CIA ALERT

Alert Archives - Page 6 of 519 - CIA Live

July 17, 2026
Fostta-Collector.jpg
1min70

વરસાદથી પ્રભાવિત કાપડ વેપારીઓને સહાય, રાહત યોજનાઓ અંગે માર્ગદર્શન અને હેલ્પડેસ્કની સ્થાપના અંગે

ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન્સ (FOSTTA) પ્રતિનિધિમંડળએ આજે શુક્રવારે ​​સુરતના કલેક્ટર તેજસ પરમારને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું. ફોસ્ટાના પ્રતિનિધિમંડળે તાજેતરના વરસાદ અને જલ-ભરાવની સ્થિતિને કારણે નુકસાન પામેલા કાપડ વેપારીઓને રાહત યોજનાના લાભો ઝડપી અને સરળ રીતે મળે તેવું વ્યવસ્થાતંત્ર કાર્યાન્વિત કરવા માટે કલેક્ટરને વિનંતી કરી હતી.
વધુ માહિતી આપતા ફોસ્ટાના પ્રેસિડેન્ટ હંસરાજ જૈન તેમજ મહામંત્રી દિનેશ કટારીયાએ જણાવ્યું હતું કે ગઇ તા.7 અને 8 જુલાઈના રોજ ભારે વરસાદને કારણે શહેરભરની કમસેકમ 30 ટેકસટાઇલ માર્કેટોના બેઝમેન્ટ અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના પરિણામે હજારો કાપડ વેપારીઓને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું હતું. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજ જાહેર કર્યું છે તેને આવકારતા FOSTTAના પ્રતિનિધિમંડળએ વહીવટીતંત્રને રાહત યોજના, જરૂરી દસ્તાવેજોની યાદી અને અરજી પ્રક્રિયા વિશેની રજેરજની માહિતી તાત્કાલિક વેપારીઓ સુધી પહોંચાડવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

FOSTTAના પ્રતિનિધિમંડળએ અસરગ્રસ્ત વેપારીઓને મદદ કરવા અને વહીવટીતંત્ર સાથે અસરકારક રીતે સંકલન કરવા માટે અધિકૃતતાની માંગ કરી, ખાતરી કરી કે રાહત યોજના સંબંધિત માહિતી સમયસર તમામ અસરગ્રસ્ત વેપારીઓ સુધી પહોંચે.

વધુમાં, FOSTTAના પ્રતિનિધિમંડળએ પોતાની ઓફિસમાં ટેક્ષટાઇલ વેપારીઓને રાહત યોજનાની માહિતી મળી શકે તે માટે એક ડેડિકેટેડ હેલ્પડેસ્ક શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. દિનેશ કટારીયાએ જણાવ્યું હતું કે જો કોઈ વેપારીને ઓનલાઈન કે ઓફલાઈન અરજીઓ ભરવામાં, જરૂરી દસ્તાવેજો તૈયાર કરવામાં અથવા પ્રક્રિયાના કોઈપણ ભાગમાં નેવિગેટ કરવામાં મુશ્કેલીઓ નડતી હોય, તો તેઓ સહાય માટે સીધા FOSTTA ઓફિસનો સંપર્ક કરી શકે છે. આ FOSTTA હેલ્પડેસ્ક તમામ અસરગ્રસ્ત વેપારીઓને મફત માર્ગદર્શન અને સહાય પૂરી પાડશે.

FOSTTA એ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જિલ્લા વહીવટીતંત્ર આ વિનંતી પર સકારાત્મક નિર્ણય લેશે અને અસરગ્રસ્ત કાપડ વેપારીઓને નિયત સમયમર્યાદામાં રાહત યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવામાં સહયોગ કરશે.

July 17, 2026
Dinesh-Navadiya-1280x971.jpg
1min52

CiA Live ન્યુઝ વેબ

સુરત કે દક્ષિણ ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર રાજ્યમાં પહેલી હરોળમાં સ્થાન પામતી સુરતની વરાછા કો.ઓ. બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે હીરા ઉદ્યોગના આગેવાન અને ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડીયાની વરણી કરવાનો ઠરાવ કરીને વરાછા બેંક મેનેજમેન્ટ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને મંજૂરી અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. જેના પ્રતિસાદમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી દિનેશ નાવડીયાની વરણીને મંજૂરી આપવામાં આવી છે. બેંકના ચેરમેન નરેન્દ્રભાઇ કુકડીયા તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં દિનેશ નાવડીયાએ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકેનો ચાર્જ અખત્યાર કર્યો હતો.

આ પ્રસંગે દિનેશ નાવડીયાએ મિડીયા કર્મીઓને સંબોધતા જણાવ્યું હતું કે વરાછા કો-ઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે મારી વરણીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મંજૂરી મળતાં હું બેંકના તમામ સભાસદો, થાપણદારો, ગ્રાહકો, શેરહોલ્ડરો અને બોર્ડના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા પર મૂકવામાં આવેલા વિશ્વાસને હું એક મોટી જવાબદારી તરીકે સ્વીકારું છું.

