સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં એલર્ટ
ગુજરાતમાં આગામી 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 5 જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત 8 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ અપાયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. માછીમારોને 8 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
Gujarat Rain Forecast: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ છે. 4 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલીના ખાંભામાં 7 ઇંચ, નવસારીના ગણદેવીમાં 6 ઇંચ, ચીખલી અને રાજુલામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે. તેવામાં હવામાન વિભાગે 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
5/7/206: 8 જિલ્લામાં રેડ
હવામાન વિભાગની આગાહી અનુસાર, 5 જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ અને પોરંબદર, બોટાદ, આણંદ પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે 8 અને 9 જુલાઈએ નવસારી, ડાંગ, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતના દરિયાકાંઠે ભારે તોફાની પવન ફૂંકાવાની શક્યતા પગલે હવામાન વિભાગે(IMD) આગામી પાંચ દિવસ એટલે કે 8 જુલાઈ 2026 સુધી ‘ફિશરમેન વોર્નિંગ’ એટલે કે માછીમારો માટેની ખાસ ચેતવણી આપી છે. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ(INCOIS) દ્વારા પણ ‘હાઇ વેવ એલર્ટ’ એટલે કે ઊંચા મોજાંની ખાસ ચેતવણી જાહેર કરાઈ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરના દરિયામાં 3.2 થી લઈને 3.5 મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળવાની આગાહી છે. કચ્છના દરિયામાં પણ 3.0 થી 3.1 મીટર ઊંચા મોજાં ઉછળશે. તંત્ર દ્વારા તમામ બંદરો પર ‘લોકલ કોશનરી સિગ્નલ નંબર 3’ (LC-III) લગાવી દીધું છે. આમ, દરિયાકાંઠાના વિસ્તારોને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે માછીમારોએ આ સમયગાળા દરમિયાન દરિયામાં બિલકુલ ન જવા સૂચન કરવામાં આવ્યું છે.
દેશના અગ્રણી વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના રાષ્ટ્રીય પ્રમુખ તથા દિલ્હીની ચાંદની ચોક લોકસભા બેઠકના ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે સુરતની મુલાકાત દરમિયાન દક્ષિણ ગુજરાતના વેપારીઓને આગામી 12થી 15 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારા ભારત વ્યાપાર મહોત્સવમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુરત દેશનું અગ્રણી વેપાર અને ઉદ્યોગ કેન્દ્ર હોવાથી મહોત્સવમાં સુરતની ઉપસ્થિતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પ્રસંગે કૈટના સુરત પ્રમુખ પ્રમોદ ભગત સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અશોક જીરાવાલા સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ભારત વ્યાપાર મહોત્સવ દેશભરના ઉત્પાદકો, વેપારીઓ, સ્ટાર્ટઅપ, સેવા ક્ષેત્ર અને એમએસએમઈ એકમોને એક જ મંચ પર લાવવાનો પ્રયાસ છે. આ મહોત્સવ દ્વારા નવા વ્યવસાયિક સંબંધો, માર્કેટિંગની તકો અને વેપારના વિસ્તરણ માટે અનુકૂળ વાતાવરણ ઉભું થશે.
તેમણે જણાવ્યું હતું કે સુરતમાંથી અત્યાર સુધીમાં અંદાજે 7 હજાર સ્ક્વેર ફૂટ જેટલી પ્રદર્શન જગ્યાના સ્ટોલનું બુકિંગ થઈ ચૂક્યું છે. તેમાં સૌથી વધુ ભાગીદારી ટેક્સટાઇલ ઉદ્યોગની છે, જે સુરતના કાપડ ઉદ્યોગની રાષ્ટ્રીય સ્તરે મજબૂત ઓળખ દર્શાવે છે. આગામી દિવસોમાં ડાયમંડ, જ્વેલરી, કેમિકલ, એન્જિનિયરિંગ, ફૂડ પ્રોસેસિંગ અને અન્ય સેવા ક્ષેત્રના વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાશે તેવી આશા વ્યક્ત કરી હતી.
પ્રવીણ ખંડેલવાલે વડાપ્રધાનના **’સ્વદેશી વેચો, સ્વદેશી ખરીદો’**ના સંદેશને વધુ મજબૂત બનાવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનશે, રોજગારીમાં વધારો થશે અને નાના-મધ્યમ વેપારીઓને નવી તકો મળશે. ભારત વ્યાપાર મહોત્સવ આ દિશામાં મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.
ચેમ્બરના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે આ મહોત્સવ નવા બજારો સુધી પહોંચવાનો ઉત્તમ અવસર છે. ચેમ્બર દ્વારા પણ સભ્યોને તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી સુરતના ઉત્પાદનો અને સેવાઓને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક ઓળખ મળી શકે.
દિલ્હી સરકારે પ્રદૂષણ ઘટાડવા ‘નવી EV પોલિસી 2026’ ને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 1 July 2026 થી 31 માર્ચ 2030 સુધી લાગુ પડતી આ નીતિ જાહેર કરી. દિલ્હીમાં EV વાહનો પર 100% રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી માફ થશે. ટુ-વ્હીલર પર ₹30,000, થ્રી-વ્હીલર પર ₹50,000 સુધીની સબસિડી મળશે. 2027 થી ફક્ત ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને 2028 થી ટુ-વ્હીલરનું જ રજીસ્ટ્રેશન થશે.
Delhi New EV Policy : દિલ્હી સરકારે પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ વાહનવ્યવહારને પ્રોત્સાહન આપવા માટે ‘નવી ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસી 2026’ ને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેરાત કરી છે કે આ નવી નીતિ 1 July 2026 થી લાગુ કરવામાં આવશે અને તે 31 માર્ચ 2030 સુધી પ્રભાવી રહેશે. આ પોલિસી હેઠળ દિલ્હીના નાગરિકોને કરોડો રૂપિયાના વિવિધ ટેક્સ અને સબસિડીના લાભો મળશે.
