CIA ALERT

Blog - Page 10 of 694 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
March 30, 2026
image-12-1280x720.png
1min45

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ઉર્જા પુરવઠા પર ખૂબ ગંભીર દેખાઈ રહી છે. હાલ LPGની તંગી વચ્ચે LPG પરનું દબાણ ઘટાડવા અને સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ કટોકટીના પગલાની જાહેરાત કરી છે. સત્તાવાર આદેશ અનુસાર, સર

કારે ઘરગથ્થુ વપરાશ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ કેરોસીનની એડ-હોક ફાળવણી કરી છે. આ 60 દિવસની ઈમરજન્સી વ્યવસ્થા હેઠળ ફાળવવામાં આવેલ કેરોસીનનો ઉપયોગ મુખ્યત્વે રસોઈ બનાવવા અને પ્રકાશ માટે કરી શકાશે, જેથી LPGના પુરવઠામાં આવતા અવરોધો સામે લોકોને વૈકલ્પિક ઇંધણ મળી રહે.

નોંધવા જેવી વાત એ છે કે, આ નિર્ણય હેઠળ દેશના એવા 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કામચલાઉ ધોરણે કેરોસીનનું વિતરણ ફરી શરૂ કરવામાં આવશે, જેમને અગાઉ ‘PDS કેરોસીન મુક્ત’ જાહેર કરવામાં આવ્યા હતા. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે જે પરિવારો હાલમાં LPGની મર્યાદાઓ અથવા અન્ય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેમને પાયાની જરૂરિયાતો માટે આવશ્યક ઇંધણની સુવિધા સતત મળતી રહે. આ પગલાથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને મોટી આર્થિક અને વ્યવહારિક રાહત મળવાની અપેક્ષા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ૨૯ માર્ચ, ૨૦૨૬ના રોજ એક મહત્વનું જાહેરનામું બહાર પાડીને દેશભરમાં ઉર્જા પુરવઠા પરના દબાણને હળવું કરવા માટે કટોકટીના પગલાં જાહેર કર્યા છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે ઉર્જા પુરવઠામાં સર્જાયેલા અવરોધોને ધ્યાનમાં રાખીને, સરકારે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ સુપિરિયર કેરોસીન ઓઈલની એડ હોક ફાળવણી કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ, દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ સહિત કુલ ૨૧ એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કે જેમને અગાઉ ‘કેરોસીન મુક્ત’ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યાં ફરીથી ઘરગથ્થુ વપરાશ માટે રસોઈ અને પ્રકાશના હેતુસર કેરોસીનનું વિતરણ કરવામાં આવશે.

આ પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે સરકારે પેટ્રોલિયમ નિયમોમાં કેટલીક મહત્વની છૂટછાટો પણ આપી છે. નવા આદેશ મુજબ, જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપ પર હવે ૫,૦૦૦ લિટર સુધી કેરોસીનનો સંગ્રહ કરવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત, એજન્ટો અને ટેન્કર વાહનોને પણ વિતરણ માટે જરૂરી પરવાનાઓમાં વિશેષ મુક્તિ અપાઈ છે જેથી સામાન્ય જનતા સુધી ઇંધણ પહોંચાડવામાં વિલંબ ન થાય.

March 25, 2026
image-11.png
2min48

Uniform Civil Code: 24મી માર્ચ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં ‘સમાન નાગરિક સંહિતા’ (UCC) બિલ 2026 રજૂ કરાયું હતું, જે 7:30 કલાકની ચર્ચા બાદ બહુમતી પસાર થઈ ગયું છે. આ સાથે જ UCC બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બની ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘ગુજરાત બિલ નંબર 17 ઑફ 2026’ તરીકે ઓળખાતું આ બિલ રજૂ કરાયું હતું, જેના પર ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. કોંગ્રેસે ચૂંટણી આવતા બિલ ઉતાવળેથી લાવવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો હતો. મતદાન સમયે કોંગ્રેસે પ્રવર સમિતિને મોકલવાની માગ કરી વોક આઉટ કર્યું હતું. બહુમતીથી પસાર થયા બાદ આ બિલ પર હવે રાજ્યપાલ સહી કરશે જે બાદ તે કાયદાનું રૂપ ધારણ કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 25 મિનિટનું વિધાનસભામાં પ્રવચન કર્યું, કહ્યું હતું કે ‘સંસ્કૃતિ મિટાવવા માટે બિલ નથી અને આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન નહીં પહોંચે, મહિલાઓ અને બાળકોના ન્યાયની વાત બિલમાં આવરી લેવામાં આવી છે. તમામ પાસાઓની ચર્ચા બાદ આ બિલ લાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ગૃહમાં UCC બિલ રજૂ કરતા જ સત્તાપક્ષમાંથી જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા.’