વરાછા કો-ઓપરેટિવ બેંકે છેલ્લા ઘણા વર્ષોથી પારદર્શિતા, વિશ્વસનીયતા અને ગ્રાહકકેન્દ્રિત સેવાઓના આધારે ગુજરાતની અગ્રણી સહકારી બેંકોમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. આ પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવવાનો અમારો સંકલ્પ રહેશે.

આગામી સમયમાં બેંકના વહીવટમાં સુશાસન (Good Governance), પારદર્શિતા, નિયમનકારી માળખાનું સંપૂર્ણ પાલન, જોખમ વ્યવસ્થાપન (Risk Management) અને આધુનિક બેંકિંગ સેવાઓના વિસ્તરણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ડિજિટલ બેંકિંગને વધુ સશક્ત બનાવવાની સાથે ગ્રાહકોને ઝડપી, સુરક્ષિત અને ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું અમારી પ્રાથમિકતા રહેશે.
સહકારી ક્ષેત્રની મૂળ ભાવના અનુસાર નાના વેપારીઓ, ઉદ્યોગસાહસિકો, મહિલાઓ, યુવાનો, વ્યાવસાયિકો તથા સામાન્ય ગ્રાહકોની

નાણાકીય જરૂરિયાતોને વધુ અસરકારક રીતે પૂરી કરી શકાય તે માટે નવા આયામો પર કામ કરવામાં આવશે. બેંકના મજબૂત નાણાકીય પાયા, થાપણદારોના હિતોની સુરક્ષા અને સતત વિકાસ માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, કર્મચારીગણ અને તમામ હિતધારકો સાથે ટીમભાવનાથી કાર્ય કરવામાં આવશે.

વરાછા કો-ઓપરેટિવ બેંકને વધુ આધુનિક, વધુ મજબૂત, વધુ વિશ્વસનીય અને ગ્રાહકોની પ્રથમ પસંદગી બને તેવી સંસ્થા તરીકે આગળ લઈ જવાનો અમારો સ્પષ્ટ રોડમેપ રહેશે. બેંકના વિકાસની સાથે સમાજ અને અર્થતંત્રના વિકાસમાં પણ વધુ સકારાત્મક યોગદાન આપી શકાય તે દિશામાં સતત પ્રયત્ન કરવામાં આવશે.

મને વિશ્વાસ છે કે બેંકના કર્મચારીઓ, ગ્રાહકો, સભાસદો અને તમામ શુભેચ્છકોના સહયોગથી આપણે વિકાસના નવા સીમાચિહ્નો સ્થાપિત કરી શકીશું.

July 17, 2026
taada-1280x960.jpg
1min82

સરસાણા ચેમ્બર ઓફ કોમર્સ સંકુલના પ્લેટિનમ હોલ ખાતે 19 જુલાઇએ કોન્કલેવ સાથે ફેશનોવા 2026 ફેશન શોનું પણ આયોજન

ટેક્ષટાઇલ ઉદ્યોગના આગેવાન અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ અજોય ભટ્ટાચાર્ય અને કેટલાક ઉદ્યોગપતિઓએ ત્રણેક મહિના પૂર્વે ટેક્સટાઇલ એન્ડ એપેરલ ડેલપમેન્ટ એસોસીએશન TAADAની રચના કરી છે અને આ સંગઠનની સૌથી પહેલી ઇવેન્ટ, નેશનલ ટેક્ષટાઇલ એક્સપોર્ટ કોન્કલેવનું આયોજન આગામી તા.19મી જુલાઇને રવિવારના રોજ સરસાણા સ્થિત ચેમ્બર ઓફ કોમર્સ સંકુલના પ્લેટીનમ હોલ ખાતે કરવામાં આવ્યું છે.

વધુ વિગતો આપતા TAADAના પ્રેસિડેન્ટ અજોય ભટ્ટાચાર્ય તેમજ મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે દૈનિક 6 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરતા સુરત ટેક્ષટાઇલ ક્લસ્ટરમાંથી ટેક્સટાઇલ પ્રોડક્ટ્સની નિકાસ વધે તે માટેના પ્રયાસો TAADA હાથ ધરવામાં આવ્યા છે. સુરતની પોતાની ઓળખ મેનમેડ ફાઇબર ઉપરાંત ડેનિમ, વિસ્કોસ, ટેકનિકલ ટેક્સટાઇલ્સ અને એમ્બ્રોઇડરી જેવા ક્ષેત્રોમાં સુરતમાં જે કામ થાય છે તેને જો વૈશ્વિક બજારમાં મૂકવામાં આવે તો વિદેશી ખરીદારો તેને ફટાફટ ખરીદી કરી શકે. પરંતુ, ચોક્કસ કારણોસર એક્સપોર્ટ થઇ શકતું નથી. સુરતના ટેક્ષટાઇલ ઉદ્યમીઓમાં નિકાસને પ્રોત્સાહન મળે તે માટે આ કોન્કલેવમાં તમામ પ્રકારના પાસાઓને આવરી લઇને નોલેજ શેરીંગ સેશન રાખવામાં આવ્યા છે, જેનાથી કોન્કલેવમાં જોડાનારા એમ.એસ.એમ.ઇ.થી લઇને મોટા ઉદ્યોગપતિઓ સુધી તમામને નિકાસ માટે જરૂરી ગાઇડન્સ મળી રહે.

