CIA ALERT

Alert Archives - Page 59 of 509 - CIA Live

August 2, 2024
fire-safty.jpg
1min334

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ (TRP Game zone fire tragedy) બાદ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર સેફટી(Fire Safety)નું ઉલંઘન ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) રાજ્ય સરકારને શાળાઓમાં ફાયર સેફટી અંગે તાપસ કરાવવા નિર્દેશો આપ્યા હતા, જેને અનુસરતા રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યભરની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી ડ્રાઈવ શરૂ કરી હતી, ત્યાર બાદ શિક્ષણ વિભાગે ગુરુવારે 01/08/2024 કોર્ટમાં અહેવાલ રજૂ કર્યો હતો.

રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના સેક્રેટરી વિનોદ રાવે હાઈ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે વિભાગે શાળાઓનું નિરીક્ષણ કરવા અને તેમની ફાયર સેફટી સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે 3,000 થી વધુ ટીમોની રચના કરી છે.

અહેવાલ મુજબ 55,344 પ્રી-પ્રાયમરી, પ્રાયમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાંથી 11,451ને માન્ય ફાયર NOC મેળવવાનું બાકી છે. વધુમાં, 43,893 શાળાઓએ સેલ્ફ-ડિક્લેરેશન ફાઈલ કર્યું છે, જ્યારે 9,563 શાળાઓ પસે માન્ય ફાયર એનઓસી છે. બાકીની શાળાઓને નિયમોનું પાલન કરવાની સમયમર્યાદા આપવામાં આવી છે. સોગંદનામામાં જણાવ્યું હતું કે સરકાર 183 સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે પણ રોકાણ કરી રહી છે. જેમાં પાણીની ટાંકીઓ બાંધવી, ફાયર હોસીસ સ્થાપિત કરવા અને ઈલેક્ટ્રીકલ વ્યવસ્થા સુધારવાનો સમાવેશ થાય છે.

એફિડેવિટ મુજબ શિક્ષણ વિભાગ નિરીક્ષણો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, ત્યારે ડ્રીલ અને શિક્ષકોની તાલીમનું અમલીકરણ ફાયર વિભાગ અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી કરી રહી છે.

જે એફિડેવિટ મુજબ ગ્રાન્ટ-ઇન-એઇડ, ખાનગી અને સરકારી પ્રાથમિક શાળાઓમાં ડ્રીલ હાથ ધરવામાં આવી હતી તેવી 26,195 શાળાઓના શિક્ષકોને તાલીમ આપી છે. 4,768 સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે ડ્રીલ અને તાલીમ હાથ ધરવામાં આવી છે. 2,924 ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રીલ હાથ ધરવામાં આવી છે અને 2,012 શાળાઓએ તેમના શિક્ષકોને તાલીમ આપી છે.

August 2, 2024
india-hockey.jpeg
1min250

પેરિસ ઓલિમ્પિકમાં ભારતની પુરુષ હોકી ટીમે આજે ઇતિહાસ રચી દીધો છે. આ ટીમે 42 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને ઓલિમ્પિકમાં હરાવ્યું છે. છેલ્લે ભારતે 1972માં ભારતે ઓસ્ટ્રેલિયાને ઓલિમ્પિકમાં હરાવ્યું હતું. ભારતે આ મેચમાં શરૂઆતથી જ પ્રભુત્વસભર રમત રમી હતી. ભારતનો 3-2 થી વિજય થયો હતો. આ સાથે ભારત પુલમાં બીજા ક્રમે છે. અગાઉ ભારત બેલ્જિયમ સામે 2-1થી હાર્યું હતું.

ભારતે ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ સામે જીત મેળવી હતી, જ્યારે આર્જેન્ટિના સામે 1-1થી ડ્રો રમી હતી. આ સાથે ભારત પોતાના પુલમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની હોકી ટીમો પેરિસ ઓલિમ્પિકના ગ્રુપ બીમાં છે. આ ગ્રુપમાં બેલ્જિયમ ચારેય મેચ જીતીને આ ગ્રુપમાં નંબર વન પર છે. આ મેચ અગાઉ ઓસ્ટ્રેલિયા 9 પોઈન્ટ સાથે બીજા અને ભારત 7 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને હતું. આર્જેન્ટિનાના પણ 7 પોઈન્ટ હતા. પરંતુ ગોલ તફાવતમાં પાછળ હોવાને કારણે તે ભારતથી પાછળ હતું. આયર્લેન્ડ અને ન્યુઝીલેન્ડ તેમની ચારેય મેચ હારી ચૂક્યા છે અને ટાઇટલની રેસમાંથી બહાર થઇ ગયા છે.

