સુરતમાં છેલ્લા સપ્તાહ દરમિયાન કોવીડ-19ના મળેલા કેસોમાં 30થી 40 ટકા કેસો હીરા ઉદ્યોગ ખાસ કરીને રત્નકલાકાર તરીકે કામ કરતા કારીગરોના નીકળતા ગયા વીકએન્ડથી એવી હવા ચાલી હતી કે હીરા ઉદ્યોગને બંધ કરવામાં આવશે. પરંતુ, આજે તા.22મી જુનના રોજ મળેલી બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે હીરા ઉદ્યોગના કારખાનાઓ બંધ નહીં થાય. જ્યાં કેસો મળશે તેની સંખ્યાના આધારે યુનિટ બંધ કરવામાં આવશે. કોઇક કારખાનામાંથી એક કેસ મળશે તો જે તે ફ્લોર (માળ) બંધ કરાશે, બે કે વધુ કેસ મળશે તો સમગ્ર યુનિટ બંધ કરવામાં આવશે. તમામ હીરા ઉદ્યાગકારોએ પોતાના યુનિટમાં કોવીડ-19 અંગેની ગાઇડલાઇન્સનું ચૂસ્ત પણે પાલન કરવાનું રહેશે. શનિવાર અને રવિવારે હીરા બજારો બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
File Photo : Diamond Industry
આજે તા.22મી જુન 2020ના રોજ સોમવારે સુરતના મેયર ડો. જગદીશ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની તેમજ હીરા ઉદ્યાગકારો વચ્ચે મિટીંગ મળી હતી. જેમાં હીરા ઉદ્યોગ બંધ રાખવો કે નહીં એ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જે કેસો મળ્યા છે એ મોટા યુનિટોમાંથી મળ્યા છે, નાના કારખાનેદારો પાસે માંડ કામકાજ શરૂ થયું હોઇ, કારખાના બંધ નહીં થાય
બેઠકમાં એવી ચર્ચા થઇ હતી કે રત્નકલાકારોના જે કેસો મળ્યા છે એ કેસો મોટા કારખાનાઓમાંથી મળ્યા છે. એવા કારખાનાઓ કે જ્યાં કોવીડ-19 નો સામનો કરવા માટે તંત્ર દ્વારા જારી કરવામાં આવેલી ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સોશ્યલ ડિસ્ટન્સિંગ તેમજ કર્મચારીઓને ટૂકડે ટૂકડે બોલાવવા જેવી ગાઇડલાઇન્સનો ભંગ કરવામાં આવ્યો હોવાથી કેસો મળ્યા એવી દલીલ કરવામાં આવી હતી.
બીજી તરફ મોટા ઉદ્યાગકારો એટલે કે મોટા કારખાનેદારો એકાદ સપ્તાહ માટે કારખાનાઓ બંધ કરવા માટેનો અભિગમ ધરાવતા હતા. પરંતુ, નાના અને મધ્યમ કારખાનેદારોના જૂથે કારખાના બંધ કરવાની બાબતનો વિરોધ કરીને એવી રજૂઆત કરી હતી કે મોટા યુનિટો પાસે કામ નથી પણ નાના યુનિટોમાં હાલ કામકાજ શરૂ થયું છે અને જો તેને બંધ કરાશે તો મોટી નુકસાની વેઠવી પડે તેમ છે. જે કેસો મળ્યા છે એ પણ મોટા યુનિટોમાંથી મળ્યા છે. નાના અને મધ્યમ યુનિટોમાં મળ્યા નથી.
ગુજરાતના એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉર્ડ દ્વારા રાજ્યના અમદાવાદ સહિત કચ્છ, મોરબી, ભાવનગર અને અમરેલી જિલ્લામાં દરોડા પાડી ૫૪ ગેરકાયદે ભારતીય અને વિદેશી બનાવટના હથિયારો ઝડપી પાડ્યાં છે. આ મામલે હમણાં સુધી નવ આરોપીઓની ધરપકડ કરી છે. છેલ્લા નવ દિવસથી એટીએસ દ્વારા શરૂ કરવામાં આવેલી ગુપ્ત ઓપરેશનને શુક્રવારની રાતે અંજામ આપવામાં આવ્યો હતો.