નવી નીતિ અનુસાર, દિલ્હીમાં ખરીદવામાં આવતા તમામ પ્યોર ઈલેક્ટ્રિક વાહનો પર 100 ટકા રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી માફ કરવામાં આવશે. જો કે, ચાર પૈડાવાળા વાહનો માટે આ નિયમ રૂ. 30 લાખ સુધીની એક્સ-શોરૂમ કિંમત વાળા વાહનો પર જ લાગુ પડશે.
નવી પોલિસીમાં વાહનોની ખરીદી પર વર્ષ પ્રમાણે સબસિડી નક્કી કરવામાં આવી છે. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદી પર પહેલા વર્ષે રૂ. 30,000, બીજા વર્ષે રૂ. 20,000 અને ત્રીજા વર્ષે રૂ. 10,000 ની સબસિડી મળશે. ઈલેક્ટ્રિક ઓટો (થ્રી-વ્હીલર) ખરીદી પર પહેલા વર્ષે રૂ. 50,000, બીજા વર્ષે રૂ. 40,000 અને ત્રીજા વર્ષે રૂ. 30,000 ની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત વાહનો સ્ક્રેપ કરવા પર પણ ખાસ ઈન્સેન્ટિવ મળશે.
દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાના હેતુથી સરકારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ, 1 જાન્યુઆરી 2027 થી દિલ્હીમાં તમામ થ્રી-વ્હીલર અને April 2028 થી તમામ ટુ-વ્હીલરનું રજીસ્ટ્રેશન માત્ર ઈલેક્ટ્રિક કેટેગરીમાં જ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, જે વાહનો પર સબસિડી લેવામાં આવશે તેને 3 વર્ષ સુધી અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કે રજીસ્ટ્રેશન કરાવી શકાશે નહીં.
આ નીતિને સફળ બનાવવા માટે દિલ્હીના મુખ્ય માર્ગો પર મોટા પાયે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. લોકો પોતાના અંગત વપરાશ માટે પણ ચાર્જિંગ સ્ટેશન બનાવી શકે તે માટે વીજ કંપનીઓ (ડિસ્કોમ) સાથે મળીને કામ શરૂ કરી દેવાયું છે. સરકાર આગામી 4 વર્ષમાં આ ક્ષેત્રે રૂ. 7,000 કરોડથી વધુનું સીધું રોકાણ કરશે, જેનાથી લોકોને ટેક્સ અને અન્ય સવલતો સહિત આશરે રૂ. 15,000 કરોડનો મોટો ફાયદો થશે.
મુંબઈમાં ચોમાસાના ભારે વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. રસ્તાઓ તળાવ બની ગયા છે અને ટ્રાફિક જામ થઈ ગયો છે. લોકોને ઘરોમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. અંધેરી સબવે (અંડરપાસ)માં એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આખી રાત પડેલા ભારે વરસાદને કારણે અંધેરી, બાંદ્રા, ખાર, મલાડ, ગોરેગાંવ, જુહુ અને વર્સોવા જેવા વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળી છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પણ પાણી ભરાઈ જવાને કારણે ગાડીઓની ગતિ ધીમી પડી ગઈ છે.
અંધેરી સબવે મુંબઈનો એક એવો રસ્તો છે જે પૂર્વ અને પશ્ચિમ (વિસ્તાર)ને જોડે છે. દરરોજ હજારો ગાડીઓ અને લોકો અહીંથી પસાર થાય છે. ચોમાસાના વરસાદમાં અંધેરી સબવેમાં પાણી ભરાઈ જવું એ એક જૂની સમસ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘણી જગ્યાએ ભારે પાણી ભરાયા હોવાની તસવીરો સામે આવી રહી છે. પાણી ભરાવાની સ્થિતિને જોતા સાવચેતીના ભાગરૂપે અંધેરી સબવેને મોડી રાત્રે 1.45 વાગ્યાથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ અપ્રિય ઘટના કે અકસ્માતને રોકવા માટે સબવેની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
એક તરફ ભારે વરસાદને કારણે મુંબઈગરાઓને બફારા અને ગરમીથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ વહેલી સવારે ઓફિસ અને કામે જનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે આજે પણ વરસાદનું ‘યેલો એલર્ટ’ જાહેર કર્યું છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે આ વખતે ચોમાસું 13 દિવસ મોડું મુંબઈ પહોંચ્યું હતું.
મુંબઈમાં ચોમાસાની ઋતુ હજી શરૂઆતના તબક્કામાં છે અને આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં પ્રશાસન (તંત્ર) સામે સૌથી મોટો પડકાર પાણી ભરાવાની સમસ્યા, ટ્રાફિક મેનેજમેન્ટ અને નાગરિક સુવિધાઓને રાબેતા મુજબ રાખવાનો રહેશે. બીજી તરફ, નાગરિકોને પણ હવામાન વિભાગ અને પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા (ગાઈડલાઈન્સ)નું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં સુરક્ષિત રહી શકાય.
મુંબઈ સહિત રાજ્યમાં બે થી ત્રણ દિવસના મોટા વિરામ બાદ ચોમાસાએ ફરી એકવાર જોરદાર એન્ટ્રી કરી છે. મુંબઈ અને તેના ઉપનગરો સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રવિવાર રાતથી જ મુંબઈ શહેર અને આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સોમવારે સવારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે.
હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી 24થા 48 કલાક મુંબઈ સહિત સમગ્ર રાજ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે મુંબઈ, પુણે, કોંકણ, મરાઠવાડા અને વિદર્ભના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન મુંબઈ અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદના ઝાપટા ચાલુ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી કરા પડવાની પણ શક્યતા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેથી લોકોને બફારા અને ગરમીથી મોટી રાહત મળશે.
રવિવાર રાતે 11.30 વાગ્યાથી લઈને સોમવાર વહેલી સવારે 4 વાગ્યાની વચ્ચે ઠાણેમાં મુસળધાર વરસાદ નોંધાયો હતો. માત્ર ચાર કલાકની અંદર જ અહીં આશરે 98mm જેટલો વરસાદ ખાબક્યો હતો. વિરોના કડકડાટ અને તોફાની પવન સાથે શરૂ થયેલા આ વરસાદે થાણે સહિત મુંબઈના ઉપનગરોને તરબતર કરી દીધું છે.
