કોરોના વાઈરસના સંક્રમણની ભીતિને કારણે મોટાભાગનાં મંદિરોને બંધ કરી દેવામાં આવ્યાં હતા. જે હવે ધીરે ધીરે ખુલી રહ્યાં છે. ડાકોરનાં રણછોડરાયજીનું મંદિર પણ ૧૮ જૂનથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. આ ઉપરાંત આગામી ૧૮થી ૨૩ જૂન સુધી ફક્ત ડાકોરના સ્થાનિકો માટે જ દર્શન ખોલવામાં આવશે.
બીજી બાજુ સાળંગપુરનું હનુમાનજીનું મંદિર અને સૌરાષ્ટ્રમાં બીજા કેટલાક સ્વામિનારાયણ મંદિરો પણ આજથી ખૂલ્યાં હતા.
ડાકોર ટેમ્પલ કમિટિની યાદીમાં જણાવ્યા અનુસાર સરકારની ગાઇડલાઇન પ્રમાણે આગામી ૧૮ જૂનથી રણછોડરાયજી મંદિર ખોલવામાં આવશે.
દર્શન કરવા માટે યાત્રાળુઓએ હવે મંદિરની વેબસાઇટ અથવા મોબાઇલ એપથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી દર્શનાર્થીને ટોકન નંબર રજિસ્ટર્ડ મોબાઇલમાં મેસેજમાં મોકલવામાં આવશે. જે દર્શન સમય બતાવવાનો રહેશે. આગામી ૧૮થી ૨૩ જૂન દરમિયાન માત્ર સ્થાનિકો જ દર્શન કરવા આવી શકશે. જેના માટે તેમને ઓનલાઇન બુકિંગ અથવા આધારકાર્ડ બતાવવાથી પ્રવેશ અપાશે.
કોરોનાને કારણે મંદિરમાં આરતીના સમય, રવિવાર, પૂનમ, તહેવારો, ઉત્સવ, ગ્રહણના દિવસે વૈષ્ણવોનો મંદિર પ્રવેશ બંધ રહેશે. મંદિરમાં ફૂલ, તુલસી, શ્રીફળ, માળા, પ્રસાદ જેવી ચીજવસ્તુ લઇને પ્રવેશ નહીં કરવાની દર્શનાર્થીઓને સૂચના અપાઇ છે.
આ ઉપરાંત ૬૫ વર્ષથી વધુ અને ૧૦ વર્ષથી ઓછી ઉંમરના, સગર્ભા, વ્હીલચેરવાળા, બીમાર હોય તેમને સાથે નહીં લાવવા પણ અપીલ કરાઇ છે.
૨૧મી જૂનના રવિવારના રોજ સૂર્યગ્રહણ થવાનુ છે. આફ્રિકાના ભાગો (મધ્ય આફ્રિકન પ્રજાસત્તાક, કોંગો અને ઇથોપિયા), પાકિસ્તાનના દક્ષિણ, ઉત્તર ભારત, નેપાળ અને ચીનથી આ ગ્રહણ જોઇ શકાશે. ગ્રહણ સવારે ૯:૧૫થી બપોરે ૩:૦૪ વાગ્યા સુધી જોવામાં આવશે.
વર્ષ ૨૦૨૦માં કુલ છ ગ્રહણનો નજારો આપણને જોવા મળવાનો હતો. ચાર ચંદ્રગ્રહણ અને બે સૂર્યગ્રહણ. એમાંથી જાન્યુઆરી અને જૂન મહિનામાં બે ચંદ્રગ્રહણ આપણે માણી લીધા. ત્રીજુ ચંદ્રગ્રહણ જુલાઇમાં અને ચોથું નવેમ્બર મહિનામાં છે. ૨૧મી જૂનના રોજ આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ છે. અને ત્યાર બાદ ૧૪ ડિસેમ્બરના રોજ બીજું સૂર્યગ્રહણ થશે.
