CIA ALERT

Blog - Page 9 of 707 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 9, 2026
Cia_business_news-1280x936.jpg
1min114
  • ભેદવાડ ખાડીના ઓવરફ્લોથી પાંડેસરા જીઆઇડીસીમાં ઉત્પાદન ઠપ
  • 20થી વધુ ડાઇંગ-પ્રિન્ટિંગ મિલોમાં 5થી 7 ફૂટ પાણી ઘૂસ્યાં, સીઇટીપી અને પમ્પિંગ સ્ટેશન બંધ થતાં 125થી વધુ મિલો ત્રણ દિવસથી બંધ

પાંડેસરા જીઆઇડીસીને અડીને આવેલી ભેદવાડ ખાડીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ગત 6 જુલાઇથી પાણીનો આવરો શરૂ થયો હતો. જોતજોતામાં છેલ્લા અંદાજે 75 વર્ષમાં ન આવ્યું હોય તેટલું પાણી ખાડીમાં આવતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. ભેદવાડ ખાડીની વહન ક્ષમતા વર્ષોથી ઘટી જવા ઉપરાંત અનેક સ્થળોએ થયેલા દબાણો અને બોટલનેક જેવી સ્થિતિના કારણે પાણીનો નિકાલ ઝડપી થઈ શક્યો નહોતો. પરિણામે ખાડીમાંથી પાણી ઓવરફ્લો થઈ પાંડેસરા જીઆઇડીસીના ઔદ્યોગિક વિસ્તારમાં ફરી વળ્યું હતું.

આ અચાનક આવેલા પૂરના કારણે પાંડેસરા જીઆઇડીસીની 20થી વધુ ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલોમાં પાંચથી સાત ફૂટ સુધી પાણી ઘૂસી જતાં મશીનરી, કાચો માલ, તૈયાર માલ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમને વ્યાપક નુકસાન થયું છે. અનેક મિલોમાં ઉત્પાદન માટે જરૂરી સાધનો પાણીમાં ડૂબી જતાં ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે.

પૂરની સૌથી ગંભીર અસર પાંડેસરા જીઆઇડીસીના પમ્પિંગ સ્ટેશન તથા કોમન એફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (સીઇટીપી) પર જોવા મળી છે. પમ્પિંગ સ્ટેશન અને સીઇટીપીમાં ચાર ફૂટથી લઈને છથી સાત ફૂટ સુધી પાણી ભરાઈ જતાં સમગ્ર સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ છે. પાણી પમ્પિંગ માટે ઉપયોગમાં લેવાતા સબમર્સિબલ પંપ, મોટરો અને અન્ય મહત્વપૂર્ણ મશીનરી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતાં સમગ્ર પમ્પિંગ વ્યવસ્થા બ્રેકડાઉન થઈ ગઈ છે.

સીઇટીપીની ઓફિસોમાં પણ પાણી ઘૂસી જતાં ફર્નિચર, દસ્તાવેજો તથા અન્ય ઓફિસ સાધનોને નુકસાન થયું છે. પ્લાન્ટની મશીનરી ઉપરાંત ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમને પણ પારાવાર નુકસાન પહોંચ્યું હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું. મશીનરીને ફરી કાર્યરત કરવા માટે મોટા પાયે સમારકામ અને ઇલેક્ટ્રિકલ ટેસ્ટિંગની જરૂર પડશે.

સીઇટીપી અને પમ્પિંગ સ્ટેશન છેલ્લા ત્રણ દિવસથી સંપૂર્ણપણે બંધ હોવાથી પાંડેસરા જીઆઇડીસીની 125થી વધુ ડાઇંગ, પ્રિન્ટિંગ અને પ્રોસેસિંગ મિલો પાસે ઉત્પાદન બંધ રાખવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. એફ્લ્યુએન્ટના નિકાલની વ્યવસ્થા બંધ હોવાથી પર્યાવરણના નિયમોનું પાલન કરવા તમામ એકમોએ કામગીરી સ્થગિત કરી છે. ત્રણ દિવસથી ઉત્પાદન ઠપ રહેતાં ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

ઉદ્યોગકારોએ ભેદવાડ ખાડીનું ડીપનિંગ, પહોળાઈ વધારવાની કામગીરી અને દબાણો દૂર કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમના મતે જો ખાડીની વહન ક્ષમતા સમયસર વધારવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ ભારે વરસાદ દરમિયાન આવી જ સ્થિતિ સર્જાઈ શકે છે.

સીઇટીપી અને અમૃતવનમાં 60 હજારથી વધુ છોડ-ઝાડ પાણીમાં ગરકાવ

ભારે વરસાદ અને પૂરના પાણીના કારણે પાંડેસરા જીઆઇડીસીના સીઇટીપી કેમ્પસ તેમજ અમૃતવન વિસ્તારમાં મળીને અંદાજે 60 હજારથી વધુ છોડ અને ઝાડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતાં હરિયાળી પ્રોજેક્ટને પણ ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પાણી ઓસર્યા બાદ છોડને બચાવવા માટે વિશેષ જાળવણી અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવશે.

તમામ મિલોને એક મહિના માટે સીઇટીપીના ઓપરેશન-મેઇન્ટેનન્સ ચાર્જમાં 50 ટકા રાહત

ભારે વરસાદ અને પૂરના કારણે પાંડેસરા જીઆઇડીસીના ઉદ્યોગોને પડેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સીઇટીપી સંચાલન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી તમામ મિલોને એક મહિના માટે સીઇટીપીના ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ (ઓ. એન્ડ એમ.) ચાર્જિસમાં 50 ટકા રાહત આપવામાં આવશે. આ રાહત માટે કોઈ મિલને નુકસાન થયું છે કે નહીં તે માપદંડ રાખવામાં આવ્યો નથી. પાણી ભરાવાની સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જીઆઇડીસીની તમામ મિલોને સમાન રીતે આ રાહતનો લાભ આપવામાં આવશે. આ નિર્ણયથી પૂરગ્રસ્ત ઉદ્યોગોને આર્થિક રીતે થોડી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

July 8, 2026
Cia_business_news-1280x936.jpg
1min97

રિંગરોડથી સારોલી સુધી અનેક માર્કેટોના બેઝમેન્ટમાં વરસાદી પાણી ઘૂસ્યાં; લાખોના સાડી-ડ્રેસ મટિરિયલના સ્ટોકને નુકસાન, પ્રાથમિક સર્વે બાદ જ નુકસાનનો સાચો અંદાજ આવશે