બીજી તરફ, પશ્ચિમ મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો સહિત પુણે જિલ્લાના આંબેગાંવ તાલુકાના પારગાંવ અને નિરગુડસર વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. આ વરસાદથી ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી છે.
ભારતીય હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ ઠાણે, પુણે, સાતારા, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે નાસિક, ધુળે, નંદુરબાર, નાંદેડ, હિંગોલી અને પરભણીમાં વીજળીના કડકડાટ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. સોમવારથી આગામી ત્રણ દિવસ સુધી કોંકણ કિનારાના વિસ્તારો અને ઘાટ ક્ષેત્રમાં વરસાદનું જોર વધુ જોવા મળશે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પવનની દિશામાં થઈ રહેલા ફેરફારોને કારણે પહેલી અને બીજી જુલાઈ દરમિયાન કોંકણ, મરાઠ અને વિદર્ભમાં વરસાદનું જોર ખૂબ વધારે રહેશે. 29મી જૂનથી બીજી જુલાઈ દરમિયાન ઉત્તર કોંકણના દરિયાકાંઠાના ભાગોમાં વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક રહેશે, જે વધીને 60 કિમી સુધી પહોંચી શકે છે. આથી વહીવટીતંત્ર દ્વારા માછીમારોને આ દિવસોમાં દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
ચેમ્બર ઓફ કોમર્સ અને ઘાના ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વચ્ચે MOU સાઈન કરાયા
ઘાનામાં ટેક્ષ્ટાઈલ, ફાર્મા, ઈલેક્ટ્રીક અને સોલાર ક્ષેત્રે ઉદ્યોગની તકો રહેલી છે
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ઘાના ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વચ્ચે શુક્રવાર, તા. ૨૬ જૂન ૨૦૨૬ ના રોજ Memorandum Of Understanding (MOU) સાઈન કરાયા. આ MOUનો મુખ્ય હેતુ ભારત અને ઘાના વચ્ચે વેપાર, ઉદ્યોગ, રોકાણ અને દ્વિપક્ષીય વ્યાપારને વધુ મજબૂત બનાવવાનો છે. આ ભાગીદારી દ્વારા બંને દેશોના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે નવાં બિઝનેસના અવસરો ઊભાં થશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, કોઈપણ દેશ સાથે વેપાર કરતા પહેલા આપણે એમની સરકારની યોજનાઓ તેમજ સરકારના ઉદ્યોગના પ્રોત્સાહન માટેની નીતિઓ અંગેની માહિતી મેળવવી જોઈએ. શરૂઆતમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો દ્વારા ઘાના સાથો નાના પાયે વેપાર કરવામાં આવશે. સમયાંતરે વેપારમાં વધારો કરવામાં આવશે. ઘાના સાથે વેપાર કરતી વખતે ચેમ્બર ઓફ કોમર્સને સાથે રાખીને વેપાર કરવો હિતાવહ રહેશે.
ઘાના ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર મિ. સ્ટીફન ક્વાકુ દારકુએ જણાવ્યું હતું કે, સુરત તેમજ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો પાસે ઘાના સાથે વેપાર કરવાની ઉત્તમ તક છે. ઘાના એક ફ્રી ટ્રેડ પોલિસી ધરાવતો દેશ છે. તેથી અહીં બિઝનેસ કરવું સરળ બને છે. ઘાનામાં ટેક્ષ્ટાઈલ, ફાર્મા, ઈલેક્ટ્રીક અને સોલાર ક્ષેત્રે ઉદ્યોગની તકો રહેલી છે. ઘાના ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગકારોને ઉદ્યોગ કરવા અથવા ઉદ્યોગ સ્થાપિત કરવા શક્ય હોય એટલો સહકાર આપશે.
ચેમ્બરના માનદ્ સેક્રેટરી શ્રી પરેશ લાઠિયાએ ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ઘાના ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મિ. ડેવિડ બ્રિયાન ઓબ્રો, એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સ્ટીફન ક્વાકુ દારકુ અને સભ્ય સોલોમોન વિયાફ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ ઉપસ્થિત રહયા હતા.
ભારતમાં જૂન 2026નો મહિનો છેલ્લા 146 વર્ષનો સૌથી સૂકો મહિનો સાબિત થયો છે. 4 જૂને કેરળમાં ચોમાસાનું આગમન થયું, પરંતુ 15 જૂન પછી તેની પ્રગતિ અટકી ગઈ. દેશમાં 40% અને મધ્ય ભારતમાં 60% વરસાદની અછત નોંધાઈ. નબળું MJO, કમજોર સોમાલી જેટ, રણની ગરમ હવા, ન્યુટ્રલ IOD અને બંગાળની ખાડીમાં લો-પ્રેશરનો અભાવ આ પાંચ પરિબળો જવાબદાર છે. ‘અલ નીનો’ની અસર જુલાઈ-સપ્ટેમ્બરમાં વધુ જોવા મળશે.
ભારતમાં ચોમાસાનું આગમન સમયસર થયું હોવા છતાં દેશનો એક બહુ મોટો ભાગ હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યો છે. જૂન 2026નો મહિનો ભારતીય હવામાન ઇતિહાસમાં વિતેલા 146 વર્ષના સૌથી સૂકા મહિનાઓમાંથી એક સાબિત થયો છે.
કેરળમાં 4 જૂને સમયસર એન્ટ્રી કર્યા બાદ ચોમાસું દક્ષિણ, પૂર્વ અને પૂર્વોત્તરના મોટાભાગના વિસ્તારોમાં ફેલાયું હતું, પરંતુ 15 જૂન પછી તે અચાનક અટકી ગયું હતું. આશરે બે અઠવાડિયા સુધી મોનસૂનની પ્રગતિ અટકી જતાં દેશમાં 40 ટકાથી વધુ અને મધ્ય ભારતમાં 60 ટકા જેટલી વરસાદની ભારે અછત નોંધાઈ છે. 23 જૂન પછી મુંબઈ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ પાછો ફર્યો છે, પરંતુ જૂનની આ ખાધ પુરાવવામાં હજુ સમય લાગશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે કોઈ એક નહીં પરંતુ પાંચ અલગ-અલગ સિસ્ટમ એકસાથે વરસાદની વિરુદ્ધ કામ કરી રહી હતી:
નબળું MJO (મેડન જુલિયન ઓસિલેશન): વૈશ્વિક સ્તરે વાદળો અને વાવાઝોડાની આ મોટી લહેર દર 30 થી 60દિવસે પૃથ્વીનું ચક્કર લગાવે છે. તે જૂન મહિનામાં હિંદ મહાસાગર પરથી આગળ વધી જતાં ભારતમાં વરસાદની ગતિ પણ ઘટી ગઈ.
