CIA ALERT

Blog - Page 8 of 707 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 16, 2026
image-16-1280x854.png
1min129

જય જગન્નાથ…, 16/07/2026 આજે અષાઢી બીજ છે. સૂર્યોદય થતાની સાથે જ જગતના નાથ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળશે અને નગરજનોને અલૌકિક દર્શન આપશે. ત્યારે આ 149મી રથયાત્રાની પળેપળની ખબર ગુજરાત સમાચાર ડિજિટલ તમારા સુધી પહોંચાડી રહ્યું છે. રથયાત્રાના અવસરે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર રંગબેરંગી લાઈટથી ઝળહળી ઊઠ્યું છે.

મંદિરની બહાર વહેલી સવારે 3.30 વાગ્યે ભક્તો લાઈનમાં ઊભા રહીને ભગવાનની મંગળા આરતીનો લહાવો લેવા તરસી રહ્યા છે. આ સાથે જ જય રણછોડ માખણ ચોરના જયઘોષ કરી રહ્યા છે. તો મંદિરની અંદર પણ ઢોલ નગારા અને શરણાઇના સૂર ગુંજી રહ્યા છે. એટલું જ નહીં મંદિરની અંદર – બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અમદાવાદના જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું વિધિવત પ્રસ્થાન થઈ ચૂક્યું છે. ગજરાજના પ્રસ્થાન બાદ, હવે ધાર્મિક અને સામાજિક સંદેશા આપતા વિવિધ આકર્ષક ટેબ્લોથી સજ્જ ટ્રકો પણ યાત્રાના માર્ગે રવાના થયા છે. ભક્તોના ભારે ઉત્સાહ વચ્ચે આ અદભુત ટેબ્લો નગરચર્યા દરમિયાન સમગ્ર યાત્રા માર્ગ પર આકર્ષણનું કેન્દ્ર બનશે.

સુરતમાં રથયાત્રા બપોર પછી રેલ્વે સ્ટેશનથી શરૂ થશે

જય જગન્નાથના નાદ સાથે આજે સુરતમાં નીકળશે ભવ્ય રથયાત્રા, હજારો ભાવિકો બનશે સાક્ષી

આષાઢ સુદ બીજના પાવન અવસરે આજે સુરત શહેરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા નીકળશે. બપોરે રેલવે સ્ટેશન વિસ્તારથી પ્રસ્થાન કરનારી રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રિંગરોડ, સરદાર બ્રિજ, અડાજણ અને રાંદેર રોડ થઈને ઇસ્કોન મંદિર ખાતે વિરામ પામશે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ શહેરવાસીઓ જોડાશે તેવી શક્યતા છે.

રથયાત્રા દરમિયાન ભગવાનના દર્શન માટે સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટે તેવી અપેક્ષા છે. અનેક સ્થળોએ ભગવાનનું પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવશે, જ્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા, પ્રસાદ, પાણી અને મેડિકલ સેવા સહિતના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનો, મહિલાઓ અને બાળકો પણ પરંપરાગત વેશભૂષામાં રથયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે.

રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર રૂટ પર પોલીસ જવાનોની તૈનાતી, ટ્રાફિક ડાયવર્ઝન, સીસીટીવી કેમેરા તેમજ કંટ્રોલ રૂમ મારફતે સતત નજર રાખવામાં આવશે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે જેથી ટ્રાફિક વ્યવસ્થામાં સરળતા રહે.

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તિ, શિસ્ત અને સામાજિક એકતાનું પ્રતિક બની રહી છે. વિવિધ સમાજો અને વેપારી સંગઠનો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે, જે શહેરની સર્વધર્મ સમભાવ અને સાંસ્કૃતિક એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

ભગવાન જગન્નાથની આ પવિત્ર યાત્રા શહેરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો સંદેશ લઈને નીકળશે તેવી ભાવિકોમાં શ્રદ્ધા જોવા મળી રહી છે. સમગ્ર સુરત આજે “જય જગન્નાથ”ના ગુંજતા જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણમાં રંગાઈ જશે.

July 16, 2026
image-15.png
1min90

મર્સિડીઝ-બેન્ઝ સ્ટેડિયમમાં રમાયેલા FIFA વર્લ્ડ કપ 2026ના બીજા સેમિફાઇનલમાં લિયોનેલ મેસીના આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને 2-1થી હરાવી સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 55મી મિનિટે ઇંગ્લેન્ડના એન્થની ગોર્ડને ગોલ કરી લીડ અપાવી હતી. જોકે, મેસીના કરિશ્માથી 85મી મિનિટે એન્ઝો ફર્નાન્ડીઝે અને ઇન્જરી ટાઇમમાં લાઉતારો માર્ટિનેઝે ગોલ ફટકારી રોમાંચક જીત અપાવી. હવે ફાઇનલમાં આર્જેન્ટિના સ્પેન સામે ટકરાશે.

ફૂટબોલ ઇતિહાસની સૌથી મોટી પ્રતિદ્વંદ્વિત્તામાં આજે એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. મર્સિડીઝ-બેન્ઝ સ્ટેડિયમમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપ 2026ના બીજા સેમિફાઇનલ મુકાબલામાં લિયોનેલ મેસીની આગેવાની હેઠળના આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને 2-1 થી પરાજય આપી સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મેચના પ્રથમ હાફમાં બંને ટીમો વચ્ચે ભારે તણાવ જોવા મળ્યો હતો અને ફાઉલના કારણે રમત વારંવાર અટકી હતી, જેના લીધે પ્રથમ હાફ 0-0 ની બરાબરી પર રહ્યો હતો.