સમગ્ર ઓપરેશન સ્થાનિક પોલીસની જાણ બહાર થયું હતું. ગુજરાત એટીએસના ડીઆઇજી હિમાંશુ શુક્લાને જાણકારી મળી હતી કે થોડા દિવસ પહેલાં કચ્છ પોલીસે પકડેલી ગૅન્ગને હથિયાર આપવાનું કામ કરતા અમદાવાદના એક નામાંકિત હથિયાર ડીલર ગુપ્તા ગન હાઉસમાંથી હથિયારો આપવામાં આવ્યાં છે, આ માહિતીને આધારે તેમણે ડેપ્યુટી પોલીસ સુપરિટેન્ડન્ટ ભાવેશ રોજિયાને આ ટીપ ઉપર કામ કરવાની સૂચના આપતા રોજિયાએ અલગ અલગ ટીમ તૈયાર કરી કોની પાસે કેટલાં ગેરકાયદે હથિયારો છે અને ક્યાં છે તેની માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરી હતી.
શુક્રવારની સાંજે તમામ માહિતી આવી જતાં એટીએસની ટીમોએ મોડી રાતે ઓપરેશન પાર પાડવાનું નક્કી કર્યું હતું. આ ઘટનાક્રમ કચ્છના મોરના શિકાર માટે આવેલા લોકો આધુનિક હથિયાર સાથે પકડાયા હતા જેમાં કચ્છ-ભુજ પોલીસે આરોપીઓ પાસેથી હથિયારો અને જીવતાં કાર્ટિસ જપ્ત કર્યાં હતાં જેમાં એટીએસના વડા હિમાંશુ શુક્લાને આ બાબતની માહિતી મળતાં તેઓએ આમાં મોટા કૌભાંડની શંકા દર્શાવી હતી. બાદમાં ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. આ ઓપરેશનમાં એટીએસ ઉપર વળતો હુમલો થવાની પણ આશંકા હતી, કારણ કેટલાક ગૅન્ગસ્ટરો પાસે પણ આધુનિક હથિયારો હતાં, જેના કારણે પૂરતી તૈયારી સાથે ટીમ અલગ અલગ જિલ્લામાં રવાના થઈ હતી.
ભારતમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં એક જ દિવસનો સૌથી મોટો ઉછાળો 15,372 કેસના રૂપે તા.21મી જુનને રવિવારના રોજ નોંધાયો છે.
ભારતમાં હવે કોરોના પોઝીટીવ હોય એવા કુલ દર્દીઓની સંખ્યા 4,26,397 પર પહોંચી ચૂકી છે. દેશમાં પહેલીવાર એક જ દિવસમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો આંકડો 400ને પાર કરી ગયો છે.
મહારાષ્ટ્ર અને દિલ્હીના ગણતરીમાં લેવાના રહી ગયેલા કોરોના વાયરસના 2003 મૃત્યુના કેસ સામે આવ્યા હતા તે પછીનો આ 423નો મોટો આંકડો રવિવારે નોંધાયો છે. દેશમાં વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો આંકડો 13,695 થઈ ગયો છે.
પોઝિટિવ કેસ અને ડેથ કેસ બન્નેમાં મહારાષ્ટ્ર આગળ છે. મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસ 3,870 નોંધાયા છે, જેની સાથે કુલ કેસનો આંકડો 1,32,075 થયો છે, અને 186ના મોત થયા છે, જ્યારે 186ના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો કુલ આંકડો 6,000ને પાર કરીને 6,170 થયો છે. મુંબઈમાં વધુ 1,159 પોઝિટિવ કેસ સાથે 110નાં મોત થયા છે.
દિલ્હીમાં પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક બન્નેમાં ઘટાડો નોંધાયો છે. શનિવારે 3630 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે રવિવારે 3000 પોઝિટિવ કેસ નોંધાયા, શનિવારે 77નાં મોત નોંધાયા હતા જ્યારે રવિવારે 63નાં મોત નોંધાયા છે. રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકોડ 59,746 થયો છે, જ્યારે 2,175નાં મોત નોંધાયા છે.
ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ છે. આ સાથે જ રાજ્યમાં નવા રેકોર્ડબ્રેક 580 કેસ સાથે કુલ 27,317 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,24,874 ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી ખાતે નર્મદા નદીના કિનારે આવેલા સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિર ભક્તો માટે સોમવારથી ખુલ્લુ મુકવામાં આવશે. આ મંદિરમાં વડોદરા અને ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશથી લાખો દર્શનાર્થીઓ આવે છે, ત્યારે જાતે ચેપ મુક્ત રહેવાની અને સૌને ચેપ મુક્ત રાખવાની તમામ તકેદારી પાળીને દર્શન કરવા એ પ્રત્યેક દર્શનાર્થીનું કર્તવ્ય માનીને બધાને સહયોગ આપવા મંદિર ટ્રસ્ટે અનુરોધ કર્યો છે.
