CIA ALERT

Alert Archives - Page 153 of 518 - CIA Live

August 18, 2021
women_military_police.jpg
1min885

સુપ્રીમ કોર્ટે આજરોજ તા.18મી ઓગસ્ટે આપેલા એક મહત્વના ચુકાદામાં મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મહિલાઓ નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પરીક્ષામાં સામેલ થઈ શકે છે. આ આદેશ ૫ સપ્ટેમ્બરે યોજાનારી એનડીએની પરીક્ષાથી જ લાગુ થશે. 

આ મામલે સુનાવણી દરમિયાન સેનાએ કહ્યું કે, એનડીએ પરીક્ષામાં મહિલાઓને સામેલ ન કરવી પોલિસી નિર્ણય છે. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો આ પોલિસી નિર્ણય છે તો તે ભેદભાવપૂર્ણ છે. જો કે, ૫ સપ્ટેમ્બરે પરીક્ષામાં બેસવાનો આદેશ સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે.

અગાઉ, આ મામલે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે મહિલાઓને એનડીએની પરીક્ષામાં સામેલ કરવામાં આવે. સાથે અરજીમાં એવો ઉલ્લેખ પણ કરાયો હતો કે, લિંગના આધાર પર મહિલાઓને એનડીએમાં સામેલ કરવામાં આવતી નથી, જેથી તે સમાનતાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કહી શકાય. 

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ૧૨ પાસ કરનારી મહિલા ઉમેદવારોને તેમના લિંગના આધારે NDA અને નૌસેની એકેડમી પરીક્ષા આપવાના અવસરથી વંચિત કરી દેવામાં આવે છે. જેના લીધે યોગ્ય પાત્રતા ધરાવતી મહિલા ઉમેદવારોને પ્રવેશ મેળવવાનો કોઈ માર્ગ નથી. જ્યારે સમાન શિક્ષણ પ્રાપ્ત કરનાર પુરુષ ઉમેદવારોને પરીક્ષા આપવાનો અવસર મળે છે. 

August 18, 2021
cia_edu-1280x925.jpg
1min456

રાજ્યની શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર

રાજ્યમાં 7/6/21થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. હજુ પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડ શિક્ષણની શરૂઆત થઈ નથી પરંતુ દિવાળી વેકેશનની ચર્ચાઓ જોરશોરથી શરૂ થઇ ગઇ છે.

તા.17મી ઓગસ્ટે ગુજરાત સરકારે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે જે મુજબ 1લી નવેમ્બરથી 21 દિવસ દિવાળીનું વેકેશન જાહેર કરાયુ છે.

શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ અને બીજા સત્રમાં 136 દિવસ રહેશે. પ્રથમ સત્ર 30મી ઓક્ટોબર સુધી ચાલશે અને 1લી નવેમ્બરથી ર1 દિવસનું દિવાળી વેકેશન રહેશે.

8 સ્થાનિક રજાઓ ઉપરાંત 21 દિવસનું દિવાળી વેકેશન અને 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. જ્યારે 16 જાહેર રજાઓ વર્ષ દરમિયાન આવશે

બીજા સત્રનો પ્રારંભ 22મી નવેમ્બરથી થઈ શકે છે. વર્ષ દરમિયાન 80 રજા નક્કી કરાઈ છે.

હાલમાં સ્કૂલોમાં પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. બીજા સત્રની શરૂઆત 22 નવેમ્બરથી થઈ શકે છે, જેમાં અભ્યાસનાં 136 દિવસ રહેશે. નવેમ્બરનાં 8, ડિસેમ્બરનાં 26, જાન્યુઆરીના 24, ફેબ્રુઆરીનાં 24, માર્ચના 25, એપ્રિલનાં 23 અને મેના 6 દિવસ મળીને કુલ 136 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. આમ, પ્રથમ અને બીજા સત્રના મળીને કુલ 253 દિવસનું સ્કુલોમાં શૈક્ષણિક કાર્ય થશે. એમાં આઠ દિવસની સ્થાનિક રજાઓને બાદ કરતાં અભ્યાસનાં 245 દિવસ બાકી રહેશે.

બીજુ સત્ર 7 મેના રોજ પૂર્ણ થયા બાદ 9 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવશે. 35 દિવસનું ઉનાળું વેકેશન 13 જુન સુધી ચાલશે અને ત્યારબાદ નવું શૈક્ષણિક વર્ષ ચાલુ કરવામાં આવશે. જો કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ આ કેલેન્ડરમાં ફેરફાર થઈ શકે છે.

