Alert Archives - Page 7 of 511 - CIA Live

April 22, 2026
image-11.png
1min203

આજે 22/04/2026 સવારે 8 વાગ્યે કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું અને આશરે 51 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ ઉદઘાટન સમયે હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે પ્રાર્થના કરી હતી. મંદિર 22 એપ્રિલથી શરૂ થતા આગામી છ મહિના સુધી ખુલ્લું રહેશે.

કેદારનાથ ધામમાં ડોલી આવી ત્યારે લગભગ છ થી આઠ હજાર ભક્તો હાજર હતા. આખો વિસ્તાર “હર હર મહાદેવ” ના નારાથી ગુંજી ઉઠ્યો. ભક્તોએ બાબા કેદારનું ભવ્ય સ્વાગત કર્યું, જેનાથી શ્રદ્ધાથી ભરેલું વાતાવરણ સર્જાયું. બુધવારે સવારે મંદિરના દરવાજા ખુલ્યા બાદ, મંદિરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ.

ગયા વર્ષે, 23 ઓક્ટોબર, 2025 (ભાઈ બીજ) ના રોજ, શિયાળાની ઋતુ માટે કેદારનાથ ધામના દરવાજા સવારે 8:30 વાગ્યે બંધ કરવામાં આવ્યા હતા. હવે, છ મહિનાથી વધુ સમય પછી, મંદિર ભક્તો માટે ફરી ખુલ્યું છે, જે ચારધામ યાત્રાના નવા તબક્કાની શરૂઆત દર્શાવે છે.

કેદારનાથ ધામના દરવાજા ખોલવાના પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે આજે, દેવભૂમિ ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પર, શ્રી કેદારનાથ ધામના દરવાજા બધા ભક્તો માટે યોગ્ય વિધિ સાથે ખોલવામાં આવ્યા છે. તેમણે ચારધામ યાત્રાને શ્રદ્ધા, એકતા અને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓનો દિવ્ય ઉત્સવ ગણાવ્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે આ યાત્રા સનાતન સંસ્કૃતિની ઊંડી ઝલક આપે છે. તેમણે ચારધામ યાત્રાના પ્રારંભ પર ભક્તોને પત્ર લખીને પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી હતી. અંતે, તેમણે બાબા કેદારને પ્રાર્થના કરી કે તેઓ બધા યાત્રાળુઓને આશીર્વાદ આપે અને યાત્રાને શુભ બનાવે. હર હર મહાદેવ.

બીજી તરફ, બદ્રીનાથ મંદિરના દરવાજા ખોલવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. નરસિંહ મંદિરથી, આદિ ગુરુ શંકરાચાર્યનું સિંહાસન અને ગરુડ ડોલી બદ્રીનાથ ધામ માટે રવાના થયા છે, જે યાત્રાની ધાર્મિક પરંપરાને આગળ ધપાવે છે.

આ વર્ષે, ચારધામ યાત્રા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. 20 એપ્રિલ સુધીમાં, 2.1 મિલિયનથી વધુ ભક્તોએ નોંધણી કરાવી છે. આમાંથી, આશરે 700,000 લોકોએ કેદારનાથ માટે અને 600,000 લોકોએ બદ્રીનાથ માટે નોંધણી કરાવી છે.

April 21, 2026
earth-quake.png
1min111

Dated 21/04/2026 મંગળવારે વહેલી સવારે 5.59 વાગ્યે પૂર્વોત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર મણિપુરનું કામજોંગ હતું, જ્યાં જમીનથી 62 કિમી ઊંડાઈએ હિલચાલ નોંધાઈ હતી.

ભૂકંપના આંચકા માત્ર મણિપુરમાં જ નહીં, પણ નાગાલેન્ડ, અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ સુધી અનુભવાયા હતા. વહેલી સવારે આવેલા આંચકાને કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.

જોકે સદનસીબે, હજુ સુધી આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાન થયાના અહેવાલ મળ્યા નથી. પૂર્વોત્તર ભારતમાં એપ્રિલ મહિનામાં આ ત્રીજો ભૂકંપ છે. આ પહેલા 7 એપ્રિલે પણ મણિપુરમાં બે વાર આંચકા અનુભવાયા હતા.

