CIA ALERT

Alert Archives - Page 452 of 519 - CIA Live

November 4, 2018
surat.jpg
1min17010

દિવાળીના આગમન આડે 3-4 દિવસ બાકી છે, હાલ દરમિયાન કંદીલ, રંગોળી, ગૃહ સુશોભનની વસ્તુઓ, ફટાકડા, નવા કપડાં, મીઠાઇ વગેરેની ખરીદી માટે શહેરની બજારોમાં લોકોનો ધસારો, ગીર્દી વધતી જોવા મળી રહી છે. આજે તા.4 નવેમ્બર 2018ને રવિવારે તો સવારથી જ ઘોડદોડ, વરાછા રોડ, રાજમાર્ગ, ડુમસ રોડના મોલ્સ, ચૌટા બજાર, એલ.પી. સવાણી રોડ, આનંદ મહલ રોડ, ભાગળ, કતારગામ, ઉધના મેઇન રોડ વગેરેમાં ખરીદદારનો ધસારો જોવા મળી રહ્યો છે. મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ લોકો ખરીદી કરવામાં પાછીપાની કરતા નથી. જોકે, તેમ છતાં બજેટ ધ્યાનમાં રાખીને જ સામાનની ખરીદી કરી રહ્યા છે.

બીજી બાજુ ચૌટા બજાર માર્કેટના એક વેપારીના જણાવ્યા અનુસાર ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વસ્તુઓના ભાવ વધ્યા હોવાથી મોંઘવારીને ધ્યાનમાં લઇને તેઓ મર્યાદિત માત્રામાં ખરીદી કરે છે. તે સિવાય ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડ વધ્યો હોવાથી પણ બિઝનેસને તેનો ફટકો પડે છે.

બજારમાં રેડિમેડ રંગોળી સહિત વિવિધ પ્રકારની રંગોળી ઉપલબ્ધ છે. આ રંગોળીઓ લેવા માટે મહિલાઓની ગીર્દી જોવા મળે છે. હૉલસેલ માર્કેટમાં રંગોળીના ભાવ 20 રૂપિયા કિલોના ભાવથી શરૂ થાય છે, જ્યારે રંગોળીના રંગના નાના પાકીટ દસ-દસ રૂપિયામાં બજારમાં ઉપલબ્ધ છે. જોકે, અમુક રીટેલરની દુકાનમાં તે 15 રૂપિયાના ભાવે પણ વેચાઇ છે.

કંદીલની વાત કરીએ તો બજારમાં ચાઇનીઝ, કાગળ, કાપડ અને બાંબુથી બનાવેલા ઇકોફ્રેન્ડલી કંદીલ બજારમાં ઉપલબ્ધ છે. જોકે, સૌથી વધુ બોલબાલા કાગળના કંદીલની છે. અન્ય બનાવટની તુલનામાં લોકો કાગળના કંદીલ લેવાનું પસંદ કરી રહ્યા છે. નાના નાના કંદીલ 120 રૂપિયા ડઝનથી લઇને સાઇઝ અને મટીરિયલના હિસાબે રૂ.100થી લઇને રૂ.5000ની રેન્જમાં રંગબેરંગી કંદીલ બજારમાં છે.

દીવાની ખરીદી વગર દિવાળીની ઉજવણી અધૂરી છે. હાલમાં માર્કેટમાં માટીના બનાવેલા સાદા અને પારંપારિક દીવડાઓથી લઇને કાચના, મેટલના, પીઓપીના અને એલઇડી લાઇટવાળા ફેન્સી દીવડાઓ માર્કેટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત 10થી લઇને 300 રૂપિયા સુધીમાં છે. અન્ય સજાવટની વસ્તુ જેમ કે લાઇટિંગ, તોરણ, શરણગારેલી પૂજાની થાળી વગેરે સહિત મીઠાઇ, નવા કપડાં વગેરેનું બજારમાં ધૂમ વેચાણ થઇ રહ્યું છે.