  • બિલમાં લગ્ન અને છૂટાછેડા અંગેના નિયમો
  • ફરજિયાત નોંધણી: દરેક નાગરિક માટે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
  • દંડની જોગવાઈ: જો લગ્નની નોંધણી કરવામાં નહીં આવે, તો 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
  • બહુપત્નીત્ત્વ પર કડક સજા: એકથી વધુ લગ્ન કરનાર વ્યક્તિને 4 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
  • છૂટાછેડાના સમાન નિયમો: દરેક ધર્મ અને સમાજ માટે છૂટાછેડાના નિયમો એકસમાન રહેશે.
  • કોર્ટની માન્યતા: કોર્ટની બહાર લેવાયેલા છૂટાછેડા અમાન્ય ગણાશે અને આવું કરનાર સજાને પાત્ર રહેશે.
  • લિવ-ઇન રિલેશનશિપ
  • ફરજિયાત રજિસ્ટ્રેશન: લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોએ 3 મહિનાની અંદર તેની નોંધણી કરાવવી પડશે.
  • કાનૂની સુરક્ષા: આ જોગવાઈનો મુખ્ય હેતુ કાનૂની સુરક્ષા આપવાનો અને છેતરપિંડી રોકવાનો છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે લઘુમતી સમાજમાં ચાલતી પિતરાઈ ભાઈ-બહેન સાથેના લગ્નની પરંપરા પર આ કાયદો લાગુ પડશે નહીં. તેમને આ બાબતમાં છૂટ આપવામાં આવી છે.

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ બિલ મુદ્દે જણાવ્યું કે 45 દિવસની જગ્યાએ 1 વર્ષે રિપોર્ટ આવ્યો અને સમિતિમાં લોકોનું પ્રતિનિધિત્ત્વ પણ ન રાખવામાં આવ્યું, અને સરકાર પર એવું તે શું થયુ કે 17મી એ રિપોર્ટ આવ્યો અને 24મી એ સરકારે વિધાનસભામાં બિલ લાવ્યા. તેમણે કહ્યું ચૂંટણીઓ છે એટલે સરકાર બિલ ઉતાવળે લઈને આવી છે.

અમિત ચાવડાએ આક્ષેપ કર્યા કે રિપોર્ટ આપવામાં આવ્યો નથી, ધારાસભ્યોને અભ્યાસ માટે પણ ન આપ્યો અને ઉતાવળે બિલ લાવવામાં આવ્યું છે જેથી ચૂંટણીમાં ફાયદો થાય, સ્થાનિક ચૂંટણીઓમાં OBC અનામત માટેના ઝેવરી કમિશનનો રિપોર્ટ હતો એ રિપોર્ટ હજુ જાહેર કરવામાં આવ્યો નથી અને UCCનો રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ આ સરકાર બિલ લાવવાની વાત આવે ત્યારે રાજકીય એજન્ડા માટે વાત કરે છે.

શું છે UCC બિલના મુખ્ય અંશો?

UCC બિલનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ધર્મના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઇન રિલેશનશિપ જેવા વિષયોમાં એકસમાન કાયદો લાવવાનો છે. લગ્ન અને છૂટાછેડાની નોંધણી હવે ફરજિયાત બનશે. લિવ-ઇન પાટનર્સે રજિસ્ટ્રાર પાસે નિવેદન સબમિટ કરવું પડશે. આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર ગણવામાં આવશે અને તેમને તમામ કાયદાકીય સુરક્ષા મળશે. આ કાયદો ગુજરાતમાં રહેતા તમામ લોકો ઉપરાંત રાજ્યની બહાર રહેતા ગુજરાતના મૂળ રહેવાસીઓને પણ લાગુ પડશે.

આ સંહિતામાં વ્યક્તિગત કાયદાઓમાં એકરૂપતા લાવવાનો પ્રયાસ છે, પરંતુ સામાજિક સંતુલન જાળવવા માટે અનુસૂચિત જનજાતિઓ (ST) અને લઘુમતી સમાજ, સુરક્ષિત રૂઢિગત અધિકારો ધરાવતા ચોક્કસ જૂથોને આ કાયદાના દાયરામાંથી સ્પષ્ટપણે બાકાત રાખવામાં આવ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ લાખો લોકોના સૂચનો અને કાયદાકીય પાસાઓનો અભ્યાસ કરીને પોતાનો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને 17 માર્ચે સુપરત કર્યો હતો, જે બાદ આજે વિધાનસભામાં ચર્ચા કરી બિલને પસાર કરવામાં આવ્યું છે.

March 25, 2026
image-10.png
1min71

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ વધુ ભયાનક બની રહ્યું છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 23/03/2026 સોમવારે પાંચ દિવસ માટે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. ટ્રમ્પની આ જાહેરાત સાથે જ અપેક્ષા મુજબ બજાર પર મોટી અસર જોવા મળી. શેરબજારમાં જંગી તેજી અને ક્રૂડમાં ભારે કડાકો બોલાયો હતો. જોકે, ટ્રમ્પના આ નિર્ણયની જાહેરાત પહેલાં જ બજારમાં ખેલ ખેલાઈ ગયો. સટ્ટાબાજો સક્રિય થઈ ગયા અને તેમણે મિનિટોમાં જ રૂ. 5,440 કરોડ દાવ પર લગાવી કરોડોની કમાણી કરી લીધી.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડી ખોલવા મુદ્દે ઈરાનને આપેલું 48 કલાકનું અલ્ટીમેટમ પૂરું થયા પછી યુદ્ધ વધુ ભયાનક બનશે તેવી દુનિયાને આશંકા હતી, જેને પગલે સોમવારે શેરબજારથી લઈને સોના-ચાંદી, કરન્સી સહિતના બજારોમાં ભારે કડાકો બોલાયો હતો. ક્રૂડના ભાવ પણ 117 ડોલરે પહોંચી ગયા હતા. જોકે, દુનિયા અને બજારની અપેક્ષાથી વિપરિત ટ્રમ્પે અચાનક જ ઈરાન સામે પાંચ દિવસ માટે યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી. આ જાહેરાત સાથે અપેક્ષા મુજબ જ શેરબજારમાં જંગી ઊછાળો આવ્યો અને ક્રૂડના ભાવ તૂટીને 100 ડોલર નીચે જતા રહ્યા હતા.

