CIA ALERT

Blog - Page 291 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
November 2, 2020
vaccine.jpg
1min5590

બીજેપીએ બિહાર વિધાનસભાની ચૂંટણીના ઘોષણાપત્રમાં મફત કોરોના વૅક્સિનનું આપેલું વચન ચૂંટણીની આચારસંહિતાનો ભંગ નહીં હોવાનું ચૂંટણી પંચે ગઈ કાલે જણાવ્યું હતું. આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) ઍક્ટિવિસ્ટ સાકેત ગોખલેની ફરિયાદના અનુસંધાનમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને કોરોનાની રસી વિનામૂલ્ય ઉપલબ્ધ કરાવવાનું વચન આપવાથી આચારસંહિતાની કોઈ પણ જોગવાઈનો ભંગ થતો નથી. સાકેત ગોખલેએ સરકારે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનો દાવો તેમની ફરિયાદમાં કર્યો હતો. 

November 1, 2020
salam_surat-1280x910.jpg
3min27360

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજે ચંદી પડવાના સુરતીઓના પોતિકા તહેવારે સુરતના અનાવિલ સમાજે એક પહેલ કરી છે અને આ પહેલને અમે www.cialive.in Digital Media એ નામ આપ્યું છે સોશ્યોનોમિક્સ.

સોસાયટી (સમાજ) અને ઇકોનોમિક્સ (અર્થતંત્ર)ને ભેળવીને તૈયાર કરાયેલો શબ્દ એટલે સોશ્યોનોમિક્સ.

સુરતના અનાવિલ સમાજે પોતાના સમાજ (સોસાયટી)ના પરિવારજનોને અર્થોપાર્જન માટે જે સપોર્ટ આપ્યો છે તેને સોશ્યોનોમિક્સ કહેવાય.

સહાય અને સપોર્ટ બન્ને વચ્ચે દયા અને સેલ્ફ રિસ્પેક્ટ જેટલો મોટો ફર્ક હોય છે

સુરતના મજૂરાગેટ પર દયાળજી આશ્રમ સાથે સંકળાયેલા અનાવિલ સમાજની પ્રવર્તમાન ટીમે દિવાળીના તહેવારો દરમિયાન પોતાના જ્ઞાતિજનો ટ્રેડિંગ માટે પ્લેટફોર્મ આપ્યું છે. તહેવારોમાં સૂકા નાસ્તા, મીઠાઇ, ગૃહ સુશોભન વગેરે ગૃહ બનાવટની ચીજવસ્તુઓનું નાના પાયે ટ્રેડિંગ કરતા અનાવિલ સમાજના પરિવારોને મજૂરાગેટ ખાતે સમાજની વાડીમાં જ સ્ટોલ ફાળવીને તેઓ ત્યાં દિવાળી સુધી પોતાની ચીજવસ્તુઓનું વેચાણ કરી શકે તેવી અપટુ ડેટ વ્યવસ્થા ફ્રી ઓફ કોસ્ટ કરી આપી છે. એટલું નહીં પણ જ્ઞાતિજનોને આ ટ્રેડિંગ પ્લેશની મુલાકાત લેવા પણ અપીલ કરી છે એટલે કે તેનું માર્કેટિંગ પણ કરી આપ્યું છે. અને એટલે જ અમે અનાવિલ સમાજના આ સ્તૃત્ય પગલાને સોશ્યોનોમિક્સનું નામ આપી રહ્યા છીએ.

આ પહેલ કેમ પ્રેરક

  • જ્ઞાતિજનો જો હંગામી રીતે પણ જગ્યા ભાડે લેવા જાય તો સહેજેય 15 દિવસનું 10 હજાર ભાડું ચૂકવવું પડે. જ્ઞાતિજનોને વિનામૂલ્યે સ્ટોલ મળતા તેમને મોટી બચત થશે.
  • મજૂરાગેટ જેવા સેન્ટર ઓફ ધ સિટી વિસ્તારમાં વેપારની તક મળી
  • જ્ઞાતિજનો આ ટ્રેડ ફેરની મુલાકાત લેશે એટલે એક પ્રકારે માર્કેટિંગ પણ સમાજ દ્વારા કરાયું
  • જ્ઞાતિજનો તેમજ શહેરીજનોને એક સ્થળેથી દિવાળી માટેની ચીજવસ્તુઓની ઉપલબ્ધી
  • સમાજનું કાર્ય જ એ છે કે જ્ઞાતિજનોના વેલ્ફેર માટે સતત પ્રયત્નશીલ રહે, અહીં અનાવિલ સમાજે આ મૂળભૂત ખ્યાલને ચરિતાર્થ કર્યો છે.
તા.1લી નવેમ્બરથી મજૂરાગેટ સ્થિત અનાવિલ સમાજની વાડી ખાતે અનાવિલ સમાજના જ્ઞાતિજનો માટે ટ્રેડફેરનો આરંભ કરાયો હતો, જેના સ્ટોલની તસવીર