બીજા હાફમાં મેચનો રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો હતો. મેચની 55મી મિનિટે ઇંગ્લેન્ડના મોર્ગન રોજર્સના શાનદાર પાસ પર એન્થની ગોર્ડને ગોલ ફટકારીને ઇંગ્લેન્ડને 1-0 ની લીડ અપાવી દીધી હતી. આ ગોલ બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના પર ભારે દબાણ જોવા મળતું હતું અને સમય પસાર થવાની સાથે ઇંગ્લેન્ડની જીત પાકી લાગી રહી હતી.

જ્યારે આર્જેન્ટિનાના ફેન્સ આશા ગુમાવી રહ્યા હતા ત્યારે 39 વર્ષીય લિયોનેલ મેસીએ મેચની કમાન પોતાના હાથમાં લીધી હતી. 85મી મિનિટે મેસીના પાસ પર એન્ઝો ફર્નાન્ડીઝે ગોલ કરીને સ્કોર 1-1 ની બરાબરી પર લાવી દીધો હતો. ત્યારબાદ ઇન્જરી ટાઇમમાં મેસીએ વધુ એક સચોટ પાસ આપ્યો, જેને લાઉતારો માર્ટિનેઝે ગોલમાં ફેરવીને માત્ર 7 મિનિટમાં સ્કોર 2-1 કરી આર્જેન્ટિનાને રોમાંચક જીત અપાવી હતી. હવે ફાઇનલમાં આર્જેન્ટિનાનો સામનો સ્પેન સામે થશે.

July 15, 2026
India-uk-fta.jpg
1min65

CiA Live ન્યુઝ વેબ

ભારત અને યુનાઇટેડ કિંગડમ (યુકે) વચ્ચે અમલમાં આવેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંતર્ગત સુરતથી હીરા અને ઝવેરાતનો પ્રથમ નિકાસ કન્સાઇનમેન્ટ બુધવારે વિધિવત રીતે રવાના કરવામાં આવ્યો હતો. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ઐતિહાસિક પ્રસંગે કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ તેમજ હીરા ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત અને યુકે વચ્ચે એક વર્ષ અગાઉ થયેલા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટનો અમલ આજે તા.15મી જુલાઇ 2026થી શરૂ થયો છે. આજે પહેલા જ દિવસે સુરતથી હીરા ઝવેરાત, કોસ્મેટિક્સ અને પરફ્યુમ્સ તેમજ ઠંડાપીણા મળીને કૂલ 7 પાર્સલો ઝીરો ડ્યુટીથી યુકે રવાના કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુરત ડાયમંડ બુર્સ સ્થિત જીજેઇપીસીની ગુજરાત રિજિયનની કચેરીમાં યોજાયેલી ફ્લેગ ઓફ સેરેમનીમાં જીજેઇપીસી ગુજરાત ચેરમેન જયંતી સાવલિયા, જોઇન્ટ DGFT- સુરત અભિમન્યુ શર્મા, આઇડીઆઇ ચેરમેન દિનેશ નાવડીયા, SURSEZ ના ડેવલપમેન્ટ કમિશનર વિનોદ યેર્ને, સુરત ડાયમંડ બુર્સના એપ્રાઇઝર રતનજય વી. ઉપરાંત એક્સપોર્ટર્સ અને મિડીયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત-યુકે FTA અમલમાં આવતા અત્યાર સુધી યુકેમાં ભારતીય હીરા અને ઝવેરાત પર લાગતી 4થી 16 ટકા સુધીની આયાત જકાત સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે. પરિણામે ભારતીય નિકાસકારોને યુકેના બજારમાં વધુ સ્પર્ધાત્મક કિંમતે ઉત્પાદનો પહોંચાડવાની તક મળશે. ઉદ્યોગના મતે આ કરાર ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર માટે ઐતિહાસિક સાબિત થશે.

GJEPCના ચેરમેન શ્રી કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માત્ર વેપાર કરાર નથી, પરંતુ બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જનાર મહત્વપૂર્ણ પગલું છે. સુરતથી પ્રથમ કન્સાઇનમેન્ટ રવાના થવું સમગ્ર ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે ગૌરવની ક્ષણ છે.

તેમણે જણાવ્યું કે યુકે ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉત્પાદનો માટે મહત્વપૂર્ણ બજાર છે. હવે ડ્યૂટી ફ્રી પ્રવેશ મળતા નિકાસમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. ખાસ કરીને પોલિશ્ડ ડાયમંડ, ગોલ્ડ જ્વેલરી, પ્લેટિનમ જ્વેલરી અને લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરીના ક્ષેત્રમાં નવા અવસર ઊભા થશે.

GJEPCના જણાવ્યા મુજબ, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે આગામી વર્ષોમાં ભારતમાંથી યુકે તરફ હીરા અને ઝવેરાતની નિકાસમાં ઝડપથી વધારો થશે. સુરત, મુંબઈ સહિતના ઉત્પાદન કેન્દ્રોને તેનો સીધો લાભ મળશે, જેના કારણે રોજગારીમાં વધારો થવા ઉપરાંત ઉત્પાદન અને નિકાસ ક્ષમતામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થશે.

ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય અને GJEPCના સંયુક્ત પ્રયાસોથી અમલમાં આવેલા આ કરારને ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે એક નવા વિકાસ અધ્યાય તરીકે જોવામાં આવી રહ્યો છે. સુરતથી રવાના થયેલો આ પ્રથમ કન્સાઇનમેન્ટ ભારતના નિકાસ ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહ્યો છે.