રસપ્રદ બાબત એ છે કે પ્રમુખ ટ્રમ્પ યુદ્ધવિરામની જાહેરાત કરે તેની 15 મિનિટ પહેલાં જ સટ્ટાબાજો સક્રિય થયા હતા. તેમણે ક્રૂડના ભાવ અંગે 580 મિલિયન અંદાજે રૂ. 5,440 કરોડથી વધુ દાવ પર લગાવી દીધા. સટ્ટાબાજોએ ઈક્વિટી અને ઓઈલમાં સોદા કર્યા અને કરોડોની કમાણી કરી હતી. ઈરાન પર હુમલા ટાળવાની ટ્રમ્પની જાહેરાતની 15 મિનિટ પહેલા જ શેરબજારમાં તેજી અને ઓઈલના ભાવમાં ઘટાડાની આગાહીમાં સટ્ટાબાજોએ મોટો દાવ લગાવ્યો હતો.

વિશ્લેષકોએ જણાવ્યું કે, આ સમયમાં થયેલા અનેક સોદાઓમાં ચોક્કસ સમય પર કરાયેલા સોદાઓથી સટ્ટાબાજોએ માત્ર 20 મિનિટની અંદર લગભગ 100 મિલિયન ડોલર (અંદાજે રૂ. 840 કરોડ)ની કમાણી કરી લીધી હતી. ટ્રેડિંગ પ્લેટફોર્મ અનયુઝ્યુઅલ વ્હેલ્સ મુજબ સટ્ટાબાજોએ બજારમાં બે તરફ એક સાથે દાવ લગાવ્યો હતો. યુદ્ધવિરામની સંભાવનાથી શેરબજારમાં તેજીની આશાથી લગભગ 1.5 અબજ ડોલર (અંદાજે રૂ. 12,600 કરોડ)ના ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા. બીજીબાજુ યુદ્ધની આશંકા ખતમ થવા અને ક્રૂડના ભાવમાં ઘટાડાની આશાએ 192 મિલિયન ડોલર (અંદાજે રૂ. 1,615 કરોડ)ના ફ્યુચર્સ વેચાયા.

સૂત્રો મુજબ ન્યૂયોર્કના સમય મુજબ સવારે 6.50 કલાકે સીએમઈ પર એસએન્ડપી 500 ઈ-મિની ફ્યુચર્સમાં અચાનક ભારે ટ્રેડિંગ જોવા મળ્યું. આ સાથે જ ક્રૂડ ઓઈલના બજારમાં પણ હલચલ જોવા મળી હતી. આ સમય ઘણો જ અસામાન્ય હતો, કારણ કે બજાર ખૂલવાના પહેલાના કલાકોમાં સામાન્ય રીતે મોટા પ્રમાણમાં સોદા થતા નથી. જોકે, બરાબર 15 મિનિટ પછી સવારે 7.05 કલાકે ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.

સટ્ટાબાજોએ સવારે 6.49થી 6.50 કલાકના માત્ર એક મિનિટના ટૂંકા સમયમાં બ્રેન્ટ અને વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના લગભગ 6,200 સોદા કર્યા હતા, જેની કિંમત 580 મિલિયન ડોલર (અંદાજે રૂ. 4,870 કરોડ) હતી, જે તે સમયના સામાન્ય ટ્રેડ કરતા ચારથી છ ગણા વધુ હતા. ટ્રમ્પની જાહેરાત સાથે જ બજારમાં અપેક્ષા મુજબ એસએન્ડપી 500 ફ્યુચર્સમાં 2.5 ટકાનો ઉછાળો આવ્યો અને ક્રૂડમાં 6 ટકાનો કડાકો બોલાયો. આ ઉતાર-ચઢાવમાં રહસ્યમય ટ્રેડરે માત્ર 20 મિનિટમાં રૂ. 840 કરોડનો નફો કર્યો. શેરબજારનો નફો ઉમેરવામાં આવે તો કુલ નફો અનેક ગણો વધી જાય. આ સોદાઓ અંગે નિષ્ણાતો ઈનસાઈડર ટ્રેડિંગની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. જોકે, વ્હાઈટ હાઉસે ટ્રમ્પના નિર્ણયની અગાઉથી કોઈને જાણ નહીં હોવાનો દાવો કર્યો હતો.