શહેરમાં એવા અનેક સમાજો છે જેઓ આર્થિક રીતે સદ્ધર છે, સમાજો પાસે પ્રોપર્ટીઓ મોકાના સ્થળે આવેલી છે, આ સમાજમાં ગરીબ મધ્યવર્ગીય પરિવારો છે, તેમણે આ પ્રકારે પહેલ કરવી જોઇએ.

દયાળજી આશ્રમના ફેસબુક પર આજે તા.1લી નવેમ્બર 2020ના રોજ મૂકાયેલા પોસ્ટમાં જણાવ્યું છે કે પ્રવર્તમાન કોરોના મહામારી ના કપરા કાળ મા અનાવિલ સમાજના ગૃહ ઉદ્યોગ ચલાવતા અનાવિલો કે જેઓ દિવાળી નિમિતે સૂકા નાસ્તા નો તેમજ ગૃહ સુશોભન નો વ્યવસાય કરે છે તેઓને મદદરૂપ થવા ના આશયથી આપણી સંસ્થા ના કેમ્પસમાં સૂકા નાસ્તા અને ગૃહસુશોભનની વસ્તુઓના વેચાણ માટેની વ્યવસ્થાનો આરંભ આજ રોજ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી તેમજ હોદ્દેદાર અને કમિટી સભ્યો ની હાજરીમાં શુભારંભ કરાયો છે.

તા.1લી નવેમ્બરથી મજૂરાગેટ સ્થિત અનાવિલ સમાજની વાડી ખાતે અનાવિલ સમાજના જ્ઞાતિજનો માટે ટ્રેડફેરનો આરંભ કરાયો હતો, જેના સ્ટોલની તસવીર

Note : અનાવિલ સમાજના આ સ્તૃત્ય અને પ્રેરક કર્તવ્ય અંગે આ અહેવાલ પ્રકાશિત કરવા માટે અમને કોઇપણ વ્યક્તિ એ સંપર્ક કર્યો નથી. ફેસબુક પોસ્ટ પરથી અમે સ્વયં આ સ્ટોરી ડેવલપ કરીને અન્ય સમાજને પ્રેરણા મળે તે માટે આ સ્ટોરીનું સોશ્યલ મિડીયા માર્કેટિંગ કરી રહ્યા છીએ.

November 1, 2020
vaishno-devi.jpg
1min6250

માતા વૈષ્ણોદેવી મંદિરે પહેલી નવેમ્બરથી પ્રતિદિને ૧૫,૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટ આપવામાં આવી છે, એમ જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે શુક્રવારે કહ્યું હતું. કોરોના મહામારીને કારણે અગાઉ એક દિવસના ફક્ત ૭૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટ આપવામાં આવી હતી.

નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (એસઓપી)માં વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી આદેશ આપે છે કે માર્ગદર્શિકા અને નિર્દેશનો ૩૦-૧૧-૨૦૨૦ સુધી કાયમ રહેશે, ફક્ત માતા વૈષ્ણોદેવી મંદિર, કતરામાં અગાઉની પ્રતિદિન ૭૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટમાં ફેરફાર કરતા હવે ૧૫,૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટ આપવામાં આવે છે.

કોરોના મહામારીને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ અંદાજે પાંચ મહિના પછી ત્રિકુટા ટેકરી પર આવેલું માતા વૈષ્ણાદેવીનું મંદિર ૧૬મી ઓગસ્ટથી ફરી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ મૂકાયું હતું. પ્રારંભિક તબક્કે ફક્ત દિવસના ૨૦૦૦ લોકોને દર્શન કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી જેમાં ૧૦૦ જમ્મુ-કાશ્મીરની બહારના લોકોનો સમાવેશ કરાયો હતો.