ભારત તરફથી અભિષેકે પહેલો ગોલ ફટકાર્યો હતો. ત્યાર બાદ કેપ્ટન હરમનપ્રીતે બે ગોલ ફટકાર્યા હતા. આ બંને ગોલ તેણે પેનલ્ટીમાંથી ગોલમાં કન્વર્ટ કર્યા હતા. ભારતનું ડિફેન્સ પણ જોરદાર રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાના ગોલ કરવાના ઘણા પ્રયાસો ગોલકીપર શ્રીજેશના કારણે નિષ્ફળ ગયા હતા. ભારત તરફથી મિડ ફિલ્ડની રમત પણ શાનદાર રહી હતી.

છેલ્લે ભારત ઓલિમ્પિકમાં 1972માં મ્યુનિક ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા સામે જીત્યું હતું. ઓસ્ટ્રેલિયા ગયા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યું હતું અને ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 52 પહેલા ભારતે મેળવેલી જીત ઘાસના મેદાનમાં રમાયેલી મેચ હતી. ભારતે આ સાથે મેડલની આશા જગાડી છે.

August 2, 2024
cia_gst.jpg
1min314

જીએસટી કલેકશનમાં વૃદ્ધિ જળવાઈ રહી છે. જુલાઈનું જીએસટી કલેકશન ૧૦.૩ ટકા વધીને રુ. ૧.૮૨ લાખ કરોડ થયું છે, આ કલેકશન અત્યાર સુધીનું ત્રીજા નંબરનું સૌથી ઊંચુ કલેકશન છે. આમ એપ્રિલથી જુનના ક્વાર્ટરમાં કુલ રુ. ૭.૩૯ લાખ કરોડનું જીએસટી કલેકશન થયું છે. આ કલેકશન એપ્રિલ ૨૦૨૪માં રુ. ૨.૧૦ લાખ કરોડ, એપ્રિલ ૨૦૨૩ના રુ. ૧.૮૭ લાખ કરોડ પછીનું ત્રીજા નંબરનું કલેકશન છે.

જુલાઈમાં કુલ રુ. ૧૬,૨૮૩ કરોડના રિફંડ પછી જોઈએ તો નેટ જીએસટી કલેકશન રુ. ૧.૬૬ લાખ કરોડ થયું છે. આમ તેમાં વાર્ષિક ધોરણે ૧૪.૪ ટકાનો વધારો થયો છે. જીએસટીની કુલ આવક રુ. ૧.૮૨ લાખ કરોડ થઈ તેમા આઇજીએસટી (ઇન્ટિગ્રેટેડ જીએસટી) પેટે રુ. ૯૬,૪૪૭ કરોડની આવક થઈ છે. તેનું કારણ કમ્પેન્સેશન સેસ પેટે રુ. ૧૨,૯૫૩ કરોડની થયેલી જંગી આવક છે. આ ઉપરાંત સેન્ટ્રલ જીએસટી પેટે રુ. ૩૨,૩૮૬ કરોડ અને સ્ટેટ જીએસટી પેટે રુ. ૪૦,૨૮૯ કરોડની આવક થઈ છે.

સ્થાનિક પ્રવૃત્તિઓમાં વધારો થવાથી કર ટેક્સ પેટે આવક ૮.૯ ટકા વધી રુ. ૧.૩૪ લાખ કરોડ થઈ હતી. જ્યારે આયાતવેરા પેટે આવક ૧૪.૨ ટકા વધી રુ. ૪૮,૦૩૯ કરોડ થઈ હતી. ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર એમએસ મણિએ જણાવ્યું હતું કે કુલ જીએસટી આવકમાં ૧૦.૩ ટકા વધારો થયો છે, પરંતુ તે બાબત રસપ્રદ છે કે જીએસટી આવકમાં સ્થાનિક પુરવઠા કરતાં આયાત પેટે વધુ આવક થઈ છે. જૈને જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં તહેવારો આવવાના હોવાથી જીએસટી કલેકશનની આવકમાં ઉછાળો આવી શકે છે.

August 1, 2024
Vande_Bharat_Express_around_Mumbai.jpg
1min333

ભારતીય રેલવે 15 ઓગસ્ટથી વંદે ભારત તેમજ રાજધાની, ઓગસ્ટ ક્રાંતિ રાજધાની, તેજસ અને શતાબ્દી એક્સપ્રેસ જેવી ટ્રેનોની સ્પીડ વધારવા જઈ રહી છે. 130 કિમી પ્રતિ કલાકના બદલે હવે આ ટ્રેનો 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી જોવા મળશે. એક અંદાજ મુજબ સ્પીડ વધતા મુસાફરોનો 45 મિનિટથી લઈને 4 કલાક સુધીનો સમય બચી શકે છે. આનો અર્થ એ થયો કે હવે દિલ્હીથી મુંબઈની મુસાફરી માત્ર સરળ જ નહીં રહે પરંતુ સમયની પણ બચત કરાવશે.

