CIA ALERT

વાયરલ Archives - Page 53 of 83 - CIA Live

September 30, 2020
fee.jpg
1min5990

શૈક્ષણિક વર્ષ 2020-21ના વર્ષ માટે ગુજરાત સરકારે શાળાઓમાં 25 ટકા ફી માફી જાહેર કરી છે પરંતુ, કોલેજોમાં ફી કેટલી માફ કરવી તે અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. કોલેજોમાં પહેલું સેમેસ્ટર પૂરું થવા આરે છે ત્યારે હવે સ્કુલો પછી કોલેજોના વિદ્યાર્થીઓ અને વાલીઓ આંદોલન કરે તો નવાઇ નહીં.

ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયેલા નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા આખા શૈક્ષણિક વર્ષમાં 25% ફી માફીની જાહેરાત કરવામાં આવી છે. શાળા સંચાલકો 25 ટકા ફી માફી માટે તૈયાર છે જોકે ઈત્તર પ્રવૃતિની ફી લેવામાં આવશે નહીં.

રાજ્ય સરકારે સ્કુલોની ફી નક્કી કરી પરંતુ, હવે ઉચ્ચ શિક્ષણમાં આ મામલો ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

September 30, 2020
babri.jpg
1min5820

બાબરી ધ્વંસ્ત કેસ ચુકાદો આપતા આજે તા.30મી સપ્ટેમ્બર 2020ના રોજ લખનૌ સ્થિત સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી સહિતના તમામ આરોપીઓને મુક્ત કરતા જણાવ્યું છે કે આ ઘટના અગાઉથી આયોજીત નહોતી.

બાબરી ધ્વંસ કેસના 26 આરોપીઓ કોર્ટમાં હાજર થઈ ગયા હતા. જજ પણ કોર્ટરુમમાં આવી ગયા હતા, અને 26 વર્ષ જૂના આ કેસનો ફેસલો સંભળાવ્યો હતો. આરોપીઓમાં ભાજપના પીઢ નેતાઓ એલકે અડવાણી, મુરલીમનોહર જોષી તેમજ ઉમા ભારતીના નામ પણ સામેલ હતા. કોર્ટ બિલ્ડિંગની આસપાસનો વિસ્તાર પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. વાહનોની અવરજવર રોકી દેવાઈ હતી, અને નેતાઓના સમર્થકોને પણ અટકાવાઈ રહ્યા હતા.

લખનૌ સ્થિત CBIની સ્પેશિયલ કોર્ટમાં 6 ડિસેમ્બર 1992માં તોડી પડાયેલા વિવિદિત ભાગને લઈને આજે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. આ મામલે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી જેવા મોટા નેતા આરોપી હતા. એવામાં હાઈ પ્રોફાઈલ મામલાને ધ્યાનમાં રાખીને અયોધ્યા અને લખનૌમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. CBI કોર્ટે આદેશ જારી કર્યા છે કે તમામ આરોપીઓએ ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવું પડશે. કોર્ટ તરફથી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત અન્ય આરોપીઓને નોટિસ મોકલવામાં આવી હતી.

30/9 : આજે બાબરી ધ્વંશ કેસનો ચુકાદો

અયોધ્યામાં બાબરી મસ્જિદનો ધ્વંશ કરાયાને 28 વર્ષ બાદ હવે આજે 30/9/20 લખનઉમાં સીબીઆઈની વિશેષ અદાલત ચુકાદો આપવાની છે. આ સંવેદનશીલ મામલે ચુકાદા પૂર્વે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સાંપ્રદાયિક રૂપે સંવેદનશીલ જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એલર્ટ કરી દીધા છે.

બાબરી વિધ્વંસ પછી દેશમાં ફાટી નીકળેલા ભયંકર કોમી રમખાણોમાં આશરે 2 હજાર લોકોનાં મૃત્યુ થયા હતાં. બાબરી કેસમાં સીબીઆઈ દ્વારા કુલ 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતાં અને તેમાંથી 17 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. જેથી અદાલત આવતીકાલે બાકીનાં 32 આરોપીનો ચુકાદો આજે આપશે.

