આજે 22/8/22, ભારતમાં કરન્સી બજારમાં એક ડોલરના ૭૯.૮૪ અને એક યુરોનો ભાવ ૭૯.૩૨ પૈસા રહ્યો હતો.
ડોલર સામે યુરોપીયન યુનિયનની કરન્સી યુરો નબળી પડી છે. બે દાયકામાં પ્રથમ વખત ડોલર સામે યુરો એકના સ્તરથી નીચે આવ્યો છે એટલે કે ૯૯ સેન્ટ બરાબર એક ડોલર જોવા મળી રહ્યો છે. યુરોની આ નબળાઈના કારણે ભારતીય ચલણમાં પણ ડોલર વધારે મજબૂત અને યુરો થોડો સસ્તો થયો છે.
યુરો સામે મોડી રાત્રે ભારતીય ચલણ ૭૯.૩૨ની સપાટીએ છે ભારતીયો માટે હંમેશા ડોલર કરતા યુરો મોંઘો રહ્યો છે પણ આજે પ્રથમ વખત બન્યું છે કે ડોલર મોંઘો થઇ ગયો છે અને યુરો સસ્તો થઇ ગયો હોય.
વૈશ્વિક બજારમાં યુરો ડોલર સામે ૦.૯૯૩૧, પાઉન્ડ ૧.૭૬૪ છે. યેન સામે ડોલર ૧૩૭.૪૩ની સપાટી છે. યેનની આ ત્રણ સપ્તાહની સૌથી નીચી સપાટી છે. વર્ષ ૧૯૯૯માં જયારે યુરો એક ચલણ તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેનો ભાવ ડોલર સામે ૧.૧૯ ડોલર હતો. અમેરિકામાં વર્ષ ૨૦૦૮ની આર્થિક કટોકટી સમયે ડોલર સામે યુરોનો ભાવ સૌથી ઉંચો ૧.૬૦ થયો હતો. ગત સપ્તાહે ડોલર સામે યુરો ગબડી ૦.૯૯૯૮ થયો હતો જયારે આજે તે ઘટી ૦.૯૯૩૧ થતા બે દાયકામાં સૌથી નીચી સપાટીએ પટકાયો છે. ડોલર સામે યુરો પટકાતા નોન ડીલીવરેબ ફોરવર્ડ માર્કેટ કે જે ભારતીય બજાર બંધ થયા પછી ખુલે છે તેમાં ડોલર કરતા યુરો ભારતીય ચલણ સામે સસ્તો થઇ ગયો હતો ભારતમાં આજે ડોલર સામે રૂપિયો ૭૯.૯૦ની સપાટીએ નરમ ખુલી દિવસના ઉપરના સ્તર ૭૯.૭૮ થઇ દિવસના અંતે ૭૯.૮૪ની આગળના દિવસના બંધ સામે સ્થિર બંધ આવ્યો હતો.
જાણિતા ઉદ્યોગપતિ મુકેશભાઇ પટેલ (ગ્રીન લેબ)ના સહયોગથી ડાયમંડ હોસ્પિટલ એક વર્ષ સુધી દૈનિક સરેરાશ 10 લેખે 3650થી વધુ દર્દીઓને બજારમાં 25થી 35 હજારની થતી ચિકિત્સા એક પણ રૂપિયો લીધા વગર પૂરી પાડવામાં આવશે
આગામી 17મી સપ્ટેમ્બરના રોજ આવી રહેલા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જન્મદિનની વાર્ષિક ઉજવણી કરવાનો નિર્ણય સુરતના જાણિતા ઉદ્યોગપતિ ગ્રીન લેબના મુકેશભાઇ પટેલની પ્રેરણા અને સૌજન્યશીલ સહયોગથી વરાછા ખાતે આવેલી ડાયમંડ હોસ્પિટલ મેનેજમેન્ટે લીધો છે. ડાયમંડ હોસ્પિટલમાં તા.17મી સપ્ટેમ્બર 2023 સુધી દંત ચિકિત્સા એટલે કે સ્ક્રિનિંગથી લઇને દાંતની જગ્યાએ ચોકઠા બેસાડી આપવા સુધીની ટ્રીટમેન્ટ (જેમાં ચોકઠા બનાવી આપવાનો ખર્ચ પણ સામેલ) બિલકુલ નિશુલ્ક પૂરી પાડવામાં આવશે, આર્થિક રીતે સ્થિતિ સારી ન હોય તેવા, 60 વર્ષથી ઉપરની ઉંમરના હોય એવા ભારતમાં ગમે તે સ્થળે રહેતા હોય તેવા જરૂરીયાતમંદ દર્દીઓને આ સુવિધા એકપણ રૂપિયો ચાર્જ લીધા વગર પૂરી પાડવામાં આવશે.
