ભારતીય શેરમાર્કેટના ઘટાડાની સીધી અસર દેશની કરન્સી પર જોવા મળી રહી છે. ભારતીય રૂપિયો ડોલરની સામે 11 જુલાઈના સત્રમાં નવા ઐતિહાસિક તળિયે 79.43 પર પહોંચ્યો છે.
ડોલરની મજબૂતી અને ઘરેલું શેરબજારમાં આજે મંદીના કારણે ભારતીય રૂપિયો યુએસ ડોલરની સામે સોમવારના સત્રમાં 1 વાગ્યે શુક્રવારના બંધ ભાવ 79.25ની સરખામણીએ 79.43 પર ટ્રેડ થઈ રહ્યો છે. ગત સપ્તાહે રૂપિયો ડોલરની સામે 79.3750ના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો અને આજે આ રૂપિયાએ નવું તળિયું બનાવ્યું છે.
વિશ્વની છ દિગ્ગજ કરન્સીની સામે યુએસ ડોલરનું મૂલ્ય દર્શાવતું ડોલર ઈન્ડેકસ 0.31 ટકા વધીને 107.34 પર કામકાજ કરી રહ્યો છે.
ગત સપ્તાહે 100 ડોલરની નીચે સર્કયા બાદ આજે ફરી બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.63 ટકા ઘટીને 106.35 ડોલર પ્રતિ બેરલ થયું હતું.
આગામી ૧૦ જુલાઇના અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવપોઢી એકાદશી છે અને તેની સાથે જ હિંદુ ચાતુર્માસનો પ્રારંભ થશે. હિંદુ ચાતુર્માસમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી જેવા તહેવારોની હેલી સર્જાશે. હવે આગામી ૮, ૯ જુલાઇના લગ્ન માટેના શુભ મુહૂર્ત છે. હિંદુ ચાતુર્માસ સાથે લગ્નાદિ માંગલિક કાર્યોનો નિષેધ હોય છે. આગામી ચાર નવેમ્બરના કારતક સુદ એકાદશી સાથે ચાતુર્માસની પૂર્ણાહૂતિ થશે.
હિન્દુ સમુદાયમાં દેવપોઢી એકાદશી અને દેવઉઠી એકદાશી વચ્ચેના સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે દેવપોઢી એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં જતા હોવાનું માનવામાં આવે છે. ત્યાર બાદ ચાર મહિના સુધી ભગવાન શયન મુદ્રામાં હોય લગ્ન સહિતના શુભ કાર્યો પર રોક મૂકવામાં આવે છે. દિવાળી બાદ આવતી દેવઉઠી એકાદશીએ ભગવાન ફરી પૃથ્વીલોક પર આવવાની સાથે લગ્નસરાની નવી સિઝનનો આરંભ થતો હોવાનું માનવામાં આવે છે. હવે ૯ જુલાઇ બાદ નવેમ્બરમાં ૨૫-૨૬-૨૭-૨૮ જ્યારે ડિસેમ્બરમાં ૨-૩-૭-૯-૧૩-૧૪ના લગ્ન માટેના શુભ મુહૂર્ત આવશે. આમ, વર્ષ ૨૦૨૨માં હવે લગ્ન માટેના કુલ માત્ર ૧૨ શુભ મુહૂર્ત છે.
અ ષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ચારમાસને હિન્દુ ધર્મમાં સૌ ચાતુર્માસ તરીકે ઉજવે છે. આ ચાતુર્માસ દરમ્યાન અનેક તહેવારો- ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. આ ચાતુર્માસમાં મંદિરોમાં દર્શન- ભજન- કથા- કીર્તન- અભિષેક- આદિ કાર્યક્રમો યોજાય છે અને અનેક ભક્તો ભક્તિનાપૂરમાં રસતરબોળ બને છે.
કુમકુ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, ‘વર્ષ દરમ્યાન કુલ ચોવીસ એકાદશી આવે છે. જેમાં ચાતુર્માસમાં આવતી નવ એકાદશીનું સવિશેષ મહત્વ હોય છે અને તેમાં પણ ત્રણ એકાદશીનું સૌથી મહત્વ વધારે હોય છે. અષાઢ સુદ એકાદશીએ ભગવાન શયન કરે છે એટલે પોઢી જાય છે તેથી આ એકાદશીનું નામ દેવપોઢી એકાદશી પાડવામાં આવ્યું. ભાદરવા સુદ એકાદશી આવે છે ત્યારે ભગવાન પડખું ફેરવે છે તેથી તેને પાર્શ્વતિની એકાદશી કહેવામાં આવે છે. અને કારતક સુદ એકાદશી એ ભગવાન જાગે છે તેથી તેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે.
આ સર્વે એકાદશીએ નકોરડો ઉપવાસ કરવો જોઈએ તેવું શાસ્ત્રોમાં નિરુપણ છે. પરંતુ જે આ ચોવીશ એકાદશીઓના દિવસે નકોરડો ઉપવાસ ના કરી શકતા હોય તેમણે ચાતુર્માસમાં આવતી નવ એકાદશીના ઉપવાસ અવશ્ય કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. કદાચ કોઈથી આ નવ એકાદશી ના થાય તો તેમણે ત્રણ મુખ્ય એકાદશીએ તો અવશ્ય ઉપવાસ કરવા જોઈએ. આરોગ્યની દ્રષ્ટિએ ઉપવાસ કરવા એ હિતાવહ માનવામાં આવે છે. તેથી ઘણા સંતો-ભક્તો ચાતુર્માસ દરમ્યાન નકોરડા ઉપવાસ, ધારણાં-પારણાં-એકટાંણા આદિ વ્રતો કરતાં હોય છે.’
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રમત-ગમત ક્ષેત્રે એક મહત્વની જાહેરાત કરી છે. આગામી 27મી સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન થવાનું છે.
છેલ્લે વર્ષ 2015માં કેરળ ખાતે નેશનલ ગમ્સ યોજાઈ હતી. ત્યાર બાદ 2016ના વર્ષમાં ગોવા ખાતે રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન થવાનું હતું પરંતુ રાજ્ય સરકારની અસમર્થતાના કારણે તેને 2 વખત ટાળવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2020માં તેનું આયોજન થવાનું હતું પરંતુ કોરોના મહામારીએ તેમાં વિઘ્ન નાખ્યું હતું.
ગુજરાત હવે સ્પોર્ટ્સ હબ બનવા જઈ રહ્યું છે તથા રાજ્યમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર થઈ રહ્યા છે.
મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગુજરાત આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું આયોજન કરશે. ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ હું IOA નો આભારી છું.
