CIA ALERT

Alert Archives - Page 58 of 509 - CIA Live

August 14, 2024
rakhi1.jpg
1min273

રક્ષાબંધનમાં પંચક અને ભાદ્રની છાયા, જાણો રાખડી બાંધવાની તારીખ અને શુભ સમય

ભાઈ -બહેનના પ્રેમના પ્રતીક તરીકે રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારમાં બહેનો તેમના ભાઈઓની સુરક્ષા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. અને બહેન ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે, ત્યારે ભાઈઓ પણ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. હિંદુ કેલેન્ડર મુજબ રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટ 2024ના રોજ ઉજવાશે. પરંતુ આ દિવસે પંચકની સાથે ભાદ્રની છાયા પડે છે. તેથી દરેક વ્યક્તિ મૂંઝવણમાં છે કે રાખડી બાંધવાનો શુભ સમય કયો માનવો. ચાલો જાણીએ રક્ષાબંધનનો શુભ સમય અને અન્ય માહિતી…
રક્ષાબંધન 2024 ક્યારે છે?

પંચાંગ અનુસાર શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિ 19 ઓગસ્ટના રોજ સવારે 3.04 કલાકથી શરૂ થઈને રાત્રે 11.55 કલાકે સમાપ્ત થશે. એટલે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ રોજ માનવામાં આવશે.

રાખડી બાંધવા માટે રક્ષા બંધન 2024 મુહૂર્ત

રક્ષાબંધન વિધિનો સમય – બપોરે 1:30 થી 9:06 સુધી

રાખડી બાંધવાનો સમય – બપોરે 1:46 થી 4:19 સુધી

સમયગાળો 02 કલાક 37 મિનિટ

રક્ષાબંધનમાં પ્રદોષ કાલનો શુભ સમય – સાંજે 06:56 થી 09:07 સુધી

સમયગાળો 02 કલાક 11 મિનિટ

રક્ષાબંધન પર ભાદ્રા અને પંચકની છાયા

તમારી જાણકારી માટે દરેક મહિનાના 5 દિવસ એવા હોય છે, જેમાં અનેક શુભ તેમજ માંગલિક કાર્યો વર્જિત ગણવામાં આવે છે. તેને પંચક કહેવાય છે. તમને જણાવી દઈએ કે, ઓગસ્ટ મહિનામાં પંચક શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે એટલે કે 19મીએ સાંજે 7:01 વાગ્યાથી શરૂ થઈ રહ્યું છે, જે 23મી ઓગસ્ટે રહેશે. પરંતુ તે સોમવારથી શરૂ થતો હોવાથી રાજ પંચક રહેશે. એટલે તમે શુભ કાર્યો સરળતાથી કરી શકો છો. આમાં કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી.

આ વર્ષે રક્ષાબંધન દરમિયાન સવારથી જ ભદ્રાની છાયા રહેશે. આ કારણે બપોરે 1.30 પછી જ રાખડી બાંધવી શુભ રહેશે.

રક્ષાબંધન ભાદ્રાનો અંત સમય – બપોરે 01:30 કલાકે

રક્ષાબંધન ભાદ્રા પૂંછ – સવારે 09:51 – સવારે 10:53

રક્ષાબંધન ભાદ્રા મુળ – સવારે 10:53 – બપોરે 12:37

રક્ષાબંધન પર અનેક શુભ પ્રસંગો બની રહ્યા છે

આ વર્ષે રક્ષાબંધન પર અનેક શુભ યોગ બની રહ્યા છે. એટલે ભાઈના કાંડા પર રાખડી બાંધવી ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. આ સાથે આ દિવસે સવારે 6.08 વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિ યોગ શરૂ થઈ રહ્યો છે, જે સવારે 8.10 વાગ્યા સુધી ચાલશે. આ સાથે સૂર્ય પોતાની રાશિ સિંહ રાશિમાં રહેશે. આ સાથે બુધ અને શુક્ર સિંહ રાશિમાં રહીને લક્ષ્મી નારાયણ યોગ, બુધાદિત્ય અને શુક્રદિત્ય યોગ બનાવી રહ્યા છે. આ સાથે શનિ શશ નામનો રાજયોગ બનાવી રહ્યા છે.

August 14, 2024
lal-killa.jpeg
2min312
કાલે દેશભરમાં ઉજવાશે સ્વતંત્રતા દિવસ, વડાપ્રધાન લાલ કિલ્લા પર ફરકાવશે ધ્વજ, આ મહેમાનો રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ 1 - image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઑગસ્ટ 2024ના રોજ 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. આ વખતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી માટે 6,000 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. પીએમ મોદી સ્વતંત્રતા દિવસ સમારોહમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે.

આ વર્ષે સ્વતંત્રતા દિવસની થીમ ‘વિકસિત ભારત @2047’ રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું છે. એટલે વર્ષ 2047માં ભારત તેની આઝાદીની 100મી વર્ષગાંઠ ઉજવશે. કેન્દ્ર સરકારે આ પહેલા કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે, બજેટનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં વિકસિત ભારતનો પાયો નાખવાનો છે.

કેવો હશે આ સમારોહ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર પહોંચશે ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય શેઠ અને સંરક્ષણ સચિવ ગિરધર અરમાને દ્વારા સ્વાગત કરવામાં આવશે. સંરક્ષણ સચિવ દિલ્હી વિસ્તારના જનરલ ઑફિસર કમાન્ડિંગ (GOC) લેફ્ટનન્ટ જનરલ ભાવનીશ કુમારનો વડાપ્રધાન સાથે પરિચય કરાવવામાં આવશે. 

પીએમને સલામી સ્થળ સુધી કોણ લઈ જશે?

દિલ્હી ક્ષેત્રના GOC વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલામી સ્થળ પર લઈ જશે, જ્યાં સંયુક્ત આંતર-સેવાઓ અને દિલ્હી પોલીસના ગાર્ડ તેમને સલામી આપશે. આ સાથે એવું કહેવામાં આવ્યું હતું કે, એ પછી પીએમ મોદી ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કરશે. પીએમ માટે ગાર્ડ ઑફ ઓનર ટુકડીમાં આર્મી, નેવી, ઍરફૉર્સ અને દિલ્હી પોલીસના એક-એક અધિકારી અને 24 જવાનો સામેલ હશે.

રાષ્ટ્રધ્વજ ફરકાવવા પ્રશાસન પર જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કર્યા પછી લાલ કિલ્લા તરફ આગળ વધશે. જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય પ્રધાન સંજય શેઠ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. સ્ટાફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને ઍરફૉર્સ ચીફ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી કરશે અને દિલ્હી ક્ષેત્રના GOC રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પીએમ મોદીને મંચ પર લઈ જશે.

