મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના 36 કલાક અગાઉ તા.19મીની રાત્રે મુંબઇ ખાતે સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ શિવસેનામાં સત્તાવાર રીતે જોઇન થવાની વિધી પૂરી કરી હતી. શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેએ ઔપચારિક રીતે શેરા ને શિવસેનામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે શેરાને તલવાર અને ભગવા રંગની શાલ ઓઢાડીને શિવસેનામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
સલમાન ખાનનો બોડી ગાર્ડ હોવા છતાં શેરા એક સેલિબ્રીટી મનાય છે અને શેરાએ શિવસેના જોઇન કર્યાના સમાચારો વિશ્વભરમાં ચમક્યા હતા.
એક ફાઇલ તસ્વીરમાં શિવસેનાના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરે સાથે શેરા દ્રશ્યમાન છે. અત્યાર સુધી શેરા શિવસેનાના શુભેચ્છક હતા હવે સત્તાવાર રીતે કાર્યકર અને નેતા બન્યા છે.
ગુજરાતની રાધનપુર, ખેરાલુ, થરાદ, બાયડ, લુણાવાડા અને અમરાઇવાડી એમ છ ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી સોમવારે ૨૧મી ઓક્ટોબરે સવારે યોજાશે. શનિવાર સાંજથી અહીં પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. આ છ બેઠકો પર હવે ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે. ચૂંટણી પંચે મતદાન માટેની તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે.
કુલ ૪૨ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ૨૪ ઑક્ટોબરે મતગણતરી યોજાશે. આ પેટાચૂંટણી માટે રાજ્યમાં ૧૭૮૧ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં કુલ ૧૪.૭૬ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાધનપુર બેઠક પરથી ભાજપના અલ્પેશ ઠાકોર સામે કૉંગ્રેસના રઘુ દેસાઇ, બાયડ બેઠક પર ધવલસિંગઝાલા સામે કૉંગ્રેસના જશુભાઇ પટેલ, ખેરાલુ બેઠક પર ભાજપના અજમલ ઠાકોર સામે કૉંગ્રેસના બાબુજી ઠાકોર, લુણાવાડામાં ભાજપના જીગ્નેશ સેવક સામે કૉંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ, થરાદ બેઠક પર ભાજપના જીવાભાઇ પટેલ સામે કૉંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત ચૂંટણી લડી રહ્યા છે.
મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યના ઉમેદવારો પર એક નજર નાખતાં જોવા મળ્યું હતું કે કુલ ૩૨૩૭ ઉમેદવારોમાંથી ફક્ત ૨૩૫ મહિલા ઉમેદવાર છે. આ કુલ ઉમેદવારીના ફક્ત ૭.૩ ટકા છે. રાજ્યના ૨૮૮ મતદારસંઘમાંથી ૧૫૨ મતદારસંઘમાં મહિલા ઉમેદવાર છે. જોકે આ વખતે મહિલાની સંખ્યામાં અગાઉ કરતાં વધારો થયો છે. મુંબઈની ૩૬ બેઠકો પર કુલ૩૩૪ ઉમેદવાર મેદાનમાં છે, તેમાંથી મહિલા ઉમેદવારોની સંખ્યા ફક્ત ૩૧ છે. ૩૬ મતદારસંઘમાંથી કુલ ૨૧ મતદારસંઘમાં મહિલા ઉમેદવારો છે. ભાજપે ફક્ત ત્રણ અત્યારના મહિલા વિધાનસભ્યોને ઉમેદવારી આપી છે.