ત્યારે મુખ્યમંત્રીએ ટ્વિટરના માધ્યમથી 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે તેની જાહેરાત કરી છે. ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારે રાષ્ટ્રીય રમતોત્સવ યોજાવા જઈ રહ્યો છે તથા અમદાવાદ સહિતના 6 શહેરોમાં તેનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ મુખ્યમંત્રીએ ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ ઈન્ડિયન ઓલમ્પિક અસોસિએશનનો આભાર માન્યો હતો.
આ રમતોત્સવમાં દેશભરના 25,000થી પણ વધારે રમતવીરો સહભાગી બનશે. ઓલમ્પિકની દાવેદારી પહેલા ગુજરાત સરકારે આ મોટું આયોજન હાથ ધર્યું છે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સ 2022નું ઓપનિંગ થાય તેવી શક્યતા જણાઈ રહી છે.
છેલ્લા કેટલાક સમયથી વિવિધ કારણોસર સ્થગિત થઈ રહેલી નેશનલ ગેમ્સ માટેની તારીખો આખરે જાહેર થઈ ગઈ છે. ભારતીય ઓલમ્પિક સંઘના મહાસચિવ રાજીવ મેહતાએ પણ આ અંગે ટ્વિટ કરી હતી.
ગુજરાત ઓલમ્પિક સંઘ તથા રાજ્ય સરકારના સંયુક્ત પ્રયત્નોથી 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
– જૂનાગઢનો વિલીંગ્ડન અને નરસિંહ સરોવર છલોછલ: કેરાળા જળાશય ઓવરફલો થતા નવ ગામને એલર્ટ કરાયા અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અષાઢ મહિનાની શરુઆતથી મેઘ મહેરથી સૌરાષ્ટ્રમાં હરખની હેલી છે.
Dated 5/7/22, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. ગીરનારમાં 7 અને દ્વારકાના કલ્યાણપુરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે આ વિસ્તારના નદી નાળામાં નવા નીરની આવક થઇ છે તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત જૂનાગઢ, રાણાવાવ, કુતિયાણા, દ્વારકા, શેરગઢમાં ધોધમાર 4 ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ આમરણ ચોવિસી, વંથલીમાં 3, રાજકોટ, જામ ખંભાળિયા, ગઢડામાં 2.5, બાબરા-ભાવનગર-કોટડા સાંગાણી-દામનગર-કલાણા-પોરબંદરમાં 2, ઘ્રોલ-જામનગર-માળીયાહાટી-વાંકાનેર-ટંકારામાં 1.5, મહુવા અને માણાવદરમાં 1 ઇંચ વરસાદ પડયો છે. જૂનાગઢમાં ભારે વરસાદના કારણે વિલીગ્ડન અને નરસિંહ સરોવર છલોછલ થવા આવ્યા છે અને કેરાળા જળાશય ઓવરફલો થતા નવ ગામને એલર્ટ કરાયા છે તથા વિસાવદરની કાળુભાર, ચમારડીની ઠેબી, જૂનાગઢની કાળવા અને સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.
દ્વારકા, જામખંભાળીયા:’
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તેમજ બારાડી પંથકમાં મેઘરાજા મહેરબાન હોય તેમ આજે સવારથી સાંજ સુધીમાં મુશળધાર વરસાદ સાથે બંને તાલુકાઓમાં મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લામાં શુષ્ક રહેલા બંને તાલુકાઓમાં જોરદાર વરસાદનો લહાવો સ્થાનિકોએ ભરપૂર રીતે માણ્યો હતો. આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર પૈકી ત્રણ તાલુકામાં વ્યાપક વરસાદ નોંધાયો છે. સાંજે 6 કલાક સુધીમાં ખંભાળીયામાં વધુ 68 મીમી, કલ્યાણપુરમાં 145 મીમી, દ્વારકામાં 92મીમી તેમજ ભાણવડમાં 7 મીમી વરસાદ નોંધાયો છે, જેથી નદી-નાળા છલોછલ થયા હતા.
દ્વારકા જિલ્લામાં હાલ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બેહ અને બારા ગામ વિસ્તારમાં બારે વરસાદ થયો હતો. માત્ર બે કલાકમાં ચાર થી છ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સ્થાનિક નદીનાળાઓમાં પાણીના પુરૂ જોવા મળ્યા હતાં. જેમાં ઢાંઢાવાળી નદીમાં ભારે પુર આવ્યો હતો.’ ખંભાળીયા તાલુકાના બેહ બેરાજા આરોગ્ય સેન્ટરમાં કામ કરતાં કર્મી આજરોજ બપોરના સુમારે બારા આરોગ્ય પ્રાથમિક કેન્દ્ર તરફથી બેહ આવી રહ્યાં હતા ત્યારે બેહ બારા ગામ વચ્ચે આવતી ઢાંઢાવાળી નદીના પટમાં પાણીના પ્રવાહમાં અટવાઈ ગયેલ આ બાબતે જુંગીવ્રા ધામે જતાં વટેમાર્ગુને જાણ થતાં ગ્રામજનોને જાણ કરવામાં આવતાં બેહ ગામના સરપંચ પ્રવિણભાઈ ગઢવી સહિત આગેવાનો દ્વારા ટ્રેકટર, નાળા લઈ સ્થળે પહોંચ્યા હતાં અને ગ્રામજનોની કલાકો જહેમત બાદ આરોગ્ય કર્મીને સહી સલામત બચાવી લેવાયો હતો. અધિકારીઓએ હેડ કવાર્ટર ન છોડવા સૂચનાઓ અપાઈ છે. જિલ્લાના ચારેય તાલુકામાં કન્ટ્રોલરૂમ શરુ કરવામાં આવ્યો છે. જે ફોન નં. 02833 232125, મો.7859923844 છે.
આમરણ:
આમરણ ચોવીસી પંથકમાં આજે સાંજે પાંચ થી સાત બે કલાક દરમિયાન 2 થી 3 ઈંચ વાવણી લાયક વરસાદ વરસી જતા આનંદની લાગણી ફેલાઈ છે.
માણાવદર:
માણાવદરમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. આજે દિવસ દરમ્યાન 1 ઈંચ નોંધાયો છે. જ્યારે ઝીંઝરી ગામ તરફ 2 ઈંચ જેટલો વરસાદ પડવાનું ગ્રામજનોએ જણાવેલ. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણીથી ફરી રસાલા ડેમ છલકાયો છે.