ધ્વજ ફરકાવવામાં કોણ મદદ કરશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં લેફ્ટનન્ટ સંજીત સૈની મદદ કરશે. ધ્વજ ફરકાવ્યા બાદ 1721 ફિલ્ડ બેટરી(સેરેમોનિયલ)ના બહાદુર ગનર્સ દ્વારા 21 તોપોની સલામી આપવામાં આવશે. રાષ્ટ્રિય ધ્વજ ગાર્ડમાં આર્મી, નેવી અને ઍરફૉર્સના એક-એક અધિકારી અને 32 અન્ય રેન્કના કર્મચારીઓ અને 128 દિલ્હી પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થયેલો છે.

હેલિકોપ્ટર દ્વારા ફૂલોની વર્ષા કરાશે

રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેને રાષ્ટ્રિય સલામી આપવામાં આવશે. સલામી દરમિયાન પંજાબ રેજિમેન્ટ મિલિટરી બેન્ડ, જેમાં JCO અને 25 અન્ય રેન્કનો સમાવેશ થાય છે તેમના દ્વારા રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. આ બેન્ડનું નેતૃત્વ સુબેદાર મેજર રાજિન્દર સિંહ કરશે. ધ્વજ ફરકાવ્યા બાદ ભારતીય વાયુસેનાના બે અદ્યતન હેલિકોપ્ટર દ્વારા સ્થળ પર પુષ્પવર્ષા કરવામાં આવશે. 

ફૂલોની વર્ષા કર્યા બાદ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે અને તેમનું ભાષણ પત્યા પછી નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) કેડેટ્સ રાષ્ટ્રગીત ગાશે. આ સાથે દેશભરની વિવિધ શાળાઓના કુલ 2,000 છોકરા અને છોકરીઓ કેડેટ્સ (આર્મી, નેવી અને ઍરફૉર્સ) સમારોહમાં ભાગ લઈ રહ્યા છે.

મહેમાનો કોણ છે?

વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા યુવાનો, આદિવાસી સમાજ, ખેડૂતો અને મહિલાઓને પણ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમજ અટલ ઇનોવેશન મિશન અને પીએમ (પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર ઇમર્જિંગ ઇન્ડિયા) યોજનાનો લાભ મેળવનાર વિદ્યાર્થીઓ અને ‘મેરી માટી મેરા દેશ’ હેઠળ માય યુથ ઇન્ડિયા (MY ભારત) અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો પણ કાર્યક્રમમાં ભાગ લેશે.

આ સમારોહમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના લાભાર્થીઓ અને ખેડૂત ઉત્પાદક સંગઠનોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તાઓ (ASHAs), સહાયક નર્સ મિડવાઇવ્સ (ANMs) અને આંગણવાડી કાર્યકરો, લખપતિ દીદી અને ડ્રોન દીદી પહેલ અને સખી કેન્દ્ર યોજનાના લાભાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

પેરિસ ઓલિમ્પિકના ભારતીય ખેલાડીઓ પણ સામેલ

મળતી માહિતી પ્રમાણે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓને પણ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. MyGov અને ઓલ ઇન્ડિયા રેડિયોના સહયોગથી સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત વિવિધ ઓનલાઇન સ્પર્ધાઓના ત્રણ હજાર (3,000) વિજેતાઓ પણ સમારોહમાં હાજરી આપશે.

August 11, 2024
yarn-expo-2024-1280x853.jpeg
4min358

Reported on 10th August 2024

SGCCIના ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’ને રાષ્ટ્રીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય બાયર્સનો પ્રતિસાદ મળ્યો : યુરોપ, દુબઇ અને કેન્યાથી વિઝીટર્સ આવ્યા

વિશ્વના ત્રણ દેશો ઉપરાંત ભારતના વિવિધ શહેરોમાંથી બે દિવસ દરમ્યાન ૧રપપ૦ જેન્યુન બાયર્સ અને વિઝીટર્સે યાર્ન એક્ષ્પોની મુલાકાત લઇ વિવિધ યાર્નની જાણકારી પ્રાપ્ત કરી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૯, ૧૦ અને ૧૧ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’ પ્રદર્શન યોજાયું છે. બે દિવસ દરમ્યાન ભારતના વિવિધ શહેરો ઉપરાંત અન્ય દેશોમાંથી કુલ ૧રપપ૦ જેન્યુન બાયર્સ અને વિઝીટર્સે યાર્ન એક્ષ્પોની મુલાકાત લીધી હતી.

SGCCIના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પો– ર૦ર૪માં દેશભરના ૯ર યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવ્યા છે અને યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરી રહયા છે. ખાસ કરીને સિલ્વર જરી અને ગોલ્ડ જરી, ટેન્સીલ યાર્ન, કતાન, એન સિલ્ક, લાયોસેલ, ઝીન્ક લિનન, કાર્બન ફાયબર, મોઇશ્ચર મેનેજમેન્ટ, બાયો ડીગ્રેડેબલ, હેમ્પ યાર્ન, એન્ટી માઇક્રોબાયલ યાર્નનું પ્રદર્શન થઇ રહયું છે. એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેન મેઇડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પણ પ્રદર્શિત કરવામાં આવી રહયા છે. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ એકઝીબીશનમાં જોવા મળી રહયા છે.

ગઇકાલે પ્રથમ દિવસે જ યુરોપ, દુબઇ અને કેન્યા દેશમાંથી જેન્યુન બાયર્સે યાર્ન એક્ષ્પોની મુલાકાત લીધી હતી અને સ્પેશ્યાલિટી ઉપરાંત વિવિધ યાર્નની માહિતી મેળવી યાર્ન ઉત્પાદકો પાસેથી યાર્ન ખરીદવા માટે ઓડર્સ પણ આપ્યા હતા.

આ ઉપરાંત ભારતના ટેક્ષ્ટાઇલ બેલ્ટ ગણાતા તિરૂપુર, વારાણસી, લુધિયાના, પાનીપત, સેલમ, મઉ (ઉત્તર પ્રદેશ) અને નવાપુર ઉપરાંત સોલાપુર, દિલ્હી, વાંકાનેર, ગુડગાડ, જેતપુર, બેંગ્લોર, અજમેર, ઇરોડ, કોલકાતા, કોઇમ્બતુર, ઇચ્છલકરંજી, પંજાબ, ગ્રેટર નોઇડા, હૈદરાબાદ, જયપુર, જુનાગઢ, રાજકોટ, સિલવાસા, વાપી, વ્યારા, પૂણે અને નાશિકથી યાર્નના જેન્યુન બાયર્સ તેમજ વિઝીટર્સ યાર્ન એક્ષ્પોની મુલાકાતે આવ્યા હતા. યાર્ન એક્ષ્પોમાં પ્રથમ દિવસે ૪૬૦૦ અને આજે બીજા દિવસે ૭૯પ૦ વિઝીટર્સ નોંધાયા હતા.