અજોય ભટ્ટાચાર્યએ જણાવ્યું કે આ કોન્કલેવમાં દેશના કાપડ ઉદ્યોગના આગેવાનો ખુદ ગાઇડન્સ આપશે.કોન્કલેવ બપોરે 2.30 કલાકથી શરૂ થશે અને એ પછી સાંજે 7 વાગ્યે ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇન એન્ડ ટેક્નોલોજી (આઇ.ડી.ટી.)ના વિદ્યાર્થીઓ દ્વારા ફેશનોવા 2026 ફેશન શો યોજાશે. આ ફેશન શોમાં સસ્ટેનેબિલિટી આધારીત વિશિષ્ટ થીમ્સ રજૂ કરવામાં આવશે.

July 17, 2026
STM.jpg
1min48

તા.18મી જુલાઇને શનિવારે સુરતના વિકસેલા કાપડ ઉદ્યોગની સૌથી પહેલા અસ્તિત્વમાં આવેલી સુરત ટેક્ષટાઇલ માર્કેટની ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણીમાં બે પેનલ વચ્ચે હરીફાઇ છે. એક પેનલનું નામ એકતા પેનલ છે જે સત્તાધારી પક્ષના ઉમેદવારોની પેનલ છે જેમાં સમાજના લબ્ધ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, વિક્રેતાઓ અને સમાજના શ્રેષ્ઠીઓનો સમાવેશ થાય છે. જ્યારે એકતા પેનલની સામે ટેક્ષટાઇલ માર્કેટના અસંતુષ્ઠ શોપ ઑનર્સની બનેલી પેનલ છે, જેનું નામ પ્રગતિ પેનલ છે.

સુરત ટેક્ષટાઇલ માર્કેટની પૂર્વ સંધ્યાએ જે પ્રકારનો માહોલ માર્કેટમાં અને શોપ ઑનર્સમાં જોવા-જાણવા મળ્યો એ મુજબ ચૂંટણીમાં સત્તાધારીઓની એકતા પેનલનો વિજય નિશ્ચિત મનાય છે. માર્કેટના મોટાભાગના દુકાનદારોએ કહ્યું કે તેઓ વર્તમાન મેનેજમેન્ટમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે અને અત્યાર સુધી એકતા પેનલના ઉમેદવારોએ જે પણ કંઇ કર્યું છે એ સંપૂર્ણપણે પારદર્શી અને દુકાનદારોના હિતમાં કર્યું છે. કેટલાક દુકાનદારોને તેમના વહીવટથી વિરોધ છે, તેનો મતલબ એ નથી કે સુરત ટેક્ષટાઇલ માર્કેટના બધા વેપારીઓમાં વિરોધ છે. જે લોકોને સુરત મહાનગરપાલિકા સાથે થયેલી લીઝ એગ્રિમેન્ટ સામે વિરોધ છે તેમણે એકતા પેનલના ઉમેદવારો સામે એલફેલ અને મનઘડંત આરોપો લગાડ્યા અને ચૂંટણીમાં માહોલ ડહોળવાનો પ્રયાસ કર્યો પરંતુ, એકતા પેનલના ઉમેદવારો સહેજ પણ વિચલિત થયા વગર સુરત ટેક્ષટાઇલ માર્કેટના દુકાનદારોમાં ફર્યા અને પ્રચાર કર્યો. એકતા પેનલના ઉમેદવારો સામે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના મનઘડંત આક્ષેપો કરવામાં આવ્યા, જે માની શકાય તેવા નથી એવું મોટા ભાગના દુકાનદારો જાણે છે અને એટલે જ ટેક્ષટાઇલ માર્કેટની ચૂંટણીમાં એકતા પેનલના ઉમેદવારોનો વિજય નિશ્ચિત જણાય રહ્યો છે.

મતદાનની પૂર્વ સંધ્યાએ સુરત ટેક્ષટાઇલ માર્કેટના મોટા ભાગના વેપારીઓમાં એ વાત પહોંચી ચૂકી છે કે સમાજના શ્રેષ્ઠીઓની બનેલી એકતા પેનલ જ સુરત ટેક્ષટાઇલ માર્કેટનો ભાવિ વિકાસ કરી શકવા માટે સમર્થ છે, કેટલાક લોકોનો દુષ્પ્રચાર એકતા પેનલે કરેલી કામગીરીને કલંકિત કરી શકે નહીં.

July 17, 2026
image-18.png
1min79

ગુજરાત ATSએ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીઓને ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી ઝડપી પાડ્યા છે. અગાઉ પકડાયેલા 8 આતંકીઓની પૂછપરછમાં ખુલાસા થયા બાદ આ કાર્યવાહી કરાઈ છે. આ આતંકીઓ ગુજરાતમાં સક્રિય હતા અને રાજ્યમાં આતંકી પ્રવૃત્તિઓ કરવાની ફિરાકમાં હતા. ATSની આ મોટી સફળતાથી આતંકી નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.

