CIA ALERT

Alert Archives - Page 6 of 520 - CIA Live

July 24, 2026
01.JPG-1280x853.jpeg
2min50

  • ભાજપ મહિલા મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ અંજુબેન વેકરિયાના હસ્તે મેળો ખુલ્લો મુકાયો; ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓ માટે વેપારના નવા દ્વાર ખુલશે
  • સુરત નારી સશક્તિકરણનું કેન્દ્ર; મહિલાઓના હુન્નરને માર્કેટિંગ પ્લેટફોર્મ આપવા ચેમ્બર સતત પ્રયત્નશીલ: અશોક જીરાવાલા
  • મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બને તે માટે સરકારના તાલીમ કાર્યક્રમો અને વર્કશોપનો લાભ લેવા અંજુબેન વેકરિયાનું આહ્વાન
  • કોરોના કાળથી શરૂ થયેલી ચેમ્બરની આ પહેલથી સ્થાનિક મહિલા સાહસિકોને મોટું પ્રોત્સાહન મળ્યું: દિનેશ નાવડિયા
  • રાખી, ડિઝાઇનર સાડીઓ, ઇમિટેશન જ્વેલરી, હસ્તકલા અને હોમ ડેકોર સહિતની પ્રોડક્ટ્સનું એક જ જગ્યાએ ભવ્ય પ્રદર્શન આજે પણ ચાલુ રહેશે

શ્રાવણ માસ દરમિયાન આવતા પવિત્ર તહેવારોની ઉજવણીને ધ્યાનમાં રાખીને વેપાર અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા તા. 24 અને 25 જુલાઈ 2026ના રોજ મોટા વરાછા, સુદામા ચોક સ્થિત SMC કોમ્યુનિટી હોલ ખાતે દ્વિ-દિવસીય ‘શ્રાવણ બિઝનેસ મેળા 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10:00થી સાંજે 07:00 કલાક દરમિયાન યોજાયેલા આ બિઝનેસ મેળાનો ભાજપ મહિલા મોરચા ગુજરાતનાં અધ્યક્ષ શ્રીમતી અંજુબેન વેકરિયાના વરદ્‌ હસ્તે આજે ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગૃહ ઉદ્યોગ કરતી બહેનોને વ્યાપારી પ્લેટફોર્મ: ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “શ્રાવણનો પવિત્ર મહિનો સમૃદ્ધિ અને નવી શરૂઆતનો સંદેશ આપે છે. સુરત હંમેશાં નારી સશક્તિકરણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. ટેક્સટાઇલ અને અન્ય ક્ષેત્રોમાં લાખો મહિલાઓ રોજગારી મેળવે છે. જે બહેનો ઘરે બેસીને નાના ગૃહ ઉદ્યોગો ચલાવે છે, તેમના હુન્નરને યોગ્ય માર્કેટિંગ અને ગ્રાહકોનું પ્લેટફોર્મ મળી રહે તે માટે ચેમ્બર આ મેળાનું આયોજન કરે છે. આ મેળો માત્ર વેપારનું માધ્યમ નથી પણ લઘુ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને મહિલા સાહસિકોને નવા બજારો સાથે જોડતો સેતુ છે.”

મહિલાઓ દરેક સ્થિતિમાં આત્મનિર્ભર બનવા સક્ષમ: અંજુબેન વેકરિયા મુખ્ય અતિથિ શ્રીમતી અંજુબેન વેકરિયાએ બહેનોને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, મહિલાઓ ઘરની સાથે વેપાર પણ શ્રેષ્ઠ રીતે સાચવી શકે છે. બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે રિઝર્વ બેંક પ્રેરિત કલાભારતી જેવા સરકારી તાલીમ કાર્યક્રમો અને વર્કશોપનો મહત્તમ લાભ લેવો જોઈએ. જ્યારે ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી દિનેશ નાવડિયાએ યાદ અપાવ્યું હતું કે, કોરોના કાળમાં મહિલાઓને રોજગારી આપવા શરૂ કરાયેલી ચેમ્બરની આ પરંપરા આજે બહેનો માટે વેપારના નવા દ્વાર ખોલી રહી છે.

