપ્રસાદની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે દિલ્હીના નેશનલ કેપિટલ રિજિયન (એનસીઆર) સ્થિત અંદાજે 20 જેટલી નિકાસી પેઢીઓ, કંપનીઓ દ્વારા એસઈઝેડની કેટલીક કંપનીઓ સાથે મળીને આ ગેરરીતિ ચલાવાતી હતી.
બાતમીને આધારે ડીજીજીઆઈના’ અધિકારીઓની ટીમે એસઈઝેડના ત્રણ એકમ તથા એનસીઆર સ્થિત નિકાસકારો અને તેમના ગોદામોની તપાસ હાથ ધરતાં આ ભાંડો ફૂટયો હતો. આ નિકાસકારો દિલ્હી તથા આસપાસમાંથી ગુટખા તથા તમાકુના અન્ય ઉત્પાદનો નજીવી કિંમતે ખરીદી 3000 ટકા જેટલું વિશાળ ઓવર વેલ્યુએશન કરતા હતા અને પછી ઈનપુટ ટેકસ ક્રેડિટ મેળવતા હતા.
એક ગણતરીપૂર્વકનું ષડયંત્ર હતું. ગુટખા તથા તમાકુના ઉત્પાદનો ઉપર 93 તથા 188 ટકા વેરો લાગુ પડે છે. આ ઓવર વેલ્યુએશનને કારણે ઈનપુટ ટેકસ ક્રેડિટ ખૂબ મોટી થઈ જાય છે. જે માલની મૂળ કિંમતથી વધી જાય છે.
તમાકુના આવાં ઉત્પાદનો સીધાં ઉપભોકતા સાથે સંકળાયેલાં હોવાથી તેનાં જીએસટી ભરેલાં ઈન્વોઈસ મેળવવા સહેલાં છે. બિલ બનાવ્યા વિના જ તેનું વેચાણ પણ થઈ શકે છે. નોઈડા સ્થિત કેટલાક યુનિટ ઊતરતી ગુણવત્તાના જર્દા, કિમામ, ફિલ્ટર ખૈનીનું કરવેરા ચૂકવ્યા વિના જ ઉત્પાદન કરે છે અથવા તો સ્થાનિક બજારમાંથી રૂા. 150થી 350 પ્રતિ કિલોના ભાવે ખરીદે છે. ત્યાર પછી આ માલ રૂા. 5000થી 9000 પ્રતિ કિલોએ એસઈઝેડ સ્થિત યુનિટને નિકાસ કરે છે. ડીજીજીઆઈએ આવા ફર્જી વ્યવહાર શોધી કાઢયા છે. કંડલા એસઈઝેડમાંથી તેનો ઈનપુટ ટેકસ ક્રેડિટ માગવાનો આંકડો 400 કરોડ થવા જાય છે. આ તપાસ દરમ્યાન ડીજીજીઆઈ આવા 25 સપ્લાયર્સને શોધી શકી છે. જે આસામ, બિહાર, દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ફેલાયેલા છે. આ તમામે રૂા. 1000 કરોડના જાલી ઈન્વોઈસ એનસીઆર સ્થિત નિકાસકારોને પૂરાં પાડયાં છે.
ષડયંત્ર પ્રકાશમાં આવતાં એજન્સીએ તત્કાળ 300 કરોડની ઈનપુટ ટેકસ ક્રેડિટ અટકાવી દીધી છે અને વધુ 100 કરોડ સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણથી જીએસટીની ચોરી કરનારાં તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
આજની બે ઇવેન્ટ સુરતના વિકાસમાં નિર્ણાયક બનશે, વિશ્વની નજર સુરત પર
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
કહેવાય છે કે શ્રાધ્ધ પક્ષમાં શુકનવંતી શરૂઆત શક્ય નથી પરંતુ, મનમોજીલા સુરતીઓના શહેરમાં શરૂઆત કરવા માટે કોઇ મૂહૂર્ત કે ઘડીની રાહ જોવાતી નથી. તક મળે એટલે સુરત વિકાસનું ડગલું ભરી લે છે પછી ભલે એ અમાસ હોય કે શ્રાદ્ધ. આજે શ્રાદ્ધ પક્ષના દિવસે જ સુરતમાં બે મોટી ઇવેન્ટ થવા જઇ રહી છે, ભૂતકાળમાં ક્યારેય નહીં યોજાયેલી બન્ને ઇવેન્ટસ પર ભારત જ નહીં દુનિયાની નજર ઠરી છે અને આ બન્ને ઇવેન્ટસ સુરતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એમાં બે મત નથી.