ડાયમંડ હોસ્પિટલની ફ્રી ડેન્ટલ ટ્રીટમેન્ટ સ્કીમમાં સુરતના જાણિતા હીરા ઉધોગપતિ, ગ્રીન ડાયમંડ લેબના શ્રી મુકેશભાઇ પટેલ આ સમગ્ર યોજનામાં તન, મન અને ધનથી સહયોગ કરી રહ્યા છે. તેમણે આ ડેન્ટલ ટ્રીટમેન્ટને ચહેરો ઉજવે આનંદ ઉત્સવ નામ આપ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી.વાનાણી અને ડેન્ટલ ટ્રીટમેન્ટ સ્કીમના કો-ઓર્ડિનેટર દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય, છેવાડાના લોકોની સુખાકારી માટે સેવાની ધૂણી ધખાવી છે, તેમની આ ઉમદા પ્રવૃતિમાં ડાયમંડ હોસ્પિટલ પણ પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ છે અને એટલે જ ડાયમંડ હોસ્પિટલમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે આવનારા એવા દર્દીઓ, સંજોગોવસાત જેમના દાંત પડી ગયા છે, દાંતના અભાવે ખોરાક યોગ્ય રીતે લઇ શકતા નથી અને તેના કારણે શારીરીક માનસિક તકલીફો સહન કરે છે તેવા દર્દીઓને તેમના જડબાને અનુરૂપ દાંતનું ચોકઠું બનાવી આપીને ફીટ કરી આપવા સુધીની તમામ તબીબી સુવિધા, મટીરીયલ સાથે બિલકુલ ફ્રી (નિશુલ્ક) આપવામાં આવશે.
ડાયમંડ હોસ્પિટલના સી.પી. વાનાણી અને દિનેશ નાવડીયાએ ઉમેર્યું કે અમને આશા છે કે પ્રતિદિન સરેરાશ 10 દર્દીઓ સુરત ડાયમંડ હોસ્પિટલમાં આ ટ્રીટમેન્ટ લેવા આવશે તો એક વર્ષમાં 3650 જેટલા દર્દીઓને અમે બિલકુલ નિશુલ્ક ડેન્ટલ ટ્રીટમેન્ટ આપી શકીશું. બજારમાં આ ડેન્ટલ ટ્રીટમેન્ટના કમસે કમ રૂ.25થી 35 હજાર સુધીના ચાર્જ છે.
ચેમ્બર દ્વારા ‘યાર્ન એકસ્પો –ર૦રર’નું ત્રિદિવસીય ભવ્ય પ્રદર્શન
ભારતમાંથી ૮૬ એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લઈ રહયા છે, દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિક વિગેરેની સાથે સ્પેશિયલ વેરાયટી યાર્ન જેવા કે એન્ટીબેકટેરિયલ યાર્ન, ઇમીટેટ સિલ્ક યાર્ન, ગ્રેનાઇટ યાર્ન અને રિસાયકલ યાર્ન વિગેરે પ્રદર્શિત થશે, ત્રણ મહિના પહેલાં જ સુરતમાં શોધાયેલી રાસલ જરી અને સ્પાર્કલ નીમ જરી પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦રર–ર૩ ના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એકસ્પો– ર૦રર’ નું આયોજન આગામી તા. ર૦, ર૧ અને રર ઓગષ્ટ, ર૦રર દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સુરતના ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી શકે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. ચેમ્બર દ્વારા આ વર્ષે યાર્ન એકસ્પોનું ચોથું એડીશન રજૂ કરવામાં આવી રહયું છે. જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિક વિગેરેની સાથે સ્પેશિયલ વેરાયટી યાર્ન જેવા કે એન્ટીબેકટેરિયલ યાર્ન, ઇમીટેટ સિલ્ક યાર્ન, ગ્રેનાઇટ યાર્ન અને રિસાયકલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરાશે.