અમરેલી:
Dated 5/7/22 જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેધરાજ મન મૂકીને વરસ્યો હતો. આજે પડેલા વરસાદથી અનેક ગામમાં પાણી ભરાય ગયા હતા તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં ધોડાપુર આવ્યા હતા. ચમારડીની ઠેબી નદીમાં પુર આવ્યું હતું. ભારે વરસાદને કારણે જનજીવન પર પણ અસર થઈ હતી. આ લખાય છે ત્યારે બાબરાના ચામરડી ખાતે ઠેબી નદીમાં ઘોડાપૂર કોઝવે ઉપરથી પાણી ઓવરફ્લો થતા ચમારડી અને’ ચરખાનો રસ્તો બંધ થયો હતો. તળાજા:’ આજે પણ તળાજા શહેરમાં બપોરના સમયે મધ્યમધારે લગભગ અડધો કલાક વરસાદ વરસી ગયો. જો કે, કેટલાક ઉતાવળિયા ખેડૂતોએ કુદરત પર ભરોસો રાખી બિયારણ વાવેલ તેમાંના કેટલાક’ ખેડૂતોને અમુક અંશે બિયારણ નિષ્ફળ ગયાના ખેડૂતો કહી રહ્યા છે.
જૂનાગઢ:’
પ્રકૃતિના ખોળે મેઘરાજા રમવા આવ્યા હોય તેમ ગિરનાર પર્વતમાળામાં મૂશળધાર સાત ઈંચ, જૂનાગઢમાં ચાર, વંથલીમાં ત્રણ ઈંચ પાણી પડતા વિલિંગ્ડન ડેમ તથા નરસિંહ સરોવર છલોછલ ભરાયા છે. સવાર સુધીમાં બંને છલકાઈ જવાની પુરી સંભાવના છે. ગિરનાર પર્વત પર ચાર કલાકમાં સાત’ ઈંચ પાણી પડતા ઝરણાઓ પૂરની માકફ વહેવા લાગ્યા હતા. શહેરમાં ચાર ઈંચ પાણી પડતા કાળવા અને સોનરખ નદીમાં પૂર આવ્યા હતા. પરિણામે નરસિંહ સરોવર છલોછલ ભરાઈ ગયું હતું. ભારે વરસાદને કારણે શહેરના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગિરનારમાં ભારે વરસાદને કારણે વિલીગ્ડન ડેમ ભરાઈ ગયો છે. કેરાળા જળાશયમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે ડેમની જળ સપાટીમાં ઝડપથી વધારો થતા બપોરે 2-30 કલાકે ઓવરફ્લો ગતા હેઠવાસના જૂનાગઢ તાલુકાના ગામો કેરાવડ, મજેવડી, તલિયાધર, વધાવી, વાલાસીમડી અને વાણદિયા તથા વંથલી તાલુકાના બાલોટ, ધંધુસર અને વંથલીના લોકોને સાવધ કરાયા છે.
શેરગઢ :
કેશોદ તાલુકાના શેરગઢ ગામમાં આજે બપોરે 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં.
પોરબંદર :
અરબી સમુદ્રના કિનારે આવેલા પોરબંદર જિલ્લામાં સવારથી જ મેઘમહેર જોવા મળી હતી. હળવા ભારે ઝાપટા બાદ બપોરથી વરસાદે જોર પકડયું હતું અને સાંજ સુધીમાં રાણાવાવ તથા કુતિયાણામાં ચાર ચાર ઈંચ વરસાદ વરસી ચુકયો છે. જ્યારે પોરબંદરમાં પણ બે ઈંચ જેટલો વરસાદ સાંજ સુધીમાં વરસ્યો છે.
ગોંડલ :
ગોંડલમાં સવારથી જ ગોરંભાયેલા આકાશ વચ્ચે ધીમીધારે પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. તાલુકાનાં મોવિયા, વાસાવડ, ગોમટા, ચોરડી સહિત ગ્રામ્ય પંથકમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો છે. ધીમી ધારે વરસેલી મેઘવર્ષા ખેતી માટે ફાયદાકારક હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.
વાંકાનેર :
આજે Dated 5/7/22 સાંજના છ વાગ્યા સુધીમાં 33 મીમી જેટલો વરસાદ પડેલ એટલે સવા 1। ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે તાલુકા પંથકમાં પણ સારો વરસાદ પડયાના વાવડ મળી રહેલ છે.
સુરત :
સુરતમાં પડી રહેલા વરસાદને પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સંભવિત આફતનો સામનો કરવા સજ્જ બની ગયું છે. રાહત અને બચાવની કામગીરી માટે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા બોટ સહિતના સાધનો સાથે એલર્ટ થઈ ગયું હોવાનું જાણવા મળે છે.
કલાણા :
અષાઢી મેઘ મહેરથી અત્ર તત્ર સર્વત્ર હરખની હેલી છવાઈ ગઈ છે. તેવી જ રીતે ધોરાજી પંથકના કલાણા, ચિચોડ, ખડીયા અને રવની જેવા ગામોમાં બપોર સુધી ઉકળાટ બાદ સાંબેલાધારે બે કલાકના ગાળામાં જ બે ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. આસપાસ વિસ્તારનાં તમામ ચેકડેમ ઓવરફલો થયા હતાં.
મોરબી:
મોરબી શહેર અને જીલ્લામાં આજે સાંજના સુમારે વરસાદ શરુ થયો હતો જેમાં મોરબી 2 સામાકાઠા વિસ્તાર મા 18 મીમી પોણો ઈચ જ્યારે મૉરબી શહેરમા 46 મીમી બે ઈચ વરસાદ નોંધાયો છે.” મોરબી નગરપાલિકા તંત્ર ચોમાસા પૂર્વે પ્રી મોન્સુન કામગીરી કરતી હોય છે જોકે કામગીરી કેવી રહે છે તે સૌ કોઈ જાણે છે અને વરસાદ વરસતા જ પાલિકાની કામગીરીની પોલ ખુલી જતી હોય છે આજે મોરબીમાં પોણો ઇંચ વરસાદ વરસતા જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા જેથી વાહનચાલકોને અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
મેંદરડા :
મેંદરડા પંથકમાં આજ સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. બપોર સુધી હળવા ઝાપટા પડયા હતાં. પરંતુ બપોરે ધોધમાર વરસવાનું ચાલુ થતાં લગભગ દોઢેક કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. માળીયાહાટીના : માળીયાહાટીનામાં આજે સવારથી વરસાદ વસતા મેઘલ નદીમાં નવા નીરની અઢળક આવક શરૂ થઈ છે. પ્રથમ વખત નદીમાં પુર આવ્યું છે. ચાર મહિનાની કોરી ધાકોડ મેઘલ નદી પાણીથી ભરાઈ ગઈ છે. આજે દોઢ ઈંચ પાણી પડયું છે. પ્રથમ વખત મેઘલ નદીમાં પૂર આવતાં લોકો ભાવવિભોર બની ગયા છે.
