CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 2 of 142 - CIA Live

May 1, 2026
image.png
1min144

દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે. હવે આ મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર પર આકરા હુમલા કર્યા છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, તેમણે ચૂંટણી બાદ મોંઘવારી વધવાની અગાઉથી ચેતવણી આપી હતી અને હવે તેવું જ થયું છે. તેમણે કહ્યું, આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 993 રૂપિયા વધી ગયા છે. એક દિવસમાં આટલો બધો ભાવ વધારો કરાયો હોય તેવું પહેલીવાર બન્યું છે. તેમણે આ ભાવવધારાને ‘ચૂંટણી બિલ’ ગણાવ્યું છે.

દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂરી થયા બાદ સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભાવમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં હવે એક સિલિન્ડરની કિંમત 3071.50 રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ 1 એપ્રિલના રોજ 2078.50 રૂપિયા હતી. આ વધારાની સાથે જ હવે દેશભરમાં રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું થઇ જશે. રાંધીને ખાવાની વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો આવશે. આ ઉપરાંત સ્ટ્રીટ ફૂડના ભાવ પણ વધી શકે છે. 

April 25, 2026
heat-stroke.jpg
1min159

ગુજરાતમાં ઉનાળાનો અસલી મિજાજ જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો સામાન્ય કરતા 1થી 3 ડિગ્રી ઊંચો નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ(IMD)ના હાલના અહેવાલ મુજબ, શુક્રવારે અમરેલી અને રાજકોટમાં ગરમીએ માઝા મૂકી હતી, જ્યાં પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે.

ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

  • અમરેલી: 43.3°C
  • રાજકોટ: 43.1°C
  • અમદાવાદ: 42.1°C
  • વડોદરા: 41.6°C
  • ગાંધીનગર: 41.5°C
  • ભુજ: 41.4°C
  • સુરત: 40.0°C

માત્ર દિવસ જ નહીં, પણ રાત્રિના તાપમાનમાં પણ વધારો થયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ (27.0°C) નોંધાયું છે, જેના કારણે રાત્રે પણ અસહ્ય ઉકળાટ અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

ભલે દ્વારકા (31.8°C) અને વેરાવળ (32.0°C) જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ઓછું હોય, પરંતુ હવામાન વિભાગે અહીં હોટ ઍન્ડ હ્યુમિડ (ગરમ અને ભેજવાળા) પવનની ચેતવણી આપી છે. એટલે કે, અહીં તાપમાન ભલે ઓછું હોય પણ ભારે ભેજને કારણે પરસેવો અને બફારો વધારે પરેશાન કરશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં કોઈ મોટી રાહત મળે તેવી શક્યતા નથી. આથી નાગરિકોને નીચે મુજબની તકેદારી રાખવા સલાહ આપવામાં આવી છે. બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું. વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહી લેતા રહેવું. સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરવા.

April 21, 2026
earth-quake.png
1min108

Dated 21/04/2026 મંગળવારે વહેલી સવારે 5.59 વાગ્યે પૂર્વોત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર મણિપુરનું કામજોંગ હતું, જ્યાં જમીનથી 62 કિમી ઊંડાઈએ હિલચાલ નોંધાઈ હતી.

ભૂકંપના આંચકા માત્ર મણિપુરમાં જ નહીં, પણ નાગાલેન્ડ, અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ સુધી અનુભવાયા હતા. વહેલી સવારે આવેલા આંચકાને કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.

જોકે સદનસીબે, હજુ સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના અહેવાલ મળ્યા નથી. પૂર્વોત્તર ભારતમાં એપ્રિલ મહિનામાં આ ત્રીજો ભૂકંપ છે. આ પહેલા 7 એપ્રિલે પણ મણિપુરમાં બે વાર આંચકા અનુભવાયા હતા.

