CIA ALERT

Blog - Page 10 of 707 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 6, 2026
image-3.png
1min122

બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસની જાહેરાત કરી કરોડો ચાહકોને ચોંકાવ્યા છે. FIFA વર્લ્ડ કપ 2026 માં નોર્વે સામે બ્રાઝિલની 2-1થી હાર બાદ 34 વર્ષીય નેમારે ભાવુક થઈને નિવૃત્તિ લીધી. તેમણે ‘મેટલાઈફ સ્ટેડિયમ’માં પોતાની પ્રથમ અને અંતિમ મેચ રમી. 16 વર્ષના કરિયરમાં 129 મેચમાં 80 ગોલ સાથે તેઓ બ્રાઝિલના સફળતમ ગોલસ્કોરર બન્યા.

બ્રાઝિલના સ્ટાર અને વિશ્વના દિગ્ગજ ફૂટબોલર નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસની જાહેરાત કરીને કરોડો ચાહકોને આંચકો આપ્યો છે. ફિફા વર્લ્ડ કપ 2026 ના રાઉન્ડ ઓફ-16 મુકાબલામાં નોર્વે સામે બ્રાઝિલનો 2-1 થી પરાજય થયો હતો, જેની સાથે જ બ્રાઝિલનું વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાઈ ગયું હતું. આ શરમજનક હાર બાદ 34 વર્ષીય નેમારે ભારે હૈયે આંતરરાષ્ટ્રીય સ્તરેથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. મેચ બાદ ભાવુક થયેલા નેમારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “મેં મારી પૂરેપૂરી કોશિશ કરી. મારો પ્રવાસ જ્યાંથી શરૂ થયો હતો, આજે ત્યાં જ પૂરો થઈ ગયો છે. હવે બધું સમાપ્ત થઈ ગયું છે.”

નેમારના આ આખરી મુકાબલામાં એક અદભુત સંયોગ પણ જોવા મળ્યો હતો. તેમણે 9 ઓગસ્ટ 2010ના રોજ અમેરિકા સામે ‘મેટલાઈફ સ્ટેડિયમ’ ખાતે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમીને કરિયરની શરૂઆત કરી હતી. લગભગ 16 વર્ષ બાદ, બ્રાઝિલની જર્સીમાં તેમણે પોતાની છેલ્લી મેચ પણ આ જ સ્ટેડિયમમાં રમીને ફૂટબોલ જગતને અલવિદા કહ્યું હતું. પોતાની છેલ્લી મેચમાં નેમાર જમણા પગની પિંડલી (રાઈટ કાફ) ની ઈજાના કારણે શરૂઆતની પ્લેઈંગ 11માં સામેલ નહોતા. જોકે, તેઓ બેન્ચ પરથી મેદાનમાં આવ્યા હતા અને મેચની છેલ્લી મિનિટોમાં પેનલ્ટી દ્વારા શાનદાર ગોલ પણ કર્યો હતો, પરંતુ તે બ્રાઝિલને હારથી બચાવી શક્યો નહોતો.

છેલ્લા કેટલાક વર્ષોથી નેમારનું કરિયર સતત ઈજાઓથી પ્રભાવિત રહ્યું હતું, જેના કારણે તેઓ પોતાની જૂની લય ગુમાવી બેઠા હતા. આ આખા વર્લ્ડ કપ દરમિયાન પણ તેઓ ફિટનેસની સમસ્યાઓ સામે ઝઝૂમતા રહ્યા અને બ્રાઝિલની પાંચ મેચોમાંથી માત્ર બે જ મેચ રમી શક્યા હતા. ગ્રુપ સ્ટેજમાં સ્કોટલેન્ડ સામેની મેચમાં પણ તેઓ માત્ર 15 મિનિટ જ મેદાન પર વિતાવી શક્યા હતા. ઈજાઓએ તેમના પ્રદર્શનને ઘણું સીમિત કરી દીધું હતું.

આ આઘાતજનક વિદાય સાથે જ નેમારના 16 વર્ષ લાંબા ઈન્ટરનેશનલ કરિયરનો અંત આવ્યો છે. તેઓ બ્રાઝિલના ફૂટબોલ ઈતિહાસના સૌથી સફળ ગોલ સ્કોરર તરીકે નિવૃત્ત થયા છે. તેમણે દેશ માટે 129 ઇન્ટરનેશનલ મેચો રમીને રેકોર્ડબ્રેક 80 ગોલ નોંધાવ્યા છે અને ટીમને અનેક યાદગાર જીત અપાવી છે. નેમારની નિવૃત્તિ બાદ હવે બ્રાઝિલિયન ફૂટબોલ એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં ટીમની કમાન નવી પેઢીના યુવા ખેલાડીઓના હાથમાં રહેશે.