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ભાજપનાં વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી સહિતનાં દિગ્ગજો મુખ્ય આરોપીમાં સામેલ છે. જો કે આજે ચુકાદા વખતે વિશેષ અદાલતમાં કેટલા આરોપીઓ હાજરી આપશે તે બાબતે હજી અનેક સંશય છે.’ આવતીકાલે ન્યાયધિશ એસ.કે.યાદવ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવનાર છે. તેમણે 16મીએ તમામ આરોપીઓને 30મી સપ્ટેમ્બરે ચુકાદા વખતે હાજર રહેવાનો નિર્દેશ આપેલો. આ કેસની આખરી દલીલો 11 સપ્ટેમ્બરનાં પૂર્ણ થઈ હતી અને સીબીઆઈએ આ કેસમાં કુલ 3પ1 સાક્ષીઓ અને 600 જેટલા દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં પેશ કર્યા હતાં.

આજે ચુકાદા પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ચુકાદાની કાયદો અને વ્યવસ્થા ઉપર અસર થઈ શકે છે અને બન્ને પક્ષનાં અસામાજિક તત્વો આનું કોમવાદીકરણ કરીને શાંતિ ડહોળી શકે છે.

એલર્ટ અનુસાર રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનાં કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાથી અનેક મુસ્લિમ સંગઠનો નાખુશ છે અને તેમને આશા છે કે, બાબરી તોડી પાડવાનાં કેસમાં આરોપીઓ દોષિત પુરવાર થાય ત્યારે પણ ન્યાય મળી શકે છે. જો કે ચુકાદો તેમની ધારણા મુજબનો ન આવે તો આ લોકો વિરોધમાં ઉતરી શકે છે.

આ ઉપરાંત એલર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અમુક ચરમપંથી જૂથો ચુકાદાને સીએએ, એનઆરસી અને એનપીઆર વિરોધી જુવાળને ફરીથી પેટાવવાની તક તરીકે પણ જોઈ રહ્યા છે. બીજીબાજુ હિન્દુ સમૂહોને આરોપીઓની દોષમુક્તિની આશા છે. આ સંજોગોમાં અમુક રાજ્યોમાં કોમી તનાવની આશંકા છે અને રાજ્યોને આવા વિસ્તારોમાં જરૂરી બંદોબસ્ત કરવાં માટે કહેવામાં આવ્યું છે.

September 29, 2020
aiims.jpeg
1min12310

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનની ટીમે AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)ના ફોરેન્સિક એક્સપર્ટની એક ટીમ બનાવી હતી. આ ફોરેન્સિક ટીમ સુશાંતના વિસરા અને ઓટોપ્સીની તપાસનના આધાર પર પોતાના રિપોર્ટમાં તે જણાવશે કે, સુશાંતે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા થઈ હતી. હવે, આ ફોરેન્સિક ટીમની તપાસ સાથે જોડાયેલી કેટલીક માહિતી સામે આવી રહી છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે, CBIની ટીમ આ કેસમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અપાઇ હોવાના દ્રષ્ટીકોણ સાથે તપાસ આગળ વધારે તેવી શક્યતા છે.

ફોરેન્સિક ટીમને પોતાની તપાસમાં સુશાંતના શરીરમાંથી કોઈ પ્રકારનો ઝેરીલો પદાર્થ મળ્યો નથી. સાથે જ તેનું ડીએનએ સેમ્પલ પણ મેચ થઈ ગયું છે. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી રિપોર્ટમાં હજુ પણ તપાસ થવાની બાકી છે. AIIMSની ફોરેન્સિક ટીમે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી રિપોર્ટ પર કેટલાક સવાલ ઉઠાવ્યા છે. ટીમનું માનવું છે કે, જ્યાં સુશાંતની બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યાં એટલી લાઈટ નહોતી જેટલી હોવી જોઈએ.