ખાસ કરીને ત્રણ મહિના પહેલાં જ સુરતમાં શોધાયેલી રાસલ જરી અને સ્પાર્કલ નીમ જરી પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સુરત ઉપરાંત દક્ષિણ ભારતના શહેરો તમિળનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના વિવર્સ સાડી બનાવવામાં તેનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત હોમ ફર્નીશિંગ ટેકસટાઇલમાં કર્ટેન અને રગ્સ વિગેરેમાં આ જરીનો ઉપયોગ થાય છે. યાર્ન એકસ્પોમાં પ્રદર્શિત થનારા નવા યાર્ન, ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીને તથા સુરતમાં ડેવલપ થઇ રહેલી ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને નવા ફેબ્રિકસ મારફત નવી ઊંચાઇએ લઇ જશે.
વિશ્વના જુદા–જુદા દેશો જેવા કે અલ્જેરીયા, બાંગ્લાદેશ, ઇજિપ્ત, નેપાલ અને સુદાનથી જેન્યુન બાયર્સ યાર્ન પ્રદર્શનની મુલાકાતે આવશે. તદુપરાંત દેશમાંથી ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરે ૮૧ જેટલા શહેરોમાંથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સ દ્વારા યાર્ન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવશે. ગત વર્ષે યોજાયેલા યાર્ન એકઝીબીશનમાં એકઝીબીટર્સને રૂપિયા પ૦૦ કરોડનો બિઝનેસ જનરેટ થયો હતો ત્યારે આ વર્ષે પણ આશરે રૂપિયા પ૦૦ કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થાય તેવી આશા છે.
શનિવાર, તા. ર૦ ઓગષ્ટ, ર૦રર ના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યાર્ન એકસ્પોનું ઉદ્ઘાટન કરાશે. જેનો ઉદ્ઘાટન સમારોહ પ્લેટીનમ હોલમાં યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તથા ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેનાર દેશના કેન્દ્રીય ટેકસટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે યાર્ન એક્ષ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં મુંબઇ સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પોલિએસ્ટર ચેઇનના પ્રેસિડેન્ટ આર.ડી. ઉદેશી અને વાઇસ પ્રેસિડેન્ટ જે. રઘુનાથ તથા સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની (આઇ.એ.એસ.), સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર (આઇ.પી.એસ.) અને સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ વિશેષ અતિથિ તરીકેનું સ્થાન શોભાવશે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન અંદાજે ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફૂટ એરિયામાં યોજાશે. જેમાં ૮૬ જેટલા એકઝીબીટર્સ ભાગ લઇ રહયા છે. સુરત ઉપરાંત અમદાવાદ, વલસાડ, સિલવાસા, મેરઠ, મુંબઇ, સાલેમ, ચેન્નાઇ, કોઇમ્બતુર, ઇરોડ, હુગલી, હૈદરાબાદ અને સિકંદરાબાદના એકઝીબીટર્સોએ પ્રદર્શનમાં ભાગ લીધો છે.
યાર્ન એકસ્પો– ર૦રર ના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેનમેડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલીસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરનાર છે. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલેન્જ જેવા વિવિધ સ્પેશિયાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેનાર છે.
યાર્ન એકસ્પો– ર૦રર ના કો–ચેરમેન ઉમેશ ક્રિષ્ણાનીએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે યાર્ન એકસ્પોનું ચોથું એડીશન યોજાઇ રહયું છે. પ્રથમ વખત સૌથી વિશાળ એરિયામાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેને કારણે આશરે ર૦ હજારથી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે.
યાર્ન એકસ્પોમાં નીચે મુજબના વિશિષ્ટ યાર્ન પ્રદર્શિત કરવામાં આવશે.
પહેલા બે મેચમાં એકતરફી જીત હાંસલ કરનાર ભારતીય ટીમ સોમવારે રમાનાર આખરી વન ડેમાં પણ ઝિમ્બાબ્વેને હરાવીને સુપડાં સાફ કરવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ત્રીજો મુકાબલો પણ એ જ મેદાન હરારે સ્પોર્ટસ કલબ ખાતે અને એ જ સમયે એટલે કે 12-4પથી શરૂ થશે. આ જ મેદાન પર પહેલા બે મેચ રમાયા હતા. જેમાં ભારતીય ટીમે દરેક ક્ષેત્રમાં ઝિમ્બાબ્વેની ટીમને પરાસ્ત કરી હતી. ત્રીજા મેચમાં પણ કહાની બદલવાની સંભાવના નથી. ઝિમ્બાબ્વેની ટીમ આ વન ડે શ્રેણીમાં અત્યાર સુધી ટીમ ઇન્ડિયા સામે તદ્દન નબળી સાબિત થઈ છે.
ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વિશ્વ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ ત્રીજા મેચમાં પ્રયોગ ચાલુ રાખી શકે છે. યુવા ખેલાડીઓ મોકાનો પૂરો લાભ લઈ રહ્યા છે. જો કે કાર્યવાહક સુકાની કેએલ રાહુલનું બેટ હજુ સુધી બોલ્યું નથી. ભારતીય બોલરોએ બન્ને મેચમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ કાતિલ બોલિંગ કરી છે અને 189 અને 161 રનમાં ગૃહ ટીમનો સંકેલો કર્યો છે. પ્રતિભાશાળી શુભમન ગિલે બન્ને મેચમાં રન કર્યા છે. ત્રીજા મેચમાં તે વધુ એક મોટી ઇનિંગ રમવા ઇચ્છશે.
કપ્તાન રાહુલ ફરી એકવાર ઓપનિંગમાં આવી શકે છે. આ વખતે તેની સાથે કદાચ અનુભવી ધવન સાથીદારનાં રૂપમાં જોવા મળી શકે છે. ઇશાન કિશનને વધુ એક મોકો મળી શકે છે. ખાસ કરીને ભારતીય બોલર્સ દીપક ચહર, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણા, અક્ષર પટેલ સામે ઝિમ્બાબ્વેના બેટધરોની ફરી કસોટી થશે. હોમ ટીમને તેના સ્ટાર બેટર્સ સિકંદર રઝા અને સીન વિલિયમ્સ પાસેથી સારા દેખાવની આશા રહેશે.
ઇન્ડીયન મેડીકલ એસોસીએશન IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટની 2 પોસ્ટ માટે આજરોજ તા.21મી ઓગસ્ટ 2022ને રવિવારે યોજાયેલી ચૂંટણી તબીબી આલમ સમેત શિક્ષણ જગતના લોકોમાં ખાસ્સી ચર્ચાસ્પદ બની હતી. કેટલાક જાણિતા તબીબોએ આ ચૂંટણીમાં પોતાના ઉમેદવારને જીતાડવા માટે અદ્દલ રાજકીય સ્ટાઇલથી ચૂંટણી લડી હતી પરંતુ, આખરે પરીણામ તેમની ધારણાથી વિપરીત આવ્યું હતું.
ઇન્ડીયન મેડીકલ એસોસીએશન સુરતના પ્રમુખ સમેતના અન્ય હોદ્દેદારો માટે સર્વસંમતિ સધાઇ ચૂકી હતી પરંતુ, વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે સર્વસંમતિ નહીં સધાતા આજે ચૂંટણી યોજાઇ હતી.
IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટની 2 પોસ્ટ માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં શહેરના જાણિતા સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડો. દિપ્તી પટેલ (લવ એન્ડ કેર હોસ્પિટલ), ડો. હિરેન મકવાણા અને ડો. સુરેન્દ્ર પ્રજાપતિનો સમાવેશ થાય છે. આજે સવારથી નાનપુરા સ્થિત દિલીપ પરેશ રોટરી હોલ ખાતે થયેલા મતદાન બાદ સાંજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
મતગણતરીના અંતે રાંદેર રોડ તાડવાડી ખાતે હોસ્પિટલ ધરાવતા ગાયનેકોલોજીસ્ટ ડો.દિપ્તી પટેલને કુલ 971 મતો મળ્યા હતા. IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટની દ્વિતીય પોસ્ટ માટે ડો. હિરેન મકવાણાને 859 મતો મળ્યા હતા. જ્યારે ડો. સુરેન્દ્ર પ્રજાપતિને 357 મતો મળ્યા હતા.
IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટ માટેની ચૂંટણી ટાળી શકાઇ હોત, પરંતુ, કેટલાક તબીબોને ડો. દિપ્તી પટેલ વાઇસ પ્રેસિડેન્ટ બને તે સ્વીકાર્ય ન હતું. આથી પરાણે ચૂંટણી યોજવી પડી હતી. જેમાં ડો. દિપ્તી પટેલ હાઇએસ્ટ મતથી ચૂંટાઇને IMA સુરતના વાઇસ પ્રેસિડેન્ટ પદે ચૂંટાઇ આવ્યા છે.