યાત્રા રજિસ્ટ્રેશન કાઉન્ટર્સ ખાતે લોકો મોટી સંખ્યામાં ભેગા ન થાય તે માટે યાત્રાળુઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભવન, અધકુવારી, કતરા અને જમ્મુમાં યાત્રાળુઓને રહેવાની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ એસઓપીનું પાલન કરવું ફરજિયાત છે.

શ્રાઇન બોર્ડની અન્ય સુવિધાઓ જેવી કે, બેટરી દ્વારા ચાલતા વાહનો, રોપવે અને હેલિકોપ્ટર સેવા વગેરે પણ નિયમોનું પાલન કરીને ચાલુ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

October 31, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6630

કેતનભાઈની સિવિલમાં સારવાર દરમિયાન ૧૦૦ થી પણ વધુ જુદા જુદા રિપોર્ટ કરાયા હતા: ડો. અમિત ગામિત : ટોસિલીઝુમાબના બે ડોઝ અપાયા હતા

Information Department, Surat

સુરત:શનિવાર: છેલ્લાં સાત મહિનાથી નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીઓની સારવારમાં વ્યસ્ત તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફે દર્દીઓને કોરોનામુક્ત કરવામાં મોટું યોગદાન આપ્યું છે, જેમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. ઉમરા ગામના ૪૧ વર્ષિય કેતનભાઈ ઉમરીગરને ૯૭ દિવસની લાંબી અને જહેમતભરી સારવાર બાદ સ્વસ્થ કરવામાં સફળતા મળી છે. કેતનભાઈનું સ્વસ્થ થવું એ ચમત્કારથી કમ નથી. તેમના મજબૂત ઈરાદા અને સિવિલના તબીબોની મહેનતના પરિણામે આખરે તેઓ કોરોનાને શિકસ્ત આપી ઘરે પરત ફર્યા છે. પરિવાર સાથે પુન: મિલન થવાની ખુશી ઉમરીગર પરિવાર કરતા નવી સિવિલના તબીબી સ્ટાફને વધુ હતી.

નવી સિવિલ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. અમિત ગામિતે જણાવ્યું કે, કેતનભાઈ ૨૭ જુલાઈએ તાવ સાથે શ્વાસ લેવામાં તકલીફ થતા સિવિલ હોસ્પિટલ દાખલ થયા હતા. તપાસમાં આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એચઆરસિટીમાં ૫૦થી ૬૦ ટકા જેટલું ફેફસામાં કોરોનાનું ઈન્ફેક્શન જણાયું. તેઓ જ્યારે દાખલ થયા ત્યારે હાલત અત્યંત ગંભીર હતી, અને ઓક્સિજન લેવલ ઘટીને ૪૮ ટકા જેટલું થઈ જતા તાત્કાલિક આઈસીયુમાં બાયપેપ પર ૧૦૦ ટકા ઓક્સિજન પર સારવાર શરૂ કરી. તા.૧૧ ઓગસ્ટે શ્વાસ લેવામાં વધુ તકલીફ થતા કેતનભાઈને નળી દ્વારા ઓક્સિજન એટલે કે ઈન્વાઝિવ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. કુલ મળીને પહેલા ૩૨ દિવસ આઈસીયુમાં સારવાર દરમ્યાન ICMR અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ બે ડોઝ ટોસિલીઝુમાબ અને પ્લાઝમા પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તબિયતમાં સુધાર જણાતા જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યા.

ડો. ગામિતે વધુમાં કહ્યું કે, કેતનભાઈની સારવાર દરમ્યાન ફેફસામાં બેકટેરીયાનું ઈન્ફેક્શન થતા કોવિડની સાથે ઇન્ફેક્શનની સારવાર શરૂ કરી. સામાન્ય રીતે ઈન્ફેક્શનની સારવાર માટે ત્રણથી ચાર સપ્તાહનો સમય લાગે છે. તેમનું ઓક્સિજન લેવલ મેઈન્ટેઈન રહેતું ન હતું, એટલે સતત મોનિટીરિંગ હેઠળ ૧૦ લીટર ઓક્સિજન પર શિફ્ટ કર્યા. ૫૦ દિવસથી પણ વધુ સમય ઓક્સિજન સપોર્ટ પર રાખ્યા.

