જમ્મુ અને કાશ્મીરમાં ઊભી થયેલી તંગદિલીને પગલે મહત્ત્વના અને સંવેદનશીલ સ્થળોએ સલામતી વ્યવસ્થા વધારી દેવાઇ છે.
અગાઉ, જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રે અમરનાથયાત્રામાં ભાગ લઇ રહેલા લોકોને તેઓની યાત્રા અટકાવીને પાછા ફરવાની સલાહ આપી હતી.
પર્યટકોને પણ સલામતી સામેના જોખમને ધ્યાનમાં રાખીને પાછા જતાં રહેવાની સલાહ અપાઇ હતી.
જમ્મુ એન્ડ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશને ભારતીય ટીમના ઓલ-રાઉન્ડર ઇરફાન પઠાણ સહિત અંદાજે ૧૦૦ ક્રિકેટરને કાશ્મીર છોડી જવાની સૂચના આપી હતી.
આ ઉપરાંત, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને હૉસ્ટેલમાંના વિદ્યાર્થીઓને પણ પરત જવાની સૂચના અપાઇ હતી.
કાશ્મીરના ખીણવિસ્તારમાં ગયા અઠવાડિયે આવી પહોંચેલા વધારાના લશ્કરી દળો ગોઠવાઇ ગયા છે.
ઉનાળા વખતના જમ્મુ અને કાશ્મીરના પાટનગર શ્રીનગરના સીમાડે અને અન્ય મહત્ત્વના રસ્તા પર બેરિકેડ્સ ઊભા કરાયા હતા. સુરક્ષા દળોએ રમખાણ રોકવા માટેના વાહનો પણ તૈયાર રાખ્યા છે.
કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રવિવારે બોલાવેલી બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ, કેન્દ્રના ગૃહસચિવ રાજીવ ગૌબા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ભારતીય લશ્કરે પાકિસ્તાનના સૈન્યના મારા ‘બેટ’ના સાત સૈનિકને શનિવારે હણી નાખ્યા હતા.
જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ એસ. પી. મલિકે જનતાને અફવા પર ધ્યાન નહિ આપવાની સલાહ આપી હતી.
જમ્મુ અને કાશ્મીરમાંથી પર્યટકો, અમરનાથયાત્રીઓ, અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને બીજા લોકો પાછા ફરી રહ્યા હોવાથી અનેક એરવેઝે ભાડાં વધારી દીધા હોવાનો આક્ષેપ કરાય છે. ટેક્સીવાળાઓ દ્વારા પણ પ્રવાસીઓ પાસેથી બેફામ ભાડાં લેવાતા હોવાનું કહેવાય છે.
નેશનલ કોન્ફરન્સની રાજકીય બાબતોને લગતી સમિતિએ રાજ્યમાંની પરિસ્થિતિ અંગે ચર્ચાવિચારણા કરી હતી.
૨૦૧૧ની સાલમાં ભારતીય લશ્કરમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ્ પદવી મેળવનાર ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની આ મહિનાના અંતમાં જમ્મુ અને કાશ્મીરની બટાલિયનમાં જોડાશે અને સંરક્ષક દળો સાથે
મળીને ફરજ બજાવશે, એમ સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું. ધોની ૩૧
જુલાઈથી ૧૫ ઑગસ્ટ સુધી ૧૦૬-ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પૅરા) સાથે રહેશે અને આ અર્ધલશ્કરી દળો ભેગા રહેવાની સાથે પેટ્રોલિંગ (દેખરેખ)ની તેમ જ રક્ષણની અને ચોકીપહેરાની ફરજ સંભાળશે.
ધોનીએ ટેસ્ટ-ક્રિકેટમાં રમવાનું છોડી દીધું છે, પરંતુ વન-ડે અને ટી-ટ્વેન્ટી કરિયરને હજી ગુડબાય નથી કરી. તે બે મહિનાનો બ્રેક લઈને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે નથી જવાનો. તેણે આ નિર્ણય લઈને ભારતીય લશ્કરને જણાવી દીધું છે કે તે પોતાને મળનારી બટાલિયન સાથે કામ કરવા ઉત્સુક છે. તેના આ સંદેશાને ધ્યાનમાં રાખીને તેનું પોસ્ટિંગ કાશ્મીર ખીણમાં કરવામાં આવ્યું છે. તેનું યુનિટ કાશ્મીર ખીણપ્રદેશમાં વિક્ટર ફોર્સના ભાગરૂપે છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘ધોનીએ ફરજ બજાવવા કરેલી વિનંતીને લશ્કરના વડામથકે મંજૂર કરી છે અને તે દળો સાથે મળીને વિવિધ પ્રકારની ફરજ પર રહેશે.’