ટ્રસ્ટના પદાધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારથી કુબેર દાદાના દર્શનનો ભક્તો આનંદ માણી શકશે. ધાર્મિક વિધિવિધાન ફળ ફૂલનો ચઢાવો કરી શકાશે નહીં, માત્ર દર્શન કરી શકશે. નિયમ પ્રમાણે ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને ૬૫ વર્ષથી વધુ ઉંમરના વડીલોને મંદિરમાં પ્રવેશ મળવાપાત્ર નથી, એટલે એમને સાથે ન લાવવા. હેન્ડ વોશની વ્યવસ્થાનો ઉપયોગ કરવો. હાલમાં પરિસ્થિતિને લઈને અન્નક્ષેત્ર પ્રસાદ વ્યવસ્થા બંધ રહેશે.
રાજયમાં છેલ્લાં 24 કલાકમા કોરોનાના નવા 580 કેસ નોંધાયા હતા. એક દિવસની અંદર આ સૌથી વધારે કેસ છે. સામાન્ય રીતે જ્યાં ઓછા કેસ નોધાય છે તે સુરતમાં કેસનો રાફડો ફાટયો હોય તેમ 176 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદમાં દરરોજ 300થી વધુ કેસ આવતા હોય છે જ્યારે રવિવારે 273 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 27,000ને પાર થઇને 27,317 પર પહોચ્યો છે.
રાજયના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં કુલ 580 કેસમાંથી 176 કેસ સુરતમાંથી મળતાં તંત્ર દોડતુ થઇ ગયુ હતું. રાજયમાં રવિવારે 25 દર્દીના મૃત્યું થયા હતા તેમાં અમદાવાદમાં 20 અને સુરતના ત્રણ સાથે રાજયમાં કુલ મૃત્યુઆંક 1664 પહોંચ્યો છે. અરવલ્લી અને છોટા ઉદેપુરમાં 1-1 મૃત્યું નોંધાયા છે. અમદાવાદમાં જૂન મહિનામાં પહેલી વખત 300થી ઓછા કેસ નોંધાયા છે.
જિલ્લાવાર સ્થિતી જોઇએ તો વડોદરામાં 41 નવા કેસ, ગાંધીનગરમાં 15 કેસ, ભરૂચમાં 10, અરવલ્લીમાં 9, ભાવનગર અને જામનગરમાં 8-8, વલસાડમાં 5, રાજકોટ, આણંદ, પંચમહાલ, પાટણ, અમરેલીમાં 4-4, બનાસકાંઠા, સાબરકાંઠામાં 3-3 કેસ, મહેસાણા, જુનાગઢમાં 2-2 કેસ, ખેડા, બોટાદ, દાહોદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા 1-1 નવા કેસ નોંધાયા છે. રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં 655 ડિસ્ચાર્જ થતાં કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીની સંખ્યા 19,357 થઇ છે. કુલ 6,296 એક્ટિવ દર્દીમાંથી 59 વેન્ટીલેટર ઉપર છે જ્યારે 6,237 સ્ટેબલ છે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ૧૫મા દિવસે ભાવવધારો થયો હતો.
મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૩૪ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૮૬.૦૪ થયો હતો, જ્યારે ડીઝલનો ભાવ ૫૮ પૈસા વધીને રૂ. ૭૬.૬૯ થયો હતો.
દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૩૫ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૯.૨૩ થયા હતા અને ડીઝલના ભાવ ૬૦ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૮.૨૭ થયા હતા.
કોલકાતામાં પેટ્રોલના ભાવ લિટર દીઠ રૂ. ૮૦.૯૫ થયા હતા અને ડીઝલના ભાવ લિટર દીઠ રૂ. ૭૩.૬૧ થયા હતા.
સ્થાનિક સેલ્સ ટૅક્સ અથવા વૅટના આધારે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અલગ અલગ ભાવવધારો થાય છે. પંદર દિવસ સતત ભાવવધારો કર્યા બાદ પેટ્રોલના ભાવ લગભગ આઠ રૂપિયા વધી ગયા છે અને ડીઝલના ભાવ ૮.૮૮ રૂપિયા વધી ગયા છે.
પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણ ભાવમાં લગભગ બે તૃતીયાંશ ભાગ એટલે કે લગભગ ૬૩ ટકા તો ટૅક્સ હોય છે.
ખાણીપીણીના શોખીન સુરતીઓએ જેને મામાનું ઘર જેવું હુલામણું નામ કે કોડવર્ડ આપ્યો છે એ દમણની સરહદો ફરીથી સીલ કરવામાં આવી છે. દમણમાં વધી રહેલા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યાને પગલે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની સરહદો હવે અધિકૃત વ્યક્તિઓ સિવાય બહારના લોકો માટે બંધ કરવામાં આવી છે. દમણમાં છેલ્લા એક અઠવાડીયામાં 27 જેટલા કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા છે. દમણમાં મળેલા પોઝીટીવ દર્દીઓ પૈકી મોટા ભાગના દર્દીઓ દમણમાં નોકરી માટે આવતા શ્રમિકોના હોવાનું જણાય આવે છે. દમણ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા એકમોમાં મોટી સંખ્યામાં શ્રમિકો દમણ બહારથી આવતા હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે.
ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કોરોના વાયરસના કેસ વધવાના કારણે સ્થાનિક તંત્ર દ્વારા ગુજરાત સાથેના જોડાયેલી બોર્ડર અચોક્કસ મુદત માટે સીલ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં પણ 24 કલાકમાં 540 નવા કેસ સામે આવ્યા છે. જેથી હવે કોરોના સંક્રમણથી અસર પામનાર કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ 26198 થઈ છે.
કોરોના સંક્રમણને હરાવીને વધુ 340 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેમાં અમદાવાદમાં 206, ભરુચ અને પંચમહાલમાં 7-7, મહેસાણામાં 6, ગાંધીનગર અને ખેડામાં 5-5, સાબરકાંઠામાં 4, પાટણ અને રાજકોટમાં 3-3, ભાવનગર અને જામનગરમાં 2-2, અરવલ્લી અને કચ્છમાં 1-1, જુનાગઢમાં 2, મોરબી અને સુરેન્દ્રનગરમાં 1-1, સુરતમાં 55, વડોદરામાં 21 આણંદમાં 8 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જેથી રાજ્યમાં કોરોના સંક્રમણને હરાવીને કુલ સ્વસ્થ વ્યક્તિઓની સંખ્યા પણ 18167 થઈ છે.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 6412 થઈ છે. જેમાંથી 6345 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે જ્યારે 67 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,14,301 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 24 કલાકમાં અમદાવાદમાં 21, સુરતમાં 4, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 1-1 વ્યક્તિઓના અવસાન થતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ હવે 1619 થયો છે. જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,17,590 દર્દીઓને ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે. જેમાંથી 2,13,661 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે.
ગુજરાતની રાજયસભાની ચાર બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં આખરે ભાજપના ત્રણયે ઉમેદવારો અભય ભારદ્વાજ, રમિલાબેન બારા અને નરહરિ અમીનનો વિજય થયો હતો, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ જીત્યા હતા અને ભરતસિંહ સોલંકીનો પરાજય થયો હતો, બીટીપીના બે ધારાસભ્યોએ છેલ્લી ઘડીએ જ મતદાનથી અળગા રહીને કૉંગ્રેસની જીત પર પાણી ફેરવી દીધું હતું, જ્યારે એનસીપીના એક માત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાએ કૉંગ્રેસના ઉમેદવારને મત આપ્યો હોવાની જાહેરાત કરી હતી, પરંતુ તેમણે ક્રોસ વોટીંગ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મતદાન બાદ પાંચ વાગ્યે મતગણતરી શરૂ થતાં જ કૉંગ્રેસે કાયદા પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાના ધારાસભ્ય પદના પદ કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં હોવાથી સબજ્યુડીશ તરીકે તેમનો મત અલગ રાખવાની અને ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી બીમાર હોવાના ખોટા પુરાવા ઊભા કરીને ભાજપે શંકરસિંહ ચૌધરીને સાથે રાખીને વોટ અપાવ્યો હોવાનો મુદ્દો ઉઠાવીને તેમનો મત પણ રદ કરવાની માંગણી કરતા ગણતરી વિલંબમાં પડી હતી.