ભારતની સાથે જાપાનમાં પણ સોમવારે 7.5ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ત્યાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

April 13, 2026
image-9.png
1min111

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં આકરા તાપથી થઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ હજુ પણ વધવાની શક્યતા છે, જેને પગલે કચ્છ સહિતના વિસ્તારો માટે ખાસ યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી 24 કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ પ્રવર્તશે. ઉકળાટ અને ગરમ પવનોને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા માટે તબીબી સલાહ આપવામાં આવી છે.

રાજકોટમાં આજે (13મી એપ્રિલ) ગરમીએ માઝા મૂકી હતી. 41.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. આકરા તાપને કારણે બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં 40.7 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ, ભુજ અને સુરેન્દ્રનગરમાં પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો.

હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, હાલ રાજ્યભરમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હજુ પણ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આગામી 4-5 દિવસ સુધી ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

April 13, 2026
image-8.png
1min91

આશા ભોસલેના 92 વર્ષે નિધન પછી આજે તેમના પાર્થિવ શરીર તેમના ઘરે લાવવામાં આવ્યું છે. આજે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આવતીકાલે સવારના અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી પાર્થિવદેહના દર્શન માટે રાખવામાં આવશે, ત્યાર બાદ બે વાગ્યા પછી અંતિમયાત્રા કાઢવામાં આવશે. શિવાજી પાર્કમાં ચાર વાગ્યે રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવશે. દરમિયાન મીડિયા સહિત ફોટોગ્રાફરને સંયમપૂર્ણ કવરેજ કરવાની અપીલ કરવામાં આવી છે.

જોકે, આજે 12/04/2026 સાંજના પાર્થિવદેહને ઘરે લાવવામાં આવ્યા પછી ઘરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મનસે પ્રમુખ રાજ ઠાકરે સહિત અન્ય નેતા અને જેકી શ્રોફ હાજર રહીને શ્રદ્ધાંજલિ આપી હતી. એના અગાઉ રાજ્યપાલ, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાનોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપીને પોસ્ટ મૂકી હતી.

મંગેશકર પરિવારની ગાયિકા બહેનોમાં લતા મંગેશકર પછી સૌથી વધુ પ્રસિદ્ધિ મેળવનાર ગિનીસ બુકમાં સ્થાન મેળવનાર, પદ્મ વિભૂષણથી સન્માનિત અને કરોડો ચાહકોના દિલ પર સાત દાયકાથી વધુ સમયથી રાજ કરનાર, સૌના લાડલી ‘તાઈ’ આશા ભોસલેનો ચાહક વર્ગ સામાન્ય વ્યક્તિથી લઈને રાજકારણીઓનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમના નિધનથી ભારતીય સંગીતમાં એક યુગનો અંત આવ્યો છે. ભોસલેનું રવિવારે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં 92 વર્ષની વયે મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે અવસાન થયું.

તાજેતરમાં થયેલી વાતચીતને યાદ કરતાં ફડણવીસે કહ્યું, “અમે વિશ્વ રેડિયો દિવસના કાર્યક્રમમાં સાથે હતા જ્યાં તેમણે મને ‘અભી ના જાઓ છોડકર’ ગાવાનો આગ્રહ કર્યો અને સ્મિત સાથે કહ્યું, ‘જુઓ, મેં મુખ્યપ્રધાન પાસે ગવડાવ્યું’. એ માનવું મુશ્કેલ છે કે હવે તેઓ આપણી વચ્ચે નથી.”ફડણવીસે તેમની ગાયકીની વૈવિધ્યતાને યાદ કરતા ભોંસલેના અવાજને “સંગીતનો આત્મા” ગણાવ્યો હતો. ફડણવીસે કહ્યું કે બદલાતા સમય સાથે સરળતાથી અનુકૂલન સાધનાર તેઓ અનન્ય કલાકાર હતા, જેમની ખોટ પૂરી નહીં શકાય.