જે યુનિવર્સિટીના પ્રમોટર સામે રેપ કેસ ચાલી રહ્યો છે પારુલ યુનિવર્સિટીના સંચાલકો ખોટું કરવા માટે ટેવાયેલા હોય તેવું જણાય આવે છે. 2017-18માં પારુલ યુનિવર્સિટીએ મેડીકલ એડમિશન કમિટીને પૂછ્યા મૂક્યા વગર એમ.બી.બી.એસ.માં 15 વિદ્યાર્થીઓને મનસ્વી રીતે (કેવા વ્યવહારો કર્યા હશે એ તો પારુલના સંચાલકો જ જાણે) પ્રવેશ ફાળવી દીધા હતા. એમ.બી.બી.એસ. જેવા ભારતના સૌથી ડીમાન્ડેડ અને મહત્વના કોર્સમાં એડમિશન કમિટીની ઉપરવટ જઇને આપેલા પ્રવેશ મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્કેનરમાં આવી ગયા હતા અને પહેલા જ વર્ષે મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોએ મનસ્વી રીતે, ગુજરાતની એડમિશન કમિટીની જાણ બહાર આપેલા 15 પ્રવેશને અમાન્ય ગણીને તેમને માન્યતા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
પારુલ યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા પહેલા વિચારવા જેવું
15 વિદ્યાર્થીઓનું ભવિષ્ય, વિદ્યાર્થી હિતને આગળ ધરીને પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોએ 15 વિદ્યાર્થીઓના પ્રવેશને કાયદેસર કરી આપવે સબબની એક પીટીશન ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. ગુજરાત હાઇકોર્ટે આ પીટીશનના હિયરીંગમાં પારુલ યુનિવર્સિટીના સત્તાધીશોની આકરી ટીકા કરતા ટાંક્યું હતું કે વિદ્યાર્થી હિત આગળ ધરીને ગેરકાનૂની રીતે અપાયેલા પ્રવેશ કેવી રીતે રેગ્યુલરાઇઝ કરી શકાય.
ગુજરાતમાં મેડીકલ એડમિશન ઓનલાઇન સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમથી હાથ ધરાય છે, ગુજરાત સરકારની કમિટી આ કામ કરે છે, ગમે તેવા સંજોગો ઉપસ્થિત થાય, એડમિશન કમિટીએ ફાળવેલા વિદ્યાર્થીઓને જ કોલેજોએ પ્રવેશ ફાળવવા પડે છે. પારુલ યુનિવર્સિટીમાં 15 જગ્યા ખાલી પડી હોય તેથી શું થયું, એડમિશન કમિટીની જાણ બહાર મનસ્વી રીતે, મેરીટ લિસ્ટની અવગણના કરીને પારુલ યુનિવર્સિટીએ આપેલા પ્રવેશને વિદ્યાર્થી હિત આગળ ધરીને રેગ્યુલરાઇઝ કરી આપવાનો હાઇકોર્ટે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.
બે વર્ષથી પારુલ યુનિવર્સિટીમાં એમબીબીએસ ભણતા 15 વિદ્યાર્થીઓને પારુલ યુનિવર્સિટીના સંચાલકોએ જ રઝળાવી માર્યા
આ સાથે જ છેલ્લા 2 વર્ષથી પારુલ યુનિવર્સિટીની મેડીકલ કોલેજમાં અભ્યાસ કરનારા 15 વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવાના ધંધા પારુલ યુનિવર્સિટીએ કર્યા એની જવાબદારી કોની, આ વિદ્યાર્થીઓનું હવે શું થશે, પારુલ યુનિવર્સિટીએ 2018માં આ પ્રવેશ આપવાના બદલામાં કેવા વ્યવહારો કર્યા એ બધી જ વિગતો હવે તપાસનો વિષય બની છે.
પારુલ યુનિ.એ બારોબાર આપેલા પ્રવેશમાં નીટની લાયકાત હશે કે કેમ એ પણ શંકા
પારુલ યુનિવર્સિટીએ જે 15 વિદ્યાર્થીઓને મેડીકલમાં પ્રવેશ આપ્યા હતા, તેમના નામો મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેરીટ લિસ્ટમાં પણ ઉપલબ્ધ ન હતા, જેનો અર્થ એ પણ કાઢી શકાય કે પ્રવેશાર્થીઓએ નીટનું ક્વોલિફિકેશન પણ મેળવ્યું હશે કે કેમ એ સવાલ છે. પારુલ યુનિવર્સિટીએ એવી દલીલ કરી હતી કે પ્રવેશ સમિતિએ ફાળવેલા વિદ્યાર્થીઓ પૈકી 15 વિદ્યાર્થીઓએ મેડીકલમાં પ્રવેશ કેન્સલ કરાવ્યા હતા, એથી તેમની 15 બેઠકો ખાલી પડી રહી હતી. 15 ખાલી બેઠકો પર પ્રવેશાર્થી ફાળવવા માટે પારુલ યુનિવર્સિટીએ એડમિશન કમિટીને એપ્રોચ કર્યો હતો પરંતુ, એડમિશન કમિટીએ રિસ્પોન્સ નહીં આપતા બારોબાર પ્રવેશ આપવા પડ્યા હતા, આ પ્રકારની કેફિયત પારુલ યુનિવર્સિટી દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.