Reported on 9th August 2024

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે આયોજિત‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’પ્રદર્શનનો ભવ્ય શુભારંભ

વડાપ્રધાનશ્રીએ ઉદ્યોગકારોને ૧ બિલિયન યુએસ ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે ત્યારે યાર્ન એક્ષ્પો– ર૦ર૪ એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ ફેબ્રિકસ બનાવવા માટે મહત્વનો ફાળો આપશે : ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલા

યાર્ન એક્ષ્પો વિશ્વમાં ટેક્ષ્ટાઇલ પ્રોડકટને શો કેસ કરવા માટે મહત્વનું પ્લેટફોર્મ છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનું ‘આત્મનિર્ભર ભારત’નું સપનું સુરતથી જ સાકાર થશે : રિલાયન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે. રઘુનાથ

આખા વિશ્વમાં સુરતના લોકોને ફેશનના લોકો તરીકે ઓળખવામાં આવે છે : કોરીયા ટ્રેડ – ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીના ડાયરેકટર જનરલ શ્રી કયુ નામ કીમ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦ર૪–રપના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન તા. ૯, ૧૦ અને ૧૧ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. યાર્ન પ્રદર્શનનો આજથી ત્રણ દિવસ માટે ભવ્ય શુભારંભ થયો છે.

શુક્રવાર, તા. ૯ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે યાર્ન એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન અને ઉદ્‌ઘાટક તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે. રઘુનાથજી ઉપસ્થિત રહયા હતા. જ્યારે સાંજુ પ્રિન્ટ્‌સ પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેકટર શ્રી સાંવર રાજકુમાર બુધિયા અને કોરીયા ટ્રેડ – ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીના ડાયરેકટર જનરલ શ્રી કયુ નામ કીમે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું. આ મહેમાનોના હસ્તે યાર્ન એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ યાર્ન એક્ષ્પોમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યાર્ન એક્ષ્પોની છઠ્ઠી આવૃત્તિ રજૂ કરવામાં આવી છે, જેમાં દેશભરમાંથી ૯ર યાર્ન ઉત્પાદકોએ ભાગ લીધો છે ત્યારે યાર્ન એક્ષ્પોથી ચોક્કસ નવા પરિમાણો પ્રાપ્ત થશે તેની મને ખાત્રી છે.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી ઇકોનોમી બનાવવા સંકલ્પ લીધો છે. વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવા પ્રયાસો કરવામાં આવી રહયા છે અને તેના માટે વડાપ્રધાનશ્રીએ ઉદ્યોગકારોને ૧ બિલિયન યુએસ ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે ત્યારે ચેમ્બર દ્વારા આયોજિત યાર્ન એક્ષ્પો એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ ફેબ્રિકસ બનાવવા માટે મહત્વનો ફાળો આપી શકે તેમ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે. રઘુનાથે ઉદ્યોગ સાહસિકોને સંબોધતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા આયોજિત યાર્ન એક્ષ્પો– ર૦ર૪ એ વિશ્વમાં તમારી ટેક્ષ્ટાઇલ પ્રોડકટને શો કેસ કરવા માટે મહત્વનું પ્લેટફોર્મ છે. ભારતના કાપડ ઉદ્યોગનો વિકાસ સુરતની ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી પર નિર્ભર છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનું આત્મનિર્ભર ભારતનું સપનું સુરતથી જ સાકાર થશે. તેમણે જણાવ્યું હતું કે, એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ પ્રોડકટ બનાવવા માટે ભારતમાં બેસ્ટ ટેકનોલોજી અને બેસ્ટ ટેલેન્ટ ઉપલબ્ધ છે.

તેમણે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનો ગ્લોબલ સિનારીયો ઉદ્યોગ સાહસિકો સમક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, વિશ્વમાં કુલ કાપડની ખપત ૧૦૪ મિલિયન મેટ્રીક ટન છે, જેમાં વર્ષ ર૦૩૦ સુધીમાં ૩૦ મિલિયન મેટ્રીક ટનનો વધારો થવાની સંભાવના છે. મેન મેઇડ ફાયબરનો હિસ્સો ૭૮ મિલિયન મેટ્રીક ટનનો છે, જે ૧૦૬ મિલિયન મેટ્રીક ટન સુધી પહોંચવાની સંભાવના છે. મેન મેઇડ ફેબ્રિકમાં પોલિએસ્ટરની વાત કરીએ તો એની ખપત અત્યારે પ૮ મિલિયન મેટ્રીક ટન છે, જે ૮૧ મિલિયન મેટ્રીક ટન સુધી જવાની સંભાવના છે. જ્યારે અન્ય મેન મેઇડ ફેબ્રિકમાં વિસ્કોસ અને નાયલોનની ખપતમાં ર૦થી રપ મિલિયન મેટ્રીક ટન સુધીના ગ્રોથની સંભાવના છે.

હાલમાં વૈશ્વિક જનસંખ્યા ૭.૭ બિલિયન છે, જે વર્ષ ર૦૩૦ સુધીમાં અંદાજે ૮.પ બિલિયન થઈ શકે છે. વૈશ્વિક માથાદીઠ વાર્ષિક કાપડની ખપત ૧૪.૩ કિ.ગ્રા. છે, જે વર્ષ ર૦૩૦ સુધીમાં ૧૬.૬ કિ.ગ્રા. થવાની સંભાવના છે. ભારતમાં માથાદીઠ વાર્ષિક કાપડની ખપત ૬ કિ.ગ્રા. છે. તેમણે કહયું હતું કે, વર્ષ ર૦૩૦ સુધીમાં મેન મેઇડ ફેબ્રિકમાં ૩૦ મિલિયન મેટ્રીક ટનની જે ગ્રોથ દેખાઇ રહી છે એને પહોંચી વળવા માટે પોલિએસ્ટરમાં ર૩ મિલિયન મેટ્રીક ટનની ગ્રોથ લાવવી પડશે, આથી સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો માટે આ સોનેરી તક છે, જેને ઉદ્યોગકારોએ ઝડપવી જોઇએ અને એમાં ખૂબ ઝડપથી આગળ વધવું જોઇએ. ઉદ્યોગકારોએ સુરત બ્રાન્ડ બનાવવી પડશે. ભવિષ્યમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ મેન મેઇડ ફેબ્રિકમાં જ જવું પડશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

કોરીયા ટ્રેડ – ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીના ડાયરેકટર જનરલ શ્રી કયુ નામ કીમે જણાવ્યું હતું કે, આખા વિશ્વમાં સુરતના લોકોને ફેશનના લોકો તરીકે ઓળખવામાં આવે છે. તેમણે યાર્ન એક્ષ્પોની સફળતા માટે ચેમ્બર ઓફ કોમર્સને શુભેચ્છા આપી હતી.