રાજ્યપાલ વર્માએ તેમના શોક સંદેશમાં જણાવ્યું હતું કે આશા ભોસલે ભારતે જોયેલા સૌથી કુશળ અને બહુમુખી પ્લેબેક ગાયકોમાંના એક હતા. તેમણે વધુમાં કહ્યું કે તેમનો મધુર અવાજ, વિવિધ શૈલીના સંગીત ગાવાની તેમની ક્ષમતા અને ભારતીય સંગીતમાં તેમના વિશાળ અને વૈવિધ્યસભર યોગદાને ભારત અને વિશ્વભરના સંગીત પ્રેમીઓની અનેક પેઢીઓ પર અમીટ છાપ છોડી છે. રાજ્યપાલે જણાવ્યું હતું કે તેમના પ્રખ્યાત ગીત “જો ભી હૈ બસ યહી એક પલ હૈ”ની પંક્તિ તેમના જીવનની ફિલોસોફી બની ગઈ હતી. રાજ્યપાલે નોંધ્યું કે આશા ભોંસલેએ સ્વર્ગસ્થ આરડી બર્મન સાથે લગ્ન કર્યા હોવાથી તેમના પરિવાર સાથે તેમનો ગાઢ સંબંધ હતો.

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે પેઢીઓને મંત્રમુગ્ધ કરનાર દિવ્ય અવાજ શાંત થઈ ગયો. આશા ભોંસલેને ‘ગાનસામ્રાજ્ઞિ’ની ઉપમા આપતા તેમણે કહ્યું કે, અસંખ્ય હૃદયોને તેઓ જાદુઈ દુનિયામાં લઈ ગયા હતા.

નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે કહ્યું કે આશા ભોંસલેના અવસાનથી સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે, અને “સુરોની મહારાણી” ઇતિહાસમાં વિલય થયો છે. આશા ભોંસલેની કારકિર્દી કલા પ્રત્યેની સખત મહેનત, સાતત્ય અને સમર્પણનું પ્રતીક છે, એમ તેમણે જણાવ્યું.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપી હતી, તેમણે લખ્યું હતું કે તેમણે વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું છે. તેમના નિધનના સમાચાર હૃદયવિદારક છે, એમ તેમણે એક્સ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું. ત્રણ મહિના પહેલા અશાતાઇ સાથે થયેલી મુલાકાત પણ તેમણે યાદ કરી હતી.

April 7, 2026
image-4.png
1min78

Indian Embassy Vietnam Travel Advisory: વિયેતનામ સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાંની મુલાકાતે જતા ભારતીય નાગરિકો માટે એક અત્યંત મહત્ત્વની એડવાઈઝરી બહાર પાડી છે. આ એડવાઈઝરીમાં મુખ્યત્વે બે બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે: ફૂ ક્વોક(Phu Quoc) ટાપુ માટેના વિઝા નિયમો અને મુસાફરી દરમિયાન પાસપોર્ટ ખોવાઈ જવાના કિસ્સામાં ઊભા થતા જોખમો. હાલના સમયમાં ફૂ ક્વોક ટાપુ ભારતીય પ્રવાસીઓ માટે લોકપ્રિય બન્યો છે કારણ કે ત્યાં અમુક મર્યાદાઓ સાથે વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા મળે છે, પરંતુ દૂતાવાસે ચેતવણી આપી છે કે આ છૂટછાટ માત્ર આ ટાપુ પૂરતી જ સીમિત છે.