July 15, 2026
sgcci-riyadh-jpg.jpg
1min67

સાઉદી અરેબિયામાં સુરતના ટેક્સટાઇલ, ડાયમંડ અને ફાર્મા ક્ષેત્ર માટે રોકાણની વિપુલ તકો

સાઉદી સરકારની ઇન્વેસ્ટમેન્ટ બોડી અને નેશનલ ચેમ્બર સાથે સુરતના ઉદ્યોગકારોની B2B બેઠકો યોજવા ભારતીય દૂતાવાસ કટિબદ્ધ

સાઉદી અરેબિયામાં એક્સપોર્ટ વધારવા વેસ્ટર્ન કોસ્ટ, રિયાધ અને દમામ કોસ્ટની મુલાકાત લેવા ચેમ્બરના પ્રતિનિધિમંડળને આમંત્રણ

સુરત, 15 જુલાઈ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા મંગળવાર, તા. 14 જુલાઈ 2026ના રોજ રિયાધ (સાઉદી અરેબિયા) સ્થિત ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ મીટિંગ યોજવામાં આવી હતી. આ ઓનલાઇન મીટમાં રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી (કોમર્સ) શ્રી વિપુલ બાવા અને ચેમ્બરના હોદ્દેદારો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો મજબૂત કરવા અને સાઉદી અરેબિયામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે નિકાસની નવી તકો શોધવા અંગે વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું.

બેઠકના પ્રારંભમાં SGCCIના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “ચેમ્બર આજે દક્ષિણ ગુજરાતમાં 14,500થી વધુ પ્રત્યક્ષ સભ્યો અને 155થી વધુ અગ્રણી વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતી દેશની અગ્રણી સંસ્થા છે.” તેમણે સાઉદી અરેબિયાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ દક્ષિણ ગુજરાતના મુખ્ય મજબૂત ક્ષેત્રો જેવા કે ટેક્સટાઇલ્સ, ડાયમંડ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ અને રિન્યુએબલ એનર્જીની ઉત્પાદન ક્ષમતાઓ રજૂ કરી હતી.

બેઠકમાં ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં નેચરલ ફાઇબર, કોટન અને સિન્થેટિક કાપડ ક્ષેત્રે સુરતના મોનોપોલી સમાન સ્થાનની વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે જ તેમણે સાઉદી અરેબિયામાં સુરતના કાપડની નિકાસ સરળતાથી વધારી શકાય તે માટેના રોડમેપ અંગે ચર્ચા કરી હતી.

રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી શ્રી વિપુલ બાવાએ સાઉદી અરેબિયામાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોનો વ્યાપાર વધે તે માટે સાઉદીના વેસ્ટર્ન કોસ્ટ, રિયાધ અને દમામ કોસ્ટની પ્રત્યક્ષ મુલાકાત લેવા અને ત્યાંના બજારની માહિતી મેળવવા ચેમ્બરના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળને સત્તાવાર આમંત્રણ આપ્યું હતું. તેમણે ખાતરી આપી હતી કે, ચેમ્બરનું આ ડેલિગેશન જ્યારે સાઉદી આવશે ત્યારે દૂતાવાસ દ્વારા તેમની બેઠકો ‘નેશનલ ચેમ્બર ઓફ કોમર્સ – રિયાધ’, ‘ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (સાઉદી અરેબિયા)’ અને ‘સાઉદી ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ’ના ટોચના હોદ્દેદારો અને બાયર્સ સાથે ગોઠવવામાં આવશે.

શ્રી બાવાએ સાઉદી અરેબિયાના ‘વિઝન-2030’ અંતર્ગત ટેક્સટાઇલ્સ, ડાયમંડ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ અને ખાસ કરીને રિન્યુએબલ એનર્જી (સૌર અને પવન ઊર્જા) ક્ષેત્રે સાઉદી સરકાર દ્વારા અપાતા આર્થિક પ્રોત્સાહનો, સબસિડી અને લિબરલ ઇન્વેસ્ટમેન્ટ પોલિસીઓ વિશે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી.

અંતમાં ચેમ્બરના ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ સાઉદી અરેબિયાના બાયર્સને સુરતના આગામી પ્રદર્શનોમાં લાવવા અંગે ઉત્સુકતા દર્શાવી હતી અને ભારતીય દૂતાવાસના તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરીને બેઠકનું સમાપન કર્યું હતું.

July 14, 2026
WhatsApp-Image-2026-07-14-at-17.19.57-1280x853.jpeg
1min80
  • દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો માટે ઓમાનમાં વેપાર-રોકાણની નવી તકો
  • ઓમાનમાં હાઇ-લેવલ મલ્ટી-સેક્ટર બિઝનેસ ડેલિગેશન મોકલવા ચેમ્બર પ્રમુખનો પ્રસ્તાવ; ટેક્સટાઇલ, ડાયમંડ અને ફાર્મા સેક્ટર પર વિશેષ ફોકસ
  • 1 જૂનથી અમલી બનેલા ઇન્ડિયા-ઓમાન મુક્ત વ્યાપાર કરાર (CEPA) બાદ સુરત અને દક્ષિણ ગુજરાતના વેપારને વૈશ્વિક સ્તરે મોટો વેગ મળી શકે એમ છે
  • ભારત મસ્કત દૂતાવાસ દ્વારા ચેમ્બરના ડેલિગેશનને ઓમાન સરકાર અને ‘ઇન્વેસ્ટ ઓમાન’ સાથે B2B બેઠકો કરાવવા સંપૂર્ણ ખાતરી

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આજે મસ્કત (ઓમાન) સ્થિત ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજવામાં આવી હતી. ઝૂમ પર યોજાયેલી આ બેઠકનો ઉદ્દેશ મુખ્ય બેઉ દેશો વચ્ચે 1 જૂનથી અમલમાં આવેલા મુક્ત વેપાર કરાર બાદ અને ભારત-ઓમાન વચ્ચે વેપાર તેમજ રોકાણ સહકારને વધુ મજબૂત બનાવવાનો હતો. બેઠકમાં દૂતાવાસના સેકન્ડ સેક્રેટરી (કોમર્સ) શ્રી કરનબીર સિંહ ચોહાણ અને ચેમ્બરના હોદ્દેદારો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અંગે સકારાત્મક મંથન થયું હતું.