AIIMSના ફોરેન્સિક મેડિકલ બોર્ડના ચેરમેન ડો. સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે એઈમ્સ અને સીબીઆઈ એગ્રીમેન્ટમાં છે પરંતુ વધારે ચર્ચા-વિચારણા કરવાની જરૂર છે. સમયની સાથે તાર્કિક કાયદાકીય નિષ્કર્ષ માટે કેટલાક કાયદાકીય પાસાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. તે સંપૂર્ણ રીતે નિર્ણાયક રહેશે’.

September 29, 2020
ahmedabad.jpg
1min12500

અમદાવાદ પશ્ચિમ વિસ્તારના માત્ર કેટલાંક ખાણીપીણીના સ્થળો રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. કોઈપણ વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી હતી. મિડીયા હાઉસોએ અમદાવાદમાં રાત્રિ કરર્ફ્યુ અંગેના ખોટા સમાચારો વહેતા કર્યા હતા.

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા તંત્રએ શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ કર્યો હતો. પણ હવે માત્ર આ વિસ્તારોમાં ખાણી-પીણીની દુકાનો જ બંધ રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદ પશ્ચિમ વિસ્તારના માત્ર કેટલાંક ખાણીપીણીના સ્થળો રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. કોઈપણ વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો નથી.

આ 27 વિસ્તારોમાં દુકાનો રાત્રે 10 વાગ્યા બાદ બંધ રાખવા નિર્ણય

  1. પ્રહલાદનગર રોડ
  2. YMCAથી કાકે કા ઢાબા (કર્ણાવતી ક્લબ રોડ)
  3. પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડીયમ સર્કલ (કોર્પોરેટ રોડ)
  4. બૂટ ભવાની મંદિરથી આનંદનગર રોડ
  5. એસજી હાઈવે
  6. ઈસ્કોન ક્રોસ રોડથી શપથ-4 અને 5 સર્વિસ રોડ
  7. સિંધુ ભવન રોડ
  8. બોપલ-આંબલી રોડ
  9. ઈસ્કોનથી બોપલ-આંબલી રોડ
  10. ઈસ્કોન-આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર
  11. સાયન્સ સિટી રોડ
  12. શીલજ સર્કલથી સાયન્સ સિટી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ ઉપર
  13. આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ પર
  14. સીજી રોડ
  15. લૉ ગાર્ડન (ચાર રસ્તા અને હેપ્પી સ્ટ્રીટ, મ્યુનિસિપલ માર્કેટ, પંચવટી સર્કલ
  16. વસ્ત્રાપુર તળાવને ફરતે
  17. માનસી સર્કલથી ડ્રાઈવ-ઈન રોડ
  18. ડ્રાઈવ-ઈન રોડ
  19. ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ (પ્રહલાદનગર 100 ફૂટ રોડ)
  20. શ્યામલ બ્રિજથી જીવરાજ ક્રોસ રોડ
  21. બળિયાદેવ મંદિરથી જીવરાજ ક્રોસ રોડ
  22. આઈ.આઈ.એમ રોડ
  23. શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ (BRTS કોરિડોરની બંને બાજુ)
  24. રોયલ અકબર ટાવર પાસે
  25. સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
  26. સરખેજ રોઝા-કેડિલા સર્કલ- ઉજાલા સર્કલ
  27. સાણંદ ક્રોસ રોડ-શાંતિપુરા ક્રોસ રોડ

September 29, 2020
kisan.jpg
1min5600

નવા કૃષિ કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ: તાજેતરમાં સરકાર દ્વારા નવા જ અમલમાં મુકાયેલા કૃષિ કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. પંજાબના અમૃતસરસ્થિત દેવીદાસ પૂરા ગામ ખાતે ખેડૂતોએ રેલરોકો આંદોલન કર્યું હતું. દિલ્હીના ઈન્ડિયા-ગેટ ખાતે કૉંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રેકટર સળગાવ્યું હતું.

