વાયરલ Archives - Page 3 of 83 - CIA Live

March 1, 2026
image-1.png
1min81

Pakistan out of T20 World Cup: વર્લ્ડ કપમાં આજે રમાયેલી રોમાંચક મેચમાં પાકિસ્તાન માટે માઠા સમાચાર આવ્યા છે. શ્રીલંકા સામેની મેચમાં જરૂરી રનરેટ અને સમીકરણો જાળવી રાખવામાં અસફળ રહેતા પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે, જ્યારે ન્યૂઝીલેન્ડે સત્તાવાર રીતે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સુપર 8 મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો સેમિફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાને શ્રીલંકાને 147 રન સુધી રોકવું જરૂરી હતું પરંતુ શ્રીલંકાએ 15મી ઓવરના 5માં બોલે 147 રનનો આંકડો પર કરી લીધો હતો. જેથી ન્યૂઝીલેન્ડે રન રેટના આધારે સેમિ ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે.

મેચની 15.5 ઓવરમાં જ્યારે શ્રીલંકાએ 147 રનનો આંકડો વટાવ્યો, તેની સાથે જ પાકિસ્તાનની સેમિ ફાઈનલમાં પહોંચવાની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. ઉસ્માન તારિકના બોલ પર દાસુન શનાકાએ એક રન લેતાની સાથે જ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડના સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.

પાકિસ્તાની ખેલાડીઓ મેદાન પર ભાવુક દેખાયા હતા, ખાસ કરીને યુવા બોલર અબરાર પોતાની આંખોમાં આંસુ રોકી શક્યો નહોતો. પાકિસ્તાન બહાર થતા અને ન્યૂઝીલેન્ડ ક્વોલિફાય થતા હવે કોલકાતા સેમિ ફાઈનલ મેચની યજમાની કરશે. તેમજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ યોજાશે.

February 28, 2026
image-36.png
1min82

જમ્મુ-કાશ્મીરે રણજી ટ્રોફીનો ખિતાબ પોતાને નામ કરી ઈતિહાસ રચ્યો છે. જમ્મુ-કાશ્મીરે કર્ણાટક સામેની આ મેચ પ્રથમ ઈનિંગની લીડના આધારે જીતી હતી. જેમાં જમ્મુ-કાશ્મીરે પહેલી ઈનિંગમાં 291 રનની લીડ મેળવી હતી. જેમાં પાંચમા દિવસે જમ્મુ-કાશ્મીરે બીજી ઈનિંગમાં ચાર વિકેટ પર 342 રન કર્યા અને તેની કુલ લીડ 633 રન થઈ ગઈ હતી. જમ્મુ-કાશ્મીરના કેપ્ટન પારસ ડોગરાએ ઈનિંગ્સ ડિકલેર કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ બંને ટીમના કેપ્ટન દિવસની રમત સમાપ્ત કરવા સંમત થયા, જેના પરિણામે મેચ ડ્રો થઈ. આમ, જમ્મુ-કાશ્મીરે ઐતિહાસિક જીત મેળવી હતી.

આ મેચમાં જમ્મુ-કાશ્મીર માટે આકિબ નબી ડારે પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઈનિંગમાં બેટર કામરાન ઈકબાલ અને સાહિલ લોટરાએ શાનદાર પ્રદર્શન કર્યું. બંને બેટ્સમેનોએ પાંચમી વિકેટ માટે અણનમ 197 રનની ભાગીદારી નોંધાવી હતી. ઈકબાલે 311 બોલમાં 16 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 160 રન બનાવ્યા હતા. જ્યારે સાહિલે 226 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 101 રન કર્યા હતા.

જમ્મુ-કાશ્મીરે પાંચમા દિવસે બીજી ઈનિંગ ચાર વિકેટ પર 186 રનથી આગળ રહી હતી. જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકની મેચમાં ઈકબાલ અને સાહિલએ અંત સુધી શાનદાર પ્રદર્શન કર્યું. જેમાં કર્ણાટકના બોલર્સ બંનેની ભાગીદારી તોડી શક્યા ન હતા. અંતે મેચ ડ્રો થાય છે. કર્ણાટક તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ, વિજયકુમાર વિશાક અને શ્રેયસ ગોપાલે એક-એક સફળતા મળી હતી.