ભારતીય રેલવે મિશન રફ્તાર હેઠળ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની ઝડપ વધારવા માટે કામ કરી રહી છે. આ સાથે ગુડ્સ ટ્રેનોની સ્પીડ પણ વધારવામાં આવશે. મિશન રફ્તાર હેઠળ આ તમામ ટ્રેનોની સરેરાશ ઝડપને વધુ વધારવામાં આવશે. ટ્રેનોની સ્પીડ વધારવા માટે એક સંપૂર્ણ સૂચિત પ્રક્રિયાનું પાલન કરવું પડશે. આમાં ટ્રેક, સિગ્નલ સિસ્ટમ, ઓવરહેડ સાધનો, ટ્રેનના કોચ અને એન્જિનને અપગ્રેડેશનનો સમાવેશ થાય છે. આ અંતર્ગત બાયપાસ ફૂટઓવર બ્રિજ પણ બનાવાયા છે. આ મિશન હેઠળ રેલવેના તમામ ડીઝલ એન્જિનોને મેમૂ એટલે કે મેઈન લાઈન ઈલેક્ટ્રીક મલ્ટીપલ યુનિટમાં ટ્રાન્સફોર્મ કરવામાં આવશે.

દેશની ટોચની ટ્રેનોની સ્પીડ 130થી વધારીને હવે 160 કિમી પ્રતિ કલાક કરવામાં આવશે પરંતુ સૌથી મોટો સવાલ થાય કે શું સ્પીડ વધશે તો ટિકિટના ભાવ પણ વધશે કે શું? આ સવાલનો જવાબ છે , ના ટ્રેનના ભાડામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.

હાલમાં 12953 નિઝામુદ્દીન-મુંબઈ સેન્ટ્રલ ઓગસ્ટ ક્રાંતિ રાજધાની અને 12951 મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી રાજધાની દિલ્હી અને મુંબઈ વચ્ચે લગભગ 16 કલાકનો સમય લે છે પરંતુ 15 ઓગસ્ટ પછી આ યાત્રા 12 કલાકમાં પૂર્ણ કરી શકાશે. આમ 4 કલાકનો સમય બચશે. મહત્વની વાત એ છે કે, સંભવિત છે કે રેલવે ટૂંક સમયમાં આ અંગે નવું ટાઈમ ટેબલ પણ જારી કરી શકે છે અને અમુક ટ્રેનોના રૂટ લાંબા અથવા ફ્રિકવન્સી વધી શકે છે.

મુસાફરીના નવા શેડ્યૂલમાં મુંબઈથી અમદાવાદ આવતી વંદે એક્સપ્રેસ ટ્રેન હવે મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3:45 વાગ્યે ઉપડશે, જે અગાઉના 3:55 PMના શેડ્યૂલ કરતાં દસ મિનિટ વહેલી હશે. વડોદરા: 20:11 વાગ્યે આગમન થશે 20:14 વાગ્યે પ્રસ્થાન થશે જે અગાઉ 20:16 અને 20:19 હતા તથા અમદાવાદ અગાઉના 21:25ના આગમનને સ્થાને 21:15 વાગ્યે આગમન થશે.

રેલવે વિભાગે પશ્ચિમ ઝોન રેલવેને 15 ઓગસ્ટથી આ સ્પીડ લિમિટને લાગુ કરવા સૂચના આપી છે. રેલવે બોર્ડે પશ્ચિમ રેલવેના અધિકારક્ષેત્ર હેઠળના મુંબઈ-અમદાવાદ અને મુંબઈ-નાગદા રૂટ પર 15 ઓગસ્ટથી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડાવવાની યોજના તૈયાર કરી છે. આ માટે રેલવે બોર્ડે ઝોનલ રેલવે હેઠળના તમામ સંબંધિત વિભાગોના DRMને બ્લોક અને એસએન્ડટી/ટીઆરડી ટીમો પાસેથી જરૂરી કામ પૂર્ણ કરાવવા અને સુરક્ષા-સલામતી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતુ. આ પ્રક્રિયા પૂર્ણ થવા હવે લીલીઝંડી મળી.

પશ્ચિમ રેલવેના અધિકારીઓનું કહેવું છે કે ટ્રેનોને 160 કિમી સુધી ચલાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મુંબઈ-અમદાવાદ રૂટ, મુંબઈ-વડોદરા રૂટ, વડોદરાથી દાહોદ અને દાહોદથી નાગદા રૂટને 160 કિમી પ્રતિ કલાકની ઝડપે અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ રૂટ પર નવી ટેકનોલોજીથી સજ્જ સિગ્નલિંગ અને ઓવરહેડ ઈક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે. આ રૂટ પરથી અનેક રેલ અવરોધો પણ દૂર કરવામાં આવ્યા છે.

આ ટ્રેનોમાં સ્લીપર ડેન્સિટી વધારવામાં આવી છે. કવચ ટેક્નોલોજી પણ લગાવવામાં આવી છે. મિશન રફ્તાર હેઠળ ટ્રેક અપગ્રેડેશનને કારણે તમામ પ્રીમિયમ ટ્રેનો 160 કિમીની ઝડપે દોડશે પરંતુ આનાથી ભાડા પર કોઈ અસર નહીં થાય. ઝડપ વધવાથી દોડવાના સમયમાં પણ ફરક પડશે, જેના કારણે અનેક રૂટ પર નવી ટ્રેનો દોડાવી શકાશે.