કમજોર સોમાલી જેટ (Somali Jet): આ પવનો આફ્રિકાથી અરબ સાગર થઈને ભારત તરફ ભેજ લાવે છે, જે આ વર્ષે અત્યંત નબળા રહ્યા છે.
રણ પ્રદેશની ગરમ-સૂકી હવા: ઉત્તર-પશ્ચિમ ભારત અને પશ્ચિમ એશિયાના રણમાંથી આવેલી સૂકી હવાએ મધ્ય ભારત પર એક ‘ઢાંકણ’ જેવી સ્થિતિ સર્જી, જેથી વાદળો હોવા છતાં વરસાદ ન પડ્યો.
ન્યુટ્રલ ઇન્ડિયન ઓશન ડાઇપોલ (IOD): હિંદ મહાસાગરના બે ભાગોના તાપમાનનો આ તફાવત આ વખતે તટસ્થ (Neutral) રહ્યો, જેથી ચોમાસાને પૂરતી મદદ ન મળી.
બંગાળની ખાડીમાં લો-પ્રેશરનો અભાવ: બંગાળની ખાડીમાં ઓછું દબાણ ધરાવતી મજબૂત સિસ્ટમ ન બનવાને કારણે વાદળો દેશના આંતરિક ભાગો તરફ ખેંચાઈ શક્યા નહીં.
અમેરિકન એજન્સી NOAA દ્વારા જૂનના બીજા અઠવાડિયામાં જ ‘અલ નીનો’ (El Nino) ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના મતે જૂનની અછતમાં તેની અસર ઓછી હતી, પરંતુ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં તેનો મોટો ખતરો જોવા મળી શકે છે.
હવામાન વિભાગનો અંદાજ છે કે આ વર્ષે દેશમાં કુલ વરસાદ સામાન્ય કરતાં ઓછો એટલે કે અંદાજે 90 ટકા જેટલો જ રહેશે. આ સાથે જ ગ્લોબલ વોર્મિંગના કારણે વૈજ્ઞાનિકોની ચિંતા એ પણ વધી છે કે, ગરમ હવા વધુ પાણી સંગ્રહી શકે છે, જેના લીધે લાંબા સૂકા ગાળા પછી અચાનક અત્યંત ભારે વરસાદ (Flash Floods) આવવાનું જોખમ પણ વધી જાય છે.
સુરત, ૨૮ જૂન ૨૦૨૬ : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા તા. ૨૬ થી ૨૮ જૂન ૨૦૨૬ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે યોજાયેલા ત્રણ દિવસીય ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ નું આજે રવિવારે ભવ્ય સમાપન થયું હતું. આ પ્રદર્શનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સને સુરત શહેરની સાથે જ સમગ્ર દેશ અને વિદેશમાંથી આવેલા જેન્યુન બાયર્સ તરફથી અભૂતપૂર્વ અને જબરજસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે.
દેશના અગ્રણી કોર્પોરેટ હાઉસીસ અને ખરીદદારો એક જ મંચ પર: પ્રમુખ અશોક જીરાવાલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ એક્ષ્પોની સફળતા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “આ પ્રદર્શનનો મુખ્ય હેતુ ભારત અને વિદેશના ફેબ્રિક ઉત્પાદકો, ટેક્સટાઇલ ઉદ્યોગકારો, ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ, ફેશન ડિઝાઇનર્સ, નિકાસકારો અને હોલસેલર્સને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો હતો, જેમાં ચેમ્બરને મોટી સફળતા મળી છે. ભારતની મુખ્ય કાપડ મંડીઓ જેવી કે જયપુર, જોધપુર, ઇરોડ, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઈ, મુંબઈ અને દિલ્હીથી ફેબ્રિક્સના મોટા ગજાના જેન્યુન બાયર્સ તેમજ દેશના અગ્રણી કોર્પોરેટ હાઉસીસના પર્ચેઝ મેનેજરોએ આ પ્રદર્શનની ખાસ મુલાકાત લીધી હતી.”
તેમણે ઉમેર્યું કે, પ્રદર્શનના શરૂઆતના બે દિવસ દરમિયાન ૨૦,૦૦૦ વિઝીટર્સે મુલાકાત લીધી હતી, જ્યારે આજે રવિવારની રજાના દિવસે વધુ ૧૫,૦૦૦ લોકો ઉમટી પડ્યા હતા. આમ, ત્રણ દિવસમાં કુલ ૩૫,૦૦૦ જેટલા વિઝીટર્સ અને ૨,૫૦૦ થી વધુ અલગ-અલગ શહેરોના જેન્યુન બાયર્સે આ એક્ઝિબિશન નિહાળ્યું હતું.
વિસ્કોસ, સાલસા અને હોમ ફર્નિશિંગ ફેબ્રિક્સની ધૂમ ડિમાન્ડ
ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬ના ચેરમેન ડૉ. હરેશ પટેલે વ્યાપારી ટ્રેન્ડ્સ અંગે જણાવ્યું કે, બહારથી આવેલા મોટા ગજાના બાયર્સમાં લેટેસ્ટ ટેક્નોલોજી આધારિત વિસ્કોસ ફેબ્રિક ઉપર પોઝિશન પ્રિન્ટ, એરજેટ મશીન પર બનેલા સાલસા પ્લેન અને સાલસા બુટીના ફેબ્રિક્સમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત નાયલોન ફેબ્રિક અને ટોપ ડાયડ સાડીઓની જેમ જ વોટરજેટ લૂમ્સ પર તૈયાર થયેલા હોમ ફર્નિશિંગના પ્લેન ફેબ્રિક તથા ડોબી ફેબ્રિકની પણ બજારમાં ખૂબ ડિમાન્ડ રહી હતી.