Media Reports on Parul University Medical Admission issue
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજરોજ તા.19મી ઓક્ટોબર 2019થી રાંચીના ઐતિહાસિક મેદાન ખાતે શરૂ થઇ રહી છે.
અગાઉની બંને ટેસ્ટ મેચ જીતી લીધા બાદ ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. શ્રેણી 3-0થી જીતી લેવા માટે ભારતીય ટીમ સજ્જ છે.
ટેસ્ટ મેચમાં ટોસ નિર્ણાયક રહેનાર છે. બીજી ટેસ્ટ મેચ પણ ભારતે જંગી અંતર સાથે જીતી હતી. ભારતે પુણે ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને એક ઇનિંગ્સ અને 137 રને હાર આપીને ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી 2-0થી જીતી લીધી હતી.’ કેપ્ટન વિરાટ કોહલીના અણનમ 254 રન બાદ ભારતીય બોલરોના શાનદાર દેખાવના પરિણામ સ્વરુપે ભારતે આ ટેસ્ટ મેચ ચોથા દિવસે જ પોતાના નામ ઉપર કરી હતી.
એક ભાજપ નેતા સાથે મારપીટ કરવાના મામલામાં દિલ્હી વિધાનસભાના સ્પીકર રામનિવાસ ગોયલને અહીંની રોઝ એવેન્યૂ કોર્ટે છ મહિનાની જેલની સજા ફટકારી છે. અદાલતે રામનિવાસ ગોયલના પુત્ર સુમિત ગોયલ સહિત પાંચ જણને છ-છ માસની સજા અને એક-એક હજારના દંડની સજા પણ કરી હતી.
રામનિવાસ ગોયલ તેમજ ચાર અન્ય પર 201પની છઠ્ઠી ફેબ્રુઆરીએ ભાજપના નેતા મનીષ ઘાઈના ઘરે બળજબરીથી ઘૂસીને મારપીટ કરવાનો આરોપ હતો.અને તેમને દોષી ઠરાવાયા હતા. શાહદરા વિસ્તારના આપના ધારાસભ્ય રામનિવાસ ગોયલ પર ઘરમાં સામાનમાં તોડફોડ કરવાનો અને ઘરના મજૂરો-નોકરો સાથે પણ મારપીટનો આરોપ હતો.
તા.18મી ઓક્ટોબર 2019ના રોજ કોર્ટે સજા સંભળાવી હતી. રામનિવાસ ગોયલે પોતાના બચાવમાં એવી દલીલ કરી હતી કે તેમને એવી માહિતી મળી હતી કે ભાજપ નેતાએ પોતાના ઘરે ધાબળા અને શરાબ છુપાવી રાખ્યા હતા અને ચૂંટણી પહેલા એ શરાબ ગરીબોમાં વિતરિત કરવાની હતી. તેમણે આ વાતની જાણકારી પોલીસને પણ આપી હતી અને પોલીસ સાથે જ ઘરમાં ઘુસ્યા હતા પણ અદાલતે આ દલીલો નકારી કાઢી હતી અને છ માસની સજા ફટકારી હતી.
દિલ્હીની રોઝ એવેન્યૂ અદાલતે ગયા શુક્રવારે જ વિધાનસભાના અધ્યક્ષને આ મામલામાં દોષી ઠરાવ્યા અને દસ હજારના મુચરકા પર છોડયા હતા. અદાલતે ગોયલ પિતા-પુત્ર ઉપરાંત હિતેશ ખન્ના,અરુણ ગુપ્તા અને બલબીર સિંહને પણ આ મામલામાં દોષી ઠરાવાયા હતા.