વૈજ્ઞાનિકોના મત અનુસાર આ એક અવકાશી ખગોળીય ઘટના છે. જ્યારે ચંદ્ર ફરતા ફરતા સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રને કારણે સૂર્ય આંશિક રીતે કે પૂર્ણ રીતે ઢંકાઇ જાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે.
સૂર્ય અને ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે?
આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. પૃથ્વી અને ચંદ્ર એક સાથે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. સૂર્યનો પ્રકાશ પૃથ્વી અને ચંદ્ર પર પડે છે. ચંદ્ર આપણને સૂર્યપ્રકાશના પરાવર્તનથી દેખાય છે. પૃથ્વી અને ચંદ્રની આ ગતિથી ક્યારેક એકબીજાની વચ્ચે આવી જાય છે. ત્યારે સૂર્ય કે ચંદ્ર દેખાતા બંધ થાય છે. આ સ્થિતિને ગ્રહણ કહે છે. ગ્રહણ વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. પરંતુ આ ખગોળીય સ્થિતિ છે. ગ્રહણ સૂર્ય અને ચંદ્ર એમ બંનેનું થાય છે.
સૂર્યગ્રહણ: ચંદ્ર જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય ત્યારે સૂર્ય ઢંકાઇ જાય છે અને પૃથ્વી પરથી દેખાતો નથી. એમ માની લો કે પૃથ્વી ચંદ્રના પડછાયામાં આવી જાય છે. આ સ્થિતિને પૂર્ણગ્રહણ કહે છે. ક્યારે ચંદ્ર પૃથ્વીથી વધુ અંતરે હોય ત્યારે ચંદ્રની આસપાસથી કેટલાક સૂર્યકિરણો પૃથ્વી સુધી પહોંચે છે. ત્યારે ચંદ્ર પાછળ ઢંકાયેલા સૂર્યની કિનારી જોવા મળે છે. આ ગ્રહણને કંકણાકૃતિ ગ્રહણ કહે છે. આ ગ્રહણ અમાસના દિવસે જ થાય છે. પૃથ્વીના કેટલાક ભાગોમાં જોઇ શકાય છે. પૃથ્વી અને ચંદ્ર સતત ગતિશીલ હોવાથી ધીમે ધીમે ખસે છે અને સૂર્ય ધીમે ધીમે દેખાતો થાય છે અને ચંદ્રના પડછાયામાંથી દૂર થાય છે.
ચંદ્રગ્રહણ: પૃથ્વી જ્યારે ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવી જાય ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડતો નથી એટલે આપણને ચંદ્ર દેખાતો બંધ થઇ જાય છે. આમ તો આપણે એકમથી પૂનમ સુધી ચંદ્રને ધીમે ધીમે મોટો થતો જોઇએ છીએ તે પણ પૃથ્વીનો પડછાયો જ છે. પરંતુ પૂનમને દિવસે ચંદ્ર ઢંકાઇ જાય તેને ચંદ્રગ્રહણ કહે છે. એટલે ચંદ્રગ્રહણ પૂનમને દિવસે જ થાય છે.
વર્ષમાં વધુમાં વધુ સાત ગ્રહણ થાય છે. જેમાં પાંચ ચંદ્રગ્રહણ અને બે સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ પૃથ્વીના થોડા ભાગોમાંથી દેખાય છે.
ચંદ્રગ્રહણ પૃથ્વીના અર્ધા ભાગમાંથી દેખાય છે.
