CIA ALERT

વાયરલ Archives - Page 3 of 82 - CIA Live

February 8, 2026
image-11.png
1min129

વધતા અકસ્માતોનું એક કારણ આંખો આંજી દેતી સફેદ એલઈડી લાઈટ્સને પણ માનવામાં આવે છે, આવી લાઈટ્સના ઉપયોગને રોકવા માટે રાજ્ય પરિવહન વિભાગે નિર્દેશ જાહેર કર્યા હતા. પોતાના વાહનોમાં લગાવેલી ગેરકાયદે LED લાઇટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં 3094 વાહનચાલકો દંડાયા હતા.

સમગ્ર ગુજરાતમાં હાઇ-ઇન્ટેન્સિટી એલઇડી લાઇટનો ઉપયોગ વધ્યો છે, જેના કારણે અન્ય લોકો વિઝિબિલિટી ઓછી થઈ જાય છે અને અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. 22 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી ચલાવવામાં આવેલી આ ઝુંબેશમાં રાજ્યના 3094 વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ દરમિયાન અમદાવાદમાં સૌથી વધુ વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. અમદાવાદમાં 260 વાહનચાલકોને, અમદાવાદ પૂર્વમાં 85 વાહનચાલકોને, આણંદમાં 40 વાહનચાલકોને, ARTO બાવળામાં 133 વાહનચાલકોને, ARTO મોડાસામાં 104 વાહનચાલકોને, વલસાડમાં 288 વાહનચાલકોને, સાબરકાંઠામાં 20 વાહનચાલકોને, ખેડામાં 46 વાહનચાલકોને, મહેસાણામાં 170 વાહનચાલકોને, વડોદરામાં 168 વાહનચાલકોને, ગાંધીનગરમાં 95 વાહનચાલકોને, સુરેન્દ્રનગરમાં 48 વાહનચાલકોને અને કચ્છમાં 136 વાહનચાલકોને ચલણ મોકલવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદમાં વ્હાઇટ એલઈડી લાઈટ્સ રાખનાર વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના સુભાષબ્રિજ આરટીઓ અનુસાર વર્ષ 2026ના આરંભના 28 દિવસમાં 275 કેસ નોંધવામાં આવ્યા હતા અને રૂ. 2.75 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

February 7, 2026
image-7.png
1min79

આજ 07/02/2026 થી ક્રિકેટના સૌથી ટૂંકા અને રોમાંચક ફોર્મેટ એવા ટી20 વર્લ્ડ કપ 2026નો શંખનાદ થવા જઈ રહ્યો છે. ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાનારા આ મહાકુંભમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. આ વખતે મેદાન પર રમાનારી મેચોની સાથે-સાથે મેદાનની બહારની રાજનીતિ અને વિવાદો પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત આ વખતે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે.

વર્લ્ડ કપના પ્રથમ દિવસે ક્રિકેટ પ્રેમીઓને ત્રણ મેચનો ડોઝ મળશે. ઉદ્ઘાટન મેચ સવારે 11 વાગ્યે કોલંબોમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે ટક્કર થશે. દિવસની સૌથી લોકપ્રિય મેચ સાંજે 7 વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જ્યાં યજમાન ભારત અને અમેરિકાની ટીમો આમને-સામને હશે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિદાય બાદ ભારતીય ટીમ સંપૂર્ણપણે નવા અવતારમાં જોવા મળશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની આ ટીમ સૌથી સંતુલિત માનવામાં આવી રહી છે. ઓપનિંગમાં ઈશાન કિશન અને અભિષેક શર્માની જોડી જોવા મળી શકે છે. નિષ્ણાતોના મતે ભારત આ વખતે યજમાન દેશ વર્લ્ડ કપ ન જીતી શકે તેવો મિથક તોડી શકે છે. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજો ટીમની તાકાત છે.

ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ સુરક્ષા અને IPL કોન્ટ્રાક્ટ વિવાદને કારણે બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો, જેના સમર્થનમાં પાકિસ્તાને પણ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જોકે, ICC એ સ્પષ્ટ કર્યું છે કે ટુર્નામેન્ટ નિર્ધારિત સમયપત્રક મુજબ જ ચાલશે. આ વિવાદો વચ્ચે નેપાળ અને ઈટાલી જેવી એસોસિએટ ટીમો પણ આ વખતે મોટો ઉલટફેર કરવા તૈયાર છે.