કેતનભાઈના જુદા જુદા ૧૦૦ થી પણ વધારે રિપોર્ટ કરવામાં આવ્યા હતા. લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ માપવા દરરોજ બે ABGના રિપોર્ટ કરવામાં આવતા. આ સમયે કેતનભાઈ બ્લડ પ્રેશરની બિમારી જણાઈ આવી હતી. ધીરે ધીરે સારવાર બાદ તબિયતમાં સુધાર આવતા બાહ્ય ઓક્સિજનની માત્રા ઘટાડતા ગયા. છેલ્લા ૭ દિવસ નોર્મલ રૂમ એર પર રખાયા અંતે આજે ૯૭ દિવસની સંઘર્ષમય સારવારના અંતે સિવિલ તંત્રને ખુશી છે કે તેઓ કોરોનામુક્ત થયા છે.

તબીબી સ્ટાફ હંમેશા તેમનો ઉત્સાહ વધારી કહેતા કે, ‘તમે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશો’. અનેક દર્દીઓની સારવારમાં મહત્વની ભૂમિકા નિભાવનારા દ.ગુજરાતના નોડલ ઓફિસર ડો. અશ્વિન વસાવાએ ખુશીની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, કેતનભાઈ એક એવા દર્દી છે કે જેમની અમે કોવિડની સૌથી લાંબી સારવાર કરી છે. મારા મતે ગુજરાતના પહેલા એવા દર્દી હશે કે જેમની સૌથી લાંબી સારવાર ચાલી હોય. રાજ્યના આરોગ્ય વિભાગના સહકારથી સુરતના આરોગ્ય તંત્રએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં સિવિલની સંનિષ્ઠ તબીબોની સાથે નર્સિંગ સ્ટાફનો પણ એટલો જ ફાળો રહ્યો હોવાનું તેઓ જણાવે છે. ઉમરાના નવસાર મહોલ્લામાં રહેતાં કેતનભાઈના પત્ની મિથિલાબેન ઉમરીગર પતિને સ્વસ્થ થયેલા જોઈને ખુશીના આંસુ રોકી શકતા નથી. તેમણે ભાવસભર લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘તા.૨૭ જુલાઈનો દિવસ અમારા માટે સંકટભર્યો હતો.

ઓક્સિજન ખૂબ ઓછું થઈ જતા મારા પતિની સ્થિતિ ગંભીર થઈ હતી. આવા કપરા સમયમાં સિવિલના તબીબો અમારા આધારરૂપ બન્યા. પતિની તબિયત વિષે તબીબો મને દરરોજ ફોન કરી માહિતી આપતા હતા. તેમના આશ્વાસનથી ખૂબ હિંમત મળી. ૯૭ દિવસની સારવારનો એક એક દિવસ અમારા માટે મુશ્કેલ હતો, પરંતુ પતિ કોરોનામુક્ત થયા એનો આનંદ વર્ણવી શકાય તેમ નથી. સિવિલના તબીબોએ જીવનદાન આપ્યું છે , એમના જીવનભર ઋણી રહીશું.

કોરોનામુક્ત કેતનભાઈ આંખમાં હર્ષાશ્રુ સાથે કહે છે કે, ‘સિવિલ હોસ્પિટલમા વિતાવેલા ૯૭ દિવસ ક્યારેય ભુલાશે નહિ. આ સમયમાં સિવિલનો કોવિડ વોર્ડ મારૂ બીજું ઘર બન્યું હતું. અહીં તમામ કર્મચારીઓએ મને પરિવાર જેવો પ્રેમ સાથે સેવા સારવાર આપી છે. એક સમયે મને કોઈ સાથે વાત કરવાનું પણ ગમતું ન હતું, હું ક્યારે સાજો થઈને ઘરે જઇશ, સાજો થઈશ કે નહિ એ પણ જાણ ન હતી. પરિવાર સાથે વિડિયો કોલ પર વાત પણ કરાવતા ત્યારે ખૂબ સારૂ લાગતું. સિવિલની સારવારથી હું મૃત્યુના મુખમાંથી ઉગર્યો છું એમ તેઓ ઉમેરે છે.

