જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ચોર્યાસી વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ માટે આજનો દિવસ ભાવુક બની રહ્યો હતો. આજે તેમણે તેમના સ્વર્ગીય પિતા અને કાંઠા વિસ્તારના લોકનેતા સ્વ. રાજાભાઇ (ડુમસ)એ સેવેલું એક સ્વપ્ન સાકાર કર્યાનો આત્મસંતોષ મેળવ્યો હતો.

પોતાના પિતાએ સેવેલા સ્વપ્ન અંગે ચોર્યાસી વિસ્તારના ધારાસભ્ય ઝંખનાબેન પટેલે જણાવ્યું હતું કે મારી બેઠકના પૂર્વ ધારાસભ્ય અને મારા પિતાશ્રી સ્વર્ગીય રાજાભાઈ પટેલનું સ્વપ્ન હતું કે હજીરા ગામના 47 જેટલા નવયુવાનો કે જેઓ જે તે સમયે એસ્સાર સ્ટીલ કંપનીમાં હંગામી કર્મચારીઓ તરીકે કાર્યરત હતા જે આજે AM/NS (આર્સેલર મિત્તલ-નિપ્પોન સ્ટીલ) કંપનીમાં પણ કાર્યરત છે. હજીરા કાંઠા વિસ્તારના આ યુવાનોને કંપનીમાં તમામ મળવા પાત્ર લાભો સાથે નોકરીમાં કાયમી કરવામાં આવે એ સ્વપ્ન મારા પિતા સ્વ. રાજાભાઇએ જોયું હતું. જેને આજે તા.20મી ઓક્ટોબર 2021ના રોજ પૂર્ણ થતા મને આત્મસંતોષ છે કે મારા પિતાના લોકકાર્યોને પૂર્ણ કરવામાં હું નિમિત બની શકું છું.

આજે હજીરા સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપની ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલના હસ્તે 23 જેટલા સ્થાનિક નવયુવાનો કે જેઓ એન્જીનિયરીંગ અને ડિપ્લોમા ડિગ્રી ધારકો ધરાવતા હતા તેમને કંપનીમાં કાયમી ધોરણે અને 24 જેટલા એન્જીનિયર્સને ટ્રેઇની તરીકે જોબ લેટર એનાયત કરવામાં આવ્યા હતા.





