August 16, 2021
Cia_business_news-1280x936.jpg
1min490

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વેસ્ટર્ન રિજિયન એટલે કે સુરત ઓફિસ દ્વારા તૈયાર કરવામાં આવેલા ભારતના સૌથી પહેલા ડાયમંડ ઓક્શન હાઉસનું ઉદ્ઘાટન આજરોજ જીજેઇપીસી સેન્ટ્રલ કાઉન્સિલના ચેરમેન કોલિન શાહે કર્યું હતું. આ પ્રસંગે જીજેપીસી મુંબઇ સમેત સમગ્ર ભારતના હીરા ઉદ્યોગકારો આજે સુરત આવ્યા હતા.

સુરત ડાયમંડ બુર્સ શરુ થતાની સાથે સુરતમાં માઈનીંગ કંપનીઓ દ્વારા કાચા હીરાનું વેચાણ થાય તે માટે સ્થાનિક હીરા ઉદ્યોગકારો અને આગેવાની સંસ્થાઓ છેલ્લાં દોઢ વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે. સુરતના હીરા ઉદ્યોગકારોએ રફ ડાયમંડ માટે વિશ્વના દેશોમાં ન જવું પડે અને કંપનીઓ, સંસ્થાઓ જ સ્વયં જ સુરતમાં આવીને કાચા હીરા, તૈયાર હીરા, સ્ટોન વગેરેનું જાહેર હરાજીથી વેચાણ કરી શકે તે માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા ટાઇટેનિયમ બિઝનેસ હબ ખાતે 2200 સ્કવેયર ફૂટના વિસ્તારમાં 16 કેબિનો ધરાવતું એક ઓકશન હાઉસ ઉભું કર્યું છે. સ્ટોરેજ ફેસેલિટી, સિક્યુરિટી સમેત ડાયમંડ ઓકશન માટેની તમામ માળખાગત સુવિધાઓ ધરાવતું ઓકશન હાઉસ તૈયાર થતાં આજરોજ જીજેઇપીસી સેન્ટ્રલ કાઉન્સિલના ચેરમેન કોલિન શાહના હસ્તે તેને હીરા ઉદ્યોગને સમર્પિત કરવામાં આવ્યું હતું.

પહેલું ઓક્શન 18થી 21 ઓગસ્ટ દરમિયાન

સુરતના અલથામ ખાતે આજે ઉદઘાટિત કરાયેલા ભારતના પહેલા ડાયમંડ ઓકશન હાઉસમાં પહેલું ડાયમંડ ઓક્શન આગામી તા.18થી 21 ઓગસ્ટ દરમિયાન યોજાશે. વક્રડીમા કંપની દ્વારા આયોજિત સિન્થેટિંક ડાયમંડનું આ ઓકશન હશે. ત્રણ દિવસ લેબગ્રોન ડાયમંડ ખરીદવા ઇચ્છતા લોકો ત્રણ દિવસ દરમિયાન હીરાનો જથ્થો જોઇ શકશે અને પછી તેમણે તેમની ઓફર ઓનલાઇન આપવાની રહેશે.

કાચા હીરા માટે ઉદ્યોગપતિઓએ વિદેશના ધક્કા ખાવા નહીં પડે

દિનેશ નાવડિયા  જીજેઈપીસી ગુજરાત રિજિયન ચેરમેન

અત્યાર સુધી કાચા હીરા કે અન્ય મટિરિયલ્સ માટે સુરતના હીરા ઉદ્યોગકારોએ વિદેશોમાં ફરવું પડતું હતું. કેટલીક વખત હરાજીમાં અનૂકુળ કિંમતે માલ ન મળે તો ધક્કો પણ પડતો, પણ હવે વિદેશોમાં જે રીતે હીરાની હરાજી થાય તેવું જ ભારતનું પહેલું ડાયમંડ ઓક્શન હાઉસ સુરતમાં 22 કરોડના ખર્ચે તૈયાર થયું છે. જ્યાં રફ કે પોલિશ્ડ ડાયમંડની સાથો સાથ ડાયમંડ-ગોલ્ડ જ્વેલરી, ગોલ્ડ-સિલ્વરનું સુરતની કે દેશની કંપનીઓ સહિત ઈન્ટરનેશનલ કંપનીઓ પણ સરળતાથી ઓક્શન કરીને તેનું ખરીદ-વેચાણ કરી શકશે.