October 31, 2020
SOU.png
1min9700

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ દેશભરમાં અનેક વિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ભારતનો સૌથી મોટો કાર્યક્રમ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ તા.31મી ઓક્ટોબરને શનિવારે સવારે ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 145ની જન્મજયંતી નિમિત્તે કેવડિયા ખાતે આવેલી સરદાર પટેલની 182 મીટર ઊંચી વિરાટ પ્રતીમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સરદાર પટેલની જન્મજયંતીની 2014થી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

October 31, 2020
coronaupdate.jpg
1min783

કોરોના વાયરસના દર્દીઓ એકવાર સાજા થયા પછી બીજીવાર સંક્રમિત થયાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે રિકવરી દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

એક વખત કોરોના થઇ ગયા બાદ ફરીથી કોરોના ઇન્ફેકશન થયાના અનેક દર્દીઓ ભારત મળી આવી રહ્યા છે. બીજી વખતનું કોરોના ઇન્ફેકશન જીવલેણ નિવડી શકે તેમ છે. આવી સ્થિતિમાં કોરોના જેમને થઇ ચૂક્યો છે, અથવા જેઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે તેમને ખાસ એક્સપર્ટસ જણાવી રહ્યા છે કે વેક્સિન ના આવે ત્યાં સુધી તો જાતે તકેદારી રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો કોરોના રિકવરી બાદ ગાફેલ રહ્યા હતો, પરિસ્થિતિ વધુ વિકટ બની શકે એમ છે.

કોરોના વાયરસના દર્દીઓના શરીરમાં રિકવરી પછી એન્ટીબોડી વિકસે છે પરંતુ તે ક્યાં સુધી શરીરમાં રહે છે તેની ચોક્કસ માહિતી નથી. એવામાં પોતાની તકેદારી રાખવામાં નાનકડી ચૂક પણ ભારે પડી શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પણ લોકોને સાવધાની રાખવાની અને રિકવરીને હળવાશમાં ન લેવાની સલાહ આપી છે.

કોવિડ-19થી ફરીવાર સંક્રમિત થવાના ક્લિનિકલ પુરાવા મર્યાદિત છે તેમ છતાં વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ફરી સંક્રમિત થવાના વિવિધ અર્થ છે અને આ શા માટે થાય છે તે સમજવામાં મદદ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોરોનામાંથી સાજો થાય છે ત્યારે શરીરમાં વાયરલ લોડ નષ્ટ થઈ જાય છે. પરંતુ કેટલાક કિસ્સામાં દર્દીના શરીરમાં ખૂબ નિમ્ન સ્તરે વાયરલ રહે છે અને ફરીથી તેમનામાં લક્ષણો દેખાય છે અને સંક્રમિત કરે છે. જો કે, આ ફરી સંક્રમિત થવાનું સંભવિત કારણ છે.

બીજું સંભવિત કારણ છે કે, શરીરમાં એન્ટીબોડી વિકસે તો પણ તેઓ કાયમી ઈમ્યૂનિટી બનાવતા નથી. સ્ટડી પ્રમાણે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં એન્ટીબોડી 3-9 અઠવાડિયાના સમયગાળામાં ઓછા થવા માંડે છે.

ICMRના મતે, 100 દિવસ બાદ શરીરમાં એન્ટીબોડી કાઉન્ટ ઘટવા માંડે છે. જો કે, જરૂરી નથી કે કોરોનાથી સાજા થયેલા તમામ દર્દીમાં એક સરખા પ્રમાણમાં એન્ટીબોડી બને. ઈન્ફેક્શન જેટલું માઈલ્ડ હોય એન્ટીબોડીનો રિસપોન્સ પણ તેટલો ઓછો હોઈ શકે છે. માટે જ કોરોનાથી સાજા થયા પછી પણ પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. અહીં ત્રણ પરિબળો જણાવીશું જેના કારણે ફરીથી કોરોનાથી સંક્રમિત થવાનું જોખમ રહેલું છે.