દિવાળીને ધૂમધામથી ઉજવવા ફટાકડાની ખરીદી કરવાનું પણ લોકો ચૂકતા નથી. હાલમાં માર્કેટમાં અનાર, ચકરી, રોકેટ, ફૂલઝડી, લક્ષ્મી બૉમ્બથી લઇને કલરફુલ ફટાકડા અને આકાશ તારા સુધીના ફટાકડા માર્કેટમાં ઉપલબ્ધ છે, જે 100 રૂપિયાથી લઇને પાંચથી છ હજારની રેન્જમાં ઉપલબ્ધ છે. જોકે, માત્ર બે કલાક માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી મળી હોવાથી લોકો ફટાકડાની ખરીદી ઓછા પ્રમાણમાં કરી રહ્યા હોવાનું બજારમાં ચિત્ર છે.

રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટના એક વેપારીના જણાવ્યા અનુસાર દિવાળીને દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. એક ભારતીય માટે આ એક મહત્ત્વપૂર્ણ પર્વ હોવાથી લોકો દિવાળીની ખરીદી ધામધૂમથી કરી રહ્યા છે. અહીં થતી લોકોની ભીડને જોતા મંદીનો માહોલ હોય તેવું લાગતું નથી.

ટૂંકમાં કહીએ તો સીઆઇએ લાઇવની ટીમ જ્યાં જ્યાં ફરી છે પાછલા દિવસોમાં ત્યાંં વેપારી હોય કે ગ્રાહક વર્ગ હોય એક સૂર એ જ સાંભળવા મળ્યો કે દિવાળી ખરી પણ પહેલા જેવી નહીં.

November 3, 2018
tax_consult.jpg
1min498

જીએસટીના અમલને 16 મહિના થવા આવ્યા છતાં જીએસટીના માળખામાં, ફ્રેમવર્કમાં પડી રહેલી તકલીફોનું નિરાકરણ લાવવામાં નથી આવી રહ્યું. પોતાના ક્લાયન્ટસને સામે ચાલીને જીએસટી રિટર્ન માટે સમજાવી તૈયાર કરતા ટેક્સ કન્સલ્ટન્ટસ પણ હવે તો તોબા પોકારી ઉઠ્યા છે. એક તો કાયદાની જટીલતા અને તેનાથી પણ વધારે તેના અમલીકરણની જટીલતા સામે તેઓ રોજ ઝઝુમી રહ્યાં છે. સર્વરને અપગ્રેડ નહિં કરાતા રોજબરોજ નવા પ્રશ્નો ઊભા થાય છે. તાજેતરમાં ધી સાઉથ ગુજરાત કોમર્શિયલ ટેક્સ બાર એસોસિએશન દ્વારા જીએસટી કાઉન્સિલને રજૂઆત કરી આ પ્રશ્નોનું હવે તો નિરાકરણ લાવવા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.

જીએસટી જ્યારે લાગુ પડ્યું ન હતું અને લાગુ પડ્યા પછી જ્યારે સુરતમાં વ્યાપારીઓ ખાસ કરીને ટેક્સટાઇલ વ્યાપારીઓ જીએસટીને ઇગ્નોર કરી રહ્યા હતા ત્યારે શહેરના ટેક્સ કન્સલ્ટન્ટસ એ જ ક્લાયન્ટસને જીએસટીની તરફેણમાં સમજાવ્યા હતા. આજે પરિસ્થિતિ એ થઇ કે એક તરફ જીએસટી નેટવર્ક યોગ્ય રીતે કામગીરી કરી શકતું નથી, ટેક્નોલોજી, પ્રોગ્રામિંગમાં અનેક છીંડા છે ત્યારે સૌથી વધારે મરો ટેક્સ કન્સલ્ટન્ટસનો થઇ રહ્યો છે. એક તરફ ન તો સરકાર સિસ્ટમ સુધારી રહી છે કે ન તો તેમાં અનુભવાય રહેલી તકલીફોનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે અને બીજી તરફ ક્લાયન્ટસ ટેક્સ કન્સલ્ટન્ટસને સામે પૂછી રહ્યા છે કે તમે તો કહેતા હતા ને જીએસટી સિસ્ટમ સુધરી જશે.

