CIA ALERT

Alert Archives - Page 244 of 511 - CIA Live

June 19, 2020
corona-gujarat.jpg
1min8040

ગુજરાતમાં કોરોના વાઈસરનો પોઝિટિવ દરદીઓના કુલ કેસ ૨૫ હજારને પાર થઇ ચૂક્યા છે. જ્યારે કુલ ૧,૫૬૧ના મોત નોંધાયા હતા. ચાર દિવસથી રોજ ૫૦૦થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે.

રાજ્યમાં બુધવારની સાંજ સુધીના છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૨૦ કેસ નોંધાયા છે અને ૨૭ દર્દીના મૃત્યુ થયા હતા. જ્યારે ૩૪૮ દર્દીને રજા આપવામાં આવી છે. બુધવારની સાંજ સુધીના જિલ્લા દીઠ આંકડા જોઇએ તો, અમદાવાદમાં ૧૭,૬૨૯ કેસ અને ૧૨૫૩ મોત, સુરતમાં ૨૭૭૯ કેસ અને ૧૦૬ના મોત, વડોદરામાં ૧૬૮૨ કેસ અને ૪૭મોત, ગાંધીનગર ૫૨૦ કેસ અને ૨૨ના મોત, ભાવનગરમાં ૧૭૪ કેસ અને ૧૩ના મોત, બનાસકાંઠામાં ૧૫૬ કેસ અને ૮ના મોત, આણંદમાં ૧૩૫ કેસ અને ૧૩ના મોત, અરવલ્લીમાં ૧૫૨ કેસ અને ૧૪ના મોત, રાજકોટમાં ૧૭૧ કેસ પાંચના મોત, મહેસાણામાં ૧૯૩ કેસ અને નવના મોત, પંચમહાલ ૧૩૧ કેસ અને ૧૫ના મોત સહિત રાજ્યના તમામ જિલ્લામાં કુલ ૨૫,૧૪૮ કેસ અને ૧૫૬૧ મોત થઇ ચૂક્યાં છે.

June 19, 2020
narmada.jpg
1min6730

નર્મદા બંધની જળ સપાટી ૧૨૭.૪૬ મીટરની ઉપર પહોંચી ગઇ છે અને લાઇવ સ્ટોરેજ ૨૭૦૦ એમસીએમની આસપાસ છે. ગુજરાતના ભાગે જે હિસ્સો આવે એ હિસ્સા પ્રમાણે મધ્ય પ્રદેશ ડેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે. જેનો સંગ્રહ સરદાર સરોવર ડેમમાં થઇ રહ્યો છે. તેની મુખ્ય નહેર દ્વારા લગભગ ૮,૬૦૦ ક્યુસેક પાણી ગુજરાતના અલગ અલગ પ્રદેશમાં પહોંચાડવામાં આવી રહ્યું છે.

સરદાર સરોવર નર્મદા નિગમના ડાયેરક્ટર પી.સી. વ્યાસે જણાવ્યું હતું કે, મુખ્ય નહેરમાંથી સૌરાષ્ટ્ર કેનાલ દ્વારા સૌરાષ્ટ્રની સૌની યોજના દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે તેમ જ નર્મદા મુખ્ય નહેરમાંથી ઉદવહન કરીને ઉત્તર ગુજરાતમાં આવેલા નાના નાના જળાશયો, તળાવો વગેરે ભરવામાં આવી રહ્યા છે.

સરદાર સરોવર નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જરે જણાવ્યું હતું કે, નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસમાથી હાલમાં પાણી આવી રહ્યું છે.

આ ઉપરાંત ચોમાસાની શરૂઆત થઈ ગયેલ હોઈ નર્મદા બેઝિનના કેચમેન્ટ એરીયામાં વરસાદ પડતો હોવાથી પાણીનો આવરો હાલમાં ૪૦ હજાર ક્યૂસેક જેટલો નોંધાઇ રહ્યો છે તેની સામે હાલમાં પાવર હાઉસમાં વીજળી ઉત્પન્ન કર્યા પછી ૩૩ હજાર ક્યૂસેક પાણીનો ફ્લો ભરુચ તરફ વહી રહ્યો છે.

નર્મદા ડેમમાં પાણીનો ગ્રોસ સ્ટોરેજ ૬,૩૫૦ મિલિયન ક્યૂબીક જેટલો નોધાયેલ છે.

સરદાર સરોવર ડેમની કુલ પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ૯,૪૬૦ મિલિયન ક્યૂબીક મીટર છે.