જમ્મુ-કાશ્મીરની પહેલી ઈનિંગના 584 રનના જવાબમાં કર્ણાટક 293 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પહેલી ઈનિંગમાં 291 રનની લીડ હોવા છતાં જમ્મુ-કાશ્મીરે ફોલો-ઓન લાગુ ન કરવાનો નિર્ણય લીધો હતો.

જમ્મુ-કાશ્મીર અને કર્ણાટક વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ જોવા માટે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પણ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ તેમના ‘X’ એકાઉન્ટ પર મેચની તસવીર શેર કરી હતી.

જમ્મુ-કાશ્મીરની સફર

  • જમ્મુ-કાશ્મીરે પહેલી વાર 1959-60ની સિઝનમાં રણજી ટ્રોફીમાં ભાગ લીધો હતો અને ત્યારથી તેને મજબૂત દાવેદાર માનવામાં આવતું નથી.
  • જમ્મુ-કાશ્મીરે આ સિઝન પહેલા 334 રણજી ટ્રોફી મેચ રમી હતી, જેમાંથી ફક્ત 45 મેચ જીતી હતી.
  • 1982-83માં સર્વિસિસ સામે તેમણે પહેલી જીત નોંધાવવામાં 44 વર્ષ લાગ્યા હતા.
  • નોકઆઉટમાં પહોંચવું ક્યારેય સરળ નહોતું, પરંતુ 2013-14માં તેઓ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા ત્યારે તેમણે મોટી સફળતા મેળવી હતી. જેમાં નેટ રન રેટ પર ગોવાને પાછળ છોડી દીધું હતું.
  • વર્ષ 2015-16માં તેમણે પરવેઝ રસૂલની કેપ્ટનશીપમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈને હરાવીને સૌથી મોટી જીત નોંધાવી હતી.
  • આ સિઝનમાં કોચ અજય શર્મા અને કેપ્ટન પારસ ડોગરાના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરે તેમના આત્મવિશ્વાસને પરિણામોમાં રૂપાંતરિત કરીને ટાઇટલ જીતવામાં સફળતા મેળવી હતી.
February 28, 2026
image-34.png
1min89

Dubai Suspends All Flight: મિડલ ઈસ્ટમાં યુદ્ધનો માહોલ છે. ઇઝરાયલે ઈરાન વિરૂદ્ધ ઓપરેશન રોઅરિંગ લાયન શરૂ કર્યું અને અમેરિકા સાથે મળીને હુમલા કરી રહ્યું છે. ત્યારે ઈરાન પણ જવાબી હુમલા કરી રહ્યું છે. ઈરાને સાઉદી અરેબિયા, UAE, કતાર, જોર્ડન, બહેરીન સહિતના દેશોમાં આવેલા US મિલિટરી બેઝને નિશાન બનાવ્યા છે. આ બધા વચ્ચે અનેક દેશોએ પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે અને ફ્લાઈટ્સ રદ કરી છે. મળતી માહિતી અનુસાર, ઈરાન-ઈઝરાયેલ તણાવની વચ્ચે દુબઈ ઍરપોર્ટ પર તમામ ફ્લાઈટની અવર-જવર બંધ કરાઈ છે. મધ્ય-પૂર્વના ઘણાં દેશોમાં વિમાનસેવા પ્રભાવિત, મુસાફરોને સ્ટેટસ ચૅક કરીને ટ્રાવેલ કરવા સૂચના અપાઈ છે.

દુબઈ મીડિયા ઓફિસ દ્વારા પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DXB) અને દુબઈ વર્લ્ડ સેન્ટ્રલ, અલ મક્તૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DWC) પરની તમામ ફ્લાઈટની અવર જવર આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.

દુબઈ એરપોર્ટ્સે તેની સલાહકારમાં આગમન અને પ્રસ્થાન બંને સ્થગિત કરવાની પુષ્ટિ કરી છે. મુસાફરોને હાલમાં એરપોર્ટ પર મુસાફરી ન કરવાની અને તેમની ફ્લાઈટ્સ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે સીધા જ તેમની સંબંધિત એરલાઈન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.

નિવેદનમાં ઉમેર્યું હતું કે, ‘અમે અમારા મહેમાનોના સહકારની પ્રશંસા કરીએ છીએ. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાથી વધુ અપડેટ્સ પ્રદાન કરવામાં આવશે.’