નવા પસાર કરાયેલા કૃષિ કાયદા સામે દેશના અનેક રાજ્યમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને સામે પક્ષે કેન્દ્રમાં સત્તાધારી ભાજપ વિપક્ષ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ કરી રહી છે.

વિરોધ પક્ષના કૉંગ્રેસ સહિત અનેક પક્ષો કૃષિના નવા કાયદા રદ કરવાની માગણી સાથે દેશનાં વિવિધ રાજ્યોમાં આંદોલન કરી રહ્યા છે. પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે જણાવ્યું હતું કે આ કાયદો રદ કરાવવા માટે પંજાબ સરકાર સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરશે.

વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં આવેલા ઇન્ડિયા ગેટ સામે ટ્રેક્ટર બાળવાના મુદ્દે ભાજપે કૉંગ્રેસની સખત શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ શરમજનક કૃત્ય પબ્લિસિટિ મેળવવા કર્યું હોવાનું અને ખેડૂતોને તેઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે.

આ મામલે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ કૃત્ય કરીને દેશ માટે નીચાજોણું કર્યું છે. ટ્રકમાં ટ્રેક્ટર લાવીને ઇન્ડિયા ગેટ સામે બાળવાની ઘટનાનું નાટકીય રૂપાંતર કરીને કૉંગ્રેસ પ્રસિદ્ધિ મેળવવા માગે છે. તેઓ ખેડૂતોના નામે રાજનીતિ રમી રહ્યા છે અને અમે એમના કૃત્યને વખોડીએ છીએ. આજે એમની પોલ ખૂલી ગઇ છે.

અંદાજે ૧૫-૨૦ જણે ઇન્ડિયા ગેટ પાસે સોમવારે સવારે એક ટ્રેક્ટરને આગ ચાંપી હતી. એમાંથી પાંચ વ્યક્તિએ પોતે પંજાબ યુથ કૉંગ્રેસની હોવાની વાત કબૂલી હતી.

ભાજપના મહામંત્રી ભૂપેન્દર યાદવે કૉંગ્રેસને ખેડૂત વિરોધી ગણાવી હતી.

સિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે આ મામલો આગળ વધારીશું. રાષ્ટ્રપતિએ ખરડા પર સહી કરી દીધી છે અને માટે હવે અમે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીશું. અમારી સરકાર ખેડૂતોના હિતનું રક્ષણ કરવા જરૂરી બધાં જ પગલાં લેશે.

પોતાની વાત ખરી હોવા વિશે એમણે વધુમાં જણાવ્યું હતું કે અમને વિરોધ કરવાનો હક છે. તમે એમની આજીવિકા છિનવી રહ્યા છો.

ગેઝેટ નોટિફિકેશન પ્રમાણે કૃષિ લક્ષી ત્રણ ખરડાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે.

તેલંગણામાં કૉંગ્રેસે કૃષિ ખરડાના વિરોધમાં આંદોલન કર્યું હતું અને રાષ્ટ્રપતિને ઠરાવ રદ કરવાની વિનંતી કરી હતી. કૉંગ્રેસના નેતા મનિકમ ટાગોર રાજ્યપાલ તમિલસાઇ સૌંમદરરાજનને રાજભવનમાં આવેદન આપવા માગતા હતા, પણ રાજ્યપાલ સાથે એમણે મુલાકાત માટે સમય ન મેળવ્યો હોવાને કારણે એમની અટક કરીને ગોશામહાલ પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતા. જોકે, ત્યાર બાદ એમને છોડી દેવામાં આવ્યા હતા.

અટક અગાઉ કૉંગ્રેસના કાર્યકર્તાએ રાજયની ટીઆરએસ સરકાર અને કેન્દ્રની એનડીએ સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

September 28, 2020
corona-gujarat.jpg
1min4550

છેલ્લા 45 દિવસથી ગુજરાતમાં સૌથી વધુ કોરોના કેસીસ સુરતમાં મળી આવતા હતા. પરંતુ, તા.27મી સપ્ટેમ્બર 2020ના રોજ સુરત કરતા વધુ કેસો અમદાવાદમાંથી મળી આવ્યા છે.

