વિધાનસભાની ચૂંટણી દરમિયાન શિવસેનાએ મુંબઈગરા માટે ૧૦ રૂપિયામાં જમવાની થાળીની જાહેરાત કરી હતી, તેની શરૂઆત મુંબઈ મહાનગરપાલિકાથી થઈ છે. મુંબઈ મહાનગરપાલિકાની કૅન્ટિનમાં માત્ર ૧૦ રૂપિયામાં થાળી આપવાના પ્રોજેક્ટનો ગુરુવારે મેયર કિશોરી પેડણેકરને હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

પાલિકામાં દસ રૂપિયામાં થાળી ચાલુ કરવામાં આવી છે, જોકે તેનો લાભ ફક્ત પાલિકા કર્મચારીઓને જ મળવાનો છે. અન્ય લોકોને જોકે કેન્ટિને નક્કી કરેલા દરે જ થાળી મળશે. ગુરુવારે બપોરે પાલિકાની કૅન્ટિનમાં દસ રૂપિયાની થાળીની યોજનાનું ઉદ્ઘાટન મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું. મુંબઈમાં દસ રૂપિયામાં થાળી આપવાની યોજના શક્ય છે કે નહીં તે બાબતે પાલિકા વિચાર કરી રહી છે આ દરમિયાન પાલિકાના અન્ય વોર્ડમાં પણ દસ રૂપિયામાં થાળી આપવાની યોજના બહુ જલદી ચાલુ કરવામાં આવવાની હોવાનું જાણવા મળ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન શિવસનાએ પોતાના ચૂંટણી ઢંઢેરામાંં રાજ્યમાં દસ રૂપિયાની થાળી આપવાની યોજનાની જાહેરાત કરી હતી.



