Gujarat ATS Busts Terror Network: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરવામાં વધુ એક મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા વધુ 5 આતંકીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આ પાંચેય આતંકીઓ ગુજરાતના જ અલગ-અલગ જિલ્લાઓમાંથી સક્રિય હતા, જેમને ઓપરેશન હાથ ધરીને દબોચી લેવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, આ કેસમાં ગુજરાત ATSએ અગાઉ જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ કરી હતી. આ આતંકીઓની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન મોડ્યુલ સાથે જોડાયેલા અન્ય સભ્યોના નામ સામે આવ્યા હતા. કસ્ટડીમાં રહેલા આતંકીઓએ ઓગળેલી વિગતોના આધારે ATSએ આ ઓપરેશન હાથ ધર્યું હતું અને નેટવર્કનો વ્યાપ વધે તે પહેલાં જ વધુ 5 આતંકીઓને દબોચી લીધા છે.

ગુજરાતને આતંકી પ્રવૃત્તિઓથી ધમરોળવાના આ મનસૂબાનો પર્દાફાશ કરવા માટે પોલીસ તંત્ર સતર્ક છે. આ કેસની કડીઓ મેળવવા માટે ATS દ્વારા અગાઉ અનેક શકમંદ વ્યક્તિઓની અટકાયત કરીને લાંબી પૂછપરછ કરવામાં આવી હતી અને તેના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. આ પુરાવાઓ અને મજબૂત કડીઓના આધારે આખરે આ પાંચેય સક્રિય આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.

July 17, 2026
image-17.png
2min103

જયેશ બ્રહ્મભટ્ટ, શિક્ષણ સર્વદા

NEET UG ક્વોલિફાઇંગ કટઓફ સરખામણી કોષ્ટક (2025 vs 2026)

કેટેગરી (Category)2025 ક્વોલિફાઇંગ કટઓફ2026 ક્વોલિફાઇંગ કટઓફકટઓફમાં થયેલો ચોક્કસ વધારો (માર્ક્સમાં)ક્વોલિફાઇંગ પર્સન્ટાઇલ
સામાન્ય / UR / EWS686 – 144 માર્ક્સ715 – 213 માર્ક્સ+69 માર્ક્સનો વધારો50th Percentile
OBC143 – 113 માર્ક્સ212 – 177 માર્ક્સ+64 માર્ક્સનો વધારો40th Percentile
SC143 – 113 માર્ક્સ212 – 177 માર્ક્સ+64 માર્ક્સનો વધારો40th Percentile
ST143 – 113 માર્ક્સ212 – 177 માર્ક્સ+64 માર્ક્સનો વધારો40th Percentile

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ તા.16મી જુલાઇના રોજ મોડીરાત્રે રી-નીટ યુજી 2026 પરીક્ષાનું પરીણામ ઘોષિત કર્યું હતું. તા.21મી જૂને લેવાયેલી રી-નીટ યુજી પરીક્ષાના પરીણામનું વિશ્લેષણ કરતા જણાય આવે છે કે કટઓફ મેરીટમાં 69 ટકાથી 64 માર્કનો ધરખમ વધારો 2025ની સરખામણીએ આ વર્ષે થયો છે.

ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાંથી નીટ યુજી 2026 પરીક્ષા આપનારા 68,833માંથી ફક્ત 38,146 ક્વોલિફાઇડ થયા. 30 હજાર જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ નીટ ક્વોલિફાય કરી શક્યા નથી, તેનો અર્થ એ થયો કે ન તો તેઓ વિદેશમાં જઇને એમબીબીએસ કરી શકશે કે ન તો દેશભરમાં ક્યાંયે આયુર્વેદિક કે હોમિયોપેથી સુદ્ધાંમાં પ્રવેશ પામી શકશે.

ફક્ત ક્વોલિફાય કટઓફ જેટલા માર્ક લાવીને વિદેશમાં ખાસ કરીને જ્યોર્જિયા, રશિયા, ચીન, કઝાકિસ્તાન જેવા દેશોમાં એમબીબીએસનો અભ્યાસ કરવાની યોજના ધરાવતા સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરાના સેંકડો વિદ્યાર્થીઓનું સપનું રોળાયું છે અને હવે આ લેવાની ફરજ પડી છે. વિદેશમાં એમબીબીએસ કરવાની યોજના ધરાવનારા અનેક વિદ્યાર્થીઓ અને તેમના પરીવારજનો નીટ યુજી પરીણામની જ રાહ જોઇ રહ્યા હતા. તેમનો પ્લાન નક્કી હતો, ઉંચા માર્ક નહીં પરંતુ, ક્વોલિફાય થવાય તેટલા માર્ક આવે એટલે વિદેશમાં એડમિશન કન્ફર્મ થઇ જાય. આવા સેંકડો વિદ્યા્થીઓનું સપનું રોળાય ગયું છે.

જયેશ બ્રહ્મભટ્ટ – શિક્ષણ સર્વદા 98253 44944
NEET UG 2026નું ક્વોલિફાઇંગ કટઓફ 69 માર્ક્સ જેટલું મોટું ઉછળીને 213 માર્ક્સ (સામાન્ય વર્ગ માટે) પર પહોંચી ગયું છે. મેડિકલ ઇતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે. આ આંચકાજનક ફેરફારના કારણે વિદ્યાર્થીઓ અને એડમિશન પ્રક્રિયા પર નીચે મુજબની ગંભીર અસરો પડશે એવું શિક્ષણ સર્વદાના તજજ્ઞોનું તારણ છે:

૧. કાઉન્સિલિંગની રેસમાંથી લાખો વિદ્યાર્થીઓ બહાર
• પાત્રતા ગુમાવી: ગયા વર્ષે (2025) સામાન્ય વર્ગ માટે કટઓફ 144 માર્ક્સ હતું, જે હવે 213 થયું છે.
• મોટો આંચકો: જે વિદ્યાર્થીઓને 145 થી 212 ની વચ્ચે માર્ક્સ આવ્યા છે, તેઓ કાઉન્સિલિંગ પ્રક્રિયામાં ભાગ લેવા માટે પણ અપાત્ર (Disqualified) જાહેર થયા છે.