August 15, 2021
lalkilaa.jpg
1min439
Independence Day 2021: Is India Celebrating 74th or 75th Independence Day  This Year?

દેશની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીના પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે પહેલી વખત ભારતીય હવાઇદળના બે મી-૧૭ ૧વી હૅલિકોપ્ટર ત્યાં ફૂલવર્ષા કરી હતી. સમગ્ર વિશ્વમાં ભારતીયો અને ભારતમાં કરોડો નાગરીકો 75મો સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસભેર ઉજવી કરી રહ્યા છે.

ભારત આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે કરી રહ્યું છે અને એ હેઠળ દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હોવાની માહિતી મંત્રાલયે જાહેર કરી હતી. 

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રસંગે ઑલિમ્પિકમાં મેડલ મેળવનાર ૩૨ ખેલાડી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (સાઇ)ના બે અધિકારીઓ આજે લાલ કિલ્લા પર ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય સ્થળ સામે આવેલા જ્ઞાન પથ પર હાજરી આપવા માટે ૨૪૦ ઑલિમ્પિક ખેલાડીઓ , સપોર્ટ સ્ટાફ અને સાઇ તથા સ્પોર્ટ ફેડરેશનના અધિકારીઓને હાજર રહ્યા હતા.

મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળા દરમિયાન ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ સ્વાસ્થ્ય કર્મચારીઓને બિરદાવવા માટે લાલ કિલ્લા પર ડાબી બાજુએ અલગથી બ્લોક બનાવવામાં આવ્યો હતો.

ગાર્ડ ઑફ ઑનરનું નિરીક્ષણ કર્યા બાદ વડા પ્રધાન લાલ કિલ્લા પર બાંધવામાં આવેલા સ્ટેજ પર જશે, અહીં સંરક્ષણ પ્રધાન, સર્વોચ્ચ સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત, આર્મીના વડા જનરલ એમ. એમ. નરવણે, નૌસેના અધ્યક્ષ એડમિરલ કરમબીરસિંહ અને વાયુસેના અધ્યક્ષ એર માર્શલ આર. કે. એસ. ભદોરિયા એમનું સ્વાગત કર્યું હતું. 

August 14, 2021
cia_edu-1280x925.jpg
1min1087

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

VNSGU ના વાઇસ ચાન્સેલર ડો. કિશોરસિંહ ચાવડાએ આજરોજ તા.14મી ઓગસ્ટે સર્વોચ્ચ અધિકાર મંડળ સેનેટ સભાની ખાસ મિટીંગ યોજીને તેમાં સ્ટેચ્યુટ 229 (બી)માં સુધારાઓ આમેજ કરાવ્યા. ગુજરાતની યુનિવર્સટીઓમાં એક અનેરો ઇતિહાસ રચ્યો, સ્ટેચ્યુટમાં જોગવાઇ કરીને NEPનો ચાલુ શૈક્ષણિક વર્ષથી જ અમલ શરૂ કર્યો, જે અંતર્ગત હવે પછી વિદ્યાર્થીઓનો જેવો વાર્ષિક અભ્યાસ તેવી ડિગ્રી એનાયત કરવામાં આવશે જે વિશ્વવ્યાપી સ્તરે માન્ય તો હશે જ પણ તેની ક્રેડિટ પણ ટ્રાન્સફર થશે.

ગુજરાતમાં પહેલી વખત વીર નર્મદ યુનિવર્સિટીમાં ચાલુ વર્ષથી જ નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ શરૂ