જીએસટીના કાયદાના અમલના 16 મહિના પછી પણ વેપારીઓઁએ અમુક વ્યવહાર માટે વકીલની સલાહ લેવી પડે છે. ટૂંકી સમયમર્યાદાઓ, ઉપરાઉપરી એક પછી એક પત્રકોની હારમાળા, સતત થઈ રહેલા બદલાવ અને આકરા દંડના કારણે વેપારધંધો સરળ બનાવવાના ઇરાદે બનાવાયેલો કાયદો અનેક વેપારીઓ માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. આ મુજબની રજૂઆત કરતાં આવદેનપત્રમાં ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ પ્રશાંત શાહ, શશાંક મીઠાઇવાલા, કુમાર દવે, વેપારી પ્રમોદ ભગત, મીતેષભાઈ વગેરેના પ્રતિનિધિ મંડળે વધુમાં જણાવ્યું છે કે, ભારતમાં કર-કાયદાઓનું 90 ટકા અનુપાલન કર વ્યવસાયિકો દ્ધારા જ થાય છે અને તેથી વેપારીઓ વતી સિસ્ટમ સામે તેઓ રીતસર ઝઝુમી રહ્યાં છે. સિસ્ટમની નાકામયાબીના હિસાબે વેપારીઓ દ્વારા અનેકવખત વારે-તહેવારો રજૂઆતો થઈ છે  જેનો 16-16 મહિના પછી પણ કોઈ ઉકેલ આવ્યો નથી.

આથી તેમની આ રજૂઆતોને જીએસટી કાઉન્સિલના ચેરમેન સુધી પહોંચાડવામાં આવે તેવી લાગણી સાથે કલેકટરને આજરોજ આવેદનપત્ર અપાયું છે. જેમાં ઝીણવટપૂર્ણ મુશ્કેલીઓને દર્શાવવામાં આવી છે જેથી કરીને તેની પર યોગ્ય કામ થાય.

જાણો તેમની મુશ્કેલીઓ….

  1.     —-જીએસટી નેટવર્ક પર એક સાથે અંદાજે 1,50,000 રિટર્ન ફાઈલ થઈ શકે છે અને દેશમાં જીએસટી નોંધણી ધરાવતા વેપારીઓની સંખ્યા 1.14 કરોડ છે એટલે સર્વરને અપગ્રેડ કરવું પડે. તેની કેપેસિટી વધારવી જોઈએ.
  2.   —- અનેક કિસ્સાઓ એવા છે જેમાં વેપારીઓને દિવસો સુધી પ્રયત્ન કર્યા પછી પણ જીએસટી કંપલાયન્સ કરી શક્યા નથી અને જેના કારણે તેઓને નાણાંકિય નુકશાન ભોગવવું પડે છે.
  3.   —- રિફંડની પ્રક્રિયા ખુબ જ જટિલ છે અનેક કિસ્સાઓમાં વેપારીઓને રિફંડ 90 દિવસે પણ મળતું નથી.
  4.    —–જીએસટી નેટવર્ક પર કોઈ તકલીફ હોય તો વેપારીઓ કે કર વ્યવસાયિકો જીએસટી હેલ્પ સેન્ટરમાં ફોન કરી કરીને થાકી જાય છે પરંતુ કોઈ જ હેલ્પ મળતી નથી અને હાસ્યાસ્પદ જવાબો મળે છે.
  5.    —–પોર્ટલની ખામીને કારણે છેલ્લા દિવસે રિટર્ન ન ભરી શકનારા વેપારીને પેનલ્ટીમાંથી મુકિત મળવી જોઈએ.
November 3, 2018
sanjay_sinh_congress.jpg
1min4770

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની પત્ની સાધના સિંહના ભાઈ અને શિવરાજના સાળા એવા સંજય સિંહે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની કંઠી બાંધી લેતા શિવરાજ સિંહને રાજકીય નુકસાન તો વેઠવું પડી રહ્યું છે પણ સાથોસાથ તેઓ મોટા ધરમસંકટમાં મૂકાય જવા પામ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પીસીસી ચીફ કમલ નાથ તેમજ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ જ્યોતિરાદિત્ય સિંધિયાની હાજરીમાં સંજય સિંહ કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