૨. સરકારી કોલેજો (MBBS/BDS) માટે કટઓફ આકાશ આંબશે
• હરીફાઈમાં ભારે વધારો: ક્વોલિફાઇંગ માર્ક્સ આટલા ઊંચા જવાનો સીધો અર્થ એ છે કે વિદ્યાર્થીઓએ આ વર્ષે ખૂબ જ સારો સ્કોર કર્યો છે.
• નવો સેફ સ્કોર: સરકારી મેડિકલ કોલેજમાં ઓલ ઈન્ડિયા ક્વોટા (AIQ) અથવા સ્ટેટ ક્વોટા દ્વારા MBBS સીટ મેળવવા માટે હવે 540 થી 560+ થી વધુ માર્ક્સ મેળવવા અનિવાર્ય બનશે.

૩. પ્રાઇવેટ અને મેનેજમેન્ટ ક્વોટાની સીટોના ભાવ વધશે
• ડિમાન્ડમાં ઉછાળો: ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓ પૈકી જેમને સરકારીમાં એડમિશન નહીં મળે, તેઓ પ્રાઇવેટ કોલેજો તરફ વળશે.
• સીટો મોંઘી થશે: પ્રાઇવેટ અને ડીમ્ડ યુનિવર્સિટીઓની સીટો માટે ભારે ખેંચતાણ થશે, જેના કારણે મેનેજમેન્ટ ક્વોટાની ફી અથવા કટઓફ ઊંચા જઈ શકે છે.

૪. આયુર્વેદ (BAMS) અને હોમિયોપેથી (BHMS) પર અસર
• વૈકલ્પિક કોર્સમાં મુશ્કેલી: અગાઉ ઓછા માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓ BAMS કે BHMS માં સરળતાથી એડમિશન મેળવી લેતા હતા. હવે 213 થી ઓછા માર્ક્સ વાળા વિદ્યાર્થીઓ આ કોર્સ માટે પણ એડમિશન ફોર્મ ભરી શકશે નહીં.

૫. ‘ડ્રોપ’ લેનારા (Repeaters) વિદ્યાર્થીઓની સંખ્યા વધશે
• ફરીથી તૈયારી: લાખો વિદ્યાર્થીઓ જેઓ માત્ર થોડા માર્ક્સ માટે અપાત્ર ઠર્યા છે અથવા જેમને મનપસંદ કોલેજ નથી મળી રહી, તેઓ આવતા વર્ષ માટે ફરીથી ડ્રોપ લઈને તૈયારી કરવાનું પસંદ કરશે. આનાથી આવતા વર્ષે (2027) સ્પર્ધા હજુ વધુ કડક બનશે.

July 16, 2026
WhatsApp-Image-2026-07-16-at-16.10.53-1280x876.jpeg
1min118

CiA Live ન્યુઝ

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ સુરતની પ્રતિષ્ઠિત ઇજનેરી સંસ્થા, સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (SVNIT) સહયોગથી આજે (16મી જુલાઇ 2026)ના રોજ એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ (EEP)નું આજે કાર્યાન્વિત કર્યો છે. આ એક વર્ષીય સર્ટિફિકેશન કોર્સનો મુખ્ય હેતુ યુવા એન્જિનિયરિંગ પ્રતિભાને શૈક્ષણિક અભ્યાસ અને ઉદ્યોગની વાસ્તવિક જરૂરિયાતો વચ્ચેનું અંતર દૂર કરીને રોજગાર માટે વધુ સક્ષમ બનાવવાનો છે. આ કાર્યક્રમ ખાસ કરીને સુરત અને આસપાસના વિસ્તારોના યુવા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ અને ડિપ્લોમા ધારકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સુરત કલેક્ટર તેજસ પરમાર તેમજ વિશિષ્ટ અતિથિ તરીકે સુડાના ચીફ એક્ઝિક્યુટિવ રાજ સુથાર ઉપસ્થિત રહ્યા હતા. એસવીએનઆઇટીના ડિરેક્ટર પ્રો.(ડૉ.) અનુપમ શુક્લા, સાથે એએમએનએસના વાઇસ પ્રેસિડેન્ટ એચ.આર. અને એડમિનિસ્ટ્રેશન આશુતોષ તેલંગ, SVNITના વરિષ્ઠ અધ્યાપકો, AM/NS Indiaના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક ગામોના સરપંચો અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના પ્રથમ બેચમાં કુલ 80 તાલીમાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 40 એન્જિનિયરિંગ સ્નાતકો અને 40 ડિપ્લોમા ધારકોનો સમાવેશ થાય છે. સુરત અને આસપાસના વિસ્તારોમાંથી પસંદ કરાયેલા આ તમામ ઉમેદવારો SVNIT સુરત અને AM/NS ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે સંચાલિત એક વર્ષીય સર્ટિફિકેશન કોર્સમાં તાલીમ મેળવશે. કાર્યક્રમને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં ભાગ લેનારાઓને ઉદ્યોગ સંબંધિત વ્યવહારુ જ્ઞાન, ટેક્નિકલ કુશળતા, ઔદ્યોગિક સલામતી અંગેની સમજ, ગુણવત્તા વ્યવસ્થાપન (Quality Management) સંબંધિત પદ્ધતિઓ તેમજ આધુનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે જરૂરી વ્યવસાયિક કૌશલ્યો પ્રાપ્ત થાય છે.