એક વખતનું મોદીનું ગુજરાત એવું હતું કે જ્યાં કન્યાઓને મુક્ત વાતાવરણમાં કેળવણીને પ્રોત્સાહન મળે અને ટેકનોલોજીથી સજ્જ આધુનિક શિક્ષણ વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પરંતુ, હવે રૂપાણી સરકારમાં કન્યાઓ પર અવળચંડા પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત 12 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજે તો એવો ફતવો જારી કર્યો છે કે સમાજની કુંવારી યુવતિઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં, તેમના મોબાઇલ ફોનના વપરાશ પર તા.14મી જુલાઇથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સમાજે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આમ છતાંં, સમાજની કોઇ કુંવારી યુવતિ મોબાઇલ ફોનનો વપરાશ કરતા ઝડપાશે તો તેના પિતા પાસેથી સમાજ રૂ.દોઢ લાખનો જંગી દંડ વસૂલ કરશે.
ઉત્તર ગુજરાતના 12 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજે કુંવારી યુવતીઓને મોબાઈલ ફોન રાખવા પર પ્રતિબંધ 14 જુલાઈથી લાગુ કરી દેવામાં આવ્યો છે, જેનો ચૂસ્તપણે અમલ કરવા તાકિદ કરાઈ છે.
ઉત્તર ગુજરાત 12 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજનો આ ફતવો હાલ ગુજરાતમાં ભારે વાઇરલ થયો છે અને કુંવારી યુવતિઓ પર મૂકવામાં આવેલા મોબાઇલ વપરાશ પ્રતિબંધની ચોમેરથી ટીકા કરવામાં આવી રહી છે. કેટલીક મુક્ત વિચારશરણી ધરાવતી સંસ્થાઓએ ગુજરાત સરકાર તેમજ હ્યુમન રાઇટ્સ, મહિલા અધિકાર આયોગ સુધી આ બાબતની ફરીયાદો કરવાની શરૂ કરી છે.
બુદ્ધિજીવીઓનું કહેવું છે કે કુંવારી યુવતિઓ પર મોબાઇલ પ્રતિબંધ મૂકવા પાછળ નો તર્ક બેહૂદા છે. મોબાઇલથી દુષણો ફેલાય રહ્યા છે માની શકાય એવી વાત છે પણ મોબાઇલ આધુનિક ટેકનોલોજીનું સૌથી મહત્વનું પરીબળ છે, શિક્ષણમાં મોબાઇલ ફોનની આવશ્યકતા પ્રવેશથી લઇને પરીક્ષા, પરીણામ સુધીની છે.
ચંદ્રયાન-૨, ભારતનું ચંદ્રયાન-૧ પછીનું બીજું ચંદ્ર યાન છે. આ યાન ઇસરો દ્વારા નિર્મિત કરાયું છે અને GSLV Mk III રોકેટ વડે પ્રક્ષેપણ કરાશે. તેમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરતા યાન, ચંદ્ર પર ઉતરનાર યાન અને વાહન (રોવર) નો સમાવેશ થાય છે, આ ત્રણેય સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિકથી અને ભારતીય વૈજ્ઞાનિકો વડે જ નિર્મિત છે. ભારતના સ્પેશ મિશનનું આ સૌથી મહત્વાકાંક્ષી કદમ માનવામાં આવી રહ્યું છે અને એટલે જ તા.15મીની મધરાત્રે ખુદ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આ વિરલ ઘટનાના સાક્ષી બનવા માટે શ્રીહરીકોટા લોંચ સ્ટેશન ખાતે ખાસ ઉપસ્થિત રહેશે.