February 7, 2026
image-6.png
1min70

મુંબઈના ઑલરાઉન્ડર આયુષ મ્હાત્રેની કૅપ્ટન્સીમાં ભારતે અહીં શુક્રવારે ઇંગ્લૅન્ડને અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં 100 રનથી કચડીને વિક્રમજનક છઠ્ઠી વખત આ જુનિયર ફૉર્મેટનો તાજ જીતી લીધો હતો. બિહારનો વૈભવ સૂર્યવંશી (175 રન, 80 બૉલ, 15 સિક્સર, 15 ફોર) આ વિજયનો સુપરસ્ટાર હતો.

ભારતે 50 ઓવરમાં નવ વિકેટે 411 રન કર્યા બાદ બ્રિટિશ ટીમ 40.2 ઓવરમાં 311 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી અને એ સાથે ભારતના જુનિયર ક્રિકેટરોએ મેદાન પર જશન શરૂ કરી દીધું હતું. ખરેખર તો વૈભવ (VAIBHAV)ના 175 રનની ફટકાબાજી વખતે જ બ્રિટિશ ટીમ હિંમત હારી ગઈ હોય એવું લાગતું હતું. વૈભવે 32 બૉલમાં 50 રન, પંચાવન બૉલમાં 100 રન અને 71 બૉલમાં 150 રન પૂરા કર્યા હતા. આ દમામદાર વિજય સાથે ભારતે (INDIA) મેન્સ જુનિયર ક્રિકેટમાં વર્ચસ્વ વધુ મજબૂત કર્યું છે.

મોડાસાના ખિલન પટેલે ઝીલ્યો છેલ્લો કૅચ

મૂળ મોડાસાના સ્પિનર ખિલન પટેલે કનિષ્ક ચૌહાણના બૉલમાં બ્રિટિશ સેન્ચુરિયન કૅલેબ ફાલ્કનર (115 રન, 67 બૉલ, સાત સિક્સર, નવ ફોર)નો બૅકવર્ડ પૉઇન્ટ પર નીચો કૅચ ઝીલીને અફલાતૂન ફીલ્ડિંગની ઝલક આપી હતી અને એ સાથે જ ટાઇટલ ભારતના નામે લખાઈ ગયું હતું. ઇંગ્લૅન્ડ (ENGLAND)ની ટીમે 412 રનના લક્ષ્યાંક સામે જોરદાર લડત આપી હતી, પણ તેમના માટે શરૂઆતથી જ એ લક્ષ્યાંક મહાકાય હતો અને છેવટે તેઓ એ બોજ નીચે દબાઈ ગયા હતા અને હારી ગયા.

કૅલેબ ફાલ્કનર અને જેમ્સ મિન્ટો (41 બૉલમાં 28 રન) વચ્ચે આઠમી વિકેટ માટે 92 રનની ભાગીદારી થઈ હતી. એ પાર્ટનરશિપે ભારતીયોને ખૂબ હંફાવ્યા હતા અને વિજય માટે ભારતને રાહ જોવડાવી હતી. જોકે પેસ બોલર અંબરિશે મિન્ટોને આઉટ કરીને તોડી હતી. સબસ્ટિટ્યૂટ મોહમ્મદ એન્નાને તેનો કૅચ ઝીલ્યો હતો. ઇંગ્લૅન્ડે બાવીસ ઓવરમાં 175 રન કર્યા હતા, પરંતુ એમાં એણે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

એ પહેલાં, વૈભવ સૂર્યવંશીની (1983ના કપિલ દેવની ઝિમ્બાબ્વે સામેની અણનમ 175 રન જેવી) 175 રનની ધમાકેદાર બૅટિંગ પરથી પ્રેરણા લઈને ભારતીય બૅટ્સમેનોએ ઇંગ્લૅન્ડ સામે છેક છેલ્લા બૉલ સુધી ફટકાબાજી કરી હતી અને 50 ઓવરમાં નવ વિકેટે 411 રન બનાવીને બ્રિટિશ ટીમને 412 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. ભારતના 400-પ્લસ રન આ ટૂર્નામેન્ટનો તમામ ટીમોમાં હાઇએસ્ટ સ્કોર છે.