February 26, 2026
image-7.png
1min95

ભારતે (India) વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં અહીં ઝિમ્બાબ્વે (ZIMBABWE)ના બોલર્સની બોલિંગની જોરદાર ધુલાઈ કરી અને આ વખતના વર્લ્ડ કપના સૌથી ઊંચા ટોટલમાં નવો વિક્રમ રચી દીધો. ટીમ ઇન્ડિયાએ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં ચાર વિકેટે 256 રન કર્યા અને વેસ્ટ ઇન્ડિઝના ઝિમ્બાબ્વે સામેના 6/254ના સ્કોરના વિક્રમને ઓળંગી લીધો હતો. ભારતની ઇનિંગ્સમાં બૅટિંગ કરનાર તમામ છ બૅટ્સમેને ડબલ ડિજિટમાં રન કર્યા હતા અને એક કે એક કરતાં વધુ ફોર તથા સિક્સર ફટકારી હતી.

પાવરપ્લેમાં પાવર બતાડનાર અભિષેક શર્મા (પંચાવન રન, 30 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) અને હાર્દિક પંડ્યા (50 અણનમ, 23 બૉલ, ચાર સિક્સર, બે ફોર)ની હાફ સેન્ચુરી તેમ જ તિલક વર્મા (44 અણનમ, 16 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) ભારતની ઇનિંગ્સના ત્રણ મુખ્ય સિતારા હતા.

ભારતના 256 રનમાં સંજુ સૅમસન (24 રન, 15 બૉલ, બે સિક્સર, એક ફોર), ઇશાન કિશન (38 રન, 24 બૉલ, એક સિક્સર, ચાર ફોર) અને સૂર્યકુમાર યાદવ (33 રન, 13 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ના પણ મહત્ત્વના યોગદાન હતા.

ભારતને 12 રન એક્સ્ટ્રામાં મળ્યા હતા. ઝિમ્બાબ્વેના સાત-સાત બોલર ભારતને 256 રનનો રેકૉર્ડ-બે્રક સ્કોર કરતા રોકી નહોતા શક્યા. ખાસ કરીને બે ફાસ્ટ બોલર રિચર્ડ ઍન્ગેરવા (62 રનમાં એક વિકેટ) અને બ્રાડ ઇવાન્સ (બાવન રનમાં વિકેટ નહીં) સૌથી ખર્ચાળ બન્યા હતા.

February 23, 2026
image-26.png
1min121

ભારતીય વાયુસેનાનું ગૌરવ ગણાતું સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) ‘તેજસ’ તાજેતરમાં એક અકસ્માતનો ભોગ બન્યું છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં એક ફોર્વર્ડ એરબેઝ પર ટ્રેનિંગ ફ્લાઇટ પૂર્ણ કરીને પરત ફરી રહેલું તેજસ વિમાન લેન્ડિંગ સમયે રનવેથી આગળ નીકળી ગયું હતું. આ ઘટનામાં વિમાનના એરફ્રેમને નોંધપાત્ર નુકસાન થયું છે, જોકે રાહતની વાત એ છે કે પાયલોટે સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે ઇજેક્ટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.

આ દુર્ઘટના બાદ ભારતીય વાયુસેનાએ સાવચેતીના પગલા રૂપે તેજસ વિમાનોના સમગ્ર કાફલા (Fleet) ના ઉડાન ભરવા પર કામચલાઉ રોક લગાવી દીધી છે. વાયુસેના પાસે હાલમાં લગભગ 30 જેટલા સિંગલ-સીટર તેજસ વિમાનો છે. આ તમામ જેટ્સની સંપૂર્ણ ટેકનિકલ તપાસ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. તેજસ એક સિંગલ એન્જિન મલ્ટી-રોલ ફાઈટર એરક્રાફ્ટ છે જે અત્યંત જોખમી વિસ્તારોમાં પણ ચોકસાઈથી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આ ટેકનિકલ ખામીએ વાયુસેનાની ચિંતામાં વધારો કર્યો છે.

આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) તેજસ માર્ક 1A ની ડિલિવરીમાં પહેલેથી જ વિલંબ કરી રહ્યું છે. ફેબ્રુઆરી 2021માં 48,000 કરોડના ખર્ચે 83 જેટ્સ માટે થયેલા સોદાની ડેડલાઇન અનેકવાર ચૂકી જવામાં આવી છે. આ વિલંબ પાછળનું મુખ્ય કારણ અમેરિકી કંપની જીઈ એરોસ્પેસ (GE Aerospace) દ્વારા એન્જિનની સપ્લાયમાં થઈ રહેલો મોડું હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર 2025માં સરકારે વધુ 97 તેજસ વિમાનો માટે ₹62,370 કરોડનો નવો સોદો પણ કર્યો હતો.

છેલ્લા બે વર્ષમાં તેજસ વિમાન સાથે સંકળાયેલી આ ત્રીજી મોટી ઘટના છે. પ્રથમ અકસ્માત માર્ચ 2024માં જેસલમેર પાસે થયો હતો, જ્યારે બીજી ઘટના નવેમ્બર 2025માં દુબઈ એરશો દરમિયાન લાઈવ પ્રદર્શન વખતે બની હતી. આ વારંવાર બનતી ઘટનાઓ અને ટેકનિકલ ખામીઓને કારણે હવે સ્વદેશી લડાયક વિમાનોની ગુણવત્તા અને સુરક્ષા પાસાઓ પર સવાલો ઉઠી રહ્યા છે. વાયુસેનાની ટેકનિકલ ટીમ હવે આ ખામીઓના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ કરી રહી છે.

February 23, 2026
image-7.png
1min107

T20 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કા એટલે કે ‘સુપર-8’માં પહોંચી ગયો છે. 20 ટીમો વચ્ચે શરૂ થયેલો આ મહાસંગ્રામ હવે માત્ર 8 ટીમો વચ્ચે સમેટાયો છે, જ્યાં દરેક મેચ સમીકરણો બદલી રહી છે. રવિવારે અમદાવાદના મેદાન પર સાઉથ આફ્રિકા સામે ભારતની 76 રને થયેલી કારમી હારને કારણે હવે ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલની રાહ અત્યંત મુશ્કેલ બની ગઈ છે. છેલ્લી12 મેચોથી અજેય રહેલી ભારતીય ટીમ પર હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

સુપર-8માં ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત ગ્રુપ-1માં છે, જ્યાં સાઉથ આફ્રિકા અત્યારે 2 પોઈન્ટ્સ અને +3.800ના શાનદાર નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને છે. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 188 રન બનાવ્યા હતા અને ભારતને માત્ર 111 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ મોટી હારને કારણે ભારત અત્યારે 0 પોઈન્ટ અને -3.800ના ખરાબ નેટ રન રેટ સાથે ચોથા સ્થાને ફેંકાઈ ગયું છે. હવે સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતને તેની આગામી બંને મેચો(ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામે) માત્ર જીતવી જ નહીં, પરંતુ મોટા અંતરથી જીતવી પડશે જેથી રન રેટમાં સુધારો થઈ શકે.

બીજી તરફ ગ્રુપ-2માં ઈંગ્લેન્ડ 2 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થતા બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યો છે, જ્યારે શ્રીલંકા હાર સાથે છેલ્લા સ્થાને છે. જો ભારત સેમીફાઈનલમાં ક્વોલિફાય કરવું હોય તો હવે નસીબ અને પ્રદર્શન બંનેનો સાથ જરૂરી છે.

ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ 4 માર્ચે અને બીજી સેમીફાઈનલ 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ વિશ્વકપનો મહામુકાબલો એટલે કે ફાઈનલ 8 માર્ચે અમદાવાદમાં યોજાવાની છે. જોકે, ફાઈનલના સ્થળ અંગેનો અંતિમ નિર્ણય પાકિસ્તાન ક્વોલિફાય થાય છે કે નહીં તેના પર નિર્ભર રહેશે.

February 13, 2026
somnath_temple-1280x720.jpg
1min115

મહાશિવરાત્રિ દરમિયાન સોમનાથ મંદિર ટ્રષ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહાશિવરાત્રિ હોવાથી આગમી 48 કલાક માટે સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવશે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરમાં મહાશિવરાત્રિનો પર્વ ધામધૂમ રીતે ઉજવવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રના અંદાજ મુજબ આ મહાશિવરાત્રિ દરમિયાન 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ આવી શકે છે.