June 19, 2020
nepal-mapjpg.jpg
1min5070

નેપાળની સંસદના ઉપલા ગૃહે પણ ગુરુવારે ભારતના ત્રણ પ્રદેશ પર નેપાળનો દાવો રજૂ કરતા નવા નકશા સંબંધિત બંધારણીય સુધારાને સર્વાનુમતે મંજૂરી આપી હતી.

આ ત્રણ પ્રદેશમાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાનો સમાવેશ છે. કે. પી. શર્મા ઓલી નેપાળના વડા પ્રધાન છે અને ચીન સાથે બહુ નજીકની દોસ્તી ધરાવે છે અને તેમણે સંકલ્પ કર્યો છે કે તેઓ ત્રણેય પ્રદેશ ભારત પાસેથી પાછા લેશે.

ગુરુવારે ઉપલા ગૃહમાં બધા ૫૭ મેમ્બર હાજર હતા અને તેમણે નકશા સંબંધિત સુધારા ખરડાની તરફેણમાં મતદાન કર્યું હતું. ખરડાની વિરુદ્ધમાં એક પણ વોટ નહોતો પડ્યો.

ભારતે અગાઉ જ નેપાળના આ દાવાને ‘અસમર્થનીય’ અને ‘કૃત્રિમ વિસ્તરણ’ તરીકે ઓળખાવ્યો હતો. શનિવારે નેપાળની સંસદના નીચલા ગૃહે સર્વાનુમતે નવા ભૌગોલિક નકશાને બહાલી આપી હતી અને હવે નેશનલ ઍસેમ્બ્લી તરીકે ઓળખાતા ઉપલા ગૃહે પણ બહાલી આપતા સંસદની પૂર્ણપણે મંજૂરી નેપાળ સરકારને મળી ગઈ છે.

નેપાળે ગયા મહિને પોતાનો આ નવા રાજકીય નકશો બહાર પાડ્યો હતો. નવેમ્બર, ૨૦૧૯માં ભારતે નવો નકશો બહાર પાડ્યો એના છ મહિના બાદ (મે મહિનામાં) નેપાળે ત્રણેય પ્રદેશને પોતાનામાં સમાવતો નકશો બહાર પાડીને વિવાદ શરૂ કર્યો હતો. ૧૮મી મેએ નેપાળના પ્રધાનમંડળે નવા નકશાને સમર્થન આપ્યું હતું.

ગુરુવારે ઉપલા ગૃહે મંજૂર કરેલો ખરડો અધિકૃત બનાવવા હવે રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીને મોકલવામાં આવશે અને એ પછી ખરડો બંધારણમાં સમાવવામાં આવશે. ત્યાર બાદ નવો નકશો નેપાળના સત્તાવાર દસ્તાવેજોમાં ઉપયોગમાં લેવાશે.

૮મી મેએ ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લિપુલેખ પાસને ઉત્તરાખંડ રાજ્યના ધારચુલા સાથે જોડતા ૮૦ કિલોમીટર લાંબા રોડના બાંધકામનું ઉદ્ઘાટન કર્યું એ પછી ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો તંગ થયા છે.

નેપાળે આ ઉદ્ઘાટનનો વિરોધ કરતા કહ્યું હતું કે જો આ રોડ બનશે તો એના પ્રદેશમાંથી પસાર થયો કહેવાશે. એવું કહીને નેપાળે નવા નકશામાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને પોતાના પ્રદેશ તરીકે ઓળખાવ્યા હતા.

June 18, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5160

Surat Cityની હદમાંથી સચીન GIDC બાકાત

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે તા.18મી જુન 2020ના રોજ જાહેર કરવામાં આવેલા સુરત શહેરના હદ વિસ્તરણમાંથી સચીન ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરીયાને બાકાત રાખવામાં આવ્યો છે.

સચીન જીઆઇડીસીને સુરત શહેરની હદમાંથી બાકાત રાખવાના કારણે હાલ તુરત તો સચીન જીઆઇડીસીના ઉદ્યોગકારો સુરત મહાનગરપાલિકાના કરવેરામાંથી બચી ગયા છે. કેમ કે જો સચીન જીઆઇડીસી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરીયાને સુરત શહેરની હદમાં સામેલ કરવામાં આવ્યા હોત તો સુરત મહાનગરપાલિકા ઉદ્યોગોની આકારણી કરીને તેમની પાસેથી વેરા વસુલાત શરૂ કરી શકે અને જાણકારો કહે છે કે સચીનના એકએક ઇન્ડસ્ટ્રીયલ યુનિટને તેના વિસ્તાર પ્રમાણે લાખથી બે લાખ જેટલો વેરો ભરપાઇ કરવાનો આવે એમ છે.