દક્ષિણ ગુજરાતની આર્થિક તાકાત ઓમાનના બજારો સુધી પહોંચશે: પ્રમુખ અશોક જીરાવાલા
બેઠકના પ્રારંભમાં SGCCIના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ ચેમ્બરની સત્તાવાર રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, “ચેમ્બર આજે દક્ષિણ ગુજરાતમાં 14,500 થી વધુ પ્રત્યક્ષ સભ્યો અને 155થી વધુ અગ્રણી વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતી દેશની અગ્રણી સંસ્થા છે.” તેમણે ઓમાનના સત્તાવાળાઓ સમક્ષ દક્ષિણ ગુજરાતના મુખ્ય ક્ષેત્રો જેવા કે ટેક્સટાઇલ્સ, ડાયમંડ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ અને રિન્યુએબલ એનર્જીની તાકાત રજૂ કરી હતી. તેમણે સૂચવ્યું કે ચેમ્બર ઓમાનમાં અગ્રણી કંપનીઓ સાથે B2B બેઠકો કરવા, સંયુક્ત સાહસો સ્થાપવા અને નિકાસની નવી તકો શોધવા માટે ટૂંક સમયમાં એક ઉચ્ચ સ્તરીય-મલ્ટી સેક્ટર પ્રતિનિધિમંડળ ઓમાન મોકલશે.

CEPA કરાર અને ઓમાનની વેપાર નીતિઓ અંગે ચર્ચા
ચેમ્બર તરફથી ઓમાનના ઇમ્પોર્ટ રેગ્યુલેશન્સ, કસ્ટમ્સ પ્રોસિજર અને પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ્સ સમજવા માટે માર્કેટ ઇન્ટેલિજન્સ પૂરી પાડવા વિનંતી કરવામાં આવી હતી. ભારત-ઓમાન વચ્ચે થયેલા કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA)ના અમલીકરણ બાદ ઊભી થયેલી તકો તેમજ વર્તમાન પ્રાદેશિક કટોકટીની લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન પર પડનારી અસરો અંગે દૂતાવાસનું માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું. જ્યારે ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ પોતાના ભૂતકાળના ઓમાન પ્રવાસના હકારાત્મક અનુભવો શેર કર્યા હતા.

ભારતીય દૂતાવાસ તરફથી પૂરતો સહયોગ આપવાની ખાતરી

એમ્બેસી ઓફ ઇન્ડિયા, મસ્કત (ઓમાન) ના સેકન્ડ સેક્રેટરી (કોમર્સ, પ્રેસ એન્ડ ઇન્ફોર્મેશન) તેમજ હેડ ઓફ ચાન્સરી શ્રી કરનબીર સિંહ ચોહાણે જણાવ્યું હતું કે, ઓમાનમાં ભારતમાંથી થતી આયાતમાં દક્ષિણ ગુજરાતના જે સેક્ટર્સનો મોટો હિસ્સો છે, તેમને ઓમાનના સ્થાનિક બજાર સાથે જોડવામાં આવશે. આ હેતુસર તેમણે ચેમ્બરને સેક્ટર વાઇઝ પ્રતિનિધિમંડળ લઈને ઓમાન આવવા આમંત્રણ આપ્યું હતું અને તે તમામ બેઠકોનું આયોજન ભારતીય દૂતાવાસ કરશે તેવી ખાતરી આપી હતી. આ ઉપરાંત, તેમણે ઓમાનમાં યોજાનારા વિવિધ પ્રદર્શનો પૈકી મેડિકલ ક્ષેત્રના પ્રતિષ્ઠિત એક્ઝિબિશન ‘ઓમાન હેલ્થ’ માં જોડાવા માટે ચેમ્બરના પ્રતિનિધિમંડળને વિશેષ આમંત્રણ આપ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, હાલમાં ઓમાનમાં સોલાર એનર્જી (સૌર ઊર્જા) ક્ષેત્રે વિદેશી રોકાણને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

તેમણે ચેમ્બરને એક વિસ્તૃત પ્રસ્તાવ સબમિટ કરવા જણાવ્યું છે, જેના આધારે દૂતાવાસ ઓમાનની સત્તાવાર રોકાણ એજન્સી ‘ઇન્વેસ્ટ ઓમાન’ તેમજ સ્થાનિક સરકારી સત્તાવાળાઓ સાથે ચેમ્બરના સભ્યોની ઉચ્ચ સ્તરીય બેઠકોનું આયોજન કરાવી શકે.

આ બેઠકમાં દૂતાવાસ તરફથી માર્કેટિંગ આસિસ્ટન્ટ્સ સુશ્રી સોનિયા ધુરી અને સુશ્રી સબિહા પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયાએ ભારતીય દૂતાવાસના તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરીને બેઠકનું સમાપન કર્યું હતું.

July 14, 2026
Cia_business_news-1280x936.jpg
1min60

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના માધ્યમથી બે નિકાસકારો કરશે પ્રથમ શિપમેન્ટ; કસ્ટમ્સ અધિકારીઓની હાજરીમાં થશે પ્રસ્થાન

ભારત અને બ્રિટન વચ્ચે આવતીકાલે, તા. 15 જુલાઈથી અમલમાં આવનારા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (FTA)નો લાભ લેતી સુરતમાંથી હીરા અને ઝવેરાતની પ્રથમ નિકાસ કરવામાં આવશે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના સંકલન હેઠળ શહેરના બે નિકાસકારો બ્રિટન માટે હીરા-ઝવેરાતની પ્રથમ ડ્યૂટી-ફ્રી શિપમેન્ટ રવાના કરશે.

