એક સમાજ સમગ્ર રાજ્ય અને દેશમાં અનુકરણીય કાર્યો કરીને સામાજિક ક્રાંતિ આણી શકે છે. 21મી સદી અને ટેકનોલોજીની વાતો વચ્ચે આજે પણ સમાજમાં કેટલાક જૂનવાણી રીતીરિવાજો છે અને તેને કારણે સામાજિક, આર્થિક રીતે નબળા પરિવારો માટે મુશ્કેલી ઉભી થાય છે. મૂળ ઉત્તર ગુજરાતમાં બહુલ વસતિ ધરાવતા મોટા બાવન કડવા પાટીદાર સમાજે તાજેતરમાં એક અનુકરણીય ઠરાવ કરીને ગુજરાત જ નહીં દેશના જ્ઞાતિ મંડળો, સમાજો માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.
ઊંઝા તાલુકાના ટૂંડાવ ગામના શ્રી મોટા બાવન પાટીદાર સમાજે તાજેતરમાં નિર્ણય કર્યો છે કે સમાજમાં અવસાન બાદ કરવામાં આવતા બેસણાં તેમજ બારમાની વિધી બાદ કરવામાં આવતા ભોજન સમારંભોને બંધ કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો છે.
ટૂંડાવ ગામે થયેલી સમાજની સામાન્ય સભામાં બેસણા અને બારમાના પ્રસંગે ભોજન પાછળ કરવામાં આવતા બિનજરુરી ખર્ચને સમાજના આગેવાનોની હાજરીમાં બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હાલમાં જ એક સ્વજનનું નિધન થતા એક પરિવારે સમાજે કરેલા નિર્ણયનું પાલન કરીને દાખલો બેસાડ્યો છે. તાજેતરમાં અવસાન પામેલા સમાજના પટેલ શાંતાબેન ભગવાનભાઈના પરિવારે સમાજના આ ઠરાવને પગલે જમણવાર ન કરાવવાનો નિર્ણય લઈને દાખલો બેસાડવાનું સરાહનિય કામ કર્યું હતું.
સમાજના આર્થિક રીતે સદ્ધર નહીં ગણાતા પરિવારોમાં સ્વજનના અવસાન બાદ જૂનવાણી પરંપરાઓને કારણે પરીવારના માથે મોટા ખર્ચનો બોજો આવી ચઢતો હતો. એથી વિશેષ સમાજના મોટા ભાગના લોકો નિધનના પ્રસંગોમાં જમવાનું ટાળતા હોવાથી અન્નનો પણ બગાડ થતો હતો. આ બંને કારણોને ધ્યાનમાં રાખીને સમાજ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, સમાજ દ્વારા સમૂહલગ્નોત્વસના આયોજનનો પણ નિર્ણય લેવાયો હતો. જો પાંચ કરતાં વધુ દીકરીઓ લગ્નગ્રંથીએ જોડાય તો જ સમૂહલગ્ન કરવા, અને જો તેના માટે પૂરતી સંખ્યા ના થાય તો સમાજ દ્વારા અન્ય સ્થળે યોજાતા સમૂહલગ્નમાં જોડાનારી દીકરીને 11,000 રુપિયાની રોકડ ભેટ આપવામાં આવશે તેવો ઠરાવ પણ સામાન્ય સભામાં પસાર કરાયો હતો.



