યાર્ન એક્ષ્પો– ર૦ર૪ના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, સુરતમાં દર મહિને પોલિએસ્ટર યાર્નની ખપત ૧.પ લાખ મેટ્રીક ટન થાય છે. દર મહિને કોટનની ખપત ૩૦૦૦ મેટ્રીક ટન છે. નાયલોન યાર્નની ખપત વર્ષ ર૦૦૯માં ૩૦૦૦ મેટ્રીક ટન હતી, જે આજે વધીને ૯૦૦૦ મેટ્રીક ટન થઇ ગઇ છે. વિસ્કોસ ફિલામેન્ટની ખપત દર મહિને ૧ર૦૦૦ મેટ્રીક ટન થઇ રહી છે. ગત વર્ષે રૂપિયા ૧૯૦૦ કરોડનું યાર્ન સુરતથી એક્ષ્પોર્ટ કરવામાં આવ્યું હતું તેમ તેમણે જણાવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના ગૃપ ચેરમેન ડો. અનિલ સરાવગીએ યાર્ન એક્ષ્પોના ઉદ્‌ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલા, યાર્ન એક્ષ્પોના કો–ચેરમેનો શ્રી ઉમેશ ક્રિષ્ણાની, શ્રી કિરણ ઠુમ્મર, શ્રી અશોક રાઠી અને શ્રી પ્રફુલ્લ શાહ તથા ચેમ્બરના પૂર્વ ચેરમેનો શ્રી નિલેશ માંડલેવાલા, શ્રી રૂપીન પચ્ચીગર, શ્રી અમરનાથ ડોરા, શ્રી આશીષ ગુજરાતી અને શ્રી હિમાંશુ બોડાવાલા તેમજ ટેક્ષ્ટાઇલ જગતના અગ્રણીઓ, એકઝીબીટર્સ અને ઉદ્યોગ સાહસિકો ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહયા હતા.

Reported on 7 August 2024

SGCCI દ્વારા સરસાણા સ્થિત SIECC ખાતે તા. ૯થી ૧૧ ઓગષ્ટ દરમ્યાન ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’નું ભવ્ય પ્રદર્શન યોજાશે

યાર્ન એક્ષ્પોમાં સિલ્ક રિપ્લેસમેન્ટ કપડું બનાવવા, સ્પોર્ટ્‌સ વેર, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ અને મેડિકલ ટેક્ષ્ટાઇલમાં ઉપયોગમાં લેવાતા સ્પેશ્યલ યાર્નનું પ્રદર્શન કરાશે

દેશભરમાંથી ૯ર એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લેશે અને ભારતના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે, ભારતના વિવિધ શહેરોમાંથી રપ હજારથી વધુ બાયર્સ એકઝીબીશનની મુલાકાતે આવશે, યાર્નનું રો મટિરિયલ્સ જેમાંથી મળે છે એવા સ્ત્રોતોનું થીમ પેવેલિયન એક્ષ્પોમાં મુકાશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦ર૪–રપના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન તા. ૯, ૧૦ અને ૧૧ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ પ્રદર્શન અંદાજે ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફૂટ એરિયામાં યોજાશે, જેમાં ૯ર એકઝીબીટર્સ ભાગ લઇ રહયા છે. સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, નવસારી, મુંબઇ, ઇરોડ, કોઇમ્બતુર, તમિલનાડુ (નમખલ અને કરૂર શહેર), જયપુર, બેંગ્લોર, પાનીપત (હરિયાણા), ચેન્નાઇ અને અને કર્ણાટકાના એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે.

આ વર્ષે ચેમ્બરના યાર્ન એક્ષ્પોની છઠ્ઠી આવૃત્તિ રજૂ કરાશે, જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરશે. આ પ્રદર્શનમાં ખાસ કરીને સિલ્વર જરી અને ગોલ્ડ જરી, ટેન્સીલ યાર્ન, કતાન, એન સિલ્ક, લાયોસેલ, ઝીન્ક લિનન, કાર્બન ફાયબર, મોઇશ્ચર મેનેજમેન્ટ, બાયો ડીગ્રેડેબલ, હેમ્પ યાર્ન, એન્ટી માઇક્રોબાયલ યાર્નનું પ્રદર્શન કરવામાં આવશે. કાપડના ઉત્પાદનમાં સિલ્કને રિપ્લેસ કરવા માટે એન સિલ્ક અને લાયોસેલ યાર્નનો ઉપયોગ થાય છે. કાર્બન ફાયબર યાર્ન અને બાયો ડીગ્રેડેબલનો ઉપયોગ ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં થાય છે. એન્ટી માઇક્રોબાયલ યાર્નનો વપરાશ મેડિકલ ટેક્ષ્ટાઇલના ઉત્પાદનમાં થાય છે. ઉપરાંત આ યાર્નનો ઉપયોગ સ્પોર્ટ્‌સ વેર, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ અને મેડિકલ ટેક્ષ્ટાઇલમાં થાય છે. એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ કપડું બનાવવા માટે પણ આ યાર્નનો ઉપયોગ થાય છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. ૯ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યાર્ન એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરાશે. જેનો ઉદ્‌ઘાટન સમારોહ સેમિનાર હોલ A, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી શ્રી રોહિત કંસલ (IAS) ઉપસ્થિત રહેશે. ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી શ્રીમતી પ્રાજક્તા વર્મા (IAS), ડાયરેકટર શ્રી અનિલ કુમાર (IRS) અને એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશ્નર શ્રી એસ.પી. વર્મા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જે રઘુનાથ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, દેશભરના વિવિધ રાજ્યો તથા શહેરો જેવા કે ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરેથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સ દ્વારા યાર્ન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવશે. વિવર્સ, નીટર્સ, ઉદ્યોગ અગ્રણીઓ તથા ઉદ્યોગ સાહસિકો આ પ્રદર્શનની મુલાકાત લેશે. વિવિધ યાર્નના ઉત્પાદકો અને બાયર્સ એક છત નીચે એક જ પ્લેટફોર્મ પર ભેગા થતા હોવાથી તેઓની વચ્ચે બિઝનેસ મીટ પણ યોજાશે. આ ઉપરાંત અમેરિકા અને ટરકી ખાતેથી પણ વિદેશી ડેલીગેશન તેમજ બાયર્સ આ પ્રદર્શનની મુલાકાતે આવવાની સંભાવના છે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેન મેઇડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે. આશરે રપ હજારથી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે.

યાર્ન એક્ષ્પો– ર૪ના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડા અને કો–ચેરમેન શ્રી ઉમેશ ક્રિષ્ણાનીએ જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પોમાં સ્પેશિયલ ફેબ્રિકસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ૧૦૦ ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, ડોપ ડાઇડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિરો પોલિએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઇનહેરન્ટ એન્ટી બેકટેરિયલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.