July 5, 2026
rain-alert.png
1min56

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં એલર્ટ

ગુજરાતમાં આગામી 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 5 જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત 8 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ અપાયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. માછીમારોને 8 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Gujarat Rain Forecast: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ છે. 4 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલીના ખાંભામાં 7 ઇંચ, નવસારીના ગણદેવીમાં 6 ઇંચ, ચીખલી અને રાજુલામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે. તેવામાં હવામાન વિભાગે 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

5/7/206: 8 જિલ્લામાં રેડ

હવામાન વિભાગની આગાહી અનુસાર, 5 જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ અને પોરંબદર, બોટાદ, આણંદ પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

6 જુલાઈની આગાહી

રેડ એલર્ટ: સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ.
ઓરેન્જ એલર્ટ: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા.
યલો એલર્ટ: જૂનાગઢ, રાજકોટ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ.

7 જુલાઈની આગાહી

રેડ એલર્ટ: નવસારી, વલસાડ.
ઓરેન્જ એલર્ટ: સુરત, તાપી, ડાંગ.
યલો એલર્ટ: અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા.

8-9 જુલાઈએ 7 જિલ્લામાં યલો એલર્ટ

જ્યારે 8 અને 9 જુલાઈએ નવસારી, ડાંગ, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતના દરિયાકાંઠે ભારે તોફાની પવન ફૂંકાવાની શક્યતા પગલે હવામાન વિભાગે(IMD) આગામી પાંચ દિવસ એટલે કે 8 જુલાઈ 2026 સુધી ‘ફિશરમેન વોર્નિંગ’ એટલે કે માછીમારો માટેની ખાસ ચેતવણી આપી છે. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ(INCOIS) દ્વારા પણ ‘હાઇ વેવ એલર્ટ’ એટલે કે ઊંચા મોજાંની ખાસ ચેતવણી જાહેર કરાઈ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરના દરિયામાં 3.2 થી લઈને 3.5 મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળવાની આગાહી છે. કચ્છના દરિયામાં પણ 3.0 થી 3.1 મીટર ઊંચા મોજાં ઉછળશે. તંત્ર દ્વારા તમામ બંદરો પર ‘લોકલ કોશનરી સિગ્નલ નંબર 3’ (LC-III) લગાવી દીધું છે. આમ, દરિયાકાંઠાના વિસ્તારોને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે માછીમારોએ આ સમયગાળા દરમિયાન દરિયામાં બિલકુલ ન જવા સૂચન કરવામાં આવ્યું છે.

July 4, 2026
cia_edu-1280x925.jpg
1min120

04/07/2026
એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત, ફરી એકવાર પોતાની રમત-ગમતની પ્રતિભાને સાબિત કરતાં ગુજરાત સરકારની ફ્લેગશિપ સ્પોર્ટ્સ પહેલ, ખેલ મહાકુંભ 2025 2026ના જિલ્લા સ્તરની ફાઇનલમાં ઓવરઓલ રનર અપ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

વિદ્યાર્થીઓએ ટુર્નામેન્ટની કુલ પોઇન્ટ સિસ્ટમ હેઠળ વિવિધ રમતોમાં ભાગ લીધો અને એથ્લેટિક્સ, સ્વિમિંગ, બાસ્કેટબોલ, ફૂટબોલ, કરાટે, સ્કેટિંગ, લોન ટેનિસ, બેડમિન્ટન તથા ટેબલ ટેનિસમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. તેમના આ પ્રદર્શનને માન્યતા આપતાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વ્યક્તિગત રોકડ ઇનામ આપવાની સાથો-સાથ એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલને પણ રૂ. 90,000નું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું છે.

આ સિદ્ધિ સ્કૂલના રમત-ગમત ક્ષેત્રે સતત રેકોર્ડમાં ઉમેરો કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલે વિવિધ રમત-ગમત સ્પર્ધાઓમાં નોંધપાત્ર સફળતા મેળવી છે.

આ સિદ્ધિ અંગે ગૌરવ વ્યક્ત કરતાં સુનિતા મટુ, પ્રિન્સિપાલ, એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલે જણાવ્યું છે કે, “આ સિદ્ધિ અમારા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકો દ્વારા દર્શાવાયેલી સમર્પણ, શિસ્ત અને રમત-ગમતની ઉત્તમતા પ્રતિબિંબિત કરે છે. એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે માનીએ છીએ કે રમત-ગમત આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ અને નેતૃત્વ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અને આ માન્યતા અમને સર્વાંગી ઉત્તમતા પ્રોત્સાહિત કરવા માટે પ્રેરણા આપે છે.”