મલ્ટીપલ સર્ટિફિકેશન પોલીસી અંતર્ગત ડિગ્રી કોર્સમાં પહેલા વર્ષે સર્ટિફિકેટ, બીજા વર્ષે ડિપ્લોમા, ત્રીજા વર્ષે ગ્રેજ્યુએશન અને ચોથા વર્ષે ઓનર્સની પદવી મળશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આજે તા.14મી ઓગસ્ટ 2021ના રોજ ઇતિહાસ રચ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આજે મળેલી ખાસ સેનેટ સભામાં નેશનલ એજ્યુકેશ પોલીસી 2020નો અમલ કરવા માટે સ્ટેચ્યુટ 229 (બી)માં ફેરફાર કરવામાં આવ્યા છે અને તેના કારણે ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-22થી મલ્ટીપલ સર્ટિફિકેશન્સ અમલી બન્યા છે અને હવે ગ્રેજ્યુએશન કોર્સ દરમિયાન પહેલા વર્ષનું શિક્ષણ સફળતાપૂર્વક પાસ કર્યા પછી સર્ટિફિકેશન, બીજા વર્ષે ડિપ્લોમા, ત્રીજા વર્ષે ગ્રેજ્યુએશન અને ચોથા વર્ષે ઓનર્સની ડિગ્રી મળશે.

આવું થવાથી અધુરો અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓને ફાયદો થશે. જેટલું ભણ્યા તેટલું પ્રમાણપત્ર મળશે. વિદેશ અભ્યાસનું આયોજન કરી રહેલા વિદ્યાર્થીઓને ક્રેડીટ ટ્રાન્સફર થશે. આમ વિદ્યાર્થીઓ માટે નેશનલ એજ્યુકેશન પોલીસી અત્યંત ઉપયોગી નિવડશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પહેલી યુનિવર્સિટી બની છે જ્યાં હવે નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

August 14, 2021
cia_edu-1280x925.jpg
1min525

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આ વર્ષે કોરોના પેન્ડેમિકને કારણે ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયામાં ભારે ધસારો થશે તેવી અટકળોથી વિપરીત ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન કરવા માટેની મુદત બબ્બે વખત લંબાવ્યા પછી પણ કોઇ જ ધસારો જોવા મળ્યો નથી. ઉલ્ટાનું પરિસ્થિત ગયા વર્ષ કરતા પણ નબળી જોવા મળી રહી છે.

ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદ્ત ત્રીજીવાર લંબાવીને તા.23 ઓગસ્ટ કરવામાં આવી

ગુજરાતમાં આવેલી ધો.10 પછીની ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોની કુલ 64,000 સીટોની સામે માત્ર 36,000 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવતા શનિવાર તા.14મી ઓગસ્ટે પૂર્ણ થઇ રહેલી મુદતની પૂર્વ સંધ્યાએ જ રજિસ્ટ્રેશન પ્રક્રિયા લંબાવીને તા.23મી ઓગસ્ટ કરી દેવામાં આવી છે.

આ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું માસ પ્રમોશન થયું હોવાને કારણે ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે હશે તેવી આશંકા હતી. આ આશંકાને કારણે ડિપ્લોમા કોર્સના પ્રવેશની પ્રક્રિયા વહેલી શરુ કરી દેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એડમિશન કમિટીએ અત્યાર સુધી બે વાર રજિસ્ટ્રેશનની ડેડલાઈન વધારી છે, પરંતુ અત્યાર સુધી માત્ર 36,000 જ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

વર્તમાન નિયમો અનુસાર, જે વિદ્યાર્થીઓએ 10મા ધોરણમાં ગ્રેસિંગ સાથે પરીક્ષા પાસ કરી હશે તેઓ એડમિશનના અમુક રાઉન્ડ સમાપ્ત થઈ જાય અને જો સીટો ખાલી હોય તો જ એડમિશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. ગ્રેસ માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે, માટે કોલેજોએ સરકારને વિનંતી કરી છે કે આ પ્રકારના વિદ્યાર્થીઓને પણ એડમિશનના પ્રથમ રાઉન્ડમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવે. કોલેજોની માંગ પર હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.

August 14, 2021
air-india.jpg
1min534

દેશની અંદર એક સ્થળેથી બીજા સ્થળે થતી હવાઇ મુસાફરી હવે મોંઘી થશે તેવું નાગરિક ઉડ્ડયન મંત્રાલયે Dt.13/08/2021 શુક્રવારે જણાવ્યું હતું.

ભાડાં પરની સૌથી વધુ અને સૌથી ઓછી ટોચમર્યાદા ૯.૮૩ ટકાથી વધારીને ૧૨.૮૨ ટકા કરવામાં આવી છે. માર્ચ ૨૦૨૦માં લાદવામાં આવેલા બે મહિનાના લૉકડાઉન પછી ૨૫ મે, ૨૦૨૦ના દિને હવાઇ સેવા ફરી શરૂ કરવામાં આવી હતી ત્યારે મહત્તમ અને લઘુતમ ભાડાની ટોચમર્યાદા જાહેર કરવામાં આવી હતી.