આ યાન તા.15મી જુલાઇએ મધરાત્રે લોંચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જિઓસિંક્રોન સેટેલાઇટ લોંચ વેહિકલ માર્ક III (જીએસએલવી એમકે 3) કે જેને “બાહુબાલી”ના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે કેમકે તે અત્યાર સુધીના ભારતના સ્પેશ મિશનનું સૌથી વજનદાર રોકેટ છે. 640 ટન રોકેટ 15 માળની ઇમારત જેટલું ઊંચું છે અને તે ચંદ્રની મુસાફરી દરમિયાન 3.8 ટન સેટેલાઇટ તેમજ રોવરનું વહન કરીને ત્યાં લઇ જશે.
ચંન્દ્રયાન -2માં પણ સુરતના હિમસન સિરેમિકમાં ઉત્પાદિત થયેલા પાર્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરત શહેર માટે ગૌરવવંતી બાબત એટલા માટે છે કેમકે સુરતના હિમસન સિરેમિક કે જેઓ છેલ્લા 25 વર્ષથી ઇસરોને જરૂરી સ્પેરપાર્ટસ સિરેમિકમાંથી ઉત્પાદિત કરી આપીને તેમને સપ્લાય કરે છે.
(Nimeshbhai Bachkaniwala, Director of Himson Ceremic)
સુરત સ્થિત હિમસન સિરેમિકના ડાયરેક્ટર શ્રી નિમેષભાઇ બચકાણીવાલાએ જણાવ્યું હતું કે તેઓ તેમનું સદભાગ્ય માને છે કે આજથી 25 વર્ષ પહેલા પહેલી વખત તેમણે ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને તેના જુદા જુદા સ્પેશ મિશન માટે જરૂરી સિરેમિકના પાર્ટસ બનાવી આપવાનો આરંભ કર્યો હતો. છેલ્લા 25 વર્ષથી ઇસરોના દરેક અવકાશી અભિયાનમાં સુરતમાં બનેલા પાર્ટસનો ઉપયોગ કરાયો છે.
આમ, સુરત માટે પણ આ ગૌરવવંતી બાબત છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સુરતનું પણ ભારતના સ્પેશ મિશનમાં ફુલ નહીં તો ફુલની પાંખડી સમાન યોગદાન રહ્યું છે. છેલ્લા 25 વર્ષથી ઇસરોના અવકાશ મિશન માટે, રોકેટ્સ, સેટેલાઇટ્સ વગેરે માટે સિરેમિક પાર્ટસ બનાવી આપતા સુરતની હિમસન સિરેમિકના ડાયરેક્ટર શ્રી નિમેષભાઇ બચકાણીવાલાએ અંતમાં કહ્યું કે તેઓ ઇસરોના આભારી છે કે છેલ્લા 25 વર્ષથી અવિરત પણે તેમને ભારતના સ્પેશ મિશનમાં યોગદાન આપવા માટે સંસ્થા પર અને અમારા પર વિશ્વાસ જગાડ્યો. તેમણે ઉમેર્યું કે સૌથી મોટી ખુશી એ છે કે ભારતને ગૌરવ અપાવતા સ્પેશ મિશનમાં સુરતના એક અદની સંસ્થાના પ્રતિનિધિ તરીકે યોગદાન કરવાની તક મળી છે એ અમારા માટે પણ ગૌરવવંતી બાબત છે.
ત્રણ દિવસ પહેલાં સતત બીજી વાર ફિફા મહિલા ફૂટબૉલ વર્લ્ડ કપનો તાજ જીતનારી અમેરિકાની ટીમની પાંચ ખેલાડીઓ અને કોચ સજાતીય સંબંધો ધરાવે છે એટલે એ સમુદાયના લોકો વિશ્ર્વ કપના આ વિજેતાપદને ‘ગે ક્યૂનિટી’ના મોટા વિજય તરીકે ઓળખાવી રહ્યા છે.
વર્લ્ડ ચૅમ્પિયન અમેરિકાની મહિલા ટીમની મુખ્ય ખેલાડી મેગન રૅપિનો અને ઍશ્લીન હૅરિસ તથા ઍલી ક્રિગર સહિત કુલ પાંચ પ્લેયરો તેમ જ કોચ જિલ એલિસ લેસ્બિયન છે. એમાંથી ઍશ્લીન અને ઍલીએ એકમેક સાથે સગાઈ કરી લીધી છે અને થોડા જ દિવસમાં લગ્ન કરી લેવાની છે.