November 3, 2018
sudico_green.jpg
1min7070

સુરતના અઠવાગેટ નજીક રિંગ રોડ પર આવેલા સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની હેડ ઓફિસના ભવનને તાજેતરમાં હૈદરાબાદ ખાતે મળેલી નેશનલ ગ્રીન બિલ્ડીંગ કોન્ફરન્સમાં ગ્રીન બિલ્ડીંગનો દરજ્જો આપવામાં અાવ્યો છે. સુરત કે સાઉથ ગુજરાતમાં સુરત ડિસ્ટ્રીક્ટ બેંક એવી પહેલી બેંક બની છે કે જેની હેડ ઓફિસ ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ ધરાવે છે. નેશનલ ગ્રીન બિલ્ડીંગ ઓથોરિટીએ યોજાયેલા એક ખાસ સમારોહમાં સુરત ડિસ્ટ્રીક્ટ કો. બેંકના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ તેમજ વાઇસ ચેરમેન શ્રી સંદીપભાઇ દેસાઇએ સર્ટિફિકેટ અને ટ્રોફી સ્વીકારી હતી.

કેમ મળ્યો ગ્રીન બિલ્ડીંગનો દરજ્જો

ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઑ.બેન્ક લી સુરતની રજિસ્ટર્ડ ઓફિસના ગ્રીન બિલ્ડીંગમાં વિવિધ એન્વાયરમેંટ ફ્રેંડલી પેરામીટર્સ મુજબ પર્યાપ્ત લેન્ડ સ્કેપિંગ, ઑક્સીજન ઉત્સર્જન કરતાં ઈન્ડોર પ્લાન્ટસ, કેમ્પસમાં વૃક્ષોનું પ્લાન્ટેશન અને રૂફ ટોપ પર 36 કિલો વોટની સોલાર પેનલો લગાડવામાં આવી છે. જેનાથી 30થી 35 ટકા સૌર ઉર્જા ઉત્પન્ન થશે. બિલ્ડીંગના નિર્માણમાં વાપરવામાં આવેલ મટિરિયલ્સ પણ પર્યાવરણ મિત્ર હોય આઇજીબીસી દ્વારા બેન્કના સહકાર ભવનની પર્યાપ્ત ચકાસણી બાદ બેન્કને ગ્રીન બિલ્ડીંગ ગોલ્ડ રેટિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અર્થકારણના ક્ષેત્રે અદકેરું સ્થાન ધરાવતી ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેન્ક લી હવે પર્યાવરણના જતન માટે કટિબદ્ધ થઈ સાચા અર્થમાં ખેડૂતમિત્ર અને ગ્રામ્ય સંકસ્કૃતિની સુરક્ષા કવચ બની છે.

એકંદરે 7,300 કરોડનો વ્યાપાર ધરાવતી ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઑ. બેન્ક લી. સુરતની અઠવાગેટ, સુરત સ્થિત રજિસ્ટર્ડ ઓફિસ કે જ્યાંથી બેન્કનો સમગ્ર કારોબાર એક છત નીચે હવે ચાલુ થયો છે. તેના ભવ્ય મકાનનું નિર્માણ વાયબ્રન્ટ ગુજરાતના સમજૂતી કરાર હેઠળ સંપૂર્ણ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટથી ફક્ત એક વર્ષના ટૂંકા ગાળામાં બેન્ક દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.

સહકારી ક્ષેત્રે ગ્રીન બિલ્ડીંગ સર્ટીફીકેશન ધરાવતી પ્રથમ બેન્ક હોવાનું ગૌરવ પ્રાપ્ત કરનાર ધી સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના આ ભવનનું નિર્માણ પ્રોજેકટ મેનેજમેંટ કન્સલ્ટન્ટ જયેશ દલાલની દેખરેખ હેઠળ શહેરના બિલ્ડર સિદ્ધિ કન્સ્ટ્રક્શનના સાગર દંડવતે તથા પ્રશાંત દંડવતે દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે.