દામનગર :
બે દિવસના ધીમીધારે વરસાદ બાદ આજરોજ વાતાવરણમાં એકાએક પલટો આવતાં વર્ષારાણીની ધમાકેદાર એન્ટ્રી થતાં ત્રણ કલાક સુધી વરસાદ પડતાં બે ઈંચ જેટલું પાણી પડી ગયું છે. દામનગરનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા વરસાદનાં વાવડ મળેલ છે. કુંભનાથ તળાવમાં નવા નીરની આવક ધીમી ગતિએ શરૂ છે. દામનગરનાં સરદાર ચોકમાં વરસાદના નીર ભરાતા રાહતદારીઓને મુશ્કેલી પડતી હતી.
કોટડાસાંગાણી :
કોટડા સાંગાણીમાં વહેલી સવારથી અસહ્ય બફારા બાદ આજે બપોરે બે વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને સાંજે છ વાગ્યા સુધી બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. કોટડા તાલુકાના ગામોમાં સારો વરસાદ પડી ગયો છે લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગર :
જામનગર શહેર અને જિલ્લામાં આજે સવારથી સુર્યનારાયણનો આકરો તાપ રહેવા પામ્યો હતો. દરમિયાન પલટાયેલા વાતાવરણના પગલે આકાશમાં કાળા ડીંબાંગ વાદળો છવાઈ જવા પામ્યા હતાં. જેમાં આજે સાંજ સુધીમાં જામનગર શહેરનો 40 મીમી, ધ્રોલમાં 38 મીમી, જામજોધપુરમાં 9 મીમી, જોડિયામાં 18 મીમી અને લાલપુરમાં 3 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે ત્રણ જળાશયોમાં નવા પાણીની આવક નોંધાઈ છે.
ગઢડા :
ગઢડા શહેરમાં બપોરે 2 વાગ્યા પછી ભારે ગાજવીજ સાથે અચાનક મુશળધાર વરસાદ શરૂ થયો હતો. સતત બે કલાક સુધી એકસરખો વરસાદ શરૂ રહેતાં સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ વરસાદના પગલે ગઢડા’ શહેરના બોટાદ ઝાંપા, જીન નાકા, મધરપાટ વિગેરે મુખ્ય વિસ્તારો અને રસ્તો ઉપર પાણીના વહેણ શરૂ થતાં લોકોએ વરસતા વરસાદની મજા માણી હતી.
ભાવનગર :
ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં અડધાથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં આજે બપોરે ધોધમાર વરસાદ તુટી પડયો હતો અને બે ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. આજે સવારના 6 થી સાંજના છ દરમિયાન ભાવનગર શહેરમાં 42 મીમી મહુવામાં 28 મીમી તળાજામાં 14 મીમી પાલીતાણામાં 5 મીમી વલભીપુરમાં 2 મીમી, ગારીયાધાર, ઘોઘા અને સિહોરમાં એક એક મીમી વરસાદ નોંધાયો છે.
બાબરા :
બાબરા તાલુકામાં બપોર બાદ મેઘરાજાએ મોસમનું પ્રથમ અનરાધાર હેત વરસાવ્યું હોય તેમ શહેરી વિસ્તારમાં હળવો અને ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદથી નદીઓમાં પુરના પાણી ફરી વળ્યાં હતાં. મળતા સમાચાર મુજબ બાબરા શહેરમાં બે ઈંચ વરસાદ અને ઉપરવાસના ચારખા ગામના સિમ વિસ્તારમાં વધુ વરસાદથી બાબરા મધ્યમાંથી નીકળતી કાળુભાર નદીમાં પુર આવતાં શહેરીજનો પુર જોવા નીકળી પડયા હતાં. જ્યારે બાબરા તાલુકાના ગ્રામ્ય ચરખા, ચમારડી, વાંડલીયા, ધરાઈ, મોટા દેવળીયા, ઈસાપર સહિતમાં 3 થી 4 ઈંચ વરસાદી પાણી પડતાં તમામ ચેક ડેમ જળાશયો ભરાયા બાદ નદીમાં વર્ષનું પ્રથમ પૂર આવ્યું હતું.
ધ્રોલ :
ધ્રોલ ખાતે આજે Dated 5/7/22, સાંજે 4 થી 6 વાગ્યા સુધીના બે કલાકમાં 1।। ઈંચ’ (38 મીમી) વરસાદ નોંધાયેલ છે. આજરોજના વરસાદને કારણે ધ્રોલ શહેરનાં જોડીયા રોડ, મેમણ ચોક, નંદનવન સોસાયટી, વૃંદાવન સોસાયટીઓમાં 1।। થી 2 ફુટ જેટલા પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર તેમ લત્તાવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.
ભાટિયા :
ભાટિયામાં આજે બપોરથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે પવન ગાજવીજ સાથે સાંજ સુધીમાં ત્રણ ઈંચ જેટલો આજનો પણ વરસાદ નોંધાતા છેલ્લા ચોવીસ કલાકમાં છ ઈંચ વરસાદ પડી જતાં ગામના મુખ્ય માર્ગો -ગલ્લીઓમાં ઠેર ઠેર પાણી પાણી દેખાતું હતું.
પાંચ દિવસ દ્વારકા-પોરબંદર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ 5ડવાની સંભાવના છે તેમજ આજથી તા. 10 જુલાઈ સુધી દ્વારકા, પોરબંદર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ છે, એમ હવામાન વિભાગના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું. ગાંધીનગરમાં આજે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં રાહત કમિશ્નરે આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.’ આ બેઠકમાં રાહત કમિશનરે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને ડીપ્લોય કરવા માટે ચર્ચા હાથ ધરી હતી. જેમાં રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ કચ્છ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ ડીપ્લોય કરવા સૂચના આપી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા સહિતની ૩૦૦ જેટલી સરકારી યોજનાના કામના વેતનની શ્રમિકોને કરાતી ચૂકવણી તેમના સહકારી બેન્કોના ખાતામાં પણ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતની ૨૩૦ પ્લસ સહકારી બેન્કોને તેનાથી ફાયદો થશે. માત્ર ગુજરાત નહિ, સમગ્ર દેશના તમામ રાજ્યોની સહકારી બેન્કોને તેનાથી ફાયદો થશે. ગુજરાતની ૧૭ જિલ્લા સહકારી બેન્કો અને ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેન્કને પણ તેનો ફાયદો મળશે. અત્યાર સુધી રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કો મારફતે જ કેન્દ્ર સરકારની સબસિડીની કે પછી અન્ય યોજનાઓ થકી મળતા ખેડૂતો અને શ્રમિકોને મળતા લાભના નાણાં ખેડૂતોના ખાતામાં જમા થશે.
