દિવાળીના આગમન આડે 3-4 દિવસ બાકી છે, હાલ દરમિયાન કંદીલ, રંગોળી, ગૃહ સુશોભનની વસ્તુઓ, ફટાકડા, નવા કપડાં, મીઠાઇ વગેરેની ખરીદી માટે શહેરની બજારોમાં લોકોનો ધસારો, ગીર્દી વધતી જોવા મળી રહી છે. આજે તા.4 નવેમ્બર 2018ને રવિવારે તો સવારથી જ ઘોડદોડ, વરાછા રોડ, રાજમાર્ગ, ડુમસ રોડના મોલ્સ, ચૌટા બજાર, એલ.પી. સવાણી રોડ, આનંદ મહલ રોડ, ભાગળ, કતારગામ, ઉધના મેઇન રોડ વગેરેમાં ખરીદદારનો ધસારો જોવા મળી રહ્યો છે. મોંઘવારી અને મંદીના માહોલ વચ્ચે પણ લોકો ખરીદી કરવામાં પાછીપાની કરતા નથી. જોકે, તેમ છતાં બજેટ ધ્યાનમાં રાખીને જ સામાનની ખરીદી કરી રહ્યા છે.
બીજી બાજુ ચૌટા બજાર માર્કેટના એક વેપારીના જણાવ્યા અનુસાર ગયા વર્ષની તુલનામાં આ વર્ષે વસ્તુઓના ભાવ વધ્યા હોવાથી મોંઘવારીને ધ્યાનમાં લઇને તેઓ મર્યાદિત માત્રામાં ખરીદી કરે છે. તે સિવાય ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડ વધ્યો હોવાથી પણ બિઝનેસને તેનો ફટકો પડે છે.
બજારમાં રેડિમેડ રંગોળી સહિત વિવિધ પ્રકારની રંગોળી ઉપલબ્ધ છે. આ રંગોળીઓ લેવા માટે મહિલાઓની ગીર્દી જોવા મળે છે. હૉલસેલ માર્કેટમાં રંગોળીના ભાવ 20 રૂપિયા કિલોના ભાવથી શરૂ થાય છે, જ્યારે રંગોળીના રંગના નાના પાકીટ દસ-દસ રૂપિયામાં બજારમાં ઉપલબ્ધ છે. જોકે, અમુક રીટેલરની દુકાનમાં તે 15 રૂપિયાના ભાવે પણ વેચાઇ છે.

કંદીલની વાત કરીએ તો બજારમાં ચાઇનીઝ, કાગળ, કાપડ અને બાંબુથી બનાવેલા ઇકોફ્રેન્ડલી કંદીલ બજારમાં ઉપલબ્ધ છે. જોકે, સૌથી વધુ બોલબાલા કાગળના કંદીલની છે. અન્ય બનાવટની તુલનામાં લોકો કાગળના કંદીલ લેવાનું પસંદ કરી રહ્યા છે. નાના નાના કંદીલ 120 રૂપિયા ડઝનથી લઇને સાઇઝ અને મટીરિયલના હિસાબે રૂ.100થી લઇને રૂ.5000ની રેન્જમાં રંગબેરંગી કંદીલ બજારમાં છે.
દીવાની ખરીદી વગર દિવાળીની ઉજવણી અધૂરી છે. હાલમાં માર્કેટમાં માટીના બનાવેલા સાદા અને પારંપારિક દીવડાઓથી લઇને કાચના, મેટલના, પીઓપીના અને એલઇડી લાઇટવાળા ફેન્સી દીવડાઓ માર્કેટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત 10થી લઇને 300 રૂપિયા સુધીમાં છે. અન્ય સજાવટની વસ્તુ જેમ કે લાઇટિંગ, તોરણ, શરણગારેલી પૂજાની થાળી વગેરે સહિત મીઠાઇ, નવા કપડાં વગેરેનું બજારમાં ધૂમ વેચાણ થઇ રહ્યું છે.

દિવાળીને ધૂમધામથી ઉજવવા ફટાકડાની ખરીદી કરવાનું પણ લોકો ચૂકતા નથી. હાલમાં માર્કેટમાં અનાર, ચકરી, રોકેટ, ફૂલઝડી, લક્ષ્મી બૉમ્બથી લઇને કલરફુલ ફટાકડા અને આકાશ તારા સુધીના ફટાકડા માર્કેટમાં ઉપલબ્ધ છે, જે 100 રૂપિયાથી લઇને પાંચથી છ હજારની રેન્જમાં ઉપલબ્ધ છે. જોકે, માત્ર બે કલાક માટે જ ફટાકડા ફોડવાની મંજૂરી મળી હોવાથી લોકો ફટાકડાની ખરીદી ઓછા પ્રમાણમાં કરી રહ્યા હોવાનું બજારમાં ચિત્ર છે.
રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટના એક વેપારીના જણાવ્યા અનુસાર દિવાળીને દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. એક ભારતીય માટે આ એક મહત્ત્વપૂર્ણ પર્વ હોવાથી લોકો દિવાળીની ખરીદી ધામધૂમથી કરી રહ્યા છે. અહીં થતી લોકોની ભીડને જોતા મંદીનો માહોલ હોય તેવું લાગતું નથી.
ટૂંકમાં કહીએ તો સીઆઇએ લાઇવની ટીમ જ્યાં જ્યાં ફરી છે પાછલા દિવસોમાં ત્યાંં વેપારી હોય કે ગ્રાહક વર્ગ હોય એક સૂર એ જ સાંભળવા મળ્યો કે દિવાળી ખરી પણ પહેલા જેવી નહીં.




