CiA Live ન્યુઝ વેબ

સુરતમાં થયેલા ભારે વરસાદ બાદ શહેરના રિંગરોડ, કમેલા દરવાજા, લિંબાયત, પરવટ પાટિયા, સારોલી, પૂણા સહિતના ટેક્સટાઇલ હબ વિસ્તારોમાં આવેલી અસંખ્ય માર્કેટોના બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાઈ જતાં ટેક્સટાઇલ વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તૈયાર સાડીઓ, ડ્રેસ મટિરિયલ તથા અન્ય કાપડના મોટા પ્રમાણમાં રાખવામાં આવેલા સ્ટોક પાણીમાં પલળી જતાં વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે. જોકે નુકસાનનું વાસ્તવિક ચિત્ર આવતીકાલથી સ્પષ્ટ થશે, જ્યારે વેપારીઓ બેઝમેન્ટમાંથી પલળેલો માલ બહાર કાઢવાની કામગીરી શરૂ કરશે.

વેપારી સંગઠનોના સૂત્રોના જણાવ્યા મુજબ આજે દિવસભર વિવિધ માર્કેટોના બેઝમેન્ટમાંથી પમ્પ દ્વારા ડી-વોટરિંગ કરીને પાણી બહાર કાઢવાની કામગીરી ચાલી હતી. અનેક સ્થળોએ કલાકો સુધી પાણી ભરાયેલું રહેતાં માલસામાનને ભારે અસર પહોંચી હોવાનું માનવામાં આવે છે. હાલ તંત્ર તેમજ વેપારી સંસ્થાઓ માટે સૌથી પ્રથમ પ્રાથમિક સર્વે કરાવવો જરૂરી બન્યો છે, જેથી કઈ માર્કેટમાં કેટલી દુકાનો અને ગોડાઉનોને અસર થઈ છે તથા કુલ નુકસાનનો અંદાજ મેળવી શકાય.

ટેક્સટાઇલ વેપારીઓ માટે સૌથી મોટી ચિંતા વીમા સુરક્ષાની છે. વર્ષ 2006ના ઐતિહાસિક પૂર બાદ મોટાભાગની વીમા કંપનીઓએ બેઝમેન્ટમાં આવેલી નવી દુકાનો અને ગોડાઉનો માટે વીમા કવર આપવાનું લગભગ બંધ કરી દીધું હતું. પરિણામે 2006 પછી વિકસેલી અનેક નવી ટેક્સટાઇલ માર્કેટોના બેઝમેન્ટમાં વ્યવસાય કરતા વેપારીઓ પાસે હાલમાં વરસાદી નુકસાન સામે કોઈ વીમા સુરક્ષા ઉપલબ્ધ નથી.
ઉદ્યોગ સાથે સંકળાયેલા વર્તુળોના જણાવ્યા મુજબ 2006 પહેલાં જેમના બેઝમેન્ટના વીમા પોલિસી ચાલુ હતા અને જેમણે સતત તેનું રિન્યૂઅલ કરાવ્યું છે, તેઓ નુકસાનના ક્લેઇમ માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરી શકશે. પરંતુ ત્યારબાદ બનેલી માર્કેટોમાં બેઝમેન્ટ માટે વીમાની જોગવાઈ ન હોવાથી આવા વેપારીઓને થયેલું સમગ્ર નુકસાન પોતાના ખર્ચે સહન કરવું પડી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં બેઝમેન્ટનો ઉપયોગ મુખ્યત્વે તૈયાર સાડી, ડ્રેસ મટિરિયલ અને અન્ય કાપડના મોટા જથ્થાના સંગ્રહ માટે થાય છે. એક જ ગોડાઉનમાં લાખો રૂપિયાથી લઈને કરોડો રૂપિયાનો માલ રાખવામાં આવતો હોવાથી પાણી ભરાવાની ઘટનામાં નુકસાનનું પ્રમાણ પણ ખૂબ ઊંચું રહે છે. પ્રાથમિક અંદાજ મુજબ અનેક વેપારીઓને લાખો રૂપિયાનો ફટકો પડ્યો હોવાની ચર્ચા છે, પરંતુ સત્તાવાર આંકડા સર્વે પૂર્ણ થયા બાદ જ સામે આવશે.

વેપારી સંગઠનોએ તંત્ર સમક્ષ અસરગ્રસ્ત તમામ ટેક્સટાઇલ માર્કેટોમાં સંયુક્ત સર્વે હાથ ધરવાની માંગ કરી છે, જેથી નુકસાનનું વાસ્તવિક મૂલ્યાંકન થઈ શકે અને સરકાર દ્વારા કોઈ રાહત પેકેજ અથવા સહાય જાહેર કરવામાં આવે તો તેનો લાભ અસરગ્રસ્ત વેપારીઓ સુધી પહોંચી શકે. સાથે જ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે વરસાદી પાણીના ઝડપી નિકાલ, ડ્રેનેજ વ્યવસ્થાના સુધારણા અને બેઝમેન્ટ સુરક્ષા માટે લાંબા ગાળાના આયોજનની પણ જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે.

July 8, 2026
image-12.png
1min95

છેલ્લા અઠવાડિયાથી અનરાધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જેને કારણે લોકલ સહિત લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવા પર ગંભીર અસર થઈ હતી. આજે અપેક્ષા પ્રમાણે વરસાદ નહીં પડતા મુંબઈની ત્રણેય (પશ્ચિમ, મધ્ય અને હાર્બર લાઈન) લાઈનની લોકલ ટ્રેનસેવા મોડી પણ રેગ્યુલર દોડાવાઈ હતી. પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ-વિરાર સુધીની ટ્રેનસેવા પર બ્રેક વાગી હતી, જ્યારે મધ્ય રેલવેમાં મુંબઈ-પુણે રેલ રુટ પણ મંગળવારે મોડી રાતે શરુ થાય એવી શક્યતા છે. આ ઉપરાંત, મુંબઈ સહિત પાલઘર જિલ્લામાં ભારે વરસાદને કારણે લાંબા અંતરની મુંબઈથી અમદાવાદ/સૌરાષ્ટ્રની 49 મેલ-એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી હતી જેનો ફટકો પ્રવાસીઓને પડ્યો હતો.