Surat City Limit Expansion Notification

અહીં નિર્દેશ કરાયો છે કે સચીન ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરીયા એક્સક્લુડીંગ

પરંતુ, હાલ તુરત તો સુરત શહેરની હદમાં સચીન ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરીયાને સામેલ કરવામાં આવ્યો ન હોઇ, સચીનના ઉદ્યોગકારો સુરત મહાનગરપાલિકાના તોતીંગ વેરામાંથી બચી ગયા છે પરંતુ, એ ક્યાં સુધી બચી શકે છે એ જોવાનું રહે છે.

કેમકે ભૂતકાળમાં જ્યારે સુરતનું હદ વિસ્તરણ થયું હતું ત્યારે ઉધના, પાંડેસરા વગેરે જીઆઇડીસીનો સમાવેશ કરાયો ન હતો. પરંતુ, સુરત મહાનગરપાલિકાએ સ્વબળે જ વેરો ઉઘરાવવાનું શરૂ કરી દેતા આખરે એ વિસ્તારોને સુરત મહાનગરપાલિકાની હદમાં સામેલ કરીને તેમને ઇન્ડસ્ટ્રીયલ એરીયા તરીકે ડીનોટીફાઇડ જાહેર કરવામાં આવ્યા હતા.

પાંડેસરા જીઆઇડીસી સુરત શહેરની હદમાં ન હતી ત્યારે સુરત મહાનગરપાલિકાએ એવી દલીલ કરી હતી કે મ્યુનિસિપલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને જ પાંડેસરાના ઉધોગો ચાલી રહ્યા હોઇ, સુરત મહાનગરપાલિકા ઉદ્યોગો પાસેથી વેરો ઉઘરાવી શકે. હવે સચીન જીઆઇડીસી ક્યાં સુધી પાલિકાના વેરામાંથી બચી શકે છે એ જોવું રહ્યું.

June 18, 2020
CIA_Live_Logo_New2.jpg
1min11930

SMC હદ વિસ્તરણથી શોર્ટ ટર્મ કોઇ ફાયદો નથી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ વિભાગે રાજ્યની મહાનગરપાલિકાની હદનું વિસ્તરણ કરતું નોટિફિકેશન આજરોજ તા.18મી જુન 2020ના રોજ જાહેર કર્યું છે. જાણકારો કહે છે કે સુરત સમેત રાજ્યની મહાનગરપાલિકાઓની હદના વિસ્તરણથી શોર્ટ ટર્મ કોઇ ફાયદો નથી, લાંબા ગાળે ફાયદો મળશે પરંતુ, ટૂંકા ગાળામાં તો સિટી લિમિટનું વિસ્તરણ મોટા પ્રશ્નો સર્જશે.

  • સુરત મહાનગરપાલિકા પર માળખાગત સુવિધાઓ વિકસાવવાનું ભારણ વધી જશે
  • સુરત મહાનગરપાલિકા પર વધુ 4થી 5 લાખની વસતિને પાયાની સુવિધાઓ પહોંચાડવાનું ભારણ વધશે
  • શહેરના હદ વધારવા સાથે ચૂંટણી પંચે નવા વિસ્તારોને સુરત મહાનગરપાલિકામાં પ્રતિનિધિત્વ મળે એ માટે મ્યુનિસિપલ વોર્ડ સીમાંકન નવેસરથી હાથ ધરવું પડશે તેના વગર ચૂંટણી યોજી શકાય નહીં.
  • લાંબા ગાળાનો ફાયદો એ થશે કે ગ્રામ પંચાયતોમાં બિનઆયોજનબદ્ધ રીતે થતા બાંધકામો ખાસ કરીને પહોળા માર્ગોની જોગવાઇ લાભકર્તા બનશે