July 4, 2026
Cia_business_news-1280x936.jpg
1min110

દેશના અગ્રણી વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના રાષ્ટ્રીય પ્રમુખ તથા દિલ્હીની ચાંદની ચોક લોકસભા બેઠકના ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે સુરતની મુલાકાત દરમિયાન દક્ષિણ ગુજરાતના વેપારીઓને આગામી 12થી 15 ઓગસ્ટ દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારા ભારત વ્યાપાર મહોત્સવમાં સક્રિય ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુરત દેશનું અગ્રણી વેપાર અને ઉદ્યોગ કેન્દ્ર હોવાથી મહોત્સવમાં સુરતની ઉપસ્થિતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પ્રસંગે કૈટના સુરત પ્રમુખ પ્રમોદ ભગત સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અશોક જીરાવાલા સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ભારત વ્યાપાર મહોત્સવ દેશભરના ઉત્પાદકો, વેપારીઓ, સ્ટાર્ટઅપ, સેવા ક્ષેત્ર અને એમએસએમઈ એકમોને એક જ મંચ પર લાવવાનો પ્રયાસ છે. આ મહોત્સવ દ્વારા નવા વ્યવસાયિક સંબંધો, માર્કેટિંગની તકો અને વેપારના વિસ્તરણ માટે અનુકૂળ વાતાવરણ ઉભું થશે.

તેમણે જણાવ્યું હતું કે સુરતમાંથી અત્યાર સુધીમાં અંદાજે 7 હજાર સ્ક્વેર ફૂટ જેટલી પ્રદર્શન જગ્યાના સ્ટોલનું બુકિંગ થઈ ચૂક્યું છે. તેમાં સૌથી વધુ ભાગીદારી ટેક્સટાઇલ ઉદ્યોગની છે, જે સુરતના કાપડ ઉદ્યોગની રાષ્ટ્રીય સ્તરે મજબૂત ઓળખ દર્શાવે છે. આગામી દિવસોમાં ડાયમંડ, જ્વેલરી, કેમિકલ, એન્જિનિયરિંગ, ફૂડ પ્રોસેસિંગ અને અન્ય સેવા ક્ષેત્રના વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાશે તેવી આશા વ્યક્ત કરી હતી.

પ્રવીણ ખંડેલવાલે વડાપ્રધાનના **’સ્વદેશી વેચો, સ્વદેશી ખરીદો’**ના સંદેશને વધુ મજબૂત બનાવવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનશે, રોજગારીમાં વધારો થશે અને નાના-મધ્યમ વેપારીઓને નવી તકો મળશે. ભારત વ્યાપાર મહોત્સવ આ દિશામાં મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.

ચેમ્બરના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે આ મહોત્સવ નવા બજારો સુધી પહોંચવાનો ઉત્તમ અવસર છે. ચેમ્બર દ્વારા પણ સભ્યોને તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી સુરતના ઉત્પાદનો અને સેવાઓને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક ઓળખ મળી શકે.

July 2, 2026
smc.jpg
1min63

સુરતના નાસીર નગર ડિમોલિશન મામલે સુરત મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. 30/05/2026ના રોજ થયેલી આ કામગીરી વિવાદમાં આવતા, તપાસ સમિતિના અહેવાલ બાદ 5 એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા છે. જેમાં કાર્યપાલક ઈજનેર સુજલકુમાર પ્રજાપતિ અને જ્યાંગ જીવનરામજીવાલા સહિત ડેપ્યુટી, આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયરનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી દ્વારા પાલિકાએ કડક શિસ્તનો સંદેશ આપ્યો છે.

Surat Nasir Nagar demolition : સુરતના નાસીર નગર ડિમોલિશન ને લઈને ઉઠેલા સવાલો સામે આખરે સુરત મહાનગરપાલિકાને કાર્યવાહી કરવાની ફરજ પડી છે. હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા પછી આખરે સુરત મહાનગરપાલિકાની ઊંઘ ઉડી છે. નાસીર નગર ડિમોલિશન મામલે તપાસ સમિતિના અહેવાલ બાદ બે કાર્યપાલક ઈજનેર સહિત પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરીને ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે શહેરમાં ચર્ચા એ છે કે માત્ર પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી સમગ્ર ઘટનાની જવાબદારી પૂરી થઈ જશે કે પછી આ વિવાદના પડછાયા ઉચ્ચ અધિકારી- રાજકારણીઓ કે અન્ય વિભાગા અધિકારીઓ સુધી પણ પહોંચશે?