સુરત ઉપરાંત દેશના ૧૦૦થી પણ વધુ શહેરોથી બાયર્સ – વિઝીટર્સ એક્ષ્પોની મુલાકાતે આવશે
યાર્ન એક્ષ્પો– ર૪ના કો–ચેરમેનો શ્રી પ્રફુલ્લ શાહ, શ્રી કિરણ ઠુમ્મર અને શ્રી અશોક રાઠીએ જણાવ્યું હતું કે, સુરત ઉપરાંત અમદાવાદ, માલેગાવ, હૈદરાબાદ, સિલવાસા, મદુરાઇ, ડીસા, મુંબઇ, વાપી, નવસારી, કોઝીકોડ, વારાણસી, દિલ્હી, કોઇમ્બતુર, ઠાણે, દમણ, વાંકાનેર, ભીલવાડા, સોલાપુર, અંકલેશ્વર, બુરહાનપુર, ઇચ્છલકરંજી, પુણે, ભીવંડી, બેંગ્લોર, જયપુર, ભદોઈ – ઉત્તર પ્રદેશ, નૈરોબી, ધુળે, આંધ્રપ્રદેશ, પાનીપત, બાલાસોર, ડોંબિવલી, કોલકાતા, બેંગ્લુરુ, તમિલનાડુ, લુધિયાના, કેરળ, કુમસી, ગુવાહાટી, હિન્દુપુર, નાગપુર, સોલાપુર, નવી દિલ્હી, ઇન્દોર, ગ્રેટર નોઇડા, જોધપુર, અજમેર, જબલપુર, ડિન્ડીગુલ, ઇરોડ, લુધિયાના, કરૂર – તમિલનાડુ, કોલ્હાપુર, કર્ણાટકા, કલ્યાણ, નમકકલ – તમિલનાડુ, અમૃતસર, જુનાગઢ, કાંબા, ઉલ્હાસનગર, વડનગર, નવાપુર, ઉદયપુર, શોલિંગુર – તમિલનાડુ, કોડા કંડલા – તેલંગાણા, રાજકોટ, કીમ, સાલેમ, ગુંટુર, જેતપુર, મહેસાણા, બોટાદ, સરીગામ, હિંમતનગર, મથુરા, માઉનાથ ભંજન – ઉત્તર પ્રદેશ અને યવતમાળથી બાયર્સ તેમજ વિઝીટર્સ દ્વારા યાર્ન એક્ષ્પોની મુલાકાત માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

યાર્નનું રો મટિરિયલ્સ જેમાંથી મળે છે એવા સ્ત્રોતોનું થીમ પેવેલિયન એક્ષ્પોમાં મુકાશે
યાર્નનું રો મટિરિયલ્સ પ્લાન્ટ, પ્રાણી અને મેન મેઇડ ફાયબરમાંથી મળે છે. પ્લાન્ટમાં કોટન, બામ્બુ, ફલેકસ, બનાના અને પાણીમાં રહેલી જળકુંભીમાંથી કુદરતી યાર્ન મળે છે. ઘેટા, ઊંટ, સસલા, લામા જેવા પ્રાણીઓના વાળમાંથી કુદરતી યાર્ન બને છે જેવા કે ઉન, અંગોરા, હેર, કકુનમાંથી સિલ્ક બનાવી શકાય છે. યાર્નના રો મટિરિયલ્સ મેળવવાના આ સ્ત્રોતોને એક્ષ્પોમાં થીમ પેવેલિયન તરીકે મુકવામાં આવશે. મેન મેડ યાર્ન બનાવવાની પ્રોસેસ જેમ કે મેલ્ટ સ્પિનિંગ, વેટ સ્પિનિંગ અને ડ્રાય સ્પિનિંગનો ડેમો પણ થીમ પેવેલિયનમાં મુકવામાં આવશે.

યાર્ન એક્ષ્પો દરમ્યાન ‘Emerging Trends in Yarns by 2030’ વિષે સેમિનાર યોજાશે
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર (જીએફઆરઆરસી) દ્વારા યાર્ન એક્ષ્પો– ર૦ર૪ દરમ્યાન શનિવાર, તા. ૧૦ ઓગષ્ટ, ર૦ર૪ના રોજ બપોરે ૩:૩૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે ‘Emerging Trends in Yarns by 2030’ વિષે સેમિનાર યોજાશે.

આ સેમિનારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શ્રી અસિમ પાન ‘Emerging Trends in Polyester by 2030’ વિષે, સેન્ચુરી એન્કા લિમિટેડના શ્રી સંજય મલ્હોત્રા ‘Emerging Trends in Nylon’ વિષે, મુંબઇના નિમ્બાર્ક ફેશન્સ લિમિટેડના શ્રી મહેશ માહેશ્વરી ‘Emerging Trends of Fancy Yarns’ વિષે, અદલોન ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.ના શ્રી મહેન્દ્ર ઝડફીયા ‘Emerging Trends of Zari in Textile Industries – Shimmering into Textile Segment’ વિષે ટેક્ષટાઇલ ઉદ્યોગકારો અને વેપારીઓને માર્ગદર્શન આપશે.

August 6, 2024
fogat.png
1min282
Wrestler Vinesh Phogat reached the semi-finals of the Olympics for the first time

યુક્રેનની હરીફને હરાવી: પ્રી-ક્વૉર્ટરમાં ફોગાટે જાપાનની ડિફેન્ડિંગ ચૅમ્પિયનને છેલ્લી પાંચ સેકન્ડમાં પછાડી હતી
ભારતની ટોચની કુસ્તીબાજ વિનેશ ફોગાટે પૅરિસ ઑલિમ્પિક્સના રેસલિંગના 50 કિલો વર્ગમાં બે ઐતિહાસિક વિજય મેળવ્યા હતા. પહેલાં તો તેણે ચાર વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી તેમ જ 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ચૅમ્પિયન બનેલી જાપાનની યુઇ સુસાકીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં 3-2થી હરાવી દીધી હતી અને પછી ક્વૉર્ટર ફાઇનલમાં યુક્રેનની ઑક્સાના લિવાચને 7-5થી પરાસ્ત કરીને પહેલી વાર ઑલિમ્પિક્સની સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

29 વર્ષની ફોગાટ યુક્રેનની હરીફ સામે ભારે સંઘર્ષપૂર્ણ મુકાબલો જીતીને મેડલની લગોલગ પહોંચી ગઈ હતી. જાપાનની યુઇ સુસાકી સામેના રોમાંચક મુકાબલામાં ફોગાટે ખાસ કરીને છેલ્લી પાંચ સેક્ધડમાં પર્ફોર્મન્સ ખૂબ સુધારીને સુસાકીને પછાડી હતી.