August 1, 2024
WhatsApp-Image-2024-08-01-at-09.24.22-1280x960.jpeg
1min273

ઉપપ્રમુખ તરીકે ભીખુભાઈ ડી. નાકરાણી ખજાનચી તરીકે વસંતકુમાર એલ. લાખાણી


તા.1લી ઓગસ્ટે મળેલી સચીન ઇન્ડસ્ટીયલ કો.ઓ.સોસાયટી લી.ની કારોબારી સમિતિની બેઠકમાં સોસાયટીનાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ચર્ચા વિચારણા બાદ સચિન ઇન્ડ. સોસાયટીના 2024-2025 વર્ષ માટેના નવા પ્રમુખ તરીકે નિલેશભાઈ એમ. ગામી, ઉપપ્રમુખ તરીકે ભીખુભાઈ ડી. નાકરાણી, સેક્રેટરી તરીકે મયુર જયવદન ગોળવાલા તથા ખજાનચી તરીકે વસંતકુમાર એલ. લાખાણીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. મયુર જે. ગોળવાલા બીજી ટર્મ માટે સંસ્થાનાં સેક્રેટરી તરીકે ચુંટાઈ આવ્યા હતા.

સોસાયટીના કારોબારી સમિતિનાં ૧૭ સભ્યોની પાંચ વર્ષની મુદત માટેની ચૂંટણી ગત વર્ષે તા. ૨૨/૦૭/૨૩ નાં રોજ થયેલ હતી. જેમાં પરીવર્તન પેનલનાં ૧૬ સભ્યો જંગી બહુમતિથી ચુંટાઈ આવ્યા હતા. ચુંટણી દરમ્યાન ઉદ્યોગકારો વચ્ચે થયેલ ઘોષણા મુજબ ચુંટણીમાં વિજેતા થયેલ કારોબારી સમિતિનાં સભ્યોની પાંચ વર્ષની મુદત દરમ્યાન દર વર્ષે નવા હોદ્દેદારોની વરણી કરવાનું નકકી થયેલ. વળી જેના થકી દરેક સભ્યોને હોદ્દો મળ્યેથી પોતાનો અનુભવ અને વિચારો રજુ કરી કૂનેહપૂર્વક એસ્ટેટનાં વિકાસનાં કામ કરવાની આગવી તક તેઓને મળી રહે તે હકીકતે સોસાયટીનાં ઉપર જણાવેલ નવા હોદ્દેદારોની આજ રોજ બીન હરીફ વરણી કરવામાં આવેલ છે.

July 27, 2024
Cia_business_news-1280x936.jpg
1min312

અમુલ – સુમુલ મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ વેન્ડિંગ મશીન ઉદ્ઘાટન પ્રસંગ

આજરોજ તારીખ: 27 જુલાઈ, 2024 ના રોજ સુમુલ ડેરીના કેમ્પસમાં માસ્ટર શેફ પાસે આવેલ પાર્લર ખાતે અમુલ – સુમુલ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ વેન્ડીંગ મશીનું લોકાર્પણ સુમુલના ચેરમેન માનસિંહભાઇના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ , વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક, સુમુલ ડેરી નિયામક મંડળના સભ્યો, સુમુલ ડેરીના એમડી અરુણ પુરોહિત તેમજ સુમુલ ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સુરત શહેરના માનવંતા ગ્રાહકોને અમુલ – સુમુલ દૂધ અને દૂધની બનાવટો 24 કલાક (24×7) મળી રહે તે હેતુથી ઓટોમેટીક મિલ્ક વેન્ડિંગ મશીન અને મિલ્ક પ્રોડક્ટ વેન્ડિંગ મશીન એમ 2 વેન્ડિંગ મશીન મુકવામાં આવ્યા છે. જેમાં અમુલ – સુમુલ બ્રાન્ડના દૂધ, છાસ, દહીં, લસ્સી, મીઠાઈ જેવી અમુલ અને સુમુલ પ્રોડક્ટ્સ મળી રહેશે.

અમુલ – સુમુલ મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ વેન્ડિંગ મશીન ફુલ્લિ ઓટોમેટીક છે, તેમજ જેમાં પેમેન્ટ પણ ડિજિટલ/ UPI થી થતું હોય, જે ગ્રાહકોને Any Time Milk ઉપલબ્ધ કરાવશે.