અમેરિકાની મહિલા ફૂટબૉલ ટીમે રવિવારે ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં નેધરલૅન્ડ્સને ૨-૦થી પરાજિત કરી હતી. અમેરિકાની મુખ્ય પ્લેયર મેગને એ વિજય મળતાં જ ‘ગો ગેય્ઝ’ એવું મોટા અવાજે બોલીને જીત સેલિબ્રેટ કરી હતી. મેગનને ‘ગોલ્ડન બૂટ’ તથા ‘ગોલ્ડન બૉલ’ અવૉર્ડ આપવામાં આવ્યા હતા. ફાઇનલમાં બેમાંથી એક ગોલ મેગને કર્યો હતો.
મેગને ચૅમ્પિયનપદ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘ટીમમાં ગે ખેલાડીઓ વગર કોઈ પણ ચૅમ્પિયનશિપ જીતી જ ન શકાય. અગાઉ પણ ક્યારેય ગે પ્લેયરો વિના ચૅમ્પિયનશિપ નહીં જીતી શકાઈ હોય. એ જ વિજ્ઞાન છે.’ વર્લ્ડ કપની રનર-અપ મહિલા ટીમ નેધરલૅન્ડ્સની ટીમમાં પણ પાંચ પ્લેયરો પણ લેસ્બિયન હતી.
એક જાણીતા સામયિકના અહેવાલ મુજબ આ વર્લ્ડ કપમાં રમનારી તમામ ખેલાડીઓમાં ૪૦ પ્લેયરો લેસ્બિયન હતી. તેઓ લેસ્બિયન, ગે, બાયસેક્સ્યૂઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીયર (એલજીબીટીક્યૂ) સમુદાયની મેમ્બર છે.
પુરુષ ફૂટબૉલ ખેલાડીઓમાં પણ કેટલાક ગે (હોમોસેક્સ્યૂઅલ) છે અને ગયા વર્ષે ફિફા વર્લ્ડ કપમાં એમાંના કેટલાક પ્લેયરો રમ્યા હતા, પરંતુ તેમણે લેસ્બિયન ફૂટબૉલરોની જેમ જાહેરમાં એનો સ્વીકાર નહોતો કર્યો.
‘એજબેસ્ટેનની પિચ અને નાની બાઉન્ડ્રી લાઇનને ધ્યાને રાખી ભારતની ઈલેવનમાં ભુવનેશ્વર અને રવિન્દ્રને તકની વકી
વિશ્વ કપ-2019માં ઇંગ્લેન્ડ વિરૂધ્ધ પહેલી હાર સહન કરનાર ટીમ ઇન્ડિયા મંગળવારે બંગલાદેશ સામે મેદાને પડશે ત્યારે તેનું એકમાત્ર લક્ષ્ય વિજયક્રમ પર વાપસી કરીને સેમિ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવું. બીજી તરફ બંગલાદેશે વિશ્વ કપમાં અત્યાર સુધી લડાયક દેખાવ કરીને તેની સેમિની આશા જીવંત રાખી છે. ભારત સામેની હારથી તેની આશા ધૂંધળી બની જશે. આથી બંગલાદેશ ભારત સામે મરણિયો જંગ ખેલશે તેમાં કોઇ શક નથી. મિડલ ઓર્ડરના નિષ્ફળતાથી ચિંતિત ભારતીય ટીમ બંગલાદેશ સામે તેની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે.
એજબેસ્ટનને પિચ અને મેદાનની સ્થિતિ જોતા કેદાર જાધવ અને યજુર્વેન્દ્ર ચહલના સ્થાને ભુવનેશ્વ કુમાર અને રવિન્દ્ર જાડેજાને તક મળી શકે છે. ઇંગ્લેન્ડ સામેની હાર બાદ ભારતને નવી તૈયારીનો સમય મળ્યો નથી. ભારત હાલ 7 મેચના અંતે 11 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. તો બંગલાદેશના 7 મેચમાં 7 પોઇન્ટ છે અને છઠ્ઠા નંબર પર છે. આ મેચથી ભારતીય ટીમ ફરી તેની અસલ બ્લૂ જર્સીમાં જોવા મળશે.