તા.28મી જુલાઇએ સવારે 8 વાગ્યે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં 178 નવા કેસ નોંધાયા છે. જ્યારે 175 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં 19 કેસ નોંધાયા છે અને 27 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 160 કેસ નોંધાયા છે પરંતુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા થોડી વધારે છે. સુરતમાં 183 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં પણ 109 કેસ નોંધાયા છે અને 100 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

રાજકોટ શહેરમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા 100થી વધારે નોંધાઈ રહી છે. જોકે, જામનગરમાં છેલ્લા બે દિવસમાં કેસમાં થોડો ઘટાડો થયો છે. રાજકોટમાં 112 નવા કેસ નોંધાયા છે અને 110 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 59 કેસ નોંધાયા છે અને 111 દર્દીઓ સાજા થયા છે. જામનગરમાં 81 નવા કેસ નોંધાયા છે અને 52 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જામનગર જિલ્લામાં 18 કેસ નોંધાયા છે અને 9 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ શહેરમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

વડોદરા શહેરમાં પણ કોરોનાની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લા ઘણા સમયથી 90થી ઉપર કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં કોરોનાના 92 નવા કેસ સામે આવ્યા છે અને 92 દર્દીઓ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં 41 કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોવિડ-19ના કારણે એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

September 28, 2020
rr_ipl-1280x853.jpg
1min6600

રાજસ્થાન રૉયલ્સે ઈતિહાસ રચતા IPLમાં અત્યાર સુધીનો સૌથી મોટો રનચેઝ કરી જીત મેળવી. IPL 2020ની 9મી મેચમાં રાજસ્થાને કિંગ્સ ઈલેવને પંજાબને 4 વિકેટે હરાવી દીધું. 224 રનના ટાર્ગેટને રાજસ્થાને 3 બાકી રહેતા 6 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. રૉયલ્સ માટે સંજુ સેમસને 85 જ્યારે રાહુલ તેવટિયાએ 55 અને સ્મિથે 50 રનની ઈનિંગ રમી.

224 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનને ટીમને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો જ્યારે જોસ બટલર (4) ત્રીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો. જોકે, તેના પછી ગત મેચના હીરો સંજુ સેમસન અને કેપ્ટન સ્ટીવ સ્મિથે મળીને બીજી વિકેટ માટે માત્ર 6.4 ઓવરમાં 90 રનની તાબડતોબ પાર્ટનરશિપ કરતા ટીમને પાછી મેચમાં લઈ આવ્યા. સ્મિથના આઉટ થયા બાદ રાજસ્થાને આશ્ચર્યજનક રીતે રાહુલ તેવટિયાને ચોથા ક્રમે બેટિંગમાં ઉતાર્યો હતો. અહીં લાગ્યું હતું કે, ટીમથી મોટી ભૂલ થઈ ગઈ છે.

તેવટિયા રન બનાવી શકતો નહોતો અને રનરેટ સતત વધી રહ્યો હતો. આવા સંજુ પર પ્રેશર વધતું જતું હતું. જોકે, સંજુએ જોરદાર ફટકાબાજી કરીને સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું. પરંતુ 161 રનના સ્કોરે તેની વિકેટ પડતા રાજસ્થાન હારના મ્હોંમાં ધકેલાઈ જતું દેખાયું. સેમસને 42 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 85 રનની ઈનિંગ રમી.

સેમસનના આઉટ થતા જ રાજસ્થાનની જીતની આશા પૂરી થઈ ગઈ હોવાનું માનવામાં આવતું હતું. આવામાં જ રાહુલ તેવટિયાએ અકલ્પનિય ફટકાબાજી કરતા શેલ્ડન કૉટરેલની એક જ ઓવરમાં 5 છગ્ગા ફટકારી રાજસ્થાનને મેચમાં પાછું લાવી દીધું હતું. તેવટિયાએ 31 બોલમાં સાત છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા. જોફ્રા આર્ચરે પણ 3 બોલમાં 13* રનની ઉપોયગી ઈનિંગ રમી. રૉયલ્સે 3 બોલ બાકી રહેતા મેચ જીતીને ઈતિહાસ રચી દીધો હતો.