તમે એકવાર કોરોનાનો શિકાર બની ગયા છો તેનો અર્થ એ નથી તમને માસ્ક વિના બહાર મુક્તપણે ફરવાનું લાઈસન્સ મળી ગયું છે. લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખવાથી મૂંઝારો થતો હોય તેવું લાગે છે પરંતુ તે રેસ્પિરેટરી ડ્રોપ્સ દ્વારા ફેલાતા વાયરસ અને સૂક્ષ્મ જીવાણુઓ સામે રક્ષણ આપે છે. માસ્ક પહેરવાથી માત્ર કોરોના વાયરસ સામે જ નહીં શિયાળાના મહિનાઓમાં થતાં શ્વાચ્છોશ્વાસના ઈન્ફેક્શનથી પણ રક્ષણ આપે છે. આ જ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના પ્રોટોકોલનું પહેલાની જેમ જ પાલન કરવું. કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ 10 દિવસ સુધી ઘરની બહાર ના નીકળો. હોમ આઈસોલેશન પૂરું થાય પછી પણ થોડો સમય રાહ જુઓ અને પછી જ બીજા લોકો સાથે હળવામળવાનું રાખો.

કોરોના સામે લડ્યા બાદ મોટાભાગના લોકોના શરીરમાં એન્ટીબોડી વિકસે છે પરંતુ માત્ર તેના પર જ નિર્ભર રહેવાથી સુરક્ષિત નહીં રહી શકાય. તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા પર કામ કરવું, સંતુલિત આહાર લેવો અને સ્ટેમિના વધારવા પર કામ કરવું જરૂરી છે. જો તમને કોઈ દવા પ્રિસ્ક્રાઈબ કરી હોય તો તે પણ લેવાની ચાલુ રાખવી. આ બધું કરવાથી કોવિડ-19થી સાજા થયા પછી જોવા મળતાં કેટલાક લક્ષણો સામે લડવામાં મદદ મળશે સાથે જ વિટામિન્સ અને સપ્લિમેન્ટ્સ શરીરના અવયવોને સારી રીતે કાર્યરત રાખવામાં ઉપયોગી બનશે. કેટલીકવાર કોરોનાની સારવાર બે મહિના સુધી ચાલુ રહી શકે છે એવામાં તમે તેને બરાબર પાળો તે જરૂરી છે.

યાદ રાખો કે, કોરોના કઠિન બીમારી છે અને સાજા થઈને નોર્મલ લાઈફમાં પરત ફરવામાં સમય લાગી શકે છે. કોરોનાના દર્દીને સાજા થયા બાદ પહેલાની જેમ બધું કામ કરવાની ઉતાવળ હોય તે સ્વાભાવિક છે પરંતુ આ ભાગદોડમાં રિકવરીને હળવાશમાં ના લેવી. તમને આરામ લાગતો હોય અને રિકવરી પછીના કોરોનાના લક્ષણ ના દેખાતા હોય તો પણ સતર્ક રહેવું હિતાવહ છે. સાજા થયા પછી તરત જ શરીરને વધુ પડતો શ્રમ આપવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. તમારા શરીરને રિકવર થવાનો પૂરતો સમય આપો નહીં તો ફરીથી સંક્રમિત થવાનું જોખમ વધી શકે છે.

October 31, 2020
randeep-guleria-1200.jpg
1min5250

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા ફરી વધતાં એક તરફ કોવિડ-19ની ત્રીજી લહેર શરૂ થયાની ચર્ચા છે તો બીજીતરફ એઈમ્સના નિર્દેશક ડો. ગુલેરિયા આ બાબતનો સતત ઈન્કાર કરી રહ્યા છે. એક ખાનગી સમાચાર ચેનલ સાથે વાત કરતાં ડો. ગુલેરિયાએ ત્રીજી લહેરથી ફરી ઈન્કાર કરતાં કહ્યું કે હાલમાં બીજી લહેર જ છે જે ફરીથી તેજ બની ગઈ છે. આવું થવા પાછળનું કારણ તેમણે લોકો દ્વારા સાવધાની વર્તવામાં ઢીલાશને લેખાવતાં કહ્યું કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળ્યા નહીં અને માસ્ક લગાવવામાં પણ ઢીલાશ વર્તી.

ડો. ગુલેરિયાએ કેસ વધવા પાછળ ઋતુ અને પ્રદૂષણને પણ જવાબદાર લેખાવતાં કહ્યું કે પ્રદૂષણને કારણે વાયરસ વધુ સમય સુધી હવામાં રહે છે. પ્રદૂષણ અને વાયરસ બંને ફેફસાંને પ્રભાવિત કરે છે.