ભારે વરસાદનો ફટકો ફરી એકવાર લોકલ ટ્રેન સેવાને પડ્યો છે. પશ્ચિમ રેલવેએ હાલમાં ચર્ચગેટથી વસઈ રોડ વચ્ચે જ લોકલ સેવા ચાલુ છે, જ્યારે વસઈ રોડથી વિરાર વચ્ચેની લોકલ સેવા આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવી છે. નિર્ધારિત માત્રા કરતા વધુ પાણી ટ્રેક પર હોવાથી લોકલની ટ્રેનસેવા સ્થગિત કરવામાં આવી છે.
ચર્ચગેટથી વસઈ વચ્ચે લોકલ ટ્રેનો દોડાવાય છે, પરંતુ એ અંદાજે અડધો કલાક મોડી દોડી રહી છે. વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ પર પશ્ચિમ રેલવે પ્રશાસન સતત નજર રાખી રહ્યું છે અને વરસાદનું જોર ઘટતાં જ લોકલ સેવા પૂર્વવત્ (સામાન્ય) કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ હોવાની માહિતી રેલવે પ્રશાસને જણાવ્યું હતું.

છેલ્લા બે દિવસથી મુંબઈ સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ઉભી થઈ હતી. જેમાં વસઈ-વિરાર, નાલાસોપારા સંપૂર્ણપણે જળમગ્ન બન્યા હતા. આ વિસ્તારોમાં આવેલા ઘરો, દુકાનોમાં પણ જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી, જેથી સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. અહીંના વિસ્તારોમાં લગભગ 24 કલાક પછી વીજસેવા પૂર્વવત્ બની હતી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, હજુ પણ અનેક સોસાયટી જળમગ્ન બની છે, તેનાથી સ્થાનિકોની હાલાકીમાં વધારો થયો છે.

હવામાન વિભાગ દ્વારા પાલઘર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, અને આગામી સમયમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પરિણામે સાવચેતીના ભાગરૂપે જિલ્લાની સ્કૂલ-કોલેજ પણ બંધ રાખવામાં આવી હતી, પરંતુ આજે અપેક્ષા પ્રમાણે વરસાદ પડ્યો નહોતો, જેથી પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.

આ લોકલ ટ્રેન સેવાઓ પર અસર થતા સાંજના સમયે મુસાફરી કરતા પ્રવાસીઓને અસર થઈ હતી, જેમાં વિરાર, નાલાસોપારા, વસઈ જેવા વિસ્તારોમાં લોકલ ટ્રેન સેવાઓમાં વિલંબ જોવા મળતા પ્રવાસીઓને બસ, ટેક્સી અને ઓનલાઇન કેબ સર્વિસ પર નિર્ભર રહેવું પડ્યું હતું, જેના લીધે માર્ગ પરિવહન વધતા ટ્રાફિકજામની સમસ્યા ઉદ્ભવી હતી.

બે દિવસના ભારે વરસાદ વચ્ચે પશ્ચિમ રેલવેમાં મંગળવારે સવાર સુધીમાં 49 ટ્રેન રદ કરવામાં આવી હતી, જ્યારે 23 ટ્રેનને ડાઈવર્ઝન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગુજરાતમાં ભિલાડથી બોરીવલી, ભિલાડથી વાપી, સંજાણથી મુંબઈ, વાપીથી મુંબઈ, વલસાડથી મુંબઈ એમ કુલ 17 બસ મારફત 1,020 પ્રવાસીને તેમના ડેસ્ટિનેશન પહોંચાડવામાં આવ્યા હતા, જ્યારે 7135 પ્રવાસીને કુલ 52.65 લાખનું રિફંડ ચૂકવ્યું હતું.

પુણેમાં ભૂસ્ખલન પછી મુંબઈ-પુણે રેલ વ્યવહાર ખંડિત થયા પછી મંગળવારે મોડી રાતના કદાચ ટ્રેનવ્યવહાર શરુ થઈ શકે છે. હાલના તબક્કે રેલવે પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, જેમાં એક લાઈન શરુ કરી છે, પરંતુ બીજી અને ત્રીજી માટે હજુ સમય લાગી શકે છે. મંગળવારે બપોર સુધીમાં 17 ટ્રેન રદ કરી છે, જ્યારે એક ટ્રેન આંશિક રદ કરી છે. બીજી ત્રણ શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી છે. રદ કરેલી ટ્રેનમાં પુણે-સીએસએમટી ડેક્કન એક્સપ્રેસ, ડેક્કન ક્વિન, ઈન્ટરસિટી, ઈન્દ્રાયણી એક્સપ્રેસ, સિંહગઢ એક્સપ્રેસ સહિત પુણે-સોલાપુર ટ્રેન વગેરે રદ રાખી હતી. બીજી બાજુ 80,000 પ્રવાસીને રેલવેએ લગભગ 6 કરોડનું રિફંડ આપ્યું છે.

July 8, 2026
image-11.png
1min83

નોટિંગહામ ખાતે ઇંગ્લેન્ડ સામેની 3જી T20 મેચમાં ભારતને 125 રને શરમજનક હાર મળી. ઇંગ્લેન્ડે 201 રન કર્યા, જેમાં સોલ્ટના 70 અને કરનના 41 રન હતા. જવાબમાં ભારત માત્ર 76 રનમાં ઓલઆઉટ થયું. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં આ T20 ઇતિહાસમાં ભારતની સૌથી મોટી હાર છે, જેનાથી શ્રેણી જીતવાની આશા સમાપ્ત થઈ.

IND vs ENG 3rd T20I: ઇંગ્લેન્ડ સામેની ત્રીજી T20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને આ ફોર્મેટની અત્યાર સુધીની સૌથી શરમજનક અને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 125 રને હરાવીને 5 મેચોની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. આ હાર સાથે શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળની ભારતીય ટીમે શ્રેણી જીતવાની તક ગુમાવી દીધી છે, હવે ભારત માત્ર આ શ્રેણી ડ્રો કરાવી શકે તેમ છે.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે ઓપનર ફિલ સોલ્ટની દમદાર 70 રનની (44 બોલ, 7 ચોગ્ગા, 3 છગ્ગા) ઇનિંગ અને કેપ્ટન જોસ બટલરના 36 રનની મદદથી ઝડપી શરૂઆત કરી હતી. અંતિમ ઓવરોમાં સેમ કરને 24 બોલમાં અણનમ 41 રન ફટકારીને ઇંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટે 201 રન સુધી પહોંચાડ્યો હતો. ભારત તરફથી પ્રિન્સ યાદવ અને હર્ષિત રાણાએ 2-2 વિકેટ ઝડપી હતી.