અગાઉ રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટૉસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી જેનું તેની ટીમને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું. રાહુલ અને અગ્રવાલે રાજસ્થાનના બોલર્સ પર શરૂઆતથી જ આક્રમણ શરૂ કરી દીધું. મયંક અગ્રવાલે તાબડતોબ બેટિંગ કરતા માત્ર 50 બોલમાં 10 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 106 રનની ઈનિંગ રમી. IPL2020માં પોતાની જ ટીમના કે એલ રાહુલ બાદ સદી નોંધાવનારો તે બીજો બેટ્સમેન બન્યો. બીજા છેડે કેપ્ટન રાહુલે અગ્રવાલને પૂરતો સાથ આપ્યો. તેણે 54 બોલમાં 69 રન બનાવ્યા. રાહુલની આ ઈનિંગમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતા.

બંનેના આઉટ થયા બાદ ગ્લેન મેક્સવેલ (13) અને નિકોલસ પૂરન (25)એ બાકી રહેલી કસર પૂરી કરી દીધી. બંનેએ છેલ્લી બે ઓવરમાં 29 રન લીધા અને ટીમનો સ્કોર 223 રન પર પહોંચાડી દીધો. નિકોલસ પૂરને 3 શાનદાર સિક્સ ફટકારી. રાજસ્થાનની બોલિંગમાં તમામ બોલર્સના બુરા હાલ રહ્યા. અંકિત રાજપૂક અને ટૉમ કરનને એક-એક વિકેટ મળી પણ તેમણે લગભગ 10 એવરેજથી રન ખર્ચ્યા. પંજાબે 6 બોલર્સ અજમાવ્યા પણ કોઈ ખાસ અસરકારક સાબિત ન થઈ શક્યું. રાહુલ અને અગ્રવાલે બધા બોલર્સને ચારેબાજુ ફટકાર્યા અને તમામનો ઈકોનૉમી રેટ 10ની નજીક અથવા તેનાથી ઉપર રહ્યો.

રાહુલ અને મયંકની જોડીએ પ્રથમ વિકેટ માટે 183 રનની પાર્ટનરશિપ નોંધાવીને ઘણા રેકોર્ડ રચી દીધા. પંજાબ માટે IPLના ઈતિહાસમાં આ સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. જ્યારે ઓવરઑલ આ બીજું સૌથી મોટું ઓપનિંગ સ્ટેન્ડ છે. અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર ક્રિસ લિન અને ગૌતમ ગંભીરે 2017માં ગુજરાત લાયન્સ વિરુદ્ધ પ્રથમ વિકેટ માટે 184 રનની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી.

September 17, 2020
babri.jpg
1min5870

લખનઊની ખાસ સીબીઆઇની અદાલત ૩૦મી સપ્ટેમ્બરે બાબરી મસ્જિદ કેસનો ચુકાદો જાહેર કરવાની છે.

આ કેસમાં ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી અને કલ્યાણસિંહ સહિત ૩૨ આરોપીને ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કેસના આરોપીઓ દ્વારા ટ્રાયલ કોર્ટને જણાવાયું છે કે પોતે આ કેસમાં નિર્દોષ હોવાના દસ્તાવેજી પુરાવા તેઓ કોર્ટમાં રજૂ કરશે.

સીબીઆઇની ખાસ અદાલતે ગત સપ્તાહ દરમિયાન ૩૨માંથી ૩૧ આરોપીના નિવેદન નોંધ્યા હતા. બાબરી મસ્જિદ તોડવાનું ષડ્યંત્ર ભાજપના પીઢ નેતાઓ દ્વારા રચાયું હોવાના કેસની સીબીઆઇની અદાલતમાં સુનાવણી ચાલી રહી છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ કેસનો ચુકાદો ૩૧મી ઑગસ્ટ પહેલા જાહેર કરવાનો આદેશ ટ્રાયલ કોર્ટને આપ્યો હતો.