ખેડૂતોને સબસિડીના નાણાં પણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ જ અપાય છે. આ રીતે કેન્દ્ર સરકારની જુદી જુદી ૩૦૦ યોજનાના નાણાં ડાયરેક્ટ ટ્રાન્સફર ઓફ બેનિફિટની સ્કીમ હેઠળ સીધા બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફરકરવામાં આવે છે. મનરેગા જેવી યોજનાના મહેનતાણાના નાણાં પણ સહકારી બેન્કોના ખાતામાં જમા થઈ શકશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આ નિર્દેશ આપ્યો છે. આ યોજનાને સહકારી બેન્કો સાથે જોડી દઈને સહકારી બેન્કો અને પ્રજા વચ્ચેનો નાતો વધુ સંગીન બનાવવાની નેમથી આ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેન્કના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવનારા આ પગલાંને પરિણામે સહકારી બેન્કોની આર્થિક સદ્ધરતામાં ખાસ્સો વધારો થશે. અમિત શાહની પ્રસ્તુત જાહેરાત અંગે વાત કરતાં ખેતી બેન્કના ચેરમેન ડૉલર કોટેચાએ જણાવ્યું હતું કે આ આયોજનના અમલીકરણ થકી સહકારી બેન્કો સમાજના નાના વર્ગના ખાતેદારોની સારી સેવા કરી શકશે. સમાજના નાનામાં નાના વર્ગના નાગરિકનો સહકારી બેન્કોમાંનો વિશ્વાસ વધુ બુલંદ બનશે. સહકારી બેન્કોના ફેડરેશનના પ્રમુખ જ્યોતિન્દ્ર મહેતાનું કહેવું છે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના નાણાં સહકારી બેન્કના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવશે તો તેને પરિણામે સહકારી બેન્કોમાં ખાતાની સંખ્યા વધી જશે. તેમના ખાતામાં જમા થનારા નાણાંઓને કારણે સહકારી બેન્કોની થાપણોમાં અને ખાસ કરીને ઓછા વ્યાજની થાપણોમાં વધારો થશે.
તેનાથી થનારા લાભની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે સહકારી બેન્કોને મળનારી વધારાની થાપણનો ઉપયોગ કરીને બેન્કો વધારાનું ધિરાણ કરીને નફો પણ વધારી શકશે. પરિણામે સહકારી બેન્કોની આવક અને આર્થિક તન્દુરસ્તીમાં સુધારો થશે.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર નરહરિ સીતારામ જિરવાલે શિંદેના જૂથ દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવને ફગાવી દીધો છે. જાણવા મળ્યા મુજબ કોઈ અનામી ઈ-મેઈલના માધ્યમથી અવિશ્વાસનો આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. કોઈ પણ ધારાસભ્યએ તે પ્રસ્તાવને કાર્યાલયમાં જમા નહોતો કરાવ્યો. શિંદે જૂથના અવિશ્વાસ પ્રસ્તાવવાળા પત્ર પર કોઈ મૂળ હસ્તાક્ષર નહોતા.
અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દેવા પાછળ ધારાસભ્યોના હસ્તાક્ષર અસલી ન હોવાનું કારણ આપવામાં આવ્યું છે. સાથે જ તેને શિવસેનાના લેટરહેડ પર મોકલવામાં આવ્યો હતો. જ્યારે વિધાનસભાના રેકોર્ડ પ્રમાણે શિવસેના ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરી છે, એકનાથ શિંદે નહીં. તેવામાં શિંદે જૂથ હવે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીમાં છે.
ડેપ્યુટી સ્પીકરે ઉદ્ધવ ઠાકરેના જૂથ દ્વારા આપવામાં આવેલી અયોગ્યતા અરજી પર શિવસેનાના 16 બાગી ધારાસભ્યોને નોટિસ પાઠવી છે. નોટિસ મોકલવામાં આવી તે ધારાસભ્યોએ સોમવાર સાંજના 5:00 વાગ્યા સુધીમાં તે નોટિસનો જવાબ આપવાનો રહેશે.
શિવસેના ભવન ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં તબિયત ખરાબ હોવા છતાં પણ ઉદ્ધવ ઠાકરેએ મોરચો સંભાળ્યો છે. આ તરફ શિવસૈનિકોના બાગી ધારાસભ્યોના કાર્યાલયોમાં તોડફોડને પગલે પોલીસે મુંબઈમાં કલમ 144 લાગુ કરી દીધી છે.
રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે વિપક્ષ પછી હવે ભાજપના નેતૃત્વમાં એનડીએએ પણ તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારની પસંદગી માટે મંગળવારે નવી દિલ્હીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી પક્ષપ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે, ઝારખંડના ભૂતપૂર્વ ગવર્નર અને આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂ એનડીએ તરફથી રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર હશે. સંસદીય બોર્ડની બેઠકમાં અંદાજે ૨૦ નામો પર ચર્ચા થઈ હતી અને દ્રૌપદી મુર્મૂના નામ પર સંમતી સધાઈ હતી.
ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂનું નામ અગાઉ પણ રાષ્ટ્રપતિપદના ઉમેદવારની રેસમાં ચર્ચાયું હતું. જેપી નડ્ડાએ કહ્યું કે, દેશને પહેલી વખત આદિવાસી સમાજમાંથી એક રાષ્ટ્રપતિ આપવાની પક્ષની તૈયારી છે. આ વખતે પૂર્વીય ભારતમાંથી કોઈને તક આપવા અંગે સંસદીય બોર્ડમાં સહમતી બની હતી. અમે એ અંગે પણ વિચાર કર્યો કે દેશને હજી સુધી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળ્યા નથી. એવામાં બેઠક પછી દ્રૌપદી મુર્મૂના નામ પર બેઠકમાં સર્વસંમતી સધાઈ હતી.
મુર્મૂ રાષ્ટ્રપતિપદની ચૂંટણી જીતી જશે તો ભારતના ઈતિહાસમાં તેઓ પહેલાં આદિવાસી રાષ્ટ્રપતિ બનશે. ઉપરાંત તેઓ ચૂંટણી જીતી જાય તો પ્રતિભા પાટિલ પછી દેશનાં બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. દ્રૌપદી મુર્મૂ ઝારખંડનાં પહેલા મહિલા ગવર્નર હતા. તેઓ ઓડિશાનાં પહેલા એવા મહિલા આદિવાસી નેતા છે, જેમને કોઈ રાજ્યમાં ગવર્નર બનાવાયા હોય અને તેમણે કાર્યકાળ પૂરો કર્યો હતો.