દૂતાવાસના જણાવ્યા અનુસાર, વિઝા વગર માત્ર ફૂ ક્વોક ટાપુ પર જ રહી શકાય છે, ત્યાંથી વિયેતનામના મુખ્ય ભૂભાગ જેવા કે હો ચી મિન્હ સિટી અથવા હનોઈમાં પ્રવેશ મેળવી શકાતો નથી. જો કોઈ પ્રવાસી પાસે માન્ય વિઝા ન હોય અને ટાપુ પર રોકાણ દરમિયાન કોઈ તબીબી કટોકટી, ફ્લાઈટમાં વિક્ષેપ કે અન્ય કોઈ અનિવાર્ય કારણસર ટાપુ છોડવાની ફરજ પડે, તો તેઓ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. વિઝા વગર મુખ્ય ભૂભાગમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોવાથી તબીબી સારવારમાં વિલંબ, અવરજવર પર નિયંત્રણો અને ઈમિગ્રેશનને લગતી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. આથી, દૂતાવાસે સલાહ આપી છે કે ભલે તમારો પ્રવાસ માત્ર ફૂ ક્વોક ટાપુ પૂરતો જ હોય, તો પણ અગાઉથી યોગ્ય વિયેતનામ વિઝા મેળવી લેવા હિતાવહ છે.

આ ઉપરાંત, બીજી મહત્ત્વની બાબત પાસપોર્ટ ખોવાઈ જવા અંગેની છે. જો કોઈ ભારતીય નાગરિક વિયેતનામમાં પોતાનો પાસપોર્ટ ખોઈ બેસે, તો તેણે તાત્કાલિક જે-તે વિસ્તારના પોલીસ મથકે ફરિયાદ નોંધાવવી પડશે. આ ફરિયાદની નકલ હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસ અથવા હો ચી મિન્હ સિટી સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયામાં જમા કરાવવાની રહેશે. જોકે ભારતીય સત્તાવાળાઓ તે જ દિવસે ઇમરજન્સી સર્ટિફિકેટ અથવા ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પ્રવાસીઓએ વિયેતનામીસ સત્તાવાળાઓ પાસેથી ‘એક્ઝિટ પરમિટ’ મેળવવા માટે ફરજિયાત રાહ જોવી પડે છે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે 3થી 5 કામકાજના દિવસો લાગે છે અને જ્યાં સુધી આ ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી ભારતીય નાગરિકોએ વિયેતનામમાં જ રોકાવું પડે છે, જેના કારણે પરત ફરવામાં વિલંબ થઈ શકે છે.

March 31, 2026
image-15.png
1min51
  • પ્રથમ ચરણ ૧ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન પુરુ કરવામાં આવશે.
  • જૂન 2025માં વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ભારત દેશની વસ્તી ગણતરીનું કાર્ય ૧ એપ્રિલથી શરુ થશે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર જાતિગણના આ પ્રક્રિયાની બીજા તબક્કામાં શરુ થશે જેને જનસંખ્યા ગણના નામ આપવામાં આવ્યું છે. રજિસ્ટ્રાર જનરલ અને જનગણવા આયુકત મુત્યુજય કુમાર નારાયણે પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય જનગણનાની વ્યૂહરચનાનું વિસ્તારથી વર્ણન કર્યુ હતું. વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં આવાસ સૂચીકરણ અને જન ગણના, આવાસની સ્થિતિ, ઉપલબ્ધ સુવિધાઓ અને ઘરેલું સંપતિઓ પર કેન્દ્રીત છે જે બીજા ચરણ માટે એક મૂળભૂત આધાર આપશે.

વસ્તી ગણતરીના બીજા ચરણમાં જનસાંખ્યિકીય,સામાજિક- સાંસ્કૃતિક અને આર્થિક માપદંડો પરના ડેટા પ્રદાન કરે છે જેમાં પ્રવાસન અને પ્રજનનદરનો સમાવેશ થાય છે. વસ્તી ગણતરીનું પ્રથમ ચરણ ૧ એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન પુરુ કરવામાં આવશે. જનગણના ૨૦૨૭માં ૩૬ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો,૭૮૪ જિલ્લા,૫૧૨૭ શહેર અને ૬૩૯૯૦૨ ગામોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ના અપડેશન અંગે અત્યાર સુધી કોઇ નિર્ણય નહી લેવાયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ગત જૂન મહિનામાં કેન્દ્ર દ્વારા એક અધિસૂચના બહાર પાડીને ૨૦૨૭ની વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