આ પ્રી-ક્વૉર્ટર ફાઇનલ મુકાબલો 50 કિલો વર્ગમાં હતો જેમાં આ સ્પર્ધાની સર્વોચ્ચ ક્રમાંકિત અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન સુસાકીએ 1-0થી સરસાઈ લીધી હતી. ત્યાર પછી પણ સુસાકી આગળ વધી હતી અને 2-0થી સરસાઈ લીધી હતી. જોકે પછીથી ફોગાટે આક્રમક મૂડમાં આવીને અને સમજદારીથી સુસાકી પર પ્રભુત્વ મેળવ્યું હતું અને 3-2થી જીતી ગઈ હતી.

સુસાકીએ પોતાની વિરુદ્ધમાં આપવામાં આવેલા નિર્ણયને પડકાર્યો હતો, પરંતુ તેની એ ચૅલેન્જને નકારવામાં આવી હતી અને ફોગાટને જ વિજેતા ગણાવવામાં આવી હતી.

ફોગાટ અગાઉની બે ઑલિમ્પિક્સમાં મેડલ જીતવામાં નિષ્ફળ રહી હતી.

August 6, 2024
Neeraj-Chopra-july-afp_d.jpg
1min271

ભારતના ઑલિમ્પિક ચૅમ્પિયન નીરજ ચોપડાએ મંગળવારે ભાલાફેંકમાં શરૂ થયેલા ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ધમાલ મચાવી દીધી હતી. તેણે પહેલા જ પ્રયાસમાં ભાલો 89.34 મીટર દૂર ફેંકીને ફાઇનલ માટેનું ક્વૉલિફિકેશન મેળવી લીધું હતું.

2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં પહેલા સ્થાને આવીને ગોલ્ડ મેડલ જીતનાર આર્મીમૅન નીરજનો સીઝનનો આ બેસ્ટ થ્રો હતો.

84 મીટરનું અંતર પાર કરનાર ઍથ્લીટની ફાઇનલના ક્વૉલિફિકેશન માટેની તક વધી જતી હોય છે અને 26 વર્ષના નીરજે ટોક્યો ઑલિમ્પિક્સમાં પહેલા પ્રયાસમાં જ એ અંતર પાર કરી લીધું હતું. આ વખતે અહીં પણ તેણે પ્રથમ રાઉન્ડમાં ભાલો 84 મીટરથી ક્યાંય દૂરના અંતરે ફેંકીને ક્વૉલિફિકેશન હાંસલ કરી લીધું.

પાકિસ્તાનનો ઍથ્લીટ અર્શદ નદીમ જે નીરજનો મિત્ર અને હરીફ છે, તેણે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ભાલો 86.59 મીટર દૂર ફેંકીને ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હતી.

અર્શદ નદીમ કૉમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ-મેડલિસ્ટ છે. જોકે તે ઘણી મોટી સ્પર્ધાઓમાં નીરજ સામે ઝાંખો પડી ચૂક્યો છે.
ગ્રૂપ-એમાં ભારતનો જ કિશોર જેના ફાઇનલમાં પહોંચવા સંઘર્ષ કરી રહ્યો હતો, કારણકે તેણે ભાલો 80.73 મીટર દૂર ફેંક્યો હતો. છેવટે નીરજ ચોપડાવાળા ગ્રૂપ-બીના ઍથ્લીટોના પરિણામો આવતાં જાહેરાત થઈ હતી કે કિશોર જેનાએ આ સ્પર્ધામાંથી એક્ઝિટ કરવી પડી હતી.

કુલ 12 ઍથ્લીટને ફાઇનલમાં પહોંચવા મળે છે.
ગ્રૂપ-એમાં ઍન્ડરસન પીટર્સે ભાલો 88.83 મીટર દૂર ફેંક્યો હતો અને ફાઇનલમાં આસાનીથી પ્રવેશ મેળવ્યો હતો.

August 5, 2024
bangladesh.png
1min272

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ફાટી નીકળેલો અગનજ્વાળા ફરી સમગ્ર દેશને ભરડામાં લઈ રહી છે. બાંગ્લાદેશમાં શહીદોના વંશજોને અનામતનો મુદ્દો બેકાબૂ બનતાં દેશભરમાં અનિશ્ચિતકાળ માટે કર્ફ્યુ લાદવા સાથે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ દરમિયાન બાંગ્લાદેશના સત્તાવાર પી.એમ હાઉસ પર પણ દેખાવકારોએ હુમલો કરી દીધો હતો. દેખાવકારોએ અહીં ઘૂસીને બંગબંધુની પ્રતિમા પર પણ કુહાડીઓ ઝીંકી હતી. આ સ્થિતિમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને ભારતમાં શરણ લઈ લીધી છે.

બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતનો અંત લાવવા અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે શાસક પક્ષના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ લોહિયાળ વિરોધમાં અત્યાર સુધીમાં 14 પોલીસકર્મીઓ સહિત લગભગ 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે શેખ હસીનાએ ભારે વિરોધ વચ્ચે સેનાના દબાણને વશ થઈને વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે.

બાંગ્લાદેશની સેનાએ વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવા 45 મિનિટનો સમય આપ્યો હતો. આ દરમિયાન તેઓ બહેન શેખ રેહાના સાથે સ્પેશિયલ હેલિકૉપ્ટરમાં ભારત આવી ગયા હતા. હાલ તેમણે દિલ્હીમાં શરણ લઈ લીધી છે.

સ્ટુડન્ટ્સ અગેઇન્સ્ટ ડિસ્ક્રિમિનેશન નામના પ્લેટફૉર્મે આજથી સરકારના રાજીનામાની માગ સાથે અસહકાર ચળવળની શરુઆતની જાહેરાત કરી છે. આ દરમિયાન વડાપ્રધાન હસીનાએ જણાવ્યું છે કે, દેખાવકારો વિદ્યાર્થીઓ નથી પણ આતંકવાદીઓ છે અને લોકોએ તેમને સાથ ન આપવો જોઈએ. જો કે સ્થિતિ બેકાબૂ બનતાં તેમણે ત્યાગપત્ર આપીને ભારતમાં શરણ લેવાનો નિર્ધાર કર્યો હોવાનું મીડિયા અહેવાલમાં જણાઈ રહ્યું છે.

નોબેલ વિજેતાની ભારતને અપીલ

બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગે ઊભો થયેલો વિરોધ વંટોળ ભારત સુધી પહોંચ્યો છે અને ફરી ભારતની મદદ માંગવામાં આવી રહી છે. અહેવાલ પ્રમાણે શેખ હસીના ભારત આવી રહ્યા છે તો બીજી તરફ દેશની આવી સ્થિતિ જોઈને બાંગ્લાદેશના અર્થશાસ્ત્રી અને નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ચિંતા વ્યક્ત કરી છે અને ભારતને મદદ માટે ટકોર કરી છે.