સ્થળ : સુમુલ ડેરી પાર્લર, માસ્ટર શેફ ની સામે

July 26, 2024
neet-ug-scam.png
1min294

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) UG 2024નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. નવા સુધારેલા પરિણામ બાદ લગભગ ચાર લાખ ઉમેદવારોની રેન્ક બદલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ફિઝિક્સમાં અસ્પષ્ટ પ્રશ્ન અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ મેરિટ લિસ્ટમાં ફેરફાર કરવાની જરૂર પડી હતી. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને 23 જુલાઈએ જાહેરાત કરી હતી કે સુધારેલા પરિણામોને બે દિવસમાં જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 4 જૂને જાહેર થયેલા પરિણામમાં 67 વિદ્યાર્થીઓએ ટોપ રેન્ક મેળવ્યો હતો. જોકે, IIT-દિલ્હીની નિષ્ણાત સમિતિના આધારે સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં વિવાદિત પ્રશ્ન માટે માત્ર એક જ સાચો વિકલ્પ સ્વીકારવાનો આદેશ આપ્યો હતો. આથી બાબત અંદાજે 4.2 લાખ વિદ્યાર્થીઓના માર્કસને અસર કરશે જેઓએ પહેલેથી જ સ્વીકૃત જવાબ પસંદ કરવામાં આવ્યો હતો. જેમાં ટોચના સ્કોર કરનારા વિદ્યાર્થીની સંખ્યા 61થી ઘટીને 17 થઈ ચૂકી છે.

NEET UG સંશોધિત પરિણામ કેવી રીતે જોવું:
સ્ટેપ 1: ઉમેદવારો પહેલા NTAની ઓફિશિયલ વેબસાઇટ exam.nta.ac.in/NEET પર જાઓ.
સ્ટેપ 2: “NEET-UG સુધારેલ સ્કોર કાર્ડ” માટેની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં તમારા લૉગિન ઓળખપત્રો દાખલ કરો અને સબમિટ કરો.
સ્ટેપ 4: હવે સ્ક્રીન પર પ્રદર્શિત થયેલ સુધારેલું સ્કોરકાર્ડ જુઓ.
સ્ટેપ 5: ભવિષ્યમાં સંદર્ભ માટે એક નકલ ડાઉનલોડ કરો અને સાચવો.

નોંધનીય છે કે NEET UG સુધારેલ સ્કોરકાર્ડ 2024 ના જાહેર થયા બાદ ટૂંક સમયમાં જ કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થશે. સુધારેલા સ્કોર કાર્ડના જાહેર થયા બાદ મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) NEET-UG કાઉન્સેલિંગ માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરશે. આ પ્રક્રિયા સમગ્ર ભારતમાં MBBS અને BDS કાર્યક્રમોમાં પ્રવેશ નક્કી કરે છે. નોંધણી દરમિયાન, ઉમેદવારો પસંદગી-ફાઈલિંગના તબક્કે કોલેજો અને અભ્યાસક્રમો માટે તેમની પસંદગીઓ પસંદ કરી શકે છે.

July 26, 2024
medicine.jpg
1min281

રાજ્ય સરકાર દ્વારા એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરીને જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. આ અગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25 માં વધીને 1382 થઇ છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. અગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25 માં વધીને 1382 થઇ છે. રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવી, એ જ અમારી સરકારની પ્રાથમિકતા છે. આ દવાઓ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે.

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરવામાં આવે છે. આ વર્ષે નવી ઉમેરાયેલી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હ્યદય રોગ, ડાયાબીટીશ, બી.પી. તેમજ કીડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ ઉમેરાઇ છે.
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં પ્રાથમિક ઉપચારની 308 દવાઓ, સેકન્ડરી ઉપચારની 495 દવાઓ અને ટર્સરી ઉપચારની 1349 દવાઓ ઉપરાંત સ્પેશીયલ ઉપચાર માટેની ૩૩ દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડ્રગ લીસ્ટમાં 543 ટેબ્લેટ, 331 ઇન્જેક્શન, 300 સર્જીકલ અને 208 અન્ય દવાઓનો સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૨૨-૨૩ના ડ્રગ લીસ્ટમાં કાર્ડીઓ વેસ્ક્યુલરની 24 દવાઓ હતી, જે વર્ષ 2024-25માં વધીને 117 થઇ છે. તેવી જ રીતે એન્ટી ઇન્ફેક્ટીવની દવાઓ 120 થી વધીને 199, એન્ટી કેન્સરની 13થી વધીને 47, ન્યૂરોલોજીકલ અને સાઈકેટ્રીકની 52 થી વધીને 123, આમ કુલ 12 જેટલા રોગોની જીવન રક્ષક દવાઓમાં વધારો કરાયો છે.

July 24, 2024
india-paris-olympic.png
3min564

પેરિસ ઓલિમ્પિક 2024નો ઉદ્ઘાટન સમારોહ 26 જુલાઈના રોજ છે, પરંતુ ભારતની પહેલી ઈવેન્ટનું આયોજન 25 જુલાઈએ થશે. 16 રમતોમાં 69 મેડલ્સ માટે ભારતના 117 ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી દેશનું ગૌરવ વધારવા મેદાનમાં ઉતરશે. આ ભારતીય ટીમ અત્યારસુધીની સૌથી મોટી ટીમ છે. એથલેટિક્સ ટીમ 29 ખેલાડીઓની સાથે સૌથી મોટી ટીમ છે. જેમાં વિવિધ ઓલિમ્પિક માટે જાણીતા ગોલ્ડન બોય નીરજ ચોપરા પણ સામેલ છે. શૂટિંગમાં 21 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતે ટોક્યો 2020માં 1 ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા હતા.