જો વૈભવ સૂર્યવંશી ક્રીઝ પર વધુ ટક્યો હોત તો ભારતે કદાચ 500 રન પણ બનાવી લીધા હોત. કૅપ્ટન આયુષ મ્હાત્રે (53 રન, 51 બૉલ, બે સિક્સર, સાત ફોર), અભિજ્ઞાન કુન્ડુએ (40 રન, 31 બૉલ, એક સિક્સર, છ ફોર), કનિષ્ક ચૌહાણ (અણનમ 37 રન, 20 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર), વેદાંત ત્રિવેદી (32 રન, 36 બૉલ, ત્રણ ફોર) અને વિહાન મલ્હોત્રા (30 રન, 36 બૉલ, બે ફોર)ના પણ ભારતના 9/411ના સ્કોરમાં મહત્ત્વના યોગદાન હતા.

February 4, 2026
image-4.png
1min95

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ સગીર સગી બહેનોએ નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક પગલા પાછળ ઓનલાઇન કોરિયન લવ ગેમની લત હોવાનું બહાર આવ્યું છે.

ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારની ભારત સિટી સોસાયટીમાં રહેતા ચેતન કુમારની ત્રણ દીકરીઓ – નિશિકા (16 વર્ષ), પ્રાચી (14 વર્ષ) અને પાખી (12 વર્ષ) એ એકસાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ, કોરોના કાળ દરમિયાન આ ત્રણેય બહેનોને મોબાઈલ ગેમની લત લાગી હતી. તેઓ નિયમિત સ્કૂલે પણ જતી નહોતી અને પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પાછળ વિતાવતી હતી.

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આ બહેનો ઓનલાઇન ટાસ્ક-બેઝ્ડ ગેમ્સ રમતી હતી. મંગળવારે મધરાત્રે આશરે 2 વાગ્યે જ્યારે આખું શહેર ઊંઘતું હતું, ત્યારે આ ત્રણેય બહેનોએ તેમના ફ્લેટની ગેલેરીમાંથી એકસાથે છલાંગ લગાવી દીધી હતી. તેમના પિતા ચેતન કુમાર હાલ આઘાતમાં છે અને કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં નથી.

પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ ગેમમાં તેમને આત્મહત્યા કરવા માટે કોઈ ચોક્કસ ‘ટાસ્ક’ આપવામાં આવ્યો હતો કે કેમ. આ ઘટના ફરી એકવાર વાલીઓ માટે લાલબત્તી સમાન છે કે તેઓ પોતાના બાળકોના મોબાઈલ વપરાશ અને ઓનલાઇન પ્રવૃત્તિઓ પર કડક નજર રાખે.

February 2, 2026
jan-26-expo-advt-sgcci.png
1min63

સ્પેનના કાર્લોસ અલ્કારાઝે અહીં રવિવારે પહેલી જ વખત ઑસ્ટ્રેલિયન ઓપન (AUSTRALIAN OPEN)નો સિંગલ્સનો તાજ જીતી લીધો હતો અને એ સાથે તેણે સૌથી નાની ઉંમરે સિંગલ્સના ચારેય ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાનો 88 વર્ષ જૂનો વિક્રમ તોડ્યો હતો. અલ્કરાઝે (ALCARAZ) ફાઇનલ મુકાબલામાં પીઢ ખેલાડી અને વિક્રમજનક 24 ગ્રૅન્ડ સ્લૅમ ટ્રોફી જીતી ચૂકેલા સર્બિયાના નોવાક જૉકોવિચને 2-6, 6-2, 6-3, 7-5થી પરાજિત કર્યો હતો.

જૉકેવિચ (DJOKOVIC) અગાઉ 10 વખત ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો અને દસેય વખત વિજેતા થયો હતો, પરંતુ રવિવારે વર્લ્ડ નંબર-વન અલ્કરાઝે તેની એ અભૂતપૂર્વ અને વિક્રમજનક વિજયકૂચ થંભાવી દીધી હતી. બન્ને ખેલાડી શુક્રવારે પાંચ-પાંચ સેટવાળી સંઘર્ષપૂર્ણ સેમિ ફાઇનલ જીતીને ફાઇનલમાં સામસામે આવ્યા હતા અને એમાં અલ્કરાઝે સફળતા મેળવી હતી.