એક જ છત નીચેથી તહેવારલક્ષી ખરીદી: ચેમ્બરના શ્રાવણ બિઝનેસ મેળાનાં ચેરપર્સન શ્રીમતી રૂપલ શાહે વિગતો આપતા જણાવ્યું કે, આ મેળામાં ફેન્સી રાખડીઓ, રાખી કાર્ડ્સ, ડિઝાઇનર ડ્રેસ મટીરિયલ્સ, ઇમિટેશન જ્વેલરી, હોમ કેર પ્રોડક્ટ્સ, હેન્ડિક્રાફ્ટ, હોમ ડેકોરેશન, ફેન્સી બ્લાઉઝ, સાડીઓ, બેડશીટ્સ, કુર્તી-કોટી અને વાનગીઓ સહિતની તમામ તહેવારલક્ષી વસ્તુઓ ઉપલબ્ધ કરાઈ છે.

ઉદ્‌ઘાટન સમારોહનું સફળ સંચાલન માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલે કર્યું હતું અને ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે લેડીઝ વિંગનાં ચેરપર્સન શ્રીમતી અલ્પાબેન મદ્રાસી, સ્થાનિક કોર્પોરેટરો સર્વશ્રી મનુભાઈ બલર, શ્રીમતી મનીષાબેન ખેર, શ્રીમતી ચંદ્રિકાબેન આસોદરિયા, શ્રી જૈનેશકુમાર જાદવ, શ્રીમતી જયશ્રીબેન ઓવારા, શ્રીમતી નયનાબેન ડોબરિયા સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

July 24, 2026
Sanjiv-Mukhiya.png
1min98

NEET-UG 2024 પેપર લીક કેસમાં બિહાર પોલીસે જેને મુખ્ય ષડયંત્રકારી ગણાવીને કાર્યવાહી કરી હતી એ સંજીવ મુખિયાને CBIએ ક્લીન ચિટ આપી છે. CBIને તપાસમાં સંજીવ મુખિયા વિરુદ્ધ કોઈ પુરાવા ન મળતા તેને ક્લીન ચીટ અપાઇ છે. આ મામલો ત્યારે સપાટી પર આવ્યો છે જ્યારે દેશભરમાં નીટ 2026ના પેપર લીક બાબતે આંદોલન ચાલી રહ્યું છે. બિહાર પોલીસની શંકાના આધારે FIRમાં નામ હતું. CBIએ 45 લોકો સામે પટણા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. સંજીવ મુખિયા અન્ય કેસોમાં હજુ કસ્ટડીમાં છે.

July 23, 2026
WhatsApp-Image-2026-07-23-at-16.54.11.jpeg
1min73

મુંબઈ: ભારતના હીરા ઉદ્યોગ માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણમાં, મેહુલ શાહે વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બોર્સ (WFDB) ના પ્રથમ ભારતીય પ્રમુખ તરીકે પદ સંભાળ્યું છે, અને મજબૂત બનાવવાનું વચન આપ્યું છે…

21 જુલાઈ, 2026 2 મીન વાંચો
મુંબઈ: ભારતના હીરા ઉદ્યોગ માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણમાં, મેહુલ શાહે વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બોર્સ (WFDB) ના પ્રથમ ભારતીય પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો છે, તેમણે ગ્રાહક વિશ્વાસને મજબૂત કરવા, કુદરતી હીરાને પ્રોત્સાહન આપવા અને હીરા મૂલ્ય શૃંખલામાં વૈશ્વિક સહયોગને વધુ ગાઢ બનાવવાનું વચન આપ્યું છે.

સિંગાપોરમાં તાજેતરમાં યોજાયેલી WFDB કોંગ્રેસ દરમિયાન તેમની ચૂંટણી બાદ બોલતા, શાહે જણાવ્યું હતું કે સંગઠનની તાત્કાલિક પ્રાથમિકતા ત્રણ દિવસની વ્યૂહાત્મક ચર્ચાઓમાં ઉદ્યોગના નેતાઓ દ્વારા વિકસાવવામાં આવેલા સહિયારા દ્રષ્ટિકોણને અમલમાં મૂકવાની રહેશે.

શાહે જણાવ્યું હતું કે, “અમે ગ્રાહક વિશ્વાસને મજબૂત કરવા અને કુદરતી હીરાના સ્થાયી મૂલ્યને મજબૂત બનાવવા માટે ઉદ્યોગની સામૂહિક પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું.”

તેમણે ઉમેર્યું હતું કે WFDB પારદર્શિતા, ટ્રેસેબિલિટી અને જવાબદાર વ્યવસાયિક પ્રથાઓ સુધારવા માટે વૈશ્વિક અને દેશ-વિશિષ્ટ વેપાર સંગઠનો સાથે નજીકથી કામ કરશે, જેનો હેતુ ગ્રાહકોમાં વિશ્વાસ વધારવાનો છે.