વર્તમાન ટીમ બેંકને નવા નવા શિખરો પર લઇ જવા કટિબદ્ધ

સુરત ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેન્કના ચેરમેન નરેશ પટેલ અને વાઇસ ચેરમેન સંદીપ દેસાઇએ આઇજીબીસી તરફથી આપવામાં આવેલ ગ્રીન બિલ્ડીંગ એવોર્ડ સ્વીકારતા જણાવ્યુ હતું કે દેશમાં વધતાં જતાં ઔદ્યોગીકરણ સામે વન અને કૃષિ આધારિત વિકાસની ક્ષિતિજો જ આવનાર દિવસોમાં આ વિશ્વને પ્રદૂષણ મુક્ત રાખવાનો આધાર બનશે.

 

November 2, 2018
madhavpura_bank.jpg
1min27740
  • માધવપુરા બેંકમાં રાજ્યના 45,544 થાપણદારોના નાણા ફસાયેલા
  • 2001માં માધવપુરા બેન્કના ચેરમેન , એમ.ડી. અને શેરદલાલ કેતન પારેખની ત્રિપુટીએ 1800 કરોડ ચાંઉ કરી લીધાં હતા
  • બેંકમાંથી 63 કરોડ છૂટ્ટા થશે
  • 2 લાખની મર્યાદામાં રકમ અપાશે
  • વિધવા-ત્યક્તા, વયસ્ક નાગરિકોને લાભ
  • શનિવાર, તા.3 નવેમ્બર 2018થી નાણાંની ચૂકવણી શરૂ થશે

પોણા બે દાયકા પૂર્વે કથિત કૌભાંડને પગલે ફડચામાં ગયેલી માધવપુરા મર્કન્ટાઇલ બેંકમાં ફસાયેલી કરોડોની રકમ દિવાળીના પર્વ પૂર્વે રિલીઝ કરવામાં આવી છે. સેંકડો નહીં પણ હજારો થાપણદારોએ આ કદમને પગલે દિવાળી સુધરી ગઇ હોવાની લાગણી વ્યક્ત કરી છે. શનિવાર તા.3 નવેમ્બર 2018ના રોજ અમદાવાદમાં રિલીઝ કરાયેલી થાપણોના પ્રતિકરૂપે ચેક અર્પણ કરીને ચૂકવણાનો આરંભ કરાશે.

માધવપુરા બેન્ક કસ્ટમર્સ એસોસીએશન દ્વારા જણાવાયું હતું કે માધવપુરા બેંકમાં 45,544 થાપણદારોના નાણા ફસાયેલા છે. એ પૈકી રૂ. 63.33 કરોડની રકમનું ચૂકવણું બેંક દ્વારા કરવામાં આવશે. સામાન્ય થાપણદારોને 2 લાખની મર્યાદામાં નાણાં ચૂકવાશે. જોકે આ કારણે અસંખ્ય નાના થાપણદારોના નાણાં હાથ ઉપર આવી જતા મોટી રાહત થશે.

રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલાના પ્રયત્નોથી સિનીયર સિટીઝન્સ અને વિધવા-ત્યક્તા બહેનોને 3 લાખ આપવામાં આવશે. સુપર સિનીયર સિટીઝનોને 5 લાખ સુધીની મર્યાદામાં રકમ પરત કરવામાં આવશે. અમદાવાદમાં તા. 3ના રોજ ગુજરાત રાજ્ય સહકારી બેંકના સહકાર ભવન ખાતે પરસોતમભાઇ રુપાલાની હાજરીમાં અજયભાઇ પટેલ તથા જ્યોતિન્દ્રભાઇ મહેતાના હસ્તે પ્રતિકરૂપે 2 લાખના ચેક થાપણદારો, ધાર્મિક સંસ્થાઓ, સહકારી બેંકો તથા જીવદયા સંસ્થાઓને આપવામાં આવશે. થાપણદારોએ 30-11-2018 સુધીમાં બેંકમાં અરજી કરવાની છે.