ધો.12 બાયોલોજી ગ્રુપના વિદ્યાર્થીઓ અને નીટ બેઝ સિવાયના કોર્સમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. ગુજરાત સરકારની એડમિશન કમિટીએ ફિઝિયોથેરાપી, નર્સિંગ, ઓપ્ટોમેટ્રી જેવા નોન નીટ અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહીની જાહેરાત કરી છે. તા.25મી ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ તમામ પ્રક્રિયા ઓનલાઇન જ રહેશે.
વધુ માહિતી માટે નીચે મુજબની સરકારની જાહેરાત વાંચવી.
દ્વારકા, ડાકોર, શામળાજી અને અમદાવાદ, સુરત સહિતના ક્રિષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણીનો થનગનાટ
બે વર્ષના અંતરાલ બાદ આજે તા.19મી ઓગસ્ટ 2022ના રોજ વહેલી પરોઢથી જ ગુજરાતનાં કૃષ્ણમંદિરોમાં હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી શરૂ થઇ ચૂકી છે.
કૃષ્ણ જન્મોત્સવ પર્વની ઉજવણી માટે દ્વારકા, ડાકોર, શામળાજી અને અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદિરમાં તેમ જ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના મંદિરમાં ભાવિકો જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં ભાગ લેવા માટે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ પહોંચી ચૂક્યા છે.
કોરોનાના કારણે બે વર્ષથી ધામધૂમપૂર્વક ઉજવણી થઈ શકી નહોતી, જેથી આ વર્ષે કૃષ્ણ જન્મોત્સવને લઈને ભાવિકોમાં ઉત્સાહ છે.
દ્વારકામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ
દ્વારકામાં જન્માષ્ટમી પર્વ સુખરૂપ રીતે ઊજવાય એ માટે ૧૨૦૦થી વધુ પોલીસનો કાફલો તહેનાત કરવામાં આવ્યા છે. દ્વારકામાં ભાવિકોને કીર્તિ સ્તંભથી એન્ટ્રી આપવામાં આવી રહી છે અને ૫૬ સીડી થઈને મંદિરમાં દર્શન કરવાની વ્યવસ્થા કરાઈ છે. મંદિરમાં ૨૦ ફુટનો સભામંડપ પણ બનાવાયો છે, જ્યાંથી પ્રભુની ઝાંખી થઈ શકશે.
સિનિયર સિટિઝન્સ માટે પોલીસની ‘સી’ ટીમ તૈયાર હશે અને એ વ્હીલચૅરમાં લઈ જઈને તેમને દર્શન કરાવશે. મંદિરમાં મોબાઇલ કે કૅમેરા અલાઉ નથી.
શામળાજીમાં ચૂસ્ત વ્યવસ્થાતંત્ર
શામળાજી મંદિરના મૅનેજર કનુ પટેલે જણાવ્યું હતું કે ‘પ્રભુના જન્મોત્સવની તૈયારીઓ થઈ ચૂકી છે અને ભક્તિભાવથી જન્માષ્ટમી પર્વની ઉજવણી મંદિરમાં થશે. આ પ્રસંગે સમગ્ર મંદિર તેમ જ ગામને આસોપાલવના અને આંબાના તોરણથી શણગારવામા આવશે. બપોરે વરઘોડો નીકળશે અને મટકીફોડનો કાર્યક્રમ યોજાશે, જ્યારે રાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવ હર્ષોલ્લાસથી ઊજવાશે.’
અમદાવાદમાં આવેલા ભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી ભાગવતઋષિએ કહ્યું કે ‘અહીં મંદિરમાં બે દિવસ પર્વનું આયોજન કરવામાં આવ્યુ છે. આજે વહેલી સવારથી જ જન્માષ્ટમી પર્વને અનૂરૂપ ઉજવણી શરૂ થઇ ચૂકી છે જે આખો દિવસ ચાલશે. ધાર્મિક સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે અને બીજા દિવસે નંદ મહોત્સવ ઊજવાશે.
– મરીનનો દાવોઃ મેં દરેક કાયદેસર બાબત કરી છે કશું અણછાજતું કર્યું નથી
નવી દિલ્હી : ફિનલેન્ડની વડાપ્રધાન સના મરીનનો દારુ પીને પાર્ટી કરતો વિડીયો વાઇરલ થતાં વિવાદ સર્જાયો છે. ફિનલેન્ડના વિપક્ષી નેતાઓએ વિડીયોને લઈને સના મરીનના ફરતે સકંજો કસવો શરુ કર્યો છે. તેમના ડ્રગ ટેસ્ટની પણ માંગ કરવામાં આવી રહી છે.
