ટોક્યો ઓલમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની પુરૂષોની જેવલિન થ્રો ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. નીરજે ચોથા પ્રયત્નમાં 88.13 મીટરના પોતાના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ પોતાની ઝોળીમાં મેળવ્યો છે.
નીરજ ચોપરાના કારણે 19 વર્ષ બાદ કોઈ ભારતીયને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ મળ્યો છે. અગાઉ 2003માં અંજૂ બોબી જોર્જે મહિલા લોન્ગ જંપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
નીરજ ચોપરાની પહેલી એટેમ્ટ ફાઉલ રહી હતી જ્યારે બીજી એટેમ્પ્ટમાં તેમણે 82.39 મીટરનો થ્રો કર્યો હતો. જોકે તે તેમના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી ઘણું દૂર હતું. બીજી બાજુ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે પ્રથમ એટેમ્પ્ટમાં જ 90 મીટર પાર કરી લીધા હતા. તેમણે સતત 3 એટેમ્પ્ટમાં 90.46, 90.21 અને 90.46 મીટરનો થ્રો કરીને પોતાનો મેડલ લગભગ પાક્કો કરી લીધો હતો.
નીરજે ત્રીજી એટેમ્પ્ટ દરમિયાન પોતાના પ્રદર્શનમાં સુધારો કર્યો હતો અને 86.37 મીટરના થ્રો સાથે ચોથા નંબરે પહોંચી ગયા હતા. ભારતીય સ્ટાર નીરજે ચોથા રાઉન્ડમાં 88.13 મીટનરો થ્રો કરીને બીજો નંબર મેળવ્યો છે. નીરજનું આ પ્રદર્શન ઓલમ્પિક કરતાં પણ શાનદાર રહ્યું. ઓલમ્પિકમાં નીરજે 87.58 મીટરના જેવલિન થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
અમેરિકાના યુજીન ખાતે રમાયેલી ચેમ્પિયનશિપની ફાઈનલમાં નીરજે સિલ્વર મેડલ પર નિશાન સાધ્યું છે. જ્યારે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. નીરજ ચોપરા ઉપરાંત રોહિત યાદવ પણ આ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઉતર્યા હતા. જોકે તેઓ 10મા નંબર પર રહીને ફાઈનલમાં મેડલની રેસમાંથી બહાર થયા હતા.
નીરજના 3 થ્રો રહ્યા ફાઉલ
પહેલો થ્રો- ફાઉલ
બીજો થ્રો- 82.39 મીટર
ત્રીજો થ્રો- 86.37 મીટર
ચોથો થ્રો- 88.13 મીટર
પાંચમો થ્રો- ફાઉલ
છઠ્ઠો થ્રો- ફાઉલ
એન્ડરસને 90.54 સાથે જીત્યો ગોલ્ડ
એન્ડરસન પીટર્સે ફાઈનલમાં શરૂઆતના 2 થ્રો સતત 90થી વધુ મીટર સુધીના કર્યા હતા. આ સાથે જ તેણે ફાઈનલમાં 90.54 મીટરના બેસ્ટ થ્રો સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ફાઈનલમાં નીરજના સાથે અન્ય એક ભારતીય રોહિત યાદવ હતા. તેઓ શરૂઆતના 3 થ્રો બાદ ટોપ-8માં સ્થાન નહોતા મેળવી શક્યા અને મેડલની રેસમાંથી બહાર થઈ ગયા હતા.
ભારતીય ટીમે વેસ્ટઈન્ડીઝ પ્રવાસમાં વિજય સાથે રમતની મહેફિલનો આરંભ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ 3 મેચની વનડે સીરિઝના પહેલા મુકાબલામાં વેસ્ટઈન્ડીઝને 3 રનથી હરાવ્યું છે. આ વિજયના મુખ્ય હીરો શિખર ધવનથી વધુ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને વિકેટકીપર સંજૂ સેમસન પણ છે.