બેંક કસ્ટમર એસોસીએશન દ્વારા રિકવરીની સુંદર કામગીરી માટે અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવનાર છે. એસોસીએશન દ્વારા 2001થી સતત રજૂઆતો કરવામાં આવી હતી. 2001માં માધવપુરા બેન્કના ચેરમેન , એમ.ડી. અને શેરદલાલ કેતન પારેખની ત્રિપુટીએ 1800 કરોડ ડુબાડી દીધા હતા. 160 કરતા વધારે સહકારી બેંકોના નાણા એમાં ફસાયા હતા. જોકે નાના રોકાણકારો અને થાપણદારોને એ કારણે મોટો ફટકો પડયો હતો. 2001થી 2006 સુધી લોકોને થોડી મૂડી મળી હતી પણ પછી 2014 સુધી તલ્લાગલ્લાં કરીને રકમ ચૂકવાઇ રહી ન હતી. જોકે મુખ્યમંત્રી અને પ્રધાનોની અલગ અલગ રજૂઆતો બાદ ફડચા અધિકારી દિલીપભાઇ રાવલે ઉત્તમ કામગીરી કરીને રકમ પરત અપાવી છે. એનાથી થાપણદારોમાં હરખની લાગણી ફેલાઇ છે.

November 2, 2018
rahul1.jpg
1min6550

દિલ્હીમાં ચંદ્રબાબુ નાયડુ, શરદ પવાર, ફારુક અબદુલ્લા અને રાહુલનો BJPને હરાવવાનો સંકલ્પ અને લોકતંત્ર બચાઓ અભિયાન

BJPને હરાવવા માટે વિપક્ષી એકતા સાધવાનો સંકલ્પ કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ TDPના નેતા અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ સાથેની ગઈ કાલની મુલાકાત વખતે જાહેર કર્યો હતો. ચંદ્રબાબુ સાથે વિપક્ષી એકતા વિશે ચર્ચા કર્યા બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘વિરોધ પક્ષો લોકતાંત્રિક બંધારણીય સંસ્થાઓને બચાવવા માટે કાર્ય કરશે. વિરોધ પક્ષો બેરોજગારી અને ખેડૂતોની સમસ્યાઓ નાબૂદ કરવા અને રાફેલ ફાઇટર જેટ સોદામાં ભ્રષ્ટાચાર સહિતના મહત્વના મુદ્દા પર સાથે મળીને કામ કરશે.’

લોકસભાની ચૂંટણી પૂર્વે વિપક્ષી એકતા માટે પ્રયત્નશીલ ચંદ્રબાબુ નાયડુની હાજરીમાં રાહુલ ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે ‘ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું સ્પષ્ટ છે. એ ભ્રષ્ટાચારની તપાસ કરતી સંસ્થાઓ પર પ્રત્યક્ષ કે પરોક્ષ આક્રમણ કરવામાં આવે છે. ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં ખરેખર શું બન્યું? એ બધા પૈસા ક્યાં ગયા અને ભ્રષ્ટાચાર કોણે કર્યો એ મુદ્દા પર હું ભાર મૂÊકું છું. રાષ્ટ્ર એ બધું જાણવા માગે છે.’

વિપક્ષી એકતાની ઉત્સુકતા દર્શાવતાં રાહુલ ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે ‘અમે એક મંચ પર આવીને ભાવિ વ્યૂહ ઘડીશું. તમને ઉમેદવારો વિશે જાણવાની ઉત્સુકતા છે અને અમને રાષ્ટ્રનું હિત જાળવવામાં રુચિ છે.’

ચંદ્રબાબુ નાયડુ રાહુલ ગાંધીને મળતાં પહેલાં નૅશનલ કૉન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડૉ. ફારુક અબદુલ્લા તથા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને મળ્યા હતા. એ ત્રણ નેતાઓએ BJP સામે લડવા અને રાષ્ટ્રના હિતનું રક્ષણ કરવાના ઉદ્દેશથી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન રચવાની તૈયારીરૂપે ચર્ચા કરી હતી.