એજબેસ્ટનનું મેદાન પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેની એક તરફથી બાઉન્ડ્રી 60 મીટરથી ઓછી છે. જેનો ઇંગ્લેન્ડના જેસન રોય, જોની બેયરસ્ટો, બેન સ્ટોકસે ભારત સામે ભરપૂર લાભ લીધો હતો. આવી પરિસ્થિતિમાં તમિમ ઇકબાલ, શકિબ અલ હસન, મુશફકિર રહીમ, લીટન દાસ અને સૌમ્ય સરકાર જેવા સ્પિનર સામે સારું રમી જાણતા બેટધરો સામે ટીમ ઇન્ડિયા કાંડાથી બોલિંગ કરતા બે સ્પિનરને ઉતારવાનું જોખમ લેશે નહીં.
રિપોર્ટ અનુસાર ભુવનેશ્વર હવે ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે. આથી ભારત ટૂર્નામેન્ટમાં પહેલીવાર તેના ત્રણ મુખ્ય ઝડપી બોલર સાથે ઉતરી શકે છે. ભુવીને બેટિંગથી નીચેના ક્રમનું બેટિંગ પણ મજબૂત બનશે.
બંગલાદેશની ટીમની સફળતા નંબર વન ઓલરાઉન્ડર શકિબ અલ હસનને લીધે આભારી છે. શકિબ બે સદી અને 10થી વધુ વિકેટ લઇને શાનદાર દેખાવ કરી રહ્યો છે. તેને તમિમ, મુશફકીર અને મહમદુલ્લા જેવા ખેલાડીઓનો સારો સાથ મળી રહયો છે. બંગલાદેશની સૌથી મોટી ચિંતા સુકાની મશરેફ મુર્તઝાનું કંગાળ ફોર્મ છે. તે 6 મેચમાં ફકત 1 વિકેટ જ લઇ શકયો છે.
સમગ્ર દેશમાં હડતાળ પર ઉતરેલા તબીબોને કારણે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજી પર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં માછલાં ધોવાય રહ્યા હતા. ચોમેરથી પ્રેશર વધતા આખરે અડગ વલણ અપનાવનાર મમતા બેનરજીએ તબીબો સામે ઝુંકવું પડ્યું છે. પશ્ચિમ બંગાળનું મુખ્યમંત્રી મમતા બેનરજીની પ્રદર્શન કરનારા ડોક્ટરો સાથેની તાકીદની બેઠક યોજી હતી.જેમાં મમતા બેનરજીએ માંગણી સ્વીકારી હતી કે પશ્ચિમ બંગાળની દરેક હોસ્પિટલમાં નોડલ ઓફિસર મુકવામાં આવશે.
રેસિડેન્ટ ડોક્ટરો મમતા બેનરજીના આ નિર્ણયથી ખુશ છે તેવું તેમણે જણાવ્યું હતું.
કોલકાત્તાના NRS મેડિકલ કોલેજમાં જૂનિયર ડોક્ટર્સ સાથે મારઝૂડના વિરોધમાં 17 જૂનથી એક દિવસ માટે ડોક્ટરો દેશવ્યાપી હડતાળ પર ઉતરી ગયા હતા. પશ્ચિમ બંગાળમાં ઉદભવેલી આ સમસ્યાએ આજે દેશભરમાં તબીબી સેવાઓને ખોરવી નાંખી છે.
દેશમાં ડોક્ટર્સના સૌથી મોટા સંગઠન IMA એ સમર્થન આપતા આજની તબીબોની હડતાળ ભારતભરમાં જડબેસલાક બની હતી.
તબીબોની હડતાળનું પ્રેશર સીધું જ મમતા બેનરજી પર પડ્યું હતું અને ડોક્ટર્સ વિરુદ્ધ સખત વલણ ધરાવનાર પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે પીછેહઠ કરવાનો સમય આવ્યો છે. દેશભરમાં ડોક્ટર્સની સુરક્ષા મામલે વિરોધ થતા મમતા બેનરજી સરકાર પર ચોતરફથી દબાણ વધ્યું હતું. જેના કારણે સોમવારના રોજ તેઓએ હડતાળને ખતમ કરવા માટે તમામ શરતોને માનતા મીડિયાની સામે જ ડોક્ટર્સના પ્રતિનિધિમંડળને મળવા રાજી થયા હતા.