સિટી લિમીટ વિસ્તરણની સૌથી માઠી અસર આગામી વર્ષે રાજ્યની મહાનગરપાલિકાઓમાં યોજનારી સામાન્ય ચૂંટણી પર પડશે એમાં બે મત નથી. નિષ્ણાંતો કહે છે કે અર્બન ડેવલપમેન્ટ વિભાગની સત્તાવાર જાહેરાત બાદ હવે તંત્ર દ્વારા શહેર હદ વિસ્તરણની કામગીરી કાગળ પર હાથ ધરવામાં આવશે. એક વર્ષના સમયગાળામાં સુરત સમેત જે મહાનગરપાલિકાઓમાં ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થઇ રહી છે ત્યાં ચૂંટણી યોજવી હોય તો એ પહેલા શહેરની હદમાં સામેલ કરવામાં આવેલા વિસ્તારને આવરી લેતું વોર્ડ સીમાંકન કરવું પડશે. ચૂંટણી પંચ માટે વોર્ડ સીમાંકન કરવું એટલે એક વર્ષ જેટલી લાંબી અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ સુરત મ્યુનિસિપલ વોર્ડ સીમાંકન થઇ શકે.

નવા વિસ્તારોનું મ્યુનિસિપલ વોર્ડ સીમાંકન વગર ચૂંટણી યોજી શકાશે નહીં

જાણકારો કહે છે કે રાજ્ય સરકારે આધિકારીક રીતે મહાનગરપાલિકાઓની હદનું વિસ્તરણ કરી દીધું છે હવે શહેરમાં નવા સામેલ કરવામાં આવેલા ગામડાઓના વિસ્તારોના પ્રતિનિધિઓને પણ સુરત મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખમાં સ્થાન આપવું પડશે. આમ, હવે સુરત શહેરની હદ વિસ્તરણ બાદ જો ચૂંટણી પંચ નવા વિસ્તારોને આવરી લેતું વોર્ડ સીમાંકન યુદ્ધના ધોરણે હાથ નહીં ધરે તો આગામી વર્ષે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી યોજવી મુશ્કેલ થઇ પડશે.

Latest on this Web

June 18, 2020
mumbai-rains-3.jpg
1min5150

મુંબઇ શહેર, થાણે અને નવી મુંબઇમાં ગુરુવારે સવારથી જ ભારે વરસાદ શરૂ થયો હતો અને સાથે પવન પણ ફૂંકાયો અને વીજળી પણ થઇ હતી. જો કે ચોમાસું લગભગ આખા મહારાષ્ટ્ર અને મુંબઇ પર ફરી વળ્યું છે અને આસપાસનાં વિસ્તારોમાં પણ વરસાદ દેખાઇ રહ્યો છે.

Mumbai : A woman crosses the road during rains in Mumbai on Monday. PTI Photo (PTI7_17_2017_000340B)

IMDએ કરેલી આગાહી અનુસાર આગામી 24 કલાક વાતાવરણ વાદળીયું રહેશે અને હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન ખાતાની સાન્તાક્રુઝ ઓબ્ઝર્વેટરી દ્વારા જણાવ્યા અનુસાર 32.6 ડિગ્રી  સેલ્સિયસ મહત્તમ તાપમાન અને 27 ડિગ્રી ન્યુનતમ તાપમાન રહેશે. કોલાબા ઓબ્ઝર્વેટરી દ્વારા નોંધાયેલા મહત્તમ તાપમાન 31.1 ડિગ્રી સેલ્સિયસ છે તથા 26.8 ડિગ્રી સેલ્સિયસ લધુત્તમ તાપમાન રહ્યું છે.

ગુરૂવારે પડેલો ધોધમાર વરસાદ એ શહેર અને આસપાસનાં વિસ્તારો માટે રાહત આપનારો રહ્યો છે. મુંબઇ અને આસપાસનાં વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે તેમ વેધર એજન્સી સ્કાયમેટે કહ્યું છે.

June 18, 2020
rath2.jpg
1min5350

સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના પ્રકોપને ધ્યાને રાખીને આ વર્ષે વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથની પૂરી ખાતે યોજાતી રથયાત્રા પર પ્રતિબંધ મૂકવા સંદર્ભનો આદેશ આપ્યો છે.

સુપ્રિમ કોર્ટમાં CJI શરદ અરવિંદ બોબડેએ આ પ્રતિબંધ લાદતા ટાંક્યું હતું કે આ વર્ષે રથયાત્રાને મંજુરી આપવામાં આવશે તો ભગવાન અમને ક્યારેય માફ નહી કરે. મહામારીના સમયમાં એવા આયોજન ન થવા જઈએ જેનાથી લોકોના આરોગ્યને ખૂબ મોટાપાયે નુકસાન પહોંચવાની શક્યતા હોય. આ વખતે 23 જુલાઈના રોજ શ્રી જગન્નાથ મંદિરથી આ રથયાત્રા નીકળવાની હતી. અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર બનશે જ્યારે જગતના નાથ નગરચર્યાએ નહી નીકળે.