—————————-
ગ્રહણનું પૌરાણિક મહત્ત્વ
પુરાણ અનુસાર સૂર્યગ્રહણનો સંબંધ રાહુ-કેતુ અને અમૃતમંથનની કથા સાથે છે. સાગરમંથન બાદ જ્યારે અમૃત વહેંચવામાં આવી રહ્યું હતું ત્યારે સ્વરભાનુ નામનો અસુર અમૃતની લાલચમાં રૂપ બદલીને સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસી ગયો, પરંતુ દેવતાઓ તેને ઓળખી ગયા અને તેમણે ભગવાન વિષ્ણુને ફરિયાદ કરી. ભગવાન વિષ્ણુએ પળવારનોય વિલંબ કર્યા વિના પોતાના સુદર્શન ચક્રથી સ્વરભાનુનું માથુ ધડથી અલગ કર્યું. પરંતુ અસુર અમૃત પી ચૂક્યો હતો તેથી મૃત્યુ બાદ પણ તે જીવિત રહ્યો. એનુ માથુ રાહુ કહેવાયું અને ધડ કેતુ. કથા અનુસાર સૂર્ય અને ચંદ્ર પાસે આવે છે ત્યારે રાહુ અને કેતુના પ્રભાવથી ગ્રહણ લાગે છે.
સૂર્યગ્રહણનો સંબંધ મહાભારત સાથે પણ છે
જે દિવસે પાંડવો ચોપાટની રમતમાં કૌરવો સામે આખું રાજપાટ અને દ્રૌપદીને હારી ગયા હતા ત્યારે સૂર્યગ્રહણ હતું. મહાભારતના યુદ્ધમાં અર્જુને જ્યારે જયદ્રથનો વધ કર્યો હતો ત્યારે સૂર્યગ્રહણ હતું, જેને કારણે અર્જુન જયદ્રથનો વધ કરવા સક્ષમ થયો હતો. અર્જુનને સૂર્યગ્રહણનો ખયાલ હતો. ગ્રહણને કારણે સૂર્ય છુપાઇ ગયો અને એ સાથે જ સૂર્યાસ્ત થઇ ગયો. પાંડવોની હાર જોવા જયદ્રથ બહાર આવ્યો અને પળવારમાં અર્જુને તેનો વધ કર્યો. આમ સૂર્યગ્રહણને કારણે અર્જુનના પ્રાણ બચ્યા. ભગવાન શ્રીકૃષ્ણ સાથે પણ સૂર્યગ્રહણનો સંબંધ છે. જે દિવસે દ્વારિકા નગરી ડૂબી તે દિવસે સૂર્યગ્રહણ હતું.
—————————-
રવિવારના સૂર્યગ્રહણ પછી કોરોના નાબૂદ થશે?
જ્યોતિષના મતાનુસાર એક વર્ષમાં ત્રણ કે તેથી વધુ ગ્રહણ શુભ ગણાતા નથી. અને જો આમ થાય તો કુદરતી મુસીબતો
અને સત્તા પરિવર્તન જોવા મળે છે અને વ્યાપક નુક્સાની
થાય છે.
આપણે સૂર્યગ્રહણ વિશે વાત કરી રહ્યા છે અને હાલમાં દેશ અને વિશ્ર્વમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. એવામાં ચેન્નઇમાં ન્યુક્લિયર અને અર્થ સાયન્ટિસ્ટ ડો. કે. એલ. સુંદર ક્રિષ્નાએ સૂર્યગ્રહણ અને કોરોના વાઇરસ વચ્ચે જોડાણનો દાવો કર્યો છે. ગયા વર્ષે ૨૬ ડિસેમ્બરના રોજ પણ સૂર્યગ્રહણ હતુ અને આ સમયની આસપાસ જ કોરોનાએ ચીનમાં દેખા દીધી હતી એમ જણાવતા આ વૈજ્ઞાનિક કહે છે કે કોરોના આપણા જીવનનો નાશ કરવા માટે આવ્યો છે. ૨૬ ડિસેમ્બરના છેલ્લા સૂર્યગ્રહણ પછી સૌરમંડળમાં ગ્રહોની સ્થિતિ બદલાઇ ગઇ છે. ગ્રહોની વચ્ચે ઊર્જામાં પરિવર્તનને કારણે ઉપરના વાતાવરણમાં કોરોના વાઇરસની ઉત્પતિ થઇ છે અને તેને યોગ્ય વાતાવરણ પૃથ્વી પર નિર્માણ થયું હોવાથી પૃથ્વી પર આ મહામારી આવી છે. આગામી સૂર્યગ્રહણ કોરોના વાઇરસને નાબૂદ કરવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઇ શકે છે અને સૂર્યના કિરણોની તીવ્રતાને કારણે વાઇરસ નષ્ટ થશે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ૧૧મા દિવસે ભાવવધારો થયો હતો.
મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૫૩ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૮૪.૧૫ થયો હતો, જ્યારે ડીઝલનો ભાવ ૫૭ પૈસા વધીને રૂ. ૭૪.૩૨ થયો હતો.
દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૫૫ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૭.૨૮ થયા હતા અને ડીઝલના ભાવ ૪૦ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૫.૧૯ થયા હતા.
સ્થાનિક સેલ્સ ટૅક્સ અથવા વૅટના આધારે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અલગ અલગ ભાવ વધારો થાય છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા સામે જોરદાર વિરોધ થઈ રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ૧૪ તાલુકામાં એક ઇંચથી લઈને સાડાત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર બેથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. જળાશયોમાં ગયા વર્ષ કરતાં વીસ ટકા વધુ પાણીનો સંગ્રહ થયો છે. ત્યારે ૧૮-૧૯ જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદી આગાહી હવામાન વિભાગે કરી છે.
નવસારીના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડૅમના ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં શરૂ થયેલા વરસાદના કારણે ડૅમમાં નવા નીર આવતાં જૂના પાણીના સંગ્રહને નદીમાં છોડવામાં આવ્યો હતો. પ્રથમ ફેઝમાં ડૅમના ૪૦ દરવાજામાંથી ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડૅમના દરવાજા ખોલાતાની સાથે જ નદીકિનારે આવેલાં ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યાં છે. આવતા અઠવાડિયામાં ડૅમના અન્ય ૨૦ દરવાજાઓ ખોલવાનું આયોજન કરવામાં આવશે.
ધો.12 સાયન્સ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું પરીણામ મે માસમાં આવી ચૂક્યું છે. હવે આ વિદ્યાર્થીઓ કોલેજ પ્રવેશ માટે મૂંઝવણ પણ અનુભવી રહ્યા છે અને અધીરા પણ બન્યા છે. વીર નર્મદ યુનિવર્સિટીએ બી.એસસી.માં પ્રવેશની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હવે ગુજરાત સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એ.સી.પી.સી.)એ પણ જાહેરાત કરી છે કે ગુજરાતમાં આવેલી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર કોલેજોમાં પ્રવેશની કાર્યવાહી ચાલુ માસાંતે એટલે કે જુન માસના અંતમાં શરૂ કરી દેવામાં આવશે.
જેઇઇ, ગુજકેટ વગર રજિસ્ટ્રેશન
એડમિશન કમિટીએ સ્પષ્ટતા કરી છે કે સેન્ટ્રલ બોર્ડ, આઇસીએસઇ બોર્ડ તેમજ જેઇઇ મેઇન્સ, ગુજકેટ વગેરે જેવી પરીક્ષાઓ લેવાની બાકી છે, આમ છતાં હાલ ધો.12 સાયન્સની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
પીન નંબર લેવા જવું નહીં, ઓનલાઇન ચાર્જ ભરવો
ગત વર્ષ સુધી એ.સી.પી.સી. દ્વારા ઇજનેરી, ફાર્મસી વગેરે માટે બેંક દ્વારા પીન નંબરનું વિતરણ કરવામાં આવતું હતું. આ વખતે કોવીડ-19ની પરિસ્થિતિને લીધે પીન નંબર વિતરણ વ્યવસ્થા બંધ રાખીને સીધા જ રજિસ્ટ્રેશન અને ઓનલાઇન ચાર્જીસની ચૂકવણી કરવાની રહેશે. વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન પીન માટે ક્યાંયે રૂબરું જવું નહીં પડે.