દ્રૌપદી મુર્મૂનું જીવન ઘણું જ સંઘર્ષમય રહ્યું છે. તેઓ એક અત્યંત ગરીબ આદિવાસી પરિવારમાં પેદા થયાં હતા. તેમણે રૈરંગપુરના શ્રી અરબિંદો ઈન્ટિગ્રલ એજ્યુકેશન સેન્ટરમાં પગાર વિના જ શિક્ષિકા તરીકે કામ કર્યું હતું. તેમણે રાજકીય કારકિર્દી રૈરંગપુર એનએસીના વાઈસ ચેરમેન તરીકે શરૃ કરી હતી. તેમને ઓડિશા વિધાનસભામાં ૨૦૦૭માં સર્વશ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે નીલકંઠ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
ભાજપ સમર્થિત એનડીએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેના ઈલેક્ટોરલ કોલેજમાં ૪૮ ટકાથી વધુ વોટ શૅર ધરાવે છે અને તેના ઉમેદવારને વિપક્ષના ઉમેદવાર કરતાં સ્પષ્ટ લાભ મળશે. નવી દિલ્હીમાં મંગળવારે મોડી સાંજે વડાપ્રધાન મોદી, પક્ષ પ્રમુખ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળી હતી, જેમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ૨૦ જેટલા નામોની ચર્ચા થઈ હતી.
વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૪મી જુલાઈએ પૂરો થઈ રહ્યો છે ત્યારે વિપક્ષે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે યશવંત સિંહાને મેદાનમાં ઉતારતા ૧૮મી જુલાઈએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાશે. મતગણતરી ૨૧મી જુલાઈએ થશે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ ૨૯ જૂન છે.
કેન્દ્ર સરકારે સૈન્યમાં રજૂ કરેલી નવી ભરતી યોજના ‘અગ્નિપથ’નો વિરોધ વધી રહ્યો છે અને સરકાર પર યોજના પાછી ખેંચવા દબાણ થઈ રહ્યું છે. એવા સમયમાં રવિવારે કેન્દ્ર સરકારે ધરાર જણાવી દીધું છે કે અગ્નિપથ યોજના કોઈપણ સંજોગોમાં પાછી ખેંચવામાં નહીં આવે. ઉલટાનું સૈન્યની ત્રણેય પાંખે રવિવારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. સૈન્યની ત્રણેય પાંખના પ્રમુખોએ રવિવારે આ સંદર્ભમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયાના કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાહેર કરી હતી. વધુમાં સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે સૈન્યમાં હવે અગ્નિપથ યોજના હેઠળ જ ભરતી હાથ ધરવામાં આવશે.
અગ્નિપથ યોજના સામે ચાલતા વિરોધ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે સૈન્યની ત્રણેય પાંખના પ્રમુખો સાથે બેઠક કરી હતી. ત્યાર પછી ત્રણેય પ્રમુખોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં સૈન્ય બાબતોના વિભાગના અધિક સચિવ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ ત્રણ બાબતો સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે એક તો કોઈપણ સંજોગોમાં આ યોજના પાછી નહીં ખેંચાય. બીજું અગ્નિપથ યોજનાના વિરોધમાં હિંસામાં સામેલ યુવાનોને ભરતીમાં તક નહીં મળે. ત્રીજું યોજનામાં યુવાનોની ચિંતાઓને ધ્યાનમાં રાખતા જે ફેરફાર કરાયા છે તે દબાણ હેઠળ નહીં, પરંતુ અગાઉથી જ નિશ્ચિત હતા.
1989થી આ યોજના રજૂ કરવાની કવાયત હાથ ધરાઈ હતી
જનરલ અનિલ પુરીએ કહ્યું કે, સૈન્યમાં આ સુધારો લાંબા સમયથી લાવવાની તૈયારી ચાલી રહી હતી. આ સ્કીમની માગ વર્ષ ૧૯૮૯માં કરાઈ હતી. સૈન્યમાં ભરતી માટે સૌથી પહેલી જરૂરિયાત શિસ્ત હોય છે, તેથી યુવાનોએ શાંત થઈને આ યોજનાને સમજવાની જરૂર છે. અમે કારગીલ સમીક્ષા સમિતિ અને અરૂણ સિંહ સમિતિના રિપોર્ટની ભલામણો મુજબ સૈન્યમાં વય પ્રોફાઈલ ઘટાડવા માગતા હતા. હાલમાં સરેરાશ વય ૩૨ વર્ષ છે. હવે આર્મીમાં બધી જ ભરતી આ સ્કીમ હેઠળ થશે.
આર્મીમાં અગ્નિવીરોની બીજી બેચ ફેબુ્રઆરીમાં સૈન્યમાં જોડાશે
લેફ. જન. બંસી પોનપ્પાએ કહ્યું કે, આર્મી સોમવારે જાહેરનામું બહાર પાડશે. ત્યાર પછી ૧લી જુલાઈ સુધીમાં વિવિધ ભરતી યુનિટ્સના જાહેરનામા આવશે. અગ્નિપથ યોજના હેઠળ અંદાજે ૪૦,૦૦૦ અગ્નિવીરોની ભરતી માટે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઑક્ટોબરમાં સમગ્ર દેશમાં ૮૩ રેલીઓ યોજવામાં આવશે. અગ્નિવીરોની બીજી બેચ આગામી વર્ષે ફેબુ્રઆરી સુધીમાં સૈન્યમાં જોડાઈ જશે. અંદાજે ૨૫,૦૦૦ અગ્નિવીરોની પહેલી બેચ ડિસેમ્બર સુધીમાં સૈન્યમાં જોડાઈ જશે.
એરફોર્સમાં ડિસે.માં અગ્નિવીરોની પહેલી બેચ
એરમાર્શલ એસ. કે. ઝાએ કહ્યું કે, એરફોર્સમાં અગ્નિપથની પહેલી બેચ માટે ૨૪મી જૂનથી રજિસ્ટ્રેશન શરૂ કરાશે. એક મહિના પછી ૨૪ જુલાઈથી ઓનલાઈન પરિક્ષા શરૂ કરાશે. અગ્નિવીરોની પહેલી બેચ ડિસેમ્બરમાં સામેલ કરાશે, ૩૦મી ડિસેમ્બરથી અગ્નિવીરોની તાલિમ શરૂ થઈ જશે. અગ્નિવીરોની સેવા શરતો નિયમિત સૈનિકો જેવી જ હશે.