અમદાવાદની યાત્રા પર ગુજરાત હાઇકોર્ટમાં પબ્લિક રીટ

બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં પણ અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા સામે PIL થઈ છે. 23 જૂને રથયાત્રા નીકળવાની છે. પુરી સિવાય બીજી સૌથી મોટી રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળે છે. રાજ્ય સરકારે રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય નથી કર્યો. જોકે, મંદિરના સંચાલકોનું કહેવું છે કે સરકાર પરવાનગી આપશે તો રથયાત્રા નીકળશે. જોકે, આ વર્ષે રથયાત્રા પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે PIL કરાઈ છે.

June 18, 2020
1min4660

સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્ય દેશો બુધવારે સુરક્ષા પરિષદમાં પાંચ અસ્થાયી સભ્યો માટે મતદાન કરશે. ખાસ બાબત એ છે કે, એશિયાઇ પ્રશાંત સમૂહના સર્વસંમત સમર્થનથી ભારતની જીત થઇ છે. આજે તા.18મી જુનના રોજ ભારતને સુરક્ષા પરિષદની અસ્થાયી મેમ્બરશીપ આપવામાં આવી છે.

મતદાન બુધવારે ભારતીય સમયાનુસાર સાંજે 6.30 કલાકે (ન્યૂયોર્ક સમયાનુસાર સવારે 9 કલાકે) શરુ થયું હતું. ભારત આતંકવાદ વિરુદ્ધ લડવા અને બહુપક્ષવાદ તથા સમાનતા આધારિત આંતરરાષ્ટ્રીય પ્રણાલી માટે પ્રતિબદ્ધતા સાથે ચૂંટણી અભિયાન ચલાવી રહ્યુ છે. પોતાના અભિયાન દસ્તાવેજમાં ભારતે 5-એસ દ્રષ્ટિકોણઃ સન્માન, સંવાદ, શાંતિ અને સમૃદ્ધિને રજૂ કર્યા છે. 

સભ્ય તરીકે ચૂંટાયા પછી ભારત પહેલી જાન્યુઆરીથી સંયુક્ત રાષ્ટ્રના સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થાનો બે વર્ષનો કાર્યકાળ શરુ કરશે, જેમાં બે અસ્થાયી એશિયાઇ સભ્યોમાંથી એક વિયતનામ સામેલ હશે. વિયતનામ, ઇન્ડોનેશિયાનુ સ્થાન લેશે. ભારત માટે ચૂંટણી પ્રક્રિયા એવા સમયે થઇ રહી છે જ્યારે ભારત પરિષદના વીટો અધિકાર પ્રાપ્ત સ્થાયી સભ્ય ચીન સાથે સંઘર્ષમાં છે, ચીન આ પરિષદમાં પાકિસ્તાનના રક્ષક તરીકે સાબિત થયુ છે.

ભારતે અહીં સીરિયાઇ ગૃહ યુદ્ધ, રશિયા સાથે યૂક્રેનનો વિવાદ, અમેરિકાનો ઇરાન માટે વલણ અને યમનના યુદ્ધ જેવા મુદ્દાઓ સામે લડવાનુ રહેશે, પરંતુ સકારાત્મક બાબત એ રહેશે કે ચીન પરિષદમાં કાશ્મીર મુદ્દો ઉઠાવે છે તો એ સમયે ભારત હાજર રહેશે. આ આઠમી વખત થઇ રહ્યુ છે જ્યાં ભારત સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યું છે. 

June 18, 2020
election_voting.jpg
1min4710

રાજ્યમાં આવતીકાલે 19 June 2020 રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખૂબ જ અગત્યની એવી આ ચૂંટણીને લઇને ભારતના બે મોટા રાજકીય પક્ષો અને પ્રતિસ્પર્ધી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાના સભ્યો અને મતદારોને કેવી રીતે વોટિંગ કરવું એ અંગે ગંભીરતાથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે. બન્ને પક્ષો ભૂતકાળમાં પોતાના જ સભ્યોએ કરેલી ભૂલોને કારણે મત ગુમાવી ચૂક્યા છે.

કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો 2017ની જેમ ક્રોસ વોટિંગ કરી શકે છે. જ્યારે ભાજપ માટે ચિંતાનું કારણ પોતાના ધારાસભ્યો 2017ની જેમ વોટિંગ દરમિયાન કોઈ ભૂલ કરી બેસશે તો તેમનો મત ગેરકાયદે ઠરશે.

મહત્વનું છે કે 2017માં યોજાયેલ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી પાર્ટીના મેન્ડેટને નકારી દીધો હતો અને ભાજપના ઉમેદવાર તરફી મતદાન કર્યું હતું. જ્યારે ભાજપના એક ધારાસભ્યે મતદાન સમયે પાળવામાં આવતા નિયમોમાં ભૂલ કરવાથી તેમનો મત ગેરકાયદે કરવામાં આવ્યો હતો. જેના કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ ખૂબ જ પાતળી સરસાઈથી વિજેતા બન્યા હતા.

June 18, 2020
corona-gujarat.jpg
1min4920

ગુજરાતમાં કોરોના મહામારીના સાડા ત્રણ મહિને સંક્રમિત લોકોને શોધવા માટે થતાં આરટીપીસીઆર ટેસ્ટનો આંક વિતેલા ચોવીસ કલાકમાં ૫૮૦૧ ઉમેરાતાં ત્રણ લાખને પાર થઇ ૩,૦૩,૬૭૧ સુધી પહોંચી છે. એમાંથી ૩૪૮ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થતાં કુલ ૧૭૪૩૮ દર્દીઓ અત્યાર સુધીમાં રિવકર થયાં છે. જેની સરેરાશ ૬૯ ટકા થાય છે. જોકે, ૧૫૬૧ દર્દીના સારવાર દરમિયાન મૃત્યું થયા છે.

છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૫૨૦ દર્દી સાથે કુલ એક્ટિવ કેસનો આંક વધીને ૬૧૪૯ થયો છે એમાં ૬૯ દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે અને ૬૦૮૦ સ્ટેબલ છે. રાજ્યમાં માર્ચ ૧૯મીએ પહેલી વખત કોરોનાના પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા, એ પહેલાં ટેસ્ટ શરૂ કરાયા હતા. ૨૫ માર્ચે પહેલું મૃત્યું સુરતમાં નોંધાયું હતું.

બુધવારે સાંજે પાંચ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં અમદાવાદમાં વધુ ૩૩૦ કેસ ઉમેરાયા છે અને ૨૨ દર્દીઓના મૃત્યું થયા છે જેમાં ગ્રામ્ય વિસ્તારના ૨૫ કેસ અને ૨ દર્દીના મૃત્યુનો સમાવેશ થાય છે. આ જ રીતે સંક્રમિત દક્ષિણ ગુજરાતના સુરતમાં નવા ૬૫ કેસ નોંધાયા છે, પરંતુ મૃત્યુનો સીલસીલો આજે થંભ્યો છે બીજી તરફ વડોદરામાં ડેથ ઓડિટ બાદ બે દર્દીના કોરોનાથી મૃત્યુની જાહેરાત આરોગ્ય વિભાગે કરી છે. વડોદરા શહેર અને જિલ્લામાં મળીને નવા ૪૪ દર્દીઓ પોઝિટિવ મળ્યા છે.

એમાં પાદરાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અમદાવાદમાં ધોળકા અને વડોદરામાં પાદરા હોટ સ્પોટ બની ચૂક્યા છે. સુરતમાં લિંબાયત સૌથી સંક્રમિત વિસ્તાર છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં સૌથી વધારે કેસ ગાંધીનગર મહાનગર અને જિલ્લામાંથી ૧૬ મળ્યા છે. ભરૂચમાં ફરીથી કેસનો સીલસીલો શરૂ થતાં નવા ૭ કેસ, જામનગરમાં ૬, જૂનાગઢમાં ૫, ભાવનગર, રાજકોટ અને આણંદમાં ૩-૩, બનાસકંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલીમાં ૨-૨, મહીસાગર, સાબરકાંઠા, બોટાદ, નવસારી, નર્મદા, મોરબીમાં ૧-૧ કેસ તેમજ અન્ય રાજ્યના એક સાથે ૪ કેસ નોંધાયા છે. આ જિલ્લાઓમાં કેસની સાથે આણંદ, ભરૂચ અને ગાંધીનગરમાં એક એક દર્દીના સારવાર દરમિયાન મૃત્યું થયા છે.