202 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પેસ એટેક સામે માત્ર 11.4 ઓવરમાં જ 76 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. T20 ઈતિહાસમાં રનની દ્રષ્ટિએ ભારતની આ સૌથી મોટી હાર છે. આ પહેલા 2019માં ન્યૂઝીલેન્ડે ભારતને 80 રને હરાવ્યું હતું. આ ઉપરાંત, 76 રન એ ભારતનો T20માં બીજો સૌથી ઓછો સ્કોર છે (સૌથી ઓછો સ્કોર 2008માં 74 રન છે).

ભારતનો કોઈ પણ બેટ્સમેન 15 રનનો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. ડેબ્યુટન્ટ વૈભવ સૂર્યવંશીએ 5 બોલમાં 2 છગ્ગા સાથે 13 રન અને ઇશાન કિશને 13 રન બનાવ્યા હતા. કેપ્ટન અય્યર માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટંગે 4 વિકેટ અને જોફ્રા આર્ચરે 3 વિકેટ ઝડપી ભારતીય બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી. આર્ચરને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો. હવે શ્રેણીની આગામી મેચો 9 અને 11 જુલાઈએ રમાશે.

July 7, 2026
image-10.png
3min159

મુંબઈમાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભૂસ્ખલન અને રસ્તાઓ ધોવાઈ જવાથી હજારો મુસાફરો ફસાયા છે. IMDએ ‘ઑરેન્જ ઍલર્ટ’ જાહેર કરતાં શાળાઓ-કૉલેજો બંધ રખાઈ છે. નાસિકમાં વાદળ ફાટવાની ચેતવણીથી મંદિરો બંધ કરાયા છે. કાશ્મીર, ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે.

મુંબઈ ટાપુ બન્યું, નાસિકમાં મંદિરો બંધ અને કાશ્મીરમાં આભ ફાટ્યું

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને શહેરમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે. આટલું જ નહીં કુદરતી પ્રકોપના કારણે અનેક મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે અને રેલવે ટ્રેકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે હજારો મુસાફરો અધવચ્ચે ફસાઈ ગયા છે. સ્થિતિ એટલી ગંભીર બની ચૂકી છે કે માયાનગરી મુંબઈ હાલ એક ટાપુમાં ફેરવાઈ ગઈ હોય તેવા દૃશ્યો સર્જાયા છે. બીજી તરફ માત્ર મુંબઈ જ નહીં પરંતુ દેશના અન્ય હિસ્સાઓમાં પણ અતિભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે ભારે તારાજીના અહેવાલો મળી રહ્યા છે.

સતત ત્રણ દિવસથી વરસી રહેલા અવિરત વરસાદે મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોની રફતાર પર બ્રેક લગાવી દીધી છે. ભારે વરસાદના કારણે દેશની આર્થિક રાજધાનીને ભારતના અન્ય ભાગો સાથે જોડતાં મુખ્ય માર્ગો ધોવાઈ ગયા છે અને રેલવે લાઇનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે હજારો યાત્રી ફસાઈ ગયા છે.

ભારે વરસાદના કારણે સોમવાર સવાર સુધીમાં મુંબઈ-પૂણે એક્સપ્રેસવે, મુંબઈ-અમદાવાદ હાઇવે અને મુંબઈ-કોંકણ રૂટ કાં તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે અથવા તેના પર કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા હતા, જેના કારણે ઈન્ટરસિટી મુવમેન્ટ લગભગ અટકી ગયો હતો.

મુંબઈ-અમદાવાદ હાઇવે પર ટ્રાફિક જામ

મુંબઈ-અમદાવાદ હાઇવે પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે. વહીવટી તંત્ર દ્વારા પૂરના પાણીનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ પાણીનું સ્તર વધુ હોવાના કારણે વાહનોની અવરજવર અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. બીજી તરફ કોંકણ રૂટ પર નાગોઠણે નજીક પરિસ્થિતિ વધુ વણસી છે. અહીં રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ જવાના કારણે મુસાફરો છેલ્લા 24 કલાક કરતાં પણ વધુ સમયથી ફસાયેલા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈમાં અતિભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આશંકા વ્યક્ત કરીને ‘ઑરેન્જ ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે સાવચેતીના ભાગરૂપે મુંબઈની તમામ સરકારી, પ્રાઇવેટ તેમજ સિવિક સ્કૂલો અને કૉલેજોમાં મંગળવારે રજા જાહેર કરી દેવામાં આવી છે.

IMDએ મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર, ઈગતપુરી અને જિલ્લાના આસપાસના પશ્ચિમી વિસ્તારોમાં વાદળ ફાટવાની ચેતવણી આપી છે. આ ગંભીર ચેતવણીને પગલે નાસિમાં હાઇ ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાવચેતીના પગરૂપે તંત્ર દ્વારા તમામ સ્કૂલો, કૉલેજો, સાપ્તાહિક બજારો તેમજ પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર અને સપ્તશ્રૃંગી માતાજીના મંદિર સહિતના મોટા મંદિરોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના થાત્રી વિસ્તારમાં પણ વાદળ ફાટ્યું છે. વાદળ ફાટ્યા બાદ આવેલા પાણીના પ્રચંડ પ્રવાહની ઝપેટમાં આવવાના કારણે અનેક વાહનો અને મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ કુદરતી હોનારતને પગલે સ્થાનિક રસ્તાઓ પર મોટા પ્રમાણમાં કાટમાળ અને કાદવ જમા થઈ ગયો છે.

IMDએ સમગ્ર ઓડિશામાં મંગળવાર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખરાબ હવામાનના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

હિમાચલ પ્રદેશમાં પણ વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે કાંગડા, મંડી, સિરમૌર અને શિમલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. આ ઉપરાંત ઉના, બિલાસપુર, હમીરપુર, સોલન અને કુલ્લુ જિલ્લામાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

વરસાદના કારણે મુંબઈ બન્યું ‘વર્ચ્યુઅલ ટાપુ’! ત્રણ તરફથી સંપર્ક તૂટ્યો, ટ્રેનો ઠપ, હાઈવે બંધ