૧૯૪૭માં એન્ટવર્પમાં સ્થપાયેલ, WFDB એ વિશ્વભરમાં ૨૮ હીરા બજારો અને છ સંલગ્ન સભ્યોનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ સંસ્થા છે, જેમાં ખાણકામ કંપનીઓ, હીરા એક્સચેન્જો અને વેપાર સંગઠનોનો સમાવેશ થાય છે. ફેડરેશન નૈતિક વેપાર અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપતી વખતે વૈશ્વિક ઉદ્યોગ પડકારોનો સામનો કરે છે.

શાહની નિમણૂક ભારત માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે, જે વિશ્વના સૌથી મોટા હીરા ઉત્પાદન કેન્દ્ર છે. 46 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા અનુભવી હીરાના વેપારી, 2001 માં ભારત ડાયમંડ બોર્સ (BDB) બોર્ડમાં જોડાયા અને 2009 માં તેના ઉપપ્રમુખ બન્યા. તેમણે 2002 થી દરેક WFDB કોંગ્રેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 2016 થી ફેડરેશનના ટ્રેઝરર જનરલ તરીકે સેવા આપી છે.

“આ હીરા ઉદ્યોગમાં ભારતની મુખ્ય ભૂમિકાની સમયસર ઓળખ છે. અમે વસુધૈવ કુટુંબકમના ભારતીય દર્શન દ્વારા માર્ગદર્શન મેળવીશું અને વૈશ્વિક હીરા પાઇપલાઇનમાં પરસ્પર ફાયદાકારક સહયોગને પ્રોત્સાહન આપીશું,” શાહે જણાવ્યું.

તેમણે ટોચના પદ સુધીની તેમની સફરમાં BDB પ્રમુખ અનૂપ મહેતા અને GJEPCના વાઇસ ચેરમેન શૌનક પરીખના સમર્થનનો સ્વીકાર કર્યો.

ભવિષ્યને ધ્યાનમાં રાખીને, શાહે કહ્યું કે તેમનું વહીવટીતંત્ર વધુ સારી વાર્તા કહેવા, ડિજિટલ નવીનતા અને મજબૂત ઉદ્યોગ-વ્યાપી સહયોગ દ્વારા કુદરતી હીરાની ઇચ્છનીયતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

બીજી મુખ્ય પ્રાથમિકતા WFDB ના વૈશ્વિક સ્તરે પ્રવેશને વિસ્તારવાની રહેશે, જેમાં તેની સભ્યપદ વર્તમાન 34 સંસ્થાઓથી વધારીને ઓછામાં ઓછા 50 પૂર્ણ અને સંલગ્ન સભ્યો કરવામાં આવશે. કતાર ડાયમંડ એક્સચેન્જનો તાજેતરમાં સમાવેશ, ઇઝરાયેલ ડાયમંડ એક્સચેન્જ અને ન્યુ ઇઝરાયેલ ક્લબ ફોર કોમર્સની વાપસી સાથે, આ વિસ્તરણ વ્યૂહરચના પ્રતિબિંબિત કરે છે.

શાહે નવા વિચારો અને લાંબા ગાળાની ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે યુવા હીરાના કારીગરોને માર્ગદર્શન આપવા અને ફેડરેશનના વહીવટમાં આગામી પેઢીને સામેલ કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો.

“એક મજબૂત, વધુ સમાવિષ્ટ WFDB દરેક સભ્ય શેરબજારને પડકારોનો સામનો કરવામાં મદદ કરશે અને વૈશ્વિક કુદરતી હીરા ઉદ્યોગના સહિયારા વિકાસમાં ફાળો આપશે,” તેમણે કહ્યું.

July 22, 2026
cia_windo-1280x793.jpg
1min66

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં જુલાઈ 23 થી ઓગસ્ટ 02, 2026 દરમિયાન યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ઓડિશા AM/NS India જિમ્નાસ્ટિક્સ હાઈ-પરફોર્મન્સ સેન્ટર (Odisha AM/NS GHPC)ના 3 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ કેટેગરીમાં પસંદ કરાયેલા કુલ 8 ખેલાડીઓમાંથી 3 ખેલાડીઓ – તપન મોહંતિ, તપેશ્વરનાથ દાસ અને ઓલિમ્પિયન પ્રણતિ નાયક – ઓડિશા AM/NS GHPCનો ભાગ છે.