વર્ષ 2030 સુધીમાં ભારતને આશરે 115 મિલિયન નવી રોજગારીની તકોનું સર્જન કરવું પડશે અને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો તથા નવી ટેક્નોલોજીની માંગને પહોંચી વળવા માટે દેશના અંદાજે 63 ટકા કાર્યબળને કૌશલ્ય ઉન્નતિ (Skill Upgradation)ની જરૂર પડશે. આ અંતરને દૂર કરવા માટે આધુનિક તાલીમ પ્રણાલીઓ તથા સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે મજબૂત સહયોગ અનિવાર્ય છે.

એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ આ પડકારનો વ્યવહારુ ઉકેલ પૂરું પાડવાના હેતુથી રચવામાં આવ્યો છે, જે ગુજરાત અને ભારત માટે ભવિષ્યલક્ષી, કુશળ અને ઉદ્યોગ માટે તૈયાર માનવબળનું નિર્માણ કરવામાં સહાયરૂપ બનશે.

આ પ્રસંગે સુરત કલેક્ટર તેજસ પરમારએ જણાવ્યું હતું કે, “સુરતની વિકાસ ગાથા કુશળ સ્થાનિક પ્રતિભાના બળ પર આગળ વધવી જોઈએ. AM/NS India અને SVNITની આ પહેલ આપણા યુવાનો માટે અર્થપૂર્ણ તકોનું સર્જન કરે છે અને કુશળ તથા વિકસિત ભારતના વ્યાપક વિઝનને પણ આગળ ધપાવે છે.

આશુતોષ તેલાંગ, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ – એચઆર એન્ડ એડમિનિસ્ટ્રેશન, AM/NS Indiaએ જણાવ્યું હતું કે, “AM/NS Indiaમાં અમે માનીએ છીએ કે ઔદ્યોગિક વિકાસ અને સમુદાયનો વિકાસ સાથે-સાથે આગળ વધવો જોઈએ. આ કાર્યક્રમ દ્વારા અમે સ્થાનિક યુવાનોની રોજગારક્ષમતા વધારવા, તેમના માટે નવી તકોનું સર્જન કરવા અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે વધુ મજબૂત પ્રતિભા આધાર (Talent Pipeline) તૈયાર કરવાનો હેતુ ધરાવીએ છીએ.”

પ્રો.(ડૉ.) અનુપમ શુક્લા, ડિરેક્ટર, SVNITએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના મજબૂત સહયોગનું ઉત્તમ પ્રતિબિંબ છે. શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વાસ્તવિક ઔદ્યોગિક અનુભવના સમન્વય દ્વારા અમે તાલીમાર્થીઓને ઉદ્યોગની સતત બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા અને દેશના વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે તૈયાર કરી રહ્યા છીએ.

એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ AM/NS Indiaની સમુદાય વિકાસ, કૌશલ્ય વિકાસ અને સુરત સહિતના વિસ્તારોના યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવાની પ્રતિબદ્ધતાનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. ગત અઠવાડિયે AM/NS Indiaની ભારત સરકારની ફ્લેગશિપ પહેલ પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયેબિલિટી ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ ITIs (PM-SETU) અંતર્ગત સુરત ITI ક્લસ્ટર માટે એન્કર ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ ક્લસ્ટરમાં ITI સુરતને હબ સંસ્થા તરીકે તેમજ ITI હજીરા, બારડોલી, સચિન અને સુરત (મહિલા)ને સ્પોક સંસ્થાઓ તરીકે સામેલ કરવામાં આવી છે, જેથી ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ વ્યાવસાયિક તાલીમ અને રોજગારક્ષમતાને વધુ મજબૂત બનાવી શકાય.

આ બંને પહેલ AM/NS Indiaના એ વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે કે ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર વચ્ચેનો સહયોગ જ ભારતના મેન્યુફેક્ચરિંગ વિકાસને વેગ આપવા સક્ષમ કુશળ માનવબળનું નિર્માણ કરી શકે છે અને વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

July 16, 2026
image-16-1280x854.png
1min126

જય જગન્નાથ…, 16/07/2026 આજે અષાઢી બીજ છે. સૂર્યોદય થતાની સાથે જ જગતના નાથ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળશે અને નગરજનોને અલૌકિક દર્શન આપશે. ત્યારે આ 149મી રથયાત્રાની પળેપળની ખબર ગુજરાત સમાચાર ડિજિટલ તમારા સુધી પહોંચાડી રહ્યું છે. રથયાત્રાના અવસરે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર રંગબેરંગી લાઈટથી ઝળહળી ઊઠ્યું છે.

