
ગુજરાતના માજી મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના ખેડૂત નેતા, ભાજપાના વરિષ્ઠ નેતા તેમજ ગુજરાતમાં ભાજપના પહેલા સીએમ બનવાનું શ્રેય જેના ફાળે છે એ કેશુભાઈ પટેલે આજે તા.29મી ઓક્ટોબર 2020ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. 92 વર્ષની વયે તેમનું નિધન થતાં ભાજપ સમેત સમગ્ર સૌરાષ્ટ્રમાં શોક પ્રસરી ગયો છે. તબિયત નાદુરસ્ત થતાં શ્રી કેશુબાપાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમના અવસાનની હોસ્પિટલ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે.
PM Modi
કેશુબાપાના પુત્ર ભરત પટેલના જણાવ્યા અનુસાર, કોરોનામાંથી રિવકર થયા બાદ કેશુભાઈનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું. તેમને ઓક્સિજન લેવામાં તકલીફ પડી રહી હતી. જેથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
CM વિજય રૂપાણીએ કેશુભાઈ પટેલના અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરતા તેમને ગુજરાતમાં જનસંઘથી લઈને ભાજપ સુધી વટવૃક્ષ ઉભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વકર્તા ગણાવ્યા હતા.
રુપાણીએ જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું, એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપને અપ્રતિમ લોક ચાહના અપાવી. તેમના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે.
કેશુબાપા જનસંઘના વખતથી ભાજપ સાથે જોડાયેલા હતા. ગુજરાતમાં તેઓ ભાજપના પહેલા મુખ્યમંત્રી પણ હતા. જોકે, 14 માર્ચે સીએમ બનેલા કેશુભાઈને સરકાર સામે બળવો થતાં 21 ઓક્ટોબર 1995માં રાજીનામું આપવું પડ્યું હતું.
1998માં કેશુભાઈ ફરી પૂર્ણ બહુમતી સાથે સીએમ બન્યા હતા. જોકે, આ વખતે પણ તેઓ પોતાની ટર્મ પૂરી નહોતા કરી શક્યા. 26 જાન્યુઆરી 2001ના રોજ રાજ્યમાં આવેલા ગોઝારા ભૂકંપમાં સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉભા થતાં આખરે તેમને 6 ઓક્ટોબર 2001ના રોજ રાજીનામું આપવું પડ્યું હતું.


