મહારાષ્ટ્રમાં 3 દિવસના ભારે વરસાદે મુંબઈ સહિત પડોશી વિસ્તારોને ઘેરી લીધા છે. મુંબઈ-પુણે, મુંબઈ-અમદાવાદ હાઈવે અને રેલવે વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે, જેથી હજારો મુસાફરો અટવાયા છે. 13 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. મુખ્યમંત્રીએ NDRF ટીમો તૈનાત કરી બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરી છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા અવિરત અને ભારે વરસાદે મુંબઈ સહિતના પડોશી વિસ્તારોને બાનમાં લીધા છે. ભારતના આ આર્થિક પાટનગરને અન્ય રાજ્યો સાથે જોડતી સડક અને રેલવે વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. જેના કારણે હજારો મુસાફરો અધવચ્ચે અટવાઈ પડ્યા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી બે દિવસ માટે ભારે વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કરીને ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

મુખ્ય હાઈવે ઠપ્પ કરોડોના ખર્ચે બનેલી ‘મિસિંગ લિંક’ પર ભૂસ્ખલન

સોમવાર સવાર સુધીમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે, મુંબઈ-અમદાવાદ હાઈવે અને મુંબઈ-કોંકણ રૂટ પર વાહનવ્યવહાર કાં તો સંપૂર્ણ બંધ કરી દેવાયો છે અથવા તેના પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે: માત્ર બે મહિના પહેલાં જ શરૂ કરાયેલી 13 કિલોમીટર લાંબી ‘મિસિંગ લિંક’ બાયપાસ પર ટનલ 2 ના એક્ઝિટ પાસે ભારે ભૂસ્ખલન થયું હતું. રાષ્ટ્રપ્રમુખ શાસન પદ્ધતિ ન હોવા છતાં, રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને ‘અભૂતપૂર્વ’ ગણાવી હતી, કારણ કે ત્યાં અંદાજે 100 ટન જેટલો કાટમાળ ખડકાયો હતો. જો કે, મોડી સાંજે આ રૂટ ફરી શરૂ કરાયો હતો.

મુંબઈ-અમદાવાદ હાઈવે: ભારે જળબંબાકારને કારણે આ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. પાણી નિકાલની કામગીરી ચાલુ હોવા છતાં વાહનોની ગતિ અત્યંત ધીમી છે.

કોંકણ રૂટ: નાગોઠણે નજીક પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો છેલ્લા 24 કલાકથી વધુ સમયથી અટવાયા છે.

ભૂસ્ખલન અને પાટા પર પાણી ભરાવાના કારણે પશ્ચિમ રેલવે (Western Railway) અને સેન્ટ્રલ રેલવેની સેવાઓ પર માઠી અસર પડી છે. પુણે અને મુંબઈ વચ્ચે ઠાકુરવાડી અને મંકી હિલ સેક્શનમાં ભૂસ્ખલન થતાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવાઈ છે. ગુજરાત તરફથી મુંબઈ જતી અનેક ટ્રેનોને અધવચ્ચે જ રોકી દેવી પડી છે, જેથી મુસાફરો કલાકો સુધી કોચમાં ફસાયેલા રહ્યા છે. પશ્ચિમ રેલવેની 20 થી વધુ લાંબા અંતરની ટ્રેનો મુંબઈ અને દક્ષિણ ગુજરાત વચ્ચે અટવાઈ છે, જ્યારે 40 થી વધુ સેવાઓને અસર થઈ છે. 10 ટ્રેનો રદ કરાઈ છે અને 8 ના સમયમાં ફેરફાર કરાયો છે.

આપત્તિ વ્યવસ્થાપન મંત્રી ગિરીશ મહાજનના જણાવ્યા અનુસાર, મુંબઈ અને પુણે પ્રદેશમાં છેલ્લા 3-4 દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 13 લોકોના મોત નીપજ્યા છે. પુણેના માવળ તહેસીલના પાટણ ગામમાં ભૂસ્ખલનમાં ઘર દબાઈ જતાં બે લોકોના મોત થયા છે, જ્યારે ખેડ વિસ્તારમાં એક વ્યક્તિ પૂરમાં તણાઈ ગઈ છે. પાલઘરમાં માત્ર બે કલાકમાં 300 mm જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યાં તેજ પવનના કારણે રહેણાંક શાળાના પતરા ઉડી ગયા હતા અને વૃક્ષો ધરાશાયી થયા હતા. મુંબઈમાં રવિવારે એક જ દિવસમાં 350 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે, જે સમગ્ર સીઝનની સરેરાશ (૮૦૦ વૃક્ષો) કરતાં ઘણી વધારે છે.

હવામાન વિભાગે મુંબઈ, થાણે, રાયગઢ, નાસિક અને ત્રિમ્બકેશ્વર માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. નાસિકમાં મંગળવારે ‘ક્લાઉડબર્સ્ટ’ (વાદળ ફાટવા) જેવી સ્થિતિ સર્જાવાની ચેતવણી આપવામાં આવી છે. સરકાર ૮ જુલાઈ સુધી આ સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે.

NDRF અને SDRF ની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.
આપત્તિ વ્યવસ્થાપન અને BMC ના કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે.
નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને પર્યટન સ્થળો કે ધોધ નજીક ન જવા અપીલ કરાઈ છે.
ખાનગી ઓફિસોને ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) આપવા સલાહ અપાઈ છે, જ્યારે બિન-જરૂરી સરકારી કચેરીઓમાં હાફ-ડે જાહેર કરાયો છે.

July 7, 2026
cia_multi-1280x1045.jpg
2min791

તા.8મી જુલાઇને બુધવારે સુરત શહેર જિલ્લામાં તમામે તમામ શાળા કોલેજોમાં શૈક્ષણિક કામ બંધ રહેશે

ભારે વરસાદની આગાહીને પગલે આજે મંગળવારની જેમ આવતીકાલ તા.8મી જુલાઇને બુધવારે પણ સુરત શહેર જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સૂચના જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે જારી કરી છે.