આજે સુરતમાં 24,300 કેરેટ રફ ડાયમંડની હરાજી પૂર્વે વ્યૂઇંગ શરૂ થશે, ગુજરાતભરમાંથી હીરા ઉદ્યોગપતિઓ આવી પહોંચ્યા
આજે દિવસ દરમિયાન સુરતમાં પહેલી વખત 24300 રફ ડાયમંડ (કાચા હીરા)ની જાહેર હરાજી માટે ડાયમંડ વ્યુઇંગ શરૂ થશે. સુરત તેમજ ગુજરાતભરના ડાયમંડ વેપારીઓ આજે સુરત આવશે. સુરત નજીક ઇચ્છાપોર ખાતે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના નેજા હેઠળ સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ખાતે 24,300 રફ ડાયમંડ કે જે મધ્યપ્રદેશ સ્થિત પન્ના માઇન્સ ખાતેથી મેળવાયા છે. આ હીરા કેવા છે એ વેપારીઓ ત્રણ દિવસ સુધી જોઇ શકશે અને ચોથા દિવસથી તેની ઓનલાઇન હરાજી થવાની છે.
અબજો રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતા સુરતના હીરા ઉદ્યોગમાં અગાઉ ક્યારેય આ પ્રકારે કાચા હીરાની જાહેર હરાજી થઇ નથી. કાચા હીરા મેળવવા માટે સુરત સમેત ગુજરાતના હીરા કારખાનેદારો, ઉધોગપતિઓએ મુંબઇ કે વિદેશમાં જવું પડતું હતું. આજે પહેલી વખત યોજાઇ રહેલી 24,300 રફ ડાયમંડની હરાજી એ બાબતને નિયત કરશે કે ભવિષ્યમાં સુરતમાં ઇન્ટરનેશનલ લેવલની ડાયમંડ હરાજીઓ આકાર પામશે.
સુરત સ્થિત જીજેઇપીસીની રિજિયોનલ ઓફિસના ચેરમેન શ્રી દિનેશ નાવડીયા અને તેમની ટીમના પ્રયાસો આજે સફળ નિવડશે. તેમણે નાંખેલો પાયો આગામી દિવસોમાં ઇન્ટરનેશનલ લેવલ પર સુરતને લઇ જશે એમાં હવે કોઇ અવરોધ રહ્યો નથી.
આજે લાલભાઇ સ્ટેડીયમ ખાતે સુરતને મળેલી સૌપ્રથમ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચના મંડાણ, ઇન્ડિયા વિ. સાઉથ આફ્રિકાની પ્રથમ ટીટ્વેન્ટી મેચ
60 લાખની વસતિ ધરાવતા સુરત શહેરમાં એવી કોઇ સુવિધા ભાગ્યેજ નહીં હોય જે અન્ય શહેરોમાં હશે, આમ છતાં સુરત શહેરને જે સુવિધા, ટ્રીટમેન્ટ, વ્યવહાર મળવો જોઇએ એ મળવામાં વિલંબ થતો આવ્યો છે. પછી ભલે એ ફ્લાઇટ્સ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલેટીઝ હોય કે પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ હોય. વડોદરા જેવા નાના શહેરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો રમાઇ ચૂકી છે, રાજકોટમાં રમાય છે પણ સુરતમાં હજુ સુધી એકેય મેચ રમાઇ નથી. આજે સાંજે 6 વાગ્યાથી સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે શરૂ થનારી ભારત વિરુદ્ધ આફ્રિકાની મહિલા ક્રિકેટ ઇન્ટરનેશનલ ટી ટ્વેન્ટી મેચ સાથે સુરત નવી શરૂઆત કરશે. સુરતની નવી ઇનિંગમાં આઇ.પી.એલ. કે ઇન્ટરનેશનલ મેઇન ટીમની મેચ મળવાની શક્યતાઓ પણ વધી જવા પામી છે.
ક્રિકેટર્સ, કોચ, રાહુલ દ્રવિડ જેવા શક્તિશાળી પ્રતિભા સુરતના સ્ટેડીયમ અને અન્ય ફેસેલિટીઝના વખાણ કરી ચૂક્યા છે. પરીણામે આજની વુમન્સ ઇન્ટરનેશનલ ટીટ્વેન્ટી મેચ સુરતના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે એમાં બે મત નથી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.