તીરંદાજીમાં દિપિકા કુમારી અને તરુણદીપ રાય 25 જુલાઈએ રેન્કિંગ રાઉન્ડમાં ભારતને પહેલો મેડલ અપાવી શકે છે. બાદમાં, 27 જુલાઈના રોજ સંદીપ સિંહ/ઈલાવેનિલ વાલારિવાન અને અર્જુન બબુતા/રમિતા જિંદાલની જોડી મિક્સ્ડ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભાગ લેશે. એર પિસ્તોલ ઈવેન્ટ્સમાં મનુ ભાકર મેડલ અપાવી શકે છે. નીરજ ચોપરા 6 ઓગસ્ટે ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફાઈંગ રાઉન્ડ અને 8 ઓગસ્ટે ફાઇનલમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. બેડમિન્ટનમાં પીવી સિંધુ 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ભારતને ગૌરવ અપાવી શકે છે. મીરાબાઈ ચાનુ 7 ઓગસ્ટે મહિલા કેટેગરીમાં 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેશે. વધુમાં 27 જુલાઈથી શરૂ થનારી બોક્સિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના ગોરગાહેન અને બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી નિખત જરીન કરશે.

આ ચેનલ્સ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે

પેરિસ ઓલિમ્પિક્સનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 અને ડીડી સ્પોર્ટ્સ 1.0 પર ઉપલબ્ધ થશે, જ્યારે ભારતમાં લાઈવ સ્ટ્રીમિંગ 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી જિઓ સિનેમા પર થશે.

16 રમતોમાં કુલ 112 ખેલાડીઓ

ભારતીય ખેલાડીઓ કુલ 16 રમતોમાં તેમની પ્રતિભા દર્શાવશે – તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, ઘોડેસવારી, ગોલ્ફ, હોકી, જુડો, રોઇંગ, સેઇલિંગ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને ટેનિસ.

ભારતીય એથ્લેટ્સ માટે પેરિસ ઓલિમ્પિક 2024નું શેડ્યુલ

રમતશરૂઆતઅંતિમ તારીખભાગ
લેનાર
ભારતીય
એથ્લેટ્સ
તીરંદાજી25 જુલાઈ4 ઓગસ્ટ5
એથ્લેટિક્સ1 ઓગસ્ટ10 ઓગસ્ટ16
બેડમિન્ટન27 જુલાઈ5 ઓગસ્ટ4
બોક્સિંગ27 જુલાઈ10 ઓગસ્ટ6
ઘોડેસવારી30 જુલાઈ4 ઓગસ્ટ1
હોકી27 જુલાઈ8 ઓગસ્ટ1
જૂડો2 ઓગસ્ટ2 ઓગસ્ટ1
રોઈંગ27 જુલાઈ3 ઓગસ્ટ1
સેલિંગ1 ઓગસ્ટ6 ઓગસ્ટ2
શૂટિંગ27 ઓગસ્ટ5 ઓગસ્ટ15
સ્વિમિંગ28 જુલાઈ29 જુલાઈ2
ટેબલ ટેનિસ27 જુલાઈ10 ઓગસ્ટ4
ટેનિસ27 જુલાઈ4 ઓગસ્ટ2
કુશ્તી5 ઓગસ્ટ11 ઓગસ્ટ6
વેઇટ લીફટીંગ7 ઓગસ્ટ7 ઓગસ્ટ1

પેરિસ ઓલિમ્પિક 2024નો ઉદ્ઘાટન સમારોહ 26 જુલાઈના રોજ છે, પરંતુ ભારતની પહેલી ઈવેન્ટનું આયોજન 25 જુલાઈએ થશે. 16 રમતોમાં 69 મેડલ્સ માટે ભારતના 117 ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી દેશનું ગૌરવ વધારવા મેદાનમાં ઉતરશે.

આ ભારતીય ટીમ અત્યારસુધીની સૌથી મોટી ટીમ છે. એથલેટિક્સ ટીમ 29 ખેલાડીઓની સાથે સૌથી મોટી ટીમ છે. જેમાં વિવિધ ઓલિમ્પિક માટે જાણીતા ગોલ્ડન બોય નીરજ ચોપરા પણ સામેલ છે. શૂટિંગમાં 21 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતે ટોક્યો 2020માં 1 ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા હતા.

પેરિસ ઓલિમ્પિક 2024માં પહેલા મેડલની આશા

તીરંદાજીમાં દિપિકા કુમારી અને તરુણદીપ રાય 25 જુલાઈએ રેન્કિંગ રાઉન્ડમાં ભારતને પહેલો મેડલ અપાવી શકે છે. બાદમાં, 27 જુલાઈના રોજ સંદીપ સિંહ/ઈલાવેનિલ વાલારિવાન અને અર્જુન બબુતા/રમિતા જિંદાલની જોડી મિક્સ્ડ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભાગ લેશે.