ભારતની સાથે જાપાનમાં પણ સોમવારે 7.5ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ત્યાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

April 14, 2026
Cia_business_news-1280x936.jpg
1min258

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતની અગ્રણી સહકારી બેેંકોની યાદીમાં સ્થાન પામતી સુરતની વરાછા કો.ઓ. બેંકમાં નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની રચના થઇ ચૂકી છે. આજે નવનિર્વાચિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મળેલી પહેલી મિટીંગમાં વરાછા કો.ઓ. બેંકના નવા ચેરમેન તરીકે નરેન્દ્ર મનજીભાઇ કુકડીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જ્યારે બેંકના વાઇસ ચેરમેન તરીકે સી.એ. હરેશ ધીરુભાઇ કાપડીયાની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હવે આ પ્રપોઝલને આખરી મંજૂરી અર્થે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં મોકલવામાં આવશે અને એ પછી વરાછા બેંકમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સભ્યોની નિયુક્તિ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

વિતેલા સપ્તાહે તા.5મી એપ્રિલે વરાછા બેંકની ચૂંટણી યોજાઇ હતી અને તા.7મી એપ્રિલના રોજ મતગણતરી કરવામાં આવી હતી. એ પછી વિજેતા ઉમેદવારોને વરાછા કો.ઓ. બેંકના ડિરેક્ટર તરીકે ચૂંટાયેલી જાહેર કરવામાં આવ્યા હતા. અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની યાદીને નવી દિલ્હી સ્થિત સક્ષમ સત્તામંડળ સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા અને વિજેતાઓની યાદી પર મંજૂરીની મહોર લાગતા આજે તા.14મી એપ્રિલને મંગળવારે ચૂંટણી અધિકારી શ્રી વાઘેલાની ઉપસ્થિતિમાં વરાછા બેંકની વડી કચેરી ખાતે વરાછા કો.ઓ. બેંકના નવનિર્વાચિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં આગેવાન ડિરેક્ટર નરેન્દ્ર કુકડીયાની નવા ચેરમેન તરીકે સર્વાનુમતે નિયુક્તિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે હરેશ કાપડીયાની વરણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ચૂંટણી અધિકારી હવે આ નિર્ણય પર આખરી મંજૂરીની મહોર મારવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સમક્ષ રજૂ કરશે. રિઝર્વ બેંક તેના પર મંજૂરીની મહોર મારશે. આ એક ઔપચારીક કાર્યવાહી પૂર્ણ કરવાની બાકી રહે છે.

New Elected Board of Dirctors

April 13, 2026
societynews-1280x1040.jpg
1min150

“અંતિમ ક્ષણોમાં લીધો અંગદાનનો નિર્ણય : ડોંડા પરિવારે આપી માનવતાની મિસાલ – સાત લોકોને મળ્યા નવજીવન”

“જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત” ના માધ્યમથી ૩૨ મું સફળ અંગદાન”

“અંગદાનથી ફરી ધબક્યું હૃદય: અશોકભાઈ ડોંડા બન્યા દેવદૂત”

સુરત, મોટા વરાછા વિસ્તારમાં આવેલ આવકાર રેસિડેન્સીનાં રહેવાસી ૫૫ વર્ષીય અંગદાતાશ્રી અશોકભાઈ નાનુભાઈ ડોંડા (મૂળ વતન. નારી, તા/જિ. ભાવનગર) એ પોતાના જીવનના અંતિમ ક્ષણોમાં માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના અંગદાનના મહાન નિર્ણયથી કુલ સાત લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે.

ઘટના અનુસાર તા. ૧૦ એપ્રિલ’૨૦૨૬ ના રોજ સવારે તેઓ પોતાની પત્ની રેખાબેનની સારવાર અર્થે અમદાવાદથી સારવાર પૂર્ણ કરી વહેલી સવારે સુરત ઘરે પરત ફર્યા હતા. તબિયત ઠીક નહી જાણતા બપોરે જમવાનું ટાળીને આરામ કરવા ગયા બાદ, આશરે ૨:૩૦ વાગ્યે અચાનક તેમની તબિયત બગડતા તેઓ સોફા ઉપર બેઠા હતાને ત્યાજ ઢળી પડ્યા હતા. તરત જ તેમને સારવાર અર્થે પી.પી. સવાણી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સઘન સારવાર આપ્યા બાદ ડૉ. મૌલિક પટેલ (ન્યુરોસર્જન), ડો. નિરવ સુતરીયા (ન્યુરો ફીઝીશ્યન), ડૉ. જીગ્નેશ ગેંગડીયા (એમ.ડી.) અને ડૉ. અનિલ તંતી (એડમિન) દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