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે તા. 30 મે, 2026ના રોજ કરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહી ભારે વિવાદમાં સપડાઈ હતી. સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યા બાદ પાલિકાએ તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિએ રજૂ કરેલા અહેવાલમાં સામે આવેલા મુદ્દાઓના આધારે હવે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા સાથે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની અસર ન પડે અને કાર્યવાહી નિષ્પક્ષ રીતે થઈ શકે તે માટે પાલિકાએ પાંચ ઈજનેરોને તાત્કાલિક અસરથી ફરજમુક્ત (સસ્પેન્ડ) કરવાનો નિર્ણય લીધો છે.

પાલિકાએ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં કાર્યપાલક ઈજનેર સુજલ કુમાર ધરમશીભાઈ પ્રજાપતિ, કાર્યપાલક ઈજનેર જયાંગ રજનીકાંત જીવનરામજીવાલા, ડેપ્યુટી ઈજનેર અર્પણ મનસુખલાલ પરમાર, આસિસ્ટન્ટ ઈજનેર મોનિક બાબુભાઈ ગઢીયા અને જુનિયર ઈજનેર નરેશકુમાર બીનલભાઈ ગલચરનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝોનલ ઓફિસર તરીકે ડિમોલિશન દરમિયાન હાજર રહેલા કાર્યપાલક ઈજનેર જયાંગ જીવનરામજીવાલાની ભૂમિકા તપાસના કેન્દ્રમાં છે. બીજી તરફ, રોડ વિભાગના કાર્યપાલક ઈજનેર સુજલ પ્રજાપતિને આ ડિમોલિશન કામગીરી સાથે સીધી જવાબદારી ન હોવા છતાં તેઓ સ્થળ પર હાજર રહ્યા હતા. તેમની હાજરી અને ભૂમિકાને લઈને પણ તપાસમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા હોવાનું મનાઈ રહ્યું છે. આ ઉપરાંત આસિસ્ટન્ટ ઈજનેર, ડેપ્યુટી ઈજનેર અને જુનિયર ઈજનેરની કામગીરી પણ તપાસના દાયરામાં આવી છે. બે કાર્યપાલક ઈજનેર ક્લાસ-વન અધિકારી હોવાથી તેમના સસ્પેન્શન માટે મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિ સમક્ષ જાણ માટેની દરખાસ્ત રજૂ કરશે. ત્યારબાદ સામાન્ય સભાની મંજૂરી માટે મોકલવામાં આવશે.

નાસીરનગર ડિમોલિશન દરમિયાન માત્ર પાલિકાની કામગીરી જ નહીં, પરંતુ રાજકારણીઓની સંભવિત દખલગીરી અને પોલીસની ભૂમિકાને લઈને પણ અનેક ગંભીર સવાલો ઉભા થયા હતા. હવે પાંચ ઈજનેરો સામે કાર્યવાહી થતાં ચર્ચા એ છે કે તપાસનો વ્યાપ માત્ર અધિકારીઓ સુધી જ સીમિત રહેશે કે પછી સમગ્ર ઘટનામાં જેની સામે આક્ષેપો થયા છે તે તમામની ભૂમિકાની પણ નિષ્પક્ષ તપાસ થશે. તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.

July 2, 2026
image-1.png
1min67

અનુપમસિંહ ગેહલોત અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત થયા છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેઓ અમદાવાદ શહેરની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જવાબદારી સંભાળશે.

સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત થયા છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેઓ અમદાવાદ શહેરની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જવાબદારી સંભાળશે.

તત્કાલિન અમદાવાદ કમિશનર જી. એસ. મલિકે રાજ્યના ડીજીપી (DGP) તરીકેનો પદભાર સંભાળ્યા બાદ અમદાવાદ પોલીસ વડાની મહત્વની જગ્યા ખાલી પડી હતી. આ ખાલી પડેલા સ્થાને સરકારે સુરતના વર્તમાન પોલીસ કમિશનર અને 1997 બેચના IPS અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરી છે. ગેહલોતની અમદાવાદ બદલી થવાને કારણે હવે સુરત પોલીસ કમિશનરની જગ્યા ખાલી થઈ છે, જેના પર હજુ સુધી સરકારે કોઈ નવા અધિકારીના નામની સત્તાવાર જાહેરાત કરી નથી. અગાઉ અનુપમસિંહ ગેહલોત સુરત ઉપરાંત વડોદરા અને રાજકોટ જેવા મોટા મહાનગરોમાં કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે.