ચંદ્રબાબુ નાયડુએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ‘રોજબરોજ દેશની પરિસ્થિતિ વણસતી જાય છે. આ મહાન રાષ્ટ્રે આપણને ઓળખ આપી છે. એથી આપણે એના ભાવિનું રક્ષણ કરવું અનિવાર્ય છે. અમારી કોઈ મહત્વાકાંક્ષા નથી. અમે અહીં ખુરસીઓ કે સત્તા માટે ભેગા નથી થયા. અમારી રુચિ ફક્ત રાષ્ટ્રના હિતમાં છે. અમારો પ્રયાસ તમામ BJPવિરોધી પક્ષોને એક મંચ પર લાવીને ભવિષ્યનો વ્યૂહ ઘડવાનો છે. આજે CBI અને RBI ઉપરાંત ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટ દબાણ હેઠળ છે. સુપ્રીમ કોર્ટ અને રાજ્યોના ગવર્નર્સ પણ છૂટથી કામ નથી કરી શકતા.’

કેટલાક મહિના પહેલાં નૅશનલ ડેમોક્રેટિક અલાન્યસથી છૂટા થયેલા ચંદ્રબાબુ નાયડુ પવાર અને અબદુલ્લા સાથેની મુલાકાત પૂર્વે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ, લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવ, બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતી અને BJPના ભૂતપૂર્વ નેતા યશવંત સિંહાને મળ્યા હતા.

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મધુ કોડા BJPનો સાથ છોડીને કૉન્ગ્રેસમાં જોડાયા હતા. કોલસાકૌભાંડ સહિત ચાર હજાર કરોડ રૂપિયાનાં કૌભાંડોમાં વિવાદિત મધુ કોડા ગઈ કાલે પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના કૉન્ગ્રેસના મુખ્યાલયમાં પક્ષના રાજ્ય એકમના પ્રમુખ ડૉ. અજય કુમારની હાજરીમાં કૉન્ગ્રેસમાં જોડાયા હતા. મધુ કોડાનાં પત્ની અને રાજ્યના જગન્નાથપુરનાં વિધાનસભ્ય ગીતા કોડા ૧૧ ઑક્ટોબરે પક્ષપ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં કૉન્ગ્રેસમાં જોડાયાં હતાં.

November 2, 2018
BHURI.jpg
1min11810

સુરત પોલીસે વરાછા રોડ પર શસ્ત્રો સાથે ધસી જઇને બબાલો કરતી યુવતિ નામે અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરીની પાસા હેઠળ ધરપકડ કરીને વડોદરા જેલમાં ધકેલી દેવામાં આવી

સુરતના વરાછા વિસ્તારમાં ખુલ્લી તલવાર સાથે આતંક મચાવનારી માથાભારે લેડી ડૉન ભૂરી ઉર્ફે અસ્મિતા ગોહિલની પાસા હેઠળ ધરપકડ કરાઈ છે. પોલીસે અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરીની પાસા હેઠળ ધરપકડ કરીને વડોદરા જેલમાં ધકેલવામાં આવી છે.

વરાછા વિસ્તારમાં જાહેરમાં તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે ડરનો માહોલ પેદા કરનારી ભૂરીએ ઘણી વખત મારામારી કરી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. ભૂરીના આતંકથી કેટલાએ લોકો પરેશાન હતા. તેના માર-પીટ, ધાક-ધમકીના વીડિયોને લઈ ખૂબ ચર્ચામાં રહેતી હતી. આખરે પોલીસે ભૂરીની ધરપકડ કરી જેલના હવાલે કરી દીધી હતી.

પોલીસે ભૂરીની ધરપકડ કરીને ત્રણ ગુનાઓ નોંધ્યાં હતાં.