બાવીસ વર્ષ અને 272 દિવસની ઉંમરનો અલ્કરાઝ સિંગલ્સની ચારેય ગ્રૅન્ડ સ્લૅમ ટ્રોફી જીતનાર વિશ્વનો સૌથી નાની વયનો ટેનિસ ખેલાડી છે. તેણે અમેરિકાના ડૉન બજનો વિશ્વ વિક્રમ તોડ્યો હતો. 1938ની સાલમાં તેમણે ચારેય ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાની સિદ્ધિ મેળવી હતી ત્યારે તેમની ઉંમર બાવીસ વર્ષ અને 363 દિવસની હતી. ડૉન બજનું 2000ની સાલમાં 84 વર્ષની ઉંમરે અવસાન થયું હતું.

અલ્કરાઝ પાસે હવે કુલ સાત ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે જેમાં ઑસ્ટ્રેલિયન ઓપનના એક તેમ જ વિમ્બલ્ડન, ફ્રેન્ચ ઓપન તથા યુએસ ઓપનના બે-બે ટાઇટલનો સમાવેશ છે. મહિલાઓમાં શનિવારે ઑસ્ટ્રેલિયન ઓપનમાં સિંગલ્સનો તાજ રાયબાકિનાએ સબાલેન્કાને હરાવીને જીતી લીધો હતો.

February 2, 2026
image.png
1min69

T20 World Cup 2026 Pakistan Controversy : ભારતમાં યોજાનારા ICC T20 વર્લ્ડકપ 2026ને લઈને પાકિસ્તાને નવું નાટક શરૂ કરી દીધું છે. હંમેશા ભારતનો વિરોધ કરતી પાકિસ્તાન સરકારે તેમની ક્રિકેટ ટીમને ભારતમાં યોજાનારા વર્લ્ડકપમાં ભાગ લેવા માટે સત્તાવાર મંજૂરી આપી છે, પરંતુ આ સાથે એક એવી શરત મૂકી છે, જેનાથી ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો છે.

પાકિસ્તાન સરકારના સત્તાવાર એક્સ એક્સ હેન્ડલ પરથી કરવામાં આવેલી જાહેરાત મુજબ, પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાં રમશે પરંતુ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચમાં ભાગ લેશે નહીં. એટલે કે પાકિસ્તાન ટુર્નામેન્ટમાં ભાગ લેશે, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચો નહીં રમાય.

પાકિસ્તાને ટુર્નામેન્ટમાં ભાગ લેવાની તૈયારી બતાવી છે પણ ભારત સામે રમવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ સ્થિતિમાં આખા વર્લ્ડકપનું શેડ્યૂલ ખોરવાઈ શકે છે. આ મામલે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) શું સ્ટેન્ડ લે છે તેના પર સૌની નજર છે, જોકે અત્યાર સુધી BCCI કે ICC તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણો આગળ ધરીને ભારતમાં રમવાનો ઈન્કાર કર્યો હતો, જેના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે અને તેના બદલે સ્કોટલેન્ડને તક આપવામાં આવી છે. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નક્વીએ વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. પાકિસ્તાન સતત બાંગ્લાદેશના સમર્થનમાં ટુર્નામેન્ટના બહિષ્કારનો ડ્રામા કરી રહ્યું હતું, પરંતુ હવે ટુર્નામેન્ટ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ નવું નાટક શરૂ કરી દીધું છે.

January 28, 2026
image-18.png
1min78

28/01/2026મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં બારામતીમાં ઉપમુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ થઇ ગયું છે. આ દુર્ઘટના લેન્ડિંગ સમયે સર્જાઈ હોવાની જાણકારી છે. મળતી માહિતી અનુસાર આ વિમાનમાં અજિત પવાર હાજર પણ હાજર હતા. ડીજીસીએના અહેવાલો અનુસાર અજિત પવાર સહિત 5 લોકોનું નિધન થઈ ગયું છે. વિમાનમાં અજિત પવાર સહિત બે પાઇલટ, 1 ક્રૂ મેમ્બર અને 1 અન્ય વ્યક્તિનું મોત નીપજ્યું છે.

બારામતીમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અજિત પવાર ત્યાં જઇ રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. જોકે હજુ સુધી વિમાન ક્રેશ થવાનું કોઈ કારણ સામે આવ્યું નથી. ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વિમાન આગમાં લપેટાઈ ગયું છે. ધૂમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે. અહેવાલોમાં અનુસાર આ વિમાનમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને એનસીપીના લીડર અજિત પવાર હાજર હતા. વિમાન ક્રેશ થયા બાદ આખો કાટમાળમાં ફેરવાઈ ગયો હતો.

અજિત પવાર ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હોવાની ચર્ચા છે ત્યારે જ અધવચ્ચે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. જોકે એનસીપી નેતા માજિદ મેમણે જણાવ્યું કે અજિત પવાર આજે બારામતી આવવાના હતા. વિમાનમાં કુલ 5 લોકો સવાર હતા. સવારે 8:45 વાગ્યાની આજુબાજુમાં જ આ વિમાન રન વે પર લેન્ડ થતી વખતે ક્રેશ થઇ ગયું હતું. ડીજીસીએ દ્વારા આ વિમાન દુર્ઘટનાની પુષ્ટી કરવામાં આવી છે.

અજિત પવારના નિધન પર રાજકારણમાં શોકની લહેર દોડી ગઈ છે. પીએમ મોદીએ મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ સાથે આ મામલે ચર્ચા કરી ઘટનાની જાણકારી મેળવી હતી. આ સાથે સુપ્રિયા સુલે પણ બારામતી જવા રવાના થયા હતા. બીજી બાજુ વિપક્ષના નેતાઓ સંજય રાઉત, મહેબુબા મુફ્તી સહિત અનેક લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

January 27, 2026
image-14.png
1min163

UGCના નિયમોને લઈને સવર્ણોમાં આક્રોશ સતત વધી રહ્યો છે. અત્યાર સુધી સોશિયલ મીડિયામાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો. પરંતુ હવે દિલ્હીથી લઈને યુપી સુધી લોકો રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે. આજે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના હેડક્વાર્ટર બહાર વિદ્યાર્થીઓ વિરોધ માટે એકત્રિત થયા હતા. આ સિવાય ઉત્તર પ્રદેશમાં પણ ઠેર ઠેર દેખાવોનું આયોજન કરાયું છે.

દેશભરની યુનિવર્સિટીઓમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ દૂર કરવા માટે સરકારે નવા નિયમ બનાવ્યા હતા. જેને લઈને વિરોધ થઈ રહ્યો છે. સવર્ણ સમાજનું કહેવું છે કે આ નિયમો એકતરફી અને અસ્પષ્ટ છે જેના કારણે તેનો દુરુપયોગ થવાની આશંકા છે.

UGCએ આદેશ આપ્યા છે કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રોકવા માટે SC, ST અને OBCના વિદ્યાર્થીઓ માટે 24/7 હેલ્પલાઈન નંબર, ઈક્વિટી સેન્ટર બનાવવામાં આવશે.

ભેદભાવની વ્યાખ્યા:

નવા નિયમ મુજબ, જ્ઞાતિ આધારિત ભેદભાવમાં માત્ર SC, ST અને OBC વર્ગના સભ્યો સામેલ થયેલા ભેદભાવ જ ગણવામાં આવશે. જનરલ કેટેગરી સાથે કોઈ ભેદભાવ થાય તો કોઈ કાયદાકીય રક્ષણ નહીં મળે.

જો કોઈ જાણીજોઇને ખોટી ફરિયાદ કરે તેના સામે દંડ કે સજાની કોઈ જોગવાઈ નથી. એવામાં અંગત અદાવત કાઢવા નિર્દોષ વિદ્યાર્થીઓ અથવા પ્રોફેસરોને નિશાનો બનાવાશે.

કોલેજોમાં સમાનતા સમિતિ બનાવવામાં આવશે. તેમાં SC, ST, OBC, મહિલા અનિવાર્ય છે પરંતુ જનરલ કેટેગરીના પ્રતિનિધિત્વ માટે કોઈ જોગવાઈ નથી.