97 રનની ઈનિંગ બાદ ધવન પ્લેયર ઓફ ધ મેચ તરીકે ઉભરી આવ્યા હતા. પરંતુ સિરાજે છેલ્લી ઓવરમાં વિન્ડીઝ ટીમને જીતવા માટે 15 રન નહોતા કરવા દીધા અને મેચ પલટી દીધી હતી. અંતિમ ઓવરમાં સેમસને પણ શાનદાર ડાઈવ લગાવીને 4 રન બનાવ્યા હતા. જો સેમસન એમ ન કરી શકેત તો મેચ હાથમાંથી નીકળી જાત.
મેચમાં 309 રનના ટાર્ગેટનો પીછો કરીને વિન્ડીઝ ટીમે 49 ઓવરમાં 6 વિકેટમાં 294 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 15 રનની જરૂર હતી અને ક્રીઝ પર રોમારિયો શેફર્ટ 31 તથા અકીલ હુસૈન 32 રન બનાવીને રમી રહ્યા હતા.
સંજૂએ ડાઈવ મારીને મેચ બચાવી
ત્યારે અંતિમ ઓવર લઈને આવેલા મોહમ્મદ સિરાજે માત્ર 11 રન બનાવવા દીધા હતા. સિરાજની તે ઓવરમાં માત્ર એક જ બાઉન્ડ્રી (4) લાગી હતી જે શેફર્ટે લગાવી હતી. જોકે જોવા જેવી વાત એ છે કે, વિન્ડીઝ ટીમને અંતિમ 2 બોલમાં 8 રનની જરૂર હતી. ત્યારે શેફર્ડ રણનીતિ પ્રમાણે લેગ સાઈડમાં વધુ પડતું પાછળ રહીને રમી રહ્યા હતા. તે સમયે સિરાજે શેફર્ડને ફોલો કરીને પગ તરફ બોલ નાખ્યો હતો પરંતુ તે વધુ પડતો લેડ સાઈડ જતો રહ્યો હતો.
આ કારણે બોલ વાઈડ થઈ ગયો અને ચોગ્ગા માટે જવાનો જ હતો કે, વિકેટકીપર સંજૂ સેમસને પોતાની પૂરી તાકાત લગાવીને ડાઈવ મારી હતી. સંજૂએ પોતાની સ્ટ્રેચનો પરચો બતાવીને બોલને ઝડપી લીધો હતો અને વિન્ડીઝને વાઈડનો માત્ર એક જ રન મળી શક્યો હતો. જો તે 4 જાત તો તેમને 5 રન મળી જાત.. તેવામાં પછી અંતિમ 2 બોલમાં જીતવા માટે માત્ર 3 જ રનની જરૂર રહેત પરંતુ સંજુએ 4ને રોકીને મેચ પોતાની કરી લીધી.
સેન્ટ્રલ બોર્ડ દ્વારા આજે ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસના વિદ્યાર્થીઓનું પરીણામ ઘોષિત કરવામાં આવ્યું હતું. સુરતની 40થી વધુ સ્કુલોનું પરીણામ સરેરાશ 95 ટકાથી 100 ટકા વચ્ચે રહ્યું છે. ધો.12નું પરીણામ જાહેર થયું હોવા છતાં વિદ્યાર્થીઓમાં કોઇ ખાસ ઉત્સાહ જોવા મળ્યો ન હતો, કેમકે ધો.12ના પરીણામથી ઇચ્છીત કોલેજ કે કોર્સમાં પ્રવેશ મળવાનો નથી, સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓની નજર નીટ, જેઇઇ કે આઇપી મેટ જેવી પ્રવેશ પરીક્ષાઓના પરીણામ પર ટકી હોવાનું જાણવા મળ્યું હતું.