વિમાની કંપનીઓને નુકસાન ન જાય તે માટે લઘુતમ ભાડાની અને માગ વધુ હોય ત્યારે મુસાફરો પર વધુ બોજ ન આવે તે માટે આ બંને ટોચમર્યાદા લાદવામાં આવી હતી. સરકારે લાદેલી ભાડાં પરની ટોચમર્યાદામાં પેસેન્જર સિક્યોરિટી ફી, એરપોર્ટની યૂઝર ડેવલપમેન્ટ ફી અને જીએસટીનો સમાવેશ કરવામાં આવતો નથી. પ્રવાસી જ્યારે ટિકિટ બુક કરે ત્યારે વિવિધ ચાર્જ ઉમેરવામાં આવે છે. 

August 14, 2021
vaccine-1.jpg
1min451

 રસીકરણની ઝડપ વધે અને વધુને વધુ લોકોને ઓછા સમયમાં રસી આપી શકાય તે માટે હવે તે માટે ચોવીસે કલાક 24×7 આ પ્રક્રિયા ચાલુ રાખવાની જાહેરાત મધ્ય પ્રદેશ રાજ્યના આરોગ્ય ખાતાએ શુક્રવારે Dt.13/08/2021 કરી હતી. 

અગાઉ રાજધાની ભોપાલમાં કાત્જુ હૉસ્પિટલ અને રશિદિયા સ્કૂલમાં- બે જગ્યાએ આવી સુવિધા હતી. હવે રાજ્યના શિક્ષણ મંત્રી વિશ્ર્વાસ સારંગે ભોપાલ જિલ્લાના નરેલા વિસ્તારની સરદાર પટેલ સ્કૂલમાં પણ આ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે અહીં કોઇ પણ પ્રકારના ડૉઝ લેવાની સગવડતા હશે. આ માટે  સેન્ટર પર અથવા તો ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ થઇ શકશે. 

લોકોનું જલદીમાં જલદી રસીકરણ થાય એ માટે રાજ્ય સરકાર સખત મહેનત કરી રહી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.  સત્તાવાર અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં મધ્ય પ્રદેશમાં ૩ કરોડ ૬૬ લાખ ૮૬ હજાર ચારસો એક લોકોને રસી આપવામાં આવી છે. 

August 13, 2021
bilungualpic-2.jpg
4min1279

એવું જોવાયું છે, અનુભવાયું છે, વર્તાયું છે કે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યારે હાયર એજ્યુકેશનમાં જાય, પ્રવેશ પરીક્ષા આપે, સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસે ત્યારે તેમનું પરફોર્મન્સ નબળું પડતું જતું, કારણ એક જ હતું કે અંગ્રેજી. પ્રાથમિક શાળાના સ્તરથી જ અંગ્રેજીના બેઝિક શબ્દો કે જે આપણે વ્યવહારુ ભાષામાં પણ ઉપયોગ કરીએ છીએ એવા જ શબ્દો અભ્યાસક્રમમાં પણ હોય છે અને તેને બેઝિક ટર્મિનોલોજી કહેવાય છે. જેમકે ટેબલને આપણે ગુજરાતીમાં પણ ટેબલ કહીએ છીએ ભલે એ અંગ્રેજી વર્ડ હોય એવી જ રીતે મેડીકલ અને એન્જિનિયરિંગ સહિત તમામ ક્ષેત્રે બેઝિક વર્ડનું ગુજરાતી થતું નથી અને એ શબ્દો પારખવામાં, ઓળખવામાં ગુજરાતી વિદ્યાર્થીઓ થાપ ખાતા જોવા મળતા પરંતુ, સુરતની સાત શાળાઓએ શરૂ કરેલું દ્વિભાષી માધ્યમ હવે સમગ્ર ગુજરાતની સ્કુલો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારે પરવાનગી આપી છે કે દ્વિભાષી માધ્યમ એટલે કે અંગ્રેજી અને વિજ્ઞાન બે વિષયોને ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં ધો.12 સુધી અભ્યાસ કરાવવાનો જેથી કરીને વિદ્યાર્થીઓ ધો.12 પછી કોઇપણ ક્ષેત્રમાં બેઝિક ટર્મિનોલોજીને કારણે પછડાય નહીં.