 

November 2, 2018
iitmadra.jpg
1min14620

ભારતનું સૌપ્રથમ સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ટૂંક સમયમાં તમારા મૉબાઇલ ફૉન, સર્વિલન્સ કૅમૅરા અને સ્માર્ટ મીટર ચલાવી શકશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી) મદ્રાસ દ્વારા સૌપ્રથમ સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ‘શક્તિ’ની ડિઝાઇન તૈયાર કરી છે અને તેને વિકસાવ્યું છે. તેની માઇક્રૉચિપ ચંડીગઢમાંની ઇન્ડિયન સ્પૅસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)ની સૅમી-ક્ધડક્ટર લેબૉરેટરીમાં તૈયાર કરાઇ છે. સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ‘શક્તિ’ને લીધે આયાત કરાતી માઇક્રૉચિપ્સ પર આધાર રાખવાનું ઓછું થવાની અને સાયબર હુમલા ઘટવાની આશા જન્મી છે. આ ઉપરાંત, સંદેશવ્યવહાર અને સંરક્ષણ ક્ષેત્ર માટે સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ઉત્તમ સાબિત થશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી મદ્રાસની ‘રાઇઝ લેબૉરેટરી’ના અગ્રણી સંશોધનકાર પ્રાધ્યાપક કમલકોટી વીઝીનાથને જણાવ્યું હતું કે અલગ-અલગ સાધનો (ડિવાઇસ)ને જુદા જુદા પ્રકારના હાર્ડવૅરની અથવા નવા ફિચર્સ કે ઇન્સ્ટ્રક્શન્સની જરૂર પડે છે અને અમે આ બાબતને ધ્યાનમાં રાખીને માઇક્રૉપ્રૉસેસરની ડિઝાઇન તૈયાર કરી છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી મદ્રાસ આ માઇક્રૉપ્રૉસેસરની સ્ટ્રૅટૅજિક અને કૉમર્શિયલ ઍપ્લિકૅશન્સ માટે 13થી વધુ કંપનીના સંપર્કમાં છે. આઇઆઇટીની ટીમ સુપર કમ્પ્યુટર માટેનું અત્યાધુનિક માઇક્રૉપ્રૉસેસર ‘પરાશક્તિ’ 2018ના ડિસેમ્બર સુધીમાં તૈયાર કરવાની છે.

November 1, 2018
gst.jpg
1min4880

ચાલુ નાણાકીય વર્ષના ઑક્ટોબર મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ સંગ્રહ એક લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગયો છે. કેન્દ્રિય નાણા મંત્રી અરુણ જેટલીએ ગુરુવારે આ માહિતી આપી છે.

મે માં જીએસટી સંગ્રહ 94,016 કરોડ રૂપિયા, જૂનમાં 95,610 કરોડ રૂપિયા, જુલાઇમાં 96,483 કરોડ રૂપિયા, ઓગસ્ટમાં 93,960 કરોડ રૂપિયા અને 94,442 કરોડ રૂપિયા સપ્ટેમ્બર રહ્યું હતું.

November 1, 2018
statue_of_unity.jpg
1min5480
પહેલા જ દિવસે મફતીયાઓનો ત્રાસ, સામાન્ય મુલાકાતીઓ પાસે રૂ.350 લેવાયા, જ્યારે અપનાદળના 1500 કાર્યકર્તાઓને મફતમાં પ્રવેશ અપાયો

જો કે સૌથી મોટો હોબાળો ત્યારે થયો જ્યારે ભાજપના સાથી પક્ષના અપનાદળના 1500 જેટલા કાર્યકર્તાઓને સ્ટેચ્યુ જોવા માટે મફતમાં પ્રવેશ અપાયો. એનડીએના સાથીપક્ષ અપના દળના 1500 કાર્યકર્તાઓને સ્ટેચ્યુની મુલાકાત માટે આવ્યા હતા. અને અપના દળના રાષ્ટ્રીય અધ્યક્ષ આશિષ પટેલની દરમિયાનગિરી બાદ કાર્યકરોને મફત પ્રવેશ અપાયો હતો. જ્યારે અન્ય મુલાકાતીઓ પાસેથી ટિકિટના 350 રૂપિયા વસુલવામાં આવ્યા હતા. જેને પગલે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.