ચાલુ વર્ષે ફેઝ-1 અને ફેઝ-2 એમ બે તબક્કામાં ધો.10 અને ધો.12 બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા લેનાર સેન્ટ્રલ બોર્ડ (સીબીએસઇ)એ આજે ધો.12નું પરીણામ જાહેર કર્યું હતું. સમગ્ર દેશમાંથી કુલ 14 લાખ 35 હજાર 366 વિદ્યાર્થીઓએ સેન્ટ્રલ બોર્ડમાંથી સાયન્સ, આર્ટસ, કોમર્સ પ્રવાહની પરીક્ષા આપી હતી, આજે જાહેર કરાયેલા પરીણામમાં કુલ 13 લાખ 30 હજાર 662 વિદ્યાર્થીઓને પાસ જાહેર કરાયા છે. સમગ્ર દેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે સેન્ટ્રલ બોર્ડે ધો.12ના વિદ્યાર્થીઓને ખોબલે ખોબલે માર્કસ આપ્યા અને એટલે જ ધો.12નું ઓવરઓલ પરીણામ 92.71 ટકા જેટલું વિશાળ આવ્યું છે. સુરત-ગુજરાત જેમાં આવે છે એ સેન્ટ્રલ બોર્ડના અજમેર રિજિયનનું પરીણામ તો નેશનલ એવરેજ કરતા પણ વધુ 96 ટકા આવ્યું છે.
ભારતમાં આકસ્મિક કહો કે કોઈ કોન્સપીરન્સી કહો, છેલ્લા બે મહિનામાં અને ખાસ કરીને છેલ્લા બે સપ્તાહમાં વિમાનોમાં ટેક્નિકલ ખામીઓની વણજાર થઈ રહી છે. સ્પાઈસજેટનો આ ઘટનાક્રમ અટક્યો તો બાદમાં ઈન્ડિગો, એર એશિયા અને એર ઈન્ડિયા સાથે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે.
હવે આજે મળતી માહિતી પ્રમાણે GO FIRSTની વધુ એક ફલાઇટને અકસ્માત નડ્યો છે. અહેવાલ અનુસાર દિલ્હી-ગુવાહાટી જઇ રહેલી ગો-એર ફ્લાઇટની વિન્ડશિલ્ડ વચ્ચે હવામાં તિરાડ પડી ગઇ હતી. ખરાબ હવામાનને કારણે એરક્રાફ્ટ દિલ્હી પરત ન ફર્યું અને જયપુરમાં સુરક્ષિત રીતે ડાયવર્ટ કરવામાં આવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં જ આ જ ગો ફર્સ્ટ ની એરલાઇન્સ સાથે આ ત્રીજી ઘટના છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી વિમાનોમાં ઉડાન દરમિયાન અચાનક ટેકનિકલ ખામીઓ વધી ગઈ છે. સ્પાઈસજેટમાં એક મહિનામાં ઓછામાં ઓછી 8 આવી ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાક્રમને ધ્યાને રાખીને દેશના એવિએશન સેફ્ટી રેગ્યુલેટર DGCAએ સ્પોટ ચેકિંગ કર્યું અને ઘણી ખામીઓ જોવા મળી છે.
DGCA એ એરલાઈન્સને નવી સૂચના જારી કરીને કહ્યું છે કે, દરેક ફ્લાઈટ પહેલા નક્કી કરેલા નિયમોનું પાલન કરવું પડશે. એરલાઈન્સને સમસ્યાને સુધારવા માટે 28 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
– હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું હતું કે, આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે, ભલે ગમે તેટલી પોલીસ તૈનાત કરવી પડે
હરિયાણામાં ખનન માફિયાઓની બેફામતા ફરી એકવાર સામે આવી છે. જાણકારી અનુસાર, નૂહમાં ખનન માફિયાઓએ DSP પર ગાડી ચડાવી દીધી હતી. જેના કારણે DSP સુરેન્દ્ર વિશ્નોઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
જણાવવામાં આવી રહ્યું છે કે, DSP સુરેન્દ્ર વિશ્નોઈ તાવડુ ખાતે તૈનાત હતા. તેઓ તાવડુના પહાડમાં ગેરકાયદે ખનન થતું હોવાની બાતમી આધારે દરોડો પાડવા ગયા હતા. કાર્યવાહી દરમિયાન DSP સુરેન્દ્ર સિંહ વિશ્નોઈએ ખનન સ્થળ પર પથ્થર ભરેલી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેઓને ડમ્પર વડે ટક્કર મારવામાં આવી હતી અને આ કારણે DSPનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે, તેમને સવારે 11:00 વાગ્યે માઈનિંગની માહિતી મળી હતી. ત્યારબાદ તે પોતાના સ્ટાફ સાથે 11:30 વાગ્યે પહોંચી ગયા હતા. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તેમને જોઈને ખનન માફિયાઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન ડીએસપીને ટક્કર મારવામાં આવી હતી.
હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું હતું કે, આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. ભલે ગમે તેટલી પોલીસ તૈનાત કરવી પડે, અમે કોઈને બક્ષશું નહીં અને આકરી કાર્યવાહી કરશું.
આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની શોધખોળ હાથધરી હતી અને આરોપીને ઝડપી પાડેલ છે. આ ઘટના બાદ પોલીસ વિભાગમાં ફળભળાટ મચી ગયો છે. આઈજી અને નુહના એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
હરિયાણામાં ખનન માફિયાઓ દ્વારા ઉદ્ધતાઈનો આ પહેલો કિસ્સો નથી પરંતુ અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે. આ અગાઉના કિસ્સાની વાત કરવામાં આવે તો, સોનીપત ખાતે ગેરકાયદેસર ખાણકામ સાથે સંકળાયેલી ટોળકીએ સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ ટીમ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સૈનિકને માર મારીને ઘાયલ કરવામાં આવ્યો હતો અને ASIનો યુનિફોર્મ ફાડી નાખવામાં આવ્યો હતો.
ભારતીય શેરબજારોમાં ભારે ઊથલપાથલ અટકી છે ઈન્ડેક્સ સ્ટેબલ થયા છે પરંતુ ડેટ માર્કેટની મંદી અને ક્રૂડની ભારે અફરાતફરી રૂપિયા પર દબાણ સર્જી રહી છે. ભારતીય રૂપિયો મંગળવાર Dated 19/7/22ના સત્રમાં ઇતિહાસમાં પ્રથમ વખત 80ને પાર નીકળ્યો છે.
ભારતીય ચલણ સોમવારના બંધ ભાવ 79. 97ની સામે આજે Dated 19/7/22 Rs.79.98 પર ખુલ્યો હતો અને શરૂઆતી મિનિટોમાં જ રૂપિયો 80ને પાર નીકળ્યો છે.
ક્રૂડમાં ગઈકાલે જોવા મળેલ ધમાલને કારણે આજે Date 19/7/22 રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે.
સામે પક્ષે ભારતના મોંઘવારી, રાજકોષીય અને વેપાર ખાધના આંકડા સહિતના તમામ આર્થિક આંકડા નકારાત્મક આવતા અને આગામી સમયના નેગેટિવ આઉટલુક ને કારણે રૂપિયાની મંદીની ચાલ અવિરત વધતી જઈ રહી છે અને આજે સર્વકાલીન ન્યૂનતમ સ્તર 80.02 પ્રતિ યુએસ ડોલર પર પહોંચ્યો છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે એક્ઝમ્પ્ટે ગુડ્સની યાદીમાંથી કેટલીક આઈટમ્સ બહાર કાઢી નાખવાનો નિર્ણય ક્રયો તે પછી કેન્દ્રના નાણાં ખાતાએ બહાર પાડેલા નોટિફિકેશન નંબર ૬માં ખાંડ, ગોળ, દહીં, લસ્સી, છાશના અગાઉથી પેકિંગ કરી રાખીને વેચવા મૂકેલા -પ્રીપેક્ડ પેકેટ્સ પર ૫ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવાનો નિર્ણય કર્યો છે. સોમવારથી દહીં અને છાસમાં એક લિટરના પાઉચમાં રૂા. ૧૫થી ૩નો વધારો આવી જશે. તેમ જ કુદરતી મધ, પૌઆ, પફ્ડ રાઈસ પર પાંચ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
જવ, બાજરીત મકાઈ, રાઈ, ઓટ, મકાઈ, ઘઉં, મેંદો, રવો, ઉપરાંત નમકીન, ભુજિયા, સહિતના રેડી ટુ ઇટ નમકીન પર પાંચ ટકાના દરે જીએસટી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રાન્ડેડ હોય કે અનબ્રાન્ડેડ હોય પ્રીપૅક કરેલી ચીજવસ્તુઓ પર જીએસટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે દરેક ઘરમાં જતાં દૂધ પર પાંચ ટકા જીએસટી લાગુ ન કરવાનો નિર્ણય કર્યો છે.