March 31, 2026
dolor_vs_rupee.jpg
1min54
  • રૂપિયાને તૂટતો બચાવવા આરબીઆઈના પગલાંની બજાર પર અસર માંડ અડધો કલાક રહી
  • એક જ દિવસમાં રૂપિયા-ડોલર વચ્ચે 167 પૈસાની રેકોર્ડ ઉછળકુદ : શેરબજાર તૂટતાં તથા ક્રૂડ ઉછળતાં રૂપિયા પર દબાણ વધ્યું : 30/03/2026 મોડી સાંજે રૂપિયો તૂટી ૯૪.૭૭ બોલાયો
  • રિઝર્વ બેન્કે કરન્સીમાં સટ્ટાખોરી રોકવા બેન્કો, સટ્ટોડિયાઓ પર 10 કરોડ ડોલરની મર્યાદા બાંધી

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધની આજે 30/03/2026 હુંડિયામણ અને શેર બજાર સહિતના બજારો પર અસર યથાવત્ રહી હતી. બીજીબાજુ આરબીઆઈએ રૂપિયાને તૂટતો બચાવવા માટે લીધેલા પગલાંના કારણે હુંડિયામણ બજારમાં આજે રૂપિયામાં બેતરફી રેકોર્ડ બ્રેક અફડાતફડીના અંતે ડોલર ઉછળી પ્રથમવાર રૂ.૯૫ની સપાટી કુદાવી રૂ.૯૫.૨૪ની નવી ટોચે પહોંચી જતાં રૂપિયો નવા નીચા તળિયે પટકાયો હતો.

આરબીઆઈએ રૂપિયામાં અસ્થિરતા રોકવા લીધેલા પગલાંના કારણે સોમવારે 30/03/2026 સવારે ડોલર સામે રૂપિયો ઝડપી વધ્યો હતો પરંતુ તેની અસર માંડ અડધો કલાક રહી હતી. વૈશ્વિક પરિબળો અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના પગલે રૂપિયામાં ઉછાળો ઉભરા જેવો નિવડયો હતો અને બપોર પછી રૂપિયો ફરી ગબડયો હતો. ડોલરના ભાવ ઇન્ટ્રા-ડે સ્પ્રિંગની જેમ ઉછળી ૯૫.૨૪ પહોંચ્યા હતા. રૂપિયાને ઉગારવા રિઝર્વ બેન્કના વિવિધ પગલાઓ વચ્ચે રૂપિયા સામે ડોલરના ભાવ જે શનિવારે બંધ બજારે રૂ.૯૫ બોલાયા હતા તે સોમવારે સવારે રૂ.૯૩.૫૯ ખુલી નીચામાં ભાવ રૂ.૯૩.૫૭ સુધી બોલાઈ ગયા હતા. જો કે ત્યારબાદ ડોલરના ભાવ ફરી ઉછળી ઉંચામાં ભાવ રૂ.૯૫.૨૪ની ટોચે પહોંચી રૂ.૯૫.૧૧ રહ્યા હતા. શેરબજારમાં નવો કડાકો બોલાતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી બેરલના ઉંચામાં ૧૧૭ ડોલર નજીક પહોંચી ગયાના નિર્દેશો વચ્ચે ં રૂપિયા પર દબાણ ચાલુ રહ્યું હતું

રિઝર્વ બેન્કના સૂત્રોના જણાવ્યા મુજબ ઓનશોર ડિલીવરેબલ માર્કેટમાં દરેક દિવસના અંતે ભારતીય રૂપિયાની નેટ ઓપન પોઝીશન ૧૦ કરોડ ડોલરની સપાટીની અંદર રાખવાનું ઓથોરાઈઝડ ડિલર્સને જણાવવામાં આવ્યું છે. ડોલરમાં તેજીનો સટ્ટો કાબુમાં રાખવા રિઝર્વ બેન્કે આવો આદેશ બહાર પાડતાં મુંબઈ કરન્સી બજારમાં સોમવારે 30/03/2026 સવારે ડોલર સામે રૂપિયો ઝડપી ઉંચકાયો હતો. જો કે ત્યાર બાદ ડોલર ફરી ઉછળતાં રૂપિયો ગબડી રૂ.૯૫ની અંદર જતો રહ્યો હતો.

દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૦.૩૪ થઈ ૧૦૦.૨૫ રહ્યાના નિર્દેશો હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સમાં માર્ચમાં નોંધાયેલી વૃદ્ધિ છેલ્લા ૮ મહિનાની સૌથી મોટી મંથલી વૃદ્ધિ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વોર-ઈફેકટ વચ્ચે વિશ્વ બજારમાં ડોલરમાં સેફ-હેવન બાઈંગ જોવા મળ્યું હતું.

દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૭૫ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૨૪.૧૭ થઈ રૂ.૧૨૫.૩૮ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૨૬ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૦૭.૮૨ થઈ રૂ.૧૦૮.૯૪ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૦૩ ટકા વધી હતી જ્યારે ચીનની કરન્સી ૦.૧૧ ટકા માઈનસમાં રહી હતી.

ડોલર સામે આજે 30/03/2026 રૂપિયામાં બેતરફી ૧૬૭ પૈસાનો ઉછળકુદ નોંધાતા દૈનિક વધઘટનો પણ નવો રેકોર્ડ સર્જાયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. રૂપિયો ગબડતાં તથા ડોલર ઉછળતાં દેશમાં ફુગાવો તથા મોંઘવારી વધશે.

મુંબઈ કરન્સી બજારમાં 30/03/2026 સોમવારે મોડી સાંજે રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઘટી રૂ.૯૪.૭૭ રહ્યા હતા જે ઉંચામાં રૂ.૯૫.૨૪ સુધી ઉછળ્યા હતા. આમ સોમવારે આખા દિવસ દરમિયાન રૂપિયા તથા ડોલરના ભાવમાં બેતરફી મોટી ઉછળકૂદ દેખાઈ હતકી. દરમિયાન, મોડી સાંજે બ્રિટીશ પાઉન્ડના ભાવ રૂ.૧૨૫.૫૧ રહ્યા હતા જ્યારે યુરોના ભાવ મોડી સાંજે રૂ.૧૦૯ બોલાઈ રહ્યા હતા.

March 30, 2026
image-12-1280x720.png
1min55

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ઉર્જા પુરવઠા પર ખૂબ ગંભીર દેખાઈ રહી છે. હાલ LPGની તંગી વચ્ચે LPG પરનું દબાણ ઘટાડવા અને સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ કટોકટીના પગલાની જાહેરાત કરી છે. સત્તાવાર આદેશ અનુસાર, સર

કારે ઘરગથ્થુ વપરાશ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ કેરોસીનની એડ-હોક ફાળવણી કરી છે. આ 60 દિવસની ઈમરજન્સી વ્યવસ્થા હેઠળ ફાળવવામાં આવેલ કેરોસીનનો ઉપયોગ મુખ્યત્વે રસોઈ બનાવવા અને પ્રકાશ માટે કરી શકાશે, જેથી LPGના પુરવઠામાં આવતા અવરોધો સામે લોકોને વૈકલ્પિક ઇંધણ મળી રહે.