આ મુશ્કેલ સમયમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પી.એમ. ગોંડલીયા અને વિપુલ તળાવીયા દ્વારા પરિવારને યોગ્ય માર્ગદર્શન અને સમજણ આપવામાં આવી હતી. ડોંડા પરિવારના સભ્યો પત્ની રેખાબેન ડોંડા, પુત્ર મૌલિકભાઈ ડોંડા,પુત્રવધુ હિનલબેન ડોંડા, લલ્લુભાઈ ડોંડા, તેમજ મિલનભાઈ કાનાણી, મહેશભાઈ કાનાણી, ભૌતિકભાઈ સાચપરા, ઉત્સવભાઈ ઘોરી સહિત અન્ય હાજર સ્નેહીજનો દ્વારા માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપતાં અંગદાન માટે સંમતિ આપી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અંગદાનની સંમતી મળતાની સાથે સોટોનાં ડાયરેક્ટર ડો.પ્રાંજલભાઈ મોદી, સોટોના પ્રિયાબેન અને હાર્દિકભાઈનો સંપર્ક કરીને રજીસ્ટ્રેશન પ્રોસેસ શરુ કરવામાં આવી હતી. 

અંગદાન સમગ્ર પ્રક્રિયામાં પી પી સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણી, દીલીપદાદા દેશમુખ (અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ), બાબુભાઈ વિરડીયા (સમાજ સેવક), દિનેશભાઈ નાવડિયા(ડાયમંડ હોસ્પિ), વલ્લભભાઈ ચોથાણી, ડો. કેતન કાનાણી, ડો. હર્ષિતા સાવલિયા, ડો. શિવાની ડાંખરા, ડો. કિરણ પરમાર, ડો. જેનિશ ત્રપસીયા, ડો.પ્રીન્સી સવાણી, ડો. મીરાલી જસાણી, ટીમ જીવનદીપના અનેક સભ્યો નીતિનભાઈ ધામેલીયા, જસ્વીનભાઈ કુંજડીયા, બીપીનભાઈ તળાવીયા, આશિષભાઈ સાવલિયા, વૈજુલ વિરાણી, વિપુલભાઈ કોરાટ, અભિષેક સોનાણી, સાગર કોરાટ, રાજ ગોધાણી,  સ્મિત ઠુંમર, યુગ તળાવીયા, જીત ડોબરીયા, સતીશ ભંડેરી, ચૈતન્ય ત્રિવેદી અને ક્રિશ પટેલ સહિત અનેક લોકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

હૃદય: યુ.એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ, ફેફસા: KD હોસ્પિટલ, અમદાવાદ, લીવર અને બંને કિડની: IKDRC હોસ્પિટલ, અમદાવાદ તેમજ બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું, આ દર્દીના અંગદાન થકી કુલ- ૭ દર્દીઓને નવજીવન મળ્યું છે.

    પી.પી. સવાણી હોસ્પિટલથી અંગોને વિવિધ હોસ્પિટલ સુધી સમયસર પહોંચાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા ત્રણ ગ્રીન કોરિડોરનું ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સુરતથી અમદાવાદ સુધી અંગો ઝડપથી અને સલામત રીતે પહોંચાડવામાં સફળતા મળી. આ સમગ્ર પ્રક્રિયામાં સુરત અને અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ પણ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો. 

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને પી.પી. સવાણી હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી ડોંડા પરિવારના મોભીનું આ 32મું સફળ અંગદાન સંપન્ન થયું છે, જે સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની રહેશે.

“અંગદાન સર્વ શ્રેષ્ઠદાન”
“એક જીવન અનેક જીવન પ્રકાશિત કરી શકે છે”
“જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ”, સુરત
સંપર્ક:- ૯૯૭૮૪ ૪૧૦૦૦ / ૯૯૦૪૪ ૪૧૦૦૦

April 13, 2026
image-9.png
1min113

ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં આકરા તાપથી થઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ હજુ પણ વધવાની શક્યતા છે, જેને પગલે કચ્છ સહિતના વિસ્તારો માટે ખાસ યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી 24 કલાક દરમિયાન કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ પ્રવર્તશે. ઉકળાટ અને ગરમ પવનોને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા માટે તબીબી સલાહ આપવામાં આવી છે.

રાજકોટમાં આજે (13મી એપ્રિલ) ગરમીએ માઝા મૂકી હતી. 41.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. આકરા તાપને કારણે બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં 40.7 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ, ભુજ અને સુરેન્દ્રનગરમાં પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચ્યો હતો.

હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ, હાલ રાજ્યભરમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાવાને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હજુ પણ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આગામી 4-5 દિવસ સુધી ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

April 13, 2026
image-8.png
1min92

આશા ભોસલેના 92 વર્ષે નિધન પછી આજે તેમના પાર્થિવ શરીર તેમના ઘરે લાવવામાં આવ્યું છે. આજે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આવતીકાલે સવારના અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી પાર્થિવદેહના દર્શન માટે રાખવામાં આવશે, ત્યાર બાદ બે વાગ્યા પછી અંતિમયાત્રા કાઢવામાં આવશે. શિવાજી પાર્કમાં ચાર વાગ્યે રાજકીય સન્માન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવશે. દરમિયાન મીડિયા સહિત ફોટોગ્રાફરને સંયમપૂર્ણ કવરેજ કરવાની અપીલ કરવામાં આવી છે.

જોકે, આજે 12/04/2026 સાંજના પાર્થિવદેહને ઘરે લાવવામાં આવ્યા પછી ઘરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મનસે પ્રમુખ રાજ ઠાકરે સહિત અન્ય નેતા અને જેકી શ્રોફ હાજર રહીને શ્રદ્ધાંજલિ આપી હતી. એના અગાઉ રાજ્યપાલ, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાનોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપીને પોસ્ટ મૂકી હતી.

મંગેશકર પરિવારની ગાયિકા બહેનોમાં લતા મંગેશકર પછી સૌથી વધુ પ્રસિદ્ધિ મેળવનાર ગિનીસ બુકમાં સ્થાન મેળવનાર, પદ્મ વિભૂષણથી સન્માનિત અને કરોડો ચાહકોના દિલ પર સાત દાયકાથી વધુ સમયથી રાજ કરનાર, સૌના લાડલી ‘તાઈ’ આશા ભોસલેનો ચાહક વર્ગ સામાન્ય વ્યક્તિથી લઈને રાજકારણીઓનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમના નિધનથી ભારતીય સંગીતમાં એક યુગનો અંત આવ્યો છે. ભોસલેનું રવિવારે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં 92 વર્ષની વયે મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે અવસાન થયું.

તાજેતરમાં થયેલી વાતચીતને યાદ કરતાં ફડણવીસે કહ્યું, “અમે વિશ્વ રેડિયો દિવસના કાર્યક્રમમાં સાથે હતા જ્યાં તેમણે મને ‘અભી ના જાઓ છોડકર’ ગાવાનો આગ્રહ કર્યો અને સ્મિત સાથે કહ્યું, ‘જુઓ, મેં મુખ્યપ્રધાન પાસે ગવડાવ્યું’. એ માનવું મુશ્કેલ છે કે હવે તેઓ આપણી વચ્ચે નથી.”ફડણવીસે તેમની ગાયકીની વૈવિધ્યતાને યાદ કરતા ભોંસલેના અવાજને “સંગીતનો આત્મા” ગણાવ્યો હતો. ફડણવીસે કહ્યું કે બદલાતા સમય સાથે સરળતાથી અનુકૂલન સાધનાર તેઓ અનન્ય કલાકાર હતા, જેમની ખોટ પૂરી નહીં શકાય.

રાજ્યપાલ વર્માએ તેમના શોક સંદેશમાં જણાવ્યું હતું કે આશા ભોસલે ભારતે જોયેલા સૌથી કુશળ અને બહુમુખી પ્લેબેક ગાયકોમાંના એક હતા. તેમણે વધુમાં કહ્યું કે તેમનો મધુર અવાજ, વિવિધ શૈલીના સંગીત ગાવાની તેમની ક્ષમતા અને ભારતીય સંગીતમાં તેમના વિશાળ અને વૈવિધ્યસભર યોગદાને ભારત અને વિશ્વભરના સંગીત પ્રેમીઓની અનેક પેઢીઓ પર અમીટ છાપ છોડી છે. રાજ્યપાલે જણાવ્યું હતું કે તેમના પ્રખ્યાત ગીત “જો ભી હૈ બસ યહી એક પલ હૈ”ની પંક્તિ તેમના જીવનની ફિલોસોફી બની ગઈ હતી. રાજ્યપાલે નોંધ્યું કે આશા ભોંસલેએ સ્વર્ગસ્થ આરડી બર્મન સાથે લગ્ન કર્યા હોવાથી તેમના પરિવાર સાથે તેમનો ગાઢ સંબંધ હતો.

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે પેઢીઓને મંત્રમુગ્ધ કરનાર દિવ્ય અવાજ શાંત થઈ ગયો. આશા ભોંસલેને ‘ગાનસામ્રાજ્ઞિ’ની ઉપમા આપતા તેમણે કહ્યું કે, અસંખ્ય હૃદયોને તેઓ જાદુઈ દુનિયામાં લઈ ગયા હતા.

નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે કહ્યું કે આશા ભોંસલેના અવસાનથી સંગીતના એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે, અને “સુરોની મહારાણી” ઇતિહાસમાં વિલય થયો છે. આશા ભોંસલેની કારકિર્દી કલા પ્રત્યેની સખત મહેનત, સાતત્ય અને સમર્પણનું પ્રતીક છે, એમ તેમણે જણાવ્યું.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપી હતી, તેમણે લખ્યું હતું કે તેમણે વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું છે. તેમના નિધનના સમાચાર હૃદયવિદારક છે, એમ તેમણે એક્સ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું. ત્રણ મહિના પહેલા અશાતાઇ સાથે થયેલી મુલાકાત પણ તેમણે યાદ કરી હતી.

April 12, 2026
electionbond.jpg
1min67

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક સ્વ એટલે કે પોતાનું રાજ ચાલતું હોય તેમ ઉમેદવારીપત્રો ભરાવાના છેલ્લા દિવસે જ 100 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે, તેમાં મોટાભાગના ભાજપના છે. રાજ્યમાં મહાનગરપાલિકા, પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની કુલ 10,005 બેઠકો માટે 26મી એપ્રિલે મતદાન યોજાનાર છે. જ્યારે બુધવાર સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. આ સંજોગોમાં બિનહરીફ જીતનારની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. વર્ષ 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 237 ઉમેદવારો બિનહરીફ થયા હતા તેમાં વધારો થશે કે ઘટાડો તેના ઉપર રાજકીય પંડિતોની નજર છે.

ગુજરાતની 15 મહાનગરપાલિકા, 84 પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે આગામી 26મી એપ્રિલના રોજ મતદાન, 11મી એપ્રિલના રોજ ઉમેદવારીપત્રો નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ઉમેદવારી નોંધાવાઈ છે ત્યાં જ રાજ્યભરની કુલ દસ હજાર બેઠકોમાંથી એક ટકો એટલે કે 100 બેઠકો ઉપર ઉમેદવારો સીધા જ બિનહરીફ વિજેતા બન્યા છે. બિનહરીફ જાહેર થયેલાંમાં મોટાભાગના ભાજપના છે. સામે પક્ષે ઉમેદવારી ન નોંધાવાના કારણે અને એક જ ઉમેદવાર હોવાથી બિનહરીફ વિજેતા જાહેર થાય છે. તો, કોઈ સ્થળે નોંધાવાયેલી ઉમેદવારી ટેકનિકલ કારણોસર રદ થાય અને એક જ ઉમેદવાર વધે તો બિનહરીફ વિજેતા જાહેર થતાં હોય છે.

બિનહરીફ વિજેતા થનારાઓની સંખ્યા તાલુકા પંચાયતોમાં વિશેષ રહે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્વ એટલે કે પોતાના કે પક્ષના જોરે અન્ય કોઈની ઉમેદવારી ન નોંધાય તેવી સ્થિતિમાં બિનહરીફ વિજેતા જાહેર થાય છે.

ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે સૌથી મોટો વિજય ભાજપે કડી પાલિકા જીતીને મેળવ્યો છે. કડીની કુલ 36 બેઠકોમાંથી 23 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં વોર્ડ 1, 3 અને 6ની જ 12 બેઠકોનો સમાવેશ થાય છે. કચ્છમાં ભુજ પાલિકાની 3, નખત્રાણા તાલુકા પંચાયતની બે અને માંડવી તાલુકા પંચાયતની બે બેઠકો ભાજપે બિનહરીફ મેળવી છે. નવસારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 9, ગણદેવી તાલકા પંચાયતમાં 6, તાપીમાં 4, વલસાડ તાલુકા પંચાયતમાં 5, મહેમદાવાદ નગર પાલિકા અને તાલુકા પંચાયતમાં 6, ઓલપાડ તાલુકા પંચાયતમાં 2, સુરેન્દ્રનગર તાલુકા પંચાયતમાં 2, ધ્રાંગધ્રા પાલિકાના વોર્ડ-1ની ચાર, પોરબંદરના વોર્ડ નંબર 12ની ચાર, તાલુકા પંચાયતની 3 બેઠકો ભાજપે બિનહરીફ મેળવી છે. તો બનાસકાંઠામાં ચાર, જામજોધપુર તાલુકા પંચાયતમાં એક, ગોધરા પાલિકાના વોર્ડ 3, 4 અને 11માં ત્રણ મહિલા કાઉન્સિલર, ગોંડલ પાલિકાના વોર્ડ-7માં બે મહિલા અને રાજપિપળા પાલિકાના વોર્ડ-7માં પૂર્વ મહિલા પ્રમુખ બિનહરીફ થયાં છે. તો, કોંગ્રેસે હિંમતનગર પાલિકાના વોર્ડ-3માં એક બેઠક બિનહરીફ મેળવી છે.