‘ભારત કહે છે કે આ ઘરેલુ મામલો છે ત્યારે મને દુઃખ થાય છે. જો તમારા ભાઈના ઘરમાં આગ લાગી હોય, તો તમે તેને ઘરેલુ બાબત કેવી રીતે કહી શકો? ઘણી વસ્તુઓ કૂટનીતિમાં આવે છે અને એમ ન કહી શકાય કે આ તેમનો ઘરેલુ મુદ્દો છે. 17 કરોડની વસ્તીવાળા બાંગ્લાદેશમાં લોકો સંઘર્ષનો સામનો કરી રહ્યા છે, સરકારી દળો દ્વારા યુવાનોની હત્યા થઈ રહી છે અને કાયદો અને વ્યવસ્થા બગડી રહી છે. બાંગ્લાદેશમાં ઉથલપાથલ માત્ર તેની સરહદો સુધી સીમિત નહીં રહે પરંતુ પાડોશી દેશોને પણ અસર કરશે.’ તેમ યુનુસે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

કોણ છે નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ?

નોંધનીય છે કે, મોહમ્મદ યુનુસે 1983માં ગ્રામીણ બૅંકની સ્થાપના કરી હતી. જેમાં ગરીબોને પોતાનો નાના પાયાનો ઉદ્યોગો શરુ કરવા માટે લોન આપવામાં આવતી હતી. આ પગલાંને કારણે બાંગ્લાદેશના લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢી શકાયા હતા અને યુનુસના કામના કારણે તેમને 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સામે પક્ષે શેખ હસીનાએ મોહમ્મદ યુનુસ પર ગરીબોનું લોહી ચૂસવાનો આરોપ લગાવ્યો હતો. શેખ હસીનાનું કહેવું હતું કે યુનુસે શરુ કરેલી ગ્રામીણ બૅંકો ગરીબો પાસેથી વધુ પડતું વ્યાજ વસૂલે છે. હાલમાં જ યુનુસ સામે ભ્રષ્ટાચારનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.

August 4, 2024
hp-glacier.png
1min242

હિમાચલ પ્રદેશના પાટનગર શિમલા અને કુલ્લુમાં શ્રીખંડ મહાદેવ પાસે ગ્લેશિયર અને વાદળ ફાટતા થયેલા ભૂસ્ખલનથી ૫૦ લોકોનાં મોતની આશંકા સેવાઈ રહી છે. હિમાચલમાં ભારે વરસાદના કારણે રામપુરના સમેજ ગામમાં ૩૬ લોકો લાપતા છે જ્યારે કુલ્લુના બાગી પુલમાં છ લોકો હજુ પણ ગુમ થઈ ગયા છે. આ સિવાય ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં પણ મૂશળધાર વરસાદ પડયો હતો.

હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાં વાદળ ફાટવાથી ભારે વિનાશ વેરાયો છે. અનેક ઈમારતોને નુકસાન ઘયું છે તથા અનેક લોકો લાપતા થઈ ગયા હોવાની માહિતી મળી છે. આ લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ ચલાવાઈ રહ્યું છે. આવા સમયે મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું છે કે આ દુર્ઘટનામાં અંદાજે ૫૦ લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. જોકે, સત્તાવાર સંખ્યા સર્ચ ઓપરેશન પૂરું થયા પછી જ કહી શકાશે.

શિમલા જિલ્લાના રામપુરના સમેજ ગામમાં વાદળ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ સમયે એક પ્રવાસીએ શૂટ કરેલો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ગ્લેશિયર તૂટવાથી ભારે વિનાશ સર્જાયો હતો. આ વિસ્તારમાં એનડીઆરએફ, આઈટીબીપી, એસડીઆરએફ, સીઆઈએસએફ, પોલીસ અને હોમગાર્ડ સહિત કુલ ૪૧૦ બચાવ કર્મચારી ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. સમેજ ગામમાં બચાવ કર્મચારીઓને જોઈને એક વૃદ્ધ બક્શી રામે કહ્યું કે, શ્રીખંડ ભૂસ્ખલનમાં તેમણે તેમના પરિવારના ૧૬ લોકોને ગુમાવી દીધા છે.

દરમિયાન ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે હિમાલયમાં આવેલા યાત્રાધામ કેદારનાથમાં હજારો શ્રદ્ધાળુઓ ફસાયા છે, જેમને બચાવવા માટે ત્રણ દિવસથી બચાવ અભિયાન ચલાવાઈ રહ્યું છે, જેમાં ૧૦,૫૦૦થી વધુ શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેટલાક લોકોને એરફોર્સના હેલિકોપ્ટર્સથી એરલિફ્ટ કરાયા હતા. અધિકારીઓએ કહ્યું કે, કેદારનાથ, બિમ્બલિ અને ગૌરિકુંડમાં ૧,૩૦૦થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા છે, પરંતુ તેઓ સલામત છે. શ્રદ્ધાળુઓને બચાવવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસના કર્મચારીઓ બચાવ અભિયાનમાં કામે લાગ્યા છે. ઈન્ડિયન એરફોર્સના ચિનૂક અને એમઆઈ-૧૭ હેલિકોપ્ટર્સ પણ કેટલાક શ્રદ્ધાળુઓને એરલિફ્ટ કરી રહ્યા છે.

પૂર્વ ભારતમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ મૂશળધાર વરસાદે ભારે વિનાશ વેર્યો છે. ઝારખંડમાં છેલ્લા બે દિવસમાં વરસાદના કારણે કેટલાક માર્ગો ધોવાઈ ગયા છે, વૃક્ષો મૂળમાંથી ઊખડી ગયા છે, મકાનોને ભારે નુકસાન થયું છે જ્યારે એક પૂલ પણ તૂટી પડયો છે. જોકે, રાજ્યમાં હજુ સુધી જાનહાનીના કોઈ સમાચાર નોંધાયા નથી તેમ હવામાન અધિકારીએ કહ્યું હતું.

August 4, 2024
shiv-mahadev.png
1min357

ગુજરાતમાં આજે અષાઢ માસની અમાસ દિવાસાના દિવસથી દશામાં વૃતનો પ્રારંભ થયો છે. અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. અષાઢ માસની અમાસથી શ્રાવણ માસની નોમ સુધી વ્રત ચાલે છે. અંતીમ દિવસે જાગરણ કરી વહેલી સવારે દશામાની પાણીમાં પધરામણી કરવામાં આવે છે. આવતકાલથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે અનોખો યોગ બની રહ્યો છે. શ્રાવણનો પ્રારંભ સોમવારે અને વિદાય સોમવારે થશે.

દશામા વ્રતનું મહત્વ

ગુજરાતમાં દશામા વ્રત ધામધૂમથી ઉજવાય છે. આ વ્રત મહિલાઓ સંપૂર્ણ દસ દિવસ સુધી રાખે છે. આ સમય દરમિયાન દશામા માતાની સંપૂર્ણ વિધિથી પૂજા કરવામાં આવે છે અને તેમની પાસે સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે. સમગ્ર દસ દિવસ પંડાલમાં દિવડાઓ પ્રગટાવવામાં આવે છે અને દિવસભર ભજન કીર્તન કરવામાં આવે છે. પૂરા દસ દિવસ સુધી દરરોજ દશામા વ્રતની કથા કરે છે. જ્યોતિષીય અસંતુલન સુધારવા માટે આ વ્રત રાખવામાં આવે છે. આ વ્રતની અસરથી સાધકને સ્વાસ્થ્ય લાભ મળે છે.