તેમણે કહ્યું હતું કે કોરોનાવાયરસ હજુ સમાપ્ત થયો નથી. યુરોપ અને અન્ય દેશનું ઉદાહરણ આપતાં ડો. ગુલેરિયાએ કહ્યું કે માસ્ક જરૂર પહેરવું જોઈએ અને જરૂરી ન હોય તો બહાર જવાનું ટાળવું જોઈએ. જો આપણે સાવધાની નહીં રાખીએ તો હજુ પણ વધુ મામલા સામે આવી શકે છે.
તેમણે એમ પણ કહ્યું કે યુવાઓ ખાસ કરીને વધુ બેદરકાર છે. તેમને એવું લાગે છે કે હળવું સંક્રમણ લાગશે અને કાંઈ કરવાની જરૂર રહેશે નહીં પરંતુ આવી ધારણા ખોટી છે. યુવાઓ વાયરસ ઘરે લઈ જાય છે અને બુજુર્ગ તેના શિકાર બની રહ્યા છે.’ તેમણે કોરોનાની રસી આવવા અંગેની આશા વ્યક્ત કરતાં એમ પણ કહ્યું કે બની શકે એવી દવાઓ પણ આવે જે આ વાયરસ પર સારી રીતે કાબૂ મેળવી શકે.

October 31, 2020
Turkey-quake-thumbnail-1.jpg
1min5890

તુર્કી અને ગ્રીસમાં શુક્રવારે આવેલા ભૂકંપ અને સુનામીએ બન્ને દુશ્મન દેશોમાં ભારે તબાહી મચાવી છે.  તુર્કીમાં ભૂકંપ બાદ 196 જેટલા આફ્ટરશોક્સ આવ્યા હતા અને 22 લોકોના મોત તેમજ 200થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તુર્કી અને ગ્રીસની વચ્ચે સ્થિત એજિયન સાગરમાં ૧૬.૫ કિલોમીટર નીચે હતું. જમીનમાં તે ઓછી ઊંડાઇએ ભૂકંપનું કેન્દ્ર હોવાને કારણે તેના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ કારણે જ મોટાભાગની ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. અનેક ઇમારતો ધરાશાયી થઇ છે. યૂરોપીય-ભૂમધ્યસાગર ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રે કહ્યું છે કે શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા ૬.૯ હતી અને તેનું કેન્દ્ર યુનાનના ઉત્તર-પૂર્વમાં સામોસ દ્વીપમાં હતું.

તુર્કીની મીડિયામાં મધ્ય ઇઝમિરમાં બહુમાળી ઇમારતનો કાટમાળ મળી આવ્યો છે. આ વિસ્તારમાં અનેક સ્થળોએથી ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાઇ રહ્યા છે. ઇજમિરના ગવર્નરે કહ્યું છે કે અત્યારસુધી ચાર લોકોના મોતના અહેવાલ છે, જ્યારે મોટી સંખ્યામાં લોકોને ઇજા પહોંચી છે.

પરંતુ ગ્રીસમાં કોઇના મોતના અહેવાલ નથી. જોકે બન્ને દેશોમાં તબાહીની સ્થિતિને જોતાં તેમાં ઉમેરો થાય તેવી પૂરેપૂરી સંભાવના છે કેમ કે અનેક ઇમારતોના કાટમાળમાં અનેક લોકો દબાયાની આશંકા છે. બન્ને દેશોમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ અનેક વીડિયોમાં અનેક ઇમારતો પડી જતી હોવાનું દેખાય છે.

આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત આંકવામાં આવી છે. તુર્કી અને ગ્રીસના ભૂમધ્ય સાગરના તેલ અને ગેસના ભંડાર ધરાવતાં વિસ્તારોમાં કબ્જાને લઇને વિવાદ ચરમસીમાએ છે. બન્ને દેશોની સેના ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં મહિનાઓ અગાઉથી જ પેટ્રોલિંગ કરી રહી છે.

October 30, 2020
neetresults-1280x1168.jpg
2min12760

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નીટ-2020નું પરીણામ ગઇ તા.16મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર થયા બાદ 15 ટકા ઓલઇન્ડિયા ક્વોટા માટે પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ છે. ગુજરાતમાં પ્રવેશ કાર્યવાહી તા.2 નવેમ્બરથી શરૂ થશે.