પ્રદર્શનમાં વોટરજેટના વેલ્યુ એડિશન ફેબ્રિક્સ અને ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ દ્વારા ડેનિમ ફેબ્રિક્સની વ્યાપક પૂછપરછ અને ઓર્ડર્સ જોવા મળ્યા હતા. બાયર્સ તરફથી મળેલા આ શાનદાર પ્રતિસાદને કારણે પ્રદર્શનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સને આશરે રૂપિયા ૬૦૦ કરોડથી વધુનો સ્પોટ અને પ્રોસ્પેક્ટિવ બિઝનેસ મળ્યો છે, જે સુરતના કાપડ ઉદ્યોગ માટે આગામી દિવસોમાં ખૂબ જ આશાસ્પદ સાબિત થશે.
નામને સાર્થક કરતા ૧,૦૦૦ થી વધુ અન્ય શહેરના બાયર્સ અને ઘાનાથી તેમજ નેધરલેન્ડથી આવેલ જેન્યુન બાયર્સે એક્ઝિબિશનની મુલાકાત લીધીઃ ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલા
સુરતઃ ધી સધર્નગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૨૬ થી ૨૮ જુન ૨૦૨૬ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ ને બાયર્સનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ નામને સાર્થક કરતા આ એક્ઝિબિશનમાં બે દિવસ દરમિયાન કુલ ૨૦,૦૦૦ વિઝીટર્સે મુલાકાત લીધી, જેમાં ૧,૦૦૦ થી વધુ અન્ય શહેરમાંથી આવેલ બાયર્સ અને ઘાનાથી તેમજ નેધરલેન્ડથી આવેલ જેન્યુન બાયર્સેનો સમાવેશ થાય છે. આ એક્ઝિબિશન યાર્નમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેક્નિકલ ટેક્ષ્ટાઈલ્સ, વેલ્વેટ અને પાઈલ ફેબ્રિક ઉત્પાદકો તેમજ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
આ એક્ષ્પોમાં હોસ્પિટલ કર્ટેન્સ, શાવર કર્ટેન્સ, ડ્રેપરીઝ બ્લેક–આઉટ અને વ્હાઇટ–આઉટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર પોલિએસ્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર બેડશીટ્સ, કમ્ફર્ટર ફેબ્રિક,માઇક્રો ફાઇબર ડ્યુવેટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ્સ અને ડ્યુવેટ કવર્સ, પીલો કવર્સ, માઇક્રો ફાઇબર બેડસ્પ્રેડ, પ્લેટેડ માઇક્રો ફાઇબર બેડસ્કટ્ર્સ, ડિજીટલ પ્રિન્ટેડ બ્લેક આઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવી રહી છે. આ બધી પ્રોડક્ટ સુરતમાં ઇન્ટીગ્રેટેડ અથવા કમ્પોઝીટ યુનિટ એટલે કે વિવિંગ, નીટિંગ અને સ્ટીચિંગની સુવિધા ધરાવનારા ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવે છે.
ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોમાં લેટેસ્ટ ટેક્નોલોજીનું વિસ્કોસ ફેબ્રિક પર પોઝિશન પ્રિન્ટ, એરજેટ ઉપર સાલસા પ્લેન અને સાલસા બુટીનું ફેબ્રિક પ્રદર્શનને નિહાળવા લોકો આવી રહ્યા છે. આ ઉપરાંત, લક્ઝરી, કમ્ફર્ટ અને ટ્રેન્ડી ફેશનનું અનોખું સંયોજન પશ્મિના બોમ્બર જેકેટ ફેબ્રિક, લૂમ પર સીધું એમ્બ્રોઈડરી ઈફેક્ટ આપતું પ્રીમિયમ અને હાઈ-વેલ્યુ લપેટ એમ્બ્રોઈડરીડ ફેબ્રિક (Lappet Embroidered Fabric), ટેક્ષ્ટાઈલ વેસ્ટમાંથી તૈયાર થયેલું ઈકો-ફ્રેન્ડલી રિસાયકલ કોટન ફેબ્રિક જોવા મળી રહ્યું છે.
અગ્રણી ટેક્સ્ટાઈલ ગૃહો અને ડિઝાઇનરો પરંપરાગત-એથનિક અને ફેશન વસ્ત્રોના જીવંત કલેક્શન રજૂ કરી રહ્યા છે. પરંપરાગત સાડીઓથી માંડીને અત્યાધુનિક ફ્યુઝન વસ્ત્રો સુધી, આ પ્રદર્શન સ્થાનિક તેમજ નિકાસ બજારોને આકર્ષતા ઉત્પાદનોની વિવિધ શ્રેણી રજૂ કરે છે.
સરકારે કોમર્શિયલ LPG સપ્લાય પરના તમામ પ્રતિબંધો હટાવ્યા, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકોને રાહત
કેન્દ્ર સરકારે ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ LPGનો સપ્લાય પશ્ચિમ એશિયાના સંકટ પૂર્વેના સ્તરે પુનઃસ્થાપિત કર્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે સેક્ટર-સ્પેસિફિક એલોકેશન કેપ્સ પણ હટાવી દીધા છે. પ્રોપેન અને બ્યુટેન પરના પ્રતિબંધો પણ હળવા કરાયા છે. જોકે, PNG તરફ સ્થળાંતરની ઝુંબેશ ચાલુ રહેશે.
પશ્ચિમ એશિયાના સંકટના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશના ઔદ્યોગિક સેક્ટરમાં જે દબાણ જોવા મળી રહ્યું હતું, તેમાં હવે કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. સરકારે ગુરુવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને ઇન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસના સપ્લાયને કટોકટી પહેલાના સ્તરે પુનઃસ્થાપિત કરી દીધો છે. આ સાથે જ સરકારે અગાઉ લાદવામાં આવેલા તમામ સેક્ટર-સ્પેસિફિક એલોકેશન કેપ્સ પણ હટાવી લીધા છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે કહ્યું છે કે, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ LPG ગ્રાહકોને મોટી રાહત આપતા, સરકારે નોન-ડોમેસ્ટિક પેક્ડ LPGની સપ્લાય પરના તમામ સેક્ટરલ પ્રતિબંધો દૂર કર્યા છે અને પશ્ચિમ એશિયાના સંકટ પહેલા પ્રવર્તતા સ્તરે સપ્લાય પુનઃસ્થાપિત કર્યો છે.