બજારમાં હેરાફેરી માટે ટ્રમ્પે ખોટા સમાચાર ફેલાવ્યા : ઈરાન

મધ્ય-પૂર્વમાં યુદ્ધવિરામ અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને ફગાવી દેતા ઈરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેરી ગલીબાફે પ્રમુખ ટ્રમ્પ પર બજારમાં હેરાફેરી માટે ખોટા સમાચાર ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયેલે તેમની રણનીતિક નિષ્ફળતા પરથી ધ્યાન હટાવવા અને બજારોમાં હેરાફેરી કરવા માટે યુદ્ધવિરામના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. ઈરાને અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટો કરી નથી. ટ્રમ્પનો આશય નાણાકીય અને ઓઈલ બજારોમાં હેરાફેરી કરવાનો અને અમેરિકા-ઈઝરાયેલને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બચાવવાનો છે. તહેરાન યુનિવર્સિટીના પ્રોફેસર સૈયદ મોહમ્મદ મરાંદીએ કહ્યું કે, દરેક સપ્તાહે બજાર ખૂલે છે ત્યારે ટ્રમ્પ આ પ્રકારના નિવેદનો આપે છે, જેથી ઓઈલના ભાવ ઘટે. ટ્રમ્પની પાંચ દિવસની સમય મર્યાદા પણ ઊર્જા બજારોના બંધ થવા સાથે મેળ ખાય છે. હકીકતમાં અમેરિકા-ઈરાન વચ્ચે કોઈ વાટાઘાટો ચાલતી નથી અને ટ્રમ્પ પાસે હોર્મુઝની ખાડીને ફરીથી ખોલવાની ક્ષમતા નથી. ઈરાનની આકરી ધમકી પછી ટ્રમ્પે પીછેહઠ કરવા મજબૂર થવું પડયું છે.

March 21, 2026
image-9.png
1min51

ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાએ મળીને કરેલા હુમલાને ત્રણ સપ્તાહ થયા છે. જેની અસર હવે ગુજરાતના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. યુદ્ધની આગાના કારણે ગુજરાતના ઉદ્યોગોને આશરે ₹10,000 કરોડના નુકસાનનું સંકટ છે. જેમાંથી કેટલોક હિસ્સો ક્યારેય ભરપાઈ ન થઈ શકે તેવો હોઈ શકે છે.

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના આ સંઘર્ષને કારણે રાજ્યની નિકાસમાં લગભગ 30% જેટલો ઘટાડો થયો છે. આમાંથી આશરે ₹10,000 કરોડનો વ્યવસાય કાયમી ધોરણે ગુમાવ્યો હોવાનું માનવામાં આવે છે અને તેની વસૂલાત થવાની શક્યતા ઓછી છે. આ અસર સિરામિક, ફૂડ એન્ડ બેવરેજીસ, એન્જિનિયરિંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ તેમજ ટેક્સટાઈલ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં જોવા મળી રહી છે.

જો સ્થિતિ આવી જ રહેશે તો નુકસાન વધુ વકરી શકે છે. તેમણે કહ્યું, ₹10,000 કરોડનો આંકડો એ લઘુત્તમ અંદાજ છે. લગભગ 30% નિકાસને અસર થઈ હોવાથી, જો સંઘર્ષ ચાલુ રહેશે તો આગામી ક્વાર્ટરમાં નુકસાન નોંધપાત્ર રીતે વધારે હોઈ શકે છે. સૂત્રોએ યુદ્ધના કારણે વેપારમાં અવરોધ અને ઈંધણના ભાવમાં વધારાથી થતા વ્યાપક આર્થિક પરિણામો અંગે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો આ સંઘર્ષ વધુ ત્રણ મહિના લંબાશે તો વૈશ્વિક અર્થતંત્ર મંદી જેવી સ્થિતિ તરફ ધકેલાઈ શકે છે.

ક્રૂડના ભાવમાં પહેલેથી જ લગભગ 35% નો વધારો થયો છે, જેના કારણે ઉદ્યોગોને તેમની ઉત્પાદન ક્ષમતા 100% થી ઘટાડીને લગભગ 50% કરવાની ફરજ પડી છે. આ એવું નુકસાન છે જે સ્થિતિ સામાન્ય થાય તો પણ રિકવર કરી શકાતું નથી. તેમણે ઉમેર્યું હતું કે જો ઝડપી ઉકેલ આવે તો નુકસાન મર્યાદિત કરી શકાય છે. જો 30 થી 45 દિવસમાં સ્થિતિ સ્થિર થાય, તો ઉદ્યોગો અમુક નુકસાન રિકવર કરી શકે છે. જો કે, જો સંઘર્ષ લાંબો ખેંચાશે, તો નુકસાન બે થી ત્રણ ગણું વધી શકે છે.

વોર-રિસ્ક ઈન્સ્યોરન્સ, ઉંચા નૂર (ભાડું) ખર્ચ, લાંબા શિપિંગ રૂટ, ઈંધણના વધેલા ભાવ અને મોંઘા કાચા માલના કારણે ખર્ચમાં વધારો થયો છે, જે કાયમી નુકસાનમાં વધારો કરી રહ્યો છે. એકમાત્ર રાહતની વાત મજબૂત સ્થાનિક વપરાશ છે, જેણે તૈયાર અને અર્ધ-તૈયાર માલના મોટા હિસ્સાને સમાવવામાં મદદ કરી છે.