જનરલ પુરીએ જણાવ્યું કે, ભારતીય સૈન્યનો પાયો શિસ્ત છે. આર્મીમાં આગજની, તોડફોડ અને હિંસા માટે કોઈ જગ્યા નથી. અગ્નિપથ યોજના સામે દેશભરમાં થઈ રહેલા વિરોધ અંગે તેમણે કહ્યું કે, પ્રત્યેક અગ્નિવીરે માત્ર અગ્નિપથ જ નહીં કોઈપણ હિંસક આંદોલનમાં સામેલ નહોતા તેવું સોગંદનામું આપવું પડશે. કોઈની સામે એફઆઈઆર થઈ હોવાનું જણાશે તો તે આ યોજના હેઠળ સૈન્યમાં જોડાઈ શકશે નહીં.
આર્મીમાં નજીકના સમયમાં અગ્નિવીરોની સંખ્યા 1.25 લાખ થશે
જનરલ અનિલ પુરીએ કહ્યું કે અમે પાયાના સ્તરે ક્ષમતા નિર્માણ કરવા અને યોજનાનું વિશ્લેષણ કરવા માટે આ વર્ષે ૪૬,૦૦૦ અગ્નિવીરોની ભરતી સાથે શરૂઆત કરીશું. આગામી ૪-૫ વર્ષોમાં અગ્નિવીરોની સંખ્યા ૫૦ હજારથી ૬૦ હજાર થઈ જશે અને ત્યાર પછી વધીને ૧.૨૫ લાખ સુધી થઈ જશે.
રાજ્યોની પોલીસમાં અગ્નિવીરોને અગ્રતાની જાહેરાત
અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલા દેખાવો વચ્ચે અસમ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટક જેવા અનેક રાજ્યોએ પોલીસમાં અગ્નિવીરોને અગ્રતા આપવાની જાહેરાત કરી છે.
અગ્નિપથ યોજના મુદ્દે કેન્દ્રના આકરા પગલાં
ફેક ન્યૂઝ ફેલાવતા 35 વોટ્સએપ ગૂ્રપ પર પ્રતિબંધ, 10ની ધરપકડ
અગ્નિપથ યોજના અંગે દેશના અનેક રાજ્યોમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે ત્યારે સરકારે આ યોજના અંગે યુવાનોની શંકાઓનું સમાધાન કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. બીજીબાજુ આ યોજના અંગે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવતા લોકો સામે પણ સરકારે આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. અગ્નિપથ યોજના અંગે નકલી સમાચારો અને ભ્રામક માહિતી ફેલાવવા બદલ સરકારે વોટ્સઅપના ૩૫ ગૂ્રપો પર પ્રતિબંધ મૂકી દીધો છે. વધુમાં આ યોજના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરનારા અને દુર્ભાવનાપૂર્ણ ખોટી માહિતી ફેલાવવાના આરોપમાં ૧૦ લોકોની ધરપકડ પણ કરાઈ છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પોલીસે યુવાનોને ઉશ્કેરનારા પાંચ લોકોની ધરપકડ કરી હતી.
દેશના યુવાનોમાં આક્રોશ વચ્ચે ભાજપ નેતાનો બફાટ
અગ્નિવીરોને ભાજપ ઓફિસમાં ગાર્ડ માટે પ્રાથમિક્તા અપાશે : વિજયવર્ગીય
કેન્દ્ર સરકારે સૈન્યમાં ભરતી માટે રજૂ કરેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં દેશભરમાં યુવાનોમાં આક્રોશ ફેલાયો છે અને ઠેરઠેર દેખાવો થઈ રહ્યા છે. આવા સમયમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના નિવેદને આ આક્રોશની આગમાં ઘી નાંખવાનું કામ કર્યું છે. વિજયવર્ગીયના નિવેદનને દેશના જવાનો માટે અપમાનજનક ગણાવાઈ રહ્યું છે.
અગ્નિપથ યોજના અંગે દેશભરમાં વિરોધ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહેતા જણાય છે કે તેમને ભાજપ ઓફિસમાં સિક્યોરિટી રાખવી હશે તો તેઓ અગ્નિવીરોને પ્રાથમિક્તા આપશે. તેઓ ઈન્દોરમાં અગ્નિપથ યોજનાની વિશેષતાઓ અંગે કાર્યકરોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે તેમણે આ નિવેદન આપ્યું હતું. જોકે, આ નિવેદનના પગલે તેમની સામે પક્ષમાંથી જ અને રાજકીય સ્તરે ભારે વિરોધ થઈ રહ્યો છે.
ભાજપના સાંસદ વરુણ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસે આ મુદ્દે વિજયવર્ગીયને ઘેરી લીધા છે. વિજયવર્ગીયને જવાબ આપતા કોંગ્રેસે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અગ્નિપથ અંગે બધી જ શંકાઓ દૂર કરી દીધી. ભાજપના કૈલાશ વિજયવર્ગીયે. આ સત્યાગ્રહ આ માનસિક્તાના વિરોધમાં છે.’ વરુણ ગાંધીએ ટ્વિટર પર વીડિયો શૅર કરતા કહ્યું, ‘જે મહાન સેનાની વીર ગાથાઓ કહેવામાં આખો શબ્દકોશ અસમર્થ હોય, જેના પરાક્રમના ડંકા આખા વિશ્વમાં ગુંજતા હોય, તે ભારતીય સૈનિકને કોઈ રાજકીય ઓફિસની ‘ચોકીદારી’ કરવાનું આમંત્રણ. તેને આપનારને જ મુબારક. ભારતીય સૈન્ય માં ભારતીની સેવાનું માધ્યમ છે, માત્ર એક ‘નોકરી’ નહીં.’