અમદાવાદ મહાનગરપાલિકાના વાસણા વોર્ડમાં ચારમાંથી કોંગ્રેસના એક ઉમેદવાર ઓબીસી અનામત સર્ટીફિકેટ રજૂ ન કરી શકતાં એક સીટ ભાજપને બિનહરીફ મળી છે. વાસણા વોર્ડની ઓબીસી અનામત બેઠકમાં ચકાસણી બાદ ભગવતીબહેન ભરવાડ બિનહરીફ જાહેર થશે તો અમદાવાદમાં મતદાન પહેલાં જ ભાજપ જીતનું ખાતું ખોલાવશે.

April 12, 2026
Cia_business_news-1280x936.jpg
1min142

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના SGCCI બિઝનેસ કનેકટ દ્વારા તા. ૧૮ એપ્રિલ, ર૦ર૬ના રોજ સવારે ૮:૩૦થી બપોરે ૧:૦૦ કલાક દરમિયાન પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે AI ડ્રિવન ‘સ્પીડ બિઝનેસ નેટવર્કિંગ કોન્કલેવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, SGCCI બિઝનેસ કનેકટ દ્વારા સમગ્ર દેશમાં પ્રથમ વખત એક અનોખા કોન્કલેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડ્રિવન હશે તેમજ તેમાં અસરકારક નેટવર્કિંગ માટે ફેસ ટુ ફેસના ત્રણ રાઉન્ડ કરવામાં આવશે. આ AI ડ્રિવન ‘સ્પીડ બિઝનેસ નેટવર્કિંગ કોન્કલેવ’ આયોજિત કરવાનો મુખ્ય હેતુ ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને ઝડપી અને અસરકારક રીતે નવા બિઝનેસ કનેકશન બનાવવાની તક પ્રદાન કરવાનો છે. આ પ્લેટફોર્મ દ્વારા ભાગ લેનારાઓને નવી ભાગીદારી, સહકાર અને વિકાસના માર્ગો શોધવામાં સહાય મળશે.

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, આ અનોખા કોન્કલેવમાં વિવિધ ક્ષેત્રના પ૦૦થી વધુ ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયિકો તથા પ્રોફેશનલ્સને એકત્રિત કરવામાં આવશે. વિવિધ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને એક જ પ્લેટફોર્મ પર આવી ફેસ ટુ ફેસ બિઝનેસ મિટિંગ્સ દ્વારા નવા વ્યવસાયિક સંબંધો ઉભા કરવાની, વિચારોનું આદાન–પ્રદાન કરવાની અને તેના થકી બિઝનેસ વધારવાની તકો મળશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં પ્રથમ વખત આ પ્રકારનો AI આધારિત સ્પીડ બિઝનેસ નેટવર્કિંગ કોન્કલેવ આયોજિત થવા જઇ રહ્યો છે. આ કોન્કલેવમાં સુરતની ૧૦થી વધુ પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રતિનિધિઓને એક જ છત નીચે લાવવામાં આવશે, જેના કારણે ઉદ્યોગ જગતમાં નવી દિશાઓ ખુલી શકે છે.

ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી દીપકકુમાર શેઠવાલાએ જણાવ્યું હતું કે, કોન્કલેવ દરમિયાન ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકો વચ્ચે ફેસ ટુ ફેસ બિઝનેસ મિટિંગ્સનું આયોજન કરવામાં આવશે, જેમાં ૩૦–૩૦ મિનિટના ત્રણ અલગ અલગ રાઉન્ડ યોજાશે. દરેક રાઉન્ડમાં જુદી જુદી કેટેગરીના ઉદ્યોગકારો અને વ્યવસાયિકો સાથે મુલાકાત કરવાની તક મળશે, જેથી કોન્કલેવમાં ભાગ લેનારાઓને તેમના બિઝનેસ, પ્રોડકટ્‌સ તથા સેવાઓને વ્યાપક રીતે રજૂ કરવાની મહત્વની તક મળશે. આ સમગ્ર પ્રક્રિયા દ્વારા દરેક ઉદ્યોગ સાહસિક, આશરે ર૧ જેટલા વિવિધ બિઝનેસમેન સમક્ષ પોતાના બિઝનેસને રજૂ કરી બિઝનેસને વધારી શકશે. આ સમગ્ર પ્રક્રિયાનું સંચાલન ડિજિટલી ઓનલાઇન કરાશે.