સારાં વરસાદથી કપાસનું બમ્પર ઉત્પાદન થવાનું છે. સતત વરસાદથી પાકને નુક્સાનીની ખબરો વચ્ચે નવી આવક પણ પુરજોશમાં શરું થઇ ગઇ છે. જોકે મબલક આવકને લીધે કપાસના પોસાણક્ષમ ભાવ મળશે કે કેમ એ સવાલ ખેડૂતોને ફરીથી પરેશાન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવક દોઢથી પોણા બે લાખ મણ રોજીદી થવા લાગી છે પણ એમાંથી ફક્ત 10-15 ટકા કપાસ જ ટેકાના ભાવની નજીક વેંચાય છે. મોટાંભાગના ખેડૂતો ટેકાનો ભાવ મેળવવા તરસી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં દોઢથી પોણા બે લાખ મણની આવક પણ દસ-પંદર ટકા કપાસ જ ટેકાના ભાવથી વેચાય છે
સીસીઆઇની ગુણવત્તા પ્રમાણેનો કપાસ બજારમાં આવતા દિવાળી પછી ખરીદી શરું થવાની શક્યતા છે. વેપારીઓ કહે છે, નબળા કપાસની આવકો વધારે આવે છે એ કારણે ટેકા કરતા નીચો ભાવ બોલાય છે. દિવાળી પછી સારો લંબતારી કપાસ આવશે તો ભાવ ઉંચો મળશે.
ખેડૂતો કહે છે કે કપાસનો સરકારી ટેકાનો ભાવ રૂ.1110 છે. જોકે બહુ ઓછાં ખેડૂતોને કપાસનો પૂરો ભાવ પ્રાપ્ત થાય છે. વરસાદથી પલળેલા કપાસની આવક દસેક દિવસ સુધી થતી હતી પણ હવે સારી ગુણવત્તાનો સૂકો કપાસ આવવા લાગ્યો છે છતાં પુરવઠાના કારણે ભાવ મળવો’ મુશ્કેલ છે. કપાસનો ભાવ સૌરાષ્ટ્રમાં સરેરાશ મણ દીઠ રુ.960-1121 વચ્ચે બોલાય છે. જોકે રુ. 1110 ઉપર 10-15 ટકા માલ જ વેચાય છે એવું કપાસના બ્રોકરો કહી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પ્રમાણમાં કપાસની આવક હળવદ, બોટાદ, અમરેલી, સાવરકુંડલા અને રાજકોટ સેન્ટરમાં થઇ રહી છે. દિવાળી પૂર્વે ખેડૂતોને નાણાંની આવશ્યકતા છે એટલે ઝડપભેર માલ વેંચી રહ્યા છે. બીજી તરફ જિનીંગ મિલો હજુ 10 ટકા જેટલી જ ખૂલી છે એટલે કપાસની માગ ઘણી ઓછી દેખાય છે. દિવાળી પછી જિનો ખૂલતા કપાસની માગ વધશે. જોકે એ પછી કપાસની આવક પણ વધશે ત્યારે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સરકાર ખરીદી કરાવે તેવી માગણી પ્રબળ બનશે. સીસીઆઇએ હજુ સુધી ગુજરાતમાં કપાસની ખરીદી માટે કોઇ જાહેરાત કરી નથી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર માટે ૧૮.૬ ટકાના વધારા સાથે રૂ. ૧૧,૨૬૨ કરોડનો ચોખ્કો નપો નોંધાવ્યો છે, જે જુલાઇ-સપ્ટેમ્બરના પાછલા વર્ષના સમયગાળામાં રૂ. ૯૫૧૬ કરોડના સ્તરે હતો. કોન્સોલિડેટેડ રેવન્યૂ વધીને રૂ. ૧૬૩૮૫૪ કરોડના સ્તરે પહોંચી હતી. એ જ સાથે રિલાયન્સ જિઓએ બીજજા ક્વાર્ટરમાં ૪૫.૫ ટકાના વધારા સાથે રૂ. ૯૯૦ કરોડનો ચોખ્ખો નપો અન્ે ૩૩.૭ ટકાના વધારા સાથે રૂ. ૧૨,૫૩૪ કરોડની ઓપરેટીંગ રેવન્યૂ નોંધાવી હતી.
દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી નવ લાખ કરોડ રૂપિયાના કેપીટલ વાળી દેશની પહેલી કંપની બની ગઇ છે. કંપનીના શેરમાં શુક્રવારના રોજ ૧.૭ ટકાનો ઉછાળો આવતા વેલ્યુએશન વધીને ૯.૦૧ લાખ કરોડ રૂપિયા પહોંચી ગયા. ગત વર્ષે સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પાછળ છોડતા રીલાયન્સ સૌથી વધુ નફો કરતી કંપની બની ગઇ હતી.