નોંધવા જેવી વાત એ છે કે, આ નિર્ણય હેઠળ દેશના એવા 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કામચલાઉ ધોરણે કેરોસીનનું વિતરણ ફરી શરૂ કરવામાં આવશે, જેમને અગાઉ ‘PDS કેરોસીન મુક્ત’ જાહેર કરવામાં આવ્યા હતા. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે જે પરિવારો હાલમાં LPGની મર્યાદાઓ અથવા અન્ય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેમને પાયાની જરૂરિયાતો માટે આવશ્યક ઇંધણની સુવિધા સતત મળતી રહે. આ પગલાથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને મોટી આર્થિક અને વ્યવહારિક રાહત મળવાની અપેક્ષા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ૨૯ માર્ચ, ૨૦૨૬ના રોજ એક મહત્વનું જાહેરનામું બહાર પાડીને દેશભરમાં ઉર્જા પુરવઠા પરના દબાણને હળવું કરવા માટે કટોકટીના પગલાં જાહેર કર્યા છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે ઉર્જા પુરવઠામાં સર્જાયેલા અવરોધોને ધ્યાનમાં રાખીને, સરકારે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ સુપિરિયર કેરોસીન ઓઈલની એડ હોક ફાળવણી કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ, દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ સહિત કુલ ૨૧ એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કે જેમને અગાઉ ‘કેરોસીન મુક્ત’ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યાં ફરીથી ઘરગથ્થુ વપરાશ માટે રસોઈ અને પ્રકાશના હેતુસર કેરોસીનનું વિતરણ કરવામાં આવશે.

આ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે સરકારે પેટ્રોલિયમ નિયમોમાં કેટલીક મહત્વની છૂટછાટો પણ આપી છે. નવા આદેશ મુજબ, જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપ પર હવે ૫,૦૦૦ લિટર સુધી કેરોસીનનો સંગ્રહ કરવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત, એજન્ટો અને ટેન્કર વાહનોને પણ વિતરણ માટે જરૂરી પરવાનાઓમાં વિશેષ મુક્તિ અપાઈ છે જેથી સામાન્ય જનતા સુધી ઇંધણ પહોંચાડવામાં વિલંબ ન થાય.

March 25, 2026
image-11.png
2min56

Uniform Civil Code: 24મી માર્ચ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ‘સમાન નાગરિક સંહિતા’ (UCC) બિલ 2026 રજૂ કરાયું હતું, જે 7:30 કલાકની ચર્ચા બાદ બહુમતી પસાર થઈ ગયું છે. આ સાથે જ UCC બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘ગુજરાત બિલ નંબર 17 ઑફ 2026’ તરીકે ઓળખાતું આ બિલ રજૂ કરાયું હતું, જેના પર ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. કોંગ્રેસે ચૂંટણી આવતા બિલ ઉતાવળેથી લાવવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો હતો. મતદાન સમયે કોંગ્રેસે પ્રવર સમિતિને મોકલવાની માગ કરી વોક આઉટ કર્યું હતું. બહુમતીથી પસાર થયા બાદ આ બિલ પર હવે રાજ્યપાલ સહી કરશે જે બાદ તે કાયદાનું રૂપ ધારણ કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 25 મિનિટનું વિધાનસભામાં પ્રવચન કર્યું, કહ્યું હતું કે ‘સંસ્કૃતિ મિટાવવા માટે બિલ નથી અને આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન નહીં પહોંચે, મહિલાઓ અને બાળકોના ન્યાયની વાત બિલમાં આવરી લેવામાં આવી છે. તમામ પાસાઓની ચર્ચા બાદ આ બિલ લાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ગૃહમાં UCC બિલ રજૂ કરતા જ સત્તાપક્ષમાંથી જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા.’