વાતે વાતે સનસનાટી મચાવવાનો પ્રયાસ કરીને લોકોમાં હાઇપ ઉભી કરવાના પ્રયાસમાં અપરિપક્વ યુવા નેતાઓ કેટલો મોટો દાટ વાળે છ તેની પ્રતીતિ અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કરાવી છે. કોઇ શિક્ષક એક વિદ્યાર્થિની સાથે મારઝૂડ કરી રહ્યાના વિડીયોને વલસાડની સ્કુલના નામ સાથે જોડીને તેને સોશ્યલ મિડીયામાં વાઇરલ કરવાની કોશિસ કરનાર જિજ્ઞેશ મેવાણીની સામે આખરે પોલીસ ફરીયાદ થતાં તેની શાન ઠેકાણે આવી છે.
વડગામથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોતાની ટ્વીટર વોલ પર વલસાડની એક સ્કૂલને બદનામ થાય એ રીતનો વિદ્યાર્થિનીની મારઝૂડનો વીડિયો શેર કર્યો હતો.
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ટ્વીટર પર 20 મેએ એક વીડિયો શેર કરાયો હતો. વીડિયોમાં વલસાડની એક સ્કૂલના નામે શિક્ષક વિદ્યાર્થીને નિર્દયતા પૂર્વક લાકડીથી મારતા દેખાય છે. જે બાદ વસલાડ પોલીસ દ્વારા ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસને શંકા છે કે મેવાણીએ વાઈરલ વીડિયોને ક્રોસ ચેક કર્યા વિના તેને પોસ્ટ કરી દીધો.
મેવાણી વિરુદ્ધ આઈપીસીના સેક્શન હેઠળ બદનક્ષીનો દાવો કરાયો છે.
પોલીસે વિધાનસભાના સ્પીકરને માહિતી આપી હતી કે વલસાડની દેસાઈ સાર્વજનિક વિદ્યાલયના પ્રિન્સિપાલ બિજલ પટેલે મેવાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોતાની ફરિયાદમાં બિજલ પટેલે જણાવ્યું કે મેવાણીએ વીડિયોનું સત્ય જાણ્યા વિના તેને સોશિયલ મીડિયામાં શેર કર્યો, જેના કારણે શિક્ષકો તથા શાળાની શાખને નુકસાન થયું છે.
પોલીસ દ્વારા સ્કૂલની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી.
મેવાણીએ વીડિયો શેર કરીને સ્કૂલના નામે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સને મેસેજ શેર કરવા કહ્યું હતું ‘તે શિક્ષકનું બરતરફ ન કરાય ત્યાં સુધી સ્કૂલ બંધ રહેશે.’
આ મામલે જીગ્નેશ મેવાણીએ પોતે અધિકારીઓ સમક્ષ ઘટના લાવવા માટે વીડિયો શેર કર્યો હોવાનું કારણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘ટ્વીટમાં મેં PMOને પૂછ્યું હતું કે આ વીડિયો સાચો છે કે શું? મારો સ્કૂલની શાખને બદનામ કરવાનો કોઈ ઈરાદો નહોતો. હું દુઃખ પહોંચેલા લોકોની હજાર વખતે માફી માગવા તૈયાર છું. પોલીસે કેસ નોંધતા પહેલા મારો ખુલાસો લેવો જોઈતો હતો. પોલીસ દ્વારા મહિલાને જાહેરમાં લાત મારનારા વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધવામાં આવતી નથી. પરંતુ ટ્વીટ કરવા પર ફરિયાદ નોંધાય છે.
ઉલ્લેખનીય છે કે મેવાણીએ 21મેએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી આ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું હતું અને સ્પષ્ટીકરણ આપ્યું હતું કે તેમણે લાગણીમાં આવીને વીડિયો શેર કર્યો હતો.