દૂધ દોહવા માટેના મશીન પર તથા ડેરીમાં ઉપયોગમાં લેવાતી જુદી જુદી મશીનરી પર ૧૮ ટકાના દરે જીએસટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમૂલના દહીં, છાશ અને લસ્સી પર પાંચ ટકાના દરે જીએસટી લાગુ પડશે. પાંચ ટકામાંથી ૨.૫ ટકા જીએસટી અને ૨.૫ ટકા સીજીએસટીનો હિસ્સો રહેશે. આમ જીએસટીના દરેક રેટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો અડધો અડધો હિસ્સો રહેશે.
પ્રિન્ટિંગ, રાઈટિંગ અને ડ્રોઈંગની ઇન્ક પર ૧૮ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. ડ્રોઇંગ અને માર્કિંગ કરવા માટેના ઉપકરણો પરના જીએસટી ૧૮ ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ જ ચક્કુ, કાગળની કાપવાની છરી, પેન્સિલ છોલવાનો સંચો, બ્લેડ, ચમચી-કાંટો, કેક સર્વર પર ૧૮ ટકાના દરે જીએસટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પાતાળ કૂવા કે બોરમાંથી પાણી ખેંચતા ટયૂબવેલ કે ટર્બાઈન પમ્પ, સબમર્સિબલ પમ્પ, બાઇસિકલ પમ્પ પર ૧૮ટકાના દરે જીએસટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જ રીતે કટ કરેલા ડાયમંડ પર જે પા ટકા જીએસટી લેવાતો હતો તેને સ્થાને ૧.૫ ટકા જીએસટી લેવાનો નિર્ણય લેવાયો છે. તેને કારણે ડાયમંડના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની સલવાઈ રહેતી અબજો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટની સમસ્યા ઉકલી જશે, એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમ છાજેડનું કહેવું છે.
હોટલેના હાયર કેટેગરીના રૂમ પર ૧૮ ટકાના દરે જીએસટી વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે. રૂા.૧૦૦૦સુધીના દૈનિક ભાડાં લેતી હોટેલના ભાડા પર પણ ૧૨ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે.પરિણામે પર્યટકોના ખર્ચમાં વધારો થશે. એલઈડી લેમ્પ, લાઈટ અને ઇલેક્ટ્રિક ફિક્સચર્સ અને તેમની મેટલ પ્રીન્ટેડ સર્કિટ બોર્ડ પર પણ ૧૨ ટકા જીએસટી હતો તે વધારીને ૧૮ ટકાનો કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પગરખાં અને લેધરગુડ્સના મેન્યુફેક્ચરિંગ પર લેવાતો જીએસટી ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરવામાં આવ્યો છે. જોબવર્કના સંદર્ભમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શાકભાજી, ફળ, કઠોળ, અનાજના શોર્ટિંગ અને સફાઈ માટે ઉપયોગમાં લેવાતા મશીનો, પવન ચક્કી, લોટ દળવાની ઘંટી, ગ્રાઈન્ડર પર 18 ટકાના દરે જીએસટી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જીએસટીની આવકમાં ત્રણ લાખ કરોડનો વધારો થઈ શકે
કેન્દ્ર સરકારે અનિવાર્ય પણે દરેક ઘરઘરમાં વપરાતી મોટાભાગની વસ્તુઓને જીએસટીના દાયરામાં સામેલ કરી દીધી હોવાથી ૨૦૨૨-૨૩ વર્ષ દરમિયાન જીએસટીની આવકમાં અદાજે ૨.૫ લાખથી ૩ લાખ કરોડનો વધારો આવી જવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. માત્ર દૂધને જો જીએસટીના દાયરામાં સમાવી લેવામાં આવે તો એકલા ગુજરાતમાંથી ૧૨૦૦ કરોડની આસપાસનો જીએસટીનો બોજ આવતો હતો. આ દ્રષ્ટિએ દરેક રાજ્યના ઘર ઘરના રસોડામાં વપરાતા ઘઉં, મકાઇ, જવ, મેંદો, રવો, મધ સહિતની વસ્તુઓ પર ૫ ટકાના દરે જીએસટી લગાવ્યો હોવાથી કેન્દ્ર સરકારની જીેસટીની વાર્ષિક આવક રૂા. ૨૧ લાખ કરોડને આંબી જાય તેવી સંભાવના છે.