વીર નર્મદ યુનિવર્સિટીના કુલસચિવની 8 જુલાઇના રોજ રજા અંગેની જાહેરાત

તા.7મી જુલાઇ, આજરોજ સવારે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઈ કોલેજ આવનારા-જનારા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં આવેલી કોલેજોમાં માત્ર વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવે છે તથા ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને કોલેજએ બોલાવવા કે ન બોલાવવા અંગેનો નિર્ણય કૉલેજના આચાર્યશ્રી/વિભાગીય વડા શ્રી એ વિવેકબુદ્ધિપૂર્વક તથા વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી રાખી કરવો.સુરત જિલ્લા ઉપરાંત ના દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ના વિસ્તાર માં આચાર્ય શ્રી વિધાર્થી ઓને રજા આપવા બાબતે વિવેકબુદ્ધિ ને આધિન યોગ્ય નિર્ણય લઈ શકે છે

નોંધ :જો કોલેજ ખાતે કોઈ પરીક્ષા ચાલતી હોય તો યુનિવર્સિટી સાથે યોગ્ય સંકલન/પરામર્શન કરવું પરીક્ષા બાબતે અને પછી રજા અંગે નિર્ણય કરવાનો રહેશે અથવા યુનિ એ પરીક્ષા સંબંધિત કરેલ જાહેરાત મુજબ કરવું

આજે તા.7મી જુલાઇના રોજ વહેલી સવારથી સુરતમાં વરસાદ ત્રાટક્યો હતો. સવારે 8થી સાંજે 4 સુધીના 8 કલાકમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર થયો છે. સરથાણા, જકાતનાકા, પાંડેસરા સહિતના વિસ્તારોમાં કમરસમા પાણી ભરાયા. BRTS અને ST બસ વ્યવહાર ઠપ થયો. ફાયર વિભાગે 21 લોકોને બોટ દ્વારા બચાવ્યા. હવામાન વિભાગે સુરત સહિત 8 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.

સુરત શહેરમાં ગઈકાલથી શરૂ થયેલો અવિરત ભારે વરસાદ આજે પણ આફત બનીને વરસી રહ્યો છે, છેલ્લા 8 કલાકમાં 10 ઈંચ વરસાદના કારણે સમગ્ર શહેરના જનજીવન પર માઠી અસર પડી છે. સિટી, BRTS અને એસટી બસ વ્યવહાર ઠપ્પ થઈ ગયા છે ખાસ કરીને સરથાણા અને જકાતનાકા વિસ્તારમાં કમરસમા પાણી ભરાઈ જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, અને રસ્તાઓ પર જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત, લાલદરવાજા અને પટેલ વાડી વિસ્તાર પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે જનજીવન ખોરવાઇ ગયું છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

સુરત શહેરમાં વરસી રહેલા અવિરત ભારે વરસાદના કારણે પાંડેસરા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાંડેસરાના શિવમ નગર, કૃષ્ણનગર અને પ્રેમ નગરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે. અસરગ્રસ્ત વિસ્તારના તમામ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરીના ભાગરૂપે નજીકમાં આવેલી ઓડીસા પ્રાથમિક શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યાં તેમના માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

બોટ દ્વારા કુલ 21 નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ

અનરાધાર વરસાદને પગલે સુરત સર્વોદય બેંક અને રેલવે સ્ટેશન ગરનાળા (અંડરપાસ) વિસ્તારમાં કમરબૂડ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિ વણસતાં જ સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપનની રાહત ટીમો તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. પાણીના ભારે પ્રવાહ વચ્ચે ફસાયેલા નાગરિકોની વહારે આવીને ફાયર બ્રિગેડની ટીમે બોટ તૈનાત કરી હતી અને ભારે જહેમત બાદ કુલ 21 નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે સ્થળાંતરિત કર્યા હતા.

સુરતમાં ધોધમાર વરસાદે ગોડાદરા વિસ્તારની ANTM માર્કેટને જળબંબાકાર બનાવી દીધી હતી. માર્કેટ બહાર રસ્તા પર ભરાયેલા વરસાદી પાણીના કારણે કરોડો રૂપિયાના માલસામાન પર સંકટ તોળાતાં વેપારીઓએ દુકાનોના દરવાજા આગળ લાકડાં અને અન્ય સામગ્રીની આડાશ ઊભી કરીને પાણી અંદર ઘૂસતું અટકાવવાનો યુદ્ધના ધોરણે પ્રયાસ કર્યો હતો. રસ્તા પર એટલું પાણી ભરાયું કે ટ્રક સહિત અનેક વાહનો વચ્ચે રસ્તામાં જ બંધ પડી ગયા અને વાહનો અડધા સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ કામરેજ 8.31 ઇંચ, સુરત સિટી 6.93 ઇંચ, પલસાણા 5.94 ઇંચ, નવસારી 5.71 ઇંચ, ડાંગના સુબિરમાં 5.31 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીના જલાલપોરમાં 5.16 ઇંચ), બારડોલીમાં 5.08 ઇંચ તેમજ મહુવા અને તાપીના વાલોડમાં 3.94 ઇંચ વરસાદ નોંધાતા નદી-નાળા છલકાયા છે. વલસાડના કપરાડામાં પણ 3.78 ઇંચ વરસાદ ખાબક્યો છે.

હવામાનની ગંભીર પરિસ્થિતિને જોતા હવામાન વિભાગ દ્વારા રાજ્યના 8 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું ‘રેડ ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત, ભાવનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ખરાબ હવામાન અને પ્રચંડ પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠાના તમામ પોર્ટ પર સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાડી દેવાયું છે.

બીજી તરફ, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ તેમજ ભરૂચ, નર્મદા, ખેડા અને અરવલ્લી જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવનાને પગલે તંત્રને એલર્ટ કરી દેવાયું છે. આ ઉપરાંત, રાજ્યના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદ સહિત જૂનાગઢ, બોટાદ, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

July 6, 2026
WhatsApp-Image-2026-07-06-at-17.27.38-1280x853.jpeg
1min99
  • SGCCI અને CAIT ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે ‘વેપાર અને ઉદ્યોગને મજબૂત બનાવવા’ વિશે સેશન યોજાયું
  • બિઝનેસ ગ્રોથના નવા સ્કોપ અને વેપાર વૃદ્ધિના માર્ગો જાણવા ઉદ્યોગકારો માટે અનિવાર્ય: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
  • સરકાર ‘વન ટ્રેડ, વન લાયસન્સ’ નિયમ લાવવા પ્રયત્નશીલ, ટેક્સટાઇલ ઉદ્યોગકારોને PLI સ્કીમનો લાભ લેવા હાકલ

સુરત, ૬ જુલાઈ ૨૦૨૬: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે તા. ૪ જુલાઈ ૨૦૨૬ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે, સરસાણા સ્થિત ‘ઉષાકાંત મારફતિયા હોલ’ ખાતે ‘વેપાર અને ઉદ્યોગને મજબૂત બનાવવાઃ સરકારની યોજનાઓ, વ્યવસાય વિકાસ અને નવી તકો’ વિષય પર એક વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં લોકસભાના સાંસદ અને CAIT ના સેક્રેટરી જનરલ શ્રી પ્રવીણ ખંડેલવાલે ઉપસ્થિત રહીને વેપારીઓને વર્તમાન સમયની ટેકનોલોજી અને સરકારી નીતિઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વેપાર વૃદ્ધિ માટે અપગ્રેડેશન જરૂરી: પ્રમુખ અશોક જીરાવાલા
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “ભારતના આર્થિક વિકાસમાં વેપાર અને ઉદ્યોગનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે અનેક નવી યોજનાઓ, સુધારા અને નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે આજના સ્પર્ધાત્મક યુગમાં બિઝનેસ ગ્રોથના નવા સ્કોપ તેમજ વેપાર વૃદ્ધિના માર્ગો વિશે જાણવું ઉદ્યોગકારો માટે ખૂબ જરૂરી છે.”