  • 1997 બેચના IPS અધિકારી, ઉત્તર પ્રદેશના વતની
  • બી.ઈ. (B.E.) તેમજ એમ.ટેક. (M.Tech.) સુધીનો ઉચ્ચ અભ્યાસ
  • સૌપ્રથમ ભાવનગર અને ત્યારબાદ પાટણ જિલ્લામાં પોલીસ અધિક્ષક (SP) તરીકે ફરજ
  • પ્રમોશન બાદ રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશનર
  • વડોદરા બાદ તેમની બદલી સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)માં કરવામાં આવી હતી
  • અમદાવાદ કમિશનર તરીકે નિમણૂક પહેલા તેઓ સુરતના પોલીસ કમિશનર તરીકે કાર્યરત હતા
June 29, 2026
image-26-1280x1453.png
1min116

દિલ્હી સરકારે પ્રદૂષણ ઘટાડવા ‘નવી EV પોલિસી 2026’ ને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 1 July 2026 થી 31 માર્ચ 2030 સુધી લાગુ પડતી આ નીતિ જાહેર કરી. દિલ્હીમાં EV વાહનો પર 100% રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી માફ થશે. ટુ-વ્હીલર પર ₹30,000, થ્રી-વ્હીલર પર ₹50,000 સુધીની સબસિડી મળશે. 2027 થી ફક્ત ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને 2028 થી ટુ-વ્હીલરનું જ રજીસ્ટ્રેશન થશે.

Delhi New EV Policy : દિલ્હી સરકારે પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ વાહનવ્યવહારને પ્રોત્સાહન આપવા માટે ‘નવી ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસી 2026’ ને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જાહેરાત કરી છે કે આ નવી નીતિ 1 July 2026 થી લાગુ કરવામાં આવશે અને તે 31 માર્ચ 2030 સુધી પ્રભાવી રહેશે. આ પોલિસી હેઠળ દિલ્હીના નાગરિકોને કરોડો રૂપિયાના વિવિધ ટેક્સ અને સબસિડીના લાભો મળશે.

નવી નીતિ અનુસાર, દિલ્હીમાં ખરીદવામાં આવતા તમામ પ્યોર ઈલેક્ટ્રિક વાહનો પર 100 ટકા રોડ ટેક્સ અને રજીસ્ટ્રેશન ફી માફ કરવામાં આવશે. જો કે, ચાર પૈડાવાળા વાહનો માટે આ નિયમ રૂ. 30 લાખ સુધીની એક્સ-શોરૂમ કિંમત વાળા વાહનો પર જ લાગુ પડશે.

નવી પોલિસીમાં વાહનોની ખરીદી પર વર્ષ પ્રમાણે સબસિડી નક્કી કરવામાં આવી છે. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદી પર પહેલા વર્ષે રૂ. 30,000, બીજા વર્ષે રૂ. 20,000 અને ત્રીજા વર્ષે રૂ. 10,000 ની સબસિડી મળશે. ઈલેક્ટ્રિક ઓટો (થ્રી-વ્હીલર) ખરીદી પર પહેલા વર્ષે રૂ. 50,000, બીજા વર્ષે રૂ. 40,000 અને ત્રીજા વર્ષે રૂ. 30,000 ની સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત વાહનો સ્ક્રેપ કરવા પર પણ ખાસ ઈન્સેન્ટિવ મળશે.

દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવાના હેતુથી સરકારે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ, 1 જાન્યુઆરી 2027 થી દિલ્હીમાં તમામ થ્રી-વ્હીલર અને April 2028 થી તમામ ટુ-વ્હીલરનું રજીસ્ટ્રેશન માત્ર ઈલેક્ટ્રિક કેટેગરીમાં જ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, જે વાહનો પર સબસિડી લેવામાં આવશે તેને 3 વર્ષ સુધી અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કે રજીસ્ટ્રેશન કરાવી શકાશે નહીં.

આ નીતિને સફળ બનાવવા માટે દિલ્હીના મુખ્ય માર્ગો પર મોટા પાયે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. લોકો પોતાના અંગત વપરાશ માટે પણ ચાર્જિંગ સ્ટેશન બનાવી શકે તે માટે વીજ કંપનીઓ (ડિસ્કોમ) સાથે મળીને કામ શરૂ કરી દેવાયું છે. સરકાર આગામી 4 વર્ષમાં આ ક્ષેત્રે રૂ. 7,000 કરોડથી વધુનું સીધું રોકાણ કરશે, જેનાથી લોકોને ટેક્સ અને અન્ય સવલતો સહિત આશરે રૂ. 15,000 કરોડનો મોટો ફાયદો થશે.