જોકે, આ અંગે વિવાદ વધતા કૈલાશ વિજયવર્ગીયે તુરંત ખુલાસો આપતા કહ્યું, અગ્નિપથ યોજનાથી નીકળનારા અગ્નિવીરો નિશ્ચિતરૂપે તાલિમબદ્ધ અને કર્તવ્ય પ્રત્યે કટિબદ્ધ હશે, સૈન્યમાં સેવાકાળ પૂરો કર્યા પછી તેઓ જે પણ ક્ષેત્રમાં જશે ત્યાં તેમની ઉત્કૃષ્ટતાનો ઉપયોગ થશે. મારો આશય માત્ર એટલો જ હતો. અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું, ટૂલકિટ સાથે સંકળાયેલા લોકો મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરીને કર્મવીરોનું અપમાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રાજકોટના એસસીએ સ્ટેડિયમની બેટિંગ પેરાડાઇઝ પીચ પર 17/6/22, શુક્રવારે ભારતીય ટીમનો પ્રવાસી દક્ષિણ આફ્રિકા સામે કરો યા મરો મુકાબલો થશે. પાંચ મેચની ટી-20 શ્રેણીનો ત્રીજો મેચ જીતીને ટીમ ઇન્ડિયાએ શ્રેણી જીવંત રાખી છે. ઋષભ પંતની ટીમની નજર હવે રાજકોટમાં ચોથો મેચ જીતીને શ્રેણી 2-2ની બરાબરી પર લાવી દેવા પર છે. બીજી તરફ દ. આફ્રિકાની ટીમ પાછલી હાર ભૂલીને શ્રેણી 3-1ની અતૂટ સરસાઈથી ગજવે કરવાના ઇરાદે મેદાને પડશે. જો કે આવતીકાલ શુક્રવારે રમાનાર આ મેચમાં વરસાદનું સંકટ ઝળુંબી રહ્યંy છે. પ્રવાસી ટીમ આફ્રિકા માટે સારી વાત એ છે કે તેના અનુભવી વિકેટકીપર કિવંટન ડિ’કોકની રાજકોટના મેચમાં વાપસી થશે. તે ઇજામાંથી બહાર આવી ગયો છે.
બીજી તરફ ભારતીય ટીમ માટે ચિંતાનું કારણ તેના કપ્તાન ઋષભ પંતનું ખરાબ ફોર્મ છે. ટીકાકારોને જવાબ આપવા પંતે ખંઢેરીનાં મેદાન પર એક આતશી ઇનિંગ રમવી પડશે. ચોથા મેચમાં તેની પાસે મોકો બની રહેશે, કારણ કે રાજકોટની પીચે હંમેશાં બેટધરોનો સાથ આપ્યો છે. આથી રાજકોટના મેચમાં પહેલો દાવ લેનાર ટીમ 200 આસપાસનો સ્કોર કરવાનું લક્ષ્ય રાખશે. જો વરસાદ ન પડે અને શુક્રવારે બપોર બાદ ઉઘાડ હશે તો રાજકોટના મેચમાં રમઝટ બોલશે તે નિશ્ચિત છે. રાજકોટની પીચ આક્રમક બેટધરો માટે વધુ અનુકુળ છે. આથી ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડયા અને દિનેશ કાર્તિક પાસેથી સ્થાનિક ચાહકોને ધૂંઆધાર ઇનિંગની આશા રહેશે જ્યારે ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન પાસેથી ઘાતક બોલિંગની આશા રહેશે. રાજકોટના મેચમાં સ્પીડસ્ટાર ઉમરાન મલિકને ટીમ ઇન્ડિયા તરફથી ડેબ્યૂની તક મળશે તેવી શકયતા છે, કારણ કે આવશે ખાન વિકેટ લઈ રહ્યો નથી.
આફ્રિકાએ ત્રીજા મેચની ખરાબ બોલિંગ, ફિલ્ડિંગ અને બેટિંગ ભૂલીને હલ્લાબોલ કરવું પડશે. જેનો સામનો કરવા ટીમ ઇન્ડિયાએ પણ કમર કસી લીધી છે. શ્રેણીમાં હજુ સુધી બન્ને ટીમના સ્પિનરો સારો દેખાવ કરી શકયા નથી. જો કે રાજકોટની પીચ પ્રમાણમાં ધીમી છે. આથી અહીં સ્પિનરોને સફળતા મળવાની સંભાવાના છે.
તા.13મી જૂન, સોમવારે સવારે એશિયન શેરબજારમાં ભારે વેચવાલી વચ્ચે ભારતીય શેરબજારના ઇન્ડેક્ષ, સેન્સેક્સ 1100થી વધુ અંકોના કડાકે ખુલ્યાં બાદ 10 કલાકે ઈન્ડેકસ 1450 ઘટીને 52,800 અને નિફ્ટી 458 પોઇન્ટ ઘટી 15,742ની સપાટીએ પટકાયા છે.
આજે 13મી જૂને બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરમાંથી માત્ર એક જ HULનો શેર 0.15% જ અપ છે બાકી તમામ 29 શેર ઘટીને કામકાજ કરી રહ્યાં છે. નિફટીના 50માંથી 3 શેર સામાન્ય સુધારો દર્શાવી રહ્યાં છે. બજારને આજે નીચે ધકેલવાનું કામ બેંકિંગ શેર, IT શેર અને બજાજ બંધુઓ કરી રહ્યાં છે. સેન્સેક્સના કડાકામાં 226 અંકોનો ફાળો રિલાયન્સનો તો ICICI બેંક 185 અંક અને ઈન્ફોસિસ 150 અંકનું યોગદાન આપી રહ્યાં છે.
આજના સત્રમાં સૌથી વધુ ઘટાડો બજાજ ફિનસર્વ અને બજાજ ફાઈનાન્સના શેરમાં જોવા મળી રહ્યો છે. આ સિવાય ICICI બેંક પણ 4.25%થી વધુ ગગડ્યો છે.
આજના સત્રમાં બ્રોડર માર્કેટમાં પણ નોંધપાત્ર વેચવાલી જોવા મળી રહી છે. 1:4ના એડવાન્સ ડિક્લાઈન રેશિયો સાથે મિડકેપ-સ્મોલકેપ ઈન્ડેકસ પણ 2.25% તૂટ્યાં છે. બીએસઈ ખાતે બંને ઈન્ડેક્સ અનુક્રમે 22,000 અને 25,200ના લેવલે કામકાજ કરી રહ્યાં છે. બીએસઈ ખાતે 518 વધનારા શેરની સામે 2453 શેર ઘટીને કામકાજ કરી રહ્યાં છે તો 125 શેરમાં કોઈ ફેરફાર નથી.
આજના સત્રમાં 190 શેરમાં લોઅર સર્કિટ તો 139 શેરમાં અપર સર્કિટ છે પરંતુ 50 શેરમાં 52 સપ્તાહની ટોચ જોવા મળી છે તો 147 શેરમાં 52 સપ્તાહનું તળિયું જોવા મળી રહ્યું છે.
બજારમાં ફુગાવા ઉપરાંત સ્ટેગફ્લેશનની દહેશત જોવા મળી રહી છે. આ સ્થિતિમાં ફુગાવો સતત વધતો રહે અને આર્થિક વિકાસ ઘટે જેના કારણે કંપનીઓની કમાણી ઘટે એવી ચિંતા જોવા મળી રહી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.