મંદિરની બહાર વહેલી સવારે 3.30 વાગ્યે ભક્તો લાઈનમાં ઊભા રહીને ભગવાનની મંગળા આરતીનો લહાવો લેવા તરસી રહ્યા છે. આ સાથે જ જય રણછોડ માખણ ચોરના જયઘોષ કરી રહ્યા છે. તો મંદિરની અંદર પણ ઢોલ નગારા અને શરણાઇના સૂર ગુંજી રહ્યા છે. એટલું જ નહીં મંદિરની અંદર – બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અમદાવાદના જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું વિધિવત પ્રસ્થાન થઈ ચૂક્યું છે. ગજરાજના પ્રસ્થાન બાદ, હવે ધાર્મિક અને સામાજિક સંદેશા આપતા વિવિધ આકર્ષક ટેબ્લોથી સજ્જ ટ્રકો પણ યાત્રાના માર્ગે રવાના થયા છે. ભક્તોના ભારે ઉત્સાહ વચ્ચે આ અદભુત ટેબ્લો નગરચર્યા દરમિયાન સમગ્ર યાત્રા માર્ગ પર આકર્ષણનું કેન્દ્ર બનશે.

સુરતમાં રથયાત્રા બપોર પછી રેલ્વે સ્ટેશનથી શરૂ થશે

જય જગન્નાથના નાદ સાથે આજે સુરતમાં નીકળશે ભવ્ય રથયાત્રા, હજારો ભાવિકો બનશે સાક્ષી

આષાઢ સુદ બીજના પાવન અવસરે આજે સુરત શહેરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા નીકળશે. બપોરે રેલવે સ્ટેશન વિસ્તારથી પ્રસ્થાન કરનારી રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રિંગરોડ, સરદાર બ્રિજ, અડાજણ અને રાંદેર રોડ થઈને ઇસ્કોન મંદિર ખાતે વિરામ પામશે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ શહેરવાસીઓ જોડાશે તેવી શક્યતા છે.

રથયાત્રા દરમિયાન ભગવાનના દર્શન માટે સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટે તેવી અપેક્ષા છે. અનેક સ્થળોએ ભગવાનનું પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવશે, જ્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા, પ્રસાદ, પાણી અને મેડિકલ સેવા સહિતના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનો, મહિલાઓ અને બાળકો પણ પરંપરાગત વેશભૂષામાં રથયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે.

રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર રૂટ પર પોલીસ જવાનોની તૈનાતી, ટ્રાફિક ડાયવર્ઝન, સીસીટીવી કેમેરા તેમજ કંટ્રોલ રૂમ મારફતે સતત નજર રાખવામાં આવશે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે જેથી ટ્રાફિક વ્યવસ્થામાં સરળતા રહે.

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તિ, શિસ્ત અને સામાજિક એકતાનું પ્રતિક બની રહી છે. વિવિધ સમાજો અને વેપારી સંગઠનો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે, જે શહેરની સર્વધર્મ સમભાવ અને સાંસ્કૃતિક એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

ભગવાન જગન્નાથની આ પવિત્ર યાત્રા શહેરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો સંદેશ લઈને નીકળશે તેવી ભાવિકોમાં શ્રદ્ધા જોવા મળી રહી છે. સમગ્ર સુરત આજે “જય જગન્નાથ”ના ગુંજતા જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણમાં રંગાઈ જશે.

July 16, 2026
image-15.png
1min86

મર્સિડીઝ-બેન્ઝ સ્ટેડિયમમાં રમાયેલા FIFA વર્લ્ડ કપ 2026ના બીજા સેમિફાઇનલમાં લિયોનેલ મેસીના આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને 2-1થી હરાવી સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 55મી મિનિટે ઇંગ્લેન્ડના એન્થની ગોર્ડને ગોલ કરી લીડ અપાવી હતી. જોકે, મેસીના કરિશ્માથી 85મી મિનિટે એન્ઝો ફર્નાન્ડીઝે અને ઇન્જરી ટાઇમમાં લાઉતારો માર્ટિનેઝે ગોલ ફટકારી રોમાંચક જીત અપાવી. હવે ફાઇનલમાં આર્જેન્ટિના સ્પેન સામે ટકરાશે.

ફૂટબોલ ઇતિહાસની સૌથી મોટી પ્રતિદ્વંદ્વિત્તામાં આજે એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. મર્સિડીઝ-બેન્ઝ સ્ટેડિયમમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપ 2026ના બીજા સેમિફાઇનલ મુકાબલામાં લિયોનેલ મેસીની આગેવાની હેઠળના આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને 2-1 થી પરાજય આપી સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મેચના પ્રથમ હાફમાં બંને ટીમો વચ્ચે ભારે તણાવ જોવા મળ્યો હતો અને ફાઉલના કારણે રમત વારંવાર અટકી હતી, જેના લીધે પ્રથમ હાફ 0-0 ની બરાબરી પર રહ્યો હતો.