June 29, 2026
image-25.png
1min70

મુંબઈમાં ચોમાસાના ભારે વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. રસ્તાઓ તળાવ બની ગયા છે અને ટ્રાફિક જામ થઈ ગયો છે. લોકોને ઘરોમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. અંધેરી સબવે (અંડરપાસ)માં એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આખી રાત પડેલા ભારે વરસાદને કારણે અંધેરી, બાંદ્રા, ખાર, મલાડ, ગોરેગાંવ, જુહુ અને વર્સોવા જેવા વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળી છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પણ પાણી ભરાઈ જવાને કારણે ગાડીઓની ગતિ ધીમી પડી ગઈ છે.

અંધેરી સબવે મુંબઈનો એક એવો રસ્તો છે જે પૂર્વ અને પશ્ચિમ (વિસ્તાર)ને જોડે છે. દરરોજ હજારો ગાડીઓ અને લોકો અહીંથી પસાર થાય છે. ચોમાસાના વરસાદમાં અંધેરી સબવેમાં પાણી ભરાઈ જવું એ એક જૂની સમસ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘણી જગ્યાએ ભારે પાણી ભરાયા હોવાની તસવીરો સામે આવી રહી છે. પાણી ભરાવાની સ્થિતિને જોતા સાવચેતીના ભાગરૂપે અંધેરી સબવેને મોડી રાત્રે 1.45 વાગ્યાથી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ અપ્રિય ઘટના કે અકસ્માતને રોકવા માટે સબવેની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

એક તરફ ભારે વરસાદને કારણે મુંબઈગરાઓને બફારા અને ગરમીથી મોટી રાહત મળી છે, તો બીજી તરફ વહેલી સવારે ઓફિસ અને કામે જનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે આજે પણ વરસાદનું ‘યેલો એલર્ટ’ જાહેર કર્યું છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે આ વખતે ચોમાસું 13 દિવસ મોડું મુંબઈ પહોંચ્યું હતું.

મુંબઈમાં ચોમાસાની ઋતુ હજી શરૂઆતના તબક્કામાં છે અને આગામી દિવસોમાં વધુ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં પ્રશાસન (તંત્ર) સામે સૌથી મોટો પડકાર પાણી ભરાવાની સમસ્યા, ટ્રાફિક મેનેજમેન્ટ અને નાગરિક સુવિધાઓને રાબેતા મુજબ રાખવાનો રહેશે. બીજી તરફ, નાગરિકોને પણ હવામાન વિભાગ અને પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા (ગાઈડલાઈન્સ)નું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં સુરક્ષિત રહી શકાય.

29/06/26 આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, 60 કિમીની ઝડપે ફૂંકાશે તોફાની પવન!

મુંબઈ સહિત રાજ્યમાં બે થી ત્રણ દિવસના મોટા વિરામ બાદ ચોમાસાએ ફરી એકવાર જોરદાર એન્ટ્રી કરી છે. મુંબઈ અને તેના ઉપનગરો સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રવિવાર રાતથી જ મુંબઈ શહેર અને આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સોમવારે સવારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે.

હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી 24થા 48 કલાક મુંબઈ સહિત સમગ્ર રાજ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે મુંબઈ, પુણે, કોંકણ, મરાઠવાડા અને વિદર્ભના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન મુંબઈ અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદના ઝાપટા ચાલુ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી કરા પડવાની પણ શક્યતા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેથી લોકોને બફારા અને ગરમીથી મોટી રાહત મળશે.

રવિવાર રાતે 11.30 વાગ્યાથી લઈને સોમવાર વહેલી સવારે 4 વાગ્યાની વચ્ચે ઠાણેમાં મુસળધાર વરસાદ નોંધાયો હતો. માત્ર ચાર કલાકની અંદર જ અહીં આશરે 98mm જેટલો વરસાદ ખાબક્યો હતો. વિરોના કડકડાટ અને તોફાની પવન સાથે શરૂ થયેલા આ વરસાદે થાણે સહિત મુંબઈના ઉપનગરોને તરબતર કરી દીધું છે.

બીજી તરફ, પશ્ચિમ મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો સહિત પુણે જિલ્લાના આંબેગાંવ તાલુકાના પારગાંવ અને નિરગુડસર વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. આ વરસાદથી ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી છે.