આ ઐતિહાસિક પ્રસંગે કસ્ટમ્સ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે અને ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ હેઠળ થનારી પ્રથમ નિકાસ પ્રક્રિયાના સાક્ષી બનશે. સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે આ પ્રસંગને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ભારત-બ્રિટન વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટથી બ્રિટિશ બજારમાં ભારતીય હીરા અને ઝવેરાતને વધુ સ્પર્ધાત્મક સ્થાન મળશે. આયાત શુલ્કમાં મળનારી રાહતને કારણે ભારતીય નિકાસકારોને ભાવની દૃષ્ટિએ લાભ મળશે, જેના પરિણામે નિકાસમાં વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરત વિશ્વનું અગ્રણી હીરા કટિંગ અને પોલિશિંગ કેન્દ્ર છે. શહેરમાંથી દર વર્ષે મોટી માત્રામાં હીરા અને જ્વેલરીની નિકાસ થાય છે. નવી વેપાર સંધિ અમલમાં આવતા સુરતના નિકાસકારોને બ્રિટનના બજારમાં વધુ તકો મળશે અને લાંબા ગાળે નિકાસ તેમજ રોજગારી બંનેમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પ્રસંગને ધ્યાનમાં રાખીને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ શિપમેન્ટને પ્રતીકાત્મક રીતે રવાના કરવામાં આવશે. ઉદ્યોગજગતની નજર હવે એ તરફ છે કે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટના અમલ બાદ બ્રિટન તરફની હીરા અને ઝવેરાતની નિકાસમાં કેટલો વધારો નોંધાય છે.

July 14, 2026
image-13.png
1min241

7 બેઠકો ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ જીતતાં બોર્ડ પર બહુમતી નિશ્ચિત, છતાં નિઝર, સોનગઢ, મહુવા, વ્યારા અને ઓલપાડમાં કાંટાની ટક્કર; 710 મતદારો નક્કી કરશે 6,600 કરોડના ટર્નઓવર ધરાવતી ડેરીનું ભાવિ

ધી સુરત અને તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી (સુમુલ ડેરી)ની 16 બેઠકોમાંથી 9 બેઠકો માટેનો ચૂંટણી જંગ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. 9 બેઠકો માટે કુલ 21 ઉમેદવારો મેદાનમાં હોવાથી અનેક બેઠકો પર સીધો અને ત્રિકોણીય મુકાબલો સર્જાયો છે. બુધવાર, તા.15 જુલાઈએ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે, જેમાં કુલ 710 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

વ્યારા અને મહુવા બેઠકો પર સૌથી વધુ ચાર-ચાર ઉમેદવારો મેદાનમાં હોવાથી અહીં સૌથી વધુ રસાકસી જોવા મળશે. જ્યારે કુકરમુંડા બેઠક પર ત્રિકોણીય મુકાબલો છે. અન્ય બેઠકો પર ભાજપ સમર્થિત અને કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર રહેશે.

ચૂંટણી મતદાન પૂર્વેથી જ 16માંથી 7 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઉપરાંત સરકાર દ્વારા નિયુક્ત થનારી ત્રણ બેઠકોને ધ્યાનમાં લેતાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ ભાજપે સુમુલ ડેરીના બોર્ડમાં બહુમતી સુનિશ્ચિત કરી લીધી છે. તેમ છતાં બાકીની 9 બેઠકોની ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે.

ખાસ કરીને નિઝર, સોનગઢ, મહુવા, વ્યારા અને ઓલપાડ બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો સામે કોંગ્રેસ તેમજ પશુપાલક હિતરક્ષક સમિતિના ઉમેદવારો ઉપરાંત ભાજપના બળવાખોર ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી ચૂંટણી અત્યંત રસપ્રદ બની છે. કેટલીક બેઠકો પર ભાજપના આંતરિક અસંતોષે ચૂંટણીને વધુ કાંટાની બનાવી છે.

સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકો સાથે સંકળાયેલી અને વાર્ષિક આશરે ₹6,600 કરોડનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની આ ચૂંટણીને માત્ર સહકારી સંસ્થાની ચૂંટણી નહીં પરંતુ રાજકીય પ્રતિષ્ઠાની લડાઈ તરીકે પણ જોવામાં આવી રહી છે. કોંગ્રેસમુક્ત અથવા વિપક્ષમુક્ત સુમુલનું સ્વપ્ન સંપૂર્ણ રીતે સાકાર થશે કે વિરોધ પક્ષ પોતાની હાજરી નોંધાવશે, તેના પર સૌની નજર છે.

મતદાન પૂર્વે ઉમેદવારો દ્વારા નિયુક્ત મતદારોને પોતાના પક્ષે કરવા માટે ‘ડિનર ડિપ્લોમસી’ પણ પૂરજોશમાં ચાલી રહી છે. વિવિધ સ્થળોએ બપોર અને રાત્રિના ભોજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જ્યાં મતદારોને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ ચૂંટણીમાં કુલ 710 મતદારો મતદાન કરશે. તેમાં સોનગઢ બેઠકમાં સૌથી વધુ 176 મતદારો, ત્યારબાદ માંડવીમાં 129, વ્યારામાં 80, મહુવામાં 65, ઉમરપાડામાં 61, ડોલવણમાં 53, નિઝરમાં 51, કુકરમુંડામાં 43 અને ઓલપાડમાં 42 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

July 14, 2026
Cia_business_news-1280x936.jpg
1min332

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

  • પીએમ મિત્રા પાર્ક માટે ગ્લોબલ ટેન્ડર જાહેર, સુરત-નવસારી ટેક્સટાઇલ બેલ્ટને મળશે વૈશ્વિક ગતિ
  • ૧,૧૪૨ એકરમાં મેગા ટેક્સટાઇલ અને એપેરલ પાર્ક વિકસાવવા માસ્ટર ડેવલપરની પસંદગી પ્રક્રિયા શરૂ; ફાઇબરથી ફેશન અને નિકાસ સુધીની સમગ્ર ઇકોસિસ્ટમ એક જ કેમ્પસમાં ઉભી થશે, સુરતના ઉદ્યોગને મળશે લાંબા ગાળાનો મોટો લાભ

કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ મંત્રાલયની મહત્ત્વાકાંક્ષી PM MITRA (Mega Integrated Textile Region and Apparel) યોજના હેઠળ નવસારી જિલ્લાના વાંસી ખાતે ૧,૧૪૨ એકરમાં વિકસનારા મેગા ટેક્સટાઇલ અને એપેરલ પાર્ક માટે સોમવારે વૈશ્વિક ટેન્ડર (RFP) જાહેર કરવામાં આવ્યું છે. પીએમ મિત્રા પાર્ક ગુજરાત લિમિટેડ દ્વારા જાહેર કરાયેલા ટેન્ડર મુજબ પાર્કના વિકાસ, સંચાલન અને જાળવણી માટે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ માસ્ટર ડેવલપરની પસંદગી કરવામાં આવશે. આ સાથે રાજ્યના ટેક્સટાઇલ ક્ષેત્ર માટે વર્ષોથી રાહ જોવાતો સૌથી મોટો ઔદ્યોગિક પ્રોજેક્ટ હવે અમલીકરણના મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશ્યો છે.

ટેન્ડર પ્રક્રિયા 13 જુલાઈથી શરૂ થઈ છે. 27 જુલાઈએ પ્રી-બિડ કોન્ફરન્સ યોજાશે, ઓનલાઈન ટેન્ડર ભરવાની અંતિમ તારીખ 29 ઓગસ્ટ અને ભૌતિક દસ્તાવેજો જમા કરવાની છેલ્લી તારીખ 3 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. ટેન્ડર ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ, ટ્રાન્સફર (DBFOT) મોડલ પર અમલમાં મૂકવામાં આવશે.

સુરત દેશનું સૌથી મોટું મેન-મેડ ફાઇબર (MMF) ટેક્સટાઇલ હબ છે. દરરોજ કરોડો મીટર કાપડનું ઉત્પાદન, હજારો વીવિંગ યુનિટ, પ્રોસેસ હાઉસ, ડાઇંગ-પ્રિન્ટિંગ, એમ્બ્રોઇડરી, ગારમેન્ટ અને વિશાળ ટ્રેડિંગ નેટવર્ક ધરાવતું સુરત અત્યાર સુધી અલગ-અલગ વિસ્તારોમાં વિખરાયેલા ઉદ્યોગ તરીકે વિકસ્યું છે. PM MITRA પાર્ક આ સમગ્ર મૂલ્ય શૃંખલાને (Value Chain) એકીકૃત કરવાની દિશામાં સૌથી મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

ઉદ્યોગકારોના મતે પાર્કમાં સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસિંગ, ગારમેન્ટિંગ, ટેકનિકલ ટેક્સટાઇલ, રેડીમેડ એપેરલ, લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેસ્ટિંગ લેબ, ડિઝાઇન સેન્ટર, સ્કિલ ડેવલપમેન્ટ અને એક્સપોર્ટ સુવિધાઓ એક જ કેમ્પસમાં ઉપલબ્ધ થવાથી ઉત્પાદન ખર્ચ ઘટશે, સપ્લાય ચેઇન વધુ કાર્યક્ષમ બનશે અને આંતરરાષ્ટ્રીય ખરીદદારોને પણ એક જ સ્થળે સંપૂર્ણ ટેક્સટાઇલ ઇકોસિસ્ટમ ઉપલબ્ધ થશે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ પાર્ક માત્ર નવા ઔદ્યોગિક પ્લોટ્સ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ “ફાઇબર ટુ ફેશન, ફેશન ટુ ફોરેન માર્કેટ” સુધીની સમગ્ર ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે. ખાસ કરીને ગારમેન્ટ અને વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સમાં રોકાણ વધવાથી સુરતની ઓળખ ગ્રે અને પ્રોસેસ્ડ ફેબ્રિકથી આગળ વધી તૈયાર વસ્ત્રોના વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી શકે છે.

ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતોનું માનવું છે કે હાલમાં સુરતમાંથી મોટા પ્રમાણમાં ફેબ્રિક દેશભરમાં મોકલાય છે, જ્યારે ગારમેન્ટિંગ અને બ્રાન્ડિંગનું મૂલ્યવર્ધન અન્ય રાજ્યોમાં થાય છે. PM MITRA પાર્ક કાર્યરત બન્યા બાદ આ વેલ્યુ એડિશન ગુજરાતમાં જ થવાની સંભાવના છે, જેના કારણે રોજગારી, નિકાસ અને રોકાણમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

આ પાર્ક સુરત, નવસારી, વલસાડ અને દક્ષિણ ગુજરાતના સમગ્ર ઔદ્યોગિક પટ્ટા માટે ગ્રોથ એન્જિન સાબિત થઈ શકે છે. દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, નજીકના બંદરો, એરપોર્ટ અને રેલ-રોડ કનેક્ટિવિટીના કારણે નિકાસ આધારિત ઉદ્યોગોને પણ સીધો લાભ મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ પ્રોત્સાહક યોજનાઓને કારણે દેશ-વિદેશના મોટા રોકાણકારોને પણ આકર્ષવાની અપેક્ષા છે.