નવા નિર્દેશો અનુસાર, જે મોટા ગ્રાહકો છે, તેમને કટોકટી પૂર્વેના તેમના કુલ વપરાશના 50% જરૂરિયાત જેટલો ગેસ ફાળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કટોકટીની શરૂઆતમાં આ સપ્લાય સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.
માર્ચ મહિનાની શરૂઆતમાં જ્યારે કટોકટી ચરમસીમા પર હતી, ત્યારે સરકારે કોમર્શિયલ LPGના સપ્લાય પર કામચલાઉ પ્રતિબંધો મૂક્યા હતા. ત્યારબાદ સ્થિતિ સુધરતા અલગ-અલગ તબક્કામાં સપ્લાય વધારીને 70% સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાઇપ્ડ નેચરલ ગેસ તરફ ઝડપથી વળવા માટે 10%ની શરતી ફાળવણી પણ સામેલ હતી.
સરકારે માત્ર LPG સપ્લાય જ નથી વધાર્યો, પરંતુ અન્ય ઔદ્યોગિક કેમિકલ્સના નિયમોમાં પણ ઢીલ આપી છે. અગાઉ સરકારે આદેશ આપ્યો હતો કે પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ માત્ર સ્થાનિક LPGના ઉત્પાદન માટે જ કરવો. હવે આ કડક આદેશને પણ હળવો કરવામાં આવ્યો છે.ભવિષ્યમાં સપ્લાયનું યોગ્ય સંચાલન થઈ શકે તે માટે પેટ્રોલિયમ મંત્રાલયે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકોનો ડેટા સતત મેઇન્ટેન રાખવા માટે પણ સૂચના આપી છે.
નવા PNG કનેક્શન્સ (માર્ચથી અત્યાર સુધી) > 10,00,000થી વધુ કનેક્શન્સ અપાયા
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી (ભવિષ્યના કનેક્શન્સ) > 3,22,000 વધારાના કનેક્શન્સ માટે લાઈનો તૈયાર
મે 2026 માં કુલ LPG વપરાશમાં ઘટાડો > 19% નો ઘટાડો (પ્રોવિઝનલ સરકારી ડેટા મુજબ)
સરકારે ભલે LPG સપ્લાય સામાન્ય કરી દીધો હોય, પરંતુ દેશમાં પાઇપ્ડ નેચરલ ગેસનો વ્યાપ વધારવાનો તેનો સંકલ્પ યથાવત છે. કટોકટી સમયે LPG પરનું દબાણ ઘટાડવા માટે જે ગ્રાહકોને PNG પર શિફ્ટ કરવામાં આવ્યા હતા, તેઓ આગામી સમયમાં પણ PNG પર જ રહેશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, જે કોમર્શિયલ અને બલ્ક ગ્રાહકો પાસે PNG નેટવર્કની સુવિધા ઉપલબ્ધ છે, અથવા જેઓ શિફ્ટ થવાની પ્રક્રિયામાં છે, તેમને સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન સંસ્થાઓના સંકલન સાથે ક્રમશઃ PNG તરફ વાળવામાં આવશે.
SGCCI દ્વારા સરસાણા સ્થિત SIECC ખાતે તા. ૨૬ થી ૨૮ જુન ૨૦૨૬ દરમ્યાન ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો – ૨૦૨૬’ યોજાશે
ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોમાં લેટેસ્ટ ટેક્નોલોજીનું વિસ્કોસ ફેબ્રિક પર પોઝિશન પ્રિન્ટ, એરજેટ ઉપર સાલસા પ્લેન અને સાલસા બુટીનું ફેબ્રિક પ્રદર્શનમાં જોવા મળશે – ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોક જીરાવાલા
આ પ્રદર્શન થકી એક્ઝિબિટર્સને વુવન, નીટેડ, ટેક્નિકલ ટેક્ષ્ટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા ૧,૦૦૦થી વધુ બાયર્સ સામે પોતાની પ્રોડકટ રજૂ કરવા માટે ઉત્તમ તક મળશે
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૨૬ થી ૨૮ જુન ૨૦૨૬ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો-૨૦૨૬’ નું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સનું અગાઉ ‘વિવનીટ એક્ઝિબિશન’ના નામથી પ્રખ્યાત અને સફળ રહેલ એક્ઝિબિશન હવે ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોના નામથી ઓળખાશે. નામને અર્થસભર બનાવતા ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોનો ઉદ્દેશ્ય શહેરના વિવિંગ, નીટિંગ, નેરો ફેબ્રિક્સ, ટેક્નિકલ ટેક્ષ્ટાઈલ અને ગારમેન્ટ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. આ એક્ઝિબિશન થકી યાર્નમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેક્નિકલ ટેક્ષ્ટાઈલ્સ, વેલ્વેટ અને પાઈલ ફેબ્રિક ઉત્પાદકો તેમજ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. અગાઉના વિવનીટ એક્ઝિબિશનને મળેલી જબરદસ્ત સફળતાને પગલે આ વર્ષે એક્ઝિબિશનનું પાંચમું એડીશન ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો મુખ્ય હેતુ સુરતના મેન્યુફેક્ચરર્સને માત્ર સુરત કે ભારત પૂરતુ મર્યાદિત ન રાખતા તેમને વૈશ્વિક એટલે કે લોકલ ટુ ગ્લોબલ કરવાનો છે.
આ એક્ષ્પોમાં હોસ્પિટલ કર્ટેન્સ, શાવર કર્ટેન્સ, ડ્રેપરીઝ બ્લેક–આઉટ અને વ્હાઇટ–આઉટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર પોલિએસ્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર બેડશીટ્સ, કમ્ફર્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ્સ અને ડ્યુવેટ કવર્સ, પીલો કવર્સ, માઇક્રો ફાઇબર બેડસ્પ્રેડ, પ્લેટેડ માઇક્રો ફાઇબર બેડસ્કટ્ર્સ, ડિજીટલ પ્રિન્ટેડ બ્લેક આઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવશે. આ બધી પ્રોડક્ટ સુરતમાં ઇન્ટીગ્રેટેડ અથવા કમ્પોઝીટ યુનિટ એટલે કે વિવિંગ, નીટિંગ અને સ્ટીચિંગની સુવિધા ધરાવનારા ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવે છે.
ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોમાં લેટેસ્ટ ટેક્નોલોજીનું વિસ્કોસ ફેબ્રિક પર પોઝિશન પ્રિન્ટ, એરજેટ ઉપર સાલસા પ્લેન અને સાલસા બુટીનું ફેબ્રિક પ્રદર્શનમાં જોવા મળશે. આ ઉપરાંત, લક્ઝરી, કમ્ફર્ટ અને ટ્રેન્ડી ફેશનનું અનોખું સંયોજન પશ્મિના બોમ્બર જેકેટ ફેબ્રિક, લૂમ પર સીધું એમ્બ્રોઈડરી ઈફેક્ટ આપતું પ્રીમિયમ અને હાઈ-વેલ્યુ લપેટ એમ્બ્રોઈડરીડ ફેબ્રિક (Lappet Embroidered Fabric), ટેક્ષ્ટાઈલ વેસ્ટમાંથી તૈયાર થયેલું ઈકો-ફ્રેન્ડલી રિસાયકલ કોટન ફેબ્રિક પણ જોવા મળશે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ જણાવ્યું હતું કે, ગત વર્ષે યોજાયેલા વિવનીટ એક્ઝિબિશનમાં એક્ઝિબિટર્સને છ મહિનામાં જ રૂપિયા ૪૫૦ કરોડથી વધુનો બિઝનેસ મળ્યો હતો. જો કે, આ વર્ષે એકિઝબિશન મોટા પાયે થવા જઈ રહ્યું છે, ત્યારે એક્ઝિબિટર્સને આશરે રૂપિયા ૬૦૦ કરોડથી વધુનો બિઝનેસ મળશે એવી આશા સેવાઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, ટેક્ષ્ટાઈલ મેન્યુફેક્ચરર્સ અને કપડાનાં વેપારીઓ વચ્ચે મહત્વની કડી સાબિત થતા મોટા ગજાના બ્રોકર્સ પણ આ પ્રદર્શનમાં હાજર રહેવાના છે, આથી આ બ્રોકર્સને નવી વેરાયટીઓ અને ક્વોલિટીઓ આપવામાં આ એક્ઝિબિશન મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડશે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોનું ઉદઘાટન સમારોહ શુક્રવારે, તા. ૨૬ જુન ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઉષાકાંત મારફતિયા હોલ (UKM), સરસાણા ખાતે યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તેમજ ઉદઘાટક તરીકે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી શ્રી જયરામ ગામિત ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્લોબલ પ્રેસિડેન્ટ (બિઝનેસ ડેવલપમેન્ટ) શ્રી મૃગન થેન્કોન્ડાર, અજમેરા ફેશન લિમિટેડના સીઈઓ અને સંસ્થાપક શ્રી અજય અજમેરા, સર્જન ઈન્ટરનેશનલના સંસ્થાપક શ્રી અમિત ડોબરિયા, બોમ્બે ડાઈંગના મેનેજર શ્રી રજનેશ દત્ત અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયા અને માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલે જણાવ્યું હતું કે, સરસાણાના સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફૂટ એરિયાના પીલરલેસ એસી હોલમાં યોજાનાર ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પોમાં સુરત ઉપરાંત ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળની સાથે ચીનના શેન્ગઝુહો શહેરના મળીને કુલ ૨૦૦ જેટલા એક્ઝિબિટર્સ ભાગ લેશે. આ એક્ઝિબિશનના માધ્યમથી તેઓ દેશભરના હોલસેલ ટ્રેડર્સ, રીટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશન ડિઝાઈનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેક્ચરર્સ, સ્પેશિયલ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ મેન્યુફેક્યરર્સ અને માસ કન્ઝમ્પશન કરતા પ્રોડક્ટ મેન્યુફેક્ચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે.
આ એક્ઝિબિશનમાં ગુજરાત જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે જયપુર, જોધપુર, ઈરોડ, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના જેન્યુન બાયર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન થકી એક્ઝિબિટર્સને વુવન, નીટેડ, ટેકનીકલ ટેક્ષ્ટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા ૨૫,૦૦૦થી વધુ બીટુબી બાયર્સ અને વિઝીટર્સ સામે પોતાની પ્રોડક્ટ રજૂ કરવા માટે ઉત્તમ તક મળશે.
ચેમ્બરના ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનિષ કાપડિયાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ભાગ લેનારા મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એક્ઝિબિશન બની રહેશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્સ તથા રેપીયર જેકાર્ડથી બનેલી આઇટમ્સ જેવી કે ટોપ ડાયડ સાડી, ડાયબલ વિસ્કોસ સાડી, ડાયબલ નાયલોન સાડી, કર્ટન ફેબ્રિક, સોફા ફેબ્રિક, લુંગી ફેબ્રિક, ડિજિટલ પ્રિન્ટ અને ફેન્સી પ્રિન્ટ ફેબ્રિક અને ટેક્નિકલ ટેક્ષ્ટાઇલ્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે. આ એક્ઝિબિશનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સ નવી પ્રોડક્ટને લોન્ચ કરી શકશે અને બ્રાન્ડ વિશે અવેરનેસ લાવવાની તક પણ ઝડપી શકશે. સાથે જ કોર્પોરેટ ઇમેજ ઉભી કરી શકશે અને નેટવર્કીંગ પણ ગોઠવી શકશે. તદુપરાંત પ્રોડક્ટ અને ટેકનોલોજીના માધ્યમથી નવી એપ્લીકેશન્સ અને સોલ્યુશન્સ મેળવી શકશે.