ભારતીય હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ ઠાણે, પુણે, સાતારા, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે નાસિક, ધુળે, નંદુરબાર, નાંદેડ, હિંગોલી અને પરભણીમાં વીજળીના કડકડાટ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. સોમવારથી આગામી ત્રણ દિવસ સુધી કોંકણ કિનારાના વિસ્તારો અને ઘાટ ક્ષેત્રમાં વરસાદનું જોર વધુ જોવા મળશે.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પવનની દિશામાં થઈ રહેલા ફેરફારોને કારણે પહેલી અને બીજી જુલાઈ દરમિયાન કોંકણ, મરાઠ અને વિદર્ભમાં વરસાદનું જોર ખૂબ વધારે રહેશે. 29મી જૂનથી બીજી જુલાઈ દરમિયાન ઉત્તર કોંકણના દરિયાકાંઠાના ભાગોમાં વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક રહેશે, જે વધીને 60 કિમી સુધી પહોંચી શકે છે. આથી વહીવટીતંત્ર દ્વારા માછીમારોને આ દિવસોમાં દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

June 29, 2026
image-24.png
1min85

આયર્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમને બીજી T20 મેચમાં પણ કારમો પરાજય મળ્યો છે. ડબલિનમાં રમાયેલી આ મેચમાં આયર્લેન્ડે 154 રન બનાવ્યા હતા, જેમાં હેરી ટેક્ટરે 53 રન ફટકાર્યા હતા. પ્રિન્સ યાદવે 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારત 155 રનનો લક્ષ્યાંક હાંસલ કરી શક્યું નહીં અને સિરીઝ 0-2થી ગુમાવી દીધી. તિલક વર્માએ 55 રન બનાવ્યા, જ્યારે જય મૂન્દ્રા અને મેટ હોલાર્ડે 3-3 વિકેટ લીધી.

India Vs Ireland T20 Match : ભારતીય ક્રિકેટ ટીમ માટે આયર્લેન્ડનો પ્રવાસ એક ખરાબ સ્વપ્ન સમાન સાબિત થયો છે. પ્રથમ T20 મેચમાં 34 રનથી હાર્યા બાદ, બીજી મેચમાં પણ ભારતનો શરમજનક પરાજય થયો છે. જીતવા માટેના 155 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 20 ઓવરમાં માત્ર 153 રન જ બનાવી શકી હતી. સતત બીજી કારમી હારના કારણે ટીમ ઈન્ડિયાએ આ T20 સિરીઝ પણ ગુમાવી દીધી છે, જે ભારતીય ક્રિકેટ માટે અત્યંત આઘાતજનક બાબત છે.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી આયર્લેન્ડની ટીમે મજબૂત શરૂઆત કરી હતી. હેરી ટેક્ટરે 47 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી સૌથી વધુ 53 રન ફટકાર્યા હતા. બેન કેલિટ્ઝે 23 બોલમાં ઝડપી 37 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. રોસ અદૈરે 7 બોલમાં 1 ચોગ્ગો અને 2 છગ્ગા મારી 16 રન જોડ્યા હતા. લોર્કન ટકરે 18 બોલમાં 2 ચોગ્ગા સાથે 15 રન અને જ્યોર્જ ડોકરેલે 14 બોલમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકારી 19 રન બનાવ્યા હતા. જ્યારે ટિમ ટેક્ટરે 6 બોલમાં 1 ચોગ્ગા સાથે 5 રન કર્યા હતા. લિયમ મેકકાર્થી 2 રન અને જય મૂન્દ્રા 1 રને અણનમ રહ્યા હતા, જેથી ટીમનો સ્કોર 20 ઓવરમાં 8 વિકેટે 154 રન સુધી પહોંચ્યો હતો.

ભારતીય બોલરોએ મેચમાં વાપસી કરાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રિન્સ યાદવ સૌથી સફળ બોલર રહ્યો, જેણે 4 ઓવરમાં માત્ર 22 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. શિવમ દુબેએ પણ સારી બોલિંગ કરી 3 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 35 રન આપીને 2 સફળતા મેળવી હતી. હર્ષિત રાણાએ કરકસરયુક્ત બોલિંગ કરતા 3 ઓવરમાં 17 રન આપી 1 વિકેટ મેળવી હતી. જોકે, સૂર્યાંશ શેડગેએ 2 ઓવરમાં 25 રન અને અક્ષર પટેલે 4 ઓવરમાં 28 રન આપ્યા હતા, પરંતુ આ બંને બોલરોને કોઈ વિકેટ મળી શકી નહોતી.