સી.આઇ.એ. લાઇવ સાથે શિક્ષણ સર્વદાએ અહીં નીટ-2020ના પરીણામનું એવું એનાલિસીસ રજૂ કર્યું છે કે જેને યોગ્ય રીતે એસેસ કરવામાં આવે તો ઉમેદવાર ખુદ જાણી શકશે કે આ વખતે તેમને મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ મળશે કે નહીં.

નીટ-2020માં 500 પ્લસ માર્કસ લાવનારાઓનો રાફડો ફાટ્યો

નીટ-2020માં વ્યક્તિગત ટોપ સ્કોર ધરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અધધ એટલે કે જંગી પ્રમાણમાં વધી છે. નીટ 2020માં કુલ 97,093 વિદ્યાર્થીઓએ 500 પ્લસ સ્કોર હાંસલ કર્યો છે. 2019 નીટમાં 500 પ્લસ સ્કોર કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 49,581 હતી. આમ ગયા વર્ષ 2019માં નીટમાં 500 પ્લસ સ્કોર ધરાવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કરતા આ વખતે 2020માં 37,512 વધુ વિદ્યાર્થીઓ 500 પ્લસ સ્કોર ધરાવે છે. આ જ સૂચવે છે કે નીટ-2020માં મેડીકલ કોલેજોના કટઓફ અકલ્પ્ય રીતે ઉંચા જશે.

ગત વર્ષ 2019 કરતા આ વખતે 400 પ્લસ સ્કોરર વધ્યા

નીટ 2020માં 400 પ્લસ સ્કોર કરનારાઓની સંખ્યા 56,857 જેટલી વધી છે.

બીજા રાજ્યોના ટોપ સ્કોરર ફેક્ટર પર નજર કરો

  • કેરળમાં 2019માં નીટમાં 650 કે તેથી વધુ માર્કસ મેળવનારાઓની સંખ્યા 115 હતી જે 2020માં વધીને 643 થઇ છે.
  • રાજસ્થાનમાં 2019માં નીટમાં 500 કે તેથી વધુ માર્કસ લાવનારાઓની સંખ્યા 7,659 હતી જે 2020માં વધીને 11,698 પર પહોંચી ગઇ છે.
  • તમિળનાડુમાં નીટમાં 600 પ્લસ સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2019માં ફક્ત 146 હતી જે 2020માં વધીને 1,029 જેટલી થઇ ગઇ છે.
  • મહારાષ્ટ્રમાં 600 પ્લસ સ્કોર ધરાવતા 2019ના વિદ્યાર્થીઓની સંખ્યામાં 2020માં 220 ટકા જેટલો જંગી વધારો થયો છે.
October 30, 2020
pm_modi.jpg
1min4530

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે તા.30મી ઓક્ટોબર 2020ના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેઓ બે દિવસ માટે ગુજરાતના સત્તાવાર પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરવાના છે.

આજે બપોર બાદ વડાપ્રધાન મોદી કેવડીયા પહોચશે અને 17 જેટલા પ્રોજેકટસના લોકાર્પણ તેમજ નવા 4 પ્રોજેકટસના શિલાન્યાસ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિવિધ કાર્યક્રમો દરમિયાન ઉપસ્થિત રહેશે.

કેવડિયામાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે

વડાપ્રધાનશ્રીએ કેવડિયામાં અલગ-અલગ થીમ આધારિત પ્રોજેકટ હાથ ધરવા પ્રેરણા આપી હતી. જેના આજે તેઓ લોકાર્પણ કરશે. જેમાં જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનનો સમાવેશ થાય છે.

આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બાંધવામાં આવેલ જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનીટની રાઈડમાં બેસતા પહેલાં વડાપ્રધાન અન્ય 9 પ્રોજેકટના લોકાર્પણની તકતીનું અનાવરણ કરશે કે જેમાં જેટ્ટી અને બોટીંગ (એકતા ક્રૂઝ), નેવીગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઈકો ટુરિઝમ, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ તથા હોમ સ્ટે જેવા પ્રોજેકટનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન 4 નવા પ્રોજેકટ એટલે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, SRP ક્વાટર્સ તથા કેવડિયાની આજુબાજુ 5 ગામોના અસરગ્રસ્તોને વસાવવા માટે તમામ પાયાની સુવિધાઓ સાથેની 400 મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાયન્સ પણ કરવાના છે.