૯૦% વેપારીઓ ML અને AIના જ્ઞાનથી વંચિત: પ્રવીણ ખંડેલવાલ
સાંસદ અને CAITના સેક્રેટરી જનરલ શ્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, “ઉદ્યોગકારોએ હંમેશા વેપારમાં વૃદ્ધિ કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા-વિચારણા કરવી જોઈએ. વેપાર કરતી વખતે સમયની સાથે અપગ્રેડ થવું આવશ્યક છે. હાલમાં સમગ્ર વેપાર ML (મશીન લર્નિંગ) અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થકી થઈ રહ્યો છે, પરંતુ ભારતમાં ૯૦% વેપારીઓને ML અને AI વિશેનું પૂર્ણ જ્ઞાન નથી. ઉદ્યોગકારોએ વેપાર ચલાવવાના જરૂરી ટૂલ્સની સમગ્ર માહિતી રાખવી જોઈએ.”

તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી મુદ્રા યોજના, વિશ્વકર્મા યોજના, લખપતિ દીદી યોજના અને ડિજી સખી યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું કે, ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ PLI સ્કીમ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને આગામી સમયમાં ‘વન ટ્રેડ, વન લાયસન્સ’ નિયમ લાગુ થાય તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.

દિલ્હીમાં ભારતીય વેપાર મહોત્સવ: શ્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, CAIT અને ITPOના સંયુક્ત ઉપક્રમે નવી દિલ્હીના ભારત મંડપમ્‌ ખાતે તા. ૧૨ થી ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ‘ભારતીય વેપાર મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ ૭,૦૦૦ સ્ક્વેર મીટર જગ્યામાં સ્ટોલ રાખ્યા છે. આ મહોત્સવની 40થી વધુ દેશોના ઉદ્યોગકારો મુલાકાત લેશે, જે વેપારની નવી તકો ઊભી કરશે.

આ સેશનમાં ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ, પૂર્વ પ્રમુખ અને ટેક્સટાઇલ ટાસ્કફોર્સ કમિટીના ચેરમેન શ્રી આશિષ ગુજરાતી, CAIT ગુજરાતના પ્રમુખ શ્રી પ્રમોદ ભગત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની રૂપરેખા ગ્રૂપ ચેરમેન શ્રી મનોજ અગ્રવાલે આપી હતી, સંચાલન શ્રી મિતેશ શાહે કર્યું હતું અને અંતમાં માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ આભારવિધિ કરી હતી.

July 6, 2026
Cia_business_news-1280x936.jpg
1min89

સાઉથ ગુજરાત શિફલી એમ્બ્રોઈડરી એસોસિએશન દ્વારા ૯ મી એજીએમ મળી હતી. જેમાં તમામ મેમ્બરો અને હોદ્દેદારો હાજર રહ્યાં હતાં જેમાં પ્રમુખ પદે અશોકભાઈ મહેતા, ઉપપ્રમુખ પદે નરેશભાઇ લાખાણી , વજુભાઈ પટેલ, સુભાષભાઈ ગંગવાણી, ગોપાલભાઈ હુરિયા , સેક્રેટરી પદે સંજયભાઈ અગ્રવાલ , જોઈન્ટ સેક્રેટરી પદે જતીનભાઇ વાધાણી અને ખજાનચી પદે મનોજભાઈ અગ્રવાલ ની નિમણૂંક કરવામાં આવી હતી.

સંસ્થાના ઉપપ્રમુખ નરેશભાઇ લાખાણી એ કહ્યું હતું કે, છેલ્લાં ૯ વર્ષથી શિફલી એમ્બ્રોઈડરી એસોસિએશન કાર્યરત છે. સંસ્થામાં ૧૪૨ રજીસ્ટ્રર મેમ્બરો છે જ્યારે શહેરમાં શિફલી એમ્બ્રોઈડરી ના ૨૦૦ જેટલા યુનિટો કાર્યરત છે.

હાલ શિફલી વર્કની ડિમાન્ડ ભારત સહિત આંતરાષ્ટ્રીય માર્કેટમાં છે. એક્સપોર્ટમાં શિફલી વર્કનો હિસ્સો ખુબ જ મોટી માત્રામાં છે.

ખાસ કરીને હાલ પેમેન્ટનો મુદ્દો ચાલી રહ્યો છે ત્યારે શિફલી એમ્બ્રોઈડરી એસોસએશન દ્વારા પણ મેમ્બરોના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ પણ સભ્યોને પરેશાની હોય તો સંસ્થા દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવે છે.આ ઉપરાંત જે વેપારીઓ કારણ વગર ક્લેઈમ કરશે તો તેમની સાથે એસોસિએશનના મેમ્બરો કામ કરશે નહીં તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા તમામ સભ્યોને ઓછા ભાવે કામ ન કરવા માટે વિનંતી કરવામાં આવી છે.

July 6, 2026
image-6-1280x960.png
1min113

mumbai-pune-highway-closed-heavy-rain-mumbai-university-exams-postponed

મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદ અને અતિવૃષ્ટિની ચેતવણીને પગલે મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. વાહનવ્યવહારથી લઈને રેલવે અને શિક્ષણ સંસ્થાઓ સુધીની તમામ સેવાઓ પર વરસાદની ગંભીર અસર જોવા મળી રહી છે.

મુંબઈ-પુણે હાઈવે સંપૂર્ણપણે બંધ

સતત વરસાદ અને લેન્ડસ્લાઈડના જોખમને કારણે પુણે-મુંબઈ એક્સપ્રેસવે તેમ જ જૂનો મુંબઈ-પુણે હાઈવે બંને માર્ગો પર વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) દ્વારા આગામી આદેશ સુધી બંને તરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. નાગરિકોને હાલ આ માર્ગો પર મુસાફરી ન કરવા અને અતિ આવશ્યક કામ હોય તો જ પ્રશાસનની સત્તાવાર સૂચનાઓ મેળવીને જ બહાર નીકળવા અપીલ કરવામાં આવી છે.