સોમનાથ મંદિર ટ્રષ્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

સોમનાથ મંદિરના દ્વાર આગામી 15 ફેબ્રુઆરી, 2026ના રોજ સવારે 04:00 વાગ્યે ખુલશે જે સતત 42 કલાક સુધી એટલે કે 16 ફેબ્રુઆરીની રાત સુધી ખુલ્લા રહેશે. જેથી શિવ ભક્તો કોઇપણ સમયે દર્શનનો લ્હાવો લઈ શકશે.

સોમનાથમાં ભક્તોની ભારે ભીડ આવતી હોવાથી તેમની સુરક્ષા અને સુવિધાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે, જેની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. ભક્તોની સુરક્ષા માટે પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

સુરક્ષાની વાત કરીએ તો, પ્રવેશદ્વાર પર સિક્યુરિટી ગેટની સંખ્યા 6 થી વધારીને 10 કરી દેવામાં આવી છે. અહીં 500થી પણ વધારે પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સતત તૈનાત રહેશે. આ સાથે ઇમરજન્સી માટે 24 કલાક મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવશે.

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ભક્તોની અવરજવર માટે વન-વે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી અહીં આવતા ભક્તોને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે! અત્રે નોંધનીય છે કે, સોમનાથમાં મહાશિવરાત્રિ નિમિત્તે ત્રિ-દિવસીય સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કૈલાશ ખેર પણ હાજર રહેશે. મહાશિવરાત્રિ દરમિયાન સોમનાથ આવતા શિવભક્તોને અદ્ભૂત અનુભવ થશે.

February 9, 2026
image-14-1280x768.png
1min135

દેશમાં સતત વધી રહેલા ડિજિટલ ફ્રોડના કિસ્સાઓ પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. અદાલતે આ પ્રકારની છેતરપિંડીને લૂંટ ગણાવતા અત્યંત ગંભીર ટિપ્પણી કરી છે. ખાસ કરીને ગુજરાત અને દિલ્હી સરકારને આદેશ આપ્યો છે કે, ડિજિટલ અરેસ્ટ જેવા ગંભીર ગુનાઓની તપાસ માટે જરૂરી મંજૂરીઓ (સેન્ક્શન) આપવામાં સહેજ પણ વિલંબ ન કરવામાં આવે, જેથી તપાસ પ્રક્રિયા ઝડપી બની શકે.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, અત્યાર સુધીમાં સાયબર ઠગ ટોળકી દ્વારા અંદાજે રૂ. 54,000 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (RBI) દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર'(SOP)ને સમગ્ર દેશમાં સત્તાવાર રીતે લાગુ કરવામાં આવે.

અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે, આવા કિસ્સાઓમાં બૅંકોની બેદરકારી અથવા અધિકારીઓની મિલીભગતની શક્યતાને નકારી શકાય નહીં. RBIની SOP મુજબ, જો કોઈ શંકાસ્પદ વ્યવહાર જણાય તો તાત્કાલિક ડેબિટ કાર્ડ હોલ્ડ પર રાખવા જેવી ત્વરિત કાર્યવાહી થવી જોઈએ, જેથી સામાન્ય નાગરિકના નાણાં બચાવી શકાય.

સુપ્રીમ કોર્ટે આ મામલે CBIને દેશભરમાં નોંધાયેલા ડિજિટલ અરેસ્ટના કેસોની ઓળખ કરી તેની વિસ્તૃત તપાસ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત ટેલિકોમ વિભાગ (DoT), RBI અને અન્ય એજન્સીઓને ચાર અઠવાડિયામાં સંયુક્ત બેઠક યોજીને એક ડ્રાફ્ટ તૈયાર કરવા જણાવાયું છે. આ સમન્વયનો મુખ્ય હેતુ એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લે અને છેતરપિંડી રોકવાનો છે.

કોર્ટે માનવીય અભિગમ અપનાવતા કહ્યું કે, ડિજિટલ અરેસ્ટનો શિકાર બનેલા લોકો ઘણીવાર માનસિક અને આર્થિક રીતે તૂટી જતાં હોય છે. આવા પીડિતોને વળતર આપવા માટે એક અસરકારક માળખું તૈયાર કરવું જરૂરી છે. વળતરની પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણોમાં ફસાવાને બદલે વ્યવહારિક અભિગમ રાખવો જોઈએ, જેથી પીડિતોને રાહત મળી શકે.