તપન મોહંતિ અને તપેશ્વરનાથ દાસ પુરુષોની આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ કેટેગરીમાં ભારતીય પુરુષ ટીમના સભ્ય છે. જ્યારે ઓલિમ્પિયન પ્રણતિ નાયક મહિલા આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ કેટેગરીમાં ભારતીય મહિલા ટીમના સભ્ય છે.

આ સિદ્ધિ ખેલાડીઓની સમર્પિતતા અને સખત મહેનત તેમજ ઓડિશા AM/NS GHPC ખાતે આપવામાં આવતી વિશ્વસ્તરીય તાલીમ અને સર્વાંગી વિકાસને ઉજાગર કરે છે. આ કેન્દ્ર યુવા પ્રતિભાઓને વિકસાવવામાં અને ભારતમાં જિમ્નાસ્ટિક્સ રમતને નવી ઊંચાઈએ પહોંચાડવામાં સતત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

શ્રી આશુતોષ તેલાંગ, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ – એચઆર અને એડમિનિસ્ટ્રેશન, AM/NS Indiaના જણાવ્યા અનુસાર, “અમારા ઓડિશા AM/NS GHPCના 3 ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે, તે અમારા માટે ગૌરવની મહત્વપૂર્ણ સિદ્ધિ છે. તપન મોહંતિ, તપેશ્વરનાથ દાસ અને ઓલિમ્પિયન પ્રણતિ નાયક અમારા કેન્દ્રમાં વિકસાવવામાં આવેલી શ્રેષ્ઠતા, શિસ્ત અને અડગ મનોબળના ઉત્તમ ઉદાહરણ છે. તેમની આ સિદ્ધિ ઓડિશામાં અમે ઊભી કરેલી વિશ્વસ્તરીય તાલીમ અને સર્વાંગી વિકાસની વ્યવસ્થાનું પ્રતિબિંબ છે. AM/NS India વતી હું તેમને હાર્દિક અભિનંદન પાઠવું છું અને વૈશ્વિક મંચ પર પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.”

ઓડિશા AM/NS GHPCના ખેલાડીઓ ઇન્ટરનેશનલ કોન્ટિનેન્ટલ કપ 2026 (લિસ્બન), આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ એશિયન ચેમ્પિયનશિપ 2025, તુર્કીના અંતાલિયામાં યોજાયેલ FIG વર્લ્ડ કપ 2025 તેમજ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ નેશનલ ચેમ્પિયનશિપ્સ 2025–2026 સહિતના વિવિધ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મંચો પર સતત ઉત્કૃષ્ટ દેખાવ કરીને અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે, જે આ કેન્દ્રની સતત શ્રેષ્ઠ કામગીરી અને વૈશ્વિક મંચ માટેની તેની સજ્જતા દર્શાવે છે.

July 22, 2026
image-42.png
1min107

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં શ્રાવણ મહિનાના દર્શન, વહીવટી સુધારા અને ધાર્મિક સંચાલન અંગે મહત્વના નિર્ણયો લેવાયા. પૂજા-પદ્ધતિની પવિત્રતા જાળવવા ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરાયું, જેના અધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરી બન્યા. SBIની દાનની રકમની ગણતરીમાં બેદરકારી સામે ટ્રસ્ટે નારાજગી વ્યક્ત કરી. નવા સચિવ અને પ્રવક્તાની નિમણૂક કરાશે.

અયોધ્યામાં ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની અધ્યક્ષતામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી શ્રાવણ મહિનામાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા, દર્શન વ્યવસ્થા, વહીવટી સુધારા અને મંદિરના પરંપરાગત ધાર્મિક સંચાલનને લઈને અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

રામ મંદિરના તમામ ધાર્મિક કાર્યોનું સંચાલન હવે સંતોના માર્ગદર્શન હેઠળ જ થશે. પૂજા-પદ્ધતિની પવિત્રતા જાળવી રાખવા માટે ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીને આ સમિતિના અધ્યક્ષ બનાવાયા છે, જેમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી સહિત દેશના દિગ્ગજ સંતોનો સભ્યો તરીકે સમાવેશ કરાયો છે.

દાનની રકમની ગણતરી માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાથે થયેલા કરાર (MOU)ની સમીક્ષા કરવામાં આવી હતી. બેંકની કાર્યપ્રણાલી અને બેદરકારી સામે ટ્રસ્ટે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે. આ અંગે નાણાકીય સમિતિને SBI સાથેના ભવિષ્યના સંબંધો અને નિયમોની સમીક્ષા કરીને નિર્ણય લેવા આદેશ અપાયો છે.

