સ્મશાનભૂમિમાં લાકડાથી જ અંતિમ સંસ્કારનો આગ્રહ નહીં રખાય
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
આજનો જમાનો એ સંગઠન શક્તિનો જમાનો છે. જ્ઞાતિ-સમાજોના મંડળો સંગઠિત થઇ રહ્યા છે અને સમાજના વિશાળ સંગઠનના માધ્યમથી અનેક અશક્ય જણાતા રચનાત્મક કાર્યો, સામાજિક પરિવર્તનો થઇ રહ્યા છે. દારુબંધી, વ્યસન મુક્તિ, જ્ઞાતિમાં પ્રવર્તમાન કુરિવાજો, લગ્ન પ્રસંગના ભપકાદાર ખર્ચાઓ વગેરેનું બિનજરૂરી દૂષણ સમાજ દ્વારા દૂર કરવામાં આવ્યાના અનેક દાખલા છે. પણ સૂરત સ્થિત તેરાપંથ સમાજે એક એવો સંકલ્પ જાહેર કરીને સમગ્ર હિન્દુ સંસ્કૃતિમાં દાખલો બેસાડ્યો છે કે તેરાપંથ સમાજના લોકોમાં કોઇનું મૃત્યુ થાય તો મૃતદેહને લાકડામાં બાળવાનો દુરાગ્રહ નહીં રાખતા સ્મશાનગૃહમાં ઉપલબ્ધ ગેસની ભઠ્ઠી કે ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવશે.

આ અંગેનો સંકલ્પ તેરાપંથ સમાજે તા.20મી ઓક્ટોબર 2019ના રોજ સૂરતના સિટીલાઇટ ખાતે આવેલા તેરાપંથ ભવનમાં મુનિ શ્રી કમલકુમારની નિશ્રામાં યોજાયેલા વિશાળ સભામાં યોજવામાં આવી છે.
એ પૂર્વે તા.17મી ઓક્ટોબર 2019ના રોજ પત્રકાર પરીષદમાં મુની શ્રી કમલકુમારે વિશાળ મેદનીને સંબોધતા કહ્યું હતું કે પરિવર્તન સંસારનો નિયમ છે. પરિવર્તન બધે જ સમયસંજોગોને આધિન કરવું પડે છે અને પરિવર્તનને અપનાવવું પડે છે. સામાજિક ઉત્થાન હોય કે કુદરતની રક્ષા કરવા માટે હકારાત્મક પરિવર્તન માટે સમાજ અને સમાજના લોકોએ અગ્રેસર રહેવું જોઇએ.
મુનિશ્રી કમલકુમારે કહ્યું કે આજે જંગલો ખતમ થઇ રહ્યા છે, જંગલ નહીં હોય તો પૃથ્વી, પ્રકૃતિ, વાતાવરણ વિનાશ માર્ગે જશે. જંગલો, વૃક્ષો નહીં હોય તો વરસાદ નહીં પડે, માનવ જીવન આના વગર કલ્પી શકાશે નહીં. આથી જંગલો, વૃક્ષો બચાવવા માટે લાકડાનો બને તેટલો ઉપયોગ ઓછો કરવો જરૂરી થઇ પડ્યો છે. તેમણે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાના ઉપયોગનો દુરાગ્રહ છોડવાની હિમાયત કરતા કહ્યું હતુ કે આ એક સમાજ કે જ્ઞાતિની વાત નથી પણ જનસામાન્યની વાત છે.
તેરાપંથ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઇ બોથરાએ કહ્યું કે સ્મશાનભૂમિમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર લાકડાની જગ્યાએ ઉપલબ્ધ ઇલેક્ટ્રીક કે ગેસ ભઠ્ઠીમાં કરવા અંગે મોટા પાયે લોકજાગૃતિ પ્રસરાવવાની તાતી જરૂરીયાત છે.
અગ્રણી ભરતભાઇ શાહે કહ્યું કે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાનો ઉપયોગ નહીં થાય અને વૃક્ષોને બચાવવા માટે નાના નાના ગામડાઓથી લઇને નાના શહેરોમાં ઇલેક્ટ્રીક કે ગેસથી ચાલતા સ્મશાનગૃહો તૈયાર કરવાની આવશ્યકતા છે.
સેવા સમાજ ફાઉન્ડેશન
સેવા સમાજ ફાઉન્ડેશનના શ્રી અશોકભાઇ ગોયેલએ જણાવ્યું કે વૃક્ષો બચાવવા માટે હવે યુદ્ધના ધોરણે પ્રયાસો જરૂરી થઇ પડ્યા છે. સમયનો તકાજો છે કે જો વૃક્ષો નહીં હશે તો વાતાવરણ નહીં અને વાતાવરણ નહીં હોય તો માનવ જીવન શક્ય નથી. તેમણે મૃતદેહોના અંતિમ સંસ્કારમાં લાકડાની જગ્યાએ ગેસ ભટ્ઠી કે ઇલેક્ટ્રીક ભટ્ઠીના ઉપયોગ અંગે જનજાગૃતિ પ્રસરાવવામાં સેવા સમાજ ફાઉન્ડેશન મોટા પાયે કામ કરશે એમ જણાવ્યું હતું.





