ભાજપ અને સંઘ પરિવારના લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી અને કલ્યાણસિંહ જેવા પ્રમુખ નેતાના નામ આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યા હતા.

અયોધ્યામાં આવેલી ૧૬મી સદીની બાબરી મસ્જિદને ૬ ડિસેમ્બર, ૧૯૯૨ના દિવસે કરસેવકોએ તોડી પાડી હતી. સીબીઆઇના એસ. કે. યાદવે લખેલા પત્રની નોંધ લઇને જસ્ટિસ રોહિન્ટન એફ. નરીમાનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વીડિયો કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું કે અમે એ વાતની નોંધ લીધી છે કે શ્રીમાન યાદવ આ કેસનો ઝડપથી નિકાલ થાય એ માટે ઘટતું કરી રહ્યા છે, પણ અગાઉ આપેલો સમય અને ત્યાર બાદ આપવામાં આવેલા વધારાના સમયગાળાને ધ્યાનમાં લેતા હવે આ કેસની પૂર્ણાહૂતિ કરવાની અને ૩૧મી ઑગસ્ટ ૨૦૨૦ સુધીમાં કેસનો ચુકાદો આપવો જરૂરી છે.

ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે યાદવે વીડિયો કોન્ફરન્સની સુવિધાનો લાભ લઇને પુરાવા મેળવવાની પ્રક્રિયા પૂરી કરવી જોઇએ અને કેસનો ચુકાદો આપવામાં આવેલા સમયગાળામાં જાહેર કરવો જોઇએ.

ગયા વર્ષે જુલાઇમાં સુપ્રીમ કોર્ટે જજ યાદવના કાર્યકાળને લંબાવવાનો આદેશ ઉત્તર પ્રદેશની સરકારને આપ્યો હતો, જેથી ૨૫ વર્ષ જૂના કેસની પૂર્ણાહૂતિ લાવી શકાય. ૩૦મી સપ્ટેમ્બરે યાદવ નિવૃત્ત થવાના હતા.

ટ્રાયલ જજને આપવામાં આવેલી બે વર્ષની ડૅડલાઇન પણ સુપ્રીમ કોર્ટે લંબાવી હતી.

રાયબરેલીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલા કેસને સુપ્રીમ કોર્ટે ૨૦૧૭માં સીબીઆઇની લખનઊની ખાસ અદાલતમાં સંયુક્ત ટ્રાયલ માટે ટ્રાંસફર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે સીબીઆઇના જજને રોજેરોજ સુનાવણી કરીને બે વર્ષની અંદર આ કેસનો ચુકાદો જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જજની બદલી અને કેસની સુનાવણીમાં તારીખ પાડવા પર મનાઇ ફરમાવી હતી.

આ મામલે કોઇ ફરિયાદ હોય તો એ સુપ્રીમ કોર્ટને જણાવવાની હતી. આ સાથે આ આદેશનું સખતાઇથી પાલન કરવાની તાકિદ કરવામાં આવી હતી.

રાયબરેલીના કેસમાં ભાજપના નેતાઓ પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે એમણે આપેલા ભડકાવનારા ભાષણને લીધે રાષ્ટ્રની એકતા પર ખતરો ઊભો થયો અને લોકોમાં દુશ્મનાવટ થઇ.

લખનઊ કેસમાં સીબીઆઇ લાખો અજ્ઞાત કરસેવકો, મસ્જિદ તોડવાના કૃત્ય અને હિંસાની તપાસ કરી રહી છે.

આ બંને કેસ સંયુક્ત કરવાથી અને ષડ્યંત્રના આરોપ દાખલ કરવાથી આરોપી નેતાઓ સામે સીબીઆઇએ ૫ ઑક્ટોબર, ૧૯૯૩માં દાખલ કરેલા કેસ પ્રમાણે કામ ચલાવવામાં આવશે.