સમગ્ર મામલે ભાજપમાં જ વિરોધ શરૂ થઈ ગયો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર સંજય સિંહે કહ્યું છે કે, સંતુલિત પ્રતિનિધિત્વ ન હોય તેવી સમિતિઓ કેવી રીતે ન્યાય કરી શકે? આવી સમિતિઓથી સમસ્યાનું સમાધાન ન થાય. દરેક નાગરિકના સન્માન અને સુરક્ષાની રક્ષા થવી જોઈએ. તમામ વર્ગની ભાગીદારી જરૂરી છે.

ભાજપ નેતા બૃજ ભૂષણ શરણ સિંહના પુત્ર અને ધારાસભ્ય પ્રતિક ભૂષણે કહ્યું છે કે, આ બેવડા વલણની ગહન સમીક્ષા થવી જોઈએ. ભારતીય સમાજના એક વર્ગને ઐતિહાસિક ગુનેગાર બતાવી બદલો લેવા માટે નિશાનો બનાવવામાં આવે છે.

ખેડૂત આગેવાન રાકેશ ટિકેતે કહ્યું છે કે, આ કાયદાથી ભારતમાં જ્ઞાતિગત તણાવ અને વિવાદ વધશે. સરકાર જ ઈચ્છે છે કે દેશ જ્ઞાતિવાદ, ધર્મવાદમાં ફસાયેલો રહે. સમાજમાં અંદરોઅંદર દુશ્મનાવટ વધે. આવા નિણર્ય દેશ માટે સારા નથી.

January 27, 2026
image-13.png
1min66

બેંક કર્મચારી યુનિયનોએ 5 વર્કિંગ ડેની માંગ કરી લાંબા સમયથી પડતર માંગણીનો નિવેડો આવે તે માટે 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળનું આહ્વાન યુનાઇટેડ ફોરમ ઓફ બૅન્ક યુનિયન્સ (UFBU) દ્વારા કરવામાં આવ્યું છે. જેથી 27 જાન્યુઆરી 2026ને મંગળવારે દેશભરમાં બેંકિંગ સેવાઓ પ્રભાવિત થવાના સંકેત છે. છેલ્લા ત્રણ દિવસ 24,25,26 જાન્યુઆરી બેન્કમાં સત્તાવાર રજા હતી ત્યારે વધુ એક દિવસ 27 જાન્યુઆરીએ બેન્કનું કામકાજ ઠપ રહે તો ગ્રાહકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી શકે તેવી શક્યતાઓ છે.

કઈ કઈ બેન્કના કામકાજ પર પડશે અસર?

યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ જાહેર કરેલી આ હડતાળમાં દેશભરની તમામ સરકારી બેન્કના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેમાં ખાસ કરીને આમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, ઈન્ડિયન બેંક અને અન્ય જાહેર ક્ષેત્રની બેંકના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેના ભાગરૂપે ઘણા બેંક કર્મચારીઓએ પહેલાથી જ ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. અને ચેતવણી આપી છે જો માગ સ્વીકારવામાં નહીં આવે તો વધુ પ્રચંડ આંદોલન થશે.

અનેક કાર્યો પ્રભાવિત થશે

જેથી મંગળવારે 27 જાન્યુઆરી બેન્ક જતાં પહેલા ખરાઈ કરી લેજો કે બેન્કનું કામકાજ ચાલુ છે કે સંભવિત હડતાળના કારણે બંધ? ત્રણ દિવસથી સત્તાવાર રજાઓને કારણે બૅન્કનું કામ રોકાયેલું છે તેવામાં વધુ એક દિવસ વિરોધના ભાગરૂપે જો બેન્ક કર્મચારીઓ કામથી અળગા રહેશે તો કેશ, ચેક ક્લીયરન્સ, ડ્રાફ્ટ, પાસબુક, લોન સંબંધિત સહિત અનેક કાર્યો પ્રભાવિત થઈ શકે છે.

શું છે બૅન્ક કર્મચારી યુનિયનની માંગ?

યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) દ્વારા જાહેર 27 જાન્યુઆરી 2026એ સંભવિત બૅન્ક હડતાળના નિર્ણયનું મુખ્ય કારણ સપ્તાહમાં 5 દિવસ જ કામકાજ બે દિવસ રજા(ફાઇવ ડે વર્કિંગ)નો નિયમ લાગુ કરવાનું છે. UFBUએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલ બૅન્ક કર્મચારીઓને દરેક મહિનામાં બીજા અને ચોથા શનિવારે રજા મળે છે, બાકીના બે શનિવારે રજા જાહેર કરવા માર્ચ 2024માં વેતન સંશોધન કરાર મુજબ ઇન્ડિયન બૅન્ક ઍસોસિએશન(IBA) અને યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) વચ્ચે સહમતિ સધાઈ હતી. જેમાં સોમવાર થી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ 40 મિનિટ વધારાના કામ કરવા પણ સહમતી બની હતી જેથી કામકાજના સમયમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી, પણ દુભાગ્યપૂર્ણ છે કે સરકારે વાસ્તવિક માંગ પર હજુ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી.

બૅન્ક યુનિયનોનું કહેવું છે કે, અઠવાડિયામાં પાંચ દિવસના કામકાજથી કર્મચારીઓ પરનું માનસિક દબાણ ઘટશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થશે. હાલમાં ભારત સરકારના મોટાભાગના વિભાગો, RBI, LIC, શેરબજાર અને ફોરેક્સ માર્કેટમાં પાંચ દિવસનું જ કામકાજ હોય છે. બૅન્ક કર્મચારીઓ પણ આ જ ધોરણે તમામ શનિવારની રજાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે, આ હડતાળનું આહ્વાન ‘યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ’ (UFBU) દ્વારા કરાયું છે. જો કે, આ માંગણીને અમલમાં મૂકવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) અને સરકારની મંજૂરી મેળવવી અત્યંત જરૂરી છે.

બે રવિવાર અને બે શનિવારની રજા હવે કર્મચારીઓ માટે અપૂરતી

બેન્ક કર્મચારીઓને વર્ષ 2013થી દર મહિનાના ચાર રવિવાર ઉપરાંત બે શનિવારની રજા આપવામાં આવે છે. જોકે, હવે મહિનાના તમામ શનિવારોએ રજા જાહેર કરવાની લાંબા સમયની માંગણી પર કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. સરકારના આ ઉદાસીન વલણને કારણે બેન્ક કર્મચારીઓ અને તેમના વિવિધ એસોસિયેશનોમાં નારાજગી સતત વધી રહી છે.

9 બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે UFBU

યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ ભારતના 9 પ્રમુખ બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે, જે સાર્વજનિક ક્ષેત્રે બૅન્ક અને તેના અધિકારીઓ અને કર્મચારીઓના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. યુએફબીયુના સભ્યોમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) નો સમાવેશ થાય છે.

December 31, 2025
india-4th-economy.png
1min90

આર્થિક ક્ષેત્રે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં ભારત વર્ષ 2025ના અંતમા વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બની છે. ભારત જાપાનને પછાડીને આગળ વધ્યું છે. ભારતનું અર્થતંત્ર 4.18 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયું છે. સરકારનો દાવો છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. તેમજ વર્ષ 2030 સુધીમાં ભારત જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.

વર્ષ 2025માં દેશના સુધારા અંગેના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 4.18 ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપી સાથે ભારતે જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. તેમજ વર્ષ 2030 સુધીમાં 7.3 ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપીનો અંદાજ છે. જેના લીધે ભારત જર્મનીને પછાડીને આગામી ત્રણ વર્ષના ત્રીજા સ્થાને પહોંચશે.

વિશ્વની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ પર નજર કરીએ તો (1)અમેરિકા, (2)ચીન (3)જર્મની(4) ભારત અને જાપાન પાંચમા સ્થાને છે. તેમજ જણાવવામાં આવ્યું છે કે દેશમાં આર્થિક વૃદ્ધિ અપેક્ષાઓ કરતાં વધુ સારી રહી છે. વર્ષ 2025-26 ના બીજા ત્રિમાસિક ગાળામાં GDP છ ક્વાર્ટરના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. આ વૈશ્વિક વેપારમાં સતત અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે.

સરકારે જણાવ્યું છે કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને આ ગતિ જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. વર્ષ 2047 સુધીમાં તેની સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ સુધીમાં ઉચ્ચ મધ્યમ આવકનો દરજ્જો પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે દેશ આર્થિક વિકાસ, માળખાકીય સુધારાઓ અને સામાજિક પ્રગતિના મજબૂત પાયા પર આગળ વધી રહ્યો છે.