થ્રીઇડિયટ્સ ફિલ્મ જેમની પ્રેરણા લઇને બનાવવામાં આવી હતી એ વૈજ્ઞાનિક,એન્જિનિયર અને શિક્ષણવિદ્ સોનમ વાંગચૂકે તાજેતરમાં જ મુંબઇની એક શિક્ષણ સંસ્થામાં વિદ્યાર્થીઓને જે સંબોધન કર્યું હતું એ માત્ર શાળાકીય જ નહીં પૂર્ણ જીવન દરમ્યાન ઉપયોગી અને પ્રેરણાદાયી બની રહે એટલું ઉત્કૃષ્ટ હતું.

મેગ્સેસાય એવૉર્ડ વિજેતા વાંગચૂકે કહ્યું હતું કે કોઇ પણ રાજ્યમાં ભણતા બાળકનું શરૂઆતનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઇએ. પોતાનો જ અનુભવ વર્ણવતા વાંગચૂકે કહ્યું હતું કે મેં પોતે જ બાળપણમાં માતૃભાષામાં શિક્ષણ લીધું હતું અને પછી બીજી નવ ભાષા શીખ્યો હતો. જો તમે બીજા રાજ્યમાંથી વધુ અભ્યાસ માટે ધારો કે મહારાષ્ટ્ર આવ્યા હોવ તો મરાઠી પણ શીખવું જોઇએ.
છોકરાઓને ખુલ્લામાં શિક્ષણ આપવાના પણ તેઓ હિમાયતી છે. મુંબઇ જેવા શહેરના શિક્ષણની વાત કરતા તેઓ કહે છે કે દરેક શાળાના પોતાના કિચન ગાર્ડન હોવા જોઇએ તેમાં તેમને શાકભાજી ઉગાડતા શીખવી શકાય. સિલાઇ મશીન પર પોતાના કપડાં સીવતા પણ કેમ ન શીખવાડી શકાય. આ બધી મૂળભૂત વિદ્યાઓ છે જે જીવન ટકાવવા માટે જરૂરી છે. શહેરમાં આસપાસ ઘણી ફેક્ટરી કે કારખાના હોય તેનો મતલબ એ નથી કે આ વિદ્યાઓ ન શીખી શકાય.
વાંગચૂક સિમ્પલ લિવિંગ એન્ડ હાઇ થિંકિંગમાં માને છે, તેમણે શહેરના વિદ્યાર્થીઓને પણ સાદાઇના પાઠ ભણાવ્યા હતાં. તેમણે હાલમાં જ ‘ આઇ લીવ સિમ્પલી’ નામની ચળવળ પણ શરૂ કરી છે. વાતાવરણ પ્રદૂષિત થતું જાય છે, કલાઇમેટ ચેન્જ થતું જાય છે ત્યારે ભોગવાદમાં સંયમ જાળવી જેટલી સાદાઇથી જીવી શકાય એટલું જીવવું જોઇએ. વધુ પડતા ઉપભોગથી જ પર્યાવરણની સમતુલા બગડતી જાય છે. તેઓ લોકોને ભેગા કરીને આ રીતનું માર્ગદર્શન આપે છે ત્યારે પૈસા ભેગા નથી કરતા પણ લોકોને પોતાનું આચરણ બદલવાની પ્રતિજ્ઞા લેવડાવે છે. તેઓ કહે છે કે શહેરવાસીઓ ઉપભોક્તાવાદથી દૂર રહે તો દૂર ગામડાઓ અને પર્વતીય પ્રદેશોમાં રહેતા લોકો પણ સાદાઇથી જીવી શકે.
લદાખમાં રહેતા આ પ્રેરણા પુરુષ વાંગચૂકના જીવન પર આધારિત આમીરખાન અભિનીત ૩ ઇડિયટ્સ ફિલ્મ બની હતી, જે ખૂબ જ લોકપ્રિય નીવડી હતી.



