જો કે સના મરીને આનો બચાવ કરતા જણાવ્યું છે કે તેણે પાર્ટી દરમિયાન ફક્ત દારુનું સેવન કર્યુ હતુ. સોશિયલ મીડિયા પર સના મરીનનો જે વિડીયો વાઇરલ થઈ રહ્યો છે તેમા તે પોતાના મિત્રો સાથે ગાતા અને નાચતા નજરે આવી રહી છે. વિડીયોને લઈને સોશિયલ મીડિયા પર જાતજાતના પ્રત્યાઘાતો આવી રહ્યા છે.
સના મરીને લીક થયેલા વિડીયો અંગે જણાવ્યું હતું કે તેમને ખબર છે કે તેમનો વિડીયો બનાવવામાં આવી રહ્યો હતો, પરંતુ વિડીયો પબ્લિકમાં લીક થવાથી હું દુઃખી છું. તેમણે જણાવ્યું હતું કે મેં પાર્ટી કરી છે, ડાન્સ કર્યો છે અને ગાયુ પણ છે. આમ મેં બધી કાયદેસરની વસ્તુ કરી છે. ડ્રગ્સ પરના આરોપો અંગે તેણે જણાવ્યું હતું કે મારે ડ્રગ્સ લેવું પડયુ હોય તેવો સમય આવ્યો નથી. હું કોઈ ડ્રગ્સ સેવન કરનારને જાણતી પણ નથી.
મરીને પત્રકારો સાથે વાત કરતા બચાવ કરતા જણાવ્યું હતું કે મારું પણ એક કૌટુંબિક જીવન છે, પ્રોફેશનલ જીવન છે અને આ સિવાય થોડો ખાલી સમય પણ છે જે મિત્રો સાથે તે વીતાવી શકે. મરીને આગળ જણાવ્યું હતું કે તેને લાગે છે કે તેણે તેની વર્તણૂકમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવો જરૂરી નથી.
જો કે વિપક્ષે આ મુદ્દે મરીન પર પરોબરના આકરા પ્રહારો કર્યા છે. તેઓનું કહેવું છે કે મરીનનો ડ્રગ ટેસ્ટ થવો જોઈએ.
કેટલાક બીજા વિપક્ષી નેતાઓએ તો રાષ્ટ્રના બીજા મુદ્દાઓને બદલે મરીનના ડાન્સને લક્ષ્યાંક બનાવવા બદલ મીડિયાને પણ ટાર્ગેટ કર્યુ હતુ.
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે નદી-નાળામાં નવા નીર આવ્યા છે. નર્મદા નદીમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થઈ રહી છે. અંબાજીમાં પણ વરસાદી માહોલ છે. ભારે વરસાદના કારણે રજાઓના સમયમાં ફરવા માટે નીકળેલા લોકોને પણ વરસાદના કારણે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. સારા વરસાદના લીધે ખેડૂતોમાં ખુશીની લાગણી છે તો ક્યાં લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં લાંબાગાળા સુધી વરસાદ પડે એવી શક્યતા છે. 31 ઓગસ્ટ સુધી ગુજરાત, પશ્ચિમ બંગાળના વિસ્તાર સહીત કેરળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, આસામ, બિહારમાં વરસાદની શક્યતા રહેલી છે. તો 1-09-2022થી 23-10-2022 સુધી કચ્છ, સૌરાષ્ટ્ર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. આ સિવાય આ જ સમયગાળા દરમિયાન ગોવા, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, રાંચી, કાવેરી નદીનો ભાગ, દક્ષિણના ભાગોમાં વરસાદની શક્યતા છે.
ગુજરાતભરમાં ચોમાસું ફરી એકવાર એક્ટિવ થયું છે. ત્રીજા રાઉન્ડ દરમિયાન અમદાવાદ સહિત આસપાસના વિસ્તારો અને મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર થઈ રહી છે.
હવામાન વિભાગ દ્વારા ફરી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન અંગે આગાહી કરવા માટે જાણીતા અંબાલાલ પટેલે પણ રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
અરબી સમુદ્રમાં બનેલી લો પ્રેશરની અસર પણ ગુજરાતના હવામાન પર પડી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.