155 રનના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ભારતની બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. ઓપનર સંજુ સેમસન અને અભિષેક શર્મા ખાતું ખોલાવ્યા વિના જ પ્રથમ ઓવરમાં આઉટ થઈ ગયા હતા. ઈશાન કિશને 11 બોલમાં 1 ચોગ્ગા સાથે 12 રન અને શ્રેયસ અય્યરે 7 બોલમાં 2 ચોગ્ગા ફટકારી 10 રન બનાવ્યા હતા. મધ્યક્રમમાં તિલક વર્માએ એકલા હાથે લડત આપતા 46 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 55 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તેઓ ટીમને જીતાડી શક્યા નહીં. શિવમ દુબેએ 16 બોલમાં 2 ચોગ્ગા સાથે 20 રન અને અક્ષર પટેલે 18 બોલમાં 14 રન કર્યા હતા. સૂર્યાંશ શેડગે 1 રન ફટકાર્યો હતો.

આયર્લેન્ડના બોલરોએ ભારતના દિગ્ગજ બેટ્સમેનોને પિચ પર ટકવા દીધા નહોતા. જય મૂન્દ્રાએ ઘાતક બોલિંગનું પ્રદર્શન કરીને 4 ઓવરમાં 31 રન આપીને 3 મોટી વિકેટો ઝડપી હતી. તેને સાથ આપતા મેટ હોલાર્ડે 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ લીધી હતી. મેથ્યુ હમ્ફ્રીઝે પણ શાનદાર લાઈન-લેન્થ જાળવી 4 ઓવરમાં 28 રન આપી 1 વિકેટ મેળવી હતી. લિયમ મેકકાર્થીએ 4 ઓવરમાં 22 રન અને હેરી ટેક્ટરે 3 ઓવરમાં 22 રન આપ્યા હતા.

June 29, 2026
WhatsApp-Image-2026-06-28-at-17.17.29-1280x853.jpeg
1min63

ચેમ્બર ઓફ કોમર્સ અને ઘાના ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વચ્ચે MOU સાઈન કરાયા

ઘાનામાં ટેક્ષ્ટાઈલ, ફાર્મા, ઈલેક્ટ્રીક અને સોલાર ક્ષેત્રે ઉદ્યોગની તકો રહેલી છે

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ઘાના ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વચ્ચે શુક્રવાર, તા. ૨૬ જૂન ૨૦૨૬ ના રોજ Memorandum Of Understanding (MOU) સાઈન કરાયા. આ MOUનો મુખ્ય હેતુ ભારત અને ઘાના વચ્ચે વેપાર, ઉદ્યોગ, રોકાણ અને દ્વિપક્ષીય વ્યાપારને વધુ મજબૂત બનાવવાનો છે. આ ભાગીદારી દ્વારા બંને દેશોના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે નવાં બિઝનેસના અવસરો ઊભાં થશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, કોઈપણ દેશ સાથે વેપાર કરતા પહેલા આપણે એમની સરકારની યોજનાઓ તેમજ સરકારના ઉદ્યોગના પ્રોત્સાહન માટેની નીતિઓ અંગેની માહિતી મેળવવી જોઈએ. શરૂઆતમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો દ્વારા ઘાના સાથો નાના પાયે વેપાર કરવામાં આવશે. સમયાંતરે વેપારમાં વધારો કરવામાં આવશે. ઘાના સાથે વેપાર કરતી વખતે ચેમ્બર ઓફ કોમર્સને સાથે રાખીને વેપાર કરવો હિતાવહ રહેશે.

ઘાના ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર મિ. સ્ટીફન ક્વાકુ દારકુએ જણાવ્યું હતું કે, સુરત તેમજ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો પાસે ઘાના સાથે વેપાર કરવાની ઉત્તમ તક છે. ઘાના એક ફ્રી ટ્રેડ પોલિસી ધરાવતો દેશ છે. તેથી અહીં બિઝનેસ કરવું સરળ બને છે. ઘાનામાં ટેક્ષ્ટાઈલ, ફાર્મા, ઈલેક્ટ્રીક અને સોલાર ક્ષેત્રે ઉદ્યોગની તકો રહેલી છે. ઘાના ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગકારોને ઉદ્યોગ કરવા અથવા ઉદ્યોગ સ્થાપિત કરવા શક્ય હોય એટલો સહકાર આપશે.

ચેમ્બરના માનદ્ સેક્રેટરી શ્રી પરેશ લાઠિયાએ ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ઘાના ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મિ. ડેવિડ બ્રિયાન ઓબ્રો, એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સ્ટીફન ક્વાકુ દારકુ અને સભ્ય સોલોમોન વિયાફ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ ઉપસ્થિત રહયા હતા.