બેન્કની ચૅકબુકના ચાર્જ ઉપરાંત 18 ટકા જીએસટી
બૅન્કમાંથી મળતા ફ્રી ચેક ઉપરાંતના લૂઝ કે પછી બુકના સ્વરૂપમાં લેવામાં આવનારા ચેક માટે લેવાનારા ચાર્જ પર ૧૮ ટકા જીએસટી લાગુ પડશે. તેની સૌથી મોટી અસર કરન્ટ એકાઉન્ટ ધારકો પર પડશે. આ જ રીતે રસ્તા, બ્રિજ, રેલવે ટ્રેક, મેટ્રો રેલ, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્મશાનગૃહ બાંધવા માટેના વર્ક્સ કોન્ટ્રાન્કટ પર ૧૨ ટકા જીએસટી લેવાતો હતો તે વધારીને ૧૮ ટકા કરી દેવામાં આવ્યો છે. ઐતિહાસિક સ્મારકો, નહેરો, બંધ, પાઈપલાઈન, વૉટર સપ્લાય પ્લાન્ટ્સ નાખવાના કોન્ટ્રાક્ટ લેનારાઓ પાસેથી ૧૮ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ બાંધનારાઓ પાસેથી પણ ૧૮ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે.
ભારતીય ટીમ ગુરૂવારે લોર્ડસના ઐતિહાસિક મેદાન પર બીજા વન ડેમાં ફરી એકવાર ઇંગ્લેન્ડ પર દબદબો બનાવી રાખવાના અને ત્રણ મેચની શ્રેણી 2-0ની અતૂટ સરસાઇથી કબજે કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. સ્નાયૂ ખેંચાઇ જવાની ઇજાને લીધે વિરાટ કોહલીનું આ મેચમાં રમવું પણ સંદિગ્ધ છે. લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ કોહલીએ આ ઇજાને લીધે પહેલો વન ડે પણ ગુમાવ્યો હતો. જો કે કોહલીની ગેરહાજરીમાં ટીમના દેખાવમાં કોઇ ફરક પડયો નથી. બુમરાહની કાતિલ બોલિંગથી ભારતે પહેલા વન ડેમાં ઇંગ્લેન્ડને 110માં ઓલઆઉટ કરીને 10 વિકેટે ધસમસતી જીત મેળવી હતી. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ આ કારમી હાર ભૂલવાની કોશિશ કરશે અને શ્રેણી જીવંત રાખવા માંગશે. મેચ ગુરૂવારે સાંજે પ-30થી શરૂ થશે.
કપ્તાન રોહિત શર્મા અને તેની ટીમને એવી આશા રહેશે કે લોર્ડસની પિચ પણ ઓવલ જેવી હશે. બુમરાહ ઘાતક ફોર્મમાં છે અને શમી કોઇપણ વિરોધી બેટધર પર ભારે પડી શકે છે. ઇંગ્લેન્ડના બેટર્સના ભારતના આ બે ફાસ્ટ બોલર સામે ફરી એકવાર કસોટી થશે. જો કોહલી નહીં રમે તો શ્રેયસ અય્યર વન ડાઉનમાં હશે અને તેણે શોર્ટ પિચ બોલ પર આઉટ થતાં બચવું પડશે. દીપક હુડ્ડા ક્ષમતાવાળો બેટધર છે. આથી શ્રેયસ અય્યર પર સારા દેખાવનું દબાણ રહેશે. ઓવલમાં કપ્તાન રોહિતે પ8 દડામાં પ છક્કાથી 7પ રનની અણનમ ઇનિંગ રમી હતી. તે અને તેનો સાથીદાર શિખર ધવન લોર્ડસમાં પણ મોટી ઇનિંગનો ઇરાદો રાખશે. લોર્ડસની પિચ મોટાભાગે બેટધરોને વધુ યારી આપે છે. એવામાં ઇંગ્લેન્ડ પાસે વાપસીનો મોકો બની રહેશે. જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોકસ, જેસન રોય અને લિયામ લિવિંગસ્ટન જેવા બેટધરોની હાજરીમાં ઇંગ્લેન્ડની નામચીન બેટિંગ હરોળ બીજા વન ડેમાં ટોસ જીતવાની સ્થિતિમાં મોટો સ્કોર ખડકવાની કોશિશ કરશે. જો કે તેની બિન અનુભવી બોલિંગ લાઇનઅપનો દેખાવ મહત્ત્વનો બની રહેશે.