દાનની રકમની ગણતરીમાં ગડબડના આરોપો અંગેની તપાસ કરી રહેલી SITનો આખરી રિપોર્ટ હજુ સુધી મળ્યો નથી, જેથી તે મુદ્દે આખરી નિર્ણય બાકી રાખવામાં આવ્યો છે. આ સિવાય, મંદિર પરિસરમાં દાન ગણતરી રૂમ સહિત તમામ મહત્વના CCTV કેમેરાનું એક્સેસ સુરક્ષા એજન્સીઓને પૂરું પાડવામાં આવ્યું હોવાનું બેઠકમાં જણાવાયું હતું.

મંદિરમાં CEOની પસંદગી પ્રક્રિયા માટે કમિટીએ વધુ 1 મહિનાનો સમય માંગ્યો છે, જેને ટ્રસ્ટે મંજૂરી આપી છે. વહિવટી કામગીરી સરળ બનાવવા માટે હાલ એક નવા સચિવની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ મીડિયા અને સમાજ સાથે યોગ્ય સંવાદ જાળવી રાખવા માટે ટ્રસ્ટ દ્વારા પહેલીવાર સત્તાવાર પ્રવક્તા નીમવામાં આવશે.

ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે વિવિધ અફવાઓ અને આરોપો છતાં રામ મંદિરે આવતા રામભક્તોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. ટ્રસ્ટે આને કરોડો ભક્તોની અટૂટ શ્રદ્ધા ગણાવીને તમામ શ્રદ્ધાળુઓ અને સંત સમાજનો આભાર માન્યો છે.

July 21, 2026
image-29.png
1min85

ભારત-અમેરિકા FTA સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ‘દેશ બચાવો મોરચા’ના આહ્વાન પર પંજાબના હજારો ખેડૂતો દિલ્હી કૂચ કરવા શંભુ બોર્ડર પર એકઠા થયા છે. FTA રદ કરવાની માંગ સાથે આ આંદોલન ઉગ્ર બન્યું છે. ગુરનામ સિંહ ચઢૂનીની અટકાયતથી વાતાવરણ વધુ ગરમાયું છે. શંભુ બોર્ડર પર કલમ 163 અને ચુસ્ત સુરક્ષા સાથે બેરિકેડ્સ ગોઠવાયા છે. ખેડૂતોનું માનવું છે કે FTAથી ભારતીય ખેતી અને ડેરી ઉદ્યોગને મોટું નુકસાન થશે.

July 20, 2026
adani-Navchetan.jpg
1min69

સુરત, હજીરા: નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ (શિવરામપુર) દ્વારા ‘તાપી પ્રાગટ્ય દિવસ’ની અનોખી ઉજવણી કરવામાં આવી. પર્યાવરણીય જાગૃતિના હેતુથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હજીરા ખાતે તાપી નદીના કિનારે પહોંચીને તાપી મૈયાનું ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું.

મુલાકાત પૂર્વે શિક્ષકોએ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદીના ભૌગોલિક મહત્વ, પ્રદૂષણના કારણો અને નદી સંરક્ષણ અંગે વિસ્તૃત સમજ આપી હતી. આ જ્ઞાનને અમલમાં મૂકતા વિદ્યાર્થીઓએ નદી કિનારે ઉત્સાહભેર સફાઈ ઝુંબેશ ચલાવી હતી અને પ્લાસ્ટિકમુક્ત તાપીનો સંદેશ આપતી એક પ્રભાવશાળી મૂક રેલી યોજી હતી.

વિદ્યાર્થીઓએ સ્વહસ્તે બનાવેલા આકર્ષક પોસ્ટરો દ્વારા સ્થાનિક નાગરિકો, વાહનચાલકો અને રાહદારીઓને નદી બચાવવા માટે પ્રેરિત કર્યા હતા. આ સરાહનીય પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા હજીરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના પ્રયાસોને બિરદાવ્યા હતા.

કાર્યક્રમના અંતે સૌએ તાપી નદીને કચરામુક્ત રાખવા, સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવા અને પર્યાવરણનું જતન કરવાના સામૂહિક શપથ લીધા હતા. આ પ્રેરણાદાયી અભિયાન દ્વારા અદાણી વિદ્યાલયે વિદ્યાર્થીઓ સાથે સમાજમાં પણ પર્યાવરણીય સંવેદનશીલતા જગાવવાનો સશક્ત પ્રયાસ કર્યો છે.