ગુજરાતમાં તલાટીઓ અને મામલતદાર કચેરીઓ દ્વારા બેફામ ગેરરીતિ આચરાતી હોવાની અનેક ફરિયાદોનો અંત લાવવા વારસાઇ એન્ટ્રીના કેસમાં સરકારે ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા શરૂ કરાવી છે. જમીન રેકર્ડઝમાં વારસાઇ નોંધ માટે હવે અરજદારોને મામલતદાર કચેરીની જોહુકમી કે મનસ્વીપણાને સહન કરવા નહીં પડે. વારસાઇ નોંધ માટે ચાલતા ભ્રષ્ટાચારને પણ બ્રેક લાગશે, એમ રાજ્યના મહેસૂલ વિભાગે જણાવ્યું હતું.
મહેસૂલી તંત્ર દ્વારા અમલમાં આવેલા રેવન્યુ ઓનલાઇન રેકોર્ડના સોફટવેરની વિગતો શુક્રવાર તા.18મી ઓક્ટોબર 2019ના રોજ વીડિયો કૉન્ફરન્સમાં આપવામાં આવી હતી.
મહેસૂલ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓને કંઇ રીતે કામગીરી કરવી તેની સમજણ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આપવામાં આવી હતી.
અત્યાર સુધી વારસાઇ દાખલ કરવા માટે શું ચાલતું હતું
મહેસુલી તંત્ર દ્વારા અત્યાર સુધી પહેલા દસ્તાવેજોની ચકાસણી કરીને નોંધ પાડવામાં આવતી હતી. વારસાઇ દાખલ કરવાની પ્રક્રિયામાં ખાસ્સો સમય લાગી જતો, મોટા ભાગના કિસ્સામાં ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવતો હતો કે જેથી અરજદારો પાસેથી કામ જલ્દી કરી આપવાના બદલામાં વહેવાર પડાવી શકાય. વારસાઇ પ્રક્રિયા સીધી સટ હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓએ વારસાઇના કેસોને કોમ્પ્લિકેટેડ બનાવી દીધા હતા. ઘણાં કિસ્સામાં તો ભ્રષ્ટાચારીઓએ વાંધા અરજીઓ કરાવડાવીને મામલા ઘોંચમાં નાંખ્યાના પણ કિસ્સાઓ છાપરે ચઢીને પોકાર્યા હતા.
વારસાઇમાં હવે શું થશે
હવે અરજદારોએ જાતે જ ઓનલાઇન વારસાઇ એન્ટ્રી પાડી દેવાની રહેશે અને ત્યારબાદ તેને પ્રમાણિત કરવા માટે પુરાવાઓ સંબંધિત કચેરીએ સબમિટ કરવાના રહેશે. આ પુરાવાઓને આધારે ચકાસણી કરીને નોંધ પાડી દેવામાં આવશે. અરજદારો માટે સરળતા એ રહેશે કે તેમની મિલકત, જમીનોના સત્તાવાર લેન્ડ રેકોર્ડઝમાં વારસાઇની એન્ટ્રી પડી ગઇ હશે. બાદમાં દસ્તાવેજી પુરાવાઓ સંબંધિત કચેરીમાં સબમિટ કરાવ્યા બાદ જે તે મહેસૂલી અધિકારીઓએ તેને પ્રમાણિત જ કરવાની રહેશે. જરૂરી પુરાવા રજૂ થયેલા હશે તો કોઇ પણ એન્ટ્રીને રદ નહીં કરી શકાય.
સ્મશાનભૂમિમાં લાકડાથી જ અંતિમ સંસ્કારનો આગ્રહ નહીં રખાય
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
આજનો જમાનો એ સંગઠન શક્તિનો જમાનો છે. જ્ઞાતિ-સમાજોના મંડળો સંગઠિત થઇ રહ્યા છે અને સમાજના વિશાળ સંગઠનના માધ્યમથી અનેક અશક્ય જણાતા રચનાત્મક કાર્યો, સામાજિક પરિવર્તનો થઇ રહ્યા છે. દારુબંધી, વ્યસન મુક્તિ, જ્ઞાતિમાં પ્રવર્તમાન કુરિવાજો, લગ્ન પ્રસંગના ભપકાદાર ખર્ચાઓ વગેરેનું બિનજરૂરી દૂષણ સમાજ દ્વારા દૂર કરવામાં આવ્યાના અનેક દાખલા છે. પણ સૂરત સ્થિત તેરાપંથ સમાજે એક એવો સંકલ્પ જાહેર કરીને સમગ્ર હિન્દુ સંસ્કૃતિમાં દાખલો બેસાડ્યો છે કે તેરાપંથ સમાજના લોકોમાં કોઇનું મૃત્યુ થાય તો મૃતદેહને લાકડામાં બાળવાનો દુરાગ્રહ નહીં રાખતા સ્મશાનગૃહમાં ઉપલબ્ધ ગેસની ભઠ્ઠી કે ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવશે.