રજિસ્ટ્રેશન ચાર્જિસ
પ્રવેશ સમયે આ ડોક્યુમેન્ટસ જોઇશે
વિદ્યાર્થીઓ વાલીઓને રજિસ્ટ્રેશનમાં સમજ ન પડે તો હેલ્પ સેન્ટર પર જઇને રજિસ્ટ્રેશન મફતમાં થશે
એ.સી.પી.સી.એ સ્પષ્ટતા કરી છે કે જો વિદ્યાર્થીઓને ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં તકલીફ પડે તો તેઓ નિર્ધારિત હેલ્પ સેન્ટર પર જઇને રજિસ્ટ્રેશન કરાવી શકશે. હેલ્પ સેન્ટર પર તમામ સુવિધા ફ્રીમાં ઉપલબ્ધ બનશે. આના માટે કોઇ ચાર્જ આપવાનો રહેતો નથી.
છેલ્લા ચાળીસ વર્ષમાં બનેલી પહેલી ઘટનામાં તા.16મી જુન 2020ના રોજ ચીને ભારતની લદાખ્ સરહદે ડખો ઉભો કરતા થયેલી અથડામણમાં ભારતના એક સૈન્ય અધિકારી સમેત કુલ ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ભારત ચીન સરહદે ઉભા થયેલા ટેન્શનને દૂર કરવા બન્ને પક્ષોએ તાબડતોબ વાટાઘાટો કરી હોવાનું જાણવા મળે છે.
તા.15મી જુનને સોમવારે રાતથી જ લદાખ ખાતે ચીની સૈનિકોએ ડખો ઉભો કરવાના પેંતરા શરૂ કરી દીધા હતા. ચીન તરફથી લદાખ બોર્ડર પર હિંસા ઉભી કરવામાં આવી હતી. જેના જવાબમાં ભારતે પ્રતિકાર કરવાની કોશિશ કરતા થયેલી અથડામણમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાનના મોત નિપજ્યા હોવાના અહેવાલોએ ભારતમાં રોષ વ્યાપ્ત કરી દીધો હતો.
LAC બોર્ડર પર છેલ્લે ફાયરિંગ 1967માં થયું હતું, જેમાં બંને દેશોને નુકસાન થયું હતું.
કોરોના કોણ કોણ ફેલાવી રહ્યું છે એ નામાવલિમાં હવે પાણીપુરીવાળા પણ આવી ગયા છે. અનલૉક-1ના અમલ સાથે જ ખાણીપીણી વેચતી સંસ્થાઓ ફરી શરૂ થતાં લોકો જીભના ચટાકા પુરા કરવા માટે બહારનું ખાતા થઇ ગયા છે. એમાં પણ પાણીપુરી કે ગોલગપ્પેના ચાહકો રીતસર તૂટી જ પડ્યા છે.
પણ પાણીપુરી ખાનારાઓ માટે સેડ ન્યુઝ એ છે કે હવે પાણીપુરીના વિક્રેતાઓ સોશ્યલ ડિસ્ટન્સિંગ નહીં જાળવતા હોઇ, તેઓ પણ સુપરસ્પ્રેડરની શ્રેણીમાં આવી ગયા છે અને કાનપુર પ્રશાસને તો પાણીપુરીની લારીઓ પર પ્રતિબંધ લગાડી દીધો છે.
દેશભરમાં પાણીપુરી એ ગોલગપ્પા, બતાશા અને પુચકા જેવા અલગ-અલગ નામની ઓળખાય છે. અનલોક-1 જાહેર થતા પાણીપુરીનું વેચાણ ફરીથી શરૂ થયું હતું. પરંતુ પાણીપુરીની લારી પર સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવને કારણે કોરોના ઝડપથી ફેલાઈ શકે છે તેવા ભયથી જિલ્લા પ્રશાસને મંગળવારે પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકયો હતો.
ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડૉ. બ્રહ્મદેવ રામ તિવારીએ જણાવ્યું કે, ‘એવા ઈનપુટ હતા કે અનલોક-1માં છૂટછાટ મળ્યા બાદ વિક્રેતાઓ દ્વારા સરકારની જાહેર ગાઈડલાઈન્સનું છડે ચોક ઉલ્લંઘન કરવામાં આવી રહ્યાનું જોયા બાદ અમારે તેના પર બેન લગાડી દેવો પડ્યો છે. ખાસ કરીને પાણીપુરીના સ્ટોલમાં ધારાધોરણોનું પાલન ન થતા હોવાનું પણ જણાય રહ્યું હતું.
પાણીપુરીના વેન્ડર્સે માસ્ક, ગ્લોવ્ઝ અને યોગ્ય સ્વચ્છતાનું પાલન કરવું જોઈતું હતું તેવું કઈંજ દેખાયું નહોતું. રાજ્યમાં પહેલાથી જ કેસો વધી રહ્યા હોવાથી સંક્રમણને વધુ ફેલાતા અટકાવવા માટે શહેરમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
દસેક દિવસ અગાઉ કોરોના કેસોમાંથી મુક્ત થયેલા ન્યૂઝીલેન્ડમાં જીવલેણ કોરોના વાયરસની રિ-એન્ટ્રી થઈ છે. ન્યુઝીલેન્ડની સરકારે જાહેરાત કરી હતી કે દેશમાં કોરોના સંક્રમણના બે નવા કેસ સામે આવ્યા છે. આ બંને લોકો હાલમાં જ બ્રિટનથી પરત ફર્યા છે.
24 દિવસમાં પહેલા કોરોનાના કેસોથી મુક્ત થયેલા ન્યૂઝીલેન્ડમાં ફરીથી બે કેસ નોંધાતા ફરીથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોરોનાનો છેલ્લો દર્દી સ્વસ્થ થઈને ઘરે જતા ગત અઠવાડિયે ન્યૂઝીલેન્ડમાં આર્થિક અને સામાજિક પ્રતિબંધો હટાડવામાં આવ્યા હતા. જોકે, હવે ફરીથી કોરોનાના કેસ સામે આવતા દેશના વડા પ્રધાન જસિન્ડા આર્ડેર્ને ચેતવણી આપી છે કે, દેશના કેટલાક નાગરિકો સ્વદેશ પરત ફરી રહ્યા છે અને કેટલાકને ખાસ સંજોગોમાં આવવાની છૂટ આપવામાં આવી રહી હોવાથી આગામી સમયમાં વધુ નવા કેસ સામે આવી શકે છે.
કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટિફિકેટ CISCE Board ના સત્તાધીશોએ આજે જારી કરેલી એક અખબારી યાદીમાં પોતાના ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ જોગ જણાવ્યું છે કે તેઓ બોર્ડના બન્ને ધોરણોના વિદ્યાર્થીઓને બે વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવાનું જણાવી રહ્યા છે.
ગુજરાતમાં CISCE Boardની કુલ 39 શાળાઓ છે.
સુરત શહેર જિલ્લામાં કુલ 05 શાળાઓ CISCE Board એફિલિયેટેડ છે.
CISCE Boardમાં ધો.12 એટલે ICSE અને ધો.10 એટલે ISC.
વિકલ્પ-1
જે વિદ્યાર્થીઓની પરીક્ષા બાકી છે એ વિદ્યાર્થીઓ CISCE Board દ્વારા જાહેર કરવામાં આવેલા ફેર પરીક્ષાના કાર્યક્રમ અનુસાર બાકી રહેતા વિષયોની પરીક્ષા આપે. CISCE Board 22મી મે 2020ના રોજ જાહેર કરેલા પરીક્ષાના કાર્યક્રમ અનુસાર સમગ્ર દેશવ્યાપી ધોરણે પરીક્ષાઓ લેવાનું આયોજન કરશે.
વિકલ્પ-2
જે વિદ્યાર્થીઓએ બાકી રહેલી પરીક્ષા આપવી ન હોય તેવા વિદ્યાર્થીઓએ વિકલ્પ-2 એટલે કે તેમને પ્રમોશન આપીને પાસ કરવામાં આવશે. તેમનું મૂલ્યાંકન તેમની શાળાએ કરેલા આંતરીક મૂલ્યાંકનના આધારે કરવામાં આવશે અને તેમનું રિઝલ્ટ પાસ જાહેર કરવામાં આવશે.