SGCCI બિઝનેસ કનેકટના ચેરમેન શ્રી ચંદ્રકાંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ સમગ્ર કોન્કલેવ એઆઇ આધારિત હોવાથી ફેસ ટુ ફેસ દરેક બિઝનેસ મિટિંગ્સને વધુ સ્માર્ટ અને અસરકારક બનાવવા માટે દરેક ટેબલ પર કયૂઆર કોડની વ્યવસ્થા કરવામાં આવશે. ભાગ લેનાર ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને જેઓની સાથે બિઝનેસ કરવામાં રસ હશે, તેઓ કયૂઆર કોડ સ્કેન કરીને પોતાની રૂચિ દર્શાવશે. આ ડિજિટલ પ્રક્રિયા દ્વારા બિઝનેસ સંબંધિત તમામ માહિતી તુરંત જ સિસ્ટમમાં નોંધાઈ જશે અને તેનું લાઇવ ડિસ્પ્લે સ્ક્રીન પર જોવા મળશે, જેથી બિઝનેસ નેટવર્કિંગ વધુ પારદર્શક, ઝડપી અને પરિણામકારક બનશે.

SGCCI બિઝનેસ કનેકટના એડવાઇઝર શ્રી તપન જરીવાલાએ જણાવ્યું હતું કે, AI આધારિત સ્પીડ બિઝનેસ નેટવર્કિંગની પ્રક્રિયા વ્યવસાયિક મુલાકાતોને વધુ કાર્યક્ષમ અને પરિણામકારક બનાવશે. પરિણામે, આ કોન્કલેવ સુરતના ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રમાં નવી ઊર્જા પ્રેરિત કરીને સમગ્ર બિઝનેસ ઇકોસિસ્ટમને વધુ સશક્ત, ગતિશીલ અને સ્પર્ધાત્મક બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

કોન્કલેવ ઇન્ચાર્જ શ્રી વિશાલ બક્ષીએ જણાવ્યું હતું કે, આ કોન્કલેવમાં નિષ્ણાત વક્તાઓ તરીકે મુંબઈના શ્રી અમિત પાઠક અને સુરતના શ્રી વિશાલ શાહ ઉપસ્થિત રહેશે. આ બંને વકતાઓ ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને આધુનિક ટેકનોલોજી, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ દ્વારા બિઝનેસ ગ્રોથ કેવી રીતે મેળવી શકાય તેની વિગતવાર છણાવટ કરી માર્ગદર્શન આપશે.

April 12, 2026
image-7-1280x853.png
1min123

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી હાઈ-વોલ્ટેજ શાંતિ મંત્રણા કોઈ પણ નક્કર પરિણામ વગર સમાપ્ત થઈ છે. 21 કલાક સુધી ચાલેલી ગહન ચર્ચા બાદ અમેરિકી પ્રતિનિધિમંડળે સ્પષ્ટ કર્યું છે કે ઈરાને તેમની શરતો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે, જેના કારણે અમેરિકન ટીમ હવે સમજૂતી વિના જ સ્વદેશ પરત ફરી રહી છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઇસ્લામાબાદમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, “અમે ખુલ્લા મને મંત્રણા માટે આવ્યા હતા અને અમારો ‘અંતિમ અને સર્વશ્રેષ્ઠ પ્રસ્તાવ’ રજૂ કર્યો હતો. સારી વાત એ છે કે ઘણા મુદ્દાઓ પર સાર્થક ચર્ચાઓ થઈ, પરંતુ ખરાબ સમાચાર એ છે કે અમે કોઈ સમજૂતી સુધી પહોંચી શક્યા નથી. મારો વિશ્વાસ છે કે આ સમાચાર અમેરિકા કરતા ઈરાન માટે વધુ ચિંતાજનક છે.”