આજરોજ સુરતમાં દ્વિભાષી માધ્યમ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં આ સમગ્ર કન્સેપ્ટ લાગૂ કરનાર સુરતની ભૂલકાવિહાર શાળા, ભૂલકાભવન સ્કુલ, સંસ્કારભારતી વિદ્યાલય સમેતની સ્કુલોના સંચાલકો અને ડો. રઇશ મણિયારે નીચે મુજબની માહિતી દ્વિભાષી માધ્યમ અંગે આપી હતી.

ગુજરાતના વાલીઓની એ કાયમની મૂંઝવણ રહી છે કે કે બાળકને માતૃભાષામાં ભણાવવું કે અંગ્રેજી માધ્યમમાં. વાલીઓની આ દ્વિધાનો ઉકેલ કાઢવા સુરતની 29 જેટલી શાળાઓએ ગ્લોબલ મિડિયમના નામથી એક નવા માધ્યમની મંજૂરી લઈ છ વરસ આ પ્રોજેક્ટ સફળતાથી ચલાવ્યો. 

2020માં આવેલી નવી શિક્ષણ નીતિમાં પણ દ્વિભાષી (માતૃભાષા અને અંગ્રેજી)  સજ્જતાની હિમાયત કરવામાં આવી હોવાથી ગુજરાતે સરકારે એક ક્રાંતિકારી નિર્ણય લઈ તા. 29 જુલાઈના રોજ એક પરિપત્ર બહાર પાડી આ વરસથી ગુજરાતમાં સ્વૈચ્છિક રીતે જે ખાનગી શાળાઓ ઈચ્છે તે મંજૂરી લઈ આ દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકે, એ મુજબનો નિર્ણય કર્યો છે.

શું છે આ દ્વિભાષી માધ્યમ?

દ્વિભાષી માધ્યમની મુખ્ય જોગવાઈ આ મુજબ છે.

1.  ગણિત અને વિજ્ઞાન દ્વિભાષી માધ્યમથી ભણાવવા.

2.  અંગ્રેજી વિષય શિક્ષણની ગુણવત્તા શરૂઆતથી સુધારવી. લિસનિંગ સ્પીકીંગ રીડીંગ રાઈટીંગ એ ક્રમમાં, એ પદ્ધતિથી અંગ્રેજી વિષય  શીખવવો.

3. અન્ય અભ્યાસ (ગુજરાતી સમાજવિદ્યા અન્ય ભાષા વગેરે વિષયો)પ્રવર્તમાન ગુજરાતી માધ્યમ પ્રમાણેજ કરાવવાનો રહે છે.

બાળક અભ્યાસની શરૂઆત માતૃભાષાથી કરે છે પરંતુ શરૂઆતથી અંગ્રેજી વિષય પણ હાયર લેવલનો ભણાવવામાં આવે છે. ગણિત અને વિજ્ઞાન ધોરણ ત્રણથી સાત સુધી દ્વિભાષી પુસ્તકોની મદદથી ભણાવવામાં આવે છે. ધોરણ આઠ નવ અને દસમાં ગણિત અને વિજ્ઞાનના વિષયો સંપૂર્ણ અંગ્રેજી થઈ જાય છે.

આમ દ્વિભાષી માધ્યમમાં ભણેલું બાળક માતૃભાષા દ્વારા પરંપરા સાથે જોડાયેલું પણ રહેશે અને વિશ્વભાષા પણ સારી રીતે શીખશે.

પ્રવર્તમાન માધ્યમો ચાલુ જ રહેશે

જે ખાનગી શાળાઓ સજ્જ અને તત્પર હોય સ્વૈચ્છિક ધોરણે, સરકારની મંજૂરી મેળવીને, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના ત્રીજા વિકલ્પ તરીકે આ દ્વિભાષી માધ્યમનો ઉપયોગ કરી શકે છે.પ્રવર્તમાન બન્ને માધ્યમો ચાલુ જ રહેશે. આ માધ્યમ સ્વૈચ્છિક અને વૈકલ્પિક છે. 

દ્વિભાષી માધ્યમનો ફાયદો શું?