CISCE Board દરેક શાળાઓને સૂચના
CISCE Board બોર્ડની દરેક શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના વિદ્યાર્થીઓને બન્ને વિકલ્પોની જાણ કરીને તેમની પાસે લેખિતમાં વિકલ્પ પસંદગી અંગેનું માર્ગદર્શન મેળવીને બોર્ડને જાણ કરે જેથી બોર્ડ આગળની કાર્યવાહી કરી શકે.
CISCE Boardની સત્તાવાર અખબારી યાદી
To download above notification please click link below
ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૪૩૪૪ ટેસ્ટ થકી નવા ૫૧૪ પોઝિટિવ દર્દીઓ શોધી શકાયા છે એ સાથે રાજ્યનો આંક ૨૪૦૦૦ને પાર થઇ ૨૪૦૧૪ સુધી પહોંચ્યો છે. ૧૩ જૂને ૫૧૭ના વિક્રમી આંક પછીના આ બીજા સૌથી વધારે કેસ છે. ૨૭ દિવસમાં રાજ્યમાં નવા ૧૨૦૦૦ કેસ ઉમેરાયા છે. જ્યારે સોમવારે સાંજે પ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં વધુ ૨૮ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થતાં કુલ આંક ૧૫૦૦ને પાર થઇ ૧૫૦૬ સુધી પહોંચ્યો છે.
અમદાવાદમાં વધુ ૩૨૭ કેસ ઉમેરાતાં કુલ કેસનો આંક ૧૬૯૮૭ એટલે કે ૧૭૦૦૦ની નજીક પહોચી ગયો છે. આ જ સમયગાળામાં ગ્રામ્યમાં ૩ સહિત કુલ ૨૩ દર્દીઓએ કોરોના સંક્રમણ સામે હારી જતાં મૃત્યુ પામ્યા છે એના પગલે મૃત્યુ આંક ૧૨૦૦ને પાર થઇ ૧૨૧૦ સુધી પહોંચી ગયો છે.
અમદાવાદની જેમ સુરતમાં પણ નવા કેસ અને મૃત્યુનો સીલસીલો હજીયે યથાવત રહ્યો છે નવા ૬૪ કેસ ઉમેરાયા છે સાથોસાથ વધુ ૪ દર્દીઓએ જાન ગુમાવતા કુલ મૃત્યુ આંક ૧૦૦ને પાર થઇ ૧૦૪ થયો છે. અરવલ્લી જિલ્લામાં વધુ એક મૃત્યુ નોંધાયું છે. આ પરિસ્થિતિ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૩૩૯ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ રિકવરી આંક ૧૬૬૭૨ સુધી પહોંચ્યો છે.
સોમવારે રાજ્યના અન્ય જિલ્લાઓ, નગરોમાં સંક્રમણની સ્થિતિ ઉપર નજર કરીએ તો સુરત પછી વડોદરામાં વધુ ૪૪ પોઝિટિવ દર્દીઓ મળ્યા છે. ગાંધીનગરમાં વધુ ૧૫, જામનગર અને ભરૂચમાં એકાએક ફરીથી કેસ વધ્યા છે. આ બન્ને જગાએ નવ નવ કેસ ઉમેરાયા છે તો રાજકોટમાં એક સાથે ૮, પંચમહાલમાં ૭, સાબરકાંઠા અને જૂનાગઢમાં ૪-૪, પાટણ અને સુરેન્દ્રનગરમાં ૩-૩, મહેસાણા, અરવલ્લી, વલસાડમાં ૨-૨, બનાસકાંઠા, આણંદ, કચ્છ, ખેડા, બોટાદ, નવસારી, નર્મદા અને અમરેલીમાં એક એક કેસ તેમજ અન્ય રાજ્યના ૩ નવા કેસ ઉમેરાયા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.