March 21, 2026
image-8-1280x853.png
1min60

સુરતના કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા અને તેના સાગરીતો દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના નકલી નોટના કૌભાંડે સમગ્ર દેશની તપાસ એજન્સીઓને ચોંકાવી દીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી છે, જેમને ઘી કાંટા ફોજદારી કોર્ટે 10 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે. આ કૌભાંડમાં હવે પાકિસ્તાન પ્રેરિત ‘ઈકોનોમિક ટેરર’ની આશંકા સેવાઈ રહી છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, સુરતના ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ના નામે પ્રદીપ જોટાંગિયા નકલી નોટોનું નેટવર્ક ચલાવતો હતો. આરોપીઓએ છેલ્લા બે થી ત્રણ મહિનામાં જ આશરે અઢી થી ત્રણ કરોડ રૂપિયાની બનાવટી નોટો બજારમાં ફરતી કરી દીધી છે. પોલીસે મુકેશ ઠુમ્મરના ઘરે દરોડો પાડી 500 રૂપિયાના દરની 15,600 નકલી નોટો જપ્ત કરી છે. આરોપીઓ અત્યંત આધુનિક રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી અસલી નોટો સ્કેન કરી તેના સીરીયલ નંબર બદલીને આબેહૂબ નકલી નોટો છાપતા હતા.

બનાવટી ચલણી નોટોના કરોડોના કૌભાંડમાં રિમાન્ડ પર સોંપાયેલા અન્ય આરોપીઓમાં મુકેશ ઠુમ્મર, અશોક માવાણી, રમેશ બાલાર, દિવ્યેશ રાણા, ભરત કોટડિયા અને આરતીનો સમાવેશ થાય છે.

રો-મટીરીયલ: નકલી નોટ છાપવા માટે ખાસ પ્રકારનો કાગળ ચીનથી મંગાવવામાં આવતો હતો. આ કાગળમાં આરબીઆઈનો લોગો અને ભારતનું નામ અગાઉથી હોવાની શક્યતા છે.

આતંકી એજન્સીઓની એન્ટ્રી: પાકિસ્તાન દ્વારા ચીન મારફતે ભારતના અર્થતંત્રને તોડવા માટે આ ‘ઈકોનોમિક ટેરર’ ચલાવવામાં આવતું હોવાની આશંકા છે. જેને પગલે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) અને R&AW (રૉ) જેવી કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે.

કયા મુદ્દે તપાસ કરવામાં આવશે?

•આરોપીઓએ શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનની સંસ્થા સહિત કયા કયા ખાતાઓમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા?
•આરોપી મુકેશ ઠુમ્મરે નકલી નોટો છાપવા માટે ચાઈનાથી ખાસ કાગળ કોના મારફતે અને કઈ રીતે મંગાવ્યો હતો?
•આરોપીઓના વાર્ષિક આઈટી રિટર્ન તપાસીને નકલી નોટોના આ કૌભાંડથી મેળવાયેલી રકમમાંથી કોઈ અપ્રમાણિક મિલકતો વસાવવામાં આવી છે કે કેમ?
•આ સમગ્ર પ્રકરણમાં કુલ કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ.
•આરોપીઓના ફોન કોલ્સ અને સીડીઆર ડેટાના આધારે તેમના સંપર્કોની તપાસ.
•આરોપીઓ એઆઈ (AI)ની મદદથી 500 રૂપિયાની અસલ નોટ સ્કેન કરીને સિરિયલ નંબર બદલી નકલી નોટો છાપતા હતા.

March 19, 2026
image-7.png
1min50
  • ડીજીસીએ દ્વારા એરલાઇન્સ માટે નવી માર્ગદર્શિકા
  • એરલાઇન્સે એક જ પીએનઆર ધરાવતાં પ્રવાસીઓને નજીક બેઠકો ફાળવવી પડશે

દેશમાં નાગરિક ઉડ્ડયન વિભાગમાં નિયામક ડાયરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન- ડીજીસીએ- દ્વારા એરલાઇન્સ માટે સૂચવવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર પ્રવાસીઓની સુવિધાઓને બહેતર બનાવવા માટે ફલાઇટમાં ઓછામાં ઓછી ૬૦ ટકા બેઠકો મુક્તપણે ફાળવવાની રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો વેબ ચેક ઇન યા બેઠકની પસંદગી કરતી વખતે પ્રવાસીઓ પાસેથી પડાવવામાં આવતાં વધારાના દરો પર નિયંત્રણ આવશે. પ્રવાસીઓના અધિકારોને વધારે અસરકારક બનાવવા માટે પણ ડીજીસીએ દ્વારા વિવિધ નિર્દેશો આપવામાં આવ્યા છેે. ભારતનું નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર દુનિયાનું ત્રીજા ક્રમનું સૌથી મોટું માર્કેટ બની ચૂક્યુ છે અને દેશમાં એરપોર્ટ્સ પર રોજ પાંચ લાખ પ્રવાસીઓ આવનજાવન કરે છે.

ડીજીસીએના માર્ગદર્શક આદેશ અનુસાર વિમાનપ્રવાસને વધારે સરળ અને પારદર્શક બનાવવા માટે વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ઘણી એરલાઇન્સ ટિકિટ બુક કરાવ્યા પછી અથવા વેબ ચેક ઇન દરમ્યાન પસંદગીની બેઠકો ફાળવવા માટે વધારે ચાર્જ વસૂલ કરતી હતી. નવા નિર્દેશોનો હેતુ આ પ્રકારની પ્રવૃત્તિ પર લગામ તાણવાનો છે.