એર પિસ્તોલ ઈવેન્ટ્સમાં મનુ ભાકર મેડલ અપાવી શકે છે. નીરજ ચોપરા 6 ઓગસ્ટે ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફાઈંગ રાઉન્ડ અને 8 ઓગસ્ટે ફાઇનલમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. બેડમિન્ટનમાં પીવી સિંધુ 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ભારતને ગૌરવ અપાવી શકે છે. મીરાબાઈ ચાનુ 7 ઓગસ્ટે મહિલા કેટેગરીમાં 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેશે. વધુમાં 27 જુલાઈથી શરૂ થનારી બોક્સિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના ગોરગાહેન અને બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી નિખત જરીન કરશે.

આ ચેનલ્સ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે

પેરિસ ઓલિમ્પિક્સનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 અને ડીડી સ્પોર્ટ્સ 1.0 પર ઉપલબ્ધ થશે, જ્યારે ભારતમાં લાઈવ સ્ટ્રીમિંગ 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી જિઓ સિનેમા પર થશે.

16 રમતોમાં કુલ 112 ખેલાડીઓ

ભારતીય ખેલાડીઓ કુલ 16 રમતોમાં તેમની પ્રતિભા દર્શાવશે – તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, ઘોડેસવારી, ગોલ્ફ, હોકી, જુડો, રોઇંગ, સેઇલિંગ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને ટેનિસ.

July 24, 2024
ausi-flood2.jpg
1min289

ગુજરાત અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ માઝા મુકી હોવાના અહેવાલો સામે આવ્યા છે. મધ્ય ગુજરાતમાં આણંદમાં બે કલાક આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે, તો વિશ્વામિત્રી નદી 17 ફૂટને પાર પહોંચી ગઈ છે, જ્યારે અંકલેશ્વરમાં ઘોડાં તણાયાની ઘટના બની છે. દક્ષિણ ગુજરાતનાં સુરતમાં મેઘ કહેર જોવા મળ્યો છે, તો ભરૂચમાં હાઈવેની નદી જેવી સ્થિતિ બની ગઈ છે. આ ઉપરાંત ડાંગમાં ભારે વરસાદ ખાબક્યા બાદ ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં મેઘરાજાના લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી થઈ છે, જોકે મહેસાણામાં હજુપણ વરસાદની ઘટ વર્તાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો મેઘરાજા અહીં મન મુકીને વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં અનેક ડેમો છલકાયા છે. જ્યારે કચ્છમાં પણ મેઘ મહેર વચ્ચે માંડવી-નખત્રાણા-અબડાસામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે.

મધ્ય ગુજરાત : આણંદમાં બે કલાક આઠ ઈંચ, વિશ્વામિત્રી નદી 17 ફૂટને પાર, અંકલેશ્વરમાં ઘોડાં તણાયા

મધ્ય ગુજરાતની વાત કરીએ તો આજે અમદાવાદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આજે સવારે આણંદના બોરસદમાં બે કલાકમાં આઠ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે 4 કલાકમાં 13 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે જ્યાં નજર ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યુ છે. જ્યારે અન્ય જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં એકથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. વડોદરામાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની 17 ફૂટની સપાટીથી ઉપર વહી રહી છે. કેટલાક સ્થળે તો પાંચથી છ ફૂટ પાણી ભરાઈ ગયા છે. આ સ્થિતિમાં અહીં સ્કૂલ-કોલેજોમાં આવતીકાલે 25 જુલાઈએ રજા જાહેર કરાઈ છે. આ ઉપરાંત અંકલેશ્વરમાં ઘોડાં તણાયાની ઘટના બની છે.

દક્ષિણ ગુજરાત : સુરતમાં મેઘ કહેર, ભરૂચમાં હાઈવેની નદી જેવી સ્થિતિ, ડાંગમાં ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત શહેરમાં સવારથી શરૂ થયેલા વરસાદના લીધે સુરતીઓનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. શહેરના ખાડી કિનારાના રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. વરસાદી પાણીના કારણે વેલંજા વિસ્તારના રાજીવનગરમાંથી લગભગ 60 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઇ, જેના કારણે અનેક શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. મેઘ તાંડવના કારણે ભરૂચવાસીઓ ભગવાન ભરોસે આવી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અહીં આમલાખાડી ઓવરફ્લો થયો છે, જ્યારે હાઈવે નદીમાં ફેરવાઈ ગઈ છે. આ ઉપરાંત ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડમાં પણ મેઘરાજાએ માજા મુકી છે. ડાંગ જિલ્લામાં વરસાદના કારણે ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠયો છે, જેના કારણે અહીં નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે નર્મદા જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. અહીં સાગબારા, ડેડીયાપાડા, તીકલવાળા સહિત અનેક તાલુકામાં વરસાદ પડ્યાના અહેવાલો મળ્યા છે.