July 20, 2026
image-23-1280x853.png
1min62

માત્ર રૂ. 50માં સાત્વિક ભોજનની સુવિધા • હીરા ઉદ્યોગના વેપારીઓના સહયોગથી સામાજિક સેવાનું અનોખું મોડેલ • SDB માત્ર વેપાર નહીં, સંસ્કારનું પણ કેન્દ્ર બની રહ્યું છે

વિશ્વના સૌથી મોટા ઓફિસ કોમ્પ્લેક્સ તરીકે ઓળખાતા સુરત ડાયમંડ બુર્સ (SDB)માં હવે માત્ર હીરાના વેપાર પૂરતો જ નહીં, પરંતુ સામાજિક સેવા અને માનવ કેન્દ્રિત સુવિધાઓનો પણ વિસ્તાર થઈ રહ્યો છે. આજે SDB ખાતે ‘ચોવહાર હાઉસ અને ભોજનશાળા’નો પ્રારંભ કરવામાં આવ્યો, જે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, કર્મચારીઓ, મુલાકાતીઓ તેમજ જૈન સમાજના લોકો માટે મહત્વપૂર્ણ સુવિધા સાબિત થશે.

આ ભોજનશાળામાં દરરોજ બપોરે માત્ર રૂ. 50ના સેવામૂલ્યે સ્વચ્છ, સાત્વિક અને ભરપેટ શાકાહારી ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત સાંજના સમયે ચોવહારની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી જૈન ધર્મના નિયમોનું પાલન કરતા લોકોને અનુકૂળતા મળશે.

પ્રસંગે સુરત ડાયમંડ બુર્સ ચોવહાર હાઉસ અને ભોજનશાળા સમિતિના પ્રમુખ સેવંતીભાઈ શાહે જણાવ્યું હતું કે, હીરા ઉદ્યોગના વેપારીઓ અને દાતાશ્રીઓના સ્વૈચ્છિક સહયોગથી આ સેવા શરૂ થઈ છે અને તેનો મુખ્ય હેતુ ગુણવત્તાયુક્ત તથા સાત્વિક ભોજન સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.

SDBના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બુર્સ હવે માત્ર વૈશ્વિક હીરા વેપારનું કેન્દ્ર નથી રહ્યું, પરંતુ સેવા, સંસ્કાર અને સામાજિક જવાબદારીનું પણ પ્રતીક બની રહ્યું છે. ભવિષ્યમાં પણ વેપારીઓ અને દાતાશ્રીઓના સહયોગથી આવી સેવાઓ સતત ચાલુ રહેશે.

આ પ્રસંગે હીરા ઉદ્યોગના અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રકલ્પ અનેક દાતાશ્રીઓના ઉદાર યોગદાનથી સાકાર થયો હોવાનું સમિતિએ જણાવ્યું હતું.

SDB માટે આ પહેલ કેમ મહત્વપૂર્ણ?

છેલ્લાં કેટલાક વર્ષોમાં સુરત ડાયમંડ બુર્સે પોતાની ઓળખ માત્ર ઓફિસ સ્પેસ પૂરતી સીમિત રાખી નથી. વેપારીઓને એક જ કેમ્પસમાં બેંકિંગ, કસ્ટમ્સ, લોજિસ્ટિક્સ, સુરક્ષા, કોન્ફરન્સ સુવિધાઓ અને હવે ગુણવત્તાયુક્ત ભોજન જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં સતત પ્રયાસો થઈ રહ્યા છે. ‘ચોવહાર હાઉસ અને ભોજનશાળા’ જેવી પહેલ કર્મચારીઓ અને વેપારીઓ માટે સમય તથા ખર્ચની બચત સાથે કાર્યક્ષમતામાં વધારો કરશે.

વિશેષ કરીને હજારો કર્મચારીઓ અને મુલાકાતીઓ દરરોજ SDBમાં આવે છે. આવી સ્થિતિમાં ઓછી કિંમતમાં સ્વચ્છ અને વિશ્વસનીય ભોજન મળવાથી સમગ્ર બિઝનેસ ઇકોસિસ્ટમને સીધો લાભ મળશે. આ પહેલ SDBને ‘વર્કપ્લેસથી આગળ વધીને સંપૂર્ણ બિઝનેસ કમ્યુનિટી’ તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

July 20, 2026
image-22.png
1min40

કેન્સર સર્જરીમાં આધુનિક ટેકનોલોજીથી દર્દીઓ માટે ઝડપી રિક્વરી શક્ય

હવે કેન્સરની સારવારમાં માત્ર બીમારી મટાડવી જ નહીં, પરંતુ ‘ક્વોલિટી ઓફ લાઈફ’ (જીવનની ગુણવત્તા) જાળવવી મહત્વની