રાજ્યમાં ત્રણ મહિના પહેલા જ રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થયાં બાદ ભાજપે તેના ૧૦૩ ના સંખ્યા બળને પ્રમાણે બે ઉમેદવારોને બદલે અભય ભારદ્વાજ, રમિલાબેન બારા અને ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે કૉંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી એમ બે ઉમેદવારો ઊભા રાખ્યા હતા, પરંતુ ત્યારે જ કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપીને ભાજપના ત્રણેય ઉમેદવારોની જીતના સંકેત આપ્યા હતા. તેમ છતાં કૉંગ્રેસને જીતની આશા હતી, પરંતુ કોરોના મહામારીને કારણે ચૂંટણી મુલતવી રહ્યાં બાદ ચૂંટણીની નવી તારીખે જાહેર કર્યા બાદ બીજા ત્રણ ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી હતી. જોકે આખરે એક અપક્ષ અને બે બીટીપીના ધારાસભ્યોના મતનો વિશ્ર્વાસ હતો.
આખરે શુક્રવારે યોજાયેલા મતદાનમાં બીટીપીના બન્ને ધારાસભ્યો મતદાનથી અળગા રહેતા કૉંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો પરાજય થયો હતો, જ્યારે શક્તિસિંહ ગોહિલ પ્રેફરન્સ મતાધિકારને કારણે સંખ્યા બળ પ્રમાણ જીત્યા હતા. કુલ ૧૭૦ મત પડ્યા હોવાથી દરેક ઉમેદવારે જીતવા માટે ૩૪ મતની જરૂર પડી હતી. આ પહેલા બીટીપીના બે ધારાસભ્યને ગણીને ૧૭૨ મત થતા હતા અને જીત માટે એક ઉમેદવારને ૩૪.૪૦ મતની જરૂર હતી. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા માટે માત્ર એક મત ખૂટે છે. આ તરફ કૉંગ્રેસના ૬૫ ધારાસભ્યો છે અને અપક્ષ જિજ્ઞેશ મેવાણીનો એક મત ગણીએ તો કુલ ૬૬ મત થાય છે. જીતવા માટે બીજા ઉમેદવારને ચાર મત ખૂટતા હતા.
મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની બે બેઠક પર ભાજપનો તો એક બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો હતો. રાજસ્થાનની રાજ્યસભાની બે બેઠક પર કૉંગ્રેસનો તો એક બેઠક પર ભાજપનો વિજય થયો હતો. આંધ્ર પ્રદેશમાં વાયએસઆરસીપીનો રાજ્યસભાની ચારેય બેઠક પર વિજય થયો હતો. તેના ઉમેદવાર સુભાષચંદ્ર બોઝ, મોપીદેવી વેંકટા રામન્ના, અલ્લા અયોધ્યારામી રેડ્ડી અને પરિમલ નટવાણી રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા.
મેઘાલયની બેઠક પર નેશનલ પીપલ્સ પાર્ટી-એનપીપીનો વિજય થયો હતો. એનપીપીના ઉમેદવાર ડબ્લ્યુ. આર. ખારલુખીનો મેઘાલયની રાજ્યસભાની બેઠક પર વિજય થયો હતો. એનપીપીને ટેકો આપવા બદલ મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ એમડીેના તમામ ભાગીદારોનો આભાર માન્યો હતો.
મણિપુર રાજ્યસભાની બેઠક પર ભાજપનો વિજય થયો હતો.
વિધાનસભામાં પ્રવેશવા પર હાઈ કૉર્ટે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં વિધાનસભાના સ્પીકરે કૉંગ્રેસના ત્રણ બળવાખોર વિધાનસભ્યને મતદાનમાં ભાગ લેવાની પરવાનગી આપી હતી.
રાજીનામું આપનારા ભાજપના ત્રણ વિધાનસભ્યએ મતદાન નહોતું કર્યું.
ટેકો પાછો ખેંચી લેનાર એનપીપીના ચાર પ્રધાને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એઆઈટીસીના એકમાત્ર ધારાસભ્ય મતદાનની પ્રક્રિયામાં હાજર નહોતા રહ્યા. અગાઉ, રાજ્યસભાની ૧૯ બેઠક માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે શુક્રવારે સવારે નવ વાગે શરૂ થયું હતું અને સાંજે ચાર વાગે પૂરું થઈ ગયું હતું.
આઠ રાજ્ય (ગુજરાત-૦૪, આંધ્ર પ્રદેશ ૦૪, રાજસ્થાન ૦૩, ઝારખંડ ૦૨, મેઘાલય અને મિઝોરમ પ્રત્યેકમાં ૦૧ બેઠક) પર એકસાથે જ મતદાન યોજવામાં આવ્યું હતું.