September 14, 2020
follow-the-guidelines.jpg
1min5050

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે 13/9/2020 જણાવ્યું કે કોરોનામાંથી સાજા થઈ ગયા પછી પણ કેટલાંક દર્દીઓમાં નબળાઈ, શરીર તૂટવુ, ઉધરસ અને શ્વાસ લેવામાં સમસ્યા જેવા લક્ષણ જોવા મળી રહ્યા છે. આવા દર્દીઓની સંખ્યા સીમિત છે પણ તે સંબંધિત રિસર્ચ શરૂ કરવામાં આવ્યું છે કે જેથી જરૂરી પગલા લઈ શકાય. દેશમાં છેલ્લા 24 કલાકમાં 78,399 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના કુલ 3,702,595 દર્દીઓ સાજા થયા છે. રિકવરી રેટ 77.88% થઈ ગયો છે.

કોરોનાને હરાવીને સાજા થયેલા દર્દીઓને નિયમિત કસરત કરવાની સાથે-સાથે સવાર-સાંજ બહાર આંટો મારવા જવું, તાજા ફળ ખાવા અને ધીરે-ધીરે ઘરનું તેમજ ઓફિસનું કામ શરૂ કરવું, પૂરતી ઊંઘ લેવી અને આરામ કરવો, સિગારેટ-દારૂથી દૂર રહેવું, બ્લડ પ્રેશર ચેક કરતા રહેવાની સલાહ આપવામાં આવી છે. જાગૃતિ વધારવા માટે કોરોનાને હરાવીને સાજા થયેલા દર્દીઓ પોતાના મિત્રો, સંબંધી સાથે તેમનો અનુભવ શેર કરી શકે છે. આ માટે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદ પણ લઈ શકે છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નવા પ્રોટોકોલમાં કોરોનામાંથી સાજા થયેલા લોકોને ચ્યવનપ્રાશ ખાવાની, હળદરવાળુ દૂધ પીવાની અને યોગ કરવા માટેની સલાહ આપી છે. આ સિવાય તે લોકોને માસ્ક પહેરવા સહિત સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે. મંત્રાલયે આ દર્દીઓને ગરમ પાણી પીવાનું અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવાઓનું સેવન કરવાનું જણાવ્યું છે.

September 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6190

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અમરેલી જિલ્લા પોલીસ વડાએ અમરેલીમાં ફેલાઇ રહેલી એક અફવા અંગે ટ્વીટ કરીને ચીમકી આપવી પડી છે.

અમરેલી જિલ્લા પોલીસવડાનું ટ્વીટ

WHO દ્વારા આરોગ્ય વિભાગને કોરોનાના દર્દી દીઠ રૂ. ૧.૫ લાખ અપાય છે એ વાત તદ્દન ખોટી છે. આવી અફવા ફેલાવનાર વિરૂદ્ધ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ અને IPC એકટની કલમ – ૫૦૫ મુજબ ગુન્હો દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના પેશન્ટ દીઠ દોઢ લાખ રૂપિયા આરોગ્ય વિભાગને અપાય છે એવી અફવા સમગ્ર રાજ્યમાં ફેલાયેલી છે

એવું નથી કે ફક્ત સૌરાષ્ટ્રમાં એવી અફવા ફેલાયેલી સંભળાય રહી છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આરોગ્ય વિભાગને દોઢ લાખ રૂપિયાનું ફંડ પેશન્ટ દીઠ આપવામાં આવી રહ્યું છે. લોકો પોતાના વ્હોટ્સએપ મારફતે આ પ્રકારની અફવાઓ જુદા જુદા ગ્રુપોમાં ફેલાવી રહ્યા છે અને આજે સામાન્ય લોકોમાં એ છાપ ઘર કરી ચૂકી છે.

અમરેલી એસ.પી.એ. આ અફવાનું ખંડન કર્યું છે અને તેને ફેલાવનારાઓ સામે પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી છે.