કેન્દ્ર સરકારે 15 જુલાઈથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોરોનાનો બૂસ્ટર ડોઝ ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તા.13મી જુલાઇ 2022ના રોજ દિલ્હી ખાતેથી એક પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે, ભારત આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આઝાદીના અમૃતકાળ પ્રસંગે સરકારે 15 જુલાઈ, 2022થી આગામી 75 દિવસ સુધી 18 કે તેનાથી વધુ ઉંમરના બધા લોકોને સરકારી કેન્દ્રો પર મફતમાં કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે.
ફુલ્લી વેક્સીનેટેડ એટલે કે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધાના 6 મહિના પછી જ શરીરમાં એન્ટીબોડીનું સ્તર ઓછું થવા લાગે છે. ફરીથી સંક્રમિત થવાનો ખતરો વધી ગયો ચે. જેથી બૂસ્ટર ડોઝ જરૂરી હોય છે. પરંતુ આ ખતરા છતાં લોકો બૂસ્ટર ડોઝ નહોંતા લઈ રહ્યા, જેનું મોટું કારણ કદાચ એ હતું કે, મોટાભાગના રાજ્યોમાં 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ માટે રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા હતા. હવે સરકારે બૂસ્ટર ડોઝને મફત કરવા ઉપરાંત તેના માટે જાગૃતિ અભિયાન શરૂ કરવાનો પણ નિર્ણય કર્યો છે.
અહેવાલો મુજબ, હાલમાં 18થી 59 વર્ષના 77 કરોડ પાત્ર લોકોમાંથી એક ટકા કરતા પણ ઓછાને બૂસ્ટર ડોઝ અપાયો છે. જોકે, 60 વર્ષથી વધુ ઉંમરના લગભગ 16 કરોડ લોકો અને આરોગ્ય કર્મચારીઓ તેમજ પ્રથમ હરોળના કર્મીઓમાંથી લગભગ 26 ટકા લોકો બૂસ્ટર ડોઝ લઈ ચૂક્યા છે.
કેન્દ્ર સરકારે ગત સપ્તાહે બધા માટે કોરોનાની રસીના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝની વચ્ચેનું અંતર 9 મહિનાથી ઘટાડી 6 મહિના કરી દેવાયું હતું. રસીકરણ પર નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપની ભલામણ પછી આવું કરવામાં આવ્યું હતું.
દેશભરમાં આવેલી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી અને વેટરનરી સાયન્સની કોલેજોમાં પ્રવેશ માટે જરૂરી નીટ (નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ એક્ઝામ ) યુજી-અન્ડર ગ્રેજ્યુએટ પરીક્ષાનું રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓ માટે આજે નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ એડમિટ કાર્ડ ઓનલાઇન ઉપલબ્ધ કરાવ્યા છે. વિદ્યાર્થીઓએ નીટની ઓફિશ્યલ વેબસાઇટ પરથી પોતાના એડમિટ કાર્ડ લઇને તેની દરેક ડિટેલ ચેક કરી લેવી હિતાવહ છે.
નીટ યુજી પરીક્ષા આગામી તા.17મી જુલાઇએ દેશભરમાં 497 શહેરોમાં પેન એન્ડ પેપર બેઝ (ઓફલાઇન) યોજાઇ રહી છે.
ગુજરાતમાંથી અંદાજે ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ કરી રહેલા ગુજરાત સહિતના તમામ બોર્ડના મળીને 70 હજાર જેટલા વિદ્યાર્થીઓ નીટ યુજી પરીક્ષા આપશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.