ગ્લોબલ ફેબ્રિક એક્ષ્પો– ર૦ર૬ના ચેરમેન શ્રી હરેશ પટેલે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ભાગ લેનારા એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને ગુજરાત સરકાર તરફથી સબસિડીનો પણ લાભ મળશે. આ ઉપરાંત આ પ્રદર્શન થકી ઉદ્યોગકારો માટે ઉદ્યોગ – ધંધાની વિશાળ તકો ઉભી થશે. તદુપરાંત, ટેક્ષ્ટાઇલ પ્રોસેસર્સ એન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, ફેશન ડિઝાઇનર એન્ડ ફેબ્રિક બાઇંગ હાઉસિસ, બિઝનેસ લીડર્સ એન્ડ આંત્રપ્રિન્યોર્સ, ડિસીઝન મેકર્સ ફ્રોમ ગવર્નમેન્ટ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ એકઝીકયુટીવ, સી.ઇ.ઓ., સિનિયર એકઝીકયુટીવ ફ્રોમ ઇન્ડસ્ટ્રી, ઓપરેશન / ટેક્નિકલ – પરચેઝ મેનેજર, ઇન્વેસ્ટર્સ એન્ડ વેન્ચર કેપિટલાઇઝેશન, રીટેલર ઇન્ડસ્ટ્રી એસોસીએશન, એનજીઓ અને કન્સલ્ટન્ટને આ પ્રદર્શનમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મળી રહેશે.
આ એક્ઝિબિશનમાં બાયર્સને મેન્યુફેક્ચરર ડાયરેક્ટ ફેક્ટરીથી ફેબ્રિક પર્ચેસ કરવાની તક મળશે. સાથે લેટેસ્ટ ટેક્નોલોજીના નવા-નવા સેમ્પલ જોવા મળશે. એરજેટ, ડિજિટલ પ્રિન્ટ, શીફલી મશીન અને બીડસ એમ્બ્રોઈડરી મશીન્સમાંથી બનાવવામાં આવેલ ફેબ્રિક પ્રદર્શનમાં જોવા મળશે.
વેનેઝુએલામાં Dated 24 June 2026 બુધવારે સાંજે 7.1 અને 7.5ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજધાની કરાકસ સહિત અનેક શહેરો ધ્રુજી ઉઠ્યા હતા, જ્યાં અનેક મકાનો ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી. યુએસએ સુનામી એલર્ટ જારી કર્યું છે. ગૃહમંત્રીએ લોકોને ઘરમાં ન જવા અને રાહત કાર્યમાં મદદ કરવા અપીલ કરી છે. અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં બુધવારે સાંજે કુદરતે ભારે કહેર વર્તાવ્યો છે. અહીં માત્ર થોડી જ મિનિટોના અંતરાલમાં એકપછી એક એમ બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ એટલો પ્રચંડ હતો કે રાજધાની કૅરાકસ (Caracas) સહિત દેશના અનેક રાજ્યો ધ્રુજી ઉઠ્યા હતા. આ આફતને કારણે કૅરાકસમાં અનેક રહેણાંક મકાનો અને બહુમાળી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે, જેના કારણે ચારેકોર ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ સાથે દેશમાં રાષ્ટ્રપતિ દ્વારા ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.
પ્રથમ આંચકો: સાંજે આવેલા પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ વેનેઝુએલાના કેરેબિયન દરિયાકાંઠાના મોરોન શહેર પાસે, રાજધાની કરાકસથી આશરે 168 કિલોમીટર દૂર અને જમીનથી 13 કિલોમીટરની ઊંડાઈએ હતું.
બીજો આંચકો: પ્રથમ આંચકાની થોડી જ મિનિટો બાદ તેનાથી પણ વધુ તીવ્ર એટલે કે 7.5 ની ક્ષમતાનો બીજો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર મોરોનથી 16 કિલોમીટર દૂર અને 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું.
આ પ્રચંડ ધરતીકંપ બાદ અમેરિકાના પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે દરિયાઈ મોજા ઉછળવાની આશંકાને પગલે પ્યુર્તો રિકો અને વર્જિન આઇલેન્ડ્સ માટે સુનામીની ચેતવણી (Tsunami Warning) જારી કરી દીધી છે.
ભૂકંપના જોરદાર આંચકા અનુભવાતા જ લોકો જીવ બચાવવા માટે ઇમારતોમાંથી બહાર ખુલ્લા મેદાન અને રસ્તાઓ તરફ ભાગ્યા હતા. લોકો પોતાની નજર સામે જ દીવાલો ધરાશાયી થતી અને ઘરનો સામાન રસ્તાઓ પર વેરવિખેર થતો જોઈને આઘાતમાં સરી પડ્યા હતા. કૅરાકસના બે મુખ્ય વ્યાપારી વિસ્તારો, જ્યાં સામાન્ય રીતે રેસ્ટોરાં અને દુકાનોમાં ભારે ભીડ હોય છે, ત્યાં ઇમારતો ધરાશાયી થવાને કારણે આકાશમાં ધૂળના વિશાળ ગિન્નારો (ગુબાર) ઉડતા જોવા મળ્યા હતા.
વેનેઝુએલાના ગૃહમંત્રી ડિયોસ્ડાડો કાબેયોએ જણાવ્યું હતું કે કૅરાકસના અલ્તામીરા (Altamira) વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે, જ્યાં સૌથી વધુ મકાનો અને બિલ્ડિંગો તૂટી પડ્યા છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ અત્યારે ભૂલથી પણ ઘરોની અંદર ન જાય, કારણ કે સતત આવી રહેલા ‘આફ્ટરશોક્સ’ (Aftershocks) ના કારણે નબળી પડેલી ઇમારતો ગમે ત્યારે પડી શકે છે.
આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ગૃહમંત્રીએ ટીવી પર સંબોધન કરતા વાહનચાલકોને વિનંતી કરી છે કે તેઓ એમ્બ્યુલન્સ અને રાહત સામગ્રી લઈ જતા વાહનોને પ્રાથમિકતાના ધોરણે રસ્તો આપે. પ્રશાસન નિયમોનુસાર બચાવ કામગીરી કરી રહ્યું છે અને ખાસ કરીને બાળકો તેમજ વૃદ્ધોની વિશેષ સંભાળ રાખવા અને કોઈ પરિવાર મદદ વિના ન રહી જાય તે માટે એકબીજાના સંપર્કમાં રહેવા તાકીદ કરવામાં આવી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.