
દાન આપીને તરત જ પાવતી માગજો : શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ
અયોધ્યામાં નિર્માણાધિન રામમંદિર ભવ્યાતિભવ્ય બને અને જે રીતે ખ્રિસ્તી સમાજ માટે વેટીકન, મુસ્લિમ સમાજ માટે મક્કા ધાર્મિક સ્થળ છે એ જ રીતે વિશ્વભરમાં પથરાયેલા હિન્દુઓ માટે અયોધ્યા રામ મંદિર આસ્થાનું પ્રતિક બને એ હેતુથી આગામી 15 જાન્યુઆરીથી 27મી ફેબ્રુઆરી 2021 સુધી સુરત શહેરમાંથી દાન ઉઘરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
દરેક હિન્દુ પોતાના ઘરેથી 10 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા કે પોતાની ક્ષમતા અનુસાર જે રાશિ રામ મંદિર નિર્માણ કાજે દાન આપે તેવી અપીલ કરવામાં આવી છે.
શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિએ કહ્યું કોઇને પણ દાન ઉઘરાવવાનું કામ કે સત્તા આપી નથી
રામ મંદિર નિર્માણ માટે દાન ઉઘરાવવાનું ભગીરથ કાર્ય પૂર્ણ થાય એ માટે શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ, સુરતમાં વિવિધ સમાજના અગ્રણીઓ પોતાના સમાજના મોભીઓ સાથે મિટિંગો કરી રહ્યા છે. મિટિંગમાં સમાજના મોભેદારો માંથી કોઈ પાછળ રહેવા માંગતું નથી. શતાબ્દીઓ ના સંઘર્ષ બાદ બની રહેલ આ ભવ્ય મંદિર નિર્માણમાં દરેક હોદ્દેદારો પોતાના મોટા સમર્પણ દ્વારા અગ્રેસર રહેવા ઇચ્છુક છે.
સુરતમાં ડાયમંડ, ટેક્સટાઇલ્સ, બિલ્ડર જેવી વિવિધ ઉદ્યોગ જગતમાં નિધિ સંગ્રહના પ્રયાસો ક્રિયાન્વિત થઈ ગયા છે. સમગ્ર સુરત મંદિર નિર્માણમાં સહભાગી થવા હિલોળે ચડ્યું છે. સુરતના તમામ હોસ્પિટલ, ફેક્ટરીઓ અને મોટા ઉદ્યોગકારોના શ્રમિક સમૂહને પોતાનો એક દિવસનો પગાર શ્રી રામ મંદિરના નિર્માણ માં પોતાના સમર્પણ ના રૂપમાં આપવા માટે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિ આહવાન કરે છે
સમિતિના અગ્રણીઓએ વિશ્વના સૌથી મોટા નિધિ સંગ્રહ અભિયાનમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે સુરતના રામપ્રિય હિન્દુ સમાજને રાશિ આપતી વખતે પાવતી / કુપનો માગવાનો આગ્રહ રાખવા જણાવે છે.
આ પ્રેસ વાર્તામાં સુરત સમિતિના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, ડાયમંડ એસોસીએસનના માજી પ્રમુખ શ્રી બાબુભાઇ ગુજરાતી , આર.એસ.એસ. સુરતના મંત્રી કેતનભાઈ લાપસીવાલા, વી.હી.પરિષદ સુરત મહાનગર ઉપાધ્યક્ષ અને અભિયાન સમિતિ ના સદસ્ય વિક્રમસિંહજી શેખાવત ઉપસ્થિત રહ્યા હતા.





