આ વાર્તામાં અમેરિકાની સૌથી કડક શરત પરમાણુ કાર્યક્રમને લઈને હતી. અમેરિકાએ એવી ગેરંટી માંગી હતી કે ઈરાન ભવિષ્યમાં ક્યારેય પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ નહીં કરે. વેન્સે કડક લહેજામાં કહ્યું કે, “અમે અમારી ‘રેડ લાઈન્સ’ સ્પષ્ટ કરી દીધી છે. કઈ બાબતો પર સમજૂતી થઈ શકે અને કઈ બાબતો પર બિલકુલ નહીં, તે અમે કહી દીધું હતું. ઈરાની પ્રતિનિધિમંડળે અમારી શરતો ન સ્વીકારવાનો વિકલ્પ પસંદ કર્યો છે.”

બીજી તરફ, ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી તસનીમના જણાવ્યા અનુસાર, અમેરિકાની અતિશય અને અતાર્કિક માંગણીઓને કારણે કોઈ કોમન ફ્રેમવર્ક તૈયાર થઈ શક્યું નથી. ઈરાનનું માનવું છે કે અમેરિકાએ સમજૂતીમાં અવરોધ ઊભા કર્યા છે.

હોર્મુઝની સામુદ્રધુનીમાં ચાલી રહેલા તણાવ અને તેલના પુરવઠાના જોખમ વચ્ચે આ શાંતિ મંત્રણા પર આખી દુનિયાની નજર હતી. પરંતુ જેડી વેન્સના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હાલ પૂરતી શાંતિની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને અગાઉથી જ ચેતવણી આપી હતી કે જો ઈરાન શરતો નહીં માને તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.

April 8, 2026
image-5.png
1min73

વિશ્વ જેની આતુરતાથી રાહ જોતું હતું તેવા સમાચાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા છે. ટ્રમ્પે પોતાની કડક ડેડલાઇન પૂરી થવાના ગણતરીની મિનિટો પહેલા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર જાહેરાત કરી છે કે તેઓ ઈરાન પરના બોમ્બમારો અને હુમલાને બે અઠવાડિયા માટે સ્થગિત કરવા સંમત થયા છે. આ નિર્ણયને વ્યાપક યુદ્ધવિરામ (Ceasefire) તરફનું પ્રથમ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને સૈન્ય પ્રમુખ અસીમ મુનીર સાથેની વાતચીત બાદ લેવામાં આવ્યો છે. પાકિસ્તાની નેતૃત્વએ ટ્રમ્પને સૂચિત હુમલાઓ ટાળવા માટે અપીલ કરી હતી. જોકે, આ રોક સશર્ત છે; ઈરાને હવે તણાવ ઓછો કરવા માટે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ને તાત્કાલિક ફરીથી ખોલવું પડશે.

ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાએ પોતાના તમામ સૈન્ય લક્ષ્યો હાંસલ કરી લીધા છે, બલ્કે તેનાથી પણ વધુ સફળતા મેળવી છે. તેમણે તેહરાન સાથેની વાતચીતને નિર્ણાયક મોડ પર ગણાવતા કહ્યું કે, “અમે દીર્ઘકાલીન શાંતિ માટે એક નક્કર કરારની દિશામાં ઘણા આગળ વધી ગયા છીએ.” વૉશિંગ્ટનને ઈરાન તરફથી 10 મુદ્દાઓનો પ્રસ્તાવ મળ્યો છે, જેને ટ્રમ્પે વાતચીત માટે વ્યવહારુ આધાર ગણાવ્યો છે.

  • આ એક ‘ટુ-વે સીઝફાયર’ (બેતરફી યુદ્ધવિરામ) હશે, જેમાં બંને પક્ષો પાછા હટશે.
  • આ 15 દિવસનો સમય બંને દેશોને શાંતિ કરારને અંતિમ ઓપ આપવાની તક પૂરી પાડશે.
  • આગામી 10 એપ્રિલના રોજ પાકિસ્તાનમાં આ અંગેની મહત્ત્વની બેઠક યોજાય તેવી શક્યતા છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું છે કે, ટ્રમ્પના વલણ અને અમેરિકાની શક્તિશાળી સેનાના દબાણને કારણે ઈરાન હોર્મુઝ ખોલવા માટે રાજી થયું છે. હવે આગળની વાતચીત ચાલુ રહેશે અને ટ્રમ્પના નિવેદન મુજબ જ આગળની દિશા નક્કી કરવામાં આવશે.

અગાઉ ટ્રમ્પે ઈરાનની આખી સભ્યતા ખતમ કરી નાખવાની (જેને પરમાણુ હુમલાની ધમકી માનવામાં આવતી હતી) વાત કરી હતી, પરંતુ આ નવી જાહેરાતથી આંતરરાષ્ટ્રીય બજાર અને તેલના ભાવમાં મોટી રાહત જોવા મળી છે.