સૂરતના તેરાપંથ સમાજે મૃતદેહોના અંતિમ સંસ્કાર લાકડાની જગ્યાએ ગેસ બેઝ કે ઇલેક્ટ્રીક બેઝ્ડ ભઠ્ઠીમાં કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. પૃથ્વી પર વૃક્ષો બચાવવાના અભિયાનના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.
આ અંગેનો સંકલ્પ તેરાપંથ સમાજે તા.20મી ઓક્ટોબર 2019ના રોજ સૂરતના સિટીલાઇટ ખાતે આવેલા તેરાપંથ ભવનમાં મુનિ શ્રી કમલકુમારની નિશ્રામાં યોજાયેલા વિશાળ સભામાં યોજવામાં આવી છે.
એ પૂર્વે તા.17મી ઓક્ટોબર 2019ના રોજ પત્રકાર પરીષદમાં મુની શ્રી કમલકુમારે વિશાળ મેદનીને સંબોધતા કહ્યું હતું કે પરિવર્તન સંસારનો નિયમ છે. પરિવર્તન બધે જ સમયસંજોગોને આધિન કરવું પડે છે અને પરિવર્તનને અપનાવવું પડે છે. સામાજિક ઉત્થાન હોય કે કુદરતની રક્ષા કરવા માટે હકારાત્મક પરિવર્તન માટે સમાજ અને સમાજના લોકોએ અગ્રેસર રહેવું જોઇએ.
મુનિશ્રી કમલકુમારે કહ્યું કે આજે જંગલો ખતમ થઇ રહ્યા છે, જંગલ નહીં હોય તો પૃથ્વી, પ્રકૃતિ, વાતાવરણ વિનાશ માર્ગે જશે. જંગલો, વૃક્ષો નહીં હોય તો વરસાદ નહીં પડે, માનવ જીવન આના વગર કલ્પી શકાશે નહીં. આથી જંગલો, વૃક્ષો બચાવવા માટે લાકડાનો બને તેટલો ઉપયોગ ઓછો કરવો જરૂરી થઇ પડ્યો છે. તેમણે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાના ઉપયોગનો દુરાગ્રહ છોડવાની હિમાયત કરતા કહ્યું હતુ કે આ એક સમાજ કે જ્ઞાતિની વાત નથી પણ જનસામાન્યની વાત છે.
તેરાપંથ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઇ બોથરાએ કહ્યું કે સ્મશાનભૂમિમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર લાકડાની જગ્યાએ ઉપલબ્ધ ઇલેક્ટ્રીક કે ગેસ ભઠ્ઠીમાં કરવા અંગે મોટા પાયે લોકજાગૃતિ પ્રસરાવવાની તાતી જરૂરીયાત છે.
અગ્રણી ભરતભાઇ શાહે કહ્યું કે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાનો ઉપયોગ નહીં થાય અને વૃક્ષોને બચાવવા માટે નાના નાના ગામડાઓથી લઇને નાના શહેરોમાં ઇલેક્ટ્રીક કે ગેસથી ચાલતા સ્મશાનગૃહો તૈયાર કરવાની આવશ્યકતા છે.
સેવા સમાજ ફાઉન્ડેશન
સેવા સમાજ ફાઉન્ડેશનના શ્રી અશોકભાઇ ગોયેલએ જણાવ્યું કે વૃક્ષો બચાવવા માટે હવે યુદ્ધના ધોરણે પ્રયાસો જરૂરી થઇ પડ્યા છે. સમયનો તકાજો છે કે જો વૃક્ષો નહીં હશે તો વાતાવરણ નહીં અને વાતાવરણ નહીં હોય તો માનવ જીવન શક્ય નથી. તેમણે મૃતદેહોના અંતિમ સંસ્કારમાં લાકડાની જગ્યાએ ગેસ ભટ્ઠી કે ઇલેક્ટ્રીક ભટ્ઠીના ઉપયોગ અંગે જનજાગૃતિ પ્રસરાવવામાં સેવા સમાજ ફાઉન્ડેશન મોટા પાયે કામ કરશે એમ જણાવ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.