જીવ અને શિવના પવિત્ર શ્રાવણ મહિનાનો સોમવારથી પ્રારંભ

કૈલાસના નિવાસી એવા ભગવાન ભોળાનાથની ભકિતનો મહિનો એટલે શ્રાવણ મહિનો જેનો 5મી ઓગસ્ટને સોમવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થનાર છે. 1952 બાદ 72 વર્ષ પછી શ્રાવણ માસનો પ્રારંભ અને અંત સોમવારથી થતો હોય તેવો અનોખો યોગ આવ્યો છે. શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે.

2જી સપ્ટેમ્બરના સોમવારે રોજ છેલ્લો દિવસ

હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ મહિનાનો આવતીકાલે 5મી ઓગસ્ટને સોમવારથી શરૂઆત થનાર છે. જયારે શ્રાવણ માસનો અંત પણ સોમવારે 2જી સપ્ટેમ્બરના રોજ થશે. શ્રાવણ મહિનો શિવભક્તિ કરવાનો માસ ગણાય છે. શિવજીને પ્રિય એવા પાંચ સોમવાર પણ આવી રહ્યા છે. ત્યારે શ્રાાવણ માસના પ્રથમ દિવસે સોમવારથી ભકતો સવારના સમયે શિવાલયમાં ઉમટી પડશે. શીવજીને અભિષેક કરી પૂજા-અર્ચના સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન ભકતો કરશે. આ ઉપરાંત અમુક ભકતો આખો મહીનો ઉપવાસ કે એકટાણા કરે છે. શ્રાવણ મહિના દરમિયાન ભક્તિ ભાવથી શિવપુરાણ, શિવલીલામૃત, શિવકવચ, શીવ ચાલીસા, શિવ પંચાક્ષર મંત્ર, શિવ પંચાક્ષર સ્ત્રોત, મહામૃત્યુંજય મંત્રનો પાઠ અને જાપ કરવાથી મનોવાંચ્છીત ફળ મળે છે.

August 4, 2024
israel.png
1min286

લેબનના બૈરુતમાં હિઝબુલ્લાહ (Lebanon Hezbollah)સંગઠનના ટોચના કમાન્ડર હત્યા અને ઈરાનમાં હમાસના વડાની હત્યા બાદ મધ્યપૂર્વમાં યુદ્ધનો દાવાનળ (Tension in middle east)ફાટી નીકળવાની શકયતા છે. હિઝબુલ્લાહે ઇઝરાયલ પર રોકેટ મારો કર્યો છે. હિઝબુલ્લાહે જણાવ્યું હતું કે તેણે ઇઝરાયેલ પર ડઝનેક કટ્યુષા રોકેટ લોન્ચ કર્યા હતા. હિઝબુલ્લાહે જણાવ્યું હતું કે પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં હુમલાઓની આ હુમલો કરવામાં આવ્યો છે.

ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાહ જણાવ્યું હતું કે ઉત્તર ઇઝરાયેલમાં બીટ હિલેલ પર તાજેતરનો આ હુમલો, , લેબનોનમાં કેફાર કેલા અને ડીર સિરિયાન પર ઇઝરાયેલના હુમલાના જવાબમાં કરવામાં હતો, જેમાં લેબનનના નાગરિકોને ઇજા પહોંચી હતી.

ઇઝરાયેલી આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમે લેબનનથી ફાયર થયેલા રોકેટને હવામાં જ તોડી પાડવા સામે ફાયરિંગ કર્યું હતું.

ઈરાને જણાવ્યું હતું કે તે અપેક્ષા રાખે છે કે લેબનોનનું તેહરાન સમર્થિત હિઝબુલ્લા જૂથ ઈઝરાયલની અંદર અટેક કરે અને ઈઝરાયેલે હિઝબોલ્લા લશ્કરી કમાન્ડરની હત્યા કર્યા પછી હુમલા હવે લશ્કરી લક્ષ્યો સુધી મર્યાદિત રહેશે નહીં.

હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર રોકેટ છોડવા અંગે નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું કે “ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં અને તેમના બહાદુર અને સન્માનજનક પ્રતિકારના સમર્થનમાં, અને (લેબનનના) દક્ષિણી ગામો અને સલામત ઘરો પર ઇઝરાયેલી દુશ્મનના હુમલાના જવાબમાં, ખાસ કરીને કાફ્ર કિલાના ગામોને નિશાન બનાવનારા હુમલાઓના જવાબમાં, ઇસ્લામિક રેઝિસ્ટન્સે ઝનેક કટ્યુષા રોકેટ સાથે પ્રથમ વખત રોકેટકર્યો હતો. ”

August 2, 2024
freezing-account-1280x752.jpg
1min293

તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઇમની તપાસમાં પીડિતોના સહયોગને કારણે અગાઉ લોક થઇ ગયેલા 28,000 બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કરવામાં આવ્યા છે. બેંકખાતાઓ અનફ્રીઝ થવાથી પીડિતોને મોટી રાહત મળી છે.

આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિગતો આપી હતી. ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમની અસરકારક તપાસના પરિણામે 28 હજાર જેટલા બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42% છે, જે 2023માં માત્ર 17.93% હતી. 30 જૂન, 2024 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી કુલ રકમ ₹114.90 કરોડ છે અને 2024 માટે રિફંડ કરાયેલી રકમ ₹53.34 કરોડ છે.

પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ સુધારો કર્યો છે. નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે, જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રીઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય. તેઓ હવે આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરશે. આ ફેરફારનો હેતુ મધ્યમ-વર્ગની વ્યક્તિઓ પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે, જેઓ આખું બેંક અકાઉન્ટ લોક થઈ જવાના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરે છે.

ઓથોરિટીએ વિનંતી કરી છે કે જેમને પણ એવું લાગતું હોય કે તેમના બેંક ખાતાઓ ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે તેઓ સાયબર ક્રાઈમમાં તેમની બિન-સંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે. એક પછી એક કેસના આધારે આ ખાતાઓની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ આવા ખાતાઓને શક્યતઃ અનફ્રીઝ કરવામાં આવશે. ખાતા ફ્રીઝ કરવા અંગેના અભિગમમાં સુધારો કરીને તેમજ પીડિતોને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરીને, ઓથોરિટી અસરગ્રસ્ત વ્યક્તિઓ પર તાત્કાલિક નાણાકીય અસર અને સાયબર ક્રાઈમના વ્યાપક મુદ્દા બંને પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.