ઇરાનમાં કોરોના વાઇરસને કારણે છેલ્લા ૨૪ કલાકમાં વધુ સાતના મોંત નોંધાતા મરણાંક ૨૬ પર પહોંચી ગયો હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરાયું હતું.
આ સિવાય કોરોના વાઇરસથી પીડાતા વધુ ૧૦૬ કેસ નોંધાવાની સાથે અસરગ્રસ્ત દર્દીઓનો આંકડો ૨૪૫ પર પહોંચી ગયો છે. ચીન બાદ અન્ય દેશમાં કોરોના વાઇરસ અસગ્રસ્તનો આ આંકડો સૌથી વધુ છે, એમ મંત્રાલયના પ્રવક્તા કિઆનાઓશ જહાનપૌરે જણાવ્યું હતું.
સૌથી પહેલા ૧૯મી ફેબ્રુઆરીએ ઇરાને એક જ દિવસમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસ નોંધાયા હોવાની જાહેરાત કરી હતી.
કોરોના વાઇરસથી પીડાતા નવા કેસમાં સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશી બાબતની કમિટીના હેડ મોઝ્તાબા ઝોલ્નૌરનો સમાવેશ થાય છે. સરકારી કોરોના વાઇપસ ટાસ્ક ફોર્સના હેડ નાયબ સ્વાસ્થ્ય પ્રધાન અરાજ હૈરિર્ચી વાઇરસના અસરગ્રસ્ત હોવાની જાહેરાત કરાયાના બે દિવસ બાદ ટોચના સરકારી અધિકારી ઝોલ્નૌર પણ આ વાઇરસથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું.

મધ્ય ઇરાનના શિયાના પવિત્ર શહેર ક્યુઓમમાં ધર્મગુરુમાં સૌથી પ્રથમ આ વાઇરસના લક્ષણો જણાયા હતા.
ઇરાનના સત્તાવાળાઓએ બુધવારે અસરગ્રસ્તોના એક જગ્યાથી બીજી જગ્યા પર પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.





