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રવિવારે તા. 19 જુલાઈ 2026ના રોજ સવારે 10:30 કલાકે, સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘નાનું કટ.. કેન્સર પર મોટી જીત’ વિશે સેશન યોજાયું હતું, જેમાં પીપી મણિયા હોસ્પિટલના સીનિયર કન્સલ્ટન્ટ સર્જન ડો. મિશાલ શાહે કેન્સર સર્જરી વિશે અને ડો. મૃદુલ પટેલે લેપ્રોસ્કોપિક સર્જરીના ફાયદાઓ વિસ્તૃત સમજ આપી હતી.

હવે કેન્સરની સારવારમાં માત્ર બીમારી મટાડવી જ નહીં, પરંતુ ‘ક્વોલિટી ઓફ લાઈફ’ (જીવનની ગુણવત્તા) જાળવવી મહત્વનીઃ ડો. મિશાલ શાહ
સીનિયર કન્સલ્ટન્ટ સર્જન ડો.મિશાલ શાહે કેન્સર સર્જરીમાં આવેલા પરિવર્તનો વિશે વાત કરતા જણાવ્યું કે, હવે કેન્સરની સારવારમાં માત્ર બીમારી મટાડવી જ નહીં, પરંતુ ‘ક્વોલિટી ઓફ લાઈફ’ (જીવનની ગુણવત્તા) જાળવવી અને પેશન્ટ કેટલી વહેલી તકે સામાન્ય જીવનમાં પરત ફરી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે લેપ્રોસ્કોપી (દૂરબીનથી થતી સર્જરી) દ્વારા પેટના અને છાતીના મોટાભાગના કેન્સરના ઓપરેશન હવે શક્ય છે, જેનાથી પેશન્ટને ઓછામાં ઓછો દુખાવો થાય છે.

ડો.મૃદુલ પટેલે લેપ્રોસ્કોપિક સર્જરીના ફાયદાઓ સમજાવતા કહ્યું કે,

  • પરંપરાગત 15-20 સે.મી.ના મોટા ચીરાને બદલે માત્ર 1 સેમીના નાના કાણાં દ્વારા જટિલ ઓપરેશનો કરવામાં આવે છે.
  • 3D અને 4K કેમેરા સિસ્ટમ દ્વારા ડોક્ટર્સને પેટની અંદરનું 360 ડિગ્રી સ્પષ્ટ દ્રશ્ય દેખાય છે, જે વધુ ચોકસાઈપૂર્વક સર્જરી કરવામાં મદદ કરે છે.
  • નાના ચીરાને કારણે પેશન્ટ 24 કલાકમાં ચાલતું થઈ જાય છે અને 4 થી 5 દિવસમાં રજા મેળવી શકે છે.
  • કેન્સરની સર્જરી બાદ કીમોથેરાપી કે રેડિએશનની જરૂર હોય તો દર્દી ઝડપથી રિક્વર થવાને કારણે સમયસર બીજી સારવાર શરૂ કરી શકાય છે.

સેમિનારમાં ICG ડાઈ જેવી નવી ટેકનોલોજી અને ચોથા સ્ટેજના કેન્સર માટે ‘પાઈપેક’ (PIPAC) જેવી અત્યાધુનિક પદ્ધતિઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી, જેના દ્વારા પેટમાં ભરાતા પાણીની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. નિષ્ણાંતોએ સ્પષ્ટ કર્યું હતું કે દૂરબીનથી થતા ઓપરેશન કોઈ પ્રયોગ નથી, પરંતુ આજના સમયમાં તે ‘સ્ટાન્ડર્ડ ઓફ કેર’ છે.

આ સેશનમાં ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ચેમ્બરના માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ, ડો.સોહમ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરની પબ્લિક હેલ્થ કમિટીના કો-ચેરમેન ડો.ભાવિની દીક્ષિતે વક્તાનો પરિચય આપ્યો હતો. અંતે, ઉપસ્થિતોને મુંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબો વક્તાશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા. ચેમ્બરની પબ્લિક હેલ્થ કમિટીના ચેરમેન ડો.જગદીશ વઘાસિયા કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તેમજ ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો.