February 8, 2026
image-11.png
1min167

વધતા અકસ્માતોનું એક કારણ આંખો આંજી દેતી સફેદ એલઈડી લાઈટ્સને પણ માનવામાં આવે છે, આવી લાઈટ્સના ઉપયોગને રોકવા માટે રાજ્ય પરિવહન વિભાગે નિર્દેશ જાહેર કર્યા હતા. પોતાના વાહનોમાં લગાવેલી ગેરકાયદે LED લાઇટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં 3094 વાહનચાલકો દંડાયા હતા.

સમગ્ર ગુજરાતમાં હાઇ-ઇન્ટેન્સિટી એલઇડી લાઇટનો ઉપયોગ વધ્યો છે, જેના કારણે અન્ય લોકો વિઝિબિલિટી ઓછી થઈ જાય છે અને અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. 22 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી ચલાવવામાં આવેલી આ ઝુંબેશમાં રાજ્યના 3094 વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ દરમિયાન અમદાવાદમાં સૌથી વધુ વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. અમદાવાદમાં 260 વાહનચાલકોને, અમદાવાદ પૂર્વમાં 85 વાહનચાલકોને, આણંદમાં 40 વાહનચાલકોને, ARTO બાવળામાં 133 વાહનચાલકોને, ARTO મોડાસામાં 104 વાહનચાલકોને, વલસાડમાં 288 વાહનચાલકોને, સાબરકાંઠામાં 20 વાહનચાલકોને, ખેડામાં 46 વાહનચાલકોને, મહેસાણામાં 170 વાહનચાલકોને, વડોદરામાં 168 વાહનચાલકોને, ગાંધીનગરમાં 95 વાહનચાલકોને, સુરેન્દ્રનગરમાં 48 વાહનચાલકોને અને કચ્છમાં 136 વાહનચાલકોને ચલણ મોકલવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદમાં વ્હાઇટ એલઈડી લાઈટ્સ રાખનાર વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના સુભાષબ્રિજ આરટીઓ અનુસાર વર્ષ 2026ના આરંભના 28 દિવસમાં 275 કેસ નોંધવામાં આવ્યા હતા અને રૂ. 2.75 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

February 7, 2026
image-7.png
1min126

આજ 07/02/2026 થી ક્રિકેટના સૌથી ટૂંકા અને રોમાંચક ફોર્મેટ એવા ટી20 વર્લ્ડ કપ 2026નો શંખનાદ થવા જઈ રહ્યો છે. ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાનારા આ મહાકુંભમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. આ વખતે મેદાન પર રમાનારી મેચોની સાથે-સાથે મેદાનની બહારની રાજનીતિ અને વિવાદો પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત આ વખતે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે.

વર્લ્ડ કપના પ્રથમ દિવસે ક્રિકેટ પ્રેમીઓને ત્રણ મેચનો ડોઝ મળશે. ઉદ્ઘાટન મેચ સવારે 11 વાગ્યે કોલંબોમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે ટક્કર થશે. દિવસની સૌથી લોકપ્રિય મેચ સાંજે 7 વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જ્યાં યજમાન ભારત અને અમેરિકાની ટીમો આમને-સામને હશે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિદાય બાદ ભારતીય ટીમ સંપૂર્ણપણે નવા અવતારમાં જોવા મળશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની આ ટીમ સૌથી સંતુલિત માનવામાં આવી રહી છે. ઓપનિંગમાં ઈશાન કિશન અને અભિષેક શર્માની જોડી જોવા મળી શકે છે. નિષ્ણાતોના મતે ભારત આ વખતે યજમાન દેશ વર્લ્ડ કપ ન જીતી શકે તેવો મિથક તોડી શકે છે. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજો ટીમની તાકાત છે.

ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ સુરક્ષા અને IPL કોન્ટ્રાક્ટ વિવાદને કારણે બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો, જેના સમર્થનમાં પાકિસ્તાને પણ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જોકે, ICC એ સ્પષ્ટ કર્યું છે કે ટુર્નામેન્ટ નિર્ધારિત સમયપત્રક મુજબ જ ચાલશે. આ વિવાદો વચ્ચે નેપાળ અને ઈટાલી જેવી એસોસિએટ ટીમો પણ આ વખતે મોટો ઉલટફેર કરવા તૈયાર છે.