ઉત્તર ગુજરાત : લાંબા વિરામ બાદ કેટલાક જિલ્લામાં મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી, મહેસાણામાં વરસાદની ઘટ

ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ઘણા દિવસથી મેઘરાજાની મહેર જોવા મળી છે. અરવલ્લી જિલ્લામાં વરસાદને માજા મુકી છે, તો ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે ખેતરો ભરાઈ ગયા હોવ તેવી સ્થિતિ જોવા મળી છે. અહીં મગફળી, સોયાબીનના પાકને જીવતદાન મળ્યું છે. જ્યારે બનાસકાંઠાના લાખણીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા દુકાનો આગળ પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા છે. મહેસાણામાં વરસાદી ઝાપટું પડયું છે, જોકે તેમ છતાં જિલ્લામાં ત્રણ ઈંચ વરસાદની ઘટ પડી રહી છે. જિલ્લાની સરેરાશ 10 ઇંચની જરૂરિયાત સામે સાડા 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. પાટણની વાત કરીએ તો, હારીજ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્યબજાર સાહિત નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ સાથે ઉકળાટ ભર્યા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લામાં આજે સવારથી દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને અવારનવાર છુટા છવાયા વરસાદના ઝાપટાં પડયા હતા. તો બપોર બાદ હારીજ પંથકમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમથી ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે હળવો વરસાદ પડવાની શક્યતા જાહેર કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં છુટા-છવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં અનેક ડેમો છલકાયા, કચ્છમાં પણ મેઘ મહેર, માંડવી-નખત્રાણા-અબડાસામાં 8 ઇંચ

સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડવાના કારણે ભાદર-2 અને ન્યારી-2 ડેમમાં પાણી વધતા દરવાજા ખોલવા પડ્યા છે. આ સાથે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. આ વખતે સિઝનમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર ઝૉનમાં ખાબક્યો છે, જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમોમાં પાણીની આવકમાં જોરદાર વધારો નોંધાયો છે. છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર વરસાવતા અહીં અનેક ડેમો છલકાયા છે. છેલ્લા બે દિવસથી ખાબકી રહેલા મુશળધાર વરસાદના કારણે સૌરાષ્ટ્રના ડેમોમાં નવા નીરની આવક સતત વધી રહી છે. ધોરાજીના ભાદર-2 ડેમમાં પાણી વધતા ચાર દરવાજા 0.66 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ભાદર-2 ડેમમાં પાણીની આવકના કારણે સુપેડી, ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, હાડફોડી, ઈસરા, કુંડેચ, લાઠી, મજેઠી, નીલાખા, તલગણા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. સૌરાષ્ટ્રનો ન્યારી-2 ડેમ પણ છલકાયો છે, ન્યારી-2 ડેમમાં આવક વધતા ડેમનો એક દરવાજો 0.076 મીટર સુધી ખોલવામાં આવ્યો છે, અને આ કારણે આજુબાજુના ગામોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે. જ્યારે કચ્છમાં અઠવાડિયાથી વિશેષ સમયથી મેઘાવી માહોલ વચ્ચે સોમવારે સાર્વત્રિક વરસાદ બાદ મંગળવારે કયાંક કાચુ સોનું તો કયાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અહીં આઠ વરસાદ નોંધાયો છે. આજે માંડવી, નખત્રાણા અને અબડાસામાં 8-8 ઇંચ, મુન્દ્રામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે.

વરસાદના કારણે અનેક શાળા-કોલેજો બંધ

આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં સવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે કેટલીક શાળાઓ અને કોલેજો વહેલી છોડી દેવામાં આવી હતી. જોકે વરસાદના કારણે રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના કારણે શાળાઓમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે સ્કૂલોમાં વાલીઓ અને સ્કૂલ વર્ધીના વાહનોને પહોંચવામાં પણ તકલીફ પડી હતી. કેટલીક જગ્યાએ સ્કૂલ વર્ધીના વાહનો રસ્તામાં જ બંધ પડતા બાળકો અટવાઈ ગયા હતા. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી સ્કૂલોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. શાળા સંચાલકોએ વાલીઓને ફોન કરી કરીને કે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂકીને તેમના બાળકોને લઈ જવા માટે અપીલ કરી હતી.

આજે ક્યાં કેટલો વરસાદ નોંધાયો

આજે (24 જુલાઈ) બપોરના ચાર વાગ્યા સુધીમાં 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ નર્મદાના તિલકવાડામાં 205 મિ.મી., વડોદરાના પાદરામાં 189 મિ.મી., ભરુચમાં 181 મિ.મી., છોટા ઉદેપુરના નસવાડીમાં 151 મિ.મી. સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં હજુ ચાર દિવસ અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે અમરેલી, નવસારી, વલસાડ, દીવ અને દાદરા નગર હવેલીમાં 26 જુલાઈ સુધી ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી 26 જુલાઈ સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત અને મધ્ય-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનું જોર જોવા મળ્યું હતું. 25-26 જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતાં 26 જેટલા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.