શૈક્ષણિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ પણ શરૂઆતનો અભ્યાસ માતૃભાષામાં થાય એજરૂરી છે. સાથેસાથે બીજી ભાષા તરીકે અંગ્રેજીને જલદી શરૂ કરવી એ પણ એટલીજ જરૂરી છે તેમજ અંગ્રેજી શિક્ષણનીગુણવત્તાને સુધારવાની તાતી જરૂર છે. બાળકો બન્ને ભાષા (માતૃભાષા અને અંગ્રેજી) એક સાથે સારી રીતે શીખી શકે એમ હોવાથી એક ને અપનાવવા માટે બીજાની અવગણના કરવી જરૂરી નથી.  દ્વિભાષી માધ્યમના હાર્દ વિશે એકવાક્યમાં કહી શકાય કે જ્યારે ગુજરાતી અથવા અંગ્રેજી એદ્વિધા હોય તો ઉકેલ ગુજરાતી વત્તા અંગ્રેજીજ હોઈ શકે.

ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોના સાંપ્રતપ્રવાહો અને સંશોધનો વૈશ્વિકકક્ષાના હોય છે. એની સાથે તાલમિલાવવા અંગ્રેજી પરિભાષા અનિવાર્ય છે. તેમજ આગળ જતાં આ વિષયો વિદ્યાર્થીઓ અંગ્રેજી પરિભાષાનો ઉપયોગ કરીનેજ ભણવાના હોવાથી, શાળાકક્ષાએ બાળક આ બન્ને વિષયો દ્વિભાષી પદ્ધતિથી શીખે એ ઈચ્છનીય અને સલાહભર્યું છે. આમ કરવાથી વિદ્યાર્થી સમયસર વૈશ્વિકકક્ષાના જ્ઞાનની સાથે ખભા મિલાવી શકશે. આ પગલું લેવાથી વિદ્યાર્થી ગણિત અને વિજ્ઞાન વિષયને લગતાં અંગ્રેજીભાષામાં ઉપલબ્ધ વિશાળ જ્ઞાન સમુદ્રનો, સંદર્ભ સાહિત્યનો સારો લાભ ઉઠાવી શકશે.

સરકારે કયા મુદ્દાઓને આધારે મંજૂરી આપી?

સુરતની સાત શાળાના સફળ પ્રોજેક્ટનો થર્ડ પાર્ટી ઈવેલ્યુએશન રિપોર્ટ કરવામાં આવ્યો. ડો.વિનોદ જી પટેલની અધ્યક્ષતામાં એ રિપોર્ટના તારણો પોઝીટીવ હતા.

સરકાર આ પદ્ધતિની સમીક્ષા કરવા માટે શિક્ષણવિદ  ડો. રાજેંદ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એક સમિતિ નીમી. જેમા અગિયાર જેટલા તજજ્ઞોએ સાતેક જેટલી મીટીંગ કરીને ડો. રઈશ મનીઆરની રજૂઆતોને આધારે હકારાતમક રિપોર્ટ આપ્યો હતો તેમજ સુરતના  પૂર્વ ડી.ઈ.ઓ. શ્રી. યુ. એન. રાઠોડ વગરેના ધરખમ પ્રયાસોને પરિણામે સરકારને આ પદ્ધતિની ઉપયોગિતા સમજાઈ. માનનીય શિક્ષણ મંત્રી શ્રી. ભુપેંદ્રસિંહ ચુડાસમા, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરી બેન દવે, ભૂતપૂર્વ નાયબ શિક્ષણ મંત્રી નાનુભાઈ વાનાંણી તેમજ શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ તથા જી.સી.ઈ.આર.ટી.ના વડાશ્રી. ટી. એસ. જોશી તેમજ એમ.આઈ. જોશી તેમજ આ માટે તત્કાલીન સુરત D.E.O સાહેબશ્રી એચ. એચ. રાજ્યગુરુ તેમજ ડી.પી.ઈ.ઓ સાહેબશ્રી ડી.આર. દરજી સાહેબના  માર્ગદર્શનથી સરકારે આ દ્વિભાષી માધ્યમને રાજ્યવ્યાપી સ્વૈચ્છિક મંજૂરી આપવાનું નક્કી કર્યું. સરકારની સ્કૂલ ઓફ એક્સેલંસ શાળાઓમાં પણ આ માધ્યમ ક્રમશ: દાખલ કરાશે.

ખાનગી શાળાઓ દ્વિભાષી માધ્યમ કઈ રીતે શરૂ કરી શકે?