બીજા હાફમાં મેચનો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો હતો. મેચની 55મી મિનિટે ઇંગ્લેન્ડના મોર્ગન રોજર્સના શાનદાર પાસ પર એન્થની ગોર્ડને ગોલ ફટકારીને ઇંગ્લેન્ડને 1-0 ની લીડ અપાવી દીધી હતી. આ ગોલ બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના પર ભારે દબાણ જોવા મળતું હતું અને સમય પસાર થવાની સાથે ઇંગ્લેન્ડની જીત પાકી લાગી રહી હતી.

જ્યારે આર્જેન્ટિનાના ફેન્સ આશા ગુમાવી રહ્યા હતા ત્યારે 39 વર્ષીય લિયોનેલ મેસીએ મેચની કમાન પોતાના હાથમાં લીધી હતી. 85મી મિનિટે મેસીના પાસ પર એન્ઝો ફર્નાન્ડીઝે ગોલ કરીને સ્કોર 1-1 ની બરાબરી પર લાવી દીધો હતો. ત્યારબાદ ઇન્જરી ટાઇમમાં મેસીએ વધુ એક સચોટ પાસ આપ્યો, જેને લાઉતારો માર્ટિનેઝે ગોલમાં ફેરવીને માત્ર 7 મિનિટમાં સ્કોર 2-1 કરી આર્જેન્ટિનાને રોમાંચક જીત અપાવી હતી. હવે ફાઇનલમાં આર્જેન્ટિનાનો સામનો સ્પેન સામે થશે.

July 15, 2026
India-uk-fta.jpg
1min64

CiA Live ન્યુઝ વેબ

ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે) વચ્ચે અમલમાં આવેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંતર્ગત સુરતથી હીરા અને ઝવેરાતનો પ્રથમ નિકાસ કન્સાઇનમેન્ટ બુધવારે વિધિવત રીતે રવાના કરવામાં આવ્યો હતો. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ઐતિહાસિક પ્રસંગે કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ તેમજ હીરા ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત અને યુકે વચ્ચે એક વર્ષ અગાઉ થયેલા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટનો અમલ આજે તા.15મી જુલાઇ 2026થી શરૂ થયો છે. આજે પહેલા જ દિવસે સુરતથી હીરા ઝવેરાત, કોસ્મેટિક્સ અને પરફ્યુમ્સ તેમજ ઠંડાપીણા મળીને કૂલ 7 પાર્સલો ઝીરો ડ્યુટીથી યુકે રવાના કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુરત ડાયમંડ બુર્સ સ્થિત જીજેઇપીસીની ગુજરાત રિજિયનની કચેરીમાં યોજાયેલી ફ્લેગ ઓફ સેરેમનીમાં જીજેઇપીસી ગુજરાત ચેરમેન જયંતી સાવલિયા, જોઇન્ટ DGFT- સુરત અભિમન્યુ શર્મા, આઇડીઆઇ ચેરમેન દિનેશ નાવડીયા, SURSEZ ના ડેવલપમેન્ટ કમિશનર વિનોદ યેર્ને, સુરત ડાયમંડ બુર્સના એપ્રાઇઝર રતનજય વી. ઉપરાંત એક્સપોર્ટર્સ અને મિડીયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત-યુકે FTA અમલમાં આવતા અત્યાર સુધી યુકેમાં ભારતીય હીરા અને ઝવેરાત પર લાગતી 4થી 16 ટકા સુધીની આયાત જકાત સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે. પરિણામે ભારતીય નિકાસકારોને યુકેના બજારમાં વધુ સ્પર્ધાત્મક કિંમતે ઉત્પાદનો પહોંચાડવાની તક મળશે. ઉદ્યોગના મતે આ કરાર ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર માટે ઐતિહાસિક સાબિત થશે.

GJEPCના ચેરમેન શ્રી કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માત્ર વેપાર કરાર નથી, પરંતુ બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જનાર મહત્વપૂર્ણ પગલું છે. સુરતથી પ્રથમ કન્સાઇનમેન્ટ રવાના થવું સમગ્ર ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે ગૌરવની ક્ષણ છે.

તેમણે જણાવ્યું કે યુકે ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉત્પાદનો માટે મહત્વપૂર્ણ બજાર છે. હવે ડ્યૂટી ફ્રી પ્રવેશ મળતા નિકાસમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. ખાસ કરીને પોલિશ્ડ ડાયમંડ, ગોલ્ડ જ્વેલરી, પ્લેટિનમ જ્વેલરી અને લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીના ક્ષેત્રમાં નવા અવસર ઊભા થશે.

GJEPCના જણાવ્યા મુજબ, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે આગામી વર્ષોમાં ભારતમાંથી યુકે તરફ હીરા અને ઝવેરાતની નિકાસમાં ઝડપથી વધારો થશે. સુરત, મુંબઈ સહિતના ઉત્પાદન કેન્દ્રોને તેનો સીધો લાભ મળશે, જેના કારણે રોજગારીમાં વધારો થવા ઉપરાંત ઉત્પાદન અને નિકાસ ક્ષમતામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થશે.

ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય અને GJEPCના સંયુક્ત પ્રયાસોથી અમલમાં આવેલા આ કરારને ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે એક નવા વિકાસ અધ્યાય તરીકે જોવામાં આવી રહ્યો છે. સુરતથી રવાના થયેલો આ પ્રથમ કન્સાઇનમેન્ટ ભારતના નિકાસ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહ્યો છે.