આજે રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની રસપ્રદ અને રસાકસીભરી મૅચની પ્રેક્ષકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોવા વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે મૅચમાં ભારતની ટીમને વિજય મળે કે પરાજય આ મૅચ સાથે ટુર્નામેન્ટનો અંત આવી જવાનો નથી.
વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચની જ સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવાય છે અને આ મૅચમાં બંને ટીમના ખેલાડીઓ સૌથી વધુ દબાણ અને તણાવનો સામનો કરતા હોય છે ત્યારે કોહલીએ કહ્યું હતું કે આ એક જ મૅચના પરિણામની વર્લ્ડ કપના લક્ષ્યાંક પર અમે અસર નહીં પડવા દઈએ.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ અગાઉ તમે ક્યા પ્રકારના દબાણનો અનુભવ કરી રહ્યા છો એવો પ્રશ્ર્ન સાતથી આઠ વાર કોહલીને પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં તેણે કહ્યું હતું કે મૅચમાં ભારતની ટીમને વિજય મળે કે પરાજય આ મૅચ સાથે ટુર્નામેન્ટનો અંત નથી આવી જવાનો. ટીમના કૅપ્ટન તરીકે વર્લ્ડ કપ જિતવો એ જ અમારા માટે સૌથી મોટું લક્ષ્ય છે, એમ કોહલીએ કહ્યું હતું. આજની મૅચમાં અમે સારો દેખાવ કરીએ કે ન કરીએ એને કારણે ટુર્નામેન્ટનો અંત નહીં આવી જાય. ટુર્નામેન્ટ હજુ આગળ વધતી રહેશે અને અમારું ધ્યાન મોટા લક્ષ્ય પર છે એમ જણાવતાં કોહલીએ કહ્યું હતું કે કોઈપણ એક વ્યક્તિ અન્યો કરતા વધુ દબાણ ન લઈ શકે. ટીમના તમામ અગિયારે અગિયાર ખેલાડીની એ જવાબદારી છે. કોઈપણ એક જ ખેલાડીના હાથમાં બધુ નથી હોતું. સારામાં સારું પ્રદર્શન કરવા અમે માનસિક રીતે તૈયાર છીએ, એમ તેણે કહ્યું હતું. પાકિસ્તાન સામે કોહલીએ અનેકવાર યાદગાર દેખાવ કર્યો હોવા છતાં મીરપુર ખાતે પાકિસ્તાન સામે કરેલા 183 રનની ઈનિંગને તેણે યાદ કરી હતી.
ગુજરાતમાં આવી રહેલા વાયુ વાવાઝોડાને લઈને તમામ પ્રકારના તકેદારીના પગલા ભરવામાં આવી રહ્યા છે. દરિયા કિનારે વસતા લોકોને સુરક્ષિત સ્થળ પર ખસી જવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે માછીમારોને પણ માછીમારી માટે ના જવાની સૂચના આપાઈ છે. વાવાઝોડુ હવે ગુજરાતથી 350 કિલોમીટર કરતા જેટલા અંતરે છે, જે સતત દીવ અને વેરાવળ તરફ ધસી રહ્યું છે.
ગુજરાતના દરિયા કિનારા પર કોઈ જાનહાનીની ઘટના ના બને તે માટે સ્થાનિકોને છેલ્લા 24 કલાકથી સલામત સ્થળ પર ખસી જવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર દરિયામાં થઈ રહેલી હલચલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આવામાં દરિયા કિનારે ફરવા ગયેલા પ્રવાસીઓ વાવાઝોડાનો શિકાર ના બને તે માટે પણ તકેદારીના પગલા ભરવામાં આવ્યા છે. દીવ, દ્વારકા, કચ્છ વગેરે જગ્યાએ ફરવા માટે ગયેલા દરિયા પ્રવાસીઓને સૂચના આપવામાં આવી છે કે, આજે બપોર પછી દરિયા કિનારા પર ના જવું.
વાવાઝોડાના કારણે વેરાવળ, દીવ, જાફરાબાદ, મહુવા, સોમનાથ વગેરે દરિયા કિનારા પર અસર જોવા મળી રહી છે. અને આ તોફાન દરમિયાન કોઈ જાનહાની ના થાય તે માટે પણ દરિયા કિનારા પર વિવિધ ટીમો દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.