ગુજરાતની કોઈ પણ સજ્જ અને તત્પર ખાનગી શાળાઓ નીચેની શરતો પર દ્વિભાષી માધ્યમ શરૂ કરી શકે છે.

1. તેઓએ સરકારે મંજૂર કરેલ દ્વિભાષી માધ્યમના મોડેલનું પાલન કરવું પડશે.

2. તેઓએ તમામ સરકારી ઓનલાઈન તાલીમ શિબિરમાં ભાગ લેવો પડશે અથવા એમ ન થઈ શકે તો ખાનગી રીતે તેમની પોતાની તાલીમની વ્યવસ્થા કરવી પડશે.

3. તેઓએ તેમના અંગ્રેજી શિક્ષકોને દ્વિભાષી તાલીમ આપવી પડશે અને જો જરૂરી હોય તો નવા શિક્ષકોની ભરતી કરવી પડશે. જૂના શિક્ષકોને છૂટા કરી શકાશે નહીં,.

4. તેઓએ તેમના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોને સરકારે જાહેર કરેલા દ્વિભાષી માધ્યમના ધારાધોરણ પ્રમાણે તાલીમ આપવી પડશે.

5. તેઓએ નીચેના દસ્તાવેજો સાથે જીલ્લાશિક્ષણાધિકારીની પરવાનગી લેવી પડશે.

. ટ્રસ્ટીઓ દ્વારા ઠરાવ, કે “તેમને સૂચિત દ્વિભાષી માધ્યમ કોઈ વાંધો નથી અને તેઓ દ્વિભાષી માધ્યમ  

શરૂ કરવા અને એમાટેની સરકારે સૂચવેલી તમામ વ્યવસ્થાને અનુસરવા તૈયાર છે.”

બી. જે તે વર્ગના વાલીમંડળ દ્વારા ઉપર મુજબનો ઠરાવ.

સી. જે તે વર્ગના શિક્ષકો દ્વારા ઉપર મુજબનો દ્વારા ઠરાવ.

દ્વિભાષી માધ્યમ અંગે વિગતવાર માર્ગદર્શન ક્યાંથી મળશે

સુરતની શાળાઓ દ્વારા એક માર્ગદર્શક વેબસાઈટ શરૂ કરવામાં આવશે

https://bilingualmedium.in/

જેનાથી આ માધ્યમ વિશે સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળી રહેશે.

August 12, 2021
cia_windo-1-1280x793.jpg
1min492

ઘી સુરત ટેનીસ કલબમાં પ્રથમ વખત ઓપન ગુજરાત સ્નૂકર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત, વાપી, વલસાડ, વડોદરા, રાજકોટ, અમદાવાદના મળી કુલ ૧૨૫ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

આ ટુર્નામેન્ટમાં બિલીયર્ડમાં વિશ્વ નંબર સાતમાં ક્રમાંકિત અને ભારતના નંબર ટુ પ્લેયર ધ્વજ હરીયા તથા ગુજરાત સ્નુકરના નંબર પ્લેયર નિલેશ પ્રજાપતિ તથા ગુજરાત જુનીયર નંબર વન પ્લેયર રણવિરસિંઘે પાર્ટીસીપેન્ટ તરીકે ઉપસ્થિત રહેતા ટુર્નામેન્ટના આકર્ષણનું કેન્દ્ર પણ તેઓ બન્યા હતા.

ફાયનલમાં ધ્વજ હરીયા તથા નિલેશ પ્રજાપતિ વચ્ચે ભારે રસાકસી બાદ નિલેશ પ્રજાપતિ 5-૩ થી વિજેતા થયા હતા.

ટેનીસ કલબમાં ટુર્નામેન્ટ આયોજન કમિટીમાં ઈમરાન સાબુવાલા, મલેક ખોજા, આયુષ બુઘરાજાનએ ખૂબ જહેમતથી સફળતાપૂર્વક ટુર્નામેન્ટ પૂર્ણ કરાવી હતી.

ઈનામ વિતરણ કલબના પ્રમુખ નિલેશભાઈ શાહ, ઉપપ્રમુખ નિતિનભાઈ શાહ, માનદ મંત્રી વિપુલભાઈ જાગીરદાર, માનદ સહમંત્રી દક્ષેશભાઈ પારેખ, રવિન અસારાવાલા હસ્તે કરવામાં આવ્યું હતું,