લોકલ ટ્રેનવ્યવહાર પણ ખોરવાયો

મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવાઓ પણ વરસાદના કારણે ધીમી પડી ગઈ છે. જોકે પ્રશાસન દ્વારા શાળા અને કોલેજમાં જાહેર કરવામાં આવેલી રજાને પગલે મુંબઈગરાઓએ ઘરે જ રહેવાનું મુનાસિબ માન્યું હતું.
પશ્ચિમ રેલવે પર વસઈ અને નાલાસોપારા રેલવે સ્ટેશનો પર ટ્રેકના પાટા પાણીમાં ગરકાવ થઈ જતાં પશ્ચિમ રેલવેની સેવાઓ અડધો કલાક જેટલી મોડી ચાલી રહી છે.જ્યારે મધ્ય રેલવે પર મેઈન લાઈન પર લોકલ ટ્રેનો અડધો કલાક જેટલી મોડી દોડી રહી છે. કલ્યાણ સ્ટેશનથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જતી ટ્રેનો વિલંબથી દોડી રહી છે.

સાત જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી અતિવૃષ્ટિની ચેતવણીને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલાં રૂપે પુણે, થાણે, રાયગઢ સહિત રાજ્યના સાત મુખ્ય જિલ્લાઓમાં આજે તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા તમામ નાગરિકોને હવામાન વિભાગની અને પ્રશાસનની ઑફિશિયલ અપડેટ્સ જોયા બાદ જ ઘરની બહાર નીકળવા અને વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષાઓ સ્થગિત

મુશળધાર વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓને પડનારી મુશ્કેલીઓ અને તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપીને મુંબઈ યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે. યુનિવર્સિટી દ્વારા આજે એટલે કે છઠ્ઠી જુલાઈના રોજ યોજાનારી મુંબઈ યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ પોસ્ટપોન કરવામાં આવી છે. પરીક્ષા અને મૂલ્યાંકન મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સ્થગિત રાખવામાં આવેલી પરીક્ષાઓનું નવું અને સુધારેલું ટાઈમટેબલ ટૂંક સમયમાં જ મુંબઈ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

July 6, 2026
image-4.png
1min133

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં લંડનના લોર્ડ્સ મેદાન પર ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવી ટ્રોફી જીતી. 151 રનનો લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાએ 17.1 ઓવરમાં હાંસલ કર્યો. બેથ મૂનીના 64 અને ફોએબે લિચફિલ્ડના 48 રનની મદદથી કાંગારુ ટીમે રેકોર્ડ 7મી વખત આ ખિતાબ જીત્યો છે.

ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ના રોમાંચક ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર ક્રિકેટ જગતમાં પોતાનું આધિપત્ય સાબિત કર્યું છે. લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રવિવારે (5 જુલાઈ) રમાયેલી ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 7 વિકેટે કરારી હાર આપીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ઈંગ્લેન્ડે આપેલા 151 રનના ટાર્ગેટને ઓસ્ટ્રેલિયાની ટીમે માત્ર 17.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આસાનીથી હાંસલ કરી લીધો હતો. સોફી મોલિનક્સની કપ્તાની હેઠળની કાંગારૂ ટીમે આ સમગ્ર ટૂર્નામેન્ટમાં એક પણ મેચ ગુમાવી નથી, જે તેમના મજબૂત ફોર્મને દર્શાવે છે.

મહિલા ટી20 ક્રિકેટના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સૌથી સફળ ટીમ રહી છે અને આ વર્ષે જીત સાથે તેમણે રેકોર્ડ 7મી વખત આ ખિતાબ જીત્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ 2010, 2012, 2014, 2018, 2020 અને 2023માં પણ વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકી છે. ઓસ્ટ્રેલિયા સિવાય અન્ય ટીમોની વાત કરીએ તો ઈંગ્લેન્ડ (2009), વેસ્ટઇન્ડીઝ (2016) અને ન્યૂઝીલેન્ડ (2024) માત્ર એક-એક વાર જ આ ટ્રોફી જીતવામાં સફળ રહ્યા છે.

બેથ મૂની અને લિચફિલ્ડની વિસ્ફોટક બેટિંગ

151 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત નબળી રહી હતી અને બીજી જ ઓવરમાં ઓપનર જોર્જિયા વોલ આઉટ થઈ ગઈ હતી. જોકે, ત્યારબાદ ફોએબે લિચફિલ્ડ અને વિકેટકીપર બેટર બેથ મૂનીએ શાનદાર વાપસી કરાવી હતી. આ બંને વચ્ચે બીજી વિકેટ માટે 100 રનની મેચ વિનિંગ ભાગીદારી થઈ હતી, જેણે ઈંગ્લેન્ડની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.

લિચફિલ્ડે 35 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી ધમાકેદાર 48 રન બનાવ્યા હતા. જ્યારે બેથ મૂનીએ 49 બોલમાં 10 ચોગ્ગા ફટકારીને 64 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ બંનેના આઉટ થયા બાદ એલિસ પેરી (અણનમ 13) અને એશ્લે ગાર્ડનર (અણનમ 3)ની જોડીએ ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી ચાર્લોટ ડીન, સોફી એક્લેસ્ટોન અને લોરેન બેલે 1-1 વિકેટ ઝડપી હતી.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 150 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ માટે કેપ્ટન નેટ સાઇવર-બ્રન્ટે સૌથી વધુ 53 બોલમાં 5 ચોગ્ગા સાથે અણનમ 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બીજી તરફ ફ્રેયા કેમ્પે પણ આક્રમક બેટિંગ કરતા 28 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 44 રન ફટકાર્યા હતા. આ બંને પ્લેયર્સે પાંચમી વિકેટ માટે અણનમ 80 રનની ભાગીદારી કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. જોકે, એમી જોન્સ (6 રન), ડેની વ્યાટ-હોજ (8 રન) અને હીથર નાઇટ (2 રન) જેવી સ્ટાર પ્લેયર્સ સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કિમ ગાર્થ, લુસી હેમિલ્ટન, સોફી મોલિનક્સ અને એનાબેલ સધરલેન્ડે 1-1 વિકેટ મેળવી હતી.