કોરોના વાઈરસને કારણે ફેલાયેલી મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે નિયમિત તૈયારી ઉપરાંત સૅનિટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરે માટે વિશેષ વ્યવસ્થા કરી હતી.
જુદા જુદા ઍન્ટ્રી અને ઍક્ઝિટ ગૅટની પણ ચૂંટણી પંચે વ્યવસ્થા કરી હતી.
થર્મલ સ્ક્રિનિંગ બાદ જ ધારાસભ્યોને મતદાન કરવા માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો.
રાજ્યસભાની પંચાવન બેઠકનો હિસ્સો એવી ૧૯માંથી ૧૮ બેઠક અગાઉ આ વરસે ખાલી પડી હતી.
પંચાવનમાંથી ૩૭ બેઠક ચૂંટણી વિના જ ભરાઈ ગઈ હતી.
બાદમાં ચૂંટણી પંચે કણાટકની ચાર, મિઝોરમ અને અરુણાચલ પ્રત્યેકની એક બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરી હતી.
તાજેતરમાં જ વિદેશથી પાછા ફરેલા કૉંગ્રેસના ધારાસભ્યએ રાજ્યસભામાં કરેલા મતદાન અંગે ભાજપે શુક્રવારે એમ કહીને વિરોધ નોંધાવ્યો હતો કે તેમણે ક્વૉરન્ટાઈનના નિયમનો ભંગ કર્યો હતો.
મિઝોરમમમાં રાજ્યસભાની એકમાત્ર બેઠક માટેની ચૂંટણીમાં ભાજપના એકમાત્ર ધારાસભ્યએ મતદાન નહોતું કર્યું. આ બેઠક પર એનડીએનો સાથી પક્ષ એમએનએફ ત્રિકોણીય જંગમાં સંડોવાયેલો હતો જે બાબતે મુખ્ય પ્રધાન ઝોરામથાન્ગાને એમ કહેવા પ્રેર્યા હતા કે બંને પક્ષ વચ્ચેનું જોડાણ મુદ્દા આધારિત છે અને હાલની બાબતોને ધ્યાનમાં લઈને જવાબ ‘હા કે ના’ આપવાનો પક્ષને અધિકાર છે. પક્ષના રાજ્ય એકમના પ્રમુખ વાન્લાલ્હમુઆકાના જણાવ્યાનુસાર બુદ્ધધન ચકમા મતદાનમાં ગેરહાજર રહ્યા હતા કેમ કે ભગવા પક્ષનો કોઈ ઉમેદવાર જ નહોતો.
ભારતના અબજોપતિ બિઝનેસમેન મુકેશ અંબાણીએ શુક્રવારે જાહેરાત કરી કે તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે સંપૂર્ણ રીતે દેવા મુક્ત થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, કંપનીએ સમયથી પહેલા પોતાનું લક્ષ્ય પૂરું કરી લીધું છે. કંપની પર હવે તેની નેટ સંપત્તિ ઉપર કોઈ દેવું નથી. કંપનીએ 31 માર્ચ, 2021 સુધી તમામ દેવામાંથી મુક્ત થવાનું લક્ષ્ય રાખ્યું હતું.
શુક્રવારે સવારે મુકેશ અંબાણી તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે, મેં શેરહોલ્ડર્સને માર્ચ 2021 સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને દેવા મુક્ત કરવાનું વચન આપ્યું હતું જે મેં સમયથી પહેલા પૂર્ણ કર્યું છે.
કંપનીએ જણાવ્યું છે કે, કંપનીએ જે રાઈટ્સ ઈશ્યુ અને જિયોમાં હિસ્સેદારી વેચીને સંપૂર્ણ રકમ ખૂબ જ ઓછા સમયમાં ભેગી કરી છે આવું દુનિયાભરમાં અત્યાર સુધી થયું નથી. ગ્રૂપે જણાવ્યું છે કે, એવું દેશના કોર્પોરેટ ઈતિહાસમાં ક્યારેય થયું નથી અને આ એટલા માટે ખાસ છે કેમકે કંપનીએ આ કોરોના મહમારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનની વચ્ચે હાંસલ કર્યું છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 22 એપ્રિલથી શરૂ કરીને નવ અઠવાડિયામાં જિયો પ્લેટફોર્મને લઈને 11 ડિલ કરી હતી જેમાં કંપનીએ 24.70 ટકા હિસ્સેદારી વેચીને 1,15,693.95 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.