ઉદ્યોગજગતનું માનવું છે કે જો ટેન્ડર પ્રક્રિયા સમયસર પૂર્ણ થશે અને માસ્ટર ડેવલપર ઝડપથી નિયુક્ત થશે તો આગામી વર્ષોમાં PM MITRA પાર્ક સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી વૈશ્વિક ઓળખ આપવાની સાથે ગુજરાતને વિશ્વના અગ્રણી ટેક્સટાઇલ ઉત્પાદન કેન્દ્રોમાં સ્થાન અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

July 13, 2026
Cia_business_news-1280x936.jpg
1min123
  • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ફ્લડ લોન યોજનાનું લોકાર્પણ
  • પૂર અને પાણી ભરાવા સામે રક્ષણ આપતી વિશેષ વીમા યોજના પણ શરૂ

સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે અસરગ્રસ્ત બનેલા વેપારીઓ, ઉદ્યોગકારો અને નાગરિકોને આર્થિક રાહત પૂરી પાડવાના ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્યની અગ્રણી મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ સહકારી બેંક – ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત દ્વારા માત્ર 9% વ્યાજદરે રૂ|. 5 લાખ સુધીની વિશેષ “ફ્લડ લોન” યોજના જાહેર કરવામાં આવી છે. આ સાથે પૂર અને પાણી ભરાવાના કારણે વેપારીઓના માલસામાન, સ્ટોક અને મિલકતને થતા નુકસાન સામે રક્ષણ આપતી વિશેષ ફ્લડ ઇન્સ્યોરન્સ યોજના પણ શરૂ કરવામાં આવી છે. આ બંને લોકહિતકારી યોજનાઓનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પૂરગ્રસ્ત વિસ્તારોનો સર્વે યુદ્ધના ધોરણે પૂર્ણ કરી અસરગ્રસ્તોને ઝડપથી રાહત પહોંચાડવા પ્રતિબદ્ધ છે. કુદરતી આફતના સમયમાં સરકાર હંમેશા લોકોની પડખે ઊભી રહે છે અને જરૂરી તમામ સહાય પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારના પ્રયાસોની સાથે વરાછા બેંકે પણ સામાજિક જવાબદારી નિભાવી પૂરગ્રસ્તોને તાત્કાલિક આર્થિક સહાય મળે તે માટે વિશેષ ફ્લડ લોન યોજના અને ફ્લડ ઇન્સ્યોરન્સ યોજના શરૂ કરી છે, જે અત્યંત પ્રશંસનીય અને સમયોચિત પહેલ છે. તેમણે બેંકના ચેરમેનશ્રી નરેન્દ્ર કુકડીયા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સમગ્ર મેનેજમેન્ટને અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પૂરગ્રસ્ત પરિવારોને ઝડપથી સહાય પહોંચાડવા માટે સતત કાર્યરત છે અને વરાછા બેંક દ્વારા કરવામાં આવેલી આ લોકહિતકારી પહેલ સમાજ માટે પ્રેરણાદાયી છે.

બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી ફ્લડ લોન યોજના હેઠળ અસરગ્રસ્તોને રૂ. 5 લાખ સુધીની લોન માત્ર 9 % વ્યાજદરે અને 60 મહિનાની સરળ ચુકવણી મુદત સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. લોનની મંજૂરી ઝડપથી મળી રહે તે માટે વરાછા બેંકની મુખ્ય કચેરી ખાતે વિશેષ Dedicated Flood Assistance Counter શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં અરજદારોને માર્ગદર્શન તથા જરૂરી સહાય ત્વરિત ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ ઉપરાંત, ભવિષ્યમાં પૂર અને પાણી ભરાવાની પરિસ્થિતિમાં વેપારીઓના સ્ટોક, ગોડાઉન, દુકાન તથા અન્ય વ્યવસાયિક મિલકતને થતા નુકસાન સામે આર્થિક રક્ષણ મળે તે માટે વિશેષ ફ્લડ ઇન્સ્યોરન્સ યોજના શરૂ કરવામાં આવી છે. ગ્રાહકોને બેંકની શાખાઓ મારફતે જ બેંકિંગ તથા વીમા – બંને સેવાઓનો લાભ એક જ સ્થળે મળશે.

ચેરમેનશ્રી નરેન્દ્ર કુકડીયાના નેતૃત્વ હેઠળ વરાછા બેંકે પૂરગ્રસ્ત નાગરિકો અને વેપારીઓને ઝડપથી આર્થિક સહાય ઉપલબ્ધ કરાવી સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા સુરતમાં ખાડીપૂરના કાયમી ઉકેલ માટે રૂ. 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમજ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક કેશડોલ સહાય ચૂકવવાની કામગીરી ચાલી રહી છે. આવી સ્થિતિમાં વરાછા બેંકની ફ્લડ લોન યોજના વેપારીઓ અને નાગરિકોને ફરી આર્થિક રીતે સશક્ત બનવામાં મહત્વપૂર્ણ સહાયક બનશે.

આ યોજના અંગે વધુ માહિતી માટે ગ્રાહકો સુરત, નવસારી, અંકલેશ્વર, અમદાવાદ તથા રાજકોટ ખાતે આવેલી વરાછા બેંકની કોઈપણ શાખાનો સંપર્ક કરી શકશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, સામાજિક અગ્રણી શ્રી દિનેશભાઈ નાવડીયા, ઉદ્યોગપતિ શ્રી જયંતીભાઈ એકલારા, સામાજિક અગ્રણી શ્રી મુકેશ પટેલ, બેંકના તમામ ડિરેક્ટર્સશ્રીઓ, જનરલ મેનેજર શ્રી વિઠ્ઠલ ધાનાણી સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન એજીએમ શ્રી શૈલેષભાઈ ભૂત દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ ડિરેક્ટર શ્રી વલ્લભભાઈ ચોથાણી દ્વારા કરવામાં આવી હતી.

July 9, 2026
અશોક-જીરાવાલા.png
2min121

છેલ્લા કેટલાક દિવસોથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસેલા અતિભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે સ્થાનિક વેપાર, ઉદ્યોગ અને ધંધા-રોજગારને વ્યાપક પ્રમાણમાં આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ પ્રોસેસિંગ હાઉસ, વણાટ ઉદ્યોગ, ડાયમંડ એકમો અને અસંખ્ય MSME સેક્ટરની ફેક્ટરીઓમાં પાણી ભરાઈ જવાને કારણે મશીનરી, કાચો માલ અને તૈયાર સ્ટોકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનીનો વ્યવસ્થિત, સત્તાવાર અને વાસ્તવિક અંદાજ મેળવવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા એક વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ પ્રભાવિત ઉદ્યોગકારોને અપીલ કરતા જણાવ્યું છે કે, “અતિવૃષ્ટિને કારણે દક્ષિણ ગુજરાતના નાના-મોટા ઉદ્યોગો અત્યારે ભારે કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. ઉદ્યોગોને આ સંકટમાંથી બહાર લાવવા અને તેમને યોગ્ય સરકારી મદદ અપાવવા માટે આપણી પાસે નુકસાનનો એક વ્યવસ્થિત અને સત્તાવાર ડેટા હોવો અત્યંત અનિવાર્ય છે. આથી, દક્ષિણ ગુજરાતના જે પણ ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ કે વ્યાપારી પેઢીઓને નુકસાન થયું હોય, તેઓ વિગતો સાથે પોતાની રજૂઆત તાત્કાલિક ચેમ્બરને મોકલી આપે.”