July 20, 2026
image-21.png
1min98

ન્યુ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં સ્પેને ગત ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવી ટાઇટલ જીત્યું. 16 વર્ષ બાદ સ્પેને વર્લ્ડ કપ જીતી ઇતિહાસ રચ્યો. ફેરાન ટોરેસે 106મી મિનિટે ગોલ ફટકારી સ્પેનને જીત અપાવી. મેસીની ટીમ ટાઇટલ બચાવવામાં નિષ્ફળ રહી.

Spain vs Argentina FIFA World Cup Final: ન્યુ જર્સીના પ્રખ્યાત મેટલાઇફ સ્ટેડિયમમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપ 2026 ના હાઈ-વોલ્ટેજ ફાઇનલ મુકાબલામાં સ્પેને શાનદાર પ્રદર્શન કરતા ગત ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવીને ફૂટબોલ જગત પર પોતાનો કબજો જમાવ્યો છે. આ જીત સાથે સ્પેને 16 વર્ષ લાંબો વર્લ્ડ કપનો દુકાળ ખતમ કર્યો છે. અગાઉ સ્પેનિશ ટીમ 2010માં ચેમ્પિયન બની હતી. બીજી તરફ, લિયોનેલ મેસીની આગેવાની હેઠળની આર્જેન્ટિનાની ટીમ પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહી હતી અને સતત બે વાર વર્લ્ડ કપ જીતવાનો ઇટાલી અને બ્રાઝિલનો ઐતિહાસિક રેકોર્ડ બરાબરી ચૂકી ગઈ હતી. જેના બાદ મેદાનમાં મેસી રડતો દેખાયો હતો.

ફાઇનલ મેચમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. નિર્ધારિત 90 મિનિટના સમય સુધી બંનેમાંથી એકપણ ટીમ ગોલ કરી શકી નહોતી અને સ્કોર 0-0 ની બરાબરી પર રહ્યો હતો. આથી મેચ એક્સ્ટ્રા ટાઈમમાં પ્રવેશી હતી. મેચની 106મી મિનિટે સ્પેન માટે સબસ્ટિટ્યૂટ ખેલાડી તરીકે આવેલા ફેરાન ટોરેસે નિકો વિલિયમ્સના શાનદાર પાસ પર ગોલ ફટકારીને સ્પેનને 1-0ની નિર્ણાયક લીડ અપાવી હતી, જે અંત સુધી જળવાઈ રહી હતી અને ટોરેસ જીતનો અસલી હીરો બન્યો હતો.

આ મહામુકાબલામાં આર્જેન્ટિનાના સુપરસ્ટાર કેપ્ટન લિયોનેલ મેસીનો જાદુ બિલકુલ ચાલ્યો નહોતો. સ્પેનિશ ડિફેન્ડર્સે મેસીને આખી મેચ દરમિયાન જકડી રાખ્યો હતો. મેચના આંકડા પર નજર કરીએ તો સ્પેનનું પલડું ભારે રહ્યું હતું. પ્રથમ હાફમાં સ્પેન પાસે 65% અને બીજા હાફમાં 68% બોલ પઝેશન રહ્યું હતું. સ્પેને ગોલપોસ્ટ પર ઘણા સચોટ પ્રહારો કર્યા હતા, જેનો આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે બચાવ કર્યો હતો. જ્યારે આર્જેન્ટિના આખી મેચમાં એક પણ શૉટ ઓન ટાર્ગેટ લગાવી શકી નહોતી. મેચના અંતિમ સમયમાં આર્જેન્ટિનાના એન્ઝો ફર્નાન્ડીઝને બીજો યલો કાર્ડ મળતાં રેડ કાર્ડ આપી મેદાનની બહાર મોકલી દેવાયો હતો, જે આર્જેન્ટિના માટે મોટો ઝટકો હતો.

બંને ટીમો માટે ફાઇનલ સુધી પહોંચવાનો રસ્તો સરળ રહ્યો ન હતો. સ્પેને ગ્રુપ સ્ટેજમાં ટોચનું સ્થાન મેળવ્યા બાદ રાઉન્ડ ઓફ-32માં ઓસ્ટ્રિયા, રાઉન્ડ ઓફ-16માં પોર્ટુગલ, ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમ અને સેમિફાઇનલમાં મજબૂત ફ્રાન્સને 2-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ, આર્જેન્ટિનાએ ઇજિપ્ત, સ્વિટ્ઝર્લેન્ડ અને સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે રોમાંચક જીત મેળવીને સતત બીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ જીત સાથે સ્પેને આર્જેન્ટિના સામે વર્લ્ડ કપના ઇતિહાસમાં 60 ર્ષ જૂનો હિસાબ પણ બરાબર કરી લીધો છે.