  • બિલમાં લગ્ન અને છૂટાછેડા અંગેના નિયમો
  • ફરજિયાત નોંધણી: દરેક નાગરિક માટે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
  • દંડની જોગવાઈ: જો લગ્નની નોંધણી કરવામાં નહીં આવે, તો 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
  • બહુપત્નીત્ત્વ પર કડક સજા: એકથી વધુ લગ્ન કરનાર વ્યક્તિને 4 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
  • છૂટાછેડાના સમાન નિયમો: દરેક ધર્મ અને સમાજ માટે છૂટાછેડાના નિયમો એકસમાન રહેશે.
  • કોર્ટની માન્યતા: કોર્ટની બહાર લેવાયેલા છૂટાછેડા અમાન્ય ગણાશે અને આવું કરનાર સજાને પાત્ર રહેશે.
  • લિવ-ઇન રિલેશનશિપ
  • ફરજિયાત રજિસ્ટ્રેશન: લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોએ 3 મહિનાની અંદર તેની નોંધણી કરાવવી પડશે.
  • કાનૂની સુરક્ષા: આ જોગવાઈનો મુખ્ય હેતુ કાનૂની સુરક્ષા આપવાનો અને છેતરપિંડી રોકવાનો છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે લઘુમતી સમાજમાં ચાલતી પિતરાઈ ભાઈ-બહેન સાથેના લગ્નની પરંપરા પર આ કાયદો લાગુ પડશે નહીં. તેમને આ બાબતમાં છૂટ આપવામાં આવી છે.

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ બિલ મુદ્દે જણાવ્યું કે 45 દિવસની જગ્યાએ 1 વર્ષે રિપોર્ટ આવ્યો અને સમિતિમાં લોકોનું પ્રતિનિધિત્ત્વ પણ ન રાખવામાં આવ્યું, અને સરકાર પર એવું તે શું થયુ કે 17મી એ રિપોર્ટ આવ્યો અને 24મી એ સરકારે વિધાનસભામાં બિલ લાવ્યા. તેમણે કહ્યું ચૂંટણીઓ છે એટલે સરકાર બિલ ઉતાવળે લઈને આવી છે.

અમિત ચાવડાએ આક્ષેપ કર્યા કે રિપોર્ટ આપવામાં આવ્યો નથી, ધારાસભ્યોને અભ્યાસ માટે પણ ન આપ્યો અને ઉતાવળે બિલ લાવવામાં આવ્યું છે જેથી ચૂંટણીમાં ફાયદો થાય, સ્થાનિક ચૂંટણીઓમાં OBC અનામત માટેના ઝેવરી કમિશનનો રિપોર્ટ હતો એ રિપોર્ટ હજુ જાહેર કરવામાં આવ્યો નથી અને UCCનો રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ આ સરકાર બિલ લાવવાની વાત આવે ત્યારે રાજકીય એજન્ડા માટે વાત કરે છે.

શું છે UCC બિલના મુખ્ય અંશો?

UCC બિલનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઇન રિલેશનશિપ જેવા વિષયોમાં એકસમાન કાયદો લાવવાનો છે. લગ્ન અને છૂટાછેડાની નોંધણી હવે ફરજિયાત બનશે. લિવ-ઇન પાટનર્સે રજિસ્ટ્રાર પાસે નિવેદન સબમિટ કરવું પડશે. આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર ગણવામાં આવશે અને તેમને તમામ કાયદાકીય સુરક્ષા મળશે. આ કાયદો ગુજરાતમાં રહેતા તમામ લોકો ઉપરાંત રાજ્યની બહાર રહેતા ગુજરાતના મૂળ રહેવાસીઓને પણ લાગુ પડશે.

આ સંહિતામાં વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા લાવવાનો પ્રયાસ છે, પરંતુ સામાજિક સંતુલન જાળવવા માટે અનુસૂચિત જનજાતિઓ (ST) અને લઘુમતી સમાજ, સુરક્ષિત રૂઢિગત અધિકારો ધરાવતા ચોક્કસ જૂથોને આ કાયદાના દાયરામાંથી સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ લાખો લોકોના સૂચનો અને કાયદાકીય પાસાઓનો અભ્યાસ કરીને પોતાનો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને 17 માર્ચે સુપરત કર્યો હતો, જે બાદ આજે વિધાનસભામાં ચર્ચા કરી બિલને પસાર કરવામાં આવ્યું છે.