ઉદ્યોગકારો પોતાની નુકસાનીનો વિગતવાર અહેવાલ (જેમાં અંદાજિત આર્થિક નુકસાન, મશીનરી કે માલસામાનની વિગત અને જે-તે વિસ્તારનું નામ સામેલ હોય) નીચે મુજબના માધ્યમથી ચેમ્બર સુધી પહોંચાડી શકે છે:

  • 1.એસોસિએશનો મારફતે:
    વિવિધ ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનો અને વ્યાપારી સંગઠનો પોતાના સભ્યોની વિગતો એકત્રિત કરીને સામૂહિક રીતે ચેમ્બરને મોકલી શકે છે.
  • 2.સીધી રજૂઆત:
    જો કોઈ ઉદ્યોગકાર સીધી રીતે વિગતો મોકલવા માંગતા હોય, તો તેઓ લેખિત રજૂઆત અથવા ચેમ્બરના સત્તાવાર ઈ-મેઈલ પર સીધી માહિતી મોકલી આપશે.
  • પ્રભાવિત ઉદ્યોગકારોએ પોતાની વિગતો નીચે મુજબના નિયત ફોર્મેટમાં ભરીને ચેમ્બર ઓફ કોમર્સની કચેરીએ કે સત્તાવાર ઈ-મેઈલ dysec@sgcci.in પર મોકલી આપવાની રહેશે:
  • નુકસાનીગ્રસ્ત એકમોની માહિતી આ ફોર્મેટ મુજબ આપવી
  • એકમનું નામ:
  • સરનામું:
  • GST નંબર:
  • ઉદ્યોગનું ક્ષેત્ર:
  • MSME પ્રમાણપત્ર (જો ઉપલબ્ધ હોય તો):
  • નુકસાનનું વર્ણન (મશીનરી, કાચો માલ, સ્ટોક વગેરે):
  • નુકસાનની અંદાજિત રકમ (રૂપિયામાં):
  • નુકસાનના પુરાવારૂપ ફોટોગ્રાફ્સ:
  • ચેમ્બર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ ઔદ્યોગિક વિસ્તારોમાંથી વિગતો આવ્યા બાદ તેનો એક વ્યાપક અહેવાલ તૈયાર કરવામાં આવશે. અને તેના આધારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ સંબંધિત સત્તાવાળા સમક્ષ લોનના વ્યાજમાં રાહત, વીમા કંપનીઓ પાસેથી ઝડપી ક્લેમ સેટલમેન્ટ અને વિશેષ આર્થિક સહાય પેકેજ જાહેર કરવા માટે ચેમ્બર દ્વારા સચોટ રજૂઆતો કરવામાં આવશે, જેથી દક્ષિણ ગુજરાતના અર્થતંત્રને ફરી બેઠું કરી શકાય.

ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત પત્ર પાઠવી રજૂઆતો કરી

ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસીએશન દ્વારા અમે આપના ધ્યાનમાં લાવવા માંગીએ છીએ કે, તાજેતરમાં સુરત શહેર તથા આસપાસના વિસ્તારોમાં પડેલા અત્યંત ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે ટેક્સટાઈલ ઉદ્યોગને અત્યંત વ્યાપક નુકસાન થયું છે. સુરત ગુજરાતનું મુખ્ય ટેક્સટાઈલ હબ હોવાથી હજારો મિલો, પાવરલૂમ યુનિટ્સ, પ્રોસેસિંગ હાઉસ અને એમ્બ્રોડરી ઉદ્યોગો પૂરી રીતે પાણીમાં ડૂબી ગયા છે. મશીનરી, કાચો માલ, તૈયાર માલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નુકસાન થયું છે.

આ નુકસાનથી અસંખ્ય ઉદ્યોગપતિઓ, કામદારો અને તેમના પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હજારો મજૂરોની રોજી-રોટી પર અસર પડી છે અને ઉદ્યોગની પુનઃસ્થાપના માટે તાત્કાલિક આર્થિક સહાયની જરૂર છે.

અમારી વિનંતી છે કે, ટેક્સટાઈલ ઉદ્યોગને થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વે કરાવીને નુકસાનીનું મૂલ્યાંકન કરવામાં આવે. પ્રભાવિત ઉદ્યોગોને આર્થિક સહાય, સબસિડી, લોનમાં છૂટ અને પુનઃનિર્માણ માટે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે. કામદારોને તાત્કાલિક રાહત અને વળતર આપવામાં આવે. ઉદ્યોગને ઝડપથી સામાન્ય સ્થિતિમાં લાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવે.

અશોક જીરાવાલાએ મુખ્યમંત્રીને જણાવ્યું કે આપના નેતૃત્વમાં ગુજરાત વિવિધ આપત્તિઓમાંથી ઝડપથી બહાર આવ્યું છે. અમે આપના પર પૂર્ણ વિશ્વાસ રાખીએ છીએ કે આ વખતે પણ આપ ટેક્સટાઈલ ઉદ્યોગ અને સુરતના આર્થિક વિકાસ માટે ત્વરિત અને સકારાત્મક નિર્ણય લેશો.