એરલાઇન્સને જણાવવામાં આવ્યું છે કે એક જ પીએનઆર પર પ્રવાસ કરનારા યાત્રીઓને સાથે પ્રવાસ કરવા મળે તે માટે તેમને નજીક નજીક બેઠકો ફાળવવામાં આવે. હાલ એકબીજાની પાસે બેસી પ્રવાસ કરવા માટે સીટ પસંદ કરો તો તેનો અલગ ચાર્જ ચૂકવવો પડે છે. આ ઉપરાંત એરલાઇન્સને રમતગમતના કે સંગીતના સાધનો લઇ જવાની સુવિધા બાબતે પણ પારદર્શી અભિગમ દર્શાવવાનો રહેશે. આ જ રીતે પાળેલાં જનાવરોના પ્રવાસ બાબતે પણ સ્પષ્ટ નિયમો નક્કી કરવા જણાવાયું છે.

સરકારે ફલાઇટ મોડી પડે, કેન્સલ થાય કે બોર્ડિંગ અટકાવવામાં આવે ત્યારે પ્રવાસીઓના અધિકારો શું છે તેની જાણ એરલાઇન્સે તેની વેબસાઇટ, મોબાઇલ એપ, બુકિંગ પ્લેટફોર્મ અને એરપોર્ટ્સ પરના કાઉન્ટર્સ પર સ્પષ્ટ દર્શાવવાના રહેશે. પ્રવાસીઓના અધિકારોને વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રકાશિત કરવાની સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત પ્રવાસીઓને કિફાયતી દરે ભોજનની સુવિધા આપવા માટે ઉડાન યાત્રી કેફે અને મફત પુસ્તકો વાંચવા માટે ફ્લાયબ્રેરી અને મફત વાઇફાઇની સુવિધા ઉપલબ્ધ કરી આપવાની પણ એરલાઇન્સને સૂચના અપાઇ છે.

March 19, 2026
image-2.png
1min45

મિડલ ઈસ્ટમાં વધતા જતા સંઘર્ષ અને તેલના કુવાઓ પર મિસાઈલ હુમલાને કારણે વૈશ્વિક બજારોમાં હાહાકાર મચી ગયો છે. ભારતીય શેરબજારમાં પણ ગુરુવારે શરૂઆતી મિનિટોમાં જ મસમોટું ગાબડું જોવા મળ્યું છે. અખાતી દેશોમાં ચાલી રહેલા યુદ્ધે હવે ‘ઓઈલ વોર’નું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઈરાન દ્વારા કતારના સૌથી મોટા એલએનજી પ્લાન્ટ પર થયેલા હુમલા અને તેના વળતા પ્રહારને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઉછળીને 112 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. આ જબરદસ્ત ઉછાળાને કારણે આજે એશિયાઈ બજારો સહિત ભારતીય શેરબજારમાં પણ સુનામી જેવી સ્થિતિ સર્જાઈ છે.

Date 19/03/2026 ગુરુવારે ટ્રેડિંગની શરૂઆત થતાની સાથે જ મુંબઈ શેરબજારનો સેન્સેક્સ તેના અગાઉના બંધ 76,704 ની સરખામણીએ સીધો 74,750 પર ખુલ્યો હતો અને જોતજોતામાં તે 1900 પોઈન્ટ તૂટીને 74,685 સુધી નીચે ઉતરી ગયો હતો. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 23,777 ના અગાઉના સ્તરથી 550 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 23,197 પર ખુલ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી બજારમાં જોવા મળી રહેલી તેજી પર આજે બ્રેક લાગી ગઈ છે.

વૈશ્વિક બજારોમાં પણ કોહરામ

  • ભારત જ નહીં, પણ સમગ્ર વિશ્વના બજારો આજે લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે:
  • જાપાન: નિક્કેઈ ઈન્ડેક્સમાં 1500 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે.
  • હોંગકોંગ: હેંગસેંગ ઈન્ડેક્સ 500 પોઈન્ટથી વધુ તૂટ્યો છે.
  • દક્ષિણ કોરિયા: કોસ્પી ઈન્ડેક્સમાં પણ 1.50% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

બજારમાં આવેલી આ સુનામીમાં બ્લુચિપ કંપનીઓના શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે. સૌથી વધુ પ્રભાવિત થયેલા શેરોમાં HDFC Bank (4.50%), L&T (3.50%), Eternal (3%), અને Bajaj Finance (2.80%) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત Axis Bank, Asian Paints અને Kotak Bank જેવા મોટા શેરો પણ 2% થી વધુ તૂટ્યા છે.

March 16, 2026
eci_logo.jpg
1min88

પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીના કુલ 17.4 કરોડ મતદાર ચૂંટણી પર્વ સામેલ થશે, જ્યારે પાંચ રાજ્યની કુલ 824 વિધાનસભાની ચૂંટણી એપ્રિલ મહિનામાં યોજવામાં આવશે, જ્યારે મે મહિનામાં પરિણામ આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે બંગાળ સહિત અન્ય રાજ્યની ચૂંટણીની સાથે આદર્શ  આચારસંહિતા લાગુ કરવાની જાહેરાત કરી હતી.

ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટેની તારીખ જાહેર કરી દીધી છે. આસામ, કેરળ અને પોડિચેરીમાં 9 એપ્રિલે મતદાન થશે, જ્યારે તમિલનાડુમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં વોટિંગ યોજાશે. પશ્ચિમ બંગાળમાં મતદાન બે તબક્કામાં 23 એપ્રિલ અને 29 એપ્રિલે થશે. આ દરેક રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે તેવી આજે જાહેરાત કરવામાં આવી છે. 

આ પાંચ રાજ્યોની કુલ 824 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા બેઠકો, તમિલનાડુમાં 234 વિધાનસભા બેઠકો, આસામમાં 126 બેઠકો, કેરળમાં 140 વિધાનસભા બેઠકો અને પુડુચેરીમાં 30 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. 

મતદારોની વાત કરવામાં આવે તો, આસામમાં 2.50 કરોડ મતદાતાઓ, કેરળમાં 2.70 કરોડ મતદાતાઓ, પુડુચેરીમાં 9.44 લાખ મતદારો, તમિલનાડુમાં 5.67 કરોડ મતદારો અને પશ્ચિમ બંગાળમાં 6.44 કરોડ મતદારો મતદાન કરવાના છે. મતદાનની વાત કરીએ તો, આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. તમિલનાડુમાં પણ 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં, 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં મતદાન થશે.

ચૂંટણીની તારીખો જાહેર કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, અમે પાંચ રાજ્યોમાં 25 લાખ અધિકારીઓને તૈનાત કર્યા છે. આમાં 8,50,000 સુરક્ષા કર્મચારીઓની તૈનાતી કરવામાં આવશે. આ પાંચ રાજ્યોમાં 2,18,000 પોલિંગ બુથ સ્થાપિત કરવામાં આવશે. વધુમાં મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, BLO ને ઓળખ કાર્ડ આપવામાં આવશે. આ ચૂંટણીને લગતી તમામ વિગતો ECI-NET પર ઉપલબ્ધ રહેશે. મતદાન પૂર્ણ થયા પછી તરત જ મતદાનની ટકાવારી જાહેર કરવામાં આવશે. મતગણતરી પ્રક્રિયા માટે 40,000 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, આસામમાં 20 મે 2026, કેરળમાં 23 મે 2026, પુડુચેરીમાં 15 જૂન, તમિલનાડુમાં 10 મે 2026 અને પશ્ચિમ બંગાળમાં 7 મે 2026 થી વર્તમાન સરકારનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ રાજ્યોમાં ચૂંટણી માટે અંદાજે 15 લાખ મતદાન કર્મચારીઓ, 8,50,000 સુરક્ષા કર્મચારી, મતદાન માટે 49,000 માઇક્રો-ઓબ્ઝર્વર્સ, 1,444 નિરીક્ષકો, લગભગ 40,000 મતગણતરી અધિકારીઓ, 21,000 સેક્ટર અધિકારી અને ગણતરી માટે 15,000 માઇક્રો-ઓબ્ઝર્વર્સ તૈનાત કરવામાં આવ્યા હોવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં ચૂંટણી યોજવાની બાબત સુવિધાજનક છે સાથે ચૂંટણી કમિશનરે સ્પષ્ટતા કરી કે ચૂંટણી પછી હિંસા માટે સંબંધિત અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજકીય હિંસા અને ચૂંટણીમાં અવરોધ ઊભા કરનારા સામે કડક પગલા લેવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને પ્રત્યેક મતદાન કેન્દ્ર પર સરેરાશ મતદારની સંખ્યા 750-900 આસપાસ રહેશે.

March 12, 2026
ઓટો-એક્ષ્પો-1280x879.jpg
2min109

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા યોજાતા ઔદ્યોગિક પ્રદર્શનોની શ્રેણીઓ વચ્ચે ચાર દિવસીય ‘સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો ર૦ર૬’નું તા. ૧૩ માર્ચથી ૧૬ માર્ચ ર૦ર૬ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમિયાન સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે ઓટો એક્ષ્પોની સાતમી આવૃત્તિ રજૂ કરવામાં આવશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ગુજરાત હવે ઓટોમોબાઈલ હબ બની રહ્યું છે ત્યારે આ મેગા શોમાં દેશની અગ્રણી કંપનીઓ દ્વારા કાર, ટુ–વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ અને લેટેસ્ટ વર્કશોપ ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. કાર સેગમેન્ટ, ટુ વ્હીલર સેગમેન્ટ, કોમર્શિયલ સેગમેન્ટ અને એન્સીલરીઝની ૭૦થી વધુ બ્રાન્ડ્‌સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયિકો અને પ્રોફેશનલ્સ માટે આ એક્ષ્પો નવી ટેકનોલોજી અને વૈશ્વિક વલણો સમજવાની ઉત્તમ તક પૂરી પાડશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ૧૩ માર્ચ, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઉષાકાંત મારફતિયા હોલ, સરસાણા ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે, જેમાં વિન્ટેજ એન્ડ કલાસિકલ કાર કલબ ઓફ ઇન્ડિયા (VCCCI)ના ચેરમેન શ્રી નિતિનભાઇ ડોસા ઉદ્‌ઘાટક તરીકે પધારશે અને તેમના વરદ્‌ હસ્તે ઓટો એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરાશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ઓટો એક્ષ્પોના ઉદ્‌ઘાટન પ્રસંગે રાજ્ય સભાના માનનીય સાંસદશ્રી અને એસઆરકે ગૃપના ફાઉન્ડર અને ચેરમેન શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, હરી કૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સ પ્રા.લિ.ના ચેરમેન પદ્મશ્રી સવજીભાઇ ડી. ધોળકિયા અને કેપી એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેકટર ડો. ફારૂકભાઇ પટેલ મુખ્ય મહેમાનો તરીકે સ્થાન શોભાવશે. ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એકસલન્સ (iACE)ના એકિઝકયુટિવ ડિરેકટર શ્રી ઇ. રાજીવ અતિથિ વિશેષ તરીકે શોભા વધારશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, ઓટો એક્ષ્પોમાં એક જ છત નીચે સંપૂર્ણ ઓટો સોલ્યુશન મળી રહેશે. અહીં માત્ર વાહનો જ નહીં, પરંતુ ઓટો એસેસરીઝ, સ્પેરપાટ્‌ર્સ અને ખાસ કરીને ઇલેકિટ્રક વ્હીકલ્સ (EV) તથા હાઇબ્રીડ વ્હીકલ્સ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે, જેનું એકિઝબિટર્સ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, આ વર્ષે મુલાકાતીઓ માટે સ્થળ પર જ ટેસ્ટ ડ્રાઈવની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી ગ્રાહકો પસંદગીના વાહનનો અનુભવ કરી ત્વરિત ખરીદી કરવાનો નિર્ણય લઈ શકશે.

એક્ષ્પોની મુખ્ય વિશેષતાઓ અને બ્રાન્ડ્‌સ

ઓટો એક્ષ્પોના ચેરમેન શ્રી મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે, દિલ્હી બાદ સુરતનો આ ઓટો એક્ષ્પો ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો કમ્પોઝીટ એક્ષ્પો છે, જેમાં મીની કૂપર, ઓડી, મર્સિડીઝ, બીએમડબ્લ્યુ, જેગુઆર–લેન્ડ રોવર, ટાટા મોટર્સ, હયુન્ડાઇ, કિયા, જીપ, એમજી અને એમજી સિલેકટ, રિનોલ્ટ, નિસાન, સ્કોડા, ટોયોટા, વોલ્વો, સિટ્રોન અને મહિન્દ્રા જેવી ર૦થી વધુ નામાંકિત બ્રાન્ડ્‌સ ભાગ લઈ રહી છે.

ટુ–વ્હીલર અને કોમર્શિયલ સેગમેન્ટમાં રોયલ એન્ફિલ્ડ, સુઝુકી, કેટીએમ, એથર, રિવર, કાઇનેટિક ઇલેકિટ્રક, બજાજ ચેતક, કેટીએમ, ટ્રાયમ્ફ યામાહા, ટીવીએસ તેમજ કોમર્શિયલ સેગમેન્ટમાં ટાટા અને સ્વરાજ મઝદાના અને મહિન્દ્રાના વાહનો જોવા મળશે.

ખાસ આકર્ષણ

૧૦ જેટલી અતિ દુર્લભ વિન્ટેજ કાર્સ ઓટો એક્ષ્પોમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત ૧૦ નવા પેસેન્જર વ્હીકલ્સનું અને ૩ કોમર્શિયલ વ્હીકલ્સનું અનવેઈલિંગ આ એક્ષ્પોમાં કરવામાં આવશે. તદુપરાંત, સ્ટંટ બાઈક શો અને ઓફ–રોડ પ્રૂવિંગ ગ્રાઉન્ડ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ રહેશે.

ઓટો એક્ષ્પોના કો–ચેરમેનો શ્રી કનુભાઇ મોદી અને શ્રી પ્રધુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સને ઓટો એક્ષ્પોના આયોજનમાં મોબિલ, ઓલ ઇન્ડિયા ઓટોમોબાઇલ વર્કશોપ્સ એસોસિએશન, સુરત કાર એકસેસરીઝ એસોસિએશન અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે.

March 9, 2026
image-2.png
1min64

યુદ્ધને કારણે શેરબજારમાં ફફડાટ,

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે વધતા જતા તણાવ અને યુદ્ધની ભીતિએ આજે 09/03/2026 ભારતીય શેરબજારમાં ભૂકંપ લાવી દીધો છે. શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ કડાકો બોલાયો છે.

મિડલ ઈસ્ટમાં વધતા જતા સૈન્ય સંઘર્ષની સીધી અસર આજે 09/03/2026 ભારતીય શેરબજાર પર જોવા મળી છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડાં પડ્યા હતા. BSE SENSEX આજે પ્રચંડ કડાકા સાથે 76,647.38 ના સ્તર પર પહોંચી ગયો હતો, જે તેના અગાઉના બંધ 78,918.90 ની સરખામણીએ 2,271.52 (2.88%) પોઈન્ટનો તોતિંગ ઘટાડો દર્શાવે છે. આજના ટ્રેડિંગ સત્ર દરમિયાન બજાર 77,056.75 પર ખુલ્યું હતું અને નીચામાં 76,641.26 સુધી ગગડ્યું હતું.

બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ NIFTY 50 પણ આ વેચવાલીના માહોલમાંથી બચી શક્યો નથી. નિફ્ટીમાં આજે 687.45 (2.81%) પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 23,763.00 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી આજે 23,868.05 પર ખુલ્યા બાદ નીચામાં 23,762.60 સુધી સરક્યો હતો. યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો વધારો અને વૈશ્વિક અસ્થિરતાને પગલે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે, જેના કારણે બજારમાં આ